એ પણ એક જાન્યુઆરી હતો, સન ચુંમોતેરનો. આ પણ એક જાન્યુઆરી છે, સન બે હજાર વીસનો : ત્યારે પણ માહોલ ટ્વેન્ટી ટ્વેન્ટીનો હતો, આજે પણ ટ્વેન્ટી ટ્વેન્ટીનો સ્તો છે.
૪૭નું ઊંધું ૭૪ : સ્વરાજના ભટકાવ અને વિખરાવની લાગણી વચ્ચે ગુજરાતના નવનિર્માણી ઉદ્રેકે એક રણશીંગુ ખસૂસ ફૂંક્યું હતું. બુઢ્ઢા જયપ્રકાશને એમાં એક આશાકિરણ દેખાયું કે, પ્રથાની બહારથી નિર્ણાયક પ્રહાર સાથે પ્રથામાં સુધાર, ફેરફાર અને આમૂલ પરિવર્તન લગીની શક્યતાનો તંતુ લંબાઈ શકે છે. ગુજરાતની જીત અમારી છે, અને બિહારની રીત ન્યારી છે, એ ધોરણે ગુજરાતમાં લોકસ્વરાજ આંદોલન, લોકશક્તિ સંગઠન, લોકસંઘર્ષ સમિતિ એમ તબક્કે તબક્કે જયપ્રકાશ સાથે પરામર્શપૂર્વક જનતા મોરચાની ભૂમિકા બની.
જાન્યુઆરી ૧૯૭૪થી જૂન ૧૯૭૫ લગીની આ ઇતિહાસપિછવાઈ સંભારી આપી તે એટલા માટે કે એમાંથી ઉભરેલ યુવા પરિબળની પરિવર્તનશક્તિનો અંદાજે અહેસાસ મળી રહે અને કાળબળે એ પરિવર્તનના વડા લાભાર્થી બની રહેલ જનસંઘ-ભા.જ.પ.ના ક્રિયાકલાપને જે.પી. જનાદેશના સંદર્ભમાં જોઈતપાસી શકાય.
૧૯૭૪ના જાન્યુઆરીમાં ગાંધીનગરના સત્તા-પ્રતિષ્ઠાનની સામે છાત્રયુવા શક્તિનો બુલંદ પડકાર તખતે હતો. ૨૦૨૦ના જાન્યુઆરીમાં આ પડકારને પોતાના ભણી કાલવી ઉભરેલ સત્તા-પ્રતિષ્ઠાન દેખીતી રીતે જ દિલ્હી દરબારના તાલમાં તાલ મિલાવી ચાલી રહેલ છે અને છાત્રયુવા શક્તિ નાગરિક વલણોસોતી એની સામે પડકારની ભૂમિકા પ્રગટ કરી રહી છે.
ગુજરાતનો છાત્રયુવા મિજાજ આ વખતે કોઈ એકાકી ઘટના નથી. એમાં એક અખિલ હિંદ ચહેરો દેખાઈ રહ્યો છે. નહીં કે હમણેનાં વરસોમાં એના સંકેતો નહોતા. પણ અત્યારની સ્પષ્ટસુરેખ મુદ્રા તે વારે નહોતી. જે.એન.યુ. સાથે એન.ડી.એ.-૨ની પહેલી મુદતનો વહેવાર હમણાં છોડી દઈએ. પણ આ દિવસોમાં અલીગઢ, જામિયા મિલિયા અને જે.એન.યુ. સાથે આપણે જે વહેવાર જોયો એના પ્રતિસાદને સમજવા જેવો છે. પહેલી મોટી વાત તો એ બની કે અલીગઢ અને જામિયા મિલિયા સાથેના હિંસ્ર વહેવારને હાલની સત્તા-માનસિકતાને જે બહુ માફક આવ્યું હોત એવું કોઈ હિંદુમુસ્લિમ પરિમાણ ન મળ્યું જે હુલ્લડિયા હનુમાનની રાજનીતિને ફળતું રહ્યું છે. જે.એન.યુ., સત્તા-પ્રતિષ્ઠાન લાખ લાળા આવે તોપણ, રાજ્યસમર્થિત અગર સત્તાવાર આંખ આડા કાનની હિંસા સામે એકજુટ નાગરિકતાના નવા પ્રતિમાનપૂર્વક આપણી સમક્ષ આ ક્ષણે તો છે. એ અલબત્ત સંદેશાવહેવારની નવી સુવિધારૂપ સોશિયલ મીડિયાની સહદ્ ઉપલબ્ધિ લેખાશે કે લાકડિયો તાર ગામપરગામ એવો તો ફરી વળ્યો કે કોઈએ કોઈને સાદ દેવો ન પડ્યો. થોડાં વરસ પર વિશ્વે જે અરબ વસંતનો સાક્ષાત્કાર કર્યો હતો એમાં ઇન્ટરનેટ રેવોલ્યુશન શું ભાગ ભજવી શકી હશે એનો એક અહેસાસ હાલના જે.એન.યુ.-જામિયા ઘટનાક્રમ થકી જરૂર મળી રહે છે.
એનો અગ્રસંચાર, એમ તો અણ્ણા હજારેના આંદોલન અને નિર્ભયા ઉદ્યુક્તિમાં પણ આપણે જોયો હતો. પણ અણ્ણા આંદોલનના વડા લાભાર્થી પક્ષ હસ્તક ગુજરાતમાં લોકઆયુક્ત અને દિલ્હીમાં લોકપાલની અવદશા બલકે નકો નકો નિયતિ નજરોનજર છે. કેજરીવાલ પણ લગોલગના લાભાર્થી ખરા – અને જેને પ્રશાન્ત ભૂષણ અને યોગેન્દ્ર યાદવ સરખા પ્રતિભાવંત લોકપ્રહરી ન ખમી શકાય એવા પણ ખરા – પરંતુ વહીવટમાં, ખાસ કરીને શિક્ષણ અને સ્વાસ્થ્ય પ્રકારનાં ક્ષેત્રોમાં, એમણે રાજકીય સંકલ્પશક્તિનો જે દાખલો બેસાડ્યો છે એનો જોટો નથી.
અત્યારની જે વિશેષતા છે તે એ કે ભા.જ.પ.ને એકતરફી સોશિયલ મીડિયાનો (અને અલબત્ત કૉંગ્રેસ વગેરે વિપક્ષની મર્યાદાનો તેમ સંઘ-સંગઠનનો) લાભ આરંભને તબક્કે મળ્યો તેને હવે સમાંતર સ્પર્ધીઓનો પડકાર આવી મળ્યો છે. મે ૨૦૧૪માં એને વૉટ્સઅપ યુનિવર્સિટી ખાસી ફળી હશે, પણ મે ૨૦૧૯ પછીના દોરમાં એના ભાડૂતી અને / અથવા ભક્તગણ સામે વળતી વિશેષ વિગતો સાથેનો જે ફાલ રણમોઝાર આવી રહ્યો છે એને એકતરફી ડામણાં ને ડાબલાં બાંધવાનું પૂર્વવત શક્ય નથી.
આ દિવસોમાં જે મુસ્લિમ મિજાજ જોવા મળે છે એ ૧૯૨૦ની વિશેષ નાગપુર કૉંગ્રેસ લગોલગનો છે. કૉંગ્રેસ જહાલ કાર્યક્રમ તરફ જાય એવા ગાંધીવ્યૂહને કૉંગ્રેસની સ્થાપિત નેતાગીરીનું સમર્થન નહોતું. પણ ઇતિહાસમાં પહેલી વાર ખાસી મોટી સંખ્યામાં કૉેગ્રેસમાં ભાગ લઈ રહેલા મુસ્લિમ પ્રતિનિધિઓએ નિર્ણાયકપણે ચિત્ર બદલ્યું હતું. મુશિરુલ હસને જેમ એમના ઓમ્નિબસમાં તેમ હમણેના મરણોન્મુખ, કદાચ મરણોત્તર પ્રકાશનમાં ગાંધીના આંદોલન અને મુસ્લિમ ચડાવઉતારને અનુલક્ષીને આપેલું સમગ્ર ચિત્ર (જેટલું સ્વાધ્યાયપુત એટલું જ સહૃદય) આ સંદર્ભમાં જોવા જેવું છે. કોઈકે વિભાજનના દિવસોમાં પાકિસ્તાનના ટાઈમ્સના ફૈઝ અહમદ ફૈઝ લિખિત અગ્રલેખોનો સમગ્ર સંગ્રહ સુલભ કરાવવા જેવો છે. મુશિરુલ અને ફૈઝના (તેમ મૌલાના આઝાદના) ગાંધી મુસ્લિમોમાં આટલે વરસે, એક અંતરાલ પછી, નવેસર ઝગી રહ્યા છે. મૌલાના આઝાદે નવેમ્બર ૧૯૪૭માં દિલ્હીની જામા મસ્જિદના પગથિયે ઊભા રહી મુસ્લિમ સમુદાયને ફરિયાદ કે ટોણાની રીતે નહીં પણ વેદનાસિક્ત સહૃદયતાથી જે સાફ વાત કહી હતી તે કેમ જાણે આ નવા જનઉઠાવમાં ફરીને સામે આવે છે. કોમી ધ્રુવીકરણની રાજનીતિ સામે નાગરિક દૃઢીકરણનો આ નવતબક્કો હોઈ શકે છે. મુસ્લિમબહુલ નિદર્શનો સમજી શકાય છે, પણ એનો ચહેરો આંબેડકર અને ગાંધી હોય (નહીં કે કોઈ મુલ્લામોલવી) એ એક નવઉઘાડની શક્યતા દર્શાવે છે.
સ્થાપિત પક્ષોથી ઉફરાટે વિકલ્પની રાજનીતિની એક નવી શક્યતા ખીલું ખીલું છે. વસ્તુતઃ આપણે જે.એન.યુ.નો વિકાસક્રમ સુપેરે સમજ્યા જ નથી. નિર્મલા સીતારમણ અને એસ. જયશંકરે પૂર્વછાત્ર તરીકે છેલ્લા દિવસોમાં ટિ્વટિયારું કીધું છે કે ડિબેટ અને ડિસ્કશન તો જે.એન.યુ.ની સંસ્કારપ્રણાલિ છે. એમણે, પોતાની હાલની સોબતને સમજાવવા કે સામેવાળાને સંભળાવવા એમ મિશ્ર ગણતરીથી કહ્યું હોય તોપણ તે એક પાયેનાં મુદ્દો છે જ. જે.એન.યુ.ના વાઇસ ચાન્સેલર રહેલા, ગુજરાતને સુપરિચિત (અને વળી પૂર્વ કેન્દ્રીય મંત્રી) ડૉ. યોગેન્દ્ર અલઘે વિદ્યાર્થીઓ સાથે દિલી આપલે, સત્યાગ્રહ, ધરણા સહિતની જે વિકાસયાત્રા સંભારી છે એ જોવા જેવી છે. જે.એન.યુ.ના આરંભકાળ સાથે માર્ક્સવાદી અધ્યાપકો(અને તે અલબત્ત પિયર રિવ્યૂ ખમી શકે એવા વિદ્વાનો)ની વિશેષે સંડોવણી રહી. માર્ક્સવાદી આંદોલનમાં રશિયા અને સ્તાલિન સાથેનું જે સંધાન ક્યારેક દુર્નિવાર હતું એ પણ એમાં વરતાતું હશે જરૂર. પણ હતી અને છે ખુલ્લી સંસ્કૃતિ. દિલ્હી યુનિવર્સિટી અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના માહોલમાં ઇતિહાસના અધ્યાપકોનો જે ફાલ આવ્યો એમાં સ્વાતંત્ર્યસંગ્રામના માર્ક્સવાદી આકલનમાં કોરાણે મુકાયેલા કે નકરા ટીકાપાત્ર લેખાયેલા ગાંધી વિશે નવેસર, સકારાત્મક ચિંતન જોવા મળે છે. માર્ક્સવાદી ઇતિહાસપંડિત બિપનચંદ્રનો આ નવ્ય સમજમાં અનન્ય ફાળો છે. ડાબે હોવાનો અર્થ પ્રો-પુઅર જરૂર છે, પણ તે માટે અનિવાર્યપણે સામ્યવાદી હોવું જરૂરી નથી. નવો ફાલ ગાંધી, લોહિયા, જયપ્રકાશ અને આંબેડકરને જુદી રીતે જુએ છે. દુરાકૃષ્ટ લાગે તોપણ હું એક એવો પેરેલલ મૂકવા ઇચ્છું કે માર્ક્સસાત્ ગાંધી અગર ગાંધીસાત્ માર્ક્સની જે વિચારરમણા આપણે ત્યાં ઉમાશંકર, દર્શક આદિની છે તે વય, ભાષા, ભૂષા સઘળી વાતે જુદા પડતા આ યુવજનોની પણ હોઈ શકે છે. આ વરસોમાં શોધાયેલી ‘અર્બન નક્સલ’ સંજ્ઞા ‘માઓ ઈઝ અવર ચેરમેન’ પ્રકારના (લેનિન જેને ઇન્ફન્ટાઇલ ડિસઑર્ડર કહે તેવા) વર્ગની ઓળખ નથી. એમાંથી ન્યાય ભણી ઝૂકતા લડાકુ લિબરલની તટસ્થ (દૂધદહીં નહીં) મુદ્રા આપણી સમક્ષ આવે છે.
ડિકન્સે ‘અ ટેઈલ ઑફ ટુ સિટીઝ’માં કહ્યું છે તેમ એક સાથે, ‘વર્સ્ટ ઑફ ધ ટાઇમ્સ’ અને ‘બેસ્ટ ઑફ ધ ટાઈમ્સ’નો આ કાળખંડ છે, મેઘાણીના શબ્દોમાં ‘અંધકાર અને પ્રકાશની મારામારી’નો પણ. રામદુવારે ઝાલર બજે અને ગાય એને સાંભળતી ચાલી આવે તેમ ‘મારો માલિક’ જે સાદ આપે છે તે હું આજના આજંપ યુવજન થકી સાંભળું છું.
બને કે વસંતગર્ભા શિશિરનો આ દોર હોય.
સૌજન્ય : અગ્રલેખ, “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2020; પૃ. 01-02 તેમ જ 14