મહામારીગ્રસ્ત મહાનગર મુંબઈ આજકાલ સુશાંત અને કંગનાને કારણે ચર્ચામાં છે. એક સમયે આઝાદીના સંગ્રામના કારણે પણ ચર્ચાયું હતું.
જયપ્રકાશ નારાયણ, પ્રભાવતીદેવી, યુસૂફ મહેરઅલી અને રામમનોહર લોહિયા
સાયમન કમિશનના બહિષ્કાર આંદોલનનું નેતૃત્વ કરીને મહેરઅલીએ આઝાદી આંદોલનમાં ઝુકાવ્યું હતું. મુંબઈમાં એમણે ગુંજતો કરેલો ‘સાયમન ગો બેક’નો નારો પછી આખા દેશનો અવાજ બની રહ્યો હતો. અહિંસક સત્યાગ્રહીઓ પર પોલીસે સિતમ ગુજાર્યો તેમાં મહેરઅલી સહિત ઘણાં ઘવાયા હતા. નિઃશસ્ત્ર અને અહિંસક સત્યાગ્રહીઓ પર લાઠીમાર કરનારા અંગ્રેજ સાર્જન્ટ સામે મહેરઅલીએ કોર્ટમાં કેસ કરી સજા અપાવી હતી. તેથી આ કેસનો ચુકાદો આપનાર ન્યાયાધીશને સરકારે નોકરીમાં કાયમ ન કર્યા તો મહેરઅલીને લોની ડિગ્રી છતાં વકીલાત કરવાની સનદ ન મળી. આઝાદીનું આંદોલન અને અન્યાયનો પ્રતિકાર કેવાં પરિણામો નિપજાવી શકે છે તે આ બાબતોથી જણાય છે, પરંતુ ડર્યા વિના મહેરઅલી આઝાદી આંદોલનમાં ડટયા રહ્યા. ૧૯૩૨ના મીઠા સત્યાગ્રહ વખતે મુંબઈના વડાલામાં તેઓ યુવાનોનું નેતૃત્વ કરી રહ્યા હતા. સત્યાગ્રહીઓ પર ઘોડેસવારોની ટુકડી દ્વારા ચાબુકો ફ્ટકારવામાં આવતા મહેરઅલીએ અંગ્રેજ સાર્જન્ટના પૂરપાટ દોડતા ઘોડાની લગામ પકડી લઈ તેમની નીડરતાનો પરચો કરાવ્યો.
ઈ.સ. ૧૯૩૪માં આચાર્ય નરેન્દ્ર દેવ, રામમનોહર લોહિયા, જયપ્રકાશ, અચ્યુત પટવર્ધન, એસ.એમ. જોશી, અશોક મહેતા અને મિનુ મસાણી સાથે મળીને તેમણે ‘કૉન્ગ્રેસ સમાજવાદી પક્ષ’ની સ્થાપના કરી હતી. સમાજવાદને આજીવન સર્મિપત મહેરઅલીનું જીવનધ્યેય સમાજવાદી સમાજરચનાની સ્થાપનાનું હતું. સમાજવાદી પક્ષોનાં સંમેલનોમાં તેમણે સમાજવાદની બુનિયાદ વધુ ને વધુ સ્પષ્ટ કરી હતી. ૧૯૩૬માં તેમણે કૉન્ગ્રેસ સમાજવાદી પક્ષના પ્રમુખસ્થાનેથી જમીનદારી નાબૂદીની ઘોષણા કરી હતી. વતન કચ્છની ‘પ્રજા પરિષદ’ સાથે પણ તેઓ જોડાયેલા હતા. આઝાદી માટે કચ્છના રાજા અને ગિરાસદારોનો પ્રતીકાર કરીને તેમણે લોકોને સક્રિય લડત માટે તૈયાર કર્યા હતા. ૧૯૪૨માં તેઓ લાહોર જેલમાં હતા ત્યારે જ તેમને મુંબઈના મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સમાજવાદીઓ નહેરુના પક્ષે હોવાનું જાણતા હોવા છતાં સરદાર પટેલે આ પસંદગી કરી હતી. મહેરઅલીએ પણ પોતાનાં કાર્યો થકી તેને દીપાવી. નગરપતિ તરીકેના પોતાના પ્રથમ પ્રવચનમાં, ‘હું તુમારશાહી અને રેઢિયાળપણાનો સજ્જડ વિરોધી છું.’ એમ કહીને તેમણે ‘સમાજવાદી સુધરાઈ’નો વિચાર અમલમાં મૂકવા પ્રયાસ કર્યો. મુંબઈના નાગરિકોની સુરક્ષા અંગ્રેજ સરકાર પર છોડી દેવાને બદલે તેમણે ‘પીપલ્સ વોલન્ટિયર બ્રિગેડ’ની રચના કરી. મુંબઈના ગવર્નરે મહેરઅલીને રાજભવનમાં ડિનર માટે નિમંત્ર્યા તો તેમણે ડિનરમાં તેમનો શોફર સાથે જોડાશે તેની શરત રાખી અને તેની આગોતરી પરવાનગી મળ્યા પછી જ ભોજન માટે ગયા હતા.
