“ધર્મ એટલે સત્યની તાલાવેલી, વિવેકી સમભાવ તેમ જ એ બે તત્ત્વોની દોરવણી નીચે ઘડાતો જીવનવ્યવહાર. આ જ ધર્મ પારમાર્થિક છે. બીજા જે વિધિનિષેધો, ક્રિયાકાંડો, ઉપાસનાના પ્રકારો વગેરે ધર્મની કોટિમાં ગણાય છે, તે બધા જ વ્યવહારિક ધર્મો છે અને તે જ્યાં સુધી પારમાર્થિક ધર્મ સાથે અભેદ્ય સંબંધ ધરાવતા હોય ત્યાં સુધી જ ધર્મના નામને પાત્ર છે. પારમાર્થિક ધર્મ એ જીવનની મૂલગત તેમ જ અદૃશ્ય વસ્તુ છે. તેનો અનુભવ કે સાક્ષાત્કાર તે ધાર્મિક વ્યક્તિને જ હોય છે, જ્યારે વ્યાવહારિક ધર્મ દ્રશ્ય હોઈ, બીજાઓ જોઈ શકે તેવો છે. પારમાર્થિક ધર્મનો સંબંધ ન હોય તો ગમે તેટલા જૂના અને બહુસંમત બધા જ ધર્મો વસ્તુત: ધર્મનો આભાસ જ છે.”
અહીં જે અવતરણ ટાંકવામાં આવ્યું છે એ પંડિત સુખલાલજીનું છે. બહુ મોટા મેધાવી પ્રજ્ઞાચક્ષુ દાર્શનિક હતા. પાછળથી ભારતના રાષ્ટ્રપતિ બનેલા ડૉ. રાધાકૃષ્ણન જ્યારે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ હતા, ત્યારે પંડિતજી એ યુનિવર્સિટીમાં દર્શનશાસ્ત્રના પ્રાધ્યાપક હતા. ડૉ. રાધાકૃષ્ણને પોતે કહ્યું છે કે તેઓ પંડિતજીના લેક્ચર્સનું ટાઈમ ટેબલ પોતાની પાસે રાખતા અને બને ત્યાં સુધી વખત કાઢીને તેઓ પંડિતજીના વર્ગમાં પાછલી બેંચ પર બેસી જતા. ડૉ. રાધાકૃષ્ણ જેમને સાંભળવાનું ચુકતા નહીં એવા મેધાવી વિદ્વાન આપણી ભાષામાં ઘણું વિશાળ, ઘણું ઊંડું, તુલનાત્મક ધર્મચિંતન કરતા ગયા છે, અને આપણા માટે મુકતા ગયા છે.
હવે ઉપરનું અવતરણ ફરી ફરીને વાંચો. છેક ૧૯૫૯માં તેમણે ‘ધર્મ ક્યાં છે?’ એવી પરિચય પુસ્તિકા લખી હતી અને આજે ૬૦ વરસે એમાં કહેવાયેલો એકે એક શબ્દ સાચો છે. એ પુસ્તિકામાં કરવામાં આવેલા ધર્મચિંતન વિષે ક્યારેક વિસ્તારથી વાત કરવાનો ઈરાદો છે, પરંતુ અહીં શબરીમાલાના કેસમાં સર્વોચ્ચ અદાલતે જે ચુકાદો આપ્યો છે એના સંદર્ભમાં ઉપરનું અવતરણ વધારે પ્રાસંગિક છે.
ધર્મ એટલે સત્યની તાલાવેલી અને વિવેકી સમભાવ. પંડિતજી કહે છે કે ધર્મનો આ આત્મા છે અને એના આધારે જીવનનો વ્યવહાર ઘડાવો જોઈએ. પારમાર્થિક ધર્મ આને કહેવાય. સત્યની તાલાવેલી અને વિવેકી સમભાવ જેમ ધર્મનો આત્મા છે તો જગતના તમામ સંગઠિત ધર્મો બાહ્ય કલેવર પણ ધરાવે છે. વિધિનિષેધો, ક્રિયાકાંડો અને ઉપાસનાના પ્રકારો બાહ્ય કલેવરનો હિસ્સો છે. પંડિતજી આને વ્યાવહારિક ધર્મ તરીકે ઓળખાવે છે. એ પછી પંડિતજી કહે છે કે વ્યાવહારિક ધર્મ પારમાર્થિક ધર્મ સાથે અભેદ્ય સંબંધ ધરાવતા હોય ત્યાં સુધી જ ધર્મને પાત્ર છે. બીજા શબ્દોમાં જ્યાં સુધી આત્મા હોય ત્યાં સુધી જ દેહની કિંમત છે. બાકી મૃત-દેહમાં અને પથ્થરમાં કોઈ ફરક નથી. એ પછી પંડિતજીએ તેમની 32 પાનાંની પરિચય પુસ્તિકામાં વ્યવાહારિક ધર્મે પારમાર્થિક ધર્મ સાથે અભેદ્ય સંબંધ જાળવી રાખવાની જગ્યાએ કઈ રીતે વ્યવાહારિક ધર્મે પારમાર્થિક ધર્મનું સ્થાન લઈ લીધું છે એની વાત કરી છે.
આખા જગતની સમસ્યા અત્યારે આ છે. અત્યારે આ સમસ્યા પેદા થઈ છે એવું નથી, સદીઓ જૂની આ બીમારી છે જે હવે વકરી છે. ધર્મના બાહ્ય કલેવરને આપણે ધર્મનો આત્મા માની લીધો છે અને સરવાળે એમાં ધર્મનું જ નખોદ નીકળી રહ્યું છે. વિડંબના એ છે કે દરેક ધર્મનું નખોદ જે તે ધર્મના અનુયાયીઓ જ કાઢી રહ્યા છે. અનુયાયી આંધળા હોય (અને મોટે ભાગે અનુયાયી આંધળા જ હોય છે) ત્યારે કોઈ વિચાર કે વ્યક્તિને મારવા માટે દુશ્મનની જરૂર નથી પડતી. અનુયાયી જ મારી નાખે છે.
સત્ય માટેની તાલાવેલી અને વિવેકી સમભાવની એરણ હોય તો અસ્પૃશ્યતાનો બચાવ કઈ રીતે થઈ શકે? પરંતુ દાયકાઓ સુધી ધર્મના બાહ્ય કલેવરને ધર્મનો આત્મા માનનારાઓએ અસ્પૃશ્યતાને ધર્મના અનિવાર્ય અંગ ગણીને તેનો બચાવ કર્યો હતો. હિંદુ સ્ત્રીઓને સામાજિક-આર્થિક ન્યાય આપનારા હિંદુ કોડ બીલ વખતે પણ હિંદુ ધર્મના બાહ્ય કલેવરની ઓથ લઈને હિંદુ કોડ બીલમાંની જોગવાઈઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. હિંદુ કોડ બીલને ધર્મ સાથે કોઈ સીધો સંબંધ નહોતો, પણ વિરોધ કરનારાઓ વચ્ચે ધર્મને લઈ આવ્યા હતા. મરજી પડે ત્યારે મુસ્લિમ સ્ત્રીને ટ્રીપલ તલાક આપીને તરછોડી દેવામાં આવે એ સત્ય માટેની તાલાવેલી અને વિવેકી સમભાવની એરણે ચકાસવામાં આવે તો એક પણ દિવસ ટકી ન શકે, પરંતુ તેને પણ ઇસ્લામ ધર્મના અનિવાર્ય અંગ તરીકે બચાવ કરવામાં આવતો હતો.
હાજી અલી, શનિ શિંગણાપુર, શબરીમાલા જેવાં ધાર્મિક સ્થળોએ સ્ત્રીઓને ધર્મનાં નામે પ્રવેશ આપવામાં આવતો નહોતો અને હજુ બીજાં અનેક ધર્મસ્થળો હશે જ્યાં પ્રવેશ નહીં આપવામાં આવતો હોય. દલીલ એવી છે કે સ્ત્રીને માસિક પાળી આવે એટલે તેનો દેહ અપવિત્ર હોય છે. અપવિત્ર સ્ત્રી મંદિરમાં કે દરગાહમાં પ્રવેશે તો ભગવાન કે ખુદા અપવિત્ર થઈ જાય. ધર્મના બાહ્ય કલેવરમાં રાચતો માનવી પોતે તો ઉપર ઊઠતો નથી, પરંતુ ભગવાનને પોતાના સ્તરે નીચે લઈ આવે છે. ભગવાન જો અભડાતો હોય તો એ ભગવાન શેનો? બીજું, માસિક આવવવાથી સ્ત્રી અપવિત્ર થઈ જાય છે એનું શું પ્રમાણ છે? પરંપરા ખૂબ જૂની છે એટલે એ ટકી રહેવી જોઈએ એવી એક દલીલ કરવામાં આવે છે. ભારતને ગુલામ રાખવાની બસો વરસ જૂની પરંપરા છે એવી અંગ્રેજોએ દલીલ કરી હોત તો? બસો વરસ એ પરંપરા ગણાવવા માટે પૂરતો સમય છે.
દરેક ધર્મના ધર્માનુંયાયીઓએ સામેથી વિવેકની એરણ વાપરીને ધર્મના બાહ્ય કલેવરમાં સુધારાઓ કરવા જોઈએ, પણ એની જગ્યાએ રાજ્ય જ્યાં સુધી પ્રતિબંધો ન મૂકે કે કાયદા ઘડીને ધાર્મિક સુધારાઓ ન કરે અથવા અદાલત જ્યાં સુધી નાક ન કાપે ત્યાં સુધી સામેથી કોઈ સુધારાઓ કરતું નથી. કોઈ માગણી કરે તો વિરોધ કરવામાં આવે. કોઈ ધાર્મિક સમાજ આમાં અપવાદ નથી. ઉપરથી ધર્મની આઝાદી(બંધારણના આર્ટિકલ્સ ૨૫થી ૨૮)ની ઓથ લેવામાં આવે છે. બંધારણે જે અધિકાર આપ્યો છે એ બીજાને વંચિત રાખીને અન્યાય કરવાનો અધિકાર નથી આપ્યો, પણ ખુદા અને બંદા વચ્ચેના પારમાર્થિક સંબંધમાં કોઈ વચ્ચે ન આવે કે કોઈ અવરોધ પેદા ન કરે એ માટે આપ્યો છે. પંડિત સુખલાલજી કહે છે એમ સત્યની તાલાવેલી અને વિવેકી સમભાવની સાધનામાં કોઈ અવરોધ પેદા ન કરે એ માટે આપ્યો છે.
આજે જગતને કહેવાતા ધાર્મિક લોકોએ એટલું અસહ્ય કરી મૂક્યું છે કે ભવિષ્ય વિષે વિચારતા ડર લાગે છે.
સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 20 જુલાઈ 2018