વૈશ્વિકરણનો મોહ, પરાધીનતા, આર્થિક રીતે સતત મજબૂત થવાની દોટ આ બધું જ એક બીજા સાથે સંકળાયેલું છે. યમનના હૂથીઓ, ઇરાનની મદદથી ઇઝરાયની સામે લડી રહ્યા છે. ઇઝરાયલ અને ગાઝાના સંઘર્ષમાં પશ્ચિમી દેશો પોતાનો સ્વાર્થ જુએ છે, તો ભારતે મુત્સદ્દી વલણ અપનાવવું પડ્યું છે. અર્થતંત્રને બળકટ બનાવવાનું હોય ત્યારે આવા સંજોગો તેની તાકાત ઘટાડનારા સાબિત થાય છે.
રાતા સમુદ્રમાં હૂથી વિદ્રોહીઓએ કાળો કેર વર્તાવ્યો છે. હૂથીઓના હુમલા સાથે આપણે શું લેવાદેવા એવું વિચારીને છાપું વાળીને બાજુમાં મુકતા પહેલાં એટલું ચોક્કસ જાણી લેવું કે હૂથીઓની આડોડાઇને કારણે તમારા મોબાઇલ ફોનનું ઇન્ટરનેટ ગુલ થઇ જવાની પૂરી શક્યતા છે. રાતા સમુદ્રમાંથી પસાર થઇ રહેલા અનેક જહાજો પર ઇરાનના બળે ખડા થયેલા હૂથી વિદ્રોહીઓએ હુમલા કર્યા છે. પહેલાં કાર્ગો શિપમેન્ટનો વારો હતો તો એની પછી એનર્જી શિપમેન્ટ પછી હૂથી વિદ્રોહીઓએ ઇન્ટરનેટ કેબલ્સને ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું છે. તેમણે અન્ડરવૉટર આવેલા ત્રણ ટેલિકોમ્યુનિકેશનનાં કેબલ્સને યમનના હૂથીઓએ ભારે નુકસાન કર્યું હોવાનો દાવો કરાઇ રહ્યો છે. રાતા સમુદ્રમાં આખા વિશ્વનાં 17 ટકા ઇન્ટરનેટ ટ્રાફિકને કન્ટ્રોલ કરનારા નેટવર્કનું તંત્ર છે તો સાથે ફાઇબલ પાઇપ્સ પણ છે. જે ત્રણ કેબલને નુકસાન પહોંચાડાયું છે તે એશિયા, આફ્રિકા અને યુરોપ – 1, યુરોપ ઇન્ડિયા ગેટવે, સીકોમ અને ટીજીએને-ગલ્ફ સુધી ઇન્ટરનેટ પહોંચાડનારા કેબલ્સ છે. ટાટા કોમ્યુનિકેશન સીકોમ-ટી.જી.એન.-ગલ્ફ લાઇનનો ભાગ છે. આ નુકસાની પછી ટાટામાંથી ન્યુઝ મીડિયાને અધિકૃત વિધાન પહોંચાડાયું હતું કે આ નુકસાનીને ઠીક કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની શરૂઆત કરી દેવાઇ હતી. જો કે હૂથી વિદ્રોહીઓ તો પોતે આવું કંઇપણ કર્યું હોવાની વાતને સદંતર નકારે છે, પણ તેઓના વિદ્રોહ આવા કોઇ મોટા નુકસાન તરફ દોરી જશે એવો ડર લાંબા સમયથી સેવાઇ રહ્યો હતો અને આની ચેતવણી ત્યારે આવી જ્યારે હૂથીઓની એક ટેલિગ્રામ ચેનલ પર રાતા સમુદ્રમાંથી પસાર થઇ રહેલા કેબલ્સનો નકશો જાહેર કરવામાં આવ્યો. આ નકશાની તસવીર સાથે એક સંદેશો પણ હતો જેમાં લખ્યુ હતું કે વિશ્વના બધા જ પ્રદેશોને જોડતા ઇન્ટરનેશનલ કેબલ્સનો આ નકશો છે. એમ લાગે છે કે યમન એક બહુ વ્યૂહાત્કમ સ્થળે આવેલો દેશ છે કારણ કે આખેઆખા ખંડને જોડતી ઇન્ટરનેટ લાઇન્સ તેની ખૂબ જ નજીકથી પસાર થાય છે. હૂથીઓના હુમલાઓને કારણે આખી દુનિયામાં ખાદ્ય પદાર્થો, ઊર્જા વગેરેની કિંમતોમાં ધરખમ વધારો થયો છે, આવામાં જો ઇન્ટરનેટને લગતી કટોકટી આવી પડશે તો ધાર્યા કરતાં વધારે નુકસાન થવાની અને અંધાધૂંધી ફેલાવાની શક્યતા છે. હૂથીઓએ ફેલાવેલો દરિયાઇ વિદ્રોહ બહુ ઘેરો અને બહોળો પ્રભાવ પાડનારો સાબિત થઇ રહ્યો છે ત્યારે ભારતના સંદર્ભે આ વિદ્રોહને નાણવાનો પ્રયાસ કરીએ.