હિંદ છોડો ચળવળના વરસે મુંબઈના પહેલા સમાજવાદી મેયર તરીકે ચૂંટાયેલા યુસૂફ મહેરઅલીનું સ્મરણ એમના સમાજવાદી વિચારોના કારણે કરવા જેવું છે. આજથી ૧૧૭ પહેલાં, ૨૩મી સપ્ટેમ્બર, ૧૯૦૩ના રોજ જન્મેલા યુસૂફ મહેરઅલીના અવસાન(બીજી જુલાઈ, ૧૯૫૦)ને પણ સાત દાયકા થવા આવ્યા.
મૂળે કચ્છના ખોજા પરિવારના યુસૂફ મહેરઅલીનો જન્મ, ઉછેર અને ભણતર મુંબઈમાં થયાં હતાં. અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, વિદ્યાવ્યાસંગી બૌદ્ધિક અને બિનસાંપ્રદાયિકતાના જીવંત પ્રતીક એવા મહેરઅલીએ વિદ્યાર્થી અવસ્થાથી જ જાહેરજીવનમાં રસ લેવા માંડેલો. માંડ સુડતાલીસ વરસના ઝંઝાવાતી આયખામાં એમણે ઘણાં મોટાં કામો કર્યાં હતાં. તેમના સમાજવાદી સાથી જયપ્રકાશ નારાયણે ઉચિત જ કહ્યું હતું કે, “ મારા મનથી યુસૂફ મહેરઅલીનું સર્મિપત જીવન ગાંધીજીને બાદ કરતાં જીવનની સર્વોત્તમ અભિવ્યક્તિ છે. ધ્યેય પ્રતિ નિષ્ઠા અને આદર્શો પ્રત્યે આદર ગાંધીજી પછી તેમના જીવનમાં જોવા મળ્યા.”
૩૧ માર્ચ, ૧૯૪૯થી બીજી જુલાઈ ૧૯૫૦ સુધી તેઓ મુંબઈ ધારાસભાના સભ્ય હતા. સજાગ ધારાસભ્ય તરીકે સવા વરસની તેમની કામગીરી સંસદીય ઇતિહાસમાં નોંધપાત્ર છે. મહાનગરીય જન્મ ઉછેર છતાં તેમના હૈયે સદાય ગરીબો, કિસાનો, કામદારોનું હિત રહેલું હતું. ધારાસભ્ય તરીકેનું તેમનું સૌથી મહત્ત્વનું કામ ગુમાસ્તા ધારો તૈયાર કરાવવાનું છે. ભાડૂતો, કામદારો, અસંગઠિત શ્રમિકો અને સુધરાઈના પ્રશ્નો તથા નાગરિક અધિકારો માટે તેમણે ધારાસભામાં સતત અવાજ ઉઠાવ્યો હતો.
અનાજની પેદાશ વધારવા માટેની ‘લેન્ડ આર્મી’(ભૂમિસેના)ની રચના કરવામાં તેમને ઊંડો રસ હતો. અત્યંત માંદલી તબિયતે પણ તેઓ આ અંગેનો ઠરાવ ધારાસભામાં રજૂ કરવા આવ્યા હતા. ગૃહમાં જ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમને ઊંચકીને ગૃહની બહાર લઈ જવા પડયા હતા. તે પછી તેઓ કદી સાજા ન થઈ શક્યા. આટલી પ્રતિબદ્ધતા તેમને પોતાના કામ પ્રત્યે હતી.
હસ્તાક્ષર માંગનારને ‘લીવ ડેન્જરસલી’ અર્થાત્ ‘જોખમભર્યું જીવો’નો સંદેશ લખી આપનાર મહેરઅલી અનેક જોખમો લઈને જીવ્યા અને બહુ ટૂંકું આયુષ્ય ભોગવ્યું.
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 23 સપ્ટેમ્બર 2020