
સંજય ભાવે
દિલીપ ગોહિલ અને ઉર્વીશ કોઠારીએ એકવીસમી સદીના પહેલા અઢી દાયકાનું શકવર્તી કામ પાર પાડ્યું છે. તેઓ આપણા ઘેરા સમયમાં સભાનતાની કક્ષાએ પ્રજ્ઞામાં પ્રકાશ ફેલાવનાર ગ્રંથ India After Gandhiને ‘ગાંધી પછીનું ભારત’ નામના બે ખંડોમાં આપણી ગુજરાતી ભાષામાં લાવ્યા.
ગ્રંથરત્ન જોવામાં ગઈ કાલે રાત્રે મારા મનમાં આનંદ સમાતો ન હતો. સર્વાંગે બહુ માવજતથી નિર્માણ પામેલા આ ગ્રંથની ઉપલબ્ધિઓ નિહાળતાં નિહાળતાં ઊંઘ ન આવે એવું બન્યું. જોતાં જોતાં આનંદથી, સંતોષથી ધરવ ન થાય એવું જે જૂજ પુસ્તકોમાં થાય એવું બન્યું. કેટલીક ખાસિયતો નોંધું છું.
જ્ઞાન નમ્રતા આણે. રામચંદ્ર ગુહાના, લહેજતથી લખાયેલા હજારેક અંગ્રેજી પાનાંને ગુજરાતીમાં લાવનાર અનુવાદકોએ પુસ્તકના આકર્ષક મુખપૃષ્ઠ પર ક્યાં ય પોતાનાં નામ મૂક્યાં નથી.
ઉઘડતા પાને એક જગ્યાએ કર્તૃત્વના પ્રમાણમાં ઘણા નાના ફૉન્ટમાં એક વખત બંને નામ, અને અનુવાદકની નોંધને અંતે ઉર્વીશ કોઠારીનું નામ એક વાર, બસ.
પુસ્તકમાં કે ઉપરણા (ફ્લૅપ) પર પણ પરિચયનો એક શબ્દ નહીં, ફોટા તો ભૂલી જ જાઓ. ગ્રંથના લાખો શબ્દો સાથે કામ પાડનારાઓએ પોતાના નામ માટે છ જ શબ્દો ફાળવ્યા છે.
ગુજરાતી પુસ્તકો જ નહીં, ઇવન કાતર-ગુંદર પુસ્તિકાઓમાં પણ હાસ્યાસ્પદ સેલ્ફ-પ્રોજેક્શનના જમાનામાં આ નમ્રતા તરફ કદાચ આપણું ધ્યાન ન જાય.
ઉર્વીશભાઈએ અનુવાદકની નોંધમાં જણાવ્યું છે કે એકત્રીસ પ્રકરણમાંથી છ પ્રકરણનો અને ઉપસંહારનો અનુવાદ એમણે પોતે કર્યો છે. ‘બાકીનાં પ્રકરણની જવાબદારી સિનિયર પત્રકાર અને મિત્ર દિલીપ ગોહિલે લીધી.’
એટલે કે, દિલીપભાઈએ અત્યારનાં લગભગ 700 જેટલાં પાનાં ગુજરાતીમાં ઊતાર્યાં છે. ઉમદા માણસ, અચ્છા પત્રકાર દિલીપભાઈ આ પુસ્તક જોવા માટે આપણી વચ્ચે ન હોવાનો ખટકો આ પૃષ્ઠરાશિ જોતાં ખાસ અનુભવાય છે.
‘દિલીપભાઈએ કરેલો અનુવાદ ઉત્તમ હતો’, એવું પણ તલ:સ્પર્શી સંશોધક અને કડક સંપાદક ઉર્વીશભાઈએ નોંધ્યું છે. એમ થાય કે દિલીપભાઈને ઉર્વીશે કામના જથ્થા અને ગુણવત્તાનો આટલો મોટો જશ આ એક વાક્ય થકી રેકૉર્ડ પર મૂકીને આપ્યો ન હોત તો કદાચ કોઈને ય ક્યારે ય દિલીપભાઈના મોટા ફાળાની ખબર ન પડી હોત. પણ પવિત્ર વિદ્યાક્ષેત્રે બૌદ્ધિક ઇમાનદારી (intellectual integrity) જેનું નામ!
