જેલનો થોડો પણ અનુભવ જેને છે એવો કોઈ પણ માણસ જાણે છે કે બધાં ખાતાઓમાં જેલખાતું જ નાણાંની વધારેમાં વધારે તંગી ભોગવે છે. ઇસ્પિતાલો પ્રમાણમાં વધારેમાં વધારે ખર્ચાળ જાહેર સંસ્થા કહેવાય. જેલમાં દરેક વસ્તુ સાદામાં સાદી અને કાચામાં કાચી જાતની હોય છે. જેલમાં મનુષ્યશ્રમના વ્યયની છાકમછોળ છે, જ્યારે પૈસા અને સાધનના વપરાશની બાબતમાં પૂરું દળદર છે. ઇસ્પિતાલોમાં આથી ઊલટું જ ચાલે છે. છતાં બંને સંસ્થાઓ માનવવ્યાધિના ઇલાજને સારુ યોજવામાં આવેલ છે— જેલ માનસિક અને ઇસ્પિતાલો શારીરિક વ્યાધિઓને સારુ. માનસિક વ્યાધિ અપરાધ તરીકે મનાય છે એટલે સજાને પાત્ર લેખાય છે; શારીરિક વ્યાધિ કુદરતની અણધારી આપત્તિ તરીકે મનાય છે અને તેથી તેની કાળજીપૂર્વક માવજત કરવી જોઈએ. વાસ્તવિક રીતે આવો કશો ભેદ કરવાનું કારણ નથી. માનસિક તેમ જ શારીરિક બંને વ્યાધિ સરખાં જ કારણોથી નીપજે છે. હું ચોરી કરું છું તો નીરોગી સમાજને માટેના નિયમોનો ભંગ કરું છું. જો મને પેટશૂળ થાય છે તો પણ નીરોગી સમાજને માટેના નિયમોનો ભંગ કરું છું. શારીરિક વ્યાધિને સારુ હળવા ઉપાય લેવામાં આવે છે એનું એક કારણ એ છે કે કહેવાતા ઉપલા વર્ગોના લોકો નીચલા વર્ગના લોકો કરતાં કદાચ વધારે વારંવાર આરોગ્યના નિયમો તોડે છે. આ ઉપલા વર્ગોને સામાન્ય ચોરી કરવાનો અવકાશ નથી, અને જો સામાન્ય ચોરી ચાલુ રહે તો તેમના જીવનક્રમને ખલેલ પહોંચે તેથી સામાન્ય રીતે પોતે જ કાયદા બનાવનારા હોઈ તેઓ સ્થૂળ ચોરીને દંડે છે. જો કે, તેમને પ્રતિક્ષણ એ વાતનું તો ભાન હોય જ છે કે તેમનાં પોતાનાં ભોપાળાં જેને વિશે કંઈ બોલતું નથી તે સ્થૂળ ચોરીઓના કરતાં સમાજને ઘણાં વધારે હાનિકર્તા હોય છે.
એ પણ જોવા જેવું છે કે જેલો અને ઇસ્પિતાલો ખોટી ચિકિત્સાને લીધે જ વધે છે. ઇસ્પિતાલો ઉભરાય છે કારણ દરદીઓને પંપાળવામાં આવે છે. જેલ ઉભરાય છે કારણ કેદીઓ સુધરવાને નાલાયક જ હોય એમ માનીને તેમને સજા કરવામાં આવે છે. જો દરેક માનસિક અને શારીરિક રોગ ભૂલ જ ગણવામાં આવે અને દરેક દરદી અથવા કેદીની નઠોરપણે પણ નહીં તેમ લાડ કરાવીને પણ નહીં પણ માયા અને સમભાવપૂર્વક માવજત કરવામાં આવે તો જેલ અને ઇસ્પિતાલ બંને ઓછાં થવા પામે.
જેલના કરતાં ઇસ્પિતાલ નીરોગી સમાજને માટે વધારે જરૂરની વસ્તુ નથી. બંનેની સરખી જરૂર છે. દરેક દરદી અને દરેક કેદી ઇસ્પિતાલ અને જેલમાંથી નીકળે ત્યારે માનસિક તેમ જ શારીરિક આરોગ્યના નિયમોનો પ્રચારક બનીને જ નીકળવો જોઈએ.
