ગૃહિણીને પરાણે નોકરી કરાવવાના ‘અપરાધ’ બદલ તેનાં પતિ-સાસુને ગુનેગાર ઠરાવી શકાય ?
ગૃહિણીના ગૃહકાર્યની કિંમત કેટલી? આ પ્રશ્ન વર્ષોથી પૂછાતો આવ્યો છે. જવાબનો આધાર એ કોણ આપે છે, આપનારની માનસિક સ્થિતિ કેવી છે, એનો ઉછેર કઈ રીતે થયો છે, એની આસપાસના લોકો શું માને છે, એવાં અનેક પરિબળો પર હોય છે. દર વખતે જુદાંજુદાં, ક્યારેક તો વિરોધાભાસી લાગે એવા જવાબ મળે છે પરંતુ અદાલત જ્યારે આ બાબતમાં ફેંસલો સુણાવે ત્યારે ગમે કે ન ગમે, પણ આપણે માન્ય રાખવો પડે છે.
તાજેતરમાં મુંબઈ ખાતે મોટર એક્સિડન્ટ્સ કલેઇમ્સ ટ્રિબ્યુનલે રસપ્રદ ચુકાદો આપ્યો. એક હાઉસવાઇફના એક્સિડન્ટલ ડેથના કિસ્સામાં એણે કહ્યું કે ઘરકામ કરતી નોકરાણીને કેટલો પગાર અપાય છે, એને માપદંડ ગણીને મૃત ગૃહિણીના પરિવારને વળતર ચૂકવવું જોઈએ. આ કેસમાં ગૃહિણીની સરખામણી નોકરાણી સાથે કરીને એનું અપમાન થયું, એવી ગેરસમજ કરવાની જરૂર નથી. બલકે, આ ચુકાદા પછી બીજા અનેક પરિવારોને ન્યાય મળવાની આશા ઊભી થઈ છે.
વર્ષ 2012માં 35 વર્ષની ફાતિમાનું મોટરસાઇકલની અડફેટે મૃત્યુ થયું હતું. ફાતિમાના પતિએ દાવો કર્યો કે આ દુર્ઘટના વાહનચાલકની બેદરકારીને પરિણામે થઈ હતી અને મરનારના પરિવારને છ લાખ રૂપિયાનું વળતર મળવું જોઈએ. રોડ એક્સિડન્ટ થાય ત્યારે મોટા ભાગના કિસ્સામાં મરનાર કે ઈજા પામનારને આર્થિક વળતર આપવાની જવાબદારી ઇન્શ્યોરન્સ કંપની પર આવે છે અને બધા જાણે છે કે કોઈ ઇન્શ્યોરન્સ કંપનીને પૈસા આપવા નથી ગમતા. ઉપરોક્ત કિસ્સામાં એમણે એવી દલીલ કરી કે ફાતિમા માત્ર ગૃહિણી હતી. એની પોતાની કોઈ આર્થિક આવક નહોતી. આવા સંજોગોમાં એની ‘નોશનલ ઇન્કમ’ના આધારે વળતરની કિંમત નક્કી ન કરી શકાય.
નોશનલ ઇન્કમ એટલે કે ધારણા આધારિત આવકને સાદી ભાષામાં સમજાવવી હોય તો વ્યક્તિની ઉંમર, અકસ્માત સમયની એની આવક, એ સાજીસારી રહી હોત તો હજી કેટલાં વર્ષમાં કેટલું કમાઈ શકત વગેરેના આધારે થતી ગણતરી. અકસ્માતમાં મૃત્યુ પામનાર કે આજીવન પંગુ થઇ જનાર વ્યક્તિ પુરુષ હોય ત્યારે આ ગણતરી કરવામાં ખાસ તકલીફ નથી પડતી. પરંતુ મરનાર સ્ત્રી હોય અને એમાં ય એ નોકરી કે બિઝનેસ ન કરતી હોય ત્યારે વિવાદ ઊભો થાય છે.
બહુ જૂના જમાનામાં તો મરનાર હાઉસવાઇફ હોય તો વળતર આપવામાંથી વીમા કંપનીઓ સાવ છટકી જતી પરંતુ પછી લોકોએ લડવાનું અને અદાલતોએ અલગ, રાધર વધુ સમજદાર વલણ અપનાવવાનું શરૂ કર્યું. દેશની સર્વોચ્ચ અદાલતોએ છેલ્લાં સાતઆઠ વર્ષમાં એવા ચુકાદા આપ્યા કે મરનાર ગૃહિણી ભલે ઘરની બહાર નોકરી કરવા ન જતી હોય, પણ ઘરની અંદર એ ચોવીસે કલાક કામ કરે છે. બહાર જઈને એ આટલી મહેનત કરે કે આટલો સમય આપે તો ઘણી વધુ કમાણી કરી શકે. ઘરમાં આટલું કામ કરીને એ નોકરને આપવાના પૈસા બચાવે છે, પોતાની રીતે આર્થિક ફાળો આપે છે. એટલે સ્ત્રીના જીવલેણ અકસ્માતના કિસ્સામાં પરિવારને આર્થિક નુકસાન થયાની હકીકત સ્વીકારવી પડે.
આવા ચુકાદા પછીયે તકરારો તો ચાલુ જ રહી. હવે એ મુદ્દો ઊભો થયો કે ગૃહિણીના ગૃહકાર્યની કિંમત કઈ રીતે નક્કી કરવી? આ બાબતમાં કોઈ માપદંડ નથી કે પત્ની વાસણ માંજે, કપડાં ધૂએ, રસોઈ કરે. આ બધામાં કયા કામના કેટલા પૈસા મળવા જોઈએ. વળી એના જવાથી પરિવારમાં જે શૂન્યાવકાશ સર્જાય, એનું માપ કઈ રીતે કાઢવું? ફાતિમાના કિસ્સામાં બહુ વિચારીને ટ્રિબ્યુનલે ફેંસલો સુણાવ્યો કે પત્ની, માતા કે બહેન ઘરમાં જે કામ કરે છે, એને ભલે નોકરિયાત કામવાળીની સર્વિસ સાથે ન સરખાવી શકાય, પરંતુ કઠોર વાસ્તવિકતાને નજરમાં રાખીને પૂછવું પડે કે, સ્ત્રીના ગયા પછી ઘરમાં એના જેટલું કામ કરનાર બહેનને રાખો તો કેટલો પગાર આપવો પડે? ફાતિમાના કિસ્સામાં ટ્રિબ્યુનલે મહિને સાડા ચાર હજાર રૂપિયાની રકમ ઠરાવી. મુંબઈની ટ્રિબ્યુનલે ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો પણ ટાંક્યો કે હાઉસવાઈફના ઘરકામ માટે મહિને પાંચ હજાર સુધીનું વળતર મળી શકે. તે ઉપરાંત સ્ત્રીના ગયા પછી પતિ અને બાળકોના જીવનમાં જે ખોટ પડે એનું નુકસાન પણ ભરપાઈ થવું જોઈએ. ફાતિમાના કિસ્સામાં એના પતિને પચાસ હજાર અને એનાં બાળકોને પાંચ લાખ રૂપિયાનું વળતર ચુકવવાનો આદેશ વીમા કંપનીને અપાયો છે.
હવે એક બીજા કેસની વાત કરીએ, જે સહેજ જુદા પ્રકારનો છે, પણ અહીં એની વાત કરીને તમારો અભિપ્રાય જાણવો છે. આ કેસ હજી અદાલતમાં નથી ગયો, પણ સાંભળનારા જુદાજુદા મત આપી રહ્યા છે. ઠીકઠીક ગણાય એવી આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારે એમનાથી વધુ ઊંચું સામાજિક અને આર્થિક સ્ટેટસ ધરાવતા ફેમિલીમાં પોતાની દીકરીનાં લગ્ન કર્યાં. વિદેશમાં હનીમૂન ઉજવીને પાછી ફરેલી યુવતીએ કદાચ માની લીધું હશે કે ઘરમાં પૈસાની ખોટ નથી તો એણે બહાર કામ કરવા જવાની જરૂર નથી.
ઘરમાં નોકર અને રસોયાની સવલત પહેલેથી હતી. એટલે ઘરની અંદર પણ આરામ હતો. તે બેઠીબેઠી ટીવી જુએ, ફોન પર ગપ્પાં મારે, ઓનલાઇન શોપિંગ કરે કે સોશિયલ નેટવર્ક પર ટાઇમ પસાર કરે. સાંજ પડે એટલે પતિને ઓફિસમાં ફોન કરવાનું શરૂ કરે કે ક્યારે આવશે, સાંજે શું કરીશું. પતિ કામમાં વ્યસ્ત હોય તો ફોન રિસીવ ન કરે કે કોઈ વાર અકળાઈ જાય. એમાંથી પછી તકરાર ઊભી થાય. થોડો સમય આ તમાશો જોઈ રહેલી સાસુએ છેવટે પુત્રવધૂને પણ ઘરની બહાર કોઈ કામ શોધી લેવાનો આગ્રહ કર્યો. સાસુ પોતે વર્ષોથી નોકરી કરે છે. એ પહેલેથી માનતાં હતાં કે નવરાં બેઠાં માણસનું દિમાગ ખરાબ થાય અને બીજા પ્રોબ્લેમ્સ ઊભા થાય. નોકરી નહિ તો કોઈ બીજી સામાજિક પ્રવૃત્તિ કરવી જોઈએ.
દોઢ વર્ષની અંદર લગ્નજીવન ભાંગી ગયું. ડિવોર્સના કિસ્સામાં બંને પક્ષ એકમેક સામે જાતજાતની ફરિયાદો કરે છે. આ કેસમાં કન્યાપક્ષવાળાની એક ફરિયાદ એવી છે કે તેમણે દીકરીને કામ કરવા નહોતી પરણાવી. ઓનલાઇન શોપિંગ માટે છોકરી ઘણીવાર પોતાના કમાયેલા પૈસા વાપરતી હતી, એ વાત પણ તેને અને તેની મમ્મીને વાંધાજનક લાગતી હતી. કારણ કે એમના માનવા મુજબ લગ્ન પછી પત્નીના બધા શોખ પૂરા કરવાની જવાબદારી માત્ર પુરુષની હોય.
અફકોર્સ ડિવોર્સ પાછળ બીજાં કારણો જવાબદાર હશે, જેના વિશે બહારના લોકોને ખબર ન પડે. પણ આ ફરિયાદ થોડી વિચિત્ર તો લાગી. હવે આ કેસ જો કોર્ટમાં જાય તો જજ શું કહે? ગૃહિણીને પરાણે નોકરી કરાવવાના ‘અપરાધ’ બદલ પતિ- સાસુને ગુનેગાર ઠરાવી શકાય?
પહેલી નજરે આ ડિવોર્સ કેસ, ફાતિમાના કેસથી સાવ જુદો છે, પણ બંને વિશે સાંભળ્યા પછી સવાલ તો થાય કે, આ બીજા કિસ્સામાં ઘરની અંદર સ્ત્રીના કામનું મૂલ્ય આંકવાનું આવે તો કોર્ટ શું કહે?
e.mail : viji59@msn.com
સૌજન્ય : ‘સામાજિક સવાલ’, “દિવ્ય ભાસ્કર”, 22 ડિસેમ્બર 2017