આ દલિતો માટેના પૂર્વગ્રહની ઘટના તો છે જ, પરંતુ એનાથી વધારે સત્તાના દુરુપયોગની ઘટના છે. કૅમ્પસમાં થતાં છમકલાંઓમાં પ્રધાનોએ કૂદી પડવાની જરૂર નહોતી. સ્મૃિત ઈરાનીએ તો એને એવું ગંભીર સ્વરૂપ આપ્યું હતું કે જાણે કોઈ અનર્થ થયો હોય. મજૂરપ્રધાન દત્તાત્રેયે કહ્યું હતું કે હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી જ્ઞાતિનું રાજકારણ કરનારાઓનો અખાડો બની ગઈ છે
કૅમ્પસ-પૉલિટિક્સ : રવિવારે હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના કૅમ્પસમાં આપઘાત કરનારા વિદ્યાર્થી રોહિત વેમુલાના સમર્થનમાં પ્રોટેસ્ટ કરી રહેલા સ્ટુડન્ટ્સને ગઈ કાલે સંબોધી રહેલા કૉન્ગ્રેસના વાઇસ-પ્રેસિડન્ટ રાહુલ ગાંધી.
કોઈનું પણ મૃત્યુ આઘાતજનક હોય છે, પરંતુ રવિવારે હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના કૅમ્પસમાં આપઘાત કરનારા દલિત વિદ્યાર્થીની સુસાઇડ-નોટ વાંચીને વધારે આઘાત અનુભવાયો. શું પ્રાસાદિક અંગ્રેજી ભાષા અને કેવા ઉદાત્ત વિચારો! પત્રમાં કોઈ જગ્યાએ અન્યાયનાં રોદણાં રોવામાં આવ્યાં નથી, માત્ર પોતાનાં સપનાંની અને માનવસ્વભાવની વાત કરવામાં આવી છે. આ નાનકડો પત્ર જોઈને ખાતરી થાય છે કે રોહિત ચક્રવર્તી વેમુલાએ જો આત્મહત્યા ન કરી હોત તો કદાચ તેણે મોટા લેખક તરીકે નામ કાઢ્યું હોત. રોહિત વેમુલાએ પોતાની સુસાઇડ-નોટમાં લખ્યું છે કે હું કાર્લ સેગન જેવો વિજ્ઞાનકથાઓનો લેખક થવા માગતો હતો, પરંતુ જીવન એટલું આકરું લાગે છે કે વિજ્ઞાનકથાની જગ્યાએ હું વિદાયની નોંધ લખી રહ્યો છું જે મારું પહેલું અને આખરી લખાણ છે. હું વિજ્ઞાનને, આકાશના તારાઓને અને પ્રકૃતિને ચાહું છું. હું માણસને પણ પ્રેમ કરું છું, પરંતુ મને ખબર નહોતી કે માણસે પ્રકૃતિ સાથે ક્યારનો ય સંબંધ તોડી નાખ્યો છે. એ પછીનાં બે વાક્યો અંગ્રેજીમાં જ ઉદ્ધૃત કરું છું. Our feelings are second handed. Our love is constructed. Our originality valid through artificial art. It has become truly difficult to love without getting hurt. અહીં રોહિત વેમુલાનો આખો પત્ર ઉદ્ધૃત કરવાની લાલચ થઈ આવે છે, પરંતુ એ શક્ય નથી. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના મંગળવારના અંકમાં છપાયેલો આખો પત્ર વિચારતા કરી મૂકે એવો છે.
હાર્દિકતાને, બુદ્ધિને, ઊંડી સમજ અને સંવેદનશીલતાને જ્ઞાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. એ કોઈ પણ વ્યક્તિમાં પ્રગટી શકે છે અને રોહિત વેમુલા નામના દલિત યુવાનમાં એ ભારોભાર હતાં. તેનો અપરાધ એટલો જ હતો કે તેણે એક આંદોલનમાં ભાગ લીધો હતો અને યુનિવર્સિટીના કૅમ્પસ-પૉલિટિક્સનો ભોગ બની ગયો. કૅમ્પસ-પૉલિટિક્સમાં નેતાઓ કૂદી પડે અને વિદ્યાર્થી પર અસહ્ય પીડા લાદે ત્યારે આવી દુખદ ઘટનાઓ બનતી હોય છે.
હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ભણતા દલિત વિદ્યાર્થીઓ આંબેડકર સ્ટુડન્ટ્સ અસોસિએશન ચલાવે છે. દલિત વિદ્યાર્થીઓ દલિતોને થઈ રહેલા અન્યાય સામે ઊહાપોહ કરવા, અન્યાય સામે લડવા અને તેજસ્વી દલિત વિદ્યાર્થીઓને મદદ કરવા આ મંચ ચલાવે છે. આંબેડકર સ્ટુડન્ટ્સ અસોસિએશનના દલિત વિદ્યાર્થીઓએ સવર્ણ વિદ્યાર્થીઓ અને તેમના સંગઠન સાથે લડવાનું બનતું રહે છે. આ રીતનો એક ઝઘડો ગયા ઑગસ્ટ મહિનામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના એન. સુશીલકુમાર નામના એક વિદ્યાર્થી નેતા સાથે થયો હતો. સુશીલકુમારે પાંચ દલિત વિદ્યાર્થીઓએ તેને માર્યો હોવાની ફરિયાદ કરી હતી. એ ઘટના પછી યુનિવર્સિટીના સત્તાવાળાઓએ તપાસસમિતિ નીમી હતી જેણે અહેવાલ આપ્યો હતો કે ABVPના નેતાની ફરિયાદમાં કોઈ સચ્ચાઈ નથી. સુશીલકુમારે માફી પણ માગી લીધી હતી અને તેને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. પાંચ દલિત વિદ્યાર્થીઓને શિસ્ત જાળવવાની સલાહ આપવામાં આવી હતી. યુનિવર્સિટીઓનાં વિદ્યાર્થી સંગઠનો રાજકીય પક્ષો સાથે સંલગ્ન છે એ જાણીતી વાત છે. હવે તો એવું બને છે કે યુનિવર્સિટીમાં ન ભણનારાઓ કૅમ્પસમાં પડ્યા રહે છે.
વાત અહીં પૂરી થઈ ગઈ હતી, પરંતુ ABVPના નેતાને વેર વાળવું હતું. દલિત વિદ્યાર્થીઓ સામે માફી માગવી પડી એ તેને અપમાનજનક લાગતું હતું. તેણે આંધ્ર પ્રદેશના વતની કેન્દ્રીય પ્રધાન બંડારુ દત્તાત્રેયનો સંપર્ક કર્યો હતો. સુશીલકુમારે હૉસ્પિટલમાં જઈને તેને માર મારવામાં આવ્યો હોવાનું સર્ટિફિકેટ મેળવ્યું હતું. કેન્દ્રના મજૂરપ્રધાન દત્તાત્રેયે કેન્દ્રના માનવસંસાધન પ્રધાન સ્મૃિત ઈરાનીને પત્ર લખ્યો હતો. સ્મૃિત ઈરાનીએ નવેસરથી તપાસ યોજવાનો આદેશ આપ્યો હતો. કેન્દ્રમાં સરકાર BJPના મિત્રપક્ષની, કેન્દ્રમાં સરકાર BJPની અને હવે બબ્બે કેન્દ્રીય પ્રધાનો સક્રિય થયા એટલે યુનિવર્સિટીના નવા નિયુક્ત થયેલા ઉપકુલપતિનાં ગાત્રો ઢીલાં થઈ ગયાં. પહેલી તપાસ કરનારાઓએ સુશીલકુમારને જુઠ્ઠાડો કહીને માફી મગાવી હતી તો બીજી વખતની તપાસ કરનારાઓએ દલિત યુવકોને દોષી ઠરાવીને યુનિવર્સિટીમાંથી બરતરફ કરવાની ભલામણ કરી હતી. ગયા સપ્ટેમ્બર મહિનાથી પાંચ દલિત વિદ્યાર્થીઓ સસ્પેન્ડ છે અને PhDના સંશોધન માટે આપવામાં આવતી સ્કૉલરશિપની રકમ રોકી રાખવામાં આવી છે.
આ દલિતો માટેના પૂર્વગ્રહની ઘટના તો છે જ, પરંતુ એનાથી વધારે સત્તાના દુરુપયોગની ઘટના છે. કૅમ્પસમાં થતાં છમકલાંઓમાં પ્રધાનોએ કૂદી પડવાની જરૂર નહોતી. સ્મૃિત ઈરાનીએ તો એને એવું ગંભીર સ્વરૂપ આપ્યું હતું કે જાણે કોઈ અનર્થ થયો હોય. મજૂરપ્રધાન દત્તાત્રેયે કહ્યું હતું કે હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી જ્ઞાતિનું રાજકારણ કરનારાઓનો અખાડો બની ગયો છે. આખું કટક દલિત વિદ્યાર્થીઓ પર ઉતારવામાં આવ્યું હતું અને એ પણ એટલા માટે કે ABVP BJPની વિદ્યાર્થી પાંખ છે. શિક્ષણસંસ્થાઓને રાજકારણથી મુક્ત કરવી જરૂરી છે. ખાસ કરીને વિદ્યાર્થી સંઘોનો કોઈ રાજકીય પક્ષ સાથે સંબંધ ન હોવો જોઈએ.
આ ઘટનાના લાંબા ગાળાના પ્રત્યાઘાત પડવાના છે એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમજી લેવાની જરૂર છે. સાવ વાહિયાત આરોપમાં એક તેજસ્વી દલિત વિદ્યાર્થીએ જીવ ખોયો છે. વિરોધ પક્ષો પણ રાજકારણ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી જેટલા વહેલા સ્મૃિત ઈરાનીથી મુક્ત થાય એટલું તેમના ફાયદામાં છે. કયા મામલામાં કેટલો રસ લેવાનો હોય અને કેટલા સક્રિય થવાય એનું ભાન ન હોય એવા પ્રધાનો મોંઘા પડતા હોય છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 20 જાન્યુઆરી 2016
http://www.gujaratimidday.com/features/columns/impact-of-hyderabad-incident-will-remain-long-time-2