પણ અહીં આ સરખામણી હું બંધ કરીશ. વાચકને જાણીને નવાઈ લાગશે કે જેલોમાં ચાલતું કંજૂસપણું કરકસરને બહાને ચલાવવામાં આવે છે. પાણી ખેંચવાનું, આટાને સારુ ચક્કીઓ ચલાવવાનું, રસ્તા અને પાયખાનાં સાફ કરવાનું, રાંધવાનું, ઇ. બધાં કામો કેદીઓ પાસે જ લેવામાં આવે છે, છતાં તેઓ સ્વાશ્રયી નથી એટલું જ નહીં પણ તેમની મહેનતમાંથી તેમનું પેટીઉં પણ નીકળતું નથી. વળી તેમની આટલી બધી મહેનત છતાં તેમને રુચે તેવાં અથવા તેમને ભાવે તેવો પકાવેલો ખોરાક તેમને મળતો નથી અને આનું કારણ એટલું જ કે જે કેદીઓ રસોઈ વગેરે કરે છે તેમને સામાન્ય રીતે તેમના કામમાં કશો જ રસ હોતો નથી. પોતાના કામને દયા વિનાના દેખરેખ નીચે કરવાની એક જાતની વેઠ જ તેઓ લેખે છે. એ તો સહેજે સમજી શકાશે કે જો કેદીઓ સમાજ સેવક હોત અને પોતાના ભાઈબંધોના કલ્યાણમાં રસ લેનારા હોત તો તેઓ કદી કેદમાં જ ન પડત. મતલબ કે જો વધારે વિવેકભર્યો અને નીતિવાળો વહીવટ ચલાવવામાં આવે તો જેલો આજે જેવી ખરચાળ સજાની વસાહતો છે તેને બદલે સહેજે સ્વાશ્રયી સુધારાગૃહો બની જાય. હું તો પાણી ખેંચવામાં, આટાની ચક્કીઓ ચલાવવામાં અને એવાં જ બીજાં કામોમાં કેદીઓની અંગમહેનત જે ભયંકર પ્રમાણમાં વેડફાય છે તેનો બચાવ કરવા ઇચ્છું. જો જેલવહીવટ મારા હાથમાં હોય તો હું તો આટો બહારથી લાવું, પાણી પંપવતી ખેંચાવું અને બીજાં અનેક કામો અનેક કેદીઓને વળગાડવાને બદલે જેલોને ખેતી, હાથકંતામણ અને હાથવણાટનાં કારખાનાં કરી મૂકું. નાની જેલોમાં માત્ર રેંટિયા અને સાળો જ રાખવામાં આવે. હાલ પણ ઘણીખરી સેન્ટ્રલ જેલોમાં સાળો તો ચાલે જ છે. વધારામાં માત્ર પીંજણ અને રેંટિયા દાખલ કરવાની જરૂર રહે. ઘણી જેલોમાં તો જેટલું જોઈએ તેટલું રૂ સહેલાઈથી ઉગાડી શકાય. આથી રાષ્ટ્રીય ગૃહઉદ્યોગો લોકપ્રિય થઈ પડશે, અને કેદખાનાં સ્વાશ્રયી બનશે. બધા કેદીઓની મહેનતનું વળતર મળી રહેશે, અને તેમ છતાં હાલ ચાલે છે તેમ તેનાથી હરીફાઈને ઉત્તેજન નહીં મળે.
