દિવાળીનો આકાશકંદીલ એ ત્રેપન વર્ષથી અમદાવાદમાં રહેતા અમારા ભાવે પરિવારને મહારાષ્ટ્રમાંથી મળેલો સુંદર વારસો છે.
આ આકાશકંદીલ અમદાવાદમાં વસતા અમ ત્રણ ભાઈઓ – સંદીપ, સુનીલ અને સંજય – પોતપોતાના ઘરે જાતે બનાવીને લગાવીએ છીએ. कंदील એ મરાઠી શબ્દનો અર્થ થાય છે ફાનસ અથવા દીવો.
અમને આ વારસો અમારા પિતા શ્રીપાદ માધવ ભાવે, જેમને અમે ‘ભાઉ’ કહેતા તેમની પાસેથી મળ્યો છે. આકાશકંદીલ બનાવીને લગાવવામાં અમારી દિવાળીની સાર્થકતા હોય છે.
વાંસની સળકડીઓ, સૂતરની દોરી (કે પતંગનો માંજો), પતંગના કાગળ અને ચોંટાડવા માટે ઘંઉના લોટની ‘લઇ’ – આટલી જ સામગ્રીમાંથી બનતું આ સુશોભન સંપૂર્ણપણે હાથથી બનાવેલું અને eco-friendly હોય છે.
તે મુંબઈ જેવા મહાનગર સહિત મહારાષ્ટ્રમાં બધે જ જોવા મળે છે. ઘણાં લોકો તે તૈયાર પણ લાવે છે. મહારાષ્ટ્રમાં વાચનસમૃદ્ધ મરાઠી દિવાળી અંકોની જેમ જાતભાતનાં આકાશકંદીલનું પણ બહુ મોટું ચલણ છે.
આકાશકંદીલ બનાવવાના બે-ત્રણ દિવસ અમારા માટે તે બનાવવાનો આનંદના હોય છે. પણ તેમાં તે મોડામાં મોડો ધનતેરસ પર સરસ રીતે બનાવીને મૂકાશે કે નહીં એના કંઈક તણાવ પણ હોય છે.
આકાશકંદીલ બનાવવાની એક ચોક્કસ રીત અને સમયપત્રક હોય જે જાળવવાં પડે છે. આકાશકંદીલ બનવવાનું શરૂ કરો એટલે તે પૂરો કરીને, ઘરની બહાર લટકાવીને અંદર દીવો પ્રગટાવ્યે જ છુટકો.
આકાશકંદીલ સાથે ઉછેરનાં વર્ષો, તબક્કા અને અલબત્ત યાદો જોડાયેલાં છે.
આ મનગમતું કામ અમને દર વર્ષે એક વાર કેટલી ય વસ્તુઓ/પ્રવૃત્તિઓ સાથે જોડે છે – વાંસ, છરી, દોરા, કાતર, કાગળ, ફૂટપટ્ટી, નકશીકામની કોતરણી, જાતે બાફીને બનાવેલી ‘લઈ’ (જે અમને ગુંદર કે ફેવિસ્ટિક કરતાં ય વધુ વહાલી લાગે છે), સીડી, વાયર, બલ્બ, પલાંઠી વાળીને બેસવું, ગાંઠો વાળવી, બાળપણ, બાપુજી, બા, કાકા, ફોઈ, માસી, ડહેલું ….
પૂના-મુંબઈના અમારા પિતરાઈઓ અત્યારે ભલે કૉર્પોર્રેટમાં હોય કે આઈ.ટી.માં, ફૅક્ટરીમાં હોય કે બાંધકામમાં, સમય કાઢીને ખસૂસ જાતે આકાશકંદીલ બનાવે છે, એ નહીં તો ઘરનાં બહેનો બનાવે છે. ગ્રુપમાં તેના ફોટા મૂકે છે. એમનાં પપ્પા-મમ્મીઓને મેં મારા નાનપણમાં આકાશકંદીલ બનાવતાં જોયાં છે.
અમારા ભાઉ સ્વયંમેવ પ્રતિભાવાન અને સ્વશિક્ષિત-સ્વદિક્ષીત મિકૅનિકલ અને ઇલેક્ટ્રૉનિક એન્જિનિયર હતા. ‘ઇસરો’ના એક મહત્ત્વના વિભાગના મૅનેજર તરીકે નિવૃત્ત થયા. મેં જોયેલા અત્યંત બૂદ્ધિશાળી, ખૂબ ઊંચો બૂદ્ધિઆંક IQ ધરાવનાર વ્યક્તિઓમાં એક હતા. મારા નાનપણમાં એ આકાશકંદીલ બનાવતા. ક્યારેક વધારામાં નાતાલમાં હોય છે તેવો એક તારો પણ બનાવતા.
ત્યાર બાદ હું કંદીલ બનાવતો થયો. પછીનાં વર્ષોમાં એ આનંદ મારા બંને ભાઈઓએ એક પછી એક માણ્યો. અમે ત્રણેય નોકરીઓ વગેરેમાં વ્યસ્ત રહેવા લાગ્યા, અને ભાઉ નિવૃત્ત થયા એટલે ફરી પાછા એ બનાવતા. થોડાંક વર્ષ બાદ તેમને ઉંમરને કારણે મુશ્કેલી પડવા લાગી. એટલે મેં બનાવવાનું શરૂ કર્યું.
ભાઈઓનાં પોતાનાં ઘર થયાં એટલે હવે તેઓ એમના ઘરે બનાવે છે. પણ અમારા ‘ભાઉ’ના કામમાં હતાં તેટલાં ચોકસાઈ અને finishing અમારામાં નથી આવતાં. પણ ત્રણેય માટેના કાગળ વચેટ સુનીલ ગાંધી રોડ પરની જૂમા મસ્જિદેથી લઈ આવે છે.
વચ્ચે ત્રણેક વર્ષ મુશ્કેલીના ગયા. આકાશકંદીલ ન બની શક્યો. ગયા વર્ષ હું બનાવવા બેઠો, પણ કોણ જાણે કેમ પણ સળકડીઓનું માળખું ધાય જ નહીં. મારી તો ઊંઘ ઊડી ગઈ. આવું તે કેમ થાય ? વર્ષાભાભી અને સુનીલે અરધી રાત સુધી મદદ કરી પછી બધું પાર ઊતર્યું.
આકાશકંદીલ બને એટલી ચીવટથી બનાવીને લગાવી દીધા પછી રાત્રે તેને ઉજાસતો જોવાનું મને બહુ ગમે છે. મારી પાસે જે કંઈ ચપટીક કસબ, મૂઠીભર મુગ્ધતા અને જિંદગી માટેનો થેલાભર ઉમંગ છે તે મને એ આકાશમાં લટકતા દીવામાં દેખાય છે. મને ખૂબ આનંદ અને સંતોષ મળે છે.
અમારાં મમ્મી જેને અમે ‘આઈ’ કહેતા તેમને આકાશકંદીલ બહુ ગમતો. એ તો ગોવત્સ દ્વાદશીએ, મરાઠીમાં વસુબારસે, આકાશકંદીલ બની જાય એવું ઇચ્છતાં. ભાઉ એ દિવસ જાળવતા. અમે બનાવતા ત્યારે મોટે ભાગે ધનતેરસ કે ક્વચિત કાળી ચૌદસ પણ આવી જતી.
આકાશકંદીલ જોયા બાદ અમારી આઈના ચહેરા પર જે અજવાસ ફેલાતો એ જાણે દિવાળીના કોડિયાનો ઉજાસ ! અને તેના મોંમાંથી જે શબ્દો નીકળતા તેના માટે જ કદાચ આજે ય મારા હાથે આકાશકંદીલ બની જાય છે. દર વર્ષે આકાશકંદીલ બન્યા બાદ હરખના આંસુ સાથે આઈ કહેતી – शाब्बास रे माझ्या बाळा !’
12 નવેમ્બર 2023, દિવાળી
e.mail : sanjaysbhave@yahoo.com