વિધાનસભાની આ વખતની ચૂંટણીની વિશેષતા એ હતી કે એમાં સ્માર્ટફોન ધરાવતો પ્રત્યેક ગુજરાતી નાગરિક માત્ર મતદાતા નહોતો, રાજકીય પ્રચારક હતો
૧૯૭૧થી અત્યાર સુધીમાં અનેક ચૂંટણીઓ જોઈએ છે, પરંતુ આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેવી એકેય ચૂંટણી જોઈ નથી. ૧૯૭૭ની અને ૨૦૧૪ની લોકસભાની પણ નહીં, જેમાં મતદાનના મહિના પહેલાંથી જ સ્પષ્ટ ધ્રુવીકરણ નજરે પડવા લાગ્યું હતું. ૨૦૧૫ની દિલ્હી અને બિહાર વિધાનસભાની ચૂંટણી પણ નહીં, જેમાં પરિણામ અણધાર્યાં જરૂર હતાં પણ સ્પષ્ટ અને અંતિમે હતાં. ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીની વિશેષતા એ હતી કે એમાં સ્માર્ટફોન ધરાવતો પ્રત્યેક ગુજરાતી નાગરિક માત્ર મતદાતા નહોતો, પ્રચારક હતો. કોઈ પટેલ હતો, કોઈ ઠાકોર હતો, કોઈ હિન્દુ હતો, કોઈ શાકાહારી હતો, કોઈ મુસ્લિમ હતો, કોઈ મુસ્લિમવિરોધી હતો, કોઈ આદિવાસી હતો તો કોઈ સેક્યુલરિસ્ટ હતો. વી.એસ. નાયપોલનો શબ્દપ્રયોગ વાપરીએ તો મિલ્યન મ્યુિટની જેવો ઘાટ હતો.
સ્માર્ટફોન યુઝર્સના દેકારાથી બધા રાજકીય પક્ષો અને મીડિયા પ્રભાવિત થયાં હતાં એ ત્યાં સુધી કે વડા પ્રધાન ખુદ એના પ્રભાવથી મુક્ત નહોતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને BJPના અધ્યક્ષ અમિત શાહના ચહેરા પર આત્મવિશ્વાસ નજરે નહોતો પડતો. હાર્દિક પટેલનો આત્મવિશ્વાસ સાતમા આસમાને હતો અને કૉન્ગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને ગુજરાતમાં ઊભા થવાની તક નજરે પડતી હતી. મીડિયા એક્ઝિટ પોલમાં BJPને સ્પષ્ટ બહુમતી આપતાં હોવા છતાં એમને પણ ખોટા પડવાનો ડર હતો એટલે ચૂંટણી પછીના ત્રણ દિવસ દરમ્યાન મીડિયાવાળાઓ દહીં-દૂધમાં પગ રાખીને વાતો કરવા માંડ્યા હતા. કોઈને ગળા સુધી ખાતરી નહોતી કે પરિણામ શું આવવાનું છે.
આમ આ વખતની ચૂંટણીને રાજકીય પક્ષોએ કે મેઇનસ્ટ્રીમ મીડિયાએ નહીં પણ સોશ્યલ મીડિયાએ પ્રભાવિત કરી હતી અથવા એમ કહો કે પ્રચાર-પ્રસારનું સ્ટિયરિંગ વ્હીલ સ્માર્ટફોન યુઝર્સ મતદાતાના હાથમાં હતું. આ લોકતંત્ર માટે કેટલું પોષક છે કે મારક છે એ તો સમય કહેશે, પરંતુ આ નવું ફિનોમિનન છે એમાં કોઈ શંકા નથી. આમાં સૌથી મોટું જોખમ એ છે કે ઘોંઘાટ રાજકીય વિમર્શને દબાવી દે છે અને એ લોકતંત્ર માટે પોષક નથી. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે ભારતમાં ૧૪ કરોડ સ્માર્ટફોન યુઝર્સ હતા, અત્યારે ૪૪ કરોડ છે અને ૨૦૧૯માં કેટલા હશે એની કલ્પના કરવી મુશ્કેલ નથી. દેશના ઓછામાં ઓછા ૬૫થી ૭૦ ટકા મતદાતાઓ સ્માર્ટફોન યુઝર્સ હશે અને રાજકીય પ્રચારની જવાબદારી પોતાના ખભા પર લઈને ફરતા હશે.