યેરવડા જેલને અંગે એક છાપખાનું ચાલે છે. આ છાપખાનું ઘણુંખરું કેદીઓની મહેનતથી જ ચલાવવામાં આવે છે. આવાં છાપખાનાં જો બહારનું છાપકામ લેતાં હોય તો તે સામાન્ય છાપખાનાંઓ જોડે અયોગ્ય હરીફાઈમાં ઊતરે છે એમ હું કહું. જો કેદખાનાં ઉદ્યોગસંસ્થાઓ સાથે હરીફાઈમાં ઊતરે તો તે સહેલાઈથી નફો કરે એ દેખીતું છે પણ મારું કહેવાનું તાત્પર્ય એ છે કે આવી હરીફાઈમાં ઊતર્યા વગર કેદખાનાં સ્વાશ્રયી બની શકે છે અને કામ કરનારા માણસોને સાથે સાથે એક એવા ઉદ્યોગનું જ્ઞાન મળી જાય કે જે કેદીને જેલમાંથી છૂટ્યા પછી સ્વતંત્ર ધંધો કરવામાં મદદરૂપ થઈ પડે અને આબરૂદાર નાગરિકનું જીવન ગાળવા તરફ તેમને ઉત્તેજન મળે.
વળી વસ્તીની શાંતિને ખલેલ ન પહોંચે એટલે અંશે કેદીઓની આસપાસ હું ઘરના જેવું વાતાવરણ કરી મૂકું. મતલબ કે તેમનાં સગાંવહાલાંને જોઈએ ત્યારે મળવાની, ચોપડીઓ મગાવવાની અને શિક્ષણ લેવાની પણ હું તો તેમને વ્યવસ્થા કરી આપું. કેદીઓને વિશે જે અવિશ્વાસ રાખવામાં આવે છે તેને બદલે વિશ્વાસ સ્થાપું. તેઓ જે કંઈ કામ કરી શકે તેવું કામ હું તેમને સોંપું અને તેમને પોતાનો ખોરાક કાચો અથવા પાકો મગાવી લેવા દઉં.
ઘણીખરી સજાઓની મુદ્દત મુકરર હોય છે તેને બદલે હું તેમને અનિયમિત કરું. તે એ રીતે કે સમાજના રક્ષણ માટે અને તેના પોતાના સુધારા માટે જેટલી મુદ્દત કેદીને જેલમાં રાખવાની જરૂર જ હોય તેથી એક ઘડી પણ વધુ તેને જેલમાં ન રાખું.
હું જાણું છું કે આ બધું કરવાને આખી સંસ્થા નવેસરથી રચવી જોઈએ, અને હાલ જેમ ઘણાખરા જેલરો લશ્કરી નોકરીમાંથી ફારગ થએલા માણસો હોય છે તેમ ન કરતાં જુદા જ માણસો જેલોમાં નીમવા જોઈએ. મને એવી પણ ખાતરી છે કે આવો સુધારો કરવામાં નવો ખરચ પણ ભાગ્યે જ ઝાઝો કરવો પડે.
હાલ તો કેદખાનાંઓ એ લફંગાઓને માટે આરામ ગૃહો અને સામાન્ય સીધા કેદીઓને માટે જુલમખાનાં છે. અને ઘણાખરા કેદીઓ તો સીધા જ હોય છે. લફંગાઓ જોઈએ તે મેળવવામાં ફાવી જાય છે અને બિચારા સીધી લીટીના કેદીઓને જે વિના ચાલે એવી ચીજો પણ મળતી નથી. મેં ઉપર જે યોજનાની આછી રૂપરેખા દોરી છે તે યોજના પ્રમાણે તે લફંગાઓ સુખની આશા રાખે તે પહેલાં તેમને સીધાદોર થવું પડશે અને સીધા નિર્દોષ કેદીઓને જેટલું આપી શકાય તેટલું અનુકૂળ વાતાવરણ મળી રહેશે. પ્રમાણિક્તાનું વળતર મળશે અને દોંગાઈ દંડાશે.
કેદીઓની પાસે ખોરાકના બદલામાં કામ લેવાથી આળસનું નામ નહીં રહે અને જેલોમાં ખેતી તથા વણાટ એ બે ઉદ્યોગ તથા તેના અંગેના પેટા ઉદ્યોગો રાખવાથી અત્યારે દેખરેખને અંગે જે ભારે ખરચ રાખવું પડે છે તે ઘણું ઓછું થઈ જશે.
[‘યેરવડાના અનુભવ’માંથી]
પ્રગટ : “नवजीवनનો અક્ષરદેહ”, મે 2019; પૃ. 149-151