તમારા હાથમાં સેંકડો અર્નબ ગોસ્વામીઓ છે, હજારો હાથવગાં અખબારો છે, સેંકડો ટ્રોલ્સની આર્મી છે, લાખો વફાદાર ભક્તો છે અને છતાં એક ન્યુઝ-પોર્ટલ ભારે પડે? આ કઈ તાકાત છે? thewire.in સામે જય અમિતભાઈ શાહે સો કરોડ રૂપિયાનો બદનક્ષીનો કેસ કર્યો છે. આ પહેલાં thewire.in સામે ઝી ટીવીવાળા સુભાષ ગોયલ અને અર્નબ ગોસ્વામી બ્રૅન્ડ રિપબ્લિક ટીવી-ચૅનલના માલિક રાજીવ ચંદ્રશેખર સો-સો કરોડ રૂપિયાના બદનક્ષીના કેસ કરી ચૂક્યા છે. સુભાષચંદ્ર ગોયલ BJPની કૃપાથી રાજ્યસભાના સભ્ય છે અને રાજીવ ચંદ્રશેખર તો BJPના સંસદસભ્ય છે.
thewire.in એક અખબાર છે જે ડિજિટલ ફૉર્મેટમાં પ્રકાશિત થાય છે અને એને માત્ર ઇન્ટરનેટ દ્વારા જ વાંચી શકાય છે. એને છાપાની જેમ હાથમાં લઈને વાંચી શકાતું નથી કે ટીવી-ચૅનલોની જેમ જોઈ શકાતું નથી. આ છાપું વાંચવા માટે પહેલી શરત એ છે કે તમારી પાસે ઇન્ટરનેટ હોવું જોઈએ. દેખીતી રીતે ભારતમાં બહુ ઓછા લોકો હશે જે ઈન્ટરનેટ ધરાવે છે અને ડિજિટલ છાપાં વાંચતા હશે. આને ટેલિકૉમની ભાષામાં પોર્ટલ કહેવામાં આવે છે. ટૂંકમાં thewire.in ઇન્ટરનેટ પર વાંચી શકાય એવું ન્યુઝ પોર્ટલ છે જેને આધુનિક ટેક્નૉલૉજી ધરાવનારાઓ અને વાપરનારાઓ વાંચે છે.
આવાં ન્યુઝ પોર્ટલોની વિશેષતા એ છે કે એને ચલાવનારા લોકો જો પોતાને વેચવા માગતા હોય તો વેચાઈ શકે છે, પરંતુ જો તેઓ વેચાવા ન માગતા હોય, ટટ્ટાર ઊભા રહેવાની હિંમત અને પ્રામાણિકતા ધરાવતા હોય તો કોઈ તેમને ઝુકાવી શકતું નથી કે ખરીદી શકતું નથી. ન્યુઝ પોર્ટલ ઓછા રોકાણે અને ઓછા ખર્ચે ચાલે છે એટલે એને સરકાર માઈબાપ અને ઍડ્વર્ટાઇઝરોની કૃપાદૃષ્ટિની ખાસ જરૂર પડતી નથી. આ ઉપરાંત સરકારી અંકુશો અને વ્યવસ્થાકીય અડચણો એને ઓછી નડે છે. જેટલું નાણાકીય રોકાણ ઓછું અને જેટલું બીજાઓ પરનું અવલંબન ઓછું એટલી સ્વતંત્રતા વધારે. હા, અંદરની પ્રામાણિકતા હોવી જોઈએ અને ન્યુઝ પોર્ટલ ચલાવનારાઓમાંથી કેટલાક એવી પ્રામાણિકતા ધરાવે છે. કેટલાક પત્રકારો ધોરીમાર્ગનું પત્રકારત્વ છોડીને પોર્ટલમાં જોડાયા છે, કારણ કે ત્યાં તેમને સમાધાનો કરવાં નથી પડતાં. દેખીતી રીતે ન્યુઝ પોર્ટલોની વિશ્વાસાર્હતા વધુ હોવાની જો એને ચલાવનારાઓ પ્રામાણિક હોય. આને કારણે જગતભરમાં ન્યુઝ પોર્ટલોની સંખ્યા અને એના વાચકોની સંખ્યા વધી રહી છે.
ન્યુઝ પોર્ટલોના જર્નલિઝમનું સૂત્ર બહુ સ્પષ્ટ છે- ઓછી નિર્ભરતા, વધુ સ્વતંત્રતા. દાયકા પહેલાં ‘તહલકા’ સાપ્તાહિકના ભૂતપૂર્વ તંત્રી તરુણ તેજપાલે કહ્યું હતું કે જો વાચક સંપૂર્ણપણે તટસ્થ અખબાર વાંચવા માગતો હોય તો તેણે ૪૮ પાનાંના છાપાના ૨૦થી ૨૫ રૂપિયા ખર્ચવાની તૈયારી રાખવી જોઈએ. આટલી તો સારા છાપાની પડતર કિંમત છે. જો ત્રણ રૂપિયામાં અખબાર જોઈતું હોય તો એ સરકાર અને શેઠિયાઓ દ્વારા પ્રભાવિત હોવાનું જ, કારણ કે બાકીનો ખર્ચો અને નફો તેમની પાસેથી આવે છે. ભારતમાં તમામ (હા, તમામ. તમામ શબ્દ સભાનતાપૂર્વક વાપર્યો છે) અખબારો અને ન્યુઝ-ચૅનલો સરકાર અને શેઠિયાઓનાં સ્થાપિત હિતો દ્વારા અભડાયેલાં છે. આની વચ્ચે છેલ્લા બે દાયકામાં ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીનો વિકાસ થયો અને ન્યુઝ પોર્ટલોનો વિકલ્પ સામે આવી ગયો. અત્યારે મફત અને ભવિષ્યમાં કદાચ મામૂલી કિંમતે ટકોરાબંધ પ્રામાણિક અખબાર મળી શકશે.
આમ thewire.in આવું એક ન્યુઝ પોર્ટલ છે જેને પત્રકારત્વના ઊંચા માપદંડો ધરાવનારા પત્રકારોએ મળીને શરૂ કર્યું છે. કોઈ શેઠ નથી કે કોઈ શેઠની મૂડી નથી. જાહેર જનતા પાસેથી ફન્ડ માગવામાં આવે છે અને દેશના જાગ્રત નાગરિકો પૈસા આપે પણ છે. તો thewire.in નામના ન્યુઝ પોર્ટલે પખવાડિયા પહેલાં એક સ્ટોરી રિલીઝ કરી હતી કે BJPના પ્રમુખ અમિત શાહના પુત્ર જય શાહે ફાઇલ કરેલા રિટર્ન મુજબ તેમની ટેમ્પલ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ ૨૦૧૪-’૧૫ના નાણાકીય વર્ષમાં માત્ર ૫૦ હજાર રૂપિયાનો ધંધો કર્યો હતો અને ૧૮,૭૨૮ રૂપિયાનો નફો બતાવ્યો હતો. મુંબઈના પાનવાળા કરતાં પણ ઓછો ધંધો કરનારા અને કમાનારા જય શાહને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક એક્ઝિક્યુટિવ તેમ જ રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીના વેવાઈ રાજેશ ખંડેલવાલ પાસેથી ૧૫ કરોડ ૭૮ લાખ રૂપિયાની અનસિક્યૉર્ડ લોન મળે છે. સ્ટોરીનો પહેલો ભાગ અહીં પૂરો થાય છે.
સ્ટોરીનો બીજો ભાગ એ છે કે ૨૦૧૪-’૧૫ના નાણાકીય વર્ષમાં માત્ર ૫૦ હજાર રૂપિયાનો ધંધો કરનારી અને મહિને દોઢ હજાર કમાનારી કંપની માત્ર એક વર્ષમાં એટલે કે ૨૦૧૫-’૧૬ના નાણાકીય વર્ષમાં ૮૦ કરોડ ૫૦ લાખનો ધંધો બતાવે છે. એક વરસમાં ધંધામાં ૧૬ હજાર ગણો વધારો. સ્ટોરીનો ત્રીજો ભાગ એ છે કે જય શાહે ૨૦૧૫માં કુસુમ ફિન્સર્વ નામની કંપનીની સ્થાપના કરી હતી. શૅરબજારમાં ધંધો કરતી એ કંપની વીજળી ઉત્પાદનના ધંધામાં પ્રવેશે છે અને એને પણ રાજેશ ખંડેલવાલ તરફથી, કાળુપુર કોઑપરેટિવ બૅન્ક તરફથી અને ભારત સરકારની ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી તરફથી અનસિક્યૉર્ડ લોન મળવા લાગે છે. ટૂંકમાં પાનવાળા કરતાં પણ ઓછું કમાનારા જય શાહ માત્ર બે વરસમાં અબજો રૂપિયાના આસામી બની જાય છે. પરમ આશ્ચર્ય હવે આવે છે. ગયા વરસના ઑક્ટોબર મહિનામાં (મહિનો યાદ રાખજો) ટેમ્પલ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડે અચાનક ઘંધો સમેટી લીધો અને જાહેર કર્યું કે કંપનીની બધી મૂડી ધોવાઇ ગઈ છે અને કંપનીએ એક કરોડ ચાલીસ લાખ રૂપિયાનું નુકસાન કર્યું છે. આ ઑક્ટોબર મહિનાની ઘટના છે અને નવેમ્બર મહિનાની આઠમી તારીખે નોટબંધીની જાહેરાત કરવામાં આવી.
આ સમાચાર પ્રસારિત થયા અને ધરતી ધ્રૂજી ગઈ. રાતોરાત રાહુલ ગાંધીને ઘેરવા માટે તેમના મતદારક્ષેત્ર અમેઠી મોકલવામાં આવ્યા. અચાનક રૉબર્ટ વાડ્રાને યાદ કરવામાં આવ્યા. ત્રીસ વરસ જૂના બોફોર્સ-કૌભાંડને યાદ કરવામાં આવ્યું હતું. ૧૨ વરસ પહેલાં દિલ્હીની વડી અદાલતે બોફોર્સ-કૌભાંડના કેટલાક આરોપીઓને ક્લીન ચિટ આપી હતી. હવે ૧૨ વરસ પછી CBI આરોપીઓ વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાની છે. અચાનક તાજમહલનો વિવાદ પેદા કરવામાં આવ્યો અને દિવાળી ટાણે અયોધ્યામાં ગોમતીના ઘાટે અને સમગ્ર શહેરમાં લાખો દીવા પ્રગટાવીને રોશની કરવામાં આવી. બિકાઉ ટીવી-ચૅનલો કાં તો વિવાદ જોઈને એક પક્ષે ભસતી રહે અથવા ઇવેન્ટની ચકાચૌંધ બતાવીને દર્શકને રોકાયેલો રાખે. હદ તો ત્યારે થઈ કે વડા પ્રધાન એક મહિનામાં ચાર વખત ગુજરાત આવી ગયા અને ચૂંટણી-કમિશનર પાસેથી ઉછીનો સમય માગીને રૅલી અને ખેરાત કરવામાં આવી.
એક ન્યુઝ પોર્ટલની આટલી અસર? ન્યુઝ પોર્ટલ નથી ધોરણસરનું અખબાર કે નથી ટીવી ન્યુઝ-ચૅનલ. તમારા હાથમાં સેંકડો અર્નબ ગોસ્વામીઓ છે, હજારો હાથવગાં અખબારો છે, સેંકડો ટ્રોલ્સની આર્મી છે, લાખો વફાદાર ભક્તો છે અને છતાં એક ન્યુઝ પોર્ટલ ભારે પડે? આ કઈ તાકાત છે? thewire.in સામે જય અમિતભાઈ શાહે ૧૦૦ કરોડ રૂપિયાનો બદનક્ષીનો કેસ કર્યો છે અને અમદાવાદના કોઈ મૅજિસ્ટ્રેટનો પોર્ટલ સામે વધુ કાંઈ છાપવા સામેનો મનાઈહુકમ લઈ આવ્યા છે. આ કઈ તાકાત છે અને એ ક્યાંથી આવે છે? આ પહેલાં thewire.in સામે ઝી ટીવીવાળા સુભાષ ગોયલ અને અર્નબ ગોસ્વામી બ્રૅન્ડ રિપબ્લિક ટીવી-ચૅનલના માલિક રાજીવ ચંદ્રશેખર સો-સો કરોડ રૂપિયાના બદનક્ષીના કેસ કરી ચૂક્યા છે. સુભાષચંદ્ર ગોયલ BJPની કૃપાથી રાજ્યસભાના સભ્ય છે અને રાજીવ ચંદ્રશેખર તો BJPના સંસદસભ્ય છે. સુનાવણી દરમ્યાન સુભાષચંદ્ર ગોયલના ધ્યાનમાં આવ્યું હતું કે આમાં કંપનીની રેવડી દાણાદાણ થઈ રહી છે અને પોતાના હાથે જ પોતાની બદનક્ષી થઈ રહી છે એટલે તેમણે કેસ પાછો ખેંચી લીધો હતો. રાજીવ ચંદ્રશેખર અને જયભાઈના કેસ ચાલવાના હજી બાકી છે.
ત્રણ-ત્રણ મહારથીઓએ એક ન્યુઝ પોર્ટલ સામે સો-સો કરોડ રૂપિયાના બદનક્ષીના કેસ કરવા પડે અને વડા પ્રધાને, અમિત શાહે તેમ જ BJPએ ડૅમેજ કન્ટ્રોલ કરવા આગરાથી અયોધ્યા વાયા અમેઠી ભાગવું પડે, ગુજરાત અને ગાંધીનગર ભાગવું પડે એવું કેમ બન્યું? ક્યાંથી આવે છે આ તાકાત? આ તાકાત ન્યુઝ પોર્ટલની છે કે સત્યની છે કે પછી બન્ને મળીને છે?
આ તાકાત બન્ને મળીને છે. સત્યની તો પોતાની તાકાત છે જ અને એને છુપાવી નથી શકાતી કે નથી દબાવી શકાતી. ભગવાન બુદ્ધે કહ્યું છે કે સૂર્ય, ચંદ્ર અને સત્યને છુપાવી નથી શકાતાં કે નથી એેનાથી કાયમ માટે બચી શકાતું. એ પ્રગટ થશે થશે અને થશે, માત્ર થોડો વખત લાગે એટલું જ. તો સત્યની તાકાત તો નિર્વિવાદ છે. એમાં જો કોઈ પ્રામાણિક માધ્યમ સત્યનું વાહક બન્યું હોય તો પછી એ સત્ય શસ્ત્ર બની જતું હોય છે. એક વાર ડો. રામમોહન લોહિયાએ ગાંધીજીને પૂછ્યું હતું કે બાપુ નથી તમારી પાસે કોઈ જાદુઈ વ્યક્તિત્વ, નથી વાક્ચાતુર્ય કે નથી અદ્ભુત વક્તૃત્વ શક્તિ. આમ છતાં તમે દેશના કરોડો લોકોનો વિશ્વાસ કેવી રીતે સંપાદિત કરો છો? એવું શું કે છે કે પ્રજા તમારો પડ્યો બોલ ઝીલે છે? ગાંધીજીએ ઉત્તર આપ્યો હતો કે આનો જવાબ તો તમારે શોધવો જોઈએ, પરંતુ એક જવાબ હું જાણું છું. દેશની જનતાને ખાતરી છે કે આ માણસ જે સત્ય છે એ જ બોલશે અને બોલશે તો કરીને રહેશે. ગાંધીજી પોતાના જમાનામાં ઇતિહાસના સૌથી લોકપ્રિય માણસ હતા. એ સમયે આજના જેટલા સંદેશવાહક માધ્યમો નહોતાં એ છતાં પણ.
આમ સત્યની પોતાની શક્તિ અમાપ છે અને જો એને અભિવ્યક્ત કરવા જેટલી અને અનુસરવા જેટલી પ્રામાણિકતા હોય તો સામે પક્ષે અસત્યની ગમે એવડી મોટી તાકાત હોય તો પણ એ ઝાંખી પડે છે.
આ તો સનાતન સત્યની વાત થઈ. એક વર્તમાન સત્યની વાત પણ સમજી લેવી જરૂરી છે. કોઈ ચીજ જાણવા-સમજવા માટે એક સમયે અખબારો અને સામયિકો પર ભરોસો મૂકવામાં આવતો હતો. એ સો ટકા ભરોસાપાત્ર માધ્યમો તો નહોતાં, પણ ઠીક-ઠીક પ્રમાણમાં ભરોસાપાત્ર માધ્યમો હતાં. છેલ્લા દોઢ દાયકા દરમ્યાન ચોવીસ કલાકની ચૅનલો આવી એ પછીથી પત્રકારત્વનો ચહેરો બદલાવા લાગ્યો. જેમનાં સ્થાપિત હિતો છે એવા નવશ્રીમંતો અખબારો અને ચૅનલો ખરીદવા લાગ્યાં. આજે સ્થાપિત હિતો ભારતનાં ૯૦ ટકા અખબારો અને ચૅનલોના માલિકો છે. તેમણે ડિજિટલ મીડિયામાં પણ પ્રવેશ કર્યો છે. સમાચાર હવે પેદા કરી શકાય છે, ઊપજાવી શકાય છે. સમાચારનું હવે સ્વરૂપ બદલી શકાય છે. સમાચાર સામે બીજા સમાચાર મૂકીને ઘોંઘાટ પેદા કરીને દબાવી શકાય છે. સમાચારને પ્રસારિત નહીં કરીને મારી શકાય છે. માફક ન આવે એવા સમાચાર લઈ આવનારને ખરીદી શકાય છે, ધમકાવી શકાય છે અન જરૂર પડે તો મારી પણ શકાય છે. જય શાહના સમાચાર સામે તાજમહલના સમાચાર પેદા કરીને સમાચારને ભૂલવાડી શકાય છે.
આ બધું જ કરવામાં આવી રહ્યું છે એવી શ્રદ્ધાથી કે સત્ય ચોક્કસ મરી જશે. આવી જ શ્રદ્ધાથી તો ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી કે ગાંધીના મરવાથી તેમના વિચાર મરી જશે. છેલ્લાં દસ વરસ દરમ્યાન ફેસબુક, ટ્વિટર, વૉટ્સઍપ જેવાં માધ્યમો આવ્યાં. સ્થાપિત હિતોએ એનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. ફરી પાછી એ જ શ્રદ્ધા હતી કે સત્ય જરૂર મરી જશે. જેમ સહરાના રણમાં તરસ લાગે અને જેવી તીવ્રતાથી પાણી શોધવામાં આવે એમ અસત્યના મહાસાગરમાં એટલી જ તીવ્રતાથી સત્યનો ટાપુ શોધવામાં આવે છે. એક તો શું બની રહ્યું છે એની વાસ્તવિકતાની ખોજ અને એમાં ડિજિટલ મીડિયા સોંઘાં પણ છે અને લગભગ અંકુશમુક્ત હાથવગાં છે. જગત આખામાં મીઠા પાણીના વીરડા શોધવામાં આવી રહ્યા છે અને ડિજિટલ એજમાં એ આસાનીથી ઉપલબ્ધ થઈ રહ્યા છે.
હવે સત્યને ગોપિત કરી રીતે રાખવું? હવે સત્યને કઈ રીતે દબાવવું? હવે અસત્યને લાંબા સમય સુધી કઈ રીતે ચલણમાં રાખવું? હવે મહોરાંઓને લાંબો સમય કઈ રીતે ચહેરા પર ટકાવી રાખવાં? એક વાયર ખેલ બગાડી શકે છે. માધ્યમ તો એ જ છે. જે ફરક છે એ સત્ય અને અસત્યનો છે. એક બાજુ ભારતનો નાગરિક ઊપજાવી કાઢેલા ઘોંઘાટ સામે સ્વસ્થ અને સાચા અવાજની ખોજ કરી રહ્યો છે અને હવે તેને એ ઉપલબ્ધ થઈ રહ્યાં છે. અંતિમ વિજય સત્યનો હશે. કેવળ એટલા માટે નહીં કે એ સનાતન સત્ય છે. એ સનાતન સત્ય તો છે જ, પણ એનાથી વધુ એ આજની જરૂરિયાત છે અને હવે દબાવી કે ખરીદી ન શકાય એવાં પ્લૅટફૉર્મ હાથ લાગી રહ્યાં છે.
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 22 અૉક્ટોબર 2017