ઇઝરાયલે ગાઝા પર કરેલા બોમ્બિંગનો વિરોધ દર્શાવવા હૂથી વિદ્રોહીઓએ રાતા સમુદ્રમાંથી પસાર થનારા કોમર્શિયલ જહાજો પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે. યુ.એસ.એ., બ્રિટન અને ઇ.યુ.એ. હૂથીઓને રોકવા માટે લશ્કરી પગલાં લીધા હોવા છતાં પણ તેમના હુમલાઓ અટક્યા નથી. શિપિંગ સેવાઓ પોતાના જહાજોને રાતા સમુદ્રના પાણીમાં ઊતરતાં કચવાઇ રહ્યા છે અને આ કારણે આજ-કાલથી નહીં પણ છેક નવેમ્બરથી ઊર્જા, ખોરાકની ચીજોથી માંડીને અનેક વસ્તુઓને મામલે વૈશ્વિક સ્તરે ચાલનારું આયાત-નિકાસનું તંત્ર ખોરવાઇ ગયું છે. તાજેતરમાં તો બ્રિટિશ કાર્ગો શીપ ‘રૂબીમાર’ પર બે બેલિસ્ટિક મિસાઇલ છોડવામાં આવી અને આ નુકસાનીને પગલે એ જહાજને સમુદ્રમાં જ તરછોડી દેવાયું. રાતા સમુદ્રના માર્ગે ક્રુડ ઓઇલના મોટા ભાગના કાર્ગોઝ પસાર થતા જેમાં દેખીતો, એટલે કે લગભગ સાંઇઠ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. ક્રુડ ઓઇલના વહનમાં આવું થાય એટલે સીધી જે તે રાષ્ટ્રના અર્થતંત્ર પર અસર પડે. હૂથી વિદ્રોહીઓના હુમલા કરવાની પ્રકૃતિ અને તેના પ્રમાણમાં કોઇ ફેરફાર થયા નથી. આ તરફ માલભાડાંના ભાવ લગભગ 30થી 50 ટકા વધી ગયા છે. ઇન્સ્યોરન્સની કિંમતો વધી છે અને ચીનથી જે જહાજ – કન્ટેનર પાછું ફરવાનું હતું તેમાં વિલંબ થવાને કારણે આખે આખી સપ્લાય ચેન પર અસર પડી છે. જહાજોને રાતો સમુદ્ર પસાર કરવામાં જેટલો સમય લાગતો તેમાં હવે આ વિદ્રોહીઓના ભયને કારણે લગભગ 2 અઠવાડિયા જેટલો વિલંબ થઇ રહ્યો છે. આટલી બધી નુકસાની વેઠવા સિવાય બીજા કોઇ રસ્તા દેખાતા નથી કારણ કે જે રીતે હૂથી વિદ્રોહીઓનો મામલો બિચક્યો છે તેને થાળે પાડવા માટે જે જિઓપૉલિટિક્સ – ભૌગોલિક રાજકારણમાંથી ઉકલે શોધવો પડે એમ છે તે ધાર્યા કરતાં કંઇક ગણું પેચીદું છે. હૂથી વિદ્રોહીઓની માગ છે કે ગાઝામાં થઇ રહેલા હુમલા અટકવા જોઇએ અને આ પ્રશ્નનો ઉકેલ લાવવો જોઇએ. જે રીતે એકથી વધુ રાષ્ટ્રોએ હૂથીઓને કાબૂમાં કરવા માટે લશ્કરી પગલાં લીધાં તે જ સાબિત કરે છે કે આ સમસ્યા ઉકેલાતાં વાર લાગશે.
