ગયા અઠવાડિયે કહ્યું એમ હિંદુ-મુસ્લિમ એકતાના ચાર શિલ્પીઓમાંથી અકબર અને ગાંધીજી નિંદા અને આક્રમણના શિકાર બન્યા છે, કારણ કે તેઓ એકતાના તત્ત્વને રાજકીય/શાસકીય ધરાતલ પર લઈ આવ્યા. આમીર ખુસરો અને કબીર ઉપદેશના ભાગરૂપે એકતાની મહાન વાત કરતા હતા એટલે જેને બદલાવું નહોતું તેમને કોઈ ફરક નહોતો પડતો.
પેગંબર અને અકબર વચ્ચે નવસો વરસનું અંતર છે. એ દરમ્યાન ઈસ્લામમાં ઘણા ફિરકા પડી ગયા હતા. શિયા-સુન્ની તો ખરા જ પણ એ સિવાયના બીજા અનેક પેટા સંપ્રદાય. અકબરે વિચાર્યું કે ઈસ્લામ જો માનવજાત માટેનો એક માત્ર સાચો ધર્મ હોય તો તેને સમજવામાં આટલા બધા મતમતાંતર કેમ અને એવા તે કેવા મતમતાંતર કે તે દુરાગ્રહ તરફ દોરી જાય, તે ત્યાં સુધી કે નવા સંપ્રદાય અને પેટા સંપ્રદાય રચાય! અકબરે ફતેહપુર સીકરીમાં ઈસ્લામના તમામ ફિરકાઓના વિદ્વાનોને બોલાવ્યા અને તેમને તેમની શંકાનું નિરાકરણ કરવાનું કહ્યું. શું ઉમ્મા (જગતભરના મુસલમાન) એક મત સ્વીકારીને એક ભાષામાં બોલી ન શકે? શું અલ્લાહને આ જ અભિપ્રેત નહોતું?
અકબરને આ પ્રયાસનો જવાબ હજુ વધુ નિરાશામાં મળ્યો. વિદ્વાનો અને મૌલવીઓ એકબીજા પર એવી રીતે તૂટી પડ્યા કે જાણે તેઓ મુસલમાન નહીં, પણ વિધર્મી હોય. જો ઇસ્લામના નામે આટલું ઝૂનુન અને આટલી અસહિષ્ણુતા હોય તો કિરતારનો પડઘો પાડનારા બીજા અવાજો પણ સાંભળવા જોઈએ. અકબરે ફતેહપુર સીકરીના એ જ ઈબાદતખાનામાં બીજા ધર્મોના લોકોને પણ તેમના ધર્મની વાત કરવા બોલાવ્યા. આટલું જ નહીં, પણ મૌલવીઓ વચ્ચેના આપસના ઝઘડાઓથી કંટાળીને તેમણે ઈ. સ. ૧૫૭૯માં પોતાને સામ્રાજ્યનો ઈમામે આદિલ (ન્યાયી ઈમામ) જાહેર કર્યો અને ખુત્બો પઢ્યો. કેટલાક રાજ્યાશ્રિત ઉલેમાઓએ તેમના હસ્તાક્ષર સાથે નિવેદન બહાર પાડીને અકબરના ઈમામ એ આદિલના પદને માન્યતા પણ આપી. આનો અર્થ એ થયો કે ધાર્મિક બાબતોમાં અકબરનો ફેંસલો આખરી મનાયો અને એ રીતે અકબર શાસકીય સાથે ધાર્મિક વડો પણ બન્યો.
અકબરે ઈમામે આદિલ તરીકે ઈસ્લામમાં અને મુસલમાનોમાં સારાસારવિવેકના આધારે ન્યાય કરવાનો અખત્યાર પોતાના હાથમાં લીધો એ હવે કટ્ટરપંથી ઉલેમાઓથી સહ્યું જાય તેમ નહોતું એમાં પાછું ઘા ઉપર મીઠું ભભરાવે એમ અકબરે બીજા ધર્મોનો સાર પણ સમજવાનું શરૂ કર્યું. આપણા ઈતિહાસલેખનની અનેક સમસ્યાઓ છે એમાં મુખ્ય સમસ્યા એ છે કે જેમણે માનવસમાજને એક ડગલું ઉપર ઉઠાવવાનું કે માનવમસ્તિષ્કમાં વિવેક જગાવવાનું કામ કર્યું છે તેમની નોધ તો લેવામાં આવે છે, પણ એ ગુણગાનના સ્વરૂપમાં; તેમણે શું વેઠયું હતું એની બહુ ઓછી વાત કરવામાં આવે છે. આ રીતે ભારતની વાત કરીએ તો અકબર અને ગાંધીજીની તેમના ઉદાત્ત વિચારોની અને કાર્યોની સરાહના કરવામાં આવે છે, પરંતુ તેમને જે વેઠવું પડ્યું છે એની જાણકારી આપવામાં આવતી નથી. આનાથી ઊલટું માફી માગીને જેલમાંથી બહાર આવનારાઓની યાતનાઓને અતિરંજીત કરવામાં આવે છે. આ સિવાય એક મહાપુરુષ તરીકે તેમને બે પગે ઊભા રાખવા મુશ્કેલ છે.
અકબરે પોતાને ધાર્મિક વડો જાહેર કર્યો, અકબરે વિધર્મીઓને સાંભળવા કાન આપ્યો, અકબરે વિધર્મીઓના કેટલાક આદર્શોનું અનુસરણ કરવાનું શરૂ કર્યું એ કટ્ટરપંથી મુસલમાનોથી ખમાતું નહોતું. જો ઇસ્લામ જગતનો એક માત્ર સાચો ધર્મ હોય તો એમાં આટલા બધાં મતમતાંતર અને વિભાજનો કેમ એવા અકબરના પ્રશ્નનો અલબત્ત તેમની પાસે કોઈ જવાબ નહોતો. પણ તેમના વિરોધની પરવા કર્યા વિના અકબરે જાહેરાત કરી કે તેનો પુત્ર અને દેશની પ્રત્યેક વ્યક્તિ તેને ગમે તે કોઈ પણ ધર્મનું પાલન કરી શકે છે. તેણે જરથોસ્તીઓની માફક ઘરમાં અગ્નિ રાખીને પૂજા કરવાનું અને સૂર્યને પ્રણામ કરવાનું શરૂ કર્યું. અકબરે ગોહત્યા કરવા પર પ્રતિબંધ મુક્યો. અકબરે કહ્યું હતું કે એક શાસકવાળા સામ્રાજ્યમાં ધાર્મિક માન્યતાઓના અને આગ્રહોના આધારે પ્રજા વહેંચાયેલી હોય એ બરાબર નથી.
આને માટે બે ચીજની જરૂર હતી. એક ધાર્મિક એકતા અર્થાત્ ધર્મો વચ્ચે સમન્વય અને બીજી ધાર્મિક સહિષ્ણુતા. આ બન્ને ચીજ એક જ સમયે એક સાથે જરૂરી હતી અને અકબરે દરેકને ધાર્મિક સ્વતંત્રતા આપીને તેમ જ દીને ઇલાહીનો પ્રયોગ કરી જોયો હતો. દીને ઇલાહી ધાર્મિક સમન્વયનો પ્રયોગ હતો જેમાં તેણે આગળ કહ્યું એમ ફતેહપુર સીકરીના ઈબાદતખાનામાં દરેક ધર્મના વિદ્વાનોને બોલાવ્યા હતા. દરેક ધર્મનાં શ્રેષ્ઠ તત્ત્વોની તેણે નોંધ લીધી હતી. અકબરે ફૈઝી પાસે રામાયણ, મહાભારત, યોગવશિષ્ઠ અને વેદાંતનાં પુસ્તકોનાં અનુવાદ કરાવ્યા હતા. આ બાજુ હિંદુઓને ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતોની જાણ થાય એ માટે તેણે ‘અલ્લોપનિષદ્’ લખાવડાવ્યું હતું.
ધાર્મિક સહિષ્ણુતા માટે ૧૫૯૩માં અકબરે જાહેરાત કરી હતી કે જો કોઈ હિંદુને જબરદસ્તી મુસલમાન બનાવવામાં આવ્યો હોય તો તે પાછો પોતાના ધર્મમાં જઈ શકે છે. કોઈ પણ માણસનું ધર્મપરિવર્તન કરવામાં ન આવે. પ્રત્યેક ધર્માનુયાયીને તેમનું મંદિર કે પૂજાસ્થળ બાંધવાની સ્વતંત્રતા હશે. જબરદસ્તી કોઈ વિધવાને સતી બનાવવામાં ન આવે. જીજીયાવેરો તો તેણે ૧૫૩૩માં જ રદ કર્યો હતો.
કેટલાક સમય પહેલાં એક પુસ્તક મારા હાથમાં આવ્યું હતું જેનું શીર્ષક હતું ‘ફ્રીડમ ફાઈટર્સ ઑફ પાકિસ્તાન.’ શીર્ષક જોઈને હસવું આવ્યું. સ્વતંત્રતા કોનાથી? પાકિસ્તાનના સ્થાપકોએ અંગ્રેજો પાસેથી સ્વતંત્રતા માગી નહોતી ત્યાં લડવાની વાત તો બહુ દૂરની હતી. તો કોનાથી સ્વતંત્રતા? પાકિસ્તાનના આઝાદીના લડવૈયાઓને કોનાથી આઝાદ થવું હતું? દેખીતી રીતે હિંદુઓથી. પાકિસ્તાનના સ્થાપકોને વ્યક્તિની સ્વતંત્રતામાં રસ નહોતો, મુસલમાનની સ્વતંત્રતામાં રસ હતો એટલે તો તેમની આઝાદી માટેની કહેવાતી લડત હિંદુઓ સામેની હતી. હિન્દુત્વવાદીઓને પણ વ્યક્તિની આઝાદીમાં રસ નહોતો, હિંદુની આઝાદીમાં રસ હતો, એટલે તેમણે પણ આઝાદીની લડતમાં ભાગ નહોતો લીધો. તેમને મુસલમાનોથી આઝાદ થવું છે.
એ પુસ્તકમાં શેખ અહમદ સરહિન્દીની આઝાદી માટેની લડતનું બયાન છે. શેખ અહમદ સરહિન્દીનો જન્મ ઈ. સ. ૧૫૬૩માં થયો હતો અને મૃત્યુ અકબરના મૃત્યુ પછી ૧૯ વરસે ૧૬૨૪માં થયું હતું. સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે શેખ અહમદ સરહિન્દીએ આઝાદીની લડત કોની સામે લડી હતી. હિંદુઓ સામે તો ખરી જ, પણ તેનાથી વધુ પોતાના સહધર્મી અકબર સામે. સત્તા તો અકબર પાસે હતી. અકબરે પોતાને ઈમામે આદિલ જાહેર કર્યો હતો. અકબરે દરેક ધર્માનુયાયીને સ્વતંત્રતા આપી હતી અને અકબરે ધર્મ સમન્વયનો દીને ઈલાહેનો પ્રયોગ કર્યો હતો. આમ શેખ અહમદ સરહિન્દીની લડાઈ હમમઝહબી અકબર સામેની હતી. આમ ભારતીય મુસલમાનની આઝાદીની લડત સરહિન્દીએ શરૂ કરી હતી અને મહમદઅલી ઝીણાએ પાકિસ્તાન મેળવી તે સાથે તે પૂરી થઈ હતી. આઝાદી હિંદુઓથી, આઝાદી વિધર્મીઓથી અને અકબર જેવા નાપાક મુસલમાન પાસેથી. એ પુસ્તકમાં ઔરંગઝેબને પણ આઝાદીના લડવૈયો ગણવામાં આવ્યો છે.
શેખ અહમદ સરહિન્દી કટ્ટરપંથી મુસલમાન હતા. ભારતમાં ઇસ્લામના આગમન પછી મુસલમાનોએ જે જે હિંદુપ્રભાવ અને સંસ્કાર ઝીલ્યા હતા તેનાથી તે ઈસ્લામને મુક્ત કરવા માગતા હતા. આજે તબલીગી જમાત જે કરે છે અને કહે છે તે સરહિન્દીએ કહ્યું હતું. આમાં હિંદુઓ માટે તેને વિશેષ દ્વેષ હતો, કારણ કે હિંદુ ધર્મ અને હિંદુઓ ચ્યુઇંગમ જેવા છે. મનના મોકળા પણ આચાર પકડી રાખે એટલે લડવું મુશ્કેલ બને. હિંદુઓ આખા જગતમાં ઢોંગી પ્રજા તરીકે ઓળખાય છે એનું કારણ આ છે. મનના મોકળા પણ આચાર પકડી રાખે એટલે સ્વાભાવિકપણે ઢોંગ કરવો પડે.
માત્ર શેખ અહમદ સરહિન્દી નહીં, પણ બીજા અનેક મૌલાનાઓએ અકબર સામે મોરચો માંડ્યો હતો. અકબરના ભાઈ મહમ્મદ હકીમને ચડાવીને તેમણે બિહાર અને બંગાળમાં વિદ્રોહ કરાવ્યો હતો, જે અકબરે નિષ્ફળ બનાવ્યો હતો. જૌનપુરના કાજીએ દેશમાં ઠેકઠેકાણે અકબરના શાસન સામે બળવો કરવાનો ફતવો કાઢ્યો હતો. અકબર એટલો શક્તિશાળી અને વિચક્ષણ હતો કે વિરોધીઓના પ્રત્યેક પ્રયાસ નિષ્ફળ ગયા હતા.
બન્યું એવું કે અકબરના અવસાન પછી સરહિન્દી ૧૯ વર્ષ જીવ્યો હતો. એ પછી તેમની બે પેઢી (પુત્ર અને પૌત્ર) એવી જ કટ્ટરપંથી અને આક્રમક હતી. આ બાજુ જહાંગીર અને શાહજહાંમાં અકબર જેટલી વિચારનિષ્ઠા, ઉદારતા અને દૂરંદેશી નહોતાં. તેમણે કટ્ટરપંથી મૌલવીઓનો વિરોધ ખાળવા હળવે હાથે કામ લેવાનું શરૂ કર્યું. અને એ પછી તો ઔરંગઝેબ આવ્યો અને અકબરનાં સપનાં રોળાઈ ગયાં. કટ્ટરપંથી મુસલમાનો આને ઇસ્લામના સદ્ભાગ્ય કહેશે. ઉદારમતવાદી ભારતીયો આને ભારતના દુર્ભાગ્ય કહેશે અને કટ્ટરપંથી હિન્દુત્વવાદીઓ?
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 24 નવેમ્બર 2019