ભારતીય બંધારણે ધર્મ બાબતે કોઈ બંધન કોઈ પર નાખ્યું નથી, છતાં બળજબરીએ ધર્મ બદલાવવાની અનેક લોહિયાળ ઘટનાઓ ઇતિહાસમાં નોંધાઈ છે. લગ્ન નિમિત્તે પરાણે ધર્મ પરિવર્તનના કિસ્સાઓ સામે આવ્યા છે, એને લીધે તો લવ જેહાદના કાયદા કરવા પડ્યા છે. એમાં પણ લગ્ન સંદર્ભે ધર્મ પરિવર્તનનું દબાણ કન્યા પર જ વધુ આવતું રહ્યું છે. ધર્મ ન બદલવાનું કબૂલ મંજૂર રખાયું હોય તો પણ, લગ્ન પછી ધર્મ બદલવાનું દબાણ પત્ની પર જ વધારે આવે છે ને જો તે મંજૂર ન રખાય તો લગ્ન તૂટવા સુધી કે હિંસા સુધી પણ વાત આવે છે. અન્ય ધર્મીનું વલણ એવું પણ રહ્યું છે કે સામેના પાત્રને પોતાની કોમમાં લાવીને કોમની સંખ્યા વધારવી. આ બધું ધર્મને નામે, આદેશોનાં પાલન માટે થતું હોય છે.
એવું પણ આ દેશમાં ચાલ્યું છે કે વિધર્મીઓએ તલવારને જોરે અન્ય ધર્મીઓને વટલાવવાનો પ્રયત્ન કર્યો હોય ને આદિવાસી જેવા વર્ગને લાલચ આપીને, સગવડો આપીને વટાળ પ્રવૃત્તિઓ ચલાવી હોય. એવું પણ સમજાવાયું છે કે ઈશ્વર, ગોડ, અલ્લાહ તો એક જ છે એ કૈં અનેક દેવદેવીઓમાં વહેંચાયેલો ન હોય. એવી વાતોમાં આવીને કે વિધર્મીઓ દ્વારા અપાયેલી મદદની લાલચમાં આવીને, ઘણાંએ ધર્મ બદલ્યો પણ છે. જ્યાં જાણી-સમજીને કોઈએ ધર્મ બદલ્યો હોય ત્યાં તો કશું કહેવાનું નથી, પણ દબાણ ને લાલચથી ધર્મ બદલવાની ફરજ પડાઈ હોય ત્યાં ધર્મ સચવાયો હોય તો પણ તે અધર્મ જ છે એ નક્કી છે.
વિધર્મીઓએ આ દેશ પર આક્રમણો કર્યાં ને હથિયારને જોરે અન્ય ધર્મીઓનાં સ્થાનકો તોડયાં ને તેનાં પર પોતાનાં સ્થાનકો ઊભાં કર્યાં ને ભારત સ્વતંત્ર થયું પછી અહીંની પ્રજાએ પોતાનાં સ્થાનકો ફરી ઊભાં કરવાની કોશિશો કરી તો કોર્ટની દરમિયાનગીરી વગર એ શક્ય ના બન્યું. એ નિમિત્તે કેટલાં બધાં રમખાણો થયાં ને ધર્મને નામે કેટલા ય લોકોના જીવ ગયા. આ પરિસ્થિતિ હજી બહુ બદલાઈ નથી. હવે તો જે તે કોમના માણસોની લાગણી, પોતાની જ કોમના માણસો વડે દુભાતી રહે તે સ્થિતિ છે, ત્યાં અન્ય કોમના માણસોથી તો કેટલું દુભાવાનું થતું હશે તેની કલ્પના જ કરવાની રહે ! એ પણ છે કે કોઈ પણ કોમની હવે નાની નાની વાતે ય લાગણી દુભાતી રહે છે. ગલીએ ગલીએ ધર્મ રક્ષકોનો રાફડો ફાટ્યો છે ને બીજા ધર્મથી તો ઠીક, પોતાનાં જ ધર્મથી ડરાવવા–ધમકાવવાના પ્રયત્નો થતા રહે છે. એમ કરવાથી ધર્મ તો ફેલાતા ફેલાશે, પણ અધર્મ તો ફેલાય જ છે તે સમજી લેવાનું રહે. જરા ધ્યાનથી જોઈશું તો સમજાશે કે આપણે નાસ્તિકોની સંખ્યા વધારવા તરફ જ જઈ રહ્યા છીએ. ધર્મ અંગત બાબત છે ને તે અંગત જ રહેવી જોઈએ. એ જાહેર બાબત બને છે તો તેમાં આડંબર અને અહંકાર જ ઉમેરાય છે. ધર્મોપદેશકો, કેટલાક ખરેખર ધર્મનો મહિમા કરે છે, પણ એવું બહુ ઓછું છે. મોટે ભાગે તો એ પ્રજાને ઉશ્કેરે છે ને ઝનૂની બનાવે છે. ધર્મને નામે થઈ શકે એથી વધુ અધર્મ બીજી કોઈ રીતે શક્ય નથી. આ આપણા જ દેશમાં શક્ય છે. કોઈ રાજનીતિમાં ન પડીએ ને શક્ય તેટલી તટસ્થતાથી પરિસ્થિતિને જોઈએ તો સમજાશે કે, બીજા કોઈ પણ દેશમાં સુરક્ષિત હોય તેથી વધુ સુરક્ષિત, લઘુમતી, આ દેશમાં છે ને એ આ જ દેશમાં શક્ય છે.
આ તો આ દેશની લઘુમતીની વાત થઈ, અન્ય દેશોમાં લઘુમતીની શી સ્થિતિ છે તે જાણવા પડોશી દેશો બાંગ્લાદેશ અને પાકિસ્તાનની જ વાત કરીએ તો એટલું ય પૂરતું થશે. આમ તો બાંગ્લાદેશ ભારતની સરજત છે ને એ આજે નડી પણ રહ્યું છે. પાક. અને ચીન ઓછાં હતાં, તે આ નવું ઉમેરાયું ! બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી પર હુમલાની નવાઈ નથી, પણ છેલ્લી દુર્ગાપૂજા વખતે પંડાલોમાં ને કુમિલ્લા, ચાંદપુર, ફેની કે ચિટગાંવના મંદિરો અને ઘરો પર હુમલાઓ થયા, તોડફોડ થઈ અને હિંસામાં કેટલાક લોકોના જીવ ગયા. અગાઉ જ્યારે પણ આ રીતે લઘુમતી પર હુમલાઓ થયા છે ત્યારે ભારતે આક્રમક મિજાજ દાખવ્યો છે, પણ આ વખતે ભારતની પ્રતિક્રિયા મોળી છે. તે સકારણ છે. બાંગ્લાદેશનાં વડા પ્રધાન શેખ હસીનાએ હુમલાઓ પર કાબૂ મેળવી લીધાની વાત કરી છે. એ વાત પર ભારતે ભરોસો મૂક્યો છે. તે એટલે કે ભારત શેખ હસીનાને પક્ષે ઊભું રહ્યું છે. એમ મનાય છે કે શેખ હસીના તરફનો વિરોધ દર્શાવવા લઘુમતીઓ પર હુમલા થયા છે. હવે જો ભારત તીવ્ર પ્રતિક્રિયાઓ આપે તો તે શેખ હસીનાની વિરુદ્ધ પડે. એવું થાય તો શેખ હસીનાને પક્ષે ભારત ઊભું છે એ અર્થ જ બદલાઈ જાય. જો કે, આવો કોઈ હુમલો થયો જ નથી એવું પણ બાંગ્લાદેશના વિદેશ મંત્રી જ કહે છે જે સદંતર ખોટું છે. જો કે, ભારતે એટલો આગ્રહ રાખ્યો છે કે શેખ હસીના કોઈ પણ રીતે હુમલાઓ પર કાબૂ મેળવે. આ હિંસાની અસરો આસામ, ત્રિપુરામાં પણ જોવા મળી છે. ઇસ્કોનના આહ્વાન પર દુનિયાના ઇસ્કોનના ભાવિકોએ પણ વિરોધ પ્રદર્શનો કર્યાં છે. અમેરિકામાં રહેતા ભારતીયોએ પણ બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં મંદિરો અને હિન્દુઓ પર થયેલા હુમલાઓનો વિરોધ કર્યો છે.
ન તો બાંગ્લાદેશ કે ન તો પાકિસ્તાન હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરવાનું ચૂકે છે. આજના જ સમાચાર છે કે ગયા શુક્રવારે સિંધ પ્રાંતના કોટરીમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ થઈ છે. કેટલાક અજાણ્યા શખ્સોએ શિવમંદિરમાં શિવની મૂર્તિ ખંડિત કર્યાની વાત છે. મૂર્તિ તોડ્યા પછી પણ હુમલાખોરોએ લાખોની રોકડ અને કીમતી સામાન આંચકી જવામાં જરા ય નાનમ નથી અનુભવી. ગુનો નોંધાયો છે, પણ કોઈ ધરપકડ થયાની વાત નથી. દેખીતું છે કે ત્યાંનાં સ્થાનિક હિન્દુઓ રોષે ભરાય. આરોપીઓએ દેવીની મૂર્તિને નુકસાન પહોંચાડવામાં કૈં બાકી નથી રાખ્યું. કેટલાક હિન્દુ સમુદાયોની એવી પ્રતિક્રિયા પણ સામે આવી છે કે દિવાળી પહેલાં કોમી રમખાણની ગણતરીએ આ પગલું ભરવામાં આવ્યું છે.
બાંગ્લાદેશમાં તો શેખ હસીનાને પક્ષે રહેવા ભારતે મોળી પ્રતિક્રિયા આપી, પણ અહીં કોને પક્ષે રહેવા ભારતે ચૂપકીદી સેવી છે તે નથી સમજાતું, કારણ હજી સુધી ભારતે કોઈ પ્રતિક્રિયા આપી નથી. પાકિસ્તાનમાં મંદિરો પરના હુમલાની વાત નવી નથી. ગઈ 30 માર્ચે રાવલપિંડીમાં 100 વર્ષ જૂના મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. મંદિરનો દરવાજો તોડી નાખવામાં આવ્યો હતો ને તેની સીડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત 5 ઓગસ્ટે પણ પંજાબ પ્રાંતમાં હિન્દુ મંદિરને આગ ચાંપી, કટ્ટરવાદી ટોળાએ હુમલો કરી મૂર્તિઓને ખંડિત કરી હતી. આ ઘટનાની ચારે બાજુથી ટીકા થતાં પાક. સરકારે તપાસનો આદેશ આપ્યો હતો. આ ઘટના સંદર્ભે દિલ્હી સ્થિત પાકિસ્તાની રાજદૂતને ભારત સરકારે સમન્સ પાઠવ્યો હતો. આ વાતને બે મહિનાથી વધુ સમય થયો છે, છતાં કોઇની ધરપકડ થયાની વાત નથી. એ પરથી પણ સમજી શકાય એવું છે કે પાકિસ્તાન લઘુમતીને મામલે કેટલું ગંભીર છે.
તો, આ વાત છે. કોઈ ધર્મ કદી હિંસાની હિમાયત કરતો નથી, છતાં હકીકત એ છે કે આટલી વૈજ્ઞાનિક પ્રગતિ કે આટલાં વિકાસ પછી પણ, જાતપાત, ધર્મને નામે લોહી રેડવામાં આપણને શરમ નથી જ આવતી. ધર્મ વૈયક્તિક બાબત હોય તો, તે અંગત ન રહેતાં દ્વેષનું કારણ કેમ બને છે તે નથી સમજાતું. એ ધર્મ કેવો જે બીજા ધર્મને નીચો ને અપમાનિત ગણે? ધર્મ કોઈને નડે કેવી રીતે? નડે તે ધર્મ હોય? જુદા જુદા ધર્મના સ્થાપકોએ પોતે વધુ ચડિયાતા છે એ ભાવથી ધર્મોની સ્થાપના કરી હતી? કોઈ સ્થાપક એટલો સંકુચિત કેવી રીતે હોય જે બીજા ધર્મનું મૂલ્ય ન આંકી શકે? ધર્મનું સ્વરૂપ ગમે તે હોય, તેનાં વિધિવિધાનોમાં ભલે અપાર વૈવિધ્ય હોય, તો પણ તત્ત્વત: તે એક જ છે. બીજી સ્પર્ધાઓમાં ને બીજાં ક્ષેત્રોમાં તો આર્થિક પાસું તુલનાનું કારણ બને, પણ ધર્મમાં તુલના કેવી? સરખામણી કેવી? એકને એક ધર્મ અપનાવવા યોગ્ય લાગે ને બીજાને બીજો, તો એ બંને પોતપોતાની પસંદગી સાથે, સાથે ન રહી શકે? એકને ખતમ કરીને જ બીજાનો ધર્મ પોતાનું મહત્ત્વ સ્થાપે એ ધર્મ કહેવાય? કયા ધર્મમાં બીજાને હાનિ પહોંચાડીને ટકી શકાય એવી વાત લખેલી છે? જો એવું નથી, તો ધર્મને નામે આટલી અંધાધૂંધી કેમ છે? અરાજકતા જો ધર્મની નીપજ નથી, તો નક્કી એ મતલબી માણસના ભેજાની પેદાશ છે. એનો અર્થ તો એ થયો કે ધર્મ પણ માણસને સાચી રાહ ચીંધતો નથી. વધારે સાચું તો એ છે કે પોતાનાં સ્વાર્થને જ માણસ અગ્રતા ક્રમે મૂકે છે ને એ પછી બીજા ગુણો કે ધર્મ કોઈ ક્રમે આવતા હોય તો આવે, માણસને એની પરવા નથી. સાચું તો એ છે કે ધર્મ અનિવાર્યતા નથી, ઓઠું છે.
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 નવેમ્બર 2021