આ પૃષ્ઠભૂમિમાં ગુજરાતની ચૂંટણીનાં પરિણામો તપાસવાં જોઈએ. ઑગસ્ટ મહિનામાં BJPને એમ લાગતું હતું કે ગુજરાત ફરી એક વાર ખિસ્સામાં છે. સપ્ટેમ્બર મહિનામાં લાગવા માંડ્યું હતું કે થોડો સંઘર્ષ કરવો પડશે, પણ વાંધો નહીં આવે. ઑક્ટોબરમાં એમ લાગવા માંડ્યું હતું કે સીધાં ચડાણ જેવી સ્થિતિ છે અને નવેમ્બરમાં એમ લાગવા માંડ્યું હતું કે કદાચ ગુજરાતમાં પરાજય પણ થાય. આનાથી બિલકુલ ઊલટી દિશાની યાત્રા કૉન્ગ્રેસની હતી. એને પરાજયથી વિજય સુધીનો સાક્ષાત્કાર થવા લાગ્યો હતો. જોતજોતામાં હાર્દિક પટેલ પણ ચૂંટણીના મેદાનમાં હાંસિયામાંથી કેન્દ્રમાં આવી ગયો હતો અને તેને લાગવા માંડ્યું હતું કે તે ગુજરાતમાં કિંગમેકર બની શકે એમ છે. મને એમ લાગે છે કે સોશ્યલ મીડિયાનો દેકારો ન હોત તો ગુજરાતમાં ચૂંટણીપ્રચારનું સ્વરૂપ જુદું હોત.
પણ પરિણામ જુદાં હોત ખરાં? જવાબ આપવો અઘરો છે. પરિણામ જોતાં અને એનું સામાજિક વર્ગીકરણ જોતાં મતદાતાની પરંપરાગત વફાદારી અને પૂર્વગ્રહો જળવાઈ રહ્યાં હોય એમ લાગે છે. જેમ કે ગુજરાતમાં પટેલ અને ક્ષત્રિય સાથે જતા નથી એ ૧૯૮૦ પછીની વાસ્તવિકતા છે, પછી ભલે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ અને ક્ષત્રિય યુવા નેતા અલ્પેશ ઠાકોર કૉન્ગ્રેસની સાથે હોય. માધવસિંહ સોલંકીની ખામ (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) થિયરી પછીથી પટેલો સતત BJPની સાથે રહ્યા છે. ગુજરાતમાં ખેતમજૂરી કરતા હરિજનો ગામના જમીનમાલિક પાટીદારની અને માથાભારે ઠાકુરોની સાથે નથી જતા એ પણ દાયકાઓ જૂનું સત્ય છે, પછી ભલે દલિત નેતા જિજ્ઞેશ મેવાણી કૉન્ગ્રેસની સાથે હોય. BJPના નેતાઓ જેને હજ-HAJ (હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશ) તરીકે ઓળખાવતા હતા એ ત્રણેય યુવા નેતાઓ BJPવિરોધી અને કૉન્ગ્રેસની સાથે હોવા છતાં તેમનો સમાજ તેમની સાથે નહોતો. તેમણે પરંપરાગત વફાદારી અને પૂર્વગ્રહો જાળવી રાખ્યાં છે એમ પરિણામો સૂચવે છે.
બીજું, ગુજરાતમાં એક મોટો વર્ગ એવો છે જે હિન્દુત્વવાદી છે અને જો હિન્દુત્વવાદી નથી તો મુસ્લિમવિરોધી જરૂર છે. શાકાહારી ઉજળિયાત હિન્દુઓ મુસલમાનોને માંસાહાર સાથે જોડીને તેમને ધિક્કારે છે એ પણ એક મોટું રાજકીય પરિબળ છે. આપણા જ્ઞાનપીઠ પુસ્કારવિજેતા આધ્યાત્મિક કવિ રાજેન્દ્ર શાહે ૨૦૦૨ના ગુજરાતનાં કોમી હુલ્લડોનો બચાવ કરતાં કહ્યું હતું કે મુસલમાનોને પાઠ ભણાવવાની જરૂર હતી. જો આધ્યાત્મિક પીઠિકા ધરાવનારા મૂર્ધન્ય કવિ આવો અભિપ્રાય ધરાવતા હોય તો બીજાની ક્યાં વાત કરવી. ગુજરાતમાં હિન્દુત્વવાદી, શાકાહારી મુસ્લિમવિરોધીઓનું પ્રમાણ ઘણું મોટું છે એ ન ભૂલવું જોઈએ. અંદાજે દર ત્રીજા મતદાતાનો આમાં સમાવેશ થતો હોય તો આશ્ચર્ય નહીં. તેમને BJP સામે ગમે એટલી ફરિયાદ હોય કે વાંધો હોય, પરંતુ મત તો તેઓ BJPને જ આપશે.
