દેશમાં અસહિષ્ણુતા વધી ગઈ છે અને એનું કારણ મોદી સરકારનો ‘કોમવાદી એજન્ડા’ છે એવી લાગણી પાછળ એક ઐતિહાસિક માન્યતા પણ સક્રિય છે કે હિન્દુઓ દુનિયાના સૌથી સહિષ્ણુ અને શાંતિપ્રિય લોકો છે. સ્વામી વિવેકાનંદે શિકાગો, અમેરિકામાં એમના પ્રવચન(1893)માં કહ્યું હતું, ‘મને એ ધર્મના અનુયાયી હોવાનો ગર્વ છે જેણે પૂરા વિશ્વને સહનશીલતા અને સાર્વભોમ સ્વીકૃતિનો સંદેશ આપ્યો છે.
’ પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણને એવું લખ્યું હતું કે, ‘એક સાચો હિન્દુ કોઈપણ જગ્યાએ ચૂપચાપ કોઈપણ પ્રકારની પ્રાર્થનામાં ઇશ્વરની પૂજા કરી શકે છે. આ સહનશીલ દૃષ્ટિકોણના કારણે હિન્દુ ધર્મ તમામ ધાર્મિક આકાંક્ષાઓને જોડવાનું કામ કરે છે.’ ઇસાઈ અને ઇસ્લામ ધર્મ હિંસક છે અને હિન્દુ ધર્મ ઉદાર છે એવી માન્યતાએ તથ્ય-સત્યનું સ્વરૂપ લઈ લીધું છે. વિવેકાનંદે પણ કહેલું, ‘ઇસ્લામ અસહિષ્ણુ છે.’
જગતના તમામ ધર્મો શાંતિ અને ભાઈચારાની વાત કરે છે છતાં એક હકીકત એ પણ છે કે ધર્મોએ જ સૌથી વધુ યુદ્ધો અને સંઘર્ષ પેદા કર્યા છે. ઇસાઈ અને ઇસ્લામ ધર્મની સરખામણીમાં હિન્દુ ધર્મમાં અસહિષ્ણુતા અને હિંસા ઓછી રહી છે. એના બે કારણો છે. એક, હિન્દુ ધર્મ શરૂઆતથી પ્રકૃતિ (ઝાડ-પાન, નદી, પહાડ, પશુ-પક્ષી) સાથે જોડાયેલો રહ્યો છે. એથી એનામાં આંતરિક માનવીય સંઘર્ષ ઓછો રહ્યો છે. બીજું, એમાં આસ્તિક અને નાસ્તિક, બહુદેવવાદ અને ઇશ્વરવાદ, અધ્યાત્મ અને ભૌતિક ચિંતનધારા સમાંતર ચાલતી રહી છે.
અેનો મતલબ એવો નથી કે હિન્દુ ધર્મ હિંસાથી સંપૂર્ણપણે મુક્ત રહ્યો છે. અન્ય ધર્મોની જેમ જ, ધર્મની રક્ષા માટે હિન્દુઓએ પણ હિંસાનો સહારો લીધો છે. વેદ, રામાયણ, મહાભારત અને અન્ય પુરાણો સાક્ષી છે કે હિનદુ ધર્મમાં પ્રાચીન કાળથી લગાતાર હિંસાત્મક સંઘર્ષ થતા રહ્યા છે. શૈવ, વૈષ્ણવ અને શક્ત જેવા સાંપ્રદાયો પ્રત્યે અસહિષ્ણુતા પણ જોવા મળી છે. રામાનુજ અને રામાનંદી સંપ્રદાયે એક બીજાને નીચા પાડવાની કોઈ જ કસર છોડી ન હતી. વૈદિક અને બૌદ્ધ-જૈન વચ્ચેના સંઘર્ષથી ઇતિહાસ ભરેલો છે.
