૧૯૯૨માં યોશોહિરો ફ્રાન્સિસ ફુકુયામા નામના રાજ્યશાસ્ત્રના જાપાની-અમેરિકી વિદ્વાને એક ચર્ચાસ્પદ સિદ્ધાન્ત રજૂ કર્યો. જે પુસ્તકમાં તે પ્રકાશિત થયો તેનું શીર્ષક પણ ઉખાણા જેવું હતું, ‘ધ એન્ડ ઑફ હિસ્ટરી ઍન્ડ ધ લાસ્ટ મેન’ – ઇતિહાસનો અંત અને અંતિમ માનવ. તેમની દલીલ હતી કે લાંબા સંઘર્ષના અંતે માનવજાતે ઉદારમતવાદી લોકતાંત્રિક રાજ્ય પ્રાપ્ત કર્યું છે અને હવે આપણને કદાચ (રાજ્યતંત્રની વધુ સારી પદ્ધતિ માટે) આગળ જવાની જરૂર નહિ જણાય. હવેથી રાજ્યશાસ્ત્ર આખી સંસ્કૃતિનું પરિવર્તન કરી નાખી શકે એવા વિચારોના બદલે પરચૂરણ વિચારોનો જ વહેવાર કરશે. આ તો તેમની દલીલનો એક ભાગ હતો. બીજા ભાગમાં તેમનું માનવું હતું કે આપણી જૂની, ભુલાઈ ગયેલી જંગલી ટેવો ક્યારેક ફરી સપાટી પર આવી શકે છે અને લાંબા સંઘર્ષના અંતે જે લાભ પ્રાપ્ત થયા છે, તેના પર પાણી ફેરવી દઈ શકે છે. સૌની સમાનતા અને મુક્તિ માટે જે મહાન ચળવળો થઈ તે ભુલાઈ પણ જઈ શકે છે. દલીલના બે ભાગ ભેગા થઈને એકવીસમી સદીમાં ઇતિહાસની એકતરફી આગેકૂચનો બિલકુલ અંત પણ લાવી શકે છે. ફુકુયામાને સંસ્કૃતિઓના ભાવિ અંગે ભારે જિજ્ઞાસા હતી, અને તેનાથી પ્રેરાઈને તેમણે એવી આશંકા વ્યક્ત કરી કે એક સમયની બર્બરતાથી લિબરલ ડેમોક્રસી સુધીની પ્રગતિ પછી માનવજાત ક્યાંક ક્ષુલ્લક વિચારોમાં, અસ્થિરતામાં, પુરાણા ભયમાં અને જુનવાણી સંકુચિત માનસિકતાની જાણે કે આધુનિક આવૃત્તિમાં ગર્ત ન થઈ જાય.
જે વર્ષે ફુકુયામાનો નિબંધ અમેરિકામાં પ્રકાશિત થયો તે વર્ષે, ૧૯૯૨માં, હું ભારતીય સાહિત્ય- વિવેચનના ઇતિહાસના એક પુસ્તક પર કામ કરી રહ્યો હતો. મારો હેતુ ભારતે બે સહસ્રાબ્દીના લાંબા ગાળામાં પોતાના ઈતિહાસ અંગેની સમજ કેવી રીતે કેળવી છે તેનું સંશોધન કરવાનો હતો. લખાણ માટે એક દશક ઉપરાંત મેં જે સામગ્રી એકઠી કરી હતી, તેના આધારે એટલું સ્પષ્ટ થઈ રહ્યું હતું કે, સંસ્કૃત, તામિલ, પાલિ, પ્રાકૃત અને આધુનિક ભારતીય ભાષાઓ સહિતની ભારતની તમામ બૌદ્ધિક પરંપરાઓમાં જે ઇતિહાસનું મુખ્ય કામ છે, તે એટલે કે ભૂતકાળનો બોધ કેળવવાની રીતિ માત્ર એક જ નહોતી. પરિપ્રેક્ષ્યોની વિવિધતા એટલી ભારે હતી કે મારે મારા પુસ્તકને શીર્ષક આપવું પડ્યું, ‘ઑફ મેની હીરોઝ’. તેના માટે મેં આંશિક પ્રેરણા દસમી શતાબ્દીના સિદ્ધાન્તકાર રાજશેખરમાંથી લીધી હતી. રાજશેખર રામાયણને એક નાયક ધરાવતી રચના ગણાવે છે, પણ મહાભારતને એકાધિક નાયકોવાળી કૃતિ કહે છે. આ તફાવતનો પ્રયોગ રાજશેખર ઇતિહાસની વિવિધ વિભાવનાઓનું વર્ગીકરણ કરવા માટે કરે છે. વળી, ભારતીય સંસ્કૃતિનો કોઈ એક જ આરંભ હોય એવું નક્કી કરવું અત્યંત મુશ્કેલ છે.
ભારતીય સંસ્કૃતિના ચોક્કસ આરંભ વિશે મને ભારે મંથન થયું હતું, એ હું ભૂલી ગયો હતો. એ ત્યારે યાદ આવ્યું જ્યારે કેન્દ્રસરકારના સંસ્કૃતિ મંત્રાલયે ભારતનાં છેલ્લાં ૧૨,૦૦૦ વર્ષના ઇતિહાસનું પુનરાલેખન કરવા એક સમિતિ રચ્યાની જાહેરાત કરી. તેની જાહેરાત ઑક્ટોબરમાં થઈ, પણ સમિતિ તો આ સરકારની પહેલી મુદતમાં ત્યારના સંસ્કૃતિપ્રધાન મહેશ શર્માએ નીમી હતી. તેની વિગતો સંસદમાં એક પ્રશ્નના ઉત્તરમાં રજૂ કરવામાં આવી. તરત જ જનતાદળ સેક્યુલરના એચ. ડી.કુમારસ્વામી અને ડી.એમ.કે.નાં કણિમોળી કરુણાનિધિએ તીખા પ્રત્યાઘાત આપ્યા. પણ પ્રત્યાઘાતમાં વિરોધ માત્ર એ મુદ્દે હતો કે સમિતિમાં માત્ર પુરુષો જ છે, એક પણ સ્ત્રી નથી અને મોટા ભાગના સભ્યો ઉત્તર ભારતના છે. આવી કોઈ સમિતિ રચવા પાછળ જે મૂળભૂત પૂર્વધારણા છે, તેના પર ધ્યાન અપાયું નથી.
એ પૂર્વધારણાના મૂળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક ખાસ દૃષ્ટિ છે. સંઘ ભારતને એવું રાષ્ટ્ર માને છે, જ્યાં સનાતન વૈદિક પરંપરા અંગે કોઈ મતમતાન્તરને અવકાશ જ નથી. જ્ઞાનની દરેક પરંપરામાં કંઈક ઊંડું ડહાપણ અને થોડાઘણા તર્કસંગત સિદ્ધાન્તો અવશ્ય હોય છે, પણ કોઈ જ્ઞાન-પરંપરા એવી નથી કે જેનાં તમામેતમામ પાસાં સર્વકાલીન સ્વીકૃતિ ધરાવતાં હોય. કોઈ પણ જ્ઞાન – પરંપરાના વિચારો અને સિદ્ધાન્તોને ભાવિ પેઢીઓ નવા પુરાવા અને નવી જાણકારીના આધારે બદલે, તેમાં પુરવણી ઉમેરે કે પછી સાવ ત્યજી પણ દે તે આવશ્યક છે, પરંતુ સનાતન જ્ઞાનના સમર્થકોને ભારતનાં પ્રાચીન શાસ્ત્રો સામે કોઈ આધુનિક જ્ઞાનના આધારે પ્રશ્નો ઉઠાવે તે પસંદ નથી. તેઓ એ હકીકત સ્વીકારવા તૈયાર નથી કે મધ્યકાળમાં અનેક નોંધપાત્ર સંતકવિઓ અને વિચારકો વેદશાસ્ત્રોથી આગળ વધી ચૂક્યા હતા અને ‘દિવ્યજ્ઞાન’ને ધરતી પર લાવી માનવ – અનુભવના પરિઘમાં (જેને અંગ્રેજી ભાષામાં ‘સેક્યુલર’ કહે છે તેવા) મૂકી રહ્યા હતા. કોઈ આવા પ્રશ્ન ઉઠાવે તો તેઓ તેની પાછળ ‘સંસ્થાનવાદી’ અને ‘પાશ્ચાત્ય’ ઇરાદા જુએ છે, જે પ્રાચીન જ્ઞાનને જાણે કે અપવિત્ર કરી નાંખવા માગે છે.
વેદોની રચના સંસ્કૃત ભાષાના આરંભકાળમાં થયેલી, માટે તેઓ સંસ્કૃત ભાષાને એટલી પ્રાચીન ગણાવવા માગે છે, જેટલી આપણી સામેના ભાષાકીય પુરાવા પ્રમાણે તે છે નહિ. તેમની ગેરસમજનાં મૂળ ઓગણીસમી સદીના યુરોપીય ભાષાવિજ્ઞાનના એક વિશિષ્ટ પ્રકરણમાં છે. શરૂઆતમાં સર વિલિયમ જૉન્સે વિશ્વભરની પ્રાચીન ભાષાઓમાંની કેટલીકની વચ્ચેની સામ્યતાઓના આધારે એક પૂર્વધારણા રજૂ કરી હતી કે એ બધી ભાષાઓનો ઉદ્ભવ એક જ ભાષામાંથી થયો હોવો જોઈએ, જેને તેમણે ‘પ્રોટો ઇન્ડો-આર્યન’ નામ આપેલું. જૉન્સે ‘ઇન્ડો-આર્યન’ એવી સંજ્ઞાનો પ્રયોગ એ કારણસર જ કર્યો હતો કે તેઓ ઈસવી સનની પહેલી સહસ્રાબ્દીની સંસ્કૃત ભાષાથી તેને અલગ દર્શાવવા માગતા હતા. ઓગણીસમી સદીના યુરોપીય ભાષાશાસ્ત્રમાં ‘આર્ય’ શબ્દ એક પ્રજાવિશેષ માટે વાપરવામાં આવતો, પણ તે પ્રજા કાલ્પનિક હતી, વાસ્તવિક નહિ. યોગાનુયોગે એ જ સંજ્ઞા, ‘આર્ય’, સંસ્કૃતમાં સદ્ગૃહસ્થ કે સમ્માનનીય વ્યક્તિ માટે વપરાય છે, અને એ ‘આર્ય’નું તરણું ઝાલી લીધું એવા અમુક ભારતીય વિદ્વાનોએ, જેમને હિંદુરાષ્ટ્રનો વિચાર આગળ ધપાવવો હતો. આટલા શાબ્દિક આધાર પર તેમણે અતિ પ્રાચીનકાળમાં સંસ્કૃતભાષી ભારતીયો ઉત્તર દિશામાં આગળ વધીને યુરોપ પહોંચી ગયા હોવાની કલ્પનાના કિલ્લા બાંધી લીધા.