નોટબંધીની નિષ્ફળતા અને ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સની હાડમારીનું શું? પરિણામ જોતાં એમ લાગે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયત્નશીલ છે એવી લોકોની શ્રદ્ધા જળવાઈ રહી હોય એમ લાગે છે. એટલે શહેરી મતદાતાઓના મત BJPને સૌથી વધુ મળ્યા છે. આ વખતની ચૂંટણીમાં શહેરી ગુજરાત અને ગ્રામીણ ગુજરાત વચ્ચે રાજકીય વિભાજન કહો કે ધ્રુવીકરણ આગળની ચૂંટણીઓ કરતાં મોટા પ્રમાણમાં જોવા મળ્યું છે. BJPનો સ્ટ્રાઇક-રેટ શહેરોમાં વધુ રહ્યો છે અને કૉન્ગ્રેસનો સ્ટ્રાઇક-રેટ ગ્રામીણ ગુજરાતમાં વધુ સારો રહ્યો છે. આમ સોશ્યલ મીડિયાનો દેકારો હોવા છતાં મતદાન પરંપરાગત ગણતરીઓ અને વફાદારીઓના આધારે થયું છે અને એટલે BJPને ખાસ આંચ આવી નથી એમ કહી શકાય.
કૉન્ગ્રેસનો પરાજય થયો છે એમ કહી શકાય? નહીં. કૉન્ગ્રેસનો ૨૦૧૨માં પરાજય થયો હતો, પણ ૨૦૧૭માં કૉન્ગ્રેસ બેઠી થઈ રહી છે અને એ જ એનો વિજય થયો છે. ૨૦૧૨ની તુલનામાં કૉન્ગ્રેસને ૧૯ બેઠકોનો ફાયદો થયો હોય, પરંતુ રાહુલ ગાંધીએ ગુજરાતમાં BJPનો સારો મુકાબલો કર્યો હતો અને તેમનામાં આત્મવિશ્વાસ છલકાતો હતો. રાહુલ ગાંધીએ શાલીનતા અને સંયમ જાળવીને લાંબી લાઇન ખેંચી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જો શાલીનતા જાળવી રાખી હોત તો તેમનો વિજય દીપી ઊઠ્યો હોત. બાકી BJPના અને કૉન્ગ્રેસના જય-પરાજયનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે એની ખબર ત્યારે પડશે જ્યારે કોને કેટલા મત મળ્યા છે અને એમાં ય ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વિભાગીય મતવિભાજન કેટલું છે એની જાણ થાય. આ ઉપરાંત ઉમેદવારોના જય-પરાજયમાં માર્જિન કેટલું છે એના આંકડા બહાર આવશે ત્યારે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. આમ છતાં ય બાવીસ વરસ પછી પણ BJPને ઇન્કમ્બન્સી આડી નથી આવી એ કોઈ મામૂલી ઘટના નથી.
ગુજરાત વડા પ્રધાનનું વતનનું રાજ્ય છે અને એટલે ગુજરાતની ચૂંટણીનાં પડઘમમાં હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની ઘટના ઢંકાઈ ગઈ હતી. હિમાચલ પ્રદેશમાં BJPનો વિજય થયો છે અને એ અપેક્ષિત હતો. ૧૯૭૭થી હિમાચલ પ્રદેશમાં કોઈ પક્ષને બે મુદત મળી નથી. ૧૯૮૩થી ૧૯૯૦ વચ્ચે સાત વરસ કૉન્ગ્રેસે સળંગ રાજ કર્યું હતું એ નાનકડો અપવાદ છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન વીરભદ્ર સિંહ સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપ હતા. આને કારણે નરેન્દ્ર મોદીના વતનના રાજ્ય ગુજરાતમાં કદાચ BJPનો પરાજય થાય એમ કહેવામાં આવતું હતું, પરંતુ કોઈએ એમ નહોતું કહ્યું કે હિમાચલ પ્રદેશમાં BJPનો પરાજય થશે. શિમલામાં BJPની સરકાર બની એ ક્રમપ્રાપ્ત નિયતિ છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 19 ડિસેમ્બર 2017
કાર્ટૂન સૌજન્ય : સુભાની શૈખ, "ડેકન ક્રૉનિકલ", 19 ડિસેમ્બર 2017