ભારતના સંદર્ભે હૂથી વિદ્રોહીઓના હુમલાને જોઇએ તો ભારતને ભારે નુકસાની વેઠવી પડે એવી શક્યતા છે. સૌથી પહેલાં તો યુરોપમાં ભારત જે પણ નિકાસ કરે છે, જે એક્સપોર્ટ કરે છે તેના 80 ટકા રાતા સમુદ્રના માર્ગે યુરોપ પહોંચે છે. સતત ખોરવાયેલા તંત્રને પગલે 2023-24ના નાણાંકીય વર્ષમાં મર્ચેન્ડાઇઝની નિકાસને ખૂબ નુકસાન થયું છે. ફ્રાઇટના ભાવમાં ભારતની કંપનીઓએ માત્ર 45 દિવસમાં જ 150 ટકાનો ઉછાળો વેઠવો પડ્યો છે જેને કારણે સ્પર્ધામાં ટકી રહેવું પણ તેમને માટે મુશ્કેલ બની ગયું છે. ટેક્સટાઇલ, ચામડું, મસાલા, એન્જિનિયરિંગ ગુ્ડ્ઝ, જેમ્સ અને જ્વેલરી, ફાર્મા, અને, ખાતરને લગતી આયાત-નિકાસ પર હૂથી વિદ્રોહીઓના હુમલાને કારણે સૌથી વધુ અસર પડી છે. વળી રાતા સમુદ્રના માર્ગ પર આયાત-નિકાસ માટે નાના અને મધ્યમ કદના નિકાસકારો અને ઓછું મૂલ્ય ધરાવતા ઉત્પાદનોની મોટા જથ્થામાં નિકાસ કરનારાઓને સૌથી મોટો ફટકો પડ્યો છે. આયાત કરનારાઓ ઊંચી કિંમતો આપવાની ના પાડે છે અને ઝડપથી માલ પહોંચે એ માટે દબાણ કરી રહ્યા છે. સુએઝ કેનાલ જે વૈશ્વિક વ્યાપારના 12 ટકા હિસ્સાનું વહન કરે છે તે અત્યારે આ અરાજકતાને કારણે બંધ છે જેના કારણે નિકાસકારો આફ્રિકાના માર્ગે ઉત્પાદનો પહોંચાડે તો છે પણ તેમાં તેમનો ખર્ચો બમણો થઇ જાય છે. કૂલ નિકાસના 34 ટકા પર આ હુમલાને કારણે અસર થઇ છે કારણ કે કેટલાક ભારતીય નિકાસકારો તો ખરીદારના માલને નુકસાન ન થાય તેની બીકે શિપમેન્ટ રોકીને બેઠા છે. પુરવઠામાં થતો વિલંબ વ્યાપારની એકથી વધુ પ્રક્રિયાઓની ગતિ પર અસર કરે છે. ક્રિસીલના એક રિપોર્ટ અનુસાર કેપિટલ ગૂડ્ઝ અને ખાતરની આયાત-નિકાસ પર આ વિદ્રોહી હુમલાઓની સૌથી વધુ અસર પડી છે. ખાતરને મામલે ભારત ઇઝરાયલ અને જોર્ડન પર મોટે પાયે આધાર રાખે છે પણ હમણાં એ લેવડ-દેવડની વ્યવસ્થા હચમચી ગઇ છે.