પ્રાગૈતિહાસિક કાળમાં પ્રજાઓનાં સ્થળાંતર, પુરાતત્ત્વશાસ્ત્ર, પ્રાચીન ધાતુવિદ્યા, સાહિત્યિક લખાણો, તુલનાત્મક માઇથોલૉજી અને લોકકથાઓ – એ તમામના અસંખ્ય વૈજ્ઞાનિક અભ્યાસોમાંથી એક પણ અભ્યાસ એ ધારણાને સમર્થન આપતો નથી. પણ, સંસ્કૃત ભાષા પ્રાગૈતિહાસિક કાળમાં – ખાસ કરીને ઈસવી સનથી ત્રણ સહસ્રાબ્દીપૂર્વે – ઘણી ફેલાયેલી હતી, એવું સ્થાપિત કરવા માટે પહેલાં તો સિંધુખીણની સંસ્કૃતિને લગતા પ્રશ્નનો તાગ મેળવવો પડે. આ સંસ્કૃતિનો એક ઉત્તરકાલીન તબક્કો ૨૬૦૦-૧૯૦૦ ઈ.સ.પૂર્વે હતો, એમ નક્કર પુરાવા કહે છે. વિશ્વાસપાત્ર વિદ્વાનોના મતે વેદોની રચનાનો કાળ ૧૪૦૦-૯૦૦ ઈ.સ.પૂર્વેનો હતો. વિશદ અભ્યાસો અને પુરાવાનાં કાળજીભર્યાં વિશ્લેષણોના આધારે આ જે કાળનિર્ણય થયા છે, તેને હિન્દુત્વવાદીઓ સ્વીકારવા તૈયાર નથી. મહાભારતમાં કાલ્પનિક અને પૌરાણિક રાજાઓની લાંબી વંશપરંપરા આપી છે, તેને હિન્દુરાષ્ટવાદીઓ ઐતિહાસિક હકીકત તરીકે સ્વીકારે છે. માટે તેઓ છેલ્લા દસ કે વધુ સહસ્રાબ્દીના કાલ્પનિક ‘ઇતિહાસ’ને ભારતનો વાસ્તવિક ઇતિહાસ હોવાનું ઠેરવે છે. વર્તમાન સરકારની જે વિચારધારા છે અને ભારત એક રાષ્ટ્ર તરીકે શું છે તે વિશેના તેના જે ખ્યાલ છે, તે જોતાં એવું માનવું ભૂલભરેલું નહિ રહે કે સંસ્કૃતિ મંત્રાલયે સ્થાપેલી સમિતિએ શું તારણો કાઢવાનાં છે તે નક્કી જ છે.
હજારો વર્ષોથી આપણે ભારતીયોએ એ વિચારને જીવનનો ભાગ બનાવ્યો છે કે આપણા વિશાળ ઉપખંડમાં રહેતી પ્રજાઓમાં ભારે વૈવિધ્ય છે અને તેમનું ઉદ્ગમસ્થાન એક જ ન હોઈ શકે. ભારતીય પ્રજાઓનો ઇતિહાસ આપણે તો જ સમજી શકીએ જો આપણે ઉદ્ગમો એકાધિક હોઈ શકે એમ સ્વીકારીએ. આશા રાખીએ કે ઇતિહાસ અને સંસ્કૃતિ બાબતની નવી સરકારી સમિતિ સંઘના મનોવિહારોને ઐતિહાસિક સત્ય તરીકેનો ઠપ્પો મારવા માટે નથી રચાઈ, પણ જો એમ જ બને, તો ભારતના ઇતિહાસનું ભાવિ, આપણા કમનસીબે, ફુકુયામાના વિચારને સાબિત કરીને રહેશે.
અનુવાદક : આશિષ મહેતા
(દેવી સાહિત્ય-વિવેચનના અભ્યાસી અને સાંસ્કૃતિક કર્મશીલ છે.)
સૌજન્યઃ ધ ટેલિગ્રાફ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2021; પૃ. 16-17