વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમના બીજા કાર્યકાળના આરંભે જ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના મુદ્દે સર્વપક્ષીય બેઠક યોજી તેના પરથી આ મુદ્દે તેમની પ્રાથમિકતા અને ગંભીરતા જણાઈ આવી છે. વડાપ્રધાને ‘વન નેશન, વન ઈલેક્શન’ને સરકારનો નહીં પણ દેશનો એજન્ડા ગણાવ્યો છે પરંતુ સર્વપક્ષીય બેઠકમાં સમૂળગા વિપક્ષની ગેરહાજરી દર્શાવે છે કે વિપક્ષનું આ અંગેનું વલણ વિરોધ અને અસ્વીકારનું છે. લોકસભાની સાથે જ રાજ્યોની વિધાનસભાની પણ ચૂંટણીઓ યોજાવી જોઈએ તેવા વિચાર બાબતે દેશમાં મતમતાંતર પ્રવર્તે છે. તેને અંગે દેશ માટે બહુ જ જરૂરી, આકર્ષક અને ઈચ્છનીય, ધનબળ અને જનબળની બચત કરનાર, ભારે બંધારણીય ઉથલપાથલ કરનાર, અશક્ય, અવ્યવહારુ, બકવાસ, બોગસ અને દીવાસ્વપ્ન જેવા સામસામા છેડાના મત પ્રગટ થયા છે. વિપક્ષો આ વિચાર પાછળ દેશમાં સર્વત્ર ભા.જ.પ.નું પ્રભુત્વ ઊભું કરવાનો ઉદ્દેશ હોવાનું ગણાવી તે પ્રાદેશિક પક્ષોને નામશેષ કરી નાંખશે તેવો ભય પણ વ્યક્ત કરે છે.
‘વન નેશન, વન ઈલેક્શન’નો મુદ્દો લાંબા સમયથી દેશમાં ચર્ચાઈ રહ્યો છે. તે કંઈ સાવ અચાનક અને કોઈની સત્તા લાલસામાંથી જન્મેલો છે એવું પણ નથી. તેના બંધારણીય, કાનૂની અને રાજકીય પાસાં પણ ચર્ચાયા છે. છેક ૧૯૮૩માં ચૂંટણી પંચે સરકારને ચૂંટણી સુધારાઓની ભલામણ કરતાં દેશમાં બધી જ ચૂંટણીઓ એક સાથે યોજવા સૂચન કર્યું હતું. વાજપેયી સરકારે રચેલા બંધારણીય સમીક્ષા પંચે ૨૦૦૨માં તેની તરફેણ કરી હતી. બી.જે.પી.એ તેના ૨૦૧૪ના ચૂંટણી ઢંઢેરામાં ‘વન નેશન વન ઈલેક્શન’નું વચન આપ્યું હતું. કાયદાપંચ અને નીતિઆયોગ પણ આ વિચારના સમર્થનમાં છે. લો કમિશને હાલમાં જ એક વિસ્તૃત વર્કિંગ ડોક્યુમેન્ટ આ મુદ્દે રજૂ કર્યો છે.
દેશના આરંભના લગભગ બે દાયકાની, ૧૯૫૨થી ૧૯૬૭ની, ચાર ચૂંટણીઓ એક સાથે જ યોજાઈ હતી. તે સમયે દેશમાં બધે જ કૉન્ગ્રેસની આણ પ્રવર્તતી હતી. ૧૯૬૭ની ચૂંટણીઓમાં કૉન્ગ્રેસની એક પક્ષ પ્રભાવ પ્રથા તૂટી હતી. કેટલાંક રાજ્યોમાં વિપક્ષોના બનેલા સંયુક્ત વિધાયક દળની સરકારો રચાઈ હતી. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પંજાબ, કેરળ, ઓરિસ્સા અને મદ્રાસ રાજ્યમાં જે સંવિધ સરકારો બની હતી તેમાંની કેટલીકમાં જનસંઘ અને સામ્યવાદી પક્ષો પણ સામેલ હતા, પરંતુ આ સરકારો બહુ લાંબું ન ટકી કે ઇંદિરા ગાંધીએ ન ટકવા દીધી. એટલે રાજ્યોમાં મધ્યસત્ર ચૂંટણીઓ આવી. તેના કારણે એક સાથે ચૂંટણીઓ યોજાતી બંધ થઈ. આવી રાજકીય અસ્થિરતા ન માત્ર રાજ્યોમાં, કેન્દ્રમાં પણ જોવા મળી. ૧૯૭૧ અને ૧૯૮૪માં કૉન્ગ્રેસે વહેલી ચૂંટણી યોજી હતી. ૧૯૮૦, ૧૯૯૧, ૧૯૯૮ અને ૧૯૯૯માં પણ લોકસભાએ તેની પાંચ વરસની નિર્ધારિત મુદ્દત પૂરી કરી નહોતી તેથી પણ વહેલી અને અલગ અલગ ચૂંટણીઓ થઈ હતી.
‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના વિચારના સમર્થનમાં જે મજબૂત દલીલ છે તે સમય, શક્તિ અને નાણાંની બચતની છે. હાલમાં વારંવાર ચૂંટણીઓ યોજાતી હોવાથી દેશમાં જાણે કે બારેમાસ ચૂંટણીનો જ માહોલ હોય છે. વળી આચારસંહિતાને કારણે વિકાસકામો ઠપ થઈ જાય છે. ૨૦૧૬-૧૭ના વરસમાં મહારાષ્ટ્રમાં ૩૬૫માંથી ૩૦૭ દિવસ રાજ્યના જુદાજુદા ભાગોમાં આચારસંહિતા અમલમાં હતી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના ત્રણ મહિના પહેલાં પાંચ રાજ્યોમાં અને લોકસભા ચૂંટણી સાથે બીજાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી હતી. હવે આ વરસના અંતે હરિયાણા અને મહારાષ્ટ્ર, ૨૦૨૦માં બિહાર, દિલ્હી અને ઝારખંડ અને ૨૦૨૧માં કેરળ, તમિલનાડુ, બંગાળ, અસમ, પુડ્ડુચેરી વિધાનસભાની ચૂંટણીઓ થશે. એકલી રાજ્યોની ચૂંટણીઓમાં સરકારને ૪,૫૦૦ કરોડનો ખર્ચ થાય છે. જો સાથે ચૂંટણીઓ થાય તો તે ખર્ચ નિવારી શકાય. બંને ચૂંટણી માટે એક જ મતદારયાદી બની શકે અને વહીવટીતંત્ર તથા પોલીસતંત્રનો પણ એક સાથે ઉપયોગ કરવાનો થાય.
વિરોધપક્ષો ‘વન નેશન, વન ઈલેક્શન’ના વિચારને રાષ્ટ્રવાદ વિરુદ્ધ પ્રાદેશિક અસ્મિતાની રીતે જુએ છે. કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકારની ચૂંટણી માટેના મુદ્દા અલગ હોય છે અને જો બંને ચૂંટણીઓ સાથે થાય તો રાજ્યોના સ્થાનિક મુદ્દા દબાઈ જાય, મોટા રાજકીય પક્ષો હાવી થાય અને ભવિષ્યમાં દેશ પ્રમુખશાહી કે એકપક્ષી સરકાર તરફ જઈ શકે તેવી દહેશત પણ વ્યક્ત થાય છે. ૧૯૯૯થી ૨૦૧૪ સુધીની ૬ રાજ્યોની ૧૬ ચૂંટણીઓની ૨,૬૦૦ વિધાનસભા બેઠકોનો એક અભ્યાસ દર્શાવે છે કે ૭૭% મતદારોએ એક જ પક્ષને મત આપ્યા હતા. આ હકીકત પણ વિપક્ષની દહેશત સાચી ઠેરવે છે. લોકસભા ચૂંટણીના ત્રણ જ મહિના પૂર્વે બી.જે.પી.એ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભામાં સત્તા ગુમાવી હતી. પણ લોકસભામાં તેને આ જ રાજ્યોમાં મોટી બહુમતી મળી છે. તેલંગાણામાં ત્રણ મહિના પૂર્વે જે પ્રાદેશિક પક્ષ ભારે બહુમતી મેળવી શક્યો તે લોકસભા ચૂંટણીમાં તેની બેઠકો જાળવી શક્યો નહીં. લોકસભા ચૂંટણીની મોદીલહેર ઓરિસ્સા અને આંધ્રના પ્રાદેશિક પક્ષોએ ખાળી અને સતા મેળવી છે. એટલે રાષ્ટ્રીય અને સ્થાનિક મુદ્દા કેટલા ભાગ ભજવે છે તે સવાલ છે.
‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ની તરફ્દારી કરતા ભા.જ.પે. લોકસભા ચૂંટણીની સાથે જેની મુદ્દત ટૂંકાવીને લોકસભાની સાથે ચૂંટણી કરાવી શકાય તેમ હતી તે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓ કરાવી નથી. પણ ઓરિસ્સા, તેલંગાણા અને આંધ્રના વિપક્ષી મુખ્યમંત્રીઓ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના સમર્થનમાં છે. લોકસભાની સાથે જ રાજ્ય વિધાનસભાની ચૂંટણી થઈ શકે તે માટે ૨૦૦૪માં ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે વિધાનસભાની વહેલી ચૂંટણી યોજી હતી. તેથી ૨૦૦૪, ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૧૯માં ઓરિસ્સામાં બંને ચૂંટણીઓ સાથે યોજાઈ છે.
આ વિચારના અમલમાં મોટો અવરોધ હાલની બંધારણીય જોગવાઈઓનો છે. ખાસ તો લોકસભા અને રાજ્યોની વિધાનસભાના કાર્યકાળ, અવિશ્વાસની દરખાસ્ત, વ્હીપ વગેરે સંબંધી જે બંધારણીય જોગવાઈઓ છે તેમાં બંધારણીય સુધારા કરવા પડે. વળી ભૌગોલિક, ધાર્મિક, સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા આપણા વિશાળ દેશમાં કયો સમય ચૂંટણી માટે, સમગ્ર દેશ માટે આદર્શ ગણાય તે પણ મોટો સવાલ છે. આખા દેશમાં એક જ સરખી ઋતુ કે ધાર્મિક તહેવારો હોતા નથી. તેને કારણે પણ સમગ્ર દેશને અનુકૂળ હોય તેવો ચૂંટણી સમય નક્કી કરવો બહુ મુશ્કેલ બાબત છે.
ફાયદા અને ગેરફાયદામાંથી કોનું પલ્લું નમે છે કે બહુમતી કઈ બાજુ છે તે દ્રષ્ટિથી આ વિચારને મૂલવવાને બદલે સતત વિચારમંથન કરતાં રહીને સર્વસંમતિ સાધવાનો પ્રયત્ન થતો રહે અને દરમિયાનમાં ઓરિસ્સાની જેમ સમર્થક રાજ્યો અને પક્ષો અમલ શરૂ કરે.
e.mail : maheriyachandu@gmail.com
(પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 03 જુલાઈ 2019)
કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય