હાલમાં ગેલ ઓમવેટ[Gail Omvedt]નું નિધન થયું. ગુજરાતમાં અજાણ્યું લાગતું આ નામ દેશભરના અભ્યાસી લોકો – સ્કોલર્સ વચ્ચે જાણીતું છે. તેમનાં નિધનની નોંધ રાજ્યસભા વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, ડાબેરી નેતા સીતારામ યેચુરી, શરદ પવાર અને મહારાષ્ટ્ર મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ લીધી. રામચંદ્ર ગુહાએ પણ ગેલ ઓમવેટના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું અને તેમના કાર્યને બિરદાવ્યું. ગેલ ઓમવેટ 80 વર્ષના હતાં અને હાલ તેઓ મહારાષ્ટ્રના સાંગલીમાં આવેલા કાંસેગાવમાં રહેતાં હતાં. મૂળ અમેરિકાનાં ગેલનું યુવાની પછીનું જીવન ભારતમાં જ પસાર થયું. તેમણે પચ્ચીસથી વધુ સંશોધિત પુસ્તક આપ્યાં છે. તેમનાં સંશોધનનો કેન્દ્રિય વિષય દેશની જાતિવ્યવસ્થા, પર્યાવરણ અને મહિલા આંદોલન રહ્યાં છે. આ તો તેમની એકેડેમિક ઓળખ થઈ, પરંતુ આજીવન તેઓ એક્ટિવિસ્ટ તરીકેની ભૂમિકામાં રહ્યાં હતાં. મહિલાઓના અધિકાર, જાતિ-આધારિત અન્યાય અને પર્યાવરણનું નિકંદન નીકળતું હોય ત્યાં તેમણે વિરોધ દર્શાવ્યો.
અમેરિકન હોવું અને ભારતમાં આવીને ગ્રામિણ ક્ષેત્રોમાં વસવું તે પડકારભર્યું છે. મૂળ ભારતીયો અહીંના ગ્રામિણ ક્ષેત્રોમાં વસવાટ અર્થે હજુ હિંમત નથી દાખવી શકતા ત્યાં ગેલ ઓમવેટ 1970માં ભારત આવ્યાં અને ગામડાંઓમાં રહ્યાં. તેઓનાં ઉદ્દેશે તેમને ગ્રામિણ વિસ્તારમાં રહેવાં પ્રેર્યા. જો કે આ પ્રેરણા ઘણી વાર લાંબા સમય સુધી ટકાવી શકતી નથી. ઓમવેટ અહીં રહ્યાં, ઉમદા કાર્ય કર્યું, વિશ્વને ભારતનું વાસ્તવિક ચિત્ર દાખવ્યું, હજારો વિદ્યાર્થીઓને સાચી સમજ આપી અને સ્થાનિક લોકો માટે લડ્યા પણ ખરાં.
1941માં મિનિપોલિસમાં તેમનો જન્મ થયો. 1960માં ઉચ્ચ અભ્યાસ પછી લાંબા રોકાણ માટે ભારત આવ્યાં. પોતાના રોકાણ દરમિયાન તેમણે જોયું કે ભારતમાં જાતિવ્યવસ્થા કેવાં પ્રકારની છે. ઉપરાંત, જાતિવ્યવસ્થાનાં અન્યાયને પણ નિહાળ્યો, વિશેષ કરીને દલિત વર્ગનો. આની અસર તેમનાં પર ઊંડી થઈ. ફરી તેઓ ભારતમાં વધુ અભ્યાસ અર્થે આવ્યાં. જે વિષય પર કાર્ય કર્યું તેનો મુદ્દો હતો : ‘કલ્ચરલ રિવોલ્ટ ઇન અ કોલોનિયલ સોસાયટી : ધ નોન-બ્રાહ્મણ મૂવમેન્ટ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા- 1837-1930’. આ વિષયનો અભ્યાસ કરતાં જાણે તેઓ ભારતને સમજવામાં ઓતપ્રોત થઈ ગયાં. અહીં નિવાસ કરવાનું ઠરાવ્યું. ફુલે-આંબેડકરનાં સાહિત્યના પ્રશંસક થયા અને માર્ક્સસીસ્ટ પૂર્વભૂમિકાથી તેઓનાં વિચારો વધુ ઘડાયાં. આ દરમિયાન તેઓ માર્ક્સીસ્ટ, બુદ્ધિસ્ટ અને ફુલેના ચાહક ભારત પાટણકરને મળ્યાં. તેમની સાથે મિત્રતા કેળવાઈ અને તે પછીથી લગ્નમાં પરિણમી. એક દાયકા પછી તો તેમણે જાતે અમેરિકાનું નાગરિકત્વ પણ છોડી દીધું!
