પત્રકાર તરીકે તેમણે કોમવાદી રાજકારણ, સાંપ્રદાયિક્તા, અસમાનતા, ભ્રષ્ટાચાર, શોષણ જેવાં દૂષણો સામે સતત અવાજ ઊઠાવ્યો
લડાયક પત્રકાર ગૌરી લંકેશની હત્યાથી દેશના સંવેદનશીલ નાગરિકો ખળભળી ઊઠ્યા છે. ગૌરી લંકેશ પ્રગતિશીલ અને ડાબેરી વિચારસરણી ધરાવતા પત્રકાર હતાં. એક મોટાં અંગ્રેજી અખબારથી તેમણે કારકિર્દીની શરૂઆત કરી. ત્યાર બાદ કેટલાંક વર્તમાનપત્રો અને પ્રકાશનોમાં કામ કર્યું હતું. પછી ઊંડી સામાજિક નિસબત ધરાવતા તેમનાં પત્રકાર-સાહિત્યકાર પિતા પી. લંકેશ દ્વારા ચલાવવામાં આવતા કન્નડા સાપ્તાહિક ટૅબ્લૉઈડ ‘લંકેશ પત્રિકે’ માં જોડાયાં. પિતાના અવસાન બાદ તેઓ તેના તંત્રી પણ બન્યાં. પત્રકાર તરીકે તેમણે કોમવાદી રાજકારણ, સાંપ્રદાયિકતા, અસમાનતા, ભ્રષ્ટાચાર, શોષણ જેવાં દૂષણો સામે સતત આવાજ ઊઠાવ્યો. તેમનો આખરી તંત્રીલેખ ફેક ન્યૂઝ એ પત્રકારિતા અને દેશને કેવી રીતે તોડી રહ્યા છે તે અંગેનો હતો. ગયાં ત્રણ મહિનામાં ગૌરીએ કેન્દ્ર સરકાર અને તેના નેતાઓની તેજાબી ટેકા કરતાં નવ સમાચાર-લેખો આપ્યા હતાં. તેમની આખરી સાપ્તાહિક કટારમાં તેમણે ગોરખપુર હૉસ્પિટલમાં બાળકોનાં મોત અને ડૉ. કાફીલ ખાનની હકાલટ્ટીના વિરોધમાં લખ્યું હતું. ત્રીસમી ઑગસ્ટના અંકમાં એમણે ભા.જ.પ.ના એક અગ્રણીની મુલાકાત વિશે ‘કર્ણાટકમાં ભડકો કરવા માટે આવેલ ભગવા માણસની વાત’ નામનો લેખ લખ્યો હતો. હિન્દુત્વવાદી રાજકારણને નિશાન બનાવતો લેખ પણ આ જ અંકમાં છે. ભા.જ.પ.નું એકંદર રાજકારણ પણ ભડકાવનારું છે એ તેમણે વરંવાર લખ્યું હતું. ડાબેરી ચળવળોની તે ખાસ દખલ લેતાં. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના કન્હૈયાકુમારને તે પોતાનો દીકરો માનતાં. તેમનાં સ્નેહનાં અનુભવો ગુજરાતના યુવા દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ પણ ફેઇસ બુક પર લખ્યા છે. નક્ષલવાદીઓને સમાજની મુખ્ય ધારામાં સમાવવા માટેની સરકારની યોજનાઓમાં પણ તેઓ સહાયરૂપ થતાં હતાં. સિરિમાને નાગરાજ જેવા અગ્રણી નક્ષલવાદીને સમાજમાં પાછા લાવવામાં તેમણે સફળતા મેળવી હતી. અલબત્ત, એને કારણે તેમણે ઘણા લોકો ઉપરાંત છેડાના નક્ષલવાદીઓની ખફગી પણ વહોરી હતી. તેમની હત્યા પાછળ જે કેટલીક થિયરીઓ ચાલી રહી છે એમાં આ એક પણ ગણાવવામાં આવી રહી છે.