ઉર્વીશભાઈએ વક્તવ્યમાં જલદી પકડાય નહીં તે રીતે બહુ આછા ઉલ્લેખ તરીકે એક વાત કહી, અને તે પુસ્તકમાં મિતાક્ષરે નોંધી છે : દિલીપભાઈએ અનુવાદિત કરેલા મોટા હિસ્સામાં ‘જરૂરી ફેરફાર – સુધારાવધારા કરવાનું કામ’ તેમણે પાર પાડ્યું.
આ ભારોભાર અલ્પોક્તિ એટલા માટે છે કેમ કે આ ‘જરૂરી ફેરફાર-સુધારાવધારા કરવાનું કામ’ ક્યારેક અરધો અનુવાદ ફરીથી કરવા જેવું હોય છે, ખાસ કરીને બે અનુવાદકોના અનુવાદ-લય rhythmનો સંવાદ સાધવાનો હોય ત્યારે!
જો કે ઉર્વીશે ‘બિલકુલ નમ્રતા વિના’ એ મતલબનું પણ કહ્યું કે અનુવાદને ગુજરાતી ‘દાળભાતની સુગંધ આપતા અમને બરાબર આવડે છે’ અને એ અમે કર્યું છે.
આપણા સમયમાં ગુજરાતી ભાષા સાથે તેનું પોત જાળવીને કામ કરનારા બે પત્રકારોનું પુસ્તક – મનુભાઈ પંચોળી દર્શકના શબ્દોને યાદ કરીને કહું તો – ‘હૃદ્ય ગદ્ય’માં આવ્યું છે. અનુવાદની ભાષા સ્વચ્છ, મંજાયેલી, સહજ અને પ્રવાહી છે, એવું પ્રથમ દર્શને જણાય છે.
રામચન્દ્ર ગુહાએ પોતાના પુસ્તકની મર્યાદા જણાવી કે તે રાજકીય-સામાજિક-સાંસ્કૃતિક ઇતિહાસ છે, પણ તેમાં અર્થશાસ્ત્રીય પરિપ્રેક્ષ્યની ઉણપ છે.
ગુહા જેવા વિવાદ (polemics) માટે જાણીતા આંતરરાષ્ટ્રીય સ્તરના વિદ્વાનો જાહેરમાં આવું કહેતા નથી હોતા, અને બીજા કહે તો સ્વીકારતા નથી હોતા.
ગુહાએ એમ પણ માહિતી આપી કે પુસ્તકની આ કચાશ તરફ ધ્યાન દોરનાર અને તે પૂરી કરનારા બે અભ્યાસીઓનું પુસ્તક ચારેક મહિનામાં આવી રહ્યું છે.
પ્રકાશ ન.શાહે પોતાનું વક્તવ્ય પૂરું કર્યું અને મંચ પરથી ઊતરીને પહેલી હરોળમાં જઈને બેઠા. હવે મંચ પર વ્યાખ્યાન માટે એકલા રામભાઈ જ રહ્યા. એટલે તેમણે પ્રકાશભાઈને મંચ પર બિરાજવા વિનંતી કરી, એ મતલબનું કહીને કે એમને પોતાને હિમ્મત રહેશે! પ્રકાશભાઈએ એ વિનંતીને માન આપ્યું. વાત ઝીણી હતી. પણ ઘણું કહી જાય. એક જ્ઞાનીએ એક જ્ઞાનવૃદ્ધનો સૂક્ષ્મ રીતે પણ અનાદર ન થવા દીધો.
* * * * *
રાત્રે ઉજાગરાએ સાથ આપ્યો તેટલી વાર પુસ્તક જોયું. નિર્માણમાં કોઈ કસર નહીં. આવા પ્રકારનો આકર ગ્રંથ વાંચવા માટે જરૂરી એવી બાબતોની કાળજી —
પાનાંનોરંગ, અનુકૂળ ફૉન્ટ સાઇઝ, વાચક માટે breathing space મળે એવો પેઇજ લેઆઉટ, દરેક ખંડમાં સિત્તેરેક પાનાંની સંદર્ભ નોંધોનો યુવા અભ્યાસી સુજાતે કરેલો સ્વચ્છ અનુવાદ, સમાવેશક સૂચિ, પાકા પૂંઠાના પુસ્તકોનું કદ-વજન, અને આર્ટ મણિએ તૈયાર કરેલાં બંને આવરણો.
