ગયા અઠવાડિયાથી સમાચાર ચમક્યા કરે છે કે હવે સીંગતેલના ડબ્બાનો ભાવ 2,000 રૂપિયા પાર કરી નાંખશે ! છેલ્લાં બે-ત્રણ વર્ષથી 1,500 રૂપિયાની આસપાસ સીંગતેલના 15 કિલોના ડબ્બાનો જે ભાવ હતો, તે દિવસે ને દિવસે વધતો રહ્યો છે અને તેનું કારણ મગફળીના 50% ઓછા વાવેતરનું આપવામાં આવે છે.
અને સાથે સાથે મગફળીને લઈ બીજા એક મહત્ત્વના સમાચાર પણ ગયા અઠવાડિયે જ વાંચવામાં આવ્યા કે ગુજરાતમાંથી 2018-19ના નાણાકીય વર્ષમાં 2,098 કરોડ રૂપિયાની એટલે કે 3.08 લાખ ટન મગફળીની નિકાસ થઈ. દેશમાંથી આ જ વર્ષ દરમિયાન કુલ 4.89 લાખ ટન મગફળીની નિકાસ થઈ તેમાં સિંહફાળો તો ગુજરાતનો જ દેખાઈ રહ્યો છે.
મગફળીની ફસલ અગાઉના વર્ષ કરતાં ઓછી છે એવી વાતો વચ્ચે પણ જોઈએ તો ગયા વર્ષે 2,115 કરોડ રૂપિયાની 3.22 લાખ ટન મગફળી નિકાસ થઈ હતી તેનાં પ્રમાણમાં આ વર્ષે ખાસ ફેર જણાતો નથી જ !
બજાર કહે છે કે આ વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતને મગફળીની નિકાસ કરવાની વધુ તક મળી અને તેનું કારણ સુદાન દેશમાં આંતરિક અસલામત ભરી સ્થિતિ. પ્રમુખને પદભ્રષ્ટ કરી સત્તા પર ચઢી બેઠેલા મિલેટરી જનરલો સામે લોક આંદોલનોને લઈ બજારમાં અસ્થિરતા છવાઈ છે અને તેને લઈ ભારતના માર્કેટને લાભ મળ્યો છે.
આ અગાઉ સુદાન સાથેની નિકાસની હરીફાઈમાં ભારતના મગફળીના ભાવ દબાયા હતા. પણ આ વર્ષે મગફળીના વેપારીઓ માલામાલ થઈ ગયા છે.
વર્ષોના આંકડા તપાસીએ તો જોવા મળે છે કે મગફળીના ઉત્પાદનમાં દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. દેશના કુલ મગફળીના ઉત્પાદનમાં 50%થી વધુ તો માત્ર ગુજરાતમાં જ પાકે છે. અને ગુજરાતમાં પાકતી મગફળીમાંથી તેલ વધુ નીકળે છે એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત આગળ પડતી રહે છે.
આમ તો દુનિયાભરમાં મગફળીના ઉત્પાદનમાં નંબર એક તો ચીન છે, બીજા ક્રમે ભારત છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં મોટા પાયે મગફળી વેચાવાનું કારણ પીનટ બટરના ઉત્પાદનમાં મગફળીનો વપરાશ છે.
અને આપણા ગુજરાતમાં ખાવાનાં ઉપયોગમાં, ખાદ્યતેલ તરીકે સીંગતેલનું મહત્ત્વ છે.
દેશમાં ઉત્પન્ન થતાં તેલીબિયાંમાં 25% જેટલું ઉત્પાદન મગફળીનું છે. અને ખાદ્યતેલ તરીકે દેશમાં સરેરાશ માથાદીઠ સીંગતેલના વપરાશનું પ્રમાણ 2% જેટલું છે અને ગુજરાતમાં ખાદ્યતેલ તરીકે સીંગતેલ વપરાશનું માથાદીઠ પ્રમાણ 15% થી 20% જેટલું ગણી શકાય.
ગુજરાતમાં જેનું સૌથી વધુ ઉત્પાદન થાય અને ખાદ્યતેલ તરીકે સૌથી વધુ વપરાય તે સીંગતેલના ભાવ સતત વધતા જ રહ્યા છે, અને મગફળીને પકવનારા ખેડૂતોને આ સતત વધતા ભાવનો કેટલો વધુ લાભ સતત મળતો રહ્યો છે એ એક મહત્ત્વનો અને ગૂઢ સવાલ કાયમ બની રહ્યો છે.
સીંગતેલના વધતા ભાવોની ચર્ચા પણ આજકાલની નથી, વર્ષો જૂની છે.
આઝાદી બાદ ગુજરાત રાજ્યમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જમીન સુધારણાના કાયદાનો થોડોઘણો વિશેષ લાભ, ખેડે તેની જમીનને લઈ ખેડૂતોને મળ્યો. અને સિંચાઇની વ્યવસ્થા વધતાં જતાં રોકડિયા પાકમાં મગફળી એ ખેડૂતોને સમૃદ્ધ કર્યા એ ય હકીકત.
પણ પછી સરકાર અને બજારની મીલીભગતને લઈ મગફળીના ભાવ ને સીંગતેલના ભાવ એ જાણે કે અર્થકારણ ને રાજકારણની રમત બની ગયા !
મને યાદ છે એક જમાનાના, 1957ના મહાગુજરાત આંદોલન વખતના પ્રખર વક્તા, યુવા સમાજવાદી નેતા અને પછીથી કૉન્ગ્રેસના નેતા સનત મહેતા 1969-70ના સમયમાં વડોદરામાં જ્યારે મોંઘવારી વિરોધી જનસભાઓમાં ભાવુક થઈ ને ભાષણો કરતાં કહેતા કે "સીંગતેલના ભાવ આસમાને પહોંચ્યા છે … આજે એવો સમય આવ્યો છે કે મારી બહેનોને, ગુજરાતની બહેનોને હવે સીંગતેલનાં બદલે પોતાનાં આંસુઓથી લોટ બાંધવાનો વખત આવ્યો છે …. ! … ટીપું તેલ ખરીદવું ય હવે દોહ્યલું થઈ ગયું છે ..!"
વિધિની વિચિત્રતા એવી બની કે ત્યાર બાદના ગાળામાં જ કૉન્ગ્રેસ સરકારમાં, 1972માં મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે સીંગતેલના ભાવ વધારા મુદ્દે લડત ચલાવનારા સનત મહેતાને જ પુરવઠા ખાતાના પ્રધાન બનાવ્યા ! અને સીંગતેલના ભાવ તો વધતા જ ગયા !
1972 ડિસેમ્બર માસમાં એક કિલો સીંગતેલના ભાવ 4.50 રૂપિયા હતા અને તે 1973ના ડિસેમ્બરમાં 9.50 રૂપિયા થઈ ગયા !
આ સીંગતેલ-ખાદ્યતેલો અને અન્ય અનાજ-શાકભાજીના બેફામ ભાવ વધારાને લઈને જ પછી વિદ્યાર્થીઓ અને જનતાનું મોંઘવારી વિરોધી, નવનિર્માણ આંદોલન 1974નાં આરંભે જ ઊભું થયું જેને રોટી રમખાણ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સૌ કોઈ જાણે જ છે.
વરસાદ સારો થયો હતો, દુકાળ કે અતિવૃષ્ટિનું વર્ષ ન હતું છતાં ય અસહ્ય 100%થી પણ વિશેષ ભાવ વધારાને લઈ તે સમયના મુખ્યમંત્રી 'ચીમન ચોર' તરીકે ગુજરાતની જનતામાં વ્યાપકપણે ઓળખાયા.
સીંગતેલનો ભાવ વધારો જે રીતે થતો રહ્યો તેને લઈ ખાદ્યતેલ તરીકે તેનો વપરાશ પણ ઓછો થતો ગયો અને પામોલિન, કપાસિયા, વનસ્પતિનાં તેલ, સીંગતેલના પ્રમાણમાં સસ્તાં તેલોનો વપરાશ ગુજરાતમાં વધતો ગયો.
અલબત્ત, એક જમાનામાં ગુજરાતના મધ્યમવર્ગના લોકોમાં તલનું તેલ ખવાતું અને સીંગતેલને નિમ્નકક્ષાનું તેલ ગણવામાં આવતું. અને હવે જેના 15 કિલોના ડબ્બાનો ભાવ 1970થી વધુ થઈ ચૂક્યો છે તે સીંગતેલ ઉચ્ચ મધ્યમવર્ગના લોકો માટે જ જાણે કે હોય એવું બની રહ્યું હોય તેવું જણાય છે.
આમ સીંગતેલ તો સુખ સંપન્ન લોકો માટે જ મર્યાદિત થતું જાય છે ત્યારે સવાલ તો થાય જ કે સીંગતેલ જેમાંથી તૈયાર થાય છે તે મગફળી ઉગાડનારા ખેડૂતો સુખી સંપન્ન કેમ ના થયા ?
આ ના સમજાતા ગણિતને બજારને આધિન અને રાજકીય બાબત જ ગણવી રહી ને ?
સૌને બે વર્ષ પૂર્વેની વાત યાદ જ હશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં મગફળીનો મબલખ પાક થયો હતો અને વેપારીઓ ખેડૂતોને 20 કિલો મગફળીના 700 રૂપિયા આપવા પણ તૈયાર ન હતા. મહેનત અને ખર્ચાના પ્રમાણમાં યોગ્ય ભાવ મળે તેની રાહમાં ખેડૂતોએ મગફળી ઘરમાં સાચવીને બેસી રહ્યા ત્યાં તો બીજી સીઝનની મગફળી ખેતરમાં તૈયાર થવા માંડી હતી. ખેડૂતો મૂંઝવણમાં ચિંતાતુર બન્યા.
છેવટે સરકારે અગાઉના વર્ષ કરતા 200 રૂપિયા વધારી ક્વિન્ટલે 4,500 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો. 20 કિલોના 700ને બદલે 900 રૂપિયા થતાં ખેડૂતોની લાઈનો લાગી ગઈ. સરકારી તંત્રો પાસે મગફળી ભરવા શણના કોથળા પણ પૂરતાં ન હતા અને ગોડાઉનો ય હતાં નહીં.
પછી જ્યારે અમરેલી પાસેનાં એક ગોડાઉનમાંથી સરકારે ખરીદેલી મગફળી વેપારીને વેચવા કાઢી ત્યારે એક મોટું કૌભાંડ બહાર પડી ગયું ..!
ગુણોમાં ઓછી મગફળી ભરેલી હતી અને વજન બતાવવા તેમાં ધૂળ અને કાંકરા ભરેલાં જોવા મળ્યા !
અને ગામેગામ આ અંગે બૂમો ઊભી થાય ને ઓછી મગફળીના વધુ નાણાં અરસપરસ વહેંચી ખાવાનું આ કૌભાંડ બંધ બારણે જ પતી જાય એટલે એક પછી એક, ચાર જ મહિનામાં વિવિધ જગ્યાએ આવેલાં પાંચ મગફળીના ગોડાઉનોમાં આગ લાગેલી જોવામાં આવી. જ્યાં સી.સી.ટી.વી. કેમેરા ન હતાં તેવાં જ ગોડાઉનોમાં આગ લાગી ! વળી આ ગોડાઉનો એવાં હતાં જ્યાં વીજળીના કનેક્શન ન હતાં જેથી એવું બહાનું પણ કાઢી શકાય એમ નથી કે શોર્ટસર્કીટથી આગ લાગી હતી !
મીડિયામાં હોહા થઈ, તપાસની વાતો થઈ. નાફેડ દ્વારા, જેમને મગફળી ખરીદવાનું સોંપાયું હતું તે સરકારી તંત્રોના મેનેજર કક્ષાના વ્યક્તિઓની ધરપકડ થઈ પણ છેવટે આ આગના ભ્રષ્ટાચારના ભડકા ચૂપચાપ હોલવાઈ ગયા ..!
આ પાંચ જગ્યાઓએ લાગેલી આગમાં કુલ આશરે દસેક હજાર ટન મગફળી બળીને ખાખ થઈ ગઈ !
જનતાના ટેક્સના નાણાં ગટર થઈ ગયા ! ખેડૂતોની મહેનતની ફસલ ધૂમાડો થઈ ગઈ !
આ ભ્રષ્ટાચાર તો થયો તે ઉપરાંત ખેડૂતોની બધી મગફળી તો ના જ વેચાઈ ! અને જે વેચાઈ તેનાં સમયસર નાણાં તો ના જ મળ્યાં અને તેમાં ય કમિશનો ખવાયાં તેની વ્યથાની કથાઓ તો કોઈ એ સાંભળી જ નહીં !
"વાવણી ઓછી થઈ એટલે ભાવ વધ્યા કે વધશે, આંતરરાષ્ટ્રીય બજારમાં હરીફ વધ્યા એટલે ભાવ ઘટ્યા, ફસલ વધુ થઈ એટલે કોઈ ખરીદનાર નથી, બજારમાં તેજી આવી તો માલની અછત છે એટલે ભાવ વધ્યા !" – આવી બહાનાબાજી તો વર્ષોથી મગફળી – સીંગતેલ, દાળ-કઠોળ, ડુંગળી-બટાકાના ભાવ તાલમાં આપણે સાંભળ્યા કરીએ છીએ અને વરસોવરસ મોંઘવારીનો માર જનતા સહન કર્યા જ કરે છે.
જ્યારે જ્યારે ભાવ વધે ત્યારે નક્કી – સ્ટાન્ડર્ડ બહાનાબાજી સાથે સરકાર; વેપારીઓની સાથે, બજારની સાથે રહી લોલંલોલ જવાબો આપ્યા કરે એ હવે કાયમી વાત બની ચૂકી છે. મીડિયા અને લોકોમાં ખૂબ હોહા થાય કે ચૂંટણી ટાણું હોય તો ટેકાના ભાવ જાહેર કરી દે ! પણ આ ટેકાના ભાવ કોને અને કેટલા ખેડૂતોને મળશે કે મળ્યો તેની વાત તો ક્યાં ય આવતી કે દેખાતી નથી. ખાદ્યાન્ન કે ખાદ્યતેલને લઈ સંગઠિત બુમરાણ મચે તે સમયે સરકારી જાહેરાત કરવાની પછી કોણ ક્યાં પૂછે કે પેલા ખેડૂતો ટ્રેક્ટર ભરીને, ટ્રક ભાડે કરીને પાક વેચવા ગયા તો તેમનો માલ કોણે અને કેટલો લીધો ?
આપણે ત્યાં ખાદ્યાન્ન, તેલીબિયાં અને શાકભાજીના ગોડાઉનો મોટાપાયે ખાનગી છે. સરકાર ટેકાના ભાવે ખરીદે અને જો આ ગોડાઉનોના માલિકોને વેપારીઓ સાંઠગાંઠ કરી ના ખરીદે તો એ માલ ક્યાં નાંખવાના ? કે પછી ખરીદી બંધ કરી દેવાની ?
આવા તીખા સવાલોના જવાબ કોઈની પાસે નથી.
અત્યારે આજની તારીખે નાફેડ પાસે પાંચ લાખ ટન મગફળી ટેકાના ભાવે ખરીદેલી પડી છે અને છતાં ય બજાર બૂમો પાડે કે આ વર્ષે વાવેતર ઓછું છે એટલે સીંગતેલના તેલના ડબ્બાના ભાવ 2,000 રૂપિયા વટાવી જશે. એ વાત કેટલી વાજબી ? બજાર ભાવ વધારી નાંખે ને સરકાર ચૂપ રહે એ પણ કેવી વાત ?
જવાબો વગરના સવાલો ઘણા છે.
અને આપણે ત્યાં 'વિકાસ'ના કામોની દિશા પણ નક્કી જ છે.
આપણે ત્યાં ટ્રાફિકની સમસ્યાઓને લઈ જ્યાં ને ત્યાં રોડ ફટાફટ મોટા થતાં રહે છે, તેના પર રાતોરાત ઓવરબ્રિજો બની જાય છે, પરંતુ ખેડૂતોને મદદરૂપ થવા ગોડાઉનો ને કોલ્ડ સ્ટોરેજ બનતાં નથી. ક્યાંક ગોડાઉનો સરકારે બનાવ્યા હોય અને તેનાં ઉદ્ઘાટનો પ્રધાનોના હાથે થયા હોય એવા સમાચાર ક્યારે ય વાંચવા કે ટીવી પર જોવા નથી મળતા તેનો ભારે અફસોસ વ્યક્ત કરવો રહ્યો ! તમે એવા કોઈ સમાચાર વાંચ્યા કે ટીવી પર જોયા છે ?
સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 03 જુલાઈ 2019