સત્યાગ્રહવિશેષ
સિટીઝનશિપ ઍમેન્ડમેન્ટ ઍક્ટ (CAA) — નૅશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ(NRC)નાં વિરોધ-પ્રદર્શનો મહદ્દ અંશે અહિંસક રીતે થઈ રહ્યાં છે; ક્યાંક છૂટીછવાઈ હિંસા પણ તેમાં જોવા મળી. શાસન સામે વિરોધ દર્શાવવાનું એક આખું શાસ્ત્ર ગાંધીજી આપી ગયા છે. સત્યાગ્રહ રૂપે આ શાસ્ત્ર ગાંધીજી આજીવન શાસન સામે યોજતા રહ્યા; તે સતત વિકસતું શાસ્ત્ર છે. તે વિશે ગાંધીજીએ કહ્યું છે : “મેં કલ્પેલો સત્યાગ્રહ એ એક ઘડાઈ રહેલું શાસ્ત્ર છે.” અને એટલે ગાંધીજીના નિર્વાણ બાદ જૂન, ૧૯૪૮માં કાલેલકર સત્યાગ્રહની મીમાંસા કરે છે ત્યારે સ્પષ્ટપણે લખે છે : “સત્યાગ્રહના શાસ્ત્રનો યથાર્થ જાણકાર કોઈ દેખાતો નથી.” આ કિસ્સામાં સત્યાગ્રહ આદરવો હોય તો ગાંધીજીની મૂળ વિભાવના તરફ પાછા ફરવું પડે.
દેશના હાલના માહોલને અનુલક્ષીને સત્યાગ્રહની આસપાસનું એક ચિત્ર મળી રહે તે ઉદ્દેશથી અહીંયાં પ્રસ્તુત લેખો મૂક્યા છે. કાકાસાહેબ કાલેલકરે રજૂ કરેલી સત્યાગ્રહની મીમાંસા મૂકી આપી છે. લોકશાહીમાં સત્યાગ્રહની વિભાવના શી હોઈ શકે અને તેને અમલી કેવી રીતે બનાવી શકાય તે માટે ગાંધીજીના વિચારોને રજૂ કર્યા છે. આચાર્ય કૃપાલાનીએ સત્યાગ્રહનું પૂરું શાસ્ત્ર સમજાવ્યું છે. લોકનાયક જયપ્રકાશ નારાયણે આંદોલનને અમલી બનાવવાનું હાર્દ સમજાવ્યું છે, જે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં સમજવા જેવું છે. અંતે ટૉલ્સ્ટૉયનો લેખ છે, જેમાં રાજ્યવ્યવસ્થા દબાણ હેઠળ આવે ત્યારે કેવી રીતે વર્તે તેનું આલેખન છે. સત્યાગ્રહ અને તેની આસપાસના મુદ્દાઓ આ લેખોમાં રજૂ થાય છે. ગાંધીજીના સત્યાગ્રહ સંબંધે તે સમજવા ઉપયોગી થાય એમ છે.
•••
[મૂળ શીર્ષક : આજનો જમાનો]
સદાચારના સિદ્ધાંતની અસરથી માણસની વાસનાઓમાં પરિવર્તન થાય છે, તેથી તે પોતાનું કર્તવ્ય સ્વેચ્છાએ પાળે છે, જે શ્રેય છે તેને જ પ્રેયરૂપ માને છે. જે માણસ સદાચારના સિદ્ધાંતની અસરને વશ થાય છે તેને સદાચારના નિયમોને અનુસરીને ચાલવામાં મજા પડે છે. બીજી બાજુ સત્તા — તેના રૂઢ અર્થમાં — એ બળજબરીનું એક સાધન છે, અને તેના વડે માણસને તેની ઇચ્છાથી ઊલટી રીતે વર્તવાની ફરજ પાડી શકાