હૈયાને દરબાર
નથી રે પીધાં અણજાણી,
ઝેર તો પીધાં જાણી જાણી
ચાર રે દિવસનું આ રે ચાંદરણું
પરપોટા જેવું આ પળનું પાથરણું
તો ય ઉપર સૂતાં સોડ તાણી …. ઝેર તો પીધાં
નીચે તડકો ને ઉપર ફૂલો છે પાથર્યાં
તો ય માથે મેલી પગની પાની … ઝેર તો પીધાં
ભાંગેલા પુલના ભારાને સથવારે
ચરણો લઈ જાય ત્યાં ચાલ્યા જવું રે,
ચાલ્યા જવું રે દૂર મારે,
આંખ્યું ના જાણે મનની ક્હાણી … ઝેર તો પીધાં
મેરામણ વલોવી અમે અમરત કાઢ્યાં
અમરત દઈ કોઈને અમે ઝેર મોઢે માંડ્યાં
કોને શું મળ્યું તે વાત છાની … ઝેર તો પીધાં
કોઈના રે હિતને હૈયે વસાવી
નોંધારા મનને લીધું રે મનાવી
દૂર રે ફગાવી જિંદગાની … ઝેર તો પીધાં
ગીત-સંગીત : અવિનાશ વ્યાસ • ગાયક : મન્ના ડે
——————————–
હું અને તું એવી વ્યક્તિઓ છીએ જેમણે જીવન અને મૃત્યુ બન્નેની વંદના કરી છે. આપણે ફટકિયાં નહીં, સાચાં, નવલખાં મોતી છીએ પરંતુ, પ્રારબ્ધ સામે વલખાં માર્યા સિવાય છૂટકો નથી
૧૯૭૨ની આ ફિલ્મ. સારસ્વત મનુભાઈ પંચોળી ‘દર્શક’ની ’ઝેર તો પીધાં જાણી જાણી’ નામની અત્યંત લોકપ્રિય નવલકથા પરથી આ ફિલ્મનું સર્જન થયું હતું એટલે લોકોમાં ઘણી ઉત્સુકતા હતી. એ વખતે સારી ગુજરાતી ફિલ્મો અમને અમારી સ્કૂલમાંથી જોવા લઈ જતાં. ખાસ તો નવલકથા પર આધારિત ફિલ્મો જોવાનું મહત્ત્વ ખૂબ વધારે, જેથી વિદ્યાર્થીઓ ભણતી વખતે ફિલ્મ સાથે અનુસંધાન સાધી શકે. ૧૯૭૨ની સાલમાં તો આ ફિલ્મ નહોતી જોઈ, અમારી ઉંમર પણ નહોતી એ સમજવા માટેની. પણ ’૭૬માં ફરીથી પ્રદર્શિત થઈ ત્યારે હાઈસ્કૂલમાંથી અમને જોવા લઈ ગયા હતા. એ ય આમ તો કાચી વય જ કહેવાય, છતાં, ફિલ્મનાં અમુક દ્રશ્યો અને ગીતો યાદ રહી ગયાં હતાં. સૌથી પહેલાં તો સત્યકામ અને રોહિણી, ફિલ્મના મુખ્ય બે પાત્રો યાદગાર અને બીજું, ફિલ્મનાં બે સરસ ગીતો. લીલી ઓઢણી ઓઢી ધરતી ઝૂમે રૂમઝૂમ, ફૂલડાં ખિલ્યાં ફૂલડાં ઉપર ભમરા બોલે ગુનગુન, તોયે મારો સાયબો ન્યારો બેઠો સાવ સૂન મૂન. આ ગીત આજે પણ એકદમ તાજું છે મન પર. આશા ભોસલેના કંઠમાં અવિનાશ વ્યાસનું આ બહુ જ સરસ, રમતિયાળ સ્વરાંકન. ઉપેન્દ્ર ત્રિવેદી, અનુપમા અને અરવિંદ ત્રિવેદી લીડ રોલમાં. આ ફિલ્મમાં રોહિણીનું ગરવી ગોરીનું પાત્ર અને પ્રભાવશાળી દેખાતો સત્યકામ બહુ ગમી ગયેલા એ વખતે. પછી જો કે, ઉપેન્દ્ર ત્રિવેદીએ ચીલાચાલુ ફિલ્મો કરીને ગુજરાતી ફિલ્મોનો બહુ દાટ વાળ્યો હતો. બાકી, ટૂંક સમયમાં જ ગુજરાતી ફિલ્મોના એ સુપર સ્ટાર બની ગયા હતા. એમનું પોત ઊંચા માહ્યલાનું હતું. પર્સનાલિટી પણ સરસ અને અભિનય સમ્રાટ તો ખરા જ. વિદ્વાન તથા ભાષા-સાહિત્યનું જ્ઞાન પણ ખૂબ સારું. અમિતાભ બચ્ચન કે આમિર ખાનની જેમ પોતાની જ ટર્મ અને કન્ડિશન પર કામ કર્યું હોત તો ગુજરાતી ચલચિત્રોનું ચિત્ર કદાચ જુદું હોત. વેલ, આ મુદ્દો આખો જુદો છે. આપણે તો વાત કરવાની છે અહીં ફિલ્મ અને એના સંગીતની.
મનુદાદાની ફિલ્મ એટલે તો જોવી જ પડે, એમાં વળી સ્કૂલમાંથી શો યોજ્યો હતો એટલે ઉમળકાભેર આ ફિલ્મ જોઈ હતી. મનુભાઈ પંચોળી અમારા આપ્તજન. એમની ક્લાસિક નવલકથા ‘ઝેર તો પીધાં જાણી જાણી’ ઉપરથી આ ફિલ્મ બની હતી એનો ઉમંગ અમને ય હતો. મનુભાઈ સાથે મારા પિતા જયન્ત પંડ્યાનો ભાવસેતુ બંધાયો તેમાં દેશની રાજનીતિ વિશે બન્નેની નિસબત તો ખરી જ, તે ઉપરાંત સાહિત્ય, શિક્ષણ માટેનો સમાન અનુરાગ પણ હતો. પપ્પાએ તેમના પુસ્તક ‘સ્મરણો ભીનાં ભીનાં’માં મનુદાદાના વ્યક્તિચિત્રમાં બહુ સરસ વાત લખી હતી કે, "ભારતના મૂલ્યવાન ગ્રંથો વેદ-ઉપનિષદ, મહાભારત, રામાયણ તેમના અક્ષરદેહનાં વિટામિનો છે. કવિતા, ઇતિહાસ અને તત્ત્વદર્શનને અંતરથી ચાહે છે. આવા અગોચર વરદાને તેમના હૃદયને જે રીતે ખેડ્યું છે તેની ટાઢક આપનારી અનુભૂતિ તેમનાં લખાણોમાંથી થાય છે. તેથી જ તેમનું દર્શકત્વ પથદર્શક બની રહે છે. ટાગોરના સૌંદર્યબોધ અને ગાંધીજીના આચારબોધનો એમના પર સઘન પ્રભાવ. પ્રકૃતિએ ચિંતક હોવાની સાથે ગ્રામવિકાસલક્ષી જાગૃત કેળવણીકાર. નિર્ભીક પત્રકાર અને પીઢ સમાજસેવક. મનુભાઈને ૧૯૬૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૫માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તથા ૧૯૮૭માં ઝેર તો પીધાં જાણી જાણી’ને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
એવા આ બહુમુખી પ્રતિભા ધરાવતા પથદર્શક દર્શકે તેમની નવલકથાનું નામ પણ મીરાંબાઈના પ્રખ્યાત ભજન ઝેર તો પીધાં જાણી જાણી …ની પ્રથમ પંક્તિ પરથી જ લીધું છે. મીરાંબાઈએ ઝેર શબ્દનો સરસ વિનિયોગ કર્યો છે એમાં. એ ઝેર સંસારનું, ઈર્ષાનું, અપમાન, અપરાધ કે તિરસ્કારનું પણ હોઈ શકે છે. એ સાચુકલું વિષ પણ હોઈ શકે અને પ્રેમલક્ષણા ભક્તિનું પણ હોઈ શકે જેને મીરાં અમૃત માનીને પી ગયાં હતાં. હેમંત ચૌહાણથી લઈને બીજા ઘણા લોક કલાકારોએ મીરાં રચિત ઝેર તો પીધાં … ભજન ગાયું છે પણ,રેખા ત્રિવેદીના મધુર કંઠે એ અમૃત જેવું લાગે છે. [https://www.youtube.com/watch?v=LBg0UkEzHRI]
આ જ ભજનની મૂળ પંક્તિને લઈને અવિનાશ વ્યાસે ફિલ્મની કથા પ્રમાણે શબ્દોમાં ફેરફાર કરીને ઝેર તો પીધાં .. ગીત બનાવી મન્નાડે પાસે અદ્દભુત ગવડાવ્યું છે. સમયચક્ર ભલે ફરતું રહે પણ અમુક ગીતો ઊંડી અસર છોડી જતાં હોય છે. આ ભજન એમાંનું જ એક છે. એના શબ્દે શબ્દે જીવનનો સાર પ્રગટે છે. તો આજે વાત કરવી છે ફિલ્મના આ ટાઈટલ સોન્ગની, ફિલ્મની કથાની અને આ જ ટાઈટલ પરથી બનેલા નાટકની. સંસારમાં આપણે સૌએ ઝેર પીવા સમાન લાગણીનો સામનો ક્યારેક તો કર્યો જ છે. ઝેર પીવું કોને ગમે? છતાં, માણસ શા માટે સ્વેચ્છાએ ઝેર પીવાનું પસંદ કરે છે? અણગમતી સ્થિતિ શા માટે સ્વીકારવાનું પસંદ કરે છે, શું સંજોગોનો ભોગ બનીને વિષસમાન સ્થિતિને અપનાવે છે? આ એ એક મોટો કોયડો છે. શક્ય છે એમાં અંગત સ્વાર્થ હોય, ત્યાગ, બલિદાન, પ્રેમ કે પરોપકાર હોય, પરંતુ મનુષ્ય ઘણીવાર ઝેર અથવા ઝેર જેવી સ્થિતિને જાણવા છતાં સામે ચાલીને ભેટે છે. કાળની થપાટો ખાય છે અને પાછો ફિનિક્સ પંખીની જેમ ઊભો થાય છે. જીવનની આ જ તો ગતિ અને આ જ રીતિ છે એવું નથી લાગતું? ‘ઝેર તો પીધાં જાણી જાણી’ જીવનના પ્રલંબ આરોહ-અવરોહની નવલકથા છે જેમાં ખૂબ બધી ઘટનાઓ આકારાય છે.
કથાસાર સંક્ષિપ્તમાં કંઈક આવો છે. ગામના સંનિષ્ઠ-પ્રામાણિક ગોપાળબાપાને પોતાનો દીકરો સત્યકામ સોંપીને બાપ મૃત્યુ પામે છે. ગોપાળબાપા એ મિત્રને વચન આપે છે કે સત્યકામને દીકરાની જેમ સાચવશે અને પોતાની દીકરી રોહિણી સાથે પરણાવશે. પરંતુ ઘરના પ્રકાંડ જ્યોતિષાચાર્ય દામુકાકા ગોપાળબાપાને આ લગ્ન કરાવવાની ના પાડે છે કેમ કે ગ્રહોમાં એમને રોહિણીનું વૈધવ્ય દેખાય છે. રોહિણીને અત્યંત ચાહતો હોવા છતાં સત્યકામને રોહિણીના અકાળ વૈધવ્યની આગોતરી જાણ થઈ જવાથી એ ખૂબ દૂર ચાલ્યો જાય છે અને રોહિણીને પત્ર લખે છે: "હું અને તું એવી વ્યક્તિઓ છીએ જેમણે જીવન અને મૃત્યુ બન્નેની વંદના કરી છે. આપણે ફટકિયાં નહીં, સાચાં, નવલખાં મોતી છીએ પરંતુ, પ્રારબ્ધ સામે વલખાં માર્યા સિવાય છૂટકો નથી. તારું નિર્મળ હાસ્ય કદી વિલાય નહીં એનું હું ધ્યાન રાખીશ. આપણો મનમેળ છે પણ ગ્રહમેળ નથી. તને બાંધી રાખી હતી એ ઓછાયો પણ મુક્તિમાંગલ્યમાં આડે આવશે તો હું સ્વર્ગમાંય સુખી નહીં થાઉં. આવો પત્ર વાંચીને રોહિણી ખૂબ વિલાપ કરે છે. બીજી બાજુ, દૂર બીજા શહેરમાં ચાલી ગયેલો સત્યકામ એક કેસમાં ફસાવાથી એને જેલ થાય છે. એમાંથી છૂટીને એ બહાર આવે છે ત્યારે બેકગ્રાઉન્ડમાં આ ગીત ફિલ્મમાં આવે છે, નથી રે પીધાં અણજાણી, ઝેર તો પીધાં જાણી જાણી … રોહિણી વિના અકારું જીવન સ્વાભાવિક રીતે જ સત્યકામ માટે વિષ સમાન બની ગયું છે જેની વેદના ગીતની દરેક પંક્તિએ પ્રગટે છે અને આપણા હૈયામાં વલોપાત જગાવે છે.
કારુણ્યના અનેક પ્રસંગો કથામાં અવારનવાર આવતા રહે છે. રોહિણી અને સત્યકામનું એ પછી વાર્તામાં આગળ શું થાય છે એ તથા ફિલ્મ અને આ જ નાટક સાથે સંકળાયેલી અનેક રસપ્રદ કથાઓ આવતા અંકે. યુટ્યુબ પર આ ભાવવાહી ભજન જરૂર સાંભળજો. બ્લેક એન્ડ વાઈટ ફિલ્મ છે એટલે ગીત પણ શ્વેત-શ્યામ જ હોય પણ, આ ગીતમાં માનવ જિંદગીના અનેક રંગો, આશ્ચર્યકારી ઘટનાઓ તમને તાદ્રશ થતી દેખાશે.
https://www.youtube.com/watch?v=TC-MXDAHE4g
————————————————
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 31 મે 2018
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=411077