આ અનુવાદનાં પાનાં ફેરવતાં અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષામાં આવેલા કેટલાંક જંગમ અનુવાદકાર્ય પણ યાદ આવ્યાં : જયંતિ દલાલ – ‘યુદ્ધ અને શાંતિ’(War and Peace)ના ચાર દળદાર ખંડ, ત્રણ યુરોપિય મહાકાવ્યોના સાદ્યંત છાંદસ અનુવાદ : દુષ્યંત પંડ્યા – ‘સ્વર્ગમાંથી પતન’(Paradise Lost), જયંત પંડ્યા – ‘ઇલિયડ’(Iliad), રાજેન્દ્ર શાહ – ‘દિવ્ય આનંદ’(Divine Comedy), અશ્વિન ચંદારણા Dr. Zivago.
અલબત્ત, મને વ્યક્તિગત રીતે સાહિત્યેતર વિષયો પરના, પ્રગતિશીલ વિચારનો ફેલાવો કરનાર જ્ઞાનવિજ્ઞાન ક્ષેત્રોના મહાન પુસ્તકોનો અનુવાદ (ભાષાંતર નિધિ પ્રકાશને કેટલાક અનુવાદ આપ્યા છે) મહત્ત્વનો લાગ્યો છે અને એ ગુજરાતીમાં વધુ થાય એ ખૂબ જરૂરી છે. તે હરોળનો અનુવાદ દિલીપભાઈ અને ઉર્વીશભાઈએ આપ્યો છે.
* * * * *
અનુવાદની સહેજ ઝલક મેળવવા માટે કેટલાક પ્રકરણોનાં મથાળાં જોઈએ : Freedom and Parricide આઝાદી અને રાષ્ટ્રપિતાની હત્યા, A Valley Bloody and Beautiful રક્તરંજિત અને રળિયામણો ખીણપ્રદેશ, Home and the World ઘરેબાહિરે,
Securing Kashmir કાશ્મીર અંકે કરવાની કશ્મકશ, Minding the Minorities લઘુમતિની સંભાળ, The Rise of Populism લોકરંજનીનો ચઢતો સૂરજ, This Son Also Rises દહાડા આવ્યા દીકરાના, A Multi-polar Polity બહુધ્રુવિય રાજકારણ,
The Rise of the ‘BJP-Systems’ ‘ભા.જ.પ. પ્રણાલિ’નો ઉદય, The Republic’s Rocky Road ગણતંત્રનો ઉબડખાબડ માર્ગ. આ શીર્ષક ધરાવતાં પ્રકરણોમાંથી છેલ્લાં ત્રણ 2022ની અદ્યતન આવૃત્તિ(પ્રસ્તુત પુસ્તક તેનો અનુવાદ છે)માં ઉમેરાયેલાં પ્રકરણોમાં છે. એ પ્રકરણો 2008ના વર્ષની મારી પાસે જે પહેલી આવૃત્તિ છે તેમાં નથી.
એ પુસ્તક મને મારા અઠંગ પુસ્તક સંગ્રાહક મિત્ર શ્રીરામ દેહાડરાયે મારા 2009ની સાલના જન્મદિવસે ભેટ આપ્યું હતું. તેમાં મને બહુ ગમેલાં જે બે પ્રકરણો 2022ની આવૃત્તિમાં નથી તે A People’s Entertainment; અને, ભારતીય લોકશાહી માટે આશા સાથે તેનું ગૌરવ કરતું Epilogue : Why India Survives, ખાસ તો એપિલોગનો છેલ્લો ફકરો.
એટલે અનુવાદ જોવા બેસતાં, સહુથી પહેલાં એ જ ફકરો ખોળવા લાગ્યો, કારણ કે એનાથી આ નોંધનો ઉપાડ કરવાનું સપનું જોતો હતો !
ડૅમૉક્રસી માટે આશાસ્પદ ગુહાને પહેલી અવૃત્તિમાં ભારતીય લોકશાહી fifty fifty democracy એટલે કે અરધી સફળ અને અરધી નિષ્ફળ લોકશાહી લાગી. પછી નક્ષલવાદીઓના વિસ્તારમાં લાદવામાં આવેલ સાલવા જુડુમ સામેના વિરોધના વર્ષોમાં તેમણે election only democracy એમ કહ્યું. અને 2022 બેસતે તેઓ ઉપસંહારના પ્રકરણનું નામ a republic’s rocky road એમ આપે છે.
તેમાં પણ પુસ્તકના છેલ્લા ફકરામાં ગુહા ભારતીય લોકશાહીને ‘માનવઇતિહાસમાં કદાચ સૌથી દુ:સાહસભર્યો અને સામાન્ય સમજથી વિપરિત એવો રાજકીય પ્રયોગ’ ગણે છે.
અંતે તેઓ લખે છે : ‘આ અસાધારણ પ્રયોગના વ્યાપવિસ્તારને ધ્યાનમાં રાખતાં, એક ઇતિહાસકાર તરીકે ભારતીય ગણતંત્રની સફરનું આલેખન કરવાનું શક્ય બન્યું તે વિશેષ આનંદની બાબત છે – ભલે નાગરિક તરીકે તેમાંથી પસાર થવું ઘણીવાર હતાશા કે ગભરામણ પ્રેરનારું રહ્યું હોય.’
મને ગમતા હિસ્સામાંનો એક :
As a laboratory of social conflict the India of twentieth century is – for the historian – at least as interesting as the Europe of the nineteenth. In both, the conflicts were produced by the conjunction of two transformative processes of social change: industrialization and the making of the modern nation-states. In India, the scope of contention has been even greater, given the diversity of competing groups across religion, caste, class and language. Conflicts are also more visible in the subcontinent since, unlike nineteenth century Europe, contemporary India is a democracy based on adult suffrage, with a free press and a largely independent judiciary. At no other time and place in human history have social conflicts been so richly diverse, so vigorously articulated, so eloquently manifest in art and literature and addressed with such directness by the political system and the media.
પુસ્તકમાં અનુવાદ :
સામાજિક સંઘર્ષોની પ્રયોગશાળા તરીકે વીસમી સદીનું ભારત, વિશેષ કરીને ઇતિહાસકારો માટે, ઓગણીસમી સદીના યુરોપ જેટલું જ રસપ્રદ છે. બંને સ્થળે બે મહત્ત્વનાં સામાજિક પરિવર્તનો – ઔદ્યોગિકરણ અને આધુનિક રાષ્ટ્રની રચના–ની યુતિને લીધે સંઘર્ષો ઊભા થયા હતા. ભારતમાં સંઘર્ષ થાય તેવા સંજોગો વધારે હતા, કેમ કે ધર્મ, જ્ઞાતિ, વર્ગ અને ભાષાનું વૈવિધ્ય વધારે હતું. ભારતમાં સંઘર્ષો તરત નજરે ચડતા હતા, કેમ ઓગણીસમી સદીના યુરોપથી વિપરિત ભારતમાં લોકશાહી આવી તે સાથે જ સાર્વત્રિક મતાધિકાર આપી દેવાયો, અખબારી સ્વાતંત્ર્ય હતું તેની સાથે મહદ્દ અંશે સ્વતંત્ર ન્યાયતંત્ર ઊભું થયું હતું. દુનિયાના ઇતિહાસમાં ક્યારે ય, કોઈ પણ સ્થળે આટલા વૈવિધ્યપૂર્ણ સંઘર્ષ, આટલી તીવ્રતાથી વ્યક્ત થયા ન હતા, કલા-સાહિત્યમાં આટલી ખૂબીપૂર્વક વ્યક્ત થયા ન હતા અને રાજકારણ તથા પ્રસાર માધ્યમોમાં સીધેસીધા છેડાયા ન હતા. (ખંડ 1, પાનું xxx)
[કોલાજ સૌજન્ય : પરીક્ષિત]
19 મે 2025
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર