સરકાર તરફથી રોજગારી પૂરી પાડવામાં આવશે, એવાં વચન તો ઘણાં કરવામાં આવે છે, છતાં પણ રોજગારી એ એક દિવાસ્વપ્ન જેવી સાબિત થઈ રહી છે. આ પરિપ્રેક્ષ્યમાં સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે વર્ષ ૨૦૧૮માં પણ નવી રોજગારીનું સર્જન થવાની સંભાવનાઓ ન્યૂનતમ છે. સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રોમાં જે રોજગારી હતી, તે પણ હવે ધીરે-ધીરે ખતમ થઈ રહી છે. આવામાં કૃત્રિમ બુદ્ધિ ધરાવતાં રોબોટ પણ યુવા ભારત માટે એક મોટો પડકાર બનીને સામે આવી રહ્યાં છે.
વર્તમાનમાં જે પણ આર્થિક સર્વે આવી રહ્યાં છે, તે મુજબ નવી નોકરીઓનું સર્જન સરકારી ક્ષેત્રની સાથે ખાનગી ક્ષેત્રમાં પણ એક મોટો પડકાર બનીને ઊભું છે. જ્યારે મોટી સંખ્યામાં શિક્ષિત યુવાઓ નોકરીની શોધમાં છે. આવી વિકટ સ્થિતિમાં યુવાઓ નોકરી મેળવવાનાં સ્વપ્નથી પર સ્વાવલંબનનાં અન્ય ઉપાય નહિ શોધે તો તેમનાં માટે આર્થિક સ્વાવલંબન એ એક પડકાર બની જશે. જો યુવાઓ દ્રઢ નિર્ણયશક્તિની સાથે રોજગારી માંગવાની જગ્યાએ રોજગારી આપવાની દિશામાં આગળ વધશે તો આ સલાહ શરૂઆતમાં થોડી અઘરી જરૂર લાગશે, પણ તેમાં લક્ષ્ય નક્કી છે. આમ પણ વર્તમાન નીતિગત ઉપાયો અને કૃત્રિમ બૌદ્ધિકતા (આર્ટીફીશિયલ ઈન્ટેલીજન્સ)ને સંરક્ષણ આપવાનાં કારણે આ આશંકા પ્રબળ છે કે જે પ્રમાણે બેરોજગારી છે, તેની સરખામણીમાં નવી રોજગારીઓનું સર્જન એ હવે કેન્દ્ર અને રાજ્ય સરકારનાં વશની વાત નથી રહી. આવામાં આર્થિક ઉદારવાદ લાગુ થયો ત્યાર બાદથી ઔદ્યોગિક ક્ષેત્રનાં હિત સાધવા માટે પારંપરિક રોજગારીનો જે રીતે અનાદર કરવામાં આવ્યો છે, તેનાથી ગ્રામીણ ક્ષેત્રોમાં પણ રોજગારીનું મોટું સંકટ પેદા થયું છે. આ જોતાં ફરી એક વખત તે જરૂરિયાતનો અનુભવ થઈ રહ્યો છે કે યુવાઓ લઘુ અને કુટિર ઉદ્યોગોના મહત્ત્વને ઓછું આંકે નહિ.
ભારત પ્રાચીનકાળથી ૧૭મી સદી સુધી વિશ્વની મોટી અર્થવ્યવસ્થા હતો. પ્રચુર માત્રામાં દરેક હાથને રોજગારી ઉપલબ્ધ હતી. આ દરમિયાન મુખ્યત્વે રોજગારી કૃષિ, પશુધન અને અન્ય પારંપરિક રીતે મળતી હતી. રોજગાર માટે સામાજિક સંરચના હતી, જેનાં આધાર પર વસ્તુઓનું ઉત્પાદન થતું હતું. આ કાર્ય સંસ્કૃિત સ્થાનીય સંસાધનો થકી આગળ વધતી હતી. કૃષિની સાથે-સાથે વેપારી સંઘ પણ હતા, જે દેશની સાથે વિદેશમાં પણ ઉત્પાદિત માલ નિકાસ કરવાનો રસ્તો બતાવતા હતા. આ દેશપ્રેમી ઉપાયોને કારણે ભારત 18મી સદી સુધી વૈશ્વિક ઉત્પાદનમાં અગ્રણી રહ્યું. વસ્ત્ર ઉદ્યોગમાં ઢાકાનું મલમલ, બનારસની સિલ્ક અને ચંદેરીની સાડીઓ દુનિયાભરમાં પ્રખ્યાત હતી. આભૂષણ, ધાતુ, માટીનાં વાસણ, ખાંડ, તેલ અને અન્ય ઉત્પાદનમાં સંકળાયેલા ઉદ્યોગ ખૂબ વિકાસ પામી રહ્યા હતા. જેનાં કારણે 18મી સદી સુધી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતનો હિસ્સો ૨૫ ટકા જેટલો હતો. પણ, ભારતમાં અંગ્રેજોનું શાસન આવ્યા બાદ નીતિગત અને દમનકારી નીતિના ઉપાયો મારફતે લઘુ અને કુટિર ઉદ્યોગને ખત્મ કરવાનો ઘટનાક્રમ શરૂ થઈ ગયો. અંગ્રેજોએ પક્ષપાતપૂર્ણ નીતિનો ઉપયોગ કરીને જ્યારે ભારતીય ઉદ્યોગ ધંધાને નષ્ટ કરી દીધો, ત્યારે ભારતમાં મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થઈ ગયાં. તેના પરિણામે ભારત ઔદ્યોગિક રાષ્ટ્રથી ગરીબ અને લાચાર રાષ્ટ્ર બની ગયું, જેના કારણે સમયાંતરે બેરોજગાર એક મોટી સમસ્યા બનતી ગઈ.
સરકાર તરફથી રોજગારી પૂરી પાડવામાં આવશે એવાં વચન તો ઘણાં કરવામાં આવે છે, છતાં પણ રોજગારી એ એક દિવાસ્વપ્ન જેવી સાબિત થઈ રહી છે. આ પરિપ્રેક્ષ્યમાં સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે વર્ષ ૨૦૧૮માં પણ નવી રોજગારીનું સર્જન થવાની સંભાવનાઓ ન્યૂનતમ છે. નોટબંધી અને જી.એસ.ટી.નાં કારણે અર્થવ્યવસ્થામાં મંદી જોવા મળી રહી છે. સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રોમાં જે રોજગાર હતા તે પણ હવે ધીરે-ધીરે ખત્મ થઈ રહ્યા છે. તેવામાં કૃત્રિમ બુદ્ધિ ધરાવતાં રોબોટ પણ યુવા ભારત માટે એક મોટો પડકાર બનીને ઊભા છે. કૃત્રિમ બુદ્ધિનું તાત્પર્ય છે એવી બુદ્ધિ કે જે માનવ મસ્તિષ્કની જેમ કાર્ય કરે છે. નિર્માણ કંપનીઓમાં તો રોબોટ સમાન ઉપાડવાનું-ગોઠવવાનું કાર્ય કરી રહ્યાં છે, અને હવે તો આપમેળે ચાલે એવી ગાડીઓ પણ આવવા માંડી છે. એક અનુમાન મુજબ અમેરિકામાં ચાલકવિહીન ગાડીઓનાં કારણે માત્ર ડ્રાઇવરનાં ક્ષેત્રમાં જ નહિ, પણ અન્ય ઘણા પ્રકારની રોજગારીઓમાં ૧૦ ટકા જેટલો ઘટાડો થવાની સંભાવનાઓ રહેલી છે. ભારતમાં ગાડીઓનું નિર્માણ કરતી ઘણી એવી કંપનીઓ છે કે જે ચાલકવિહીન ગાડીઓ બનાવવાના પ્રયાસ કરી રહી છે. પરંતુ, આજકાલ જે પ્રમાણે રોજગારીનાં મુદ્દા ઊઠી રહ્યા છે તે જોતા સરકારે કહ્યું છે કે આ પ્રકારની ગાડીઓને બજારમાં લાવવામાં નહિ આવે. પરંતુ, ઔદ્યોગિક કંપનીઓ સમક્ષ સરકાર કેટલાં સમય સુધી આ ગાડીઓના નિર્માણ પર અંકુશ બનાવી રાખે છે, તે અંગે અત્યારે કશું પણ કહેવું અઘરું છે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં રીપોર્ટ પ્રમાણે જાન્યુઆરી ૨૦૧૬ સુધી રોબોટ 50 લાખ લોકોની રોજગારી છીનવી ચૂક્યા છે. આ કૃત્રિમ બૌદ્ધિકતા દેશની નિર્માણ કંપનીઓને મશીનીકરણ તરફ વાળી રહી છે. ઈંટેલ ઇન્ડિયાએ ભારતના ચાળીસ વૈજ્ઞાનિકોને આર્ટીફીશિયલ ઈન્ટેલીજન્સની તાલીમમાં લગાવી દીધા છે. જે શૈક્ષણિક સંસ્થાઓ, સ્વાસ્થ્ય, રક્ષા-ટેક્નિક, હવામાન, નાણાકીય અને બેન્કિંગ સહિત પચાસ અન્ય સંસ્થાનોમાં રોબોટ થકી કામ લેવાની તૈયારીમાં વ્યસ્ત છે. સ્વાભાવિક છે કે જો આ ક્ષેત્રોમાં સમય જતાં કૃત્રિમ બુદ્ધિથી પરિપૂર્ણ રોબોટ ઉતારવામાં આવશે તો રોજગારીની સમસ્યા વધુ વિકટ બનશે.
એવું કહેવાય છે કે ભારતમાં ૬૫ ટકા યુવાઓની આબાદી છે. જે હિસાબે લગભગ 81 કરોડ લોકો યુવા છે. ભલે આટલાં લોકો યુવાન હોય પરંતુ તેઓ બેરોજગાર નથી. ભારતમાં જે યુવાઓ ૧૫થી ૨૯ વચ્ચેની વયનાં છે તેઓમાં ૩૦.૨૮ ટકા પાસે રોજગાર નથી. બેરોજગારીના આ ભારથી છૂટવા માટે યુવાઓની માનસિકતા અને વ્યાપારિક વાતાવરણ વિકસિત કરવાની જરૂરિયાત છે. જો આ ઉદ્યમ વિકસિત થશે તો યુવાઓ સરકારી ઓફિસો અને ખાનગી કંપનીઓના દ્વાર પર ઊભા રહેલા જોવા નહિ મળે. આ હેતુસર પારંપરિક લઘુ અને કુટિર ઉદ્યોગોને રોજગાર કેન્દ્રિય બનાવવા પડશે. જે પ્રકારે સરકાર સ્ટાર્ટઅપ અને સ્ટેન્ડઅપ યોજનાઓને પ્રોત્સાહન આપી રહી છે, તે રીતે લઘુ અને કુટિર ઉદ્યોગોને પણ પ્રોત્સાહિત કરવા પડશે.
વર્તમાનમાં ભૂમંડલીકરણને જોતાં દુનિયાને વૈશ્વિક ગ્રામમાં બદલવાના પડકારના લીધે પ્રતિસ્પર્ધા વધી છે. આ હેતુસર યુવા ઉદ્યમીઓએ વ્યાપારિક સુગમતા માટે પણ કૌશલ વિકાસ થકી સાર્થક પ્રયાસ કરવા પડશે. આ ઉદ્યમીઓએ વૈશ્વિક વેપારની ધરાતલ પર પણ હસ્તક્ષેપ માટેના રસ્તા સરળ બનાવવા પડશે. વધતી જતી પ્રતિસ્પર્ધા અને સતત બદલાતી ટેક્નિકનાં કારણે નવા બદલાવને પણ સમજવાની જરૂરિયાત છે. આ હેતુ પૂર્ણ કરવા માટે ‘એક્ટીવ લર્નિંગ’ એટલે કે ‘સક્રિય વિદ્વતા’ને પણ પ્રોત્સાહન આપવું પડશે. જેનાથી ઉદ્યમી બદલાઈ રહેલી ટેક્નિક, વસ્તુ અને પરિસ્થિતિમાં સક્રિયતાની સાથે પોતાને ઢાળશે. માત્ર ‘એક્ટીવ લર્નિંગ’ માટે તૈયાર રહેવા માટે નહિ પણ નવા-નવા પડકાર થકી યુવા ભવિષ્યમાં સામનો કરી શકશે.
ભારતમાં ક્યારે ય પણ રોજગારીની આટલી વિકટ સમસ્યા રહી નથી, જે અત્યારે જોવા મળી રહી છે. માહિતી પ્રસારણ અને અધ્યાપનનાં ક્ષેત્રમાં પણ રોજગારી ઓછી થઈ રહી છે. જે રીતે આઈ.ટી. કંપનીઓમાં છટણી થઈ રહી છે અને એન્જિનિયરીંગ તેમ જ એમ.બી.એ. કોલેજો બંધ થવાના સમાચાર મળી રહ્યા છે, તે જોતાં યુવાઓએ સુવિધાનાં ક્ષેત્ર(કમ્ફર્ટ ઝોન)માંથી બહાર નીકળવું પડશે. કઠિન અને જોખમભર્યા ક્ષેત્રમાં રોજગારી શોધવી પડશે. એક આંકડા પ્રમાણે જે ક્ષેત્રમાં રોજગારી પર સંકટ તોળાઈ રહ્યું છે તેવાં ક્ષેત્રમાં 18 ટકા યુવાઓએ રોજગારી મેળવી છે. ફિક્કીના એક રીપોર્ટ પ્રમાણે જે ક્ષેત્ર કઠિન છે તેવા ક્ષેત્રમાં યુવાઓ એક પડકાર તરીકે રોજગારી શોધી રહ્યા છે. તેના સકારાત્મક પરિણામો પણ જોવા મળ્યાં છે.
એવી આશા સેવવામાં આવી રહી છે કે જો યુવાઓ આ પ્રકારનાં કઠિન ક્ષેત્રમાં રોજગારી શોધવાનું ચાલું રાખશે તો આગામી સમયમાં યુવાઓને સરકારી અને ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવવાની આશાએ બેસી નહિ રહેવું પડે. જો ખરેખરમાં યુવાઓ સ્વરોજગાર તરફ વધી રહ્યા છે તો એવી આશંકા પ્રગટ કરવામાં આવી રહી છે કે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જ નહિ થાય કે જેમાં વર્ષ ૨૦૨૫ દરમિયાન નવા દસ કરોડ યુવાઓ રોજગારીની કતારમાં ઊભા હશે.
અનુવાદ – નિલય ભાવસાર
e.mail : nbhavsarsafri@gmail.com