ગેલ ઓલવેટની સફરની શરૂઆત આ રીતે થઈ. સામાન્ય રીતે એકેડેમિક રિસર્ચ વ્યક્તિ જે લોકોનો અભ્યાસ કરે છે તેમનાથી જ અંતર રાખે છે. પણ ગેલ ઓમવેટે લોકોના જ બની રહ્યાં. આ યુતિ એટલી મજબૂત થઈ કે છેલ્લા પાંચ દાયકામાં જાતિવિરોધી કે મજૂરોના આંદોલનમાં તેઓ અગ્રગણ્ય રહ્યાં. તેમણે ભરત પાટણકર સાથે રાજકીય-સામાજિક એક પ્લેટફોર્મ નિર્માણ કર્યું, જેનું નામ ‘શ્રમિક મુક્તિ દલ’ છે. આ દલ ખેડૂતોની એકતા, દુષ્કાળ, બંધ-નિર્માણ વેળાએ થતાં સ્થળાંતર અને જાતિ આધારિત અન્યાય સંબંધિત મહારાષ્ટ્રના દસ જિલ્લામાં કાર્યરત છે. આ દલનું ઓર્ગેનાઇઝેશન અને વિચારસેતુ ફુલે-માર્ક્સ-આંબેડકરના વિચારો પર ઘડાયેલાં છે.
મૂવમેન્ટની સાથે સાથે તેમનું સંશોધનનું કાર્ય પણ અવિરત ચાલતું રહ્યું અને તેના પરિણામે તેમનાં પચ્ચીસ જેટલાં સંશોધિત પુસ્તકો આજે ઉપલબ્ધ છે. તે સંશોધનનાં કેટલાંક અતિ ઉપયોગી પુસ્તકોમાં ‘દલિત વિઝન’, ‘વિ શેલ સ્મેશ ધિસ પ્રિઝન – ઇન્ડિયન વુમન ઇન સ્ટ્રગલ’, ‘લેન્ડ, કાસ્ટ એન્ડ પોલિટિક્સ ઇન ઇન્ડિયન સ્ટેટ્સ’, ‘રિઇન્વેન્ટિગ રિવોલ્યુશન – ધ સોશિયલ મૂવમેન્ટ એન્ડ ધ સોશિયાલિસ્ટ ટ્રેડિશન ઇન ઇન્ડિયા’, ‘અ દલિત ઓટોબાયોગ્રાફી’ (વસંત મૂન્સ પુસ્તકનો અનુવાદ), ‘બુદ્ધિઝમ ઇન ઇન્ડિયા – ચેલેન્જિંગ બ્રામ્હણીઝમ એન્ડ કાસ્ટ’, ‘સિકીંગ બેગમપુરા – ધ સોશિયલ વિઝન એન્ટીકાસ્ટ ઇન્ટેલેક્ચુઅલ’ અને ‘દલિત્સ એન્ડ ધ ડેમોક્રેટીક રિવોલ્યૂશન’ છે.
ગેલ ઓમવેટનું નામ લેવાય ત્યારે અમેરિકાથી આવીને જાતિવ્યવસ્થા પર કાર્ય કરનારાં એલિનોર ઝેલિઓટનું નામ પણ લેવું અનિવાર્ય છે. એલિનોર પ્રથમ અમેરિકન મહિલા હતાં, જેમણે ભારતમાં આવીને જાતિવ્યવસ્થા પર ઊંડું સંશોધન કર્યું હતું. તેમનાં પછી ગેલ ઓમવેટ બીજાં એવાં સ્કોલર છે. ઓમવેટનું આ કાર્ય ભારતની અનેક યુનિવર્સિટીઝ ભણાવામાં આવી રહ્યું છે. પુણેની ‘યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયોલોજી’માં ફુલે-આમ્બેડકર ચેઇરના તેઓ વડાં હતાં. કોપનહેગનમાં એશિયન સ્ટડીઝમાં પણ તેઓ વર્ષોથી વિદ્યાર્થીઓને ભણાવતાં હતાં.
મહિલા આંદોલનનો પણ તેમનો અભ્યાસ જગવિખ્યાત છે. તેઓ આંબેડકરની જાતિવિરોધી ચળવળને સ્વીકારતાં હતાં; અને તેનો હવાલો આપીને મનુસ્મૃતિને પણ નકારતાં. 2008માં કવયિત્રી-લેખિકા મીના કન્ડાસ્વામીએ તેમની મુલાકાત લીધી હતી, ત્યારે તેમણે આપણા ત્યાં જાતિવ્યવસ્થા શા માટે મજબૂતાઈથી ટકી રહી છે તેના આંબેડકરે આપેલા કારણો ટાંકતા કહ્યું હતું : મહિલાઓની સેક્સુઆલિટી કન્ટ્રોલ કરવાથી જ જાતિ ટકી શકે છે. જાતિની ઓળખ ટકાવી રાખવા જાતિમાં જ લગ્ન કરવાની પ્રથા જન્મી. જેને રોટી-બેટી વ્યવહાર કહેવાય છે. આ રીતે બાળકીઓને ‘સુરક્ષિત’ રાખવાનું અને તે યુવાન થાય તે પહેલાં લગ્નની પ્રથા આવી, જેથી જાતિ સામે કોઈ ખતરો ઊભો ન થાય. આ પૂરી વ્યવસ્થામાં એક માન્યતા એવી પણ છે કે પુરુષ કોઈની પણ સાથે સેક્સ સંબંધ બાંધે તો તે અપવિત્ર નથી થતો જ્યારે સ્ત્રી થાય છે. અને એ જ રીતે મનુ પણ કહે છે કે, મહિલા કુમારીકા હોય ત્યાં સુધી તેના પર પિતાનું નિયંત્રણ હોય, યુવાન થાય તો પતિનું નિયંત્રણ હોય, જ્યારે તેની ઉંમર થાય ત્યારે બાળકોનું નિયંત્રણ હોય, આમ સ્ત્રી ક્યારે ય સ્વતંત્ર ન હોઈ શકે. આ રીતે સ્ત્રી પર નિયંત્રણ રાખવાની અને તેના આધારે જાતિવ્યવસ્થા ટકાવવાની જે વાત મનુસ્મૃતિ કરે છે, તેની સામે સુધારાવાદી ચળવળ ચલાવનારા આંબેડકરના વિચાર ગેલ અનેકવાર પોતાના વક્તવ્યમાં કહેતાં રહ્યાં હતાં.