અલબત્ત, સહુથી વ્યાપક થિયરી એ છે કે ગૌરીની હત્યા તેમણે પ્રતિગામી, વિભાજક હિંદુત્વવાદી વિચારધારાના કરેલા સતત વિરોધને કારણે થઈ. તેમની હત્યાની પદ્ધતિ અને સંભવિત કારણો ત્રણ રૅશનાલિસ્ટોની થયેલી હત્યા સાથે સામ્ય ધરાવે છે. કર્ણાટકના જ ધારવાડમાં ભાષા-સંસ્કૃિતના સંશોધક-અધ્યાપક અને હમ્પી યુનિવર્સિટીની પૂર્વ કુલપતિ એમ.એમ. કલબુર્ગી(ઉંમર 76)ની 30 ઑગસ્ટ 2015 ના રોજ તેમના ઘરે હત્યા થઈ. કાલબુર્ગીએ મૂર્તિપૂજાના વિરોધી તો હતા જ, ઉપરાંત પોતાના અભ્યાસો થકી બંધિયાર ધાર્મિક માન્યતાઓને તેમણે ધક્કો આપ્યો હતો. તે પહેલાં કોલ્હાપુરના સામ્યવાદી કાર્યકર્તા ગોવિંદ પાનસરે(82)ની હત્યા 16 ફેબ્રુઆરી 2015ના રોજ થઈ. પાનસરે કુરૂઢિઓનો વિરોધ અને આંતરજ્ઞાતીય લગ્નોનો પ્રચાર કરતા હતા. અલબત્ત તેમનું સહુથી મહત્ત્વનું કામ તો ‘શિવાજી કોણ હોતા?’ વિષય પરનાં વ્યાખ્યાનો અને એ નામનું પુસ્તક હતું. તેમાં તેમણે ભાજપ, શિવસેના અને ઝનૂની સંગઠનોએ ઊભાં કરેલાં કેવળ લડાયક હિંદુત્વવાદી રાજા શિવાજીને બદલે બધાં ધર્મ અને કોમની સમાનતામાં માનનારા રાજા તરીકેના શિવાજી મહારાજ ઐતિહાસિક દસ્તાવેજી પુરાવા સાથે લોકો સામે મૂક્યા હતા. પૂનાના નરેન્દ્ર દાભોળકરે અંધશ્રદ્ધા નાબૂદીના ભેખધારી હતા. તેમની દાયકાઓની ઝુંબેશ થકી તેમણે જાદુ-ટોણો, ચમત્કાર અને ધાર્મિક કર્મકાંડ થકી જનતાને છેતરીને સત્તા અને સંપત્તિ મેળવનારાની સામે મોટો લોકમત ઊભો કર્યો હતો. સ્વાભાવિક રીત જ તેઓ રાજકીય પક્ષો સહિત અનેક પ્રકારનાં સ્થાપિત હિતો માટે નડતર રૂપ હતા. એટલે તેમની 20 ઑગસ્ટ 2013 ના દિવસે હત્યા કરવામાં આવી. આમાંથી પહેલી બે સાથે સનાતન સંસ્થા નામનાં જમણેરી સંગઠનનું નામ હોવાનું તપાસમાં નોંધાયું છે. આ ત્રણેય હત્યાઓ જ્યાં થઈ ત્યાં અને કેન્દ્રમાં કૉન્ગ્રેસની સરકારો હતી. અત્યારે પણ કર્ણાટકમાં કૉન્ગ્રેસની સરકાર જ છે. તે કાલબુર્ગીની હત્યાની તપાસમાં ભાગ્યે જ કશું કરી શકી છે.
કર્ણાટકમાં ભાષા, જાતિ અને ધર્મના નામે કાયદો અને વ્યવસ્થાનાં પ્રશ્નો છે. બેંગલોરમાં સ્ત્રીઓની અસલામતી વધતી રહી. પાટનગર અને ઉડુપીમાં અસહિષ્ણુ ટોળાંનું મૉરલ પોલીસિંગ વધી રહ્યું છે. આવા સમયે સરકાર સ્ટીલના ફ્લાય-ઓવર બનાવવામાં અને આગામી ચૂંટણીઓ માટે ફંડ ઊભું કરવામાં વ્યસ્ત છે. કર્ણાટક સરકારે ગૌરીના રાજકીય સન્માન સાથે અંત્યસંસ્કાર કર્યા અને તે પરિવારે સ્વીકાર્યા એ હકીકત પણ ચર્ચાસ્પદ બની છે. સત્તાવાળાની સદા વિરોધી એવાં ગૌરીના જીવનકાર્ય સાથે સાથે બંધબેસતું ન હતું એમ કહેવામાં આવી રહ્યું છે.
ગૌરીની હત્યા બાદ સોશ્યલ મીડિયા પર જે ઝેર ઓકવામાં આવ્યું તેમાં આપણાં સમાજનો એક હિસ્સો કેવો સંવેદનહીન અને અસંસ્કારી બનતો જાય છે તે જોવા મળી રહ્યું છે. તેમાં તથાકથિત રાષ્ટ્રવાદીઓ પાયાની સભ્યતા અને આ દેશમાં પળાતા મુખ્ય ધર્મ એવા હિંદુ ધર્મએ બતાવેલી મૃત્યુ પર પાળવાની મર્યાદા પણ ચૂકી ગયા. તેમાં સહુથી હીન ભાષામાં ટ્વિટ કરનાર નિખિલ દધિચ પર તો ખૂબ પસ્તાળ પડી જ, પણ તેની સાથે તેને ફૉલો કરનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ બધે યથાર્થ રીતે ટીકાનું કેન્દ્ર બન્યા છે.
ગૌરી લંકેશ પણ – તેમના લખાણના ઘણા ચાહકો ટેકેદારો હોવા છતાં – સતત ટીકાનું કેન્દ્ર બનતાં રહ્યાં છે. તે કૉન્ગ્રેસ તરફી હોવાનું પણ કહેવાય છે. ગયા વર્ષે તેમણે એક મૂલ્યાંકન લેખમાં કૉન્ગ્રેસને એંશી ટકા ગુણ આપ્યા હતા. ભા.જ.પ.ના બે આગેવાનોએ તેમના પર કરેલા બદનક્ષીના કેસમાં તેમને અદાલતે છ મહિનાની જેલની સજા પણ કરી હતી, પણ તેમને જામીન મળ્યા હતા. તેમણે મૂકેલી હકીકતો ઘણાંને નડી હતી. તેમણે લીધેલી ભૂમિકાઓ ઘણાને કઠી હતી. તેમના વિચારો કેટલાક લોકોને માફક ન આવે એટલા ભિન્ન રહ્યા હતા.
પણ ભિન્ન મત વ્યક્ત કરનારને ગોળીએ દેવા એ કોઈપણ સંસ્કારી સમાજ અને લોકશાહી દેશ માટે લાંછનરૂપ છે. એ વિચારોને પણ વ્યક્ત થવાનું સ્વાતંત્ર્ય એ લોકશાહીના આધારસ્તંભ એવા પત્રકારત્વના પાયામાં છે. ભારતનો ક્રમ અખબારી સ્વાતંત્ર્યમાં નીચો ગયો છે. વળી ધર્મ,જાતિ, ભાષા, જીવનશૈલીનું અપાર વૈવિધ્ય ધરાવતાં આ દેશ પર કોઈ એક વિચારધારા લાદી શકાય નહીં. ભારતીય પરંપરામાં આસ્તિક અને નાસ્તિક બંને તત્ત્વજ્ઞાન છે બૌદ્ધ વિચાર તો યજ્ઞસંસ્થા અને કર્મકાંડ સામેના બળવામાંથી ઊભો થયો છે. વિવાદ-વિમર્શ કહેતાં ડિબેટ આ દેશની ઉજ્જ્વળ પરંપરા છે. એમાંથી આ દેશની લોકશાહીનો પ્રવાસ આગળ ચાલ્યો છે. વૈવિધ્યની જાળવણી એ જ આ દેશને ટકાવી રાખનારું પરિબળ બની શકે છે.
રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને તાજેતરમાં કહ્યું છે કે નવા ગ્લોબલ ઑર્ડરમાં ઇનૉવેશન, હ્યૂમન કૅપિટલ અને સૉફ્ટ પાવરને માટે ખૂબ જરૂરી એવી બે બહુ મોટી ‘ઇકૉનૉમિક અૅસેટ્સ’ આ દેશ પાસે છે – અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને સહિષ્ણુતા. આ બંને આપણે ગુમાવી ન દઈએ તે માટેની ચેતવણી ગૌરી લંકેશની હત્યાએ ફરી એક વાર આપણને આપી છે.
+++++
07 સપ્ટેમ્બર 2017
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 08 સપ્ટેમ્બર 2017