“માનનીય અદાલતનો ચુકાદો હું વાંચી ગયો છું. લગભગ ત્રણ દાયકાથી, થોડીઘણી વ્યક્તિગત અને વ્યાવસાયિક કિંમત ચૂકવીને પણ, જે અદાલતના ગૌરવનું હું — દરબારી કે ચીઅરલીડર તરીકે નહીં, પણ એક નમ્ર ચોકીદાર તરીકે — સમર્થન કરતો આવ્યો છું, તે અદાલતના અપમાન બદલ મને દોષી ઠેરવવામાં આવ્યો છે તેનાથી હું દુઃખી છું. ખેદ મને સજા મળે તેનો નથી, પણ મને સમજવામાં મોટા પાયે ગોથું ખવાયું તેનો છે.
“અદાલતે મને ન્યાયનો વહીવટ સંભાળતા તંત્ર પર બદઇરાદાથી, અસભ્ય રીતે, ગણતરીપૂર્વક હુમલો કરવા બદલ દોષી ઠરાવ્યો છે તે મારા માટે આઘાતની વાત છે. આવો હુમલો કરવા પાછળના મારા ઇરાદા વિશે કોઈ પુરાવા આપ્યા વિના અદાલત આ તારણ પર પહોંચી છે તેનાથી હું હતાશ થયો છું. મારે કબૂલવું જોઈએ કે જે ફરિયાદના આધારે અદાલતે મને સ્વયંભૂ (સુઓ-મોટો) નોટિસ આપી, તે ફરિયાદની એક નકલ સુધ્ધાં આપવાનું અદાલતને જરૂરી નથી લાગ્યું કે મારા જવાબી સોગંદનામામાં અને મારા વકીલના નિવેદનમાં ભારપૂર્વક જણાવવામાં આવેલી હકીકતો વિશે કશો પ્રતિભાવ આપવાપણું લાગ્યું નથી, તેનાથી પણ હું નિરાશ થયો છું.
“અદાલતને મારા ટ્વીટ ભારતીય લોકતંત્રના મહત્ત્વના સ્તંભના પાયાને અસ્થિર કરનારી અસર જગાવનારા લાગ્યા, તે હું માની શકતો નથી. હું ફરીથી એટલું જ કહેવા માગું છું કે એ બંને ટ્વીટ મારી પ્રામાણિક માન્યતાઓ દર્શાવે છે, જેની અભિવ્યક્તિ કોઈ પણ લોકતંત્રમાં માન્ય હોવી જોઈએ. હકીકતમાં, ન્યાયતંત્રની તંદુરસ્ત કામગીરી માટે લોકતપાસ ઇચ્છનીય છે. હું માનું છું કે બંધારણીય વ્યવસ્થાના રક્ષણ માટે લોકતંત્રમાં કોઈ પણ સંસ્થાની મુક્ત ટીકા જરૂરી છે. આપણે ઇતિહાસના એવા સમયમાં જીવી રહ્યાં છીએ જ્યારે રાબેતા મુજબનાં કર્તવ્યબંધનો કરતાં ઉચ્ચ સિદ્ધાંતો વધુ મહત્ત્વના છે, જ્યારે વ્યક્તિગત અને વ્યાવસાયિક વિવેકવચનો કરતાં બંધારણીય વ્યવસ્થાને બચાવવાનું વધુ જરૂરી છે, જ્યારે વર્તમાનના વિચાર ભવિષ્ય પ્રત્યેની આપણી ફરજ અદા કરવાના માર્ગમાં ન આવવા જોઈએ. (ત્યારે) અવાજ ઉઠાવવામાં નિષ્ફળ નીવડવું એ તો કર્તવ્યની ઉપેક્ષા કહેવાય, ખાસ કરીને મારા જેવા અદાલતના અફસર માટે.
“મારા ટ્વીટ્સ બીજું કંઈ નહીં, પણ જેને હું આપણા ગણતંત્રના ઇતિહાસના આ તબક્કે મારી સર્વોચ્ચ ફરજ ગણું છું, તે અદા કરવાનો નાનકડો પ્રયાસ છે. મેં એ ટ્વીટ અસાવધપણે કર્યા ન હતા. જે મારી પ્રામાણિક માન્યતા હતી અને છે તે વ્યક્ત કરવા બદલ માફી માગવી એ મારા પક્ષે નિષ્ઠાવિહોણું અને અપમાનજનક ગણાય. માટે, મારે તો રાષ્ટ્રપિતા ગાંધીજીએ તેમના મુકદ્દમા વખતે જે કહેલું, તે જ નમ્રતાપૂર્વક જણાવવાનું થાય છે : હું દયાની યાચના કરતો નથી. હું ઉદારતાને પણ અપીલ કરતો નથી. અદાલતે જેને ગુનો ગણ્યો છે અને મારે મન જે નાગરિક તરીકેની સર્વોચ્ચ ફરજ છે, તેના માટે કાયદેસર રીતે જે મને જે સજા થાય તે પ્રસન્નતાપૂર્વક સ્વીકારું છું.”
નાગરિક અરક્ષિત નથી એવું તો કહી શકાતું નથી. ખુદ સુપ્રીમ કોર્ટના ચાર જજ સાહેબોએ પત્રકાર પરિષદ વાટે લોક સમક્ષ જવું મુનાસીબ માન્યું હતું એ ખાસ જૂની વાત નથી. દેશના આલા કાનૂની અફસરોએ પણ કહ્યું છે કે નવ નવ ન્યાયમૂર્તિઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ પબ્લિક ડુમેઈનમાં ભડભડતા હોય ત્યારે ભૂષણના ટિ્વટમાં કન્ટેમ્પ્ટ વાંચવાને બદલે વિચારવાની જરૂર છે.
સર્વોચ્ચ અદાલતે હમણાં તો સજાના પ્રમાણની જાહેરાત મોકૂફ રાખી છે. પ્રશાંત ભૂષણ કરતાં વધુ તો પોતે પુનર્વિચાર કરવાપણું છે એવું કાંક આ મુદતમાં એને પક્ષે ઉભરી રહેશે?
ગમે તેમ પણ, આ ક્ષણે તો અઘોષિત કટોકટી વચ્ચે ભૂષણ આકુળવ્યાકુળ નાગરિક જીવનમાં અંતરાત્મા શા બની રહ્યા છે…
ઑગસ્ટ ૨૮, ૨૦૨૦
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2020; પૃ. 01