મર્યાદા પુરુષોત્તમ રામે શમ્બુકની હત્યા એટલા માટે કરી હતી કારણ કે દલિત વર્ગનો હોવા છતાં એણે તપસ્યા કરીને જીવતે જીવ સ્વર્ગ જવાની ઇચ્છા રાખી હતી. આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદે કબીરને ‘નીચ’ કહ્યા હતા અને ગુરુ નાનકનું પણ અપમાન કર્યું હતું. ગાંધીજીએ એટલા માટે જ સ્વામી દયાનંદનું ‘સત્યાર્થ પ્રકાશ’ વાંચ્યા પછી આર્ય સમાજીઓને અસહિષ્ણુ અને ‘સત્યાર્થ પ્રકાશ’ને નિરાશાજનક પુસ્તક ગણાવ્યું હતું.
હિન્દુઓની આખી જાતિ વ્યવસ્થા ઊંચ-નીચ અને આભડછેટની અસહિષ્ણુતામાંથી આવી છે. ભીમરાવ આંબેડકર અને દલિતોએ જે વિદ્રોહ કર્યો તે હિન્દુઓની અસહિષ્ણુતાના કારણે જ. હિન્દુઓનો એ સ્વભાવ રહ્યો છે કે પોતાનાથી નીચા હોય તેના પ્રત્યે એ અસહિષ્ણુ રહ્યો છે અને એનાથી તાકાતવર હોય તેની સામે ઝૂકી ગયા છે. ચાહે આર્યો હોય, મુઘલો હોય કે અંગ્રેજો હોય, ભારતીયો હંમેશાં વિજેતાઓની પડખે રહ્યા છે. ભારતીયો ‘ગુલામ માનસિકતા’માં જીવે છે એવો એક આરોપ સતત થાય છે. ભાજપ અને સંઘ પરિવાર સહિત હિન્દુઓનો એક વર્ગ એવું માને છે કે હિન્દુઓની સહિષ્ણુતા એક પ્રકારની નપુંસકતા છે.
સહિષ્ણુતાનો આ અભીગમ ખાસ્સો નવો અને નજીકના ભૂતકાળનો જ છે. ભારતની અદ્દભુત સંત અને યોગ પરંપરાના કારણે જ હિન્દુ ધર્મનાં મૂલ્યો સહી પરિપેક્ષમાં પાછલાં અમુક વર્ષોથી જ સમજમાં અને વ્યવહારમાં આવ્યાં છે. એ પહેલાં તો અસહિષ્ણુતાનો આખો ઇતિહાસ ભરેલો પડેલો છે. વેદોમાં એક મોટો હિસ્સો યુદ્ધોની વાત કરે છે. ઋગ્વેદમાં આર્યો અને અનાર્યો વચ્ચે જબરદસ્ત યુદ્ધો થયાં છે. ઋગ્વેદમાં જ જે લોકો યજ્ઞ નથી કરતા તેમનો વિનાશ કરવાની વાત છે: અકર્મા દસ્યુરભિનો … દંભય. અર્થાત આપણી ચારે બાજુ યજ્ઞ ન કરનારા રાક્ષસો છે જેમની પ્રકૃતિ આસુરી છે. શત્રુનાશક ઇન્દ્ર આ દસ્યુ જાતિનો વિનાશ કરો.
ભાગવત પુરાણ મુજબ પરશુરામે ‘ધૃષ્ટ હૃદયી’ ક્ષત્રિયોનો પૃથ્વી પરથી 21 વાર સંહાર કર્યો હતો એ કહેતા હતા કે રાજાનો ધર્મ વૈદિક જીવનનો પ્રચાર કરવાનો છે નહીં કે પ્રજા પાસે આજ્ઞાનું પાલન કરાવવાનો. કહેવાય છે કે ભારતમાં વૈદિક સંસ્કૃિત પરશુરામને આભારી છે.
ભારતમાં ઇતિહાસને લઈને ખાસી ઉપેક્ષા રહી છે એટલી ઘણી બધી બાબતો યોગ્ય પરિપેક્ષમાં બહાર નથી આવી. બુદ્ધ પહેલાં આપણે ત્યાં ઇતિહાસ લેખન નહીંવત રહ્યું છે. બુદ્ધ પછી પણ ઘણા સમય સુધી દરબારી, ચારણ અને ભાટ લોકોએ જ ઇતિહાસની વાતો કરી હતી. એટલે હિન્દુઓની હિંસા અને અસહિષ્ણુતાની ઘણી વાતો દબાઈ ગઈ છે. આવી જ એક માન્યતા હિન્દુઓના શાકાહારી હોવાની છે. સ્વામી વિવેકાનંદ અને બીજા આધુનિક ગુરુઓના પરદેશાગમનથી પશ્ચિમમાં હિન્દુઓના શાકાહારીને લઈને ઘણા ખયાલો લોકપ્રિય થયા છે.
ઇતિહાસમાં એવા કોઈ પ્રમાણ નથી કે હિન્દુઓ માત્ર શાકાહાર જ કરતા હતા. હિન્દુઓનો એક વર્ગ શાકાહારને પસંદ કરતો હતો. એટલું જ, બાકી હિન્દુ પુરાણો માંસાહારના સંદર્ભોથી ભરેલાં પડ્યાં છે. આજે પણ દેશનો મોટો હિન્દુ વર્ગ માંસાહાર કરે છે. સહિષ્ણુતાને લઈને પણ આવી જ મિથ પ્રવર્તે છે. એનું કારણ એ છે કે ઇસાઈ અને ઇસ્લામથી વિપરીત હિન્દુ ધર્મના પ્રાચીન યુદ્ધોથી આમ જનતા પ્રભાવિત થઈ ન હતી. એ યુદ્ધો સૈનિકો અને સેનાપતિઓ સુધી મર્યાદિત રહ્યા હતા અને સામાન્ય જીવન યથાવત ચાલતું રહ્યું હતું. આના કારણે હિન્દુ ધર્મના ઘણા સંઘર્ષો અને જબરદસ્તીઓ બહાર નથી આવી.
એક એવો પણ સમય હતો જ્યારે ખેડૂતો ખેતી કરતા હતા અને યુદ્ધરત સેના બાજુમાંથી પસાર થઇ જતી હતી. પૌરાણિક કથાઓમાં મહાભારત જેવા યુદ્ધો એક વિશેષ સ્થાન પર થતા હતા જે આમ જનજીવનથી દૂર હતું. હિંસાથી કોઈ સમાજ મુક્ત રહ્યો નથી. છતાં ભારતનું નામ શાંતિ અને અહિંસાથી જોડાયેલું રહ્યું છે એનું કારણ એ છે કે ભારતનું સામાન્ય જનમાનસ હિંસાથી દૂર રહ્યું છે. બાકી, અશોકના કલિંગ નરસંહારથી લઈને મધ્યકાળની બર્બરતા અને આઝાદીના સમય સુધી અને એ પછી થયેલી તમામ ઘટનાઓમાં એટલી જ અસહિષ્ણુતા નજર આવે છે જેટલી સંસારના બીજા કોઈ સમાજમાં હોય છે.
હિન્દુઓની અસહિષ્ણુતાની મિથ પાછળ બીજું એક કારણ એ છે કે વિશ્વના અન્ય ધર્મોથી વિપરીત હિન્દુવાદની વ્યાખ્યા અને વ્યવસ્થા દરેક વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહમાં જુદી જુદી છે. હિન્દુવાદ કોઈ એક સિંગલ ધાર્મિક વ્યવસ્થા કરતાં જીવનશૈલી વધુ છે. ઇસાઈઓના બાઇબલ કે મુસલમાનોના કુરાનની જેમ હિન્દુઓના કોઈ એક ગ્રંથ કે શાસ્ત્ર પણ નથી. રામાયણ, મહાભારત અને રામચરિતમાનસ ઉપરાંત હિન્દુઓની માર્ગદર્શિકા તરીકે વેદ, ઉપનિષદ અને ભાગવત ગીતા પણ છે એકથી વધુ વ્યાખ્યાઓ અને આખ્યાનો છે.
એ જ રીતે હિન્દુ હોવું અને નાસ્તિક હોવું એ પરસ્પર વિરોધી નથી. હકીકતમાં હિન્દુ હોવાને ઇશ્વર સાથે કોઈ સંબંધ નથી એક માત્ર બૌદ્ધ સંપ્રદાય જ છે જે આ સંદર્ભમાં ખાસો સમાન છે. હિન્દુ ધર્મના આ લચીલાપન, સર્વગ્રાહી અભિગમના કારણે જ એ ટકી રહ્યો છે બાકી એની પર બહારથી બીજા ધર્મોના આક્રમણ કરતાં અંદરથી વધુ હુમલા થયા છે.
હિન્દુ ધર્મની આ અંદરની અસહિષ્ણુતા એની બીજા, બહારના ધર્મો પ્રત્યેની સહિષ્ણુતાના કારણે ઢંકાયેલી રહી છે. પશ્ચિમના ઇતિહાસકારો અને અભ્યાસીઓને પણ હિન્દુ ધર્મના બીજા ધર્મ પ્રત્યેના વ્યવહારમાં રસ પડ્યો છે અને એના આધારે જ સહિષ્ણુતા અને સર્વ ધર્મ સમભાવનું ચિત્ર બનાવવામાં આવ્યું છે. એની અંદરની સ્થિતિ, વિરોધીતા અને સંઘર્ષ મોટા ભાગે ધ્યાન બહાર જ રહ્યા છે. યહૂદીઓમાં જૈન્ટીલ (મૂર્તિપૂજક, ગૈર-યહૂદી), ઇસાઈઓમાં પગાન અને મુસ્લીમોમાં કાફીર છે તેમ હિન્દુઓમાં મ્લેચ્છ છે. ફર્ક એટલો છે કે યહૂદીઓએ, ઇસાઈઓએ અને મુસ્લીમોએ પર ધર્મના ‘નાસ્તિકો’ને નિશાન બનાવ્યા છે જ્યારે હિન્દુ ધર્મએ અંદરના ‘વિધર્મી’ઓને સતાવ્યા છે.
હિન્દુઓએ મુસ્લીમો સાથે દલિતો જેવો વ્યવહાર નથી કર્યો એનું કારણ સહિષ્ણુતા નહીં પણ મુસ્લીમ શાસકો, રાજાઓ અને યૌદ્ધાઓનો ડર છે એવું જ અંગ્રેજોનું હતું. દેશી ભારતીયો ગોરા લોકોને મ્લેચ્છ કહેતા હતા પણ આ ‘મ્લેચ્છ’ જ્યારે શાસક બનીને આવ્યા તો એ ‘ગોરા સાહેબ’ બની ગયા. એનાથી વિપરીત, અપર ક્લાસ હિન્દુઓએ મુસ્લીમ અને અંગ્રેજ શાસકો સાથે સંબંધો સુધારીને પોતાની સ્વાર્થ પૂર્તિ કરી લીધી હતી.
આજે મુસ્લીમ આક્રમકો કે અંગ્રેજ શાસકો આપણી વચ્ચે રહ્યો નથી અને છતાં ય સૌથી વધુ અસહિષ્ણુતાની ફરિયાદો અત્યારે જ થઈ રહી છે. અત્યારે હિન્દુઓનું રાજ છે, સો ટુ સ્પીક. એટલે , સહિષ્ણુતાની વ્યાખ્યા એ નથી કે તમે પર-ધર્મી સાથે કેવો વ્યવહાર કરો છો. સહિષ્ણુતા તમે એક શાસક તરીકે તમારી જનતા સાથે કેવું વર્તન કરો છો તેના પરથી નક્કી થાય છે. આમાં આપણો રેકોર્ડ બહુ સારો નથી.
e.mail : rj.goswami007@gmail.com
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 07 ડિસેમ્બર 2015