સરકાર પ્રયત્ન કરી રહી છે કે આ પરિસ્થિતિનો કોઇ હલ નીકળે કારણ કે એશિયાને યુરોપ અને ઉત્તર અમેરિકા સાથે જોડતો ટૂંકામાં ટૂંકો રસ્તો રાતા સમુદ્ર વાટે જ છે. નિકાસકારોને નાણાં ધીરાય તેની તકેદારી પણ સરકાર રાખી રહી છે, જેથી તેમનું કામ સદંતર બંધ ન થઇ જાય. સરકાર એવો માર્ગ શોધી રહી છે જેને કારણે ઝડપથી ઉકેલ આવે અને ઓછામાં ઓછું આર્થિક નુકસાન થાય. જો રાતા સમુદ્રમાં હૂથીઓ આ અવરોધી હુમલા ચાલુ રાખશે તો લાંબા ગાળાના શિપિંગ કોન્ટ્રાક્ટ પર ઊંડી અસર પડશે અને તેને રિન્યુ કરવું સહેલું નહીં હોય.
વૈશ્વિકરણ સમયની માગ છે એ સાચું પણ જેટલું વધારે વૈશ્વિકરણ થાય એટલા પ્રશ્નો પણ વધે. ગાંધીજીનો નિયમ હતો કે તમે જ્યાં હો તેના 100 મીટરમાં જે મળતું હોય એ જ વાપરવું, આધુનિક સમયમાં એ બાબતને ગણતરીમાં લેવાનું શક્ય નથી, પણ રોજ બ રોજની જિંદગીમાં ન વર્તાતી મુશ્કેલીઓ રાષ્ટ્રીય સ્તરે અણધાર્યું અને મોટું નુકસાન કરી બેસે ત્યારે વૈશ્વિકરણના ગેરફાયદાનું અવલોકન કરી, ક્યાં મર્યાદા બાંધી તે વિચારવું પડે એ ચોક્કસ.
બાય ધી વેઃ
વૈશ્વિકરણનો મોહ, પરાધીનતા, આર્થિક રીતે સતત મજબૂત થવાની દોટ આ બધું જ એક બીજા સાથે સંકળાયેલું છે. યમનના હૂથીઓ, ઇરાનની મદદથી ઇઝરાયલની સામે લડી રહ્યા છે. ઇઝરાયલ અને ગાઝાના સંઘર્ષમાં પશ્ચિમી દેશો પોતાનો સ્વાર્થ જુએ છે તો ભારતે મુત્સદ્દી વલણ અપનાવવું પડ્યું છે. અર્થતંત્રને બળકટ બનાવવાનું હોય ત્યારે આવા સંજોગો તેની તાકાત ઘટાડનારા સાબિત થાય છે. હૂથીઓ અળવીતરા છે અને તેમને બરાબર ખબર છે કે ઇન્ટરનેટ કેબલ્સને નુકસાની પહોંચાડીને તેઓ એક કરતાં વધારે દેશોને લાચાર કરી શકે છે. પોતાના ઇરાદા બર લાવવા માટે વિદ્રોહીઓ મનફાવે એમ કરતાં જરા ય વિચારવાનાં નથી, પણ તેમને કાબૂમાં લાવવા માટે બહુરાષ્ટ્રીય મસલતની અનિવાર્યતા છે. અલગ અલગ આર્થિક તાકાત ધરાવનારા રાષ્ટ્રો પોતાના સમીકરણોને ગણતરીમાં લાવીને કોઇ એક નિષ્કર્ષ પર આવે એ જેટલું સાંભળવા-વાંચવામાં સરળ લાગે છે એટલું છે નહીં. વળી ભારતીય નૌકા દળ પણ ભારતીય જહાજોની સુરક્ષા માટે તૈનાત છે જો કે અન્ય રાષ્ટ્રોના નૌકાદળો સાથે ગઠબંધન કરવાની પહેલ હજી સુધી નથી કરાઇ.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 માર્ચ 2024