અમદાવાદના સાબરમતી આશ્રમને ‘વિશ્વકક્ષાના સ્મારક”(વર્લ્ડ ક્લાસ મેમોરિયલ)માં તબદીલ કરવાની સરકારી પરિયોજનાના રાષ્ટ્રવ્યાપી વિરોધનો આરંભ કરનારા પ્રકાશ ન.શાહ, ગણેશ દેવી અને આનંદ પટવર્ધનના જાહેર નિવેદન પર મેં પણ સહર્ષ હસ્તાક્ષર કર્યા છે. હું ગાંધીનો વંશજ છું કે ગાંધીનું મેં વિશદ અધ્યયન કર્યું છે એટલા માટે મેં તેના પર હસ્તાક્ષર કર્યા નથી, પરંતુ સાબરમતીના તટે સહેલાણીઓને આકર્ષવા સતત ઊભાં કરાતાં માળખાં ગાંધીના આશ્રમને ગળી તો નથી જતાં, પણ તેને નગણ્ય બનાવી દે છે તે વિચાર મારા વિરોધપત્ર પર હસ્તાક્ષરનું મુખ્ય કારણ છે.
બીજા લાખો લોકોની જેમ મને પણ આશ્રમની આશ્ચર્યજનક સાદગી ખૂબ ગમે છે. નદી, વૃક્ષો અને એક સદી જૂના નાની કુટિરો જેવા આવાસોની નળિયાંવાળી છતો, જ્યાં ગાંધીજી અને કસ્તૂરબા રહેતાં હતાં તે હૃદયકુંજ – અમદાવાદ આવનારાઓ માટે જોવાલાયક છે. ૧૯૬૦ના દાયકામાં ચાર્લ્સ કોરિયાએ જેની પરિકલ્પના કરી હતી, તે આશ્રમ સાથેની ઇમારતો પણ એટલી જ ગરિમાપૂર્ણ છે, જેમાં મુલાકાતીઓ આશ્રમ અને તેની સાથે જોડાયેલાં આંદોલનોનાં ઇતિહાસના ચિત્રો જોઈ શકે છે.
આ એ જ સાબરમતી આશ્રમ છે જ્યાં નિર્ભીકતા, અસ્પૃશ્યતાનાબૂદી, સર્વધર્મ સદ્ભાવ અને શ્રમ કરીને આજીવિકા રળવાની સુંદરતા જેવી નવી મુખ્ય પ્રતિજ્ઞાઓ જોડીને – પ્રાચીન, નૈતિક, આધ્યાત્મિક સંકલ્પોને નવા અર્થ આપવામાં આવ્યા. ફલતઃ આ સીધો-સાદો, સાફ-સ્વચ્છ આશ્રમ સામાજિક ક્રાંતિની ક્યારી બની ગયો. ઇતિહાસને બદલી નાંખનારાં ત્રણ આંદોલનોને જન્મ આપનારા આ જ આશ્રમમાં એક રાજકીય ક્રાંતિ પણ થઈ હતી. આ દરેક આંદોલન આઝાદી માટે મહત્ત્વનાં હતા. ૧૯૧૯માં અભિવ્યક્તિસ્વાતંત્ર્ય પર લગામ મૂકનારા રૉલેટ ઍક્ટ વિરુદ્ધનો રાષ્ટ્રવ્યાપી સત્યાગ્રહ, એવો વિદ્રોહ હતો જેનો જવાબ બ્રિટિશ રાજે જલિયાંવાલા કાંડ રૂપે આપ્યો. ૧૯૨૦થી ૧૯૨૨ સુધીનું બ્રિટિશ સામ્રાજ્ય સામેનું અસહકાર આંદોલન અને ૧૯૩૦થી ૩૩ની દાંડીયાત્રા અને સવિનય કાનૂનભંગ.
શું આપણે આ પવિત્ર ઇતિહાસ સાથે વગર વિચાર્યે ચેડાં થાય તેમ ઈચ્છીએ છીએ?
મારો સૌથી મોટો વાંધો કે નારાજગી આ જ વાતે છે.
હું એ માની નથી શકતો કે નરેન્દ્ર મોદીની સરકાર ગાંધીના વિચારોને અમલી બનાવવા ઇચ્છે છે. અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના સર્વોચ્ચ નેતા શી જિનપિંગને સાબરમતી આશ્રમ લઈ જવા અને તેમની સાથે હૃદયકુંજમાં તસવીરો પડાવવી તે મહાત્માની નહીં, મોદીની વાહવાહી માટેની કવાયત હતી.
ગાંધીનાં કોઈ ધ્યેય છદ્મ કે ગુપ્ત નહોતાંઃ ન તો સાબરમતીમાં, ન તો દાંડીકૂચ દરમિયાન, ન તો અંગ્રેજોએ તેમને કેદ કરીને રાખ્યા હતા એ જેલોમાં, ન તો ૧૯૪૨ના ‘ભારત છોડો આંદોલન’ દરમિયાન. ન નોઆખલી અને બિહારમાં. હિંદુ નોઆખલી રહેતા હતા અને મુસલમાન બિહારમાં- સંકટગ્રસ્ત જિંદગીઓને બચાવવા માટે ૧૯૪૬-૪૭ની તેમની તીર્થયાત્રાઓમાં – ન તો એમના જીવનના અંતિમ નિર્ણાયક વર્ષ ૧૯૪૭-૪૮માં, જ્યાં જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલના સમર્થનથી ગાંધીએ નિશ્ચિત કરી દીધું હતું કે સ્વતંત્ર ભારત બધા ધર્મોનું રાષ્ટ્ર હશે, માત્ર હિંદુ બહુમતીનું નહીં. સમાનતા અને વિવિધતાની આ વચનબદ્ધતા ડૉ. આંબેડકર રચિત બંધારણમાં પ્રતિષ્ઠા પામી છે.
આ વચન (સમાનતા અને વિવિધતા) પ્રત્યેની નરેન્દ્ર મોદી સરકારની નિષ્ઠા પર મને સંદેહ છે. વડા પ્રધાન તરીકેનાં સાત કરતાં વધુ વરસો અને તે પૂર્વેના ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેના દીર્ઘ કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદી સમક્ષ અસંખ્ય વાર આ વચન દોહરાવવાનું આવ્યું હતું. ભીડ દ્વારા હુમલા અને હત્યાના અવસરે, પોલીસે ધર્મના કોઈ ભેદ વિના તમામના જીવનની રક્ષા કરવી, તમામ અપરાધીઓ પર પોલીસ અને અદાલતી કાર્યવાહીના હુકમ કરવા, લોકોને ભરોસો અપાવવાની અને અપરાધીઓની નિંદા કરવાની જરૂર હતી ત્યારે મોદીનું વર્તન તેથી વિરુદ્ધનું હતું.
શું આવો કોઈ હુકમ, દિલાસો કે ટીકા (મોદીના મોંએ) એક પણ વાર આપણે સાંભળી છે કદી ?તમે એક બાજુ બહુમતીને પાંખમાં લો અને બીજી બાજુ ગાંધીની પ્રતિમાએ માથું ટેકવો શું એ શક્ય છે ? તમે લોકોને (સી.એ.એ. એન.આર.સી. વિરોધી આંદોલનકારો કોણ છે તે) “તેમના પહેરવેશ પરથી ઓળખો” એમ કહીને ‘ઈશ્વર અલ્લા તેરો નામ’ ગાતા ગાંધીનાં ગુણગાન ગાઈ શકો ખરા ? આ પાખંડ ઘૃણાસ્પદ છે.
ગાંધી માટે વાણીની સ્વતંત્રતા જેટલી જ પાયાની બાબત બધા ભારતીયોની સમાન સુરક્ષા હતી. અસંખ્ય નિઃસ્વાર્થ કાર્યકરોને જેલમાં ગોંધી રખાયા હોય અને હત્યા તથા બળાત્કારના સમાચારો મેળવવા જતા પત્રકારની ધરપકડ થાય. ત્યારે તમે શું ચૂપ રહી શકો ? તો પણ તમે દાવો કરો છો કે તમે ગાંધીને દુનિયા સમક્ષ રજૂ કરી રહ્યા છો ? એ ગાંધીને જે જિંદગીનો મોટો ભાગ એક પત્રકાર હતા ?
સાબરમતી આશ્રમને જાહેર સરકારી નાણાંની જરૂર છે અને રહેશે. આશ્રમમાં કોઈ સુધારા કરવાની જરૂર હોય, તો આશ્રમના ટ્રસ્ટીઓ, ગાંધીવિચારકો, તમામ સ્થાપત્યવિદો અને પર્યાવરણવિદોને સાથે લો. કોઈ સરકાર કે કોઈ (રાજકીય) પક્ષ (સાબરમતી) આશ્રમનું ‘નિર્માણ’ (કે કાયાપલટ) કરી શકે નહીં. ગાંધીનાં મૂળ ધ્યેયોના વિરોધીઓ તો તેનું નિર્માણ કે કાયાપલટ ન જ કરે.
અનુવાદ : ચંદુ મહેરિયા
કાર્ટૂન અને લેખ સૌજન્ય : ‘ઇન્ડિયા ટુ ડે' – હિંદી
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2021; પૃ. 01-02