એ વાત બહુ જાણીતી છે કે મહાત્મા ગાંધીના કદાવર પડછાયામાં કસ્તૂરબા ગાંધી કાયમ માટે ઢંકાઈ ગયાં. એ કોણ હતાં અને તેમના વિચારો કેવા હતા, તેનો થોડો ઘણો પરિચય આપણને ગાંધીજી મારફતે મળે છે, પણ સ્વતંત્ર રીતે તેમના વિશે સામગ્રી બહુ ઓછી છે. જેનો પ્રભાવ પૂરી દુનિયાના સમાજ અને રાજકીય જીવન પર પડ્યો હોય, તેવા મહાત્મા બીજા બધાને ઢાંકી દે તે આમ તો સ્વાભાવિક જ છે, પરંતુ મહાત્મા પર એટલું બધું લખાયું છે કે 'મહાત્મામાં નવું શું છે'ની જિજ્ઞાસા કરતાં લેખકો-પત્રકારોને હવે 'કસ્તૂરબા શું કહે છે'માં રસ પડવા માંડ્યો છે.
ઉદ્યોગપતિ રામકૃષ્ણ દાલમિયાની પુત્રી નીલિમા દાલમિયા અડારને ૨૦૧૬માં પ્રશ્ન થયો હતો કે મહાત્મા જેમ રોજ તેમની ડાયરીમાં દિનચર્યા અને તેમના વિચારો ટપકાવતા હતા, તેવી રીતે કસ્તૂરબાની પણ એવી કોઈક ખાનગી ડાયરી મળી આવે તો? ઇતિહાસ લેખનમાં ઐતિહાસિક કલ્પના(હિસ્ટોરિકલ ફિક્શન)નો એક પ્રકાર છે, જેમાં ઉપલબ્ધ તથ્યોનો આધાર લઈને કાલ્પનિક ઇતિહાસ ઘડવામાં આવે.
નીલિમા દાલમિયાએ કમલા નહેરુ અને ફાતિમા જિન્હા વિશે ખૂબ વાંચ્યું હતું, પણ કસ્તૂરબાની વાત આવી ત્યારે ખબર પડી કે એક તરફ કસ્તૂરબાનું વ્યક્તિત્વ તદ્દન ઝાંખું હતું, પણ બીજી તરફ મહાત્માના ધૂઆંધાર જીવનમાં તેમનું મૌન યોગદાન જબરદસ્ત હતું. આ વિરોધાભાસથી પ્રેરાઈને નીલિમાએ 'ધ સિક્રેટ ડાયરી ઓફ કસ્તૂરબા' નામનું પુસ્તક લખ્યું હતું, જેમાં તેમણે કલ્પના કરી હતી કે કસ્તૂરબા જો તેમના સહજીવન અને સમાજ જીવનની વાતો લખે તો શું લખે.
પણ હવે સાચે જ કસ્તૂરબાની ડાયરી હાથ લાગી છે. મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી તેને ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ‘ધ ડાયરી ઓફ કસ્તૂર, માય બા’ નામથી લાવી રહ્યા છે. આમ તો એ ડાયરીમાં ૧૯૩૨થી ૧૯૩૩ વચ્ચેના નવ મહિનાનો જ સમાવેશ છે, પરંતુ કસ્તૂરબાએ પોતાના હાથે કશું લખ્યું હોય તેવી આ પહેલી સાબિતી છે. તેમાં તેમણે તેમના બે જેલવાસ વિશે, બાપુના સ્વાસ્થ્ય વિશે, મોટા દીકરાના લગ્ન વિશે અને નહેરુ, કૃપલાની અને બાપુ વચ્ચેના વાર્તાલાપ વિશે લખ્યું છે.
કસ્તૂરબાને બે વખત કારાવાસ થયો હતો. ઓગસ્ટ ૧૯૩૧માં, લંડનમાં ગાંધીજીની ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઈ તેના રોષમાં ભારતમાં દેખાવો થયા હતા. સાબરમતી આશ્રમમાં કસ્તૂરબા અને અન્ય મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. આ તેમનો પહેલો કારાવાસ હતો. કસ્તૂરબા જેલમાં હતાં, ત્યારે હિંદુ, શિખ, મુસ્લિમ અને વિશેષ તો અછૂતો માટે અલગ મતદાર-ક્ષેત્ર સ્થાપિત કરતા સૂચિત બંધારણ સામે ગાંધીજીએ સપ્ટેમ્બર ૧૯૩૨માં ઉપવાસ શરૂ કર્યા. એમાં તે વિજયી રહ્યા અને કસ્તૂરબાએ જેલમાંથી બહાર આવીને અછૂતોના અધિકારો માટે કામ શરૂ કરી દીધું.
ડિસેમ્બર ૧૯૩૨માં કસ્તૂરબાએ મદ્રાસમાં અસ્પૃશ્યતા વિરોધી પરિષદમાં ગાંધીજી વતી હાજરી આપી હતી. વર્ષ પૂરું થતાં સુધીમાં અસ્પૃશ્યતા વિરોધી ચળવળ સામે અને ખાસ તો કસ્તૂરબા સામે રૂઢિચુસ્ત હિંદુઓમાં રોષ ફેલાઈ ગયો હતો. સવિનય કાનૂન ભંગના આરોપ હેઠળ ફેબ્રુઆરી ૧૯૩૩માં કસ્તૂરબાને ફરોથી જેલમાં પૂરી દેવામાં આવ્યાં. અંગ્રેજ સરકારની નજરમાં હવે કસ્તૂરબા પણ મહાત્માની જેમ મોટું જોખમ હતાં. કસ્તૂરબાએ ખાસ તો મહિલાઓને પ્રોત્સાહિત કરવાનું શરૂ કર્યું હતું. રાજકોટમાં ઠાકોર રાજમાં મહિલાઓની બેઈજ્જતિ થતી હતી, તેની સામે કસ્તૂરબાએ મોરચો માંડતાં, ૩ ફેબ્રુઆરી ૧૯૩૯ના રોજ ઠાકોર રાજ્યની પોલીસે કસ્તૂરબાને જેલમાં બંધ કરી દીધાં હતાં.
મહાત્માના ધૂઆંધાર જીવનમાં કસ્તૂરબા ઉપેક્ષિત પાત્ર છે એટલું જ નહીં, તેમને અભણ પણ ગણવામાં આવ્યાં છે. તુષાર ગાંધી કહે છે, “અમારા પરિવારમાં પણ એવી ગેરસમજ છે કે તેઓ અભણ હતાં, પણ ડાયરીમાં એ લખે છે કે તેઓ પ્રાર્થના પછી અખબારો વાંચીને તેમનો દિવસ શરૂ કરતાં હતાં. હું વિસંગતતાઓ સાથેની તેમની જે શૈલી છે તે અંગ્રેજીમાં યથાવત રાખવાનો છું.”
આ પુસ્તકની પ્રકાશક સંસ્થા હાર્પર કોલિન્સ કહે છે કે થોડાં વર્ષો પહેલાં જલગાંવના ગાંધી રિસર્ચ ફાઉન્ડેશનના માણસો ઇન્દોર સ્થિત કસ્તૂરબા આશ્રમમાં કબાટો અને પેટીઓમાં ખોંખાખોળા કરતા હતા, ત્યારે તેમને ખરાબ થઇ ગયેલી જીર્ણશીર્ણ ડાયરી મળી આવી હતી. એ કસ્તૂરબાએ લખેલી ડાયરી હતી. એ ૧૩૫ પાનાંની છે. કસ્તૂરબાની જેમ, તેમની ડાયરી પણ ભુલાઈ ગઈ હતી, પણ ગાંધી રિસર્ચ ફાઉન્ડેશને તેને સરખી કરીને ડિજીટલ સ્વરૂપમાં બચાવી લીધી છે.
તુષાર ગાંધીએ આ ડાયરીની વાત કરી, તો પરિવારજનોએ તેને માનવાનો ઇન્કાર કરી દીધો હતો. “એ તો અભણ હતાં, લખી શકતાં ન હતાં,” એમ સૌનો સૂર હતો. તુષાર ગાંધીએ ડાયરી વાંચી તો એ ભ્રમ દૂર થઇ ગયો. એ લખાણમાં કસ્તૂરબા એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે, સાથીદાર તરીકે અને સત્યાગ્રહી તરીકે બહાર આવે છે, તેવો પ્રકાશક સંસ્થાનો દાવો છે.
તુષાર ગાંધી કહે છે, “કસ્તૂરબાને અશિક્ષિત અને નિરક્ષર કહીને કાયમ ઊતારી પાડવામાં આવ્યાં છે. આ ડાયરી એ ધારણાને તોડે છે. જે પતિના પડછાયામાં તે ઢંકાઈ ગયાં હતાં, તેમની ગેરહાજરીમાં તેમનું જીવન કેવું હતું, તેની ઝાંખી આ ડાયરીમાં છે. તેમાં તેમની ચળવળો અને સત્યાગ્રહોની વિગતો છે, જેના માટે તેમને કારાવાસ થયો હતો. ડાયરીનું મહત્ત્વ એ હકીકતમાં છે કે તે સ્વહસ્તાક્ષરમાં છે.”
ગાંધીજીના મોટા ભાગના ઘનિષ્ઠ સહયોગીઓ અને પરિવારજનોએ તેમના સમયની વિસ્તૃત ડાયરીઓ લખી છે, પરંતુ તુષાર ગાંધીને લાગે છે કે પતિને ખુશ કરવા માટે થઈને કસ્તૂરબાએ ડાયરી લખી ન હતી. એ ક્યારેક કંટાળી ગયા હોવાનું પણ લખે છે. ગાંધીજી તેમના પુત્રો અને કસ્તૂરબા સાથે કઠોર વ્યવહાર કરતા હતા, તે જાણીતું છે, અને તેમની એ જિદ્દ જ રાજકીય-સામાજિક જીવનની સફળતાનું કારણ બની હતી, પરંતુ કસ્તૂરબાના યોગદાનને તેમણે નકાર્યું નથી.
મહાત્માના મોટા (અને વંઠી ગયેલા) પુત્ર હરિલાલની દીકરી મનુ ગાંધીએ તેમની ડાયરીમાં લખે છે, “છેલ્લા દિવસોમાં મોટીબા(કસ્તૂરબા)ની તબિયત સારી ન હતી. દર પાંચ કે દસ મિનિટે તેમને શૌચ કરવા જવું પડતું હતું. એમાં તેમનાં કપડાં ગંદા થતાં. હું તેને સાફ કરતી. એક વખત હું આખી રાત જાગી હતી, પણ સુશીલાબહેન(મહાત્માનાં ડોકટર)ના આગ્રહથી સુવા ગઈ. કોઈકે બાનો ભીનો પેટીકોટ બાથરૂમમાં મુક્યો હતો. નસીબ જોગે, એ જ દિવસે બાપુ મોટીબાના બાથરૂમમાં મ્હો ધોવા ગયા. તેમણે પેટીકોટ જોયો અને તેને ધોવા લાગ્યા. એ જ વખતે હું ઊઠી અને મ્હોં ધોવા બાથરૂમમાં ગઈ. મેં બાપુને ભીનાં કપડાં ધોતા જોયા. મેં કહ્યું, ‘બાપુજી, અમે અહીં શેના માટે છીએ? મને પરાણે સુવડાવી હતી. તમે શું કરવા અમને હેરાન કરો છો? અમે આટલા બધા છીએ, તો સાફ કરી નાખીશું ને!’
“બાપુએ જવાબ વાળ્યો, ‘તને સરખી ઊંઘની જરૂર છે. ઊંઘીશ નહીં તો સેવા કેવી રીતે કરીશ? આમાં તારો દોષ નથી. બાનો પેટીકોટ અહીં પડી રહ્યો હતો અને સંડાશ ફેલાઈને જામી ગયો હતો. એ કેમ સાફ ન હતો? બધાએ એ જોયો હતો પણ કોઈને ખબર ન પડી કે એ બાનો પેટીકોટ છે. એક મહિલા સહાયકે તેને અહીં મુક્યો હતો. મારા માટે એ જાણવું પૂરતું છે કે આપણે બેદરકાર છીએ.”
૨૩ ફેબ્રુઆરી ૧૯૪૪ના રોજ, પુણેના આગા ખાન પેલેસ નજરકેદમાં મહાત્માના ખોળામાં કસ્તૂરબાએ અંતિમ શ્વાસ લીધો. કોઈએ તેમને જઈને આરામ કરવા કહ્યું. મહાત્મા બોલ્યા, “૬૨ વર્ષના સહિયારા જીવનના અંતે આ અંતિમ વિદાય છે. મને અંતિમસંસ્કાર સુધી અહીં રહેવા દો.” એ સાંજે પ્રાર્થના પછી એ બોલ્યા હતા, “બા વગરઅ જીવનની હું કલ્પના કરી શકતો નથી.”
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’, નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 28 ફેબ્રુઆરી 2021