સિત્તેરના દાયકામાં જ્યારે નર્મદા ડેમ વિરોધી આંદોલન આરંભાયું ત્યારે તેના વિરોધમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશના સ્થાનિક ગ્રામવાસીઓ જ એકત્રિત થયા હતા. પછીથી તે આંદોલનની ધુરા મેઘા પાટકરે સંભાળી હતી. આંદોલનની આગેવાની જે લોકો લઈ રહ્યા હતા તે અંગે ગેલ ઓમવેટે નારાજગી વ્યક્ત કરતો પત્ર લેખિકા અરૂંધતી રૉયને લખ્યો હતો. અરૂંધતી મેઘા પાટેકરની આગેવાની હેઠળ ચાલી રહેલાં નર્મદા ડેમ વિરોધી આંદોલનનાં સમર્થક હતાં. આ પત્રમાં તેઓ અરૂંધતીને લખે છે : “મને માફ કરશો આ ટીકાત્મક પત્ર બદલ. મને તમારું પુસ્તક ‘ધ ગૉડ ઑફ સ્મૉલ થિંગ્ઝ’ ખૂબ પસંદ છે. પરમાણુ સંબંધિત મુદ્દામાં તમારી દખલની હું પ્રશંસક છું. તમારાં પુસ્તક રૉયલ્ટીઝનો થોડોક હિસ્સો તમે દલિત સાહિત્ય અકાદમીને આપવાના છો તેને હું બિરદાવું છું.” આ મુદ્દા પછી તેઓ તરત નર્મદા બાંધની વાત પર આવે છે ને તેમાં મહારાષ્ટ્રના સ્થાનિકો તરફથી થઈ રહેલાં વિરોધ કાર્યક્રમોની વિગત આપે છે. આ પત્ર ખૂબ લાંબો છે, પણ તેમાં સૌથી અગત્યની બાબત એ છે કે ગેલ અરૂંધતીને લખે છે કે, “તમે સમજી શકશો કે જ્યારે તમને સો ટકા ગ્રામિણ આદિવાસી સાથે કામ કરતાં હોવ ત્યારે તમામ આગેવાન શહેરી ભદ્ર કેવી રીતે હોઈ શકે. અને ગ્રામિણ ગરીબ લોકોને એકજૂથ કરવા માટે તેઓ કંઈ લોકશાહી રીત અપનાવી રહ્યા છે.”
તેમણે પત્રમાં જે રીતે નર્મદા બચાવ આંદોલનના આગેવાનો ‘ટ્રાઇબલ’ શબ્દનો ઉપયોગ કરે છે તેને લઈને સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમના મુજબ ‘ટ્રાઇબલ’ શબ્દ અપમાનજનક છે. અને તેમણે આ શબ્દને સામાજિક-વિજ્ઞાનના દૃષ્ટિકોણથી પણ ગેરલાયક ઠેરવ્યો હતો. આ પત્રમાં અરૂંધતી સામે તેમણે નર્મદા વિરોધી આંદોલનમાં ‘અલ્ટરનેટિવ ડેવલપમેન્ટ’નો ઉકેલ મૂક્યો છે. આ ઉકેલ પર તે વખતે મહારાષ્ટ્રમાં ઘણું કામ થયું હતું. ‘અલ્ટરનેટિવ ડેવલપમેન્ટ’માં ડેમની ઊંચાઇ ઘટાડવી, જેઓની જમીન જઈ રહી છે તેમને પૂરતું વળતર અપાવવું અને સાથે સાથે જ્યાં પાણીની અછત છે ત્યાં બંધનું પાણી પહોંચાડવું. તેમણે એમ પણ લખ્યું છે કે ‘અલ્ટરનેટિવ ડેવલપમેન્ટ’ લડત આપનારાઓએ ક્યારે ય ગંભીરતાથી વિચારણા હેઠળ લીધું નહીં. તેના પરિણામ ગુજરાતમાં નર્મદા બંધ નિર્માણ પ્રત્યે લોકોની લાગણી વધુને વધુ દૃઢ બની. બંધની ઊંચાઈ સાથે પણ સમાધાન ન થઈ શક્યું. દમનકારી રાજ્ય તરફથી આ જ અપેક્ષા હોય, પણ જે વિકલ્પ આપવામાં આવ્યા હતા તે નર્મદા બચાવ આંદોલન દ્વારા ક્યારે વિચારણા હેઠળ લેવામાં આવ્યા નહીં.
ગેલ ઓમવેટનું આ પાસું ગુજરાત સાથે સંબંધિત હોવાથી, તે વિસ્તૃત રીતે રજૂ કર્યું છે. આ સિવાય પણ ગેલ ઓમવેટ દ્વારા થયેલાં સંશોધનનો ભારતનું સાચું ચિત્ર જાણવા માટે અભ્યાસ કરવો જોઈએ. તેઓ અમેરિકન હતાં, પણ તેઓ કર્મે તો તેઓ ભારતીય બન્યાં અને રહ્યાં.
e.mail : kirankapure@gmail.com