હળવે હૈયે
છેલ્લા બે દાયકામાં સહુથી સફળ રહેલો ધંધો હોય, તો મંડપ-ડેકોરેશન અને કૅટરર્સનો. હૉર્ડિંગ્સ બનાવવાનું કામ પણ પૂરજોશમાં ચાલે છે. શિક્ષણના ધંધામાં મહેનત ઓછી ને નફો વધુ છે. અમુક સંસ્થામાં તો વકરો એટલો નફો હોય છે, પણ મંડપ-ડૅકોરેશન, સભાસ્થળ, મોટાં મોટાં કુલર, બેઠકદીઠ સરસ મજાની પ્લાસ્ટિકની બૉટલમાં મિનરલ વૉટર અને યુઝ ઍન્ડ થ્રોવાળી ડિશમાં ખાવાનું અને મોટા મોટા ડોમ અને વિશાળ મંચ ઉપર અત્યંત ધ્યાનાકર્ષક બૅનર્સ! બૅનર બનાવવામાં ડિઝાઇનનું પણ મહત્ત્વ વધ્યું છે. ભવ્યાતિભવ્ય ભપકાદાર મંચસજ્જા અને ધોમધખતા તાપમાં વાતાનુકૂલન કરી શકાય એવી વ્યવસ્થા.
આ વ્યવસ્થા કોણ કરે છે, કોના માટે કરે છે અને ખર્ચાયેલાં નાણાં કોના ખિસ્સામાંથી ખર્ચાય છે, એને ચિંતા કે ચિંતનનો વિષય ગણીએ, તો માર્કેટમાંથી ફેંકાઈ જઈએ. એટલે તમને શોરબકોર કે ઘોંઘાટ પસંદ હોય, તો આવા પ્રશ્નો થવાના જ નથી, એટલે ચિંતા નથી. આપણે મંચસ્થ હોઈએ કે સિંહાસન પર બિરાજમાન હોઈએ, ત્યારે પણ આપણી અંદર ચાલતી હડિયાપાટીનો ઘોંઘાટેય જેવોતેવો નથી હોતો. ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં જઈ આવ્યા પછી બેઘડી નિરાંતે જાતને પૂછીએ કે શું પામ્યા?! આ પ્રશ્નનો જવાબ આપણી મૂળભૂત બેહોશીમાં વધારો કરે એટલી જાગૃતિ જરૂરી છે.
ઇવેન્ટ મૅનેજર્સ એ એકવીસમી સદીના પ્રારંભે આ પૃથ્વીપટ ઉપર પ્રગટ થયેલી મહાન પ્રજાતિ છે. એની શરૂઆત ક્યારથી થઈ એ શોધવું અઘરું નથી, પણ એમાં બહુ પડવા જેવું નથી. કોઈ પણ વસ્તુ, વિચાર કે ઘટનાને ઇવેન્ટમાં પરિવર્તિત કરવાની ફાવટ ખૂબ જરૂરી છે. જન્મતિથિ, પુણ્યતિથિ, વાસ્તુ, ડાયરો, પ્રાણપ્રતિષ્ઠા, બેસણું, ઉઠમણું, શરદી, ઉઘરસ કે જે કાંઈ થયું હોય તેના સમાચાર બનાવવાની કે ઉજવણી કરી શકવાની આવડત હોય અને એ મુજબ આખો કાર્યક્રમ ડિઝાઇન કરી આપે, તેને ઇવેન્ટ-મૅનેજર કહેવાય.
ઘટના નાની હોય પણ પડઘો મોટો હોય એ દરેક ઇવેન્ટની સફળતાની પૂર્વશરત છે. કોઈ પણ કાર્યક્રમની સાથે જીવનમૂલ્ય કે અંતરાત્માના અવાજનું ઉમેરણ કરી દઈએ, તો એ સ્પર્ધા કે પ્રસંગ નિષ્ફળ જવાની પૂરી ખાતરી છે. જીવનમૂલ્યની બાદબાકી એ ઇવેન્ટની સફળતાનું પ્રથમ ચરણ છે.
ઑડિયન્સ ભાડે મળે કે પ્રાયોજિત હોય પછી કોઈ શું કામ આવે છે અને અહીંથી શું લઈને જશે, એવી ચર્ચા નિરર્થક બની જાય છે. સાર્થક-નિરર્થકનાં તારણોની જફામાં પડ્યા વગર બેઠકવ્યવસ્થા અને રસોઈવ્યવસ્થામાં ધ્યાન રાખવાનું હોય છે. શ્રોતાએ કે દર્શકો સભાખંડ સુધી કે સભાસ્થળ સુધી ખેંચાઈ આવે એટલું જ નહીં, પણ પ્રેસ, મીડિયા અને મહાનુભાવના વક્તવ્ય સુધી હાજર રહે, એક જ જગ્યાએ બેસી રહે, એની ચોકસાઈ કે ચોકીદારી રાખવાની કસોટીપૂર્ણ જવાબદારીમાંથી પાર ઊતરનાર મૅનેજરનું જીવન અને કાર્યક્રમ બંને ધન્ય થઈ જાય છે.
લોકોને સભામાં લાવવાની વ્યવસ્થા વિચારવાની રહે. આવ્યા છે તે ક્યાં જવાના અને જાતે જતા રહેવાના; એવી સમજનો સથવારો સહાયક બને છે. મૅનેજર ક્ષણજીવી ધન્યતામાંથી પરવારે ત્યાં તો બીજો અવસર તેના મોબાઇલ પર ટકોરા મારતો હોય છે. અવરોધત્પાદક પરિબળોનું અવિરત ડ્રાંઉંડ્રાંઉં કૂવામાંથી વિસ્તરતું જતું હોય છે. તેથી સરવાળે એમ કહી શકાય કે આ ધંધામાં ખોટ નથી અને નિરાંત પણ નથી.
માત્ર નેતાઓ જ ભવ્ય સભાઓ કરે છે એવું નથી. સામાન્ય જનતામાંથી અસામાન્ય મહાનુભાવ બનવા માટે પણ સભાઓ થતી હોય છે. જિંદગીના પ્રથમ કે બે-ત્રણ કાર્યક્રમ જાતે ગોઠવવાના હોય છે. પછી તો આમંત્રણ આવતાં જ જાય છે. કાલ્પનિક વિદેશયાત્રાઓ વિશે ગપ્પાષ્ટક ચલાવવાથી સ્થાનિક બજારમાં ઉછાળો આવે એવી સંભાવનાઓ સાવ ખલાસ નથી થઈ.
પૈસા વાપરવા થતા કાર્યક્રમો અને પૈસા બનાવવા થતા કાર્યક્રમોની વાત જ જુદી હોય છે. કાર્યક્રમ વિશેના પ્રચારસાહિત્યમાં એટલે કે સોવેનિયરમાં જાહેરખબર ઉઘરાવવાથી લઈને જેમને શાલ ઓઢાડવાની થાય, તેમની પાસેથી જ દાન ઉઘરાવવાની ક્ષમતા ધરાવનારા આયોજકો ભલભલાને મૂંડી નાખવા સમર્થ હોય છે. જેની જીભને ટેરવે મહાનુભાવો હોય એવા ઇવેન્ટ મૅનેજર્સ કે કાર્યક્રમ-આયોજકોની વસતી દિવસે દિવસે વધતી જાય છે.
વિકાસશીલ દેશની આભાસી પ્રગતિના પાયામાં કેટકેટલા મહાનુભાવોની નવરાશ ધરબાયેલી હોય છે. આવા કાર્યક્રમો યોજવાના થાય ત્યારે, કાર્યક્રમયોજના ઘડાતી હોય, એવે ટાણે ગાંધીજીને યાદ કરવાથી ધંધામાં નુકસાન થવાની સંભાવના છે. ગાંધીજીએ તો કહેલું કે આપણે કોઈ પણ કાર્યનો પ્રારંભ કરીએ, ત્યારે આપણે જોયેલા ગરીબમાં ગરીબ માણસનો ચહેરો યાદ કરવો અને આપણા કાર્યથી એ માણસને કોઈ લાભ ન થવાનો હોય, તો કામ માંડી વાળવું. છેવાડાના માણસની ચિંતા કર્યા વગર, છેલ્લેપાટલે બેસીને આયોજન કરનારનો જયજયકાર આપણા સમયનું દુર્નિવાર વાસ્તવ છે.
E-mail : gandhinesamajo@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 23