દીવા જેવું ઉઘાડું સત્ય નજરે પડતું હોય અને એ સત્ય છે એની ખાતરી હોય તો વારંવાર થાક્યા વિના એને કહેતા રહેવું જોઈએ. સત્ય એ છે કે બાલાકોટની આગળ ડૅડ એન્ડ છે. એવો ડૅડ એન્ડ નથી કે આગળ જઈ જ ન શકાય, પણ આગળ વધવામાં દોજખ સિવાય કાંઈ હાથ આવવાનું નથી. જે સમજે છે, વિચારે છે અને વિવેકી છે તેમણે મોટે મોટેથી ચેતવણી આપવી જોઈએ. શાસકોને નહીં, શાસકો કરતાં વધુ પ્રજાને. માટે ભારતે બે કામ કરવાં જોઈએ. એક એ કે ભારતે જે હુમલો કર્યો હતો એ સ્વરક્ષણ માટેનો હતો, એ તેનો અધિકાર છે અને બીજા દેશોએ પણ આવા આધિકારનો ઉપયોગ કર્યો છે; એટલે નવું કાંઈ કર્યું નથી એવું વિશ્વદેશોને સમજાવવું જોઈએ. બીજું એ કે પાકિસ્તાન કોઈ સાહસ ન કરે એ માટે વિશ્વદેશો પાકિસ્તાન પર દબાણ લાવે એ માટે પ્રયાસ કરવો જોઈએ. ભારત આ પહેલાં જ આવા પ્રયાસ કરતું હશે એમ માનવાને કારણ છે. ભારત માટે આના કરતાં બીજો કોઈ વહેવારુ માર્ગ નથી.
૨૦૦૮માં મુંબઈ પર ત્રાસવાદીઓએ હુમલો કર્યો ત્યારે પાકિસ્તાન પર હુમલો કરવા માટે ભારત પાસે વધારે મોટું કારણ હતું, પરંતુ ત્યારે વિશ્વદેશોએ, ખાસ કરીને અમેરિકાએ ભારત પર દબાણ કર્યું હતું કે ભારત કોઈ ઉતાવળું પગલું ન લે. ૨૦૦૮ પછીથી વારંવાર માગણી કરવામાં આવતી હતી કે ભારતે નોન મિલિટરી પ્રી-એમ્પ્ટીવ હુમલાનો માર્ગ અપનાવવો જોઈએ. જો અમેરિકા અને બીજા દબંગ દેશો આ માર્ગ અપનાવે તો ભારત શા માટે નહીં? પરિસ્થિતિમાં ગુણાત્મક ફરક ભલે ન પડે પણ આપણે પથ્થરનો જવાબ ઈંટથી આપી શકીએ એવા દબંગ છે એ તો દેખાડી આપવું જોઈએ.
દેખાડી આપવાની લાલચ ઘણી મોટી છે અને તેનાથી બચવા માટે ખૂબ સંયમની જરૂર પડતી હોય છે. આ સિવાય વાસ્તવિકતાનો પણ વિચાર કરવો જોઈએ અને વાસ્તવિકતા એ છે કે આના દ્વારા વેર લેવાના માનસિક સમાધાનથી વધુ કાંઈ જ હાથમાં આવવાનું નથી. આ હું નથી કહેતો, ત્રાસવાદ સામેની લડતનો જગતનો ઇતિહાસ કહે છે. ભારતે આજે જે કર્યું છે એ અમેરિકા અને અમેરિકાની સાથે મળીને યુરોપના કેટલાક દેશો ત્રણ દાયકાથી કરતા આવ્યા છે અને છતાં જગતને ત્રાસવાદથી મુક્તિ નથી મળી. ઈરાન, ઈરાક, લીબિયા, સીરિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન જેવા મુસ્લિમ દેશો અને ઇઝરાયલ દ્વારા લેબેનોન જેવા દેશોમાં અમેરિકા અને બીજા દેશો સીધી લશ્કરી દરમિયાનગીરી કરતા આવ્યા છે. આ ઉપરાંત આર્થિક તેમ જ લશ્કરી નાકાબંધીનો માર્ગ અપનાવવામાં આવ્યા છે.
કેટલાક દેશોમાં તો પસંદ કરેલા આગળિયાતોની સરકાર રચીને આમ આડકતરું પણ વ્યવહારમાં સીધું શાસન કરવાનો પણ પ્રયાસ કરાયો છે, પણ પરિણામ? પરિણામ શૂન્ય. આનો ખૂબ લાંબો ઇતિહાસ છે અને એ ઇતિહાસ એટલો જ વાંઝિયો છે. જે દેશો ભારત કરતાં ત્રણ દાયકા પહેલાં દબંગગીરી કરીને નઠારાઓને સુધારવા નીકળ્યા હતા એ જ દેશો હવે કહે છે કે અમે શું કામ અમારા સૈનિકોને ખુવાર કરીએ? પહેલા અમેરિકાના મિત્ર દેશોમાં આવી માગણી ઊઠી. એ દેશોમાં લશ્કર મોકલવા સામે વિરોધ થવા લાગ્યો. અમેરિકાને ફોજદારી કરવી હોય તો કરે આપણા સૈનિકો શું કામ ખુવાર થાય? આજે સ્થિતિ એવી છે અમેરિકા પોતે જ સૈનિકો પાછા ખેંચી રહ્યું છે અને ડોનાલ્ડ ટ્રમ્પ તો કહે છે કે અમેરિકા હવે પછી તેના સૈનિકોને બીજા દેશમાં નહીં મોકલે. અમને હાથ નહીં લગાડવાનો, બાકી જગતનો અમે કોઈ ઠેકો નથી લીધો.
સમસ્યા અહીં છે. પાકિસ્તાન કે પાકિસ્તાન પુરસ્કૃત ત્રાસવાદીઓ સીધો ભારતને હાથ લગાડી રહ્યા છે અને ભારત તેનાથી ત્રસ્ત છે. ૧૯૮૦માં પંજાબમાં ખાલિસ્તાન માટેની માગણી સાથે ત્રાસવાદી પ્રવૃત્તિ શરૂ થઈ ત્યારથી ભારત તેનો અનુભવ કરી રહ્યો છે. અમેરિકાને હાથ લગાડવો અનેક કારણે અઘરો છે, જ્યારે ભારત માટે એ રોજિંદી ઘટના છે.
સવાલ એ છે કે ઉપાય શું છે? યુદ્ધ એ ઉપાય નથી. જો એનાથી પરિણામ મળવાનું હોત તો મળી ચૂક્યું હોત. આત્મરક્ષણ કે પાઠ ભણાવવાના નામે હુમલાઓ કરવનો પણ કોઈ અર્થ નથી, કારણ કે અમેરિકાએ ૪૧૫ ડ્રોન એટેક અને બીજા હુમલાઓ કર્યા પછી પણ કોઈ પરિણામ આવ્યું નથી. અમેરિકાએ ઈરાક અને અફઘાનિસ્તાન પર બે વરસ પ્રોક્સી દ્વારા રાજ કર્યું હતું અને છેવટે ખાલી હાથે નાક કપાવીને પાછુ આવવું પડ્યું હતું.
અહીં વિચારવું જોઈએ કે શા માટે પરિણામ નથી આવતું? શા માટે ત્રાસવાદનો અંત નથી આવતો? કઈ ચીજ ત્રાસવાદને પોષે છે? પાકિસ્તાન ત્રાસવાદને પોષે છે એ સાચો જવાબ નથી. એ સમસ્યાનું સરળીકરણ થયું, એમાં સાંગોપાંગ સમજનો અભાવ છે. પાકિસ્તાન અને બીજા મુસ્લિમ દેશોના શાસકો જો ત્રાસવાદને અને ત્રાસવાદીઓને પોષે છે તો શા માટે પોષે છે? સરવાળે એ દેશોને કોઈ લાભ થાય છે કે પછી તે પણ ત્રાસવાદથી ગ્રસ્ત અને ત્રસ્ત છે? અને હજુ એક મહત્ત્વનો સવાલ. ત્રાસવાદ શું મુસ્લિમ દેશોમાં જ છે કે બાકીની દુનિયામાં પણ ત્રાસવાદ અનેક ચહેરા ધારણ કરીને મોજૂદ છે? એ ચહેરાઓનું સ્વરૂપ શું છે અને તેનાં કારણો શું છે? આ પ્રશ્નોના જવાબ શોધવા જ પડશે. તેનાથી બચી શકાય એમ નથી. જ્યાં સુધી પ્રમાણિક ઉત્તર શોધવામાં નહીં આવે અને પ્રામાણિક ઈલાજ કરવામાં નહીં આવે ત્યાં સુધી દબંગગીરીનું સુખ મળશે, કાયમ માટેની શાંતિનું સુખ મળવાનું નથી. ગમે ત્યારે હુમલો થઈ શકે છે અને એ બાલાકોટ પછીની પણ વાસ્તવિકતા હશે. અમેરિકા પણ હવે દબંગગીરીના છેતરામણા સુખથી કંટાળી ગયું છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 28 ફેબ્રુઆરી 2019