આજે જેમ શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનની ત્રિપુટી હિન્દી સિનેમા જગતમાં ‘રાજ’ કરે છે, તેવી જ રીતે એક જમાનામાં રાજ કપૂર, દિલીપ કુમાર અને દેવ આનંદની ‘ત્રિમૂર્તિ’ સિનેમા પ્રેમીઓના દિલ પર છવાયેલી હતી. ત્રણે વિભાજન પહેલાંના પંજાબના હતા. રાજ અને દિલીપ પેશાવરમાં પાડોશી અને સહાધ્યાયી હતા. દેવભાઈ ગુરુદાસપુરના હતા. ત્રણે 40ના દાયકામાં એકાદ-બે વર્ષના અંતરે જ સિનેમામાં આવ્યા હતા. રાજ કપૂરે પોતાને ચાર્લી ચેપ્લીનના વિદુષકમાં ઢાળ્યા, દિલીપ કુમારે ટ્રેજેડી કિંગ તરીકે સ્થાન મજબૂત કર્યું અને દેવે ગ્રેગરી પેક અને કેરી ગ્રાન્ટનું હિન્દીકરણ કર્યું. 50 અને 60ના દાયકામાં ત્રણેનો બોક્સ ઓફીસ પર દબદબો હતો.
1949માં, રાજ કપૂર અને દિલીપ કુમાર પહેલીવાર એક સાથે મહેબૂબ ખાનની ફિલ્મ “અંદાઝ” આવ્યા હતા. નરગીસની આસપાસ રચાતી પ્રણય કથાવાળી આ ફિલ્મ તેના અફલાતુન સંગીત (સંગીતકાર નૌશાદ અને ગીતકાર મજરૂહ સુલતાનપૂરી) અને ત્રણેના ઉત્કૃષ્ઠ અભિનયના કારણે આજે ક્લાસિક ફિલ્મોમાં સ્થાન પામે છે. સુપરહીટ ‘અંદાજ’ને બાદ કરતાં, દર્શકોમાં એક માન્યતા એવી પ્રચલિત છે કે એકબીજાના હરીફ બનેલા બંને તે પછી એક સાથે કોઈ ફિલ્મમાં આવ્યા નથી. સમકાલીન મોટા એકટરોમાં આવું દરેક પેઢીએ જોવા મળ્યું છે. હરીફાઈ અને અહમ્ને કારણે તેઓ આસાનીથી સાથે પડદા પર આવતા નથી. આવે તો નિર્માતા માટે સોના-ચાંદી થઇ જાય.
જો કે 1968માં કિશોર કુમાર અને આઈ.એસ. જોહરની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ‘શ્રીમાનજી’માં રાજ કપૂર અને દેવ આનંદ ભેગા થયા હતા. જો કે એ મહેમાન ભૂમિકા હતી એટલે ખાસ ધ્યાનમાં આવી નહોતી (એમ તો એ ફિલ્મમાં રાજેશ ખન્ના અને રાજેન્દ્ર કુમાર પણ મહેમાન હતા). બાકી રહ્યા દિલીપ અને દેવ. એ બંને પણ 1955માં ‘ઈન્સાનિયત’ નામની એક ફિલ્મમાં એક સાથે આવ્યા હતા. એમાં બંનેની મુખ્ય ભૂમિકા હતી. દિલીપ અને દેવે સાથે કામ કર્યું હોય તેવી આ એક માત્ર ફિલ્મ છે.
દિલીપ કુમાર જ્યારે જીવતા હતા ત્યારે એક ઠેકાણે કહ્યું હતું, “હું દેવ કરતાં એક જ વર્ષ સિનિયર છું. અમે ત્રણે 40ના મધ્યમાં એક સાથે આવ્યા હતા. અમારી વચ્ચે સરસ લગાવ હતો. દેવ તો ફેમિલી ફ્રેન્ડ હતો. અમે હરીફ હતા, દુ:શ્મન નહીં. મને (નિર્માતા) જૈમિનીની ‘ઈન્સાનિયત’માં દેવ આનંદ સાથે કામ કરવાનું નસીબ મળ્યું હતું. એસ.એસ. વસન નિર્દેશિત આ ફિલ્મ કોસ્ચ્યુમ ડ્રામા હતી. દેવ એટલો ઉદાર હતો કે મારી સાથેનાં દૃશ્યો માટે થઈને તેની તારીખો કેન્સલ કરી હતી. મેં જાતે જોયું હતું કે તે જુનિયર કલાકારો તેમની પ્રતિભા બતાવી શકે તે માટે વારંવાર ટેઈક આપતો હતો. એ ક્યારે ય કોઈની ઉપેક્ષા કરતો નહોતો.”
હિન્દી સિનેમામાં દક્ષિણના ફિલ્મ સર્જકોની હાજરી એ વખતે પણ હતી. એસ.એસ. વસન તમિલ ફિલ્મોમાં ખમતીધર નામ હતું. એ નિર્માતા, નિર્દેશક, પત્રકાર, લેખક અને બિઝનેસમેન હતા. 1940માં તેમણે જૈમિની સ્ટુડીઓ નામની ફિલ્મ કંપની સ્થાપી હતી. 1948માં તેઓ પહેલા તમિલ ફિલ્મ સર્જક હતા, જેમણે સુપરહીટ ‘ચંદ્રલેખા’ને પૂરા ભારતમાં રિલીઝ કરી હતી. રાજ તિલક, પૈગામ, ઘરાના, અને ઔરત જેવી લોકપ્રિય હિન્દી ફિલ્મો તેમના નામે છે.
દિલીપ કુમારે ટ્રેજિક ભૂમિકાઓમાંથી બહાર નીકળવા માટે થઈને 1954માં, કોઇમ્બતુરના પક્સીરાજા સ્ટુડીઓની ‘મલાઈકલમ’ની હિન્દી રીમેક ‘આઝાદ’માં કામ કર્યું હતું. તેનું શુટિંગ કોઇમ્બતુરની આસપાસ થયું હતું. એ ફિલ્મની સફળતાથી જૈમિનીવાળા એસ.એસ. વસનનું ધ્યાન દિલીપ કુમાર પર પડ્યું હતું. તેમણે તાબડતોબ દિલીપ કુમારને તેમની ‘ઈન્સાનિયત’ ફિલ્મ માટે સાઈન કરી નાખ્યા હતા. વસન પોતે પણ તમિલમાંથી બહાર નીકળીને હિન્દીમાં જવા માંગતા હતા. એટલે તેમણે ‘ઈન્સાનિયત’માં આખી ટીમ મુંબઈના કલાકારોની બનાવી હતી.
દિલીપ કુમારની સાથે તેમણે (પાછળથી પ્રેમનાથ સાથે લગ્ન કરનાર) બિના રાય અને દેવ આનંદને લીધા હતા. શરૂઆતમાં વસન ભારત ભૂષણને લેવા માંગતા હતા. ભારત ભૂષણ લાંબો સમય હિરો રહી ન શક્યા, પણ તે સમયે તે મોટા સ્ટાર હતા અને તેમની બહુ ડિમાન્ડ રહેતી હતી. તેમણે ફિલ્મનો સ્ક્રીનપ્લે વાંચ્યો પછી લાગ્યું કે આમાં તો દિલીપ કુમારને મોટો ભા બનાવ્યા છે એટલે તેમણે એ ભૂમિકા કરવાની ના પાડી દીધી. વસને પછી બીજા મોટા સ્ટાર દેવ આનંદને મ્હોં માગ્યા રૂપિયા આપીને ફિલ્મમાં લીધા.
જો કે દેવ આનંદને પણ ફિલ્મના સેટ પર એવું લાગ્યું હતું કે દિલીપ કુમાર પોતે જ ફિલ્મમાં છવાયેલા રહેશે. એક જગ્યાએ તેમણે કહ્યું હતું, “મને ઈન્સાનિયત કરવાનો બહુ ત્રાસ થયો હતો. દિલીપ કુમાર સાથેની મારી એક માત્ર ફિલ્મમાં તેમણે મને મુંછો ચોંટાડી હતી.” જેમ ‘અંદાજ’ પછી રાજ અને દિલીપે સાથે કામ નહીં કરવાનું ‘વચન’ લીધું હતું, તેમાં દેવ આનંદે પણ ફરીવાર દિલીપ કુમાર સાથે પડદા પર નહીં ઊભા રહેવાનું નક્કી કર્યું હતું. એટલું જ નહીં, ફરી વાર ધોતી-કુર્તા પણ નહીં પહેરવાનો નિશ્ચય પણ ‘ઈન્સાનિયત’ પછી જ કર્યો હતો.
ફિલ્મ ખાસ ચાલી નહોતી. આજે જુવો તો તેનાં પત્રો કાર્ટૂન જેવાં વિચિત્ર લાગે. રાજાની કહાની હતી એટલે તેમાં વેશભૂષા ‘રજવાડી’ હતી. ‘ઈન્સાનિયત’ આમ એક્શન ફિલ્મ હતી, જેમાં એક જુલ્મી રાજાથી ગામને બચાવવા માટે બે ભાઈબંધો (દિલીપ અને દેવ) જાન પર આવીને લડે છે અને સાથે એ પ્રેમ કથા પણ હતી, જેમાં ગામની ગોરી (બિના રાય) એક બહાદુર(દેવ)ને ચાહે છે અને બીજો બહાદુર (દિલીપ) ખાનગીમાં તેને ચાહે છે.
દિલીપ કુમારે કબૂલ કર્યું હતું કે ‘ઈન્સાનિયત’ કર્યા પછી તેમને અન્ય પ્રકારની ફિલ્મો કરવાનો વિશ્વાસ આવ્યો હતો અને સાચે જ એ પછી તેમણે વૈવિધ્યપૂર્ણ ભૂમિકાઓ કરવાનું શરૂ કર્યું હતું.
બીજી એક આડ વાત. વસન સાહેબ દિલીપ કુમારના એવા ફેન અને ફ્રેન્ડ બની ગયા કે બંનેએ થોડાં વર્ષો પછી સુપરહીટ ‘પૈગામ’ આપી હતી. ભાઈબંધી એવી કે દિલીપ કુમારની ત્યારની મંગેતર મધુબાલા(બંને લગ્ન કરવાનાં હતાં)ને મદ્રાસમાં લોહીની ઊલટીઓ થઇ, ત્યારે વસને તેની દરકાર કરી હતી. મધુબાલાએ પાછળથી કહ્યું હતું, “વસન દંપતીએ માતા-પિતાની જેમ મારી દરકાર કરી હતી અને મને સાજી કરી હતી.”
મધુબાલાનો સ્નેહ એવો હતો કે તે સમયે મુંબઈમાં તે માત્ર બે જ વખત બુરખા વગર દેખાઈ હતી; જૈમિની સ્ટુડીઓની ‘બહુત દિન હુએ’ અને ‘ઈન્સાનિયત’ના પ્રીમિયરમાં. પહેલી ફિલ્મમાં તો તેની મામુલી ભૂમિકા હતી, પણ બીજી ફિલ્મમાં તેનો પડદાનો અને દિલનો હિરો દિલીપ કુમાર હતો. તે પહેલીવાર દિલીપ કુમારની સાથે જાહેરમાં ‘ઈન્સાનિયત’ના પ્રીમિયરમાં આવી હતી. બંને હાથમાં હાથ નાખીને મુંબઈના રોક્સી સિનેમામાં આવ્યાં તે સમાચાર ફિલ્મી મેગેઝિનો ગરમા-ગરમ ગોસીપનો વિષય હતા. એવું લાગતું હતું કે તેમના રોમાન્સની અફવાને તેમણે સત્તાવાર સમર્થન આપ્યું હતું અને જાણે શાદીના બંધનમાં બંધાઈ જવાનો ઈરાદો હોવાનું જાહેર કર્યું હતું.
મધુબાલાનો એ સૌથી ખુશીનો દિવસ હતો અને એ ખુશી તે પ્રસંગના ફોટાઓમાં દેખાતી હતી. એ ખુશી લાંબી ચાલી નહોતી. તેના પિતાનું કડક નિયંત્રણ કહો કે તેના ચાહકોને ભીડ કહો, મધુબાલાએ થોડા જ વખતમાં બહાર નીકળવાનું અને કોઈને પણ મળવાનું બંધ કરી દીધું. પાછળથી ખબર પડી કે તે હૃદયના પહોળા વાલ્વની બીમારીનો શિકાર થઇ હતી. મધુબાલા અને દિલીપ કુમારનો રોમાન્સ નવ વર્ષ ચાલ્યો. 1969માં મધુબાલાનું વાલ્વની બીમારીમાં મોત થઇ ગયું.
(પ્રગટ : ‘સુપરહિટ” નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 19 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર