આજે 19 જુલાઈ. બેંકોનાં રાષ્ટ્રીયકરણનું બાવનમું વર્ષ. આ દિવસે ગુજરાતનાં બેન્ક કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં બિલ્લા પહેરીને કામ કરવાનું નક્કી કર્યું છે. બેંકોનાં ખાનગીકરણને મુદ્દે અગાઉ બેન્કો હડતાળ પર જઈ ચૂકી છે, આ વખતે ખાનગીકરણની સરકારની નીતિના વિરોધમાં ટ્વિટર અભિયાન ચલાવવાની અને શહેરોમાં દેખાવો કરવાની વાત પણ છે. ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનની આટલી માંગણીઓ છે :
1. જાહેરક્ષેત્રની બેન્કોને સધ્ધર બનાવવાનું વિચારાય અને ખાનગીકરણની વાતો પડતી મૂકાય.
2. ડૂબેલાં નાણાંની વસૂલાત થાય અને લોન નહીં ભરનારનાં નામ જાહેર થાય.
3. લોન ભરવાનો ઇરાદો નથી રાખતા એમની સામે ફોજદારી રાહે કામ લેવાય.
4. થાપણોના વ્યાજ દરોમાં વધારો થાય અને સર્વિસ ચાર્જમાં ઘટાડો થાય.
5. સહકારી બેંકોની પુન:રચના કરી બેંકોનો પુનરોધ્ધાર કરાય અને ગ્રામીણ બેન્કોને સ્પોન્સર બેંકોમાં સમાવાય.
આમ તો આજને દિવસે ઇન્દિરા સરકારે 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરેલું. એ ઉપરાંત 1980માં બીજી છ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયેલું. 1990 સુધી ખાનગીકરણની વાત ન હતી. આમ ખાનગીકરણની હવા 1991માં ઉદારીકરણ અને વૈશ્વિકરણની નીતિ આવી એ પછી બંધાઈ છે. આ ભા.જ.પ. સરકારની જ વાત છે એવું નથી, પણ હાલની સરકારને ખાનગીકરણનું શૂળ ઉપડ્યું છે એટલે વિરોધ એનો થઈ રહ્યો છે. બેન્ક યુનિયનોને લાગી રહ્યું છે કે બેન્કોને મજબૂત કરીને અર્થવ્યવસ્થામાં તેજીની જવાબદારી સરકારે સોંપવાની જરૂર છે, એવે વખતે કેન્દ્ર સરકાર હાથ પાછો ખેંચી રહી છે. નાણાં મંત્રીએ બજેટમાં જ બેન્ક અને એલ.આઈ.સી.નાં ખાનગીકરણની જાહેરાત કરી છે ને સરકાર બેંકોમાંથી પોતાનો હિસ્સો વેચવા નીકળી છે. એ હિસ્સો કેટલો છે એનો ફોડ પડાયો નથી, પણ એટલું નક્કી છે કે બેન્કો વેચાયા પછી તેમાં ખાનગી કંપની કે માલિકના નફાનો જેટલો વિચાર થશે એટલો ગ્રાહકના કે કર્મચારીના હિતનો થવાનો નથી. આવો વિચાર થતો ન હતો એટલે તો રાષ્ટ્રીયકરણની જરૂર પડેલી ને હવે ખાનગીકરણ દ્વારા ફરી ગ્રાહક અને કર્મચારીના હિતને દાવ પર લગાવવાની વાત આવી છે, એટલે બેન્ક કર્મચારીઓ તેનો વિરોધ કરે એમાં નવાઈ નથી. 1991નાં આર્થિક સુધારાઓ પછી એ કહેવાતું રહ્યું છે કે સરકારનું કામ વ્યાપાર કરવાનું નથી. એ જ વાત હાલની સરકાર દોહરાવી રહી છે. સવાલ એ છે કે મોટા ઉપાડે થયેલું રાષ્ટ્રીયકરણ સરકારને હવે આકરું કેમ લાગે છે? રાષ્ટ્રીયકરણ નિષ્ફળ જવામાં બેન્કો કરતાં વધારે જવાબદાર અગાઉની સરકારો છે. સરકારોએ વોટ બેન્ક સાચવવામાં બેન્કોને મોટો ધોકો પહોંચાડ્યો છે. એ ધોકો પહોંચ્યો છે, દેવાં માફી દ્વારા. દેવાં માફીને કારણે બેંકોની સ્થિતિ નબળી પડી અને તેને બેઠી કરવા સરકારે જ પૂંજી નાખવી પડી. આ રીતે લાખો કરોડ રૂપિયા સરકારે બેંકોમાં નાખવા પડ્યા, પરિણામે બેન્કો તેને બોજારૂપ લાગવા માંડી. આ પાપ ખરેખર તો જે તે સરકારોનું છે. દેવાં માફી કરીને લોકોમાં વહાલી સરકાર થઈ અને બેંકોમાં પૈસા નાખવા પડે છે એમ કહીને બદનામી બેન્કોને માથે નાખી. એમાં પણ ખેડૂતોનાં દેવાં માફ કરવામાં થયું એવું કે કેટલાક મોટા ખેડૂતો બેન્કના પૈસા દબાવીને અમીર થયા અને બેન્કો ગરીબ થઈ. નાના ખેડૂતોની દેવાં માફી તો કૈંકે ઠીક હતી, પણ એ દેવાં માફીની પછી તો પરંપરા ચાલુ થઈ. આવું થાય તો ભલભલી બેન્કોની હાલત કથળે એમાં નવાઈ નથી. આ ઓછું હોય તેમ મોટી પાર્ટીઓ ને કંપનીઓને મોટું ધિરાણ પણ કોઈ નેતા કે મંત્રીને ઇશારે અપાયું, એમાં બેન્ક અધિકારીઓ પણ ક્યાંક સંડોવાયા ને લોન પરત ન આવી. મોટા ઉદ્યોગપતિઓ ને બીજા કેટલાકે બેન્કોને નવડાવવાની જ ગણતરીઓ રાખી ને લોન ભરવાને બદલે વિદેશ ભાગી જવાનો શિરસ્તો પાડ્યો. બાકી લોનની કડકમાં કડક વસૂલાત થવી જોઈતી હતી, પણ તેવું ન થયું અને લોન માંડવાળ કરવાનું ચાલ્યું. એને લીધે પણ બેંકોની હાલત કફોડી થઈ. આવું થાય તો દેખીતું છે કે સરકાર ખાનગીકરણનું શસ્ત્ર ઉગામી પોતાનો હાથ પાછો ખેંચે. ખરેખર તો સરકારે જવાબદારી સ્વીકારી, જવાબદારો સામે, લોનની વસૂલાત માટે રાક્ષસી તાકાત સાથે કામ લેવું જોઈએ. જો એમ નહીં થાય તો ખાનગીકરણ પછી પણ બેંકોની સમસ્યાઓ તો વધશે જ. ત્યારે શું સરકાર ફરી રાષ્ટ્રીયકરણ કરશે?
સરકારે એ સમજી લેવાની જરૂર છે કે ખાનગીકરણ તો કોઈ પણ ક્ષેત્રનો ઉપાય જ નથી. રાષ્ટ્રીયકરણને લીધે નાનો માણસ બેન્ક સુધી પહોંચ્યો. દલિતો, આદિવાસીઓ, મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેડૂતો લોન લઈ રોજીરોટી કમાતાં થયાં, એ ખાનગીકરણમાં બનવાનું છે? ખાનગીકરણમાં નફો જ સર્વોપરી હશે. બેંકોના કર્મચારીઓનું હિત જળવાશે એમ ભલે આજે કહેવાતું હોય, પણ ખાનગીકરણ પછી સૌથી પહેલું કામ કર્મચારીઓની છટણીનું થશે ને એનાથી બેકારીમાં જ વધારો થશે. એક તરફ નોકરી આપી શકાતી નથી, ત્યાં ખાનગીકરણ કરીને બેકારીને નોતરું આપવા જેવું છે, ખરું? વારુ, અત્યારે ખાનગી બેંકોનો કારભાર એવો નથી જ કે ખાનગીકરણનું સહેજે આકર્ષણ થાય. એ બેંકોમાં પણ કૌભાંડો થયાં જ છે. બધી જ બેન્કોએ સર્વિસ ચાર્જમાં બેફામ વધારો કરીને સાધારણ માણસના બેન્ક પ્રવેશને અઘરો બનાવ્યો છે. એમ કરવાથી ખોટ ભરપાઈ થતી હોય તો પણ, આંગળાં ચાટીને પેટ ભરાતું નથી તે સમજી લેવાનું રહે. જરૂર છે તે અસરકારક બેંકિંગની ને એ ખાનગીકરણથી જ શકય છે એવું ક્યાં ય લખેલું નથી.
સરકારે કોરોનાની આફતને પહોંચી વળવા આત્મનિર્ભર ભારતનું અભિયાન શરૂ કર્યું એની સમાંતરે ખાનગીકરણના મણકા ફેરવવાનું પણ ચાલુ કર્યું. સરકાર બેન્કની જેમ જ બીજા જાહેર ક્ષેત્રોમાંથી પોતાનો હાથ ખેંચી લે, જેમ કે ઉડ્ડયન, પેટ્રોલિયમ વગેરેમાંથી, તો તે આત્મનિર્ભર થઈ શકે એમ છે? ઉદાહરણ તરીકે તેણે એર ઈન્ડિયા વેચવા કાઢ્યું છે, પણ કોઈ ખરીદનાર ન હોય તો? ધારો કે કોઈ વિદેશી કંપની એ ખરીદે તો એથી ભારત આત્મનિર્ભર બનશે? આજે ભારત શસ્ત્રો વિદેશ પાસેથી ખરીદે છે, તેને બદલે વિદેશી કંપનીને અહીં શસ્ત્રોનું ઉત્પાદન કરવા તેડાય તો તે ભારતમાંથી ખરીદશે એટલું જ, પણ તેને બનાવનાર કંપની ભારતીય નહીં હોય, તો એમાં આત્મનિર્ભરતા ક્યાં આવી? આવું જ બેન્ક, પેટ્રોલ કે અન્ય કોઈ ક્ષેત્ર માટે કહી શકાય. એટલે ખાનગીકરણમાં આત્મનિર્ભરતાનો હેતુ સચવાશે જ એવું કહી શકાય એમ નથી. સીધી વાત એ છે કે મોટાં ક્ષેત્રોનું ખાનગીકરણ વિદેશી કંપનીઓ એને ખરીદે નહીં ત્યાં સુધી મુશ્કેલ છે અને ધારો કે કોઈ ખરીદે તો જે ઉત્પાદન થશે એ શું સ્વદેશી હશે? એટલે છેવટે તો વિદેશી રોકાણ પર જ નિભવાનું આવે. ટૂંકમાં, હાલના સંજોગોમાં ખાનગીકરણ, ભારતમાં વિદેશી રોકાણ ન થાય ત્યાં સુધી શક્ય લાગતું નથી.
રિઝર્વ બેન્ક, બેન્કોને નાણાની તરલતા રહે એ માટે રેપોરેટ ઘટાડે છે, જેથી ધિરાણ વધે, પણ મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રકચરમાં પ્રવર્તતી મંદીને કારણે લોનનો ઉપાડ ઘટ્યો છે. એને કારણે બેંકમાં જમા રકમ પર મળતા વ્યાજ દરમાં પણ ઘટાડો થયો છે. જો આવક જ ઓછી હોય તો લોન કે ડિપોઝિટ બંનેમાં તકલીફ વધે જ. આ ધિરાણ અંગે પણ ચોક્કસ નીતિ ઘડવાની જરૂર છે. મોટી લોન પરત આવતી ન હોય ત્યારે વધુને વધુ ધિરાણ જોખમો જ વધારે કે બીજું કૈં? એક સમય હતો જ્યારે બેન્કોને ડિપોઝિટ્સના ટારગેટ્સ અપાતાં, એ વાત હવે ધિરાણના ટારગેટ્સ પર આવી છે. એમાં સૌથી વધુ અન્યાય સિનિયર્સને થયો છે. દૂર જવાની જરૂર નથી, 10 વર્ષમાં ફિક્સ્ડ ડિપોઝિટ પરનું વ્યાજ લગભગ અડધું થઈ ગયું છે. 2011માં સરકારી બેંકોમાં 9.75 ટકા વ્યાજ મળતું હતું તે 2021માં 5.5 ટકા થઈ ગયું. જે વૃદ્ધો વ્યાજ પર નભતા હતા એમની વ્યાજની આવકમાં 45 ટકાનો ઘટાડો થયો છે ને પેટ્રોલ-ડીઝલથી માંડીને બીજી તમામ જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં 40 ટકાનો વધારો થયો છે. જ્યાં 100 રૂપિયા મળતા હતા ત્યાં આવક 55 થઈ છે ને ખર્ચ 140 રૂપિયા થઈ ગયો છે. એમાં કોરોનાને નામે સિનિયર્સ જોડે છેતરપિંડી વધી છે. રેલવેમાં તમામ વર્ગોમાં, ટૂંકા કે લાંબાં અંતરના ભાડાંમાં વધારો થયો છે. પ્લેટફોર્મ ટિકિટના 10ના 30 રૂપિયા થઈ ગયા છે. શતાબ્દી કે રાજધાની જેવી ટ્રેનોમાં કોરોનાને નામે ધાબળા, ઓશિકા કે લંચ-ડિનરની સગવડો બંધ કરાઈ છે. આ સગવડો ઘટી હોય તો ભાડું ઘટવું જોઈએ, તેને બદલે વધ્યું છે. આ વધારો લોકો ભીડ ન કરે એટલે થયો છે. મુસાફરો આવે નહીં તો રેલવે ખોટ કરે ને આવે તો તેની સગવડ ઘટાડીને લૂંટવાના? આ કયા પ્રકારની માનવતા છે? સિનિયર્સને રેલવેમાં 40 ટકા કન્સેશન ભાડાંમાં અપાતું હતું તે બંધ થયું છે ને બેન્કોએ ડિપોઝિટ રેટ્સ ઘટાડતાં આવક ઘટી છે. આ ગંભીર ને કરુણ પરિસ્થિતિ છે. એવામાં સરકાર ખાનગીકરણને નામે બેન્કો ને બીજા ક્ષેત્રોમાંથી હાથ ખેંચી રહી છે તે કોઈ રીતે પ્રજાના હિતમાં નથી. સરકાર કોરોનાને નામે નફાખોર ને નિર્દયી વેપારીની જેમ વર્તી રહી છે, એમાં પ્રજાની આવરદા તો ઘટી જ છે, પણ સરકાર પણ કેટલું ખેંચશે તેની ચિંતા રહે છે. ઇચ્છીએ કે સરકાર માનવીય અભિગમ દાખવે. અસ્તુ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 જુલાઈ 2021