ચૂંટણી પંચના આદેશ પછી ઉત્તર પ્રદેશમાં કૈરાના અને મહારાષ્ટ્રમાં ભંડારા-ગોંદિયા લોકસભા મતદારક્ષેત્રના ૧૨૨ ચૂંટણી કેન્દ્રોમાં ફરી મતદાન કરવું પડ્યું છે. ૨૮મી મેના રોજ બે લોકસભાની અને ૧૦ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન શરુ થતાની સાથે જ ઈ.વી.એમ. વિષે ફરિયાદો આવવા લાગી હતી. મુખ્ય ફરિયાદ ઈ.વી.એમ. સાથે જોડવામાં આવતા વી.વી.પી.એ.ટી. (વોટર વેરીફાઈડ પેપર ઓડીટ ટ્રેઈલ) વિશેની હતી. આના દ્વારા મતદાતાને ખાતરી થાય છે કે તેણે આપેલો મત તે જે ઉમેદવારને મત આપવા માગતો હતો તેને ગયો છે કે નહીં. આવી વ્યવસ્થા પહેલા નહોતી, પરંતુ ઉત્તર પ્રદેશના ગળે ઊતરે નહીં એવા પરિણામો પછી તેમ જ મધ્ય પ્રદેશમાંની પેટા ચૂંટણીમાં ઈ.વી.એમ.ના થયેલા ફિયાસ્કો પછી વી.વી.પી.એ.ટી. મશીન જોડવું પડ્યું હતું.
સોમવારે કૈરાના, ગોન્દિયા, ભંડારા અને અન્ય સ્થળોએ ફરિયાદો આવવા લાગી, ત્યારે પહેલાં તો ચૂંટણી પંચે એના તરફ ધ્યાન આપ્યું નહોતું, પરંતુ ફરિયાદો એટલી બધી હતી કે પંચ આંખ આડા કાન કરી શકે એમ નહોતું. જેમ કે ભંડારા-ગોન્દિયામાં જેટલા ઈ.વી.એમ.-વી.વી.પી.એ.ટી. મશીન મતદાન માટે લાવવામાં આવ્યાં હતાં એમાંથી થોડાંઘણાં નહીં, ૪૪૩ એટલે કે કુલ મશીનના ૨૧ ટકા મશીનોમાં ખામી નજરે પડી હતી અને તેને બદલવા પડ્યાં હતાં. કૈરાનામાં ખામીવાળાં મશીનોનું પ્રમાણ ૧૯ ટકા હતું અને ખામીવાળાં મશીનોની સંખ્યા ૩૩૫ હતી. આનો અર્થ એ થયો કે આ બન્ને મતદાર ક્ષેત્રમાં દર પાંચમું મશીન ખામીવાળું હતું. હવે ચૂંટણી પંચ આંખ આડા કાન કરી શકે એમ નહોતું. જો કરે તો એમાં પંચને અને બી.જે.પી.ને એમ બન્નેને આબરૂનું મોટું નુકસાન થાય.
૧૨૨ ચૂંટણી કેન્દ્રોમાં ફેર મતદાન કરવું પડે એ કેટલી શરમની વાત છે. આમ છતાં ચૂંટણી પંચે વિધાન સભા મતદાર ક્ષેત્રોમાં મશીનો સામે આવેલી ફરિયાદો સામે તો આંખ આડા કાન કર્યા જ છે. જો એને ધ્યાનમાં લેવામાં આવી હોત તો લગભગ ૨૫૦ કરતાં વધુ મતદાર કેન્દ્રોમાં ફેર મતદાન કરવું પડત. ચૂંટણી પંચે ખુલાસો કર્યો હતો કે ખૂબ ગરમીના કારણે મશીનોમાં ખામી સર્જાઈ હતી. આ વાત કેટલી સાચી છે, એ આપણે જાણતા નથી. ઈ.વી.એમ. મશીન ન બગડે અને તેની સાથે જોડવામાં આવેલું વી.વી.પી.ટી. મશીન જ બગડી જાય એવું બને? એકને ગરમી લાગે અને બીજાને ગરમીની કોઈ અસર ન થાય એવું કેમ બને?
વળી, જે મશીન સર્વત્ર બગડ્યાં હતાં એ વી.વી.પી.ટી. મતદાતાની ચૂંટણી પ્રક્રિયામાં શ્રદ્ધેયતા જળવાઈ રહે એ માટે ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સોમવારે રાજકીય પક્ષો કરતાં મતદાતાઓ જ બળાપો કાઢતા હતા, એ પણ ચૂંટણી પંચની સાન ઠેકાણે લાવવા માટેનું કારણ હશે. વિરોધ પક્ષોની તો ઉપેક્ષા પણ કરી શકાય, મતદાતાની ઉપેક્ષા ન થઈ શકે. ચૂંટણી એક માત્ર તો અવસર છે જ્યારે મતદાતા રાજા હોય છે. આ સિવાય હજુ એક હકીકત તમે નોંધી? ઈ.વી.એમ.-વી.વી.પી.ટી.એ.માંની ખામી સામે ઊહાપોહ કરવામાં બી.જે.પી.ના નેતાઓ ક્યાં ય નજરે નહોતા પડતા. આ પણ એક રહસ્ય હતું અને એ લોકોના ધ્યાનમાં આવ્યું હતું.
આ સ્થિતિમાં ઈ.વી.એમ. વિષે ગંભીર સવાલો ઊભા થાય છે. શું ભારતનું લોકતંત્ર ઈ.વી.એમ.ના ભરોસે સુરક્ષિત છે? આ કોલમમાં મેં આ પહેલાં પણ લખ્યું છે કે ઈ.વી.એમ.નો અંત લાવવામાં આવે અને જૂની બેલેટ પેપરવાળી વ્યવસ્થા ફરી દાખલ કરવામાં આવે. જગતના મોટાભાગના વિકસિત લોકતાંત્રિક દેશો ઈ.વી.એમ.નો ઉપયોગ કરતા નથી. એ દેશો ટેકનોલોજીમાં આપણા કરતાં ક્યાં ય આગળ હોવા છતાં તે પોતાના લોકતંત્રને ટેકનોલોજીના ભરોસે છોડવા માગતા નથી. જ્યારે ચૂંટણી પ્રક્રિયા સિવાયની બાહ્ય ટેકનોલોજી લોકતંત્રને અભડાવતી હોય ત્યારે તો વધારે સાવધાન રહેવું જોઈએ. યુરોપીય સંઘમાં રહેવું કે નીકળી જવું એ વિષે બ્રિટનમાં લેવાયેલા લોકમત વખતે અને અમેરિકામાં થયેલી ચૂંટણી વખતે સોશ્યલ મીડિયા દ્વારા લોકમતને પ્રભાવિત કરવામાં આવ્યો હતો. એને માટે ડેટા વેચનાર કેમ્બ્રિજ એનેલિટીકાના ભૂતપૂર્વ સંચાલક તો કહે છે કે ૨૦૧૪ની ભારતની લોકસભાની ચૂંટણીને પણ પ્રભાવિત કરવામાં આવી હતી.
મતદાતાને ગેરમાર્ગે દોરતા બાહ્ય પરિબળો ઉપર કાબૂ મેળવવો મુશ્કેલ હોય ત્યારે કમસેકમ ચૂંટણી પ્રક્રિયા તો શંકાતીત હોવી જ જોઈએ. ઈ.વી.એમ.નો અંત લાવવા માટેના ત્રણ મુખ્ય કારણ છે. એક તો એ કે દુનિયાનાં કોઈ પણ મશીનમાં ખામી સર્જાઈ શકે છે. બીજું એ કે દુનિયાનાં કોઈ પણ મશીન સાથે ચેડાં કરી શકાય છે. ખામીરહિત અને ચેડાંમુક્ત મશીન હજુ સુધી બન્યાં નથી. ત્રીજું એ કે કોઈ પણ માણસને ડરાવી શકાય છે અથવા લાલચ આપીને ખરીદી શકાય છે. આજે નજરે તો પડતો પ્રામાણિક માણસ કાલે ડર કે લાલચને કારણે અપ્રામાણિક વર્તન નહીં જ કરે એની કોઈ જ ખાતરી નથી.
માણસ કઈ રીતે ભરોસાપાત્ર હોતો નથી એનું ઉદાહરણ તાજું છે. રાજકીય પક્ષોને માહિતીના અધિકાર હેઠળ મુકવા જોઈએ કે નહીં એવી એક જાહેરહિતની અરજી પર સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી ચાલી રહી છે. રાજકીય પક્ષો ઈચ્છતા નથી કે તેઓ આર.ટી.આઈ. હેઠળ આવે. બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા આર.ટી.આઈ. હેઠળ આવી શકે જે એક સંસ્થા છે, પરંતુ રાજકીય પક્ષો ન આવવા જોઈએ પછી ભલે એ લોકસંગઠનો હોય. ૨૦૧૩માં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન(સી.આઈ.સી.)એ આદેશ બહાર પાડ્યો છે કે રાજકીય પક્ષો પર આર.ટી.આઈ.નો કાયદો લાગુ થવો જોઈએ. રાજકીય પક્ષો સી.આઈ.સી.ના આદેશનો વિરોધ કરે છે, પરંતુ પોતે સર્વોચ્ચ અદાલતમાં પક્ષકાર તરીકે જતા નથી. આની વચ્ચે અચાનક ચૂંટણી પંચે સર્વોચ્ચ અદાલતને કહ્યું કે રાજકીય પક્ષોને આર.ટી.આઈ. લાગુ ન પડી શકે. મંગળવારે પંચે સુર બદલ્યો હતો એ જુદી વાત છે, પણ મૂળ સવાલ બીજો છે. માણસ હંમેશાં શ્રદ્ધેય ન હોઈ શકે, વ્યવસ્થા ક્ષતિરહિત હોવી જોઈએ અને માટે ઈ.વી.એમ.ને તિલાંજલિ આપવી જોઈએ.
સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કતાર, “ગુજરાતી મિડ-ડે”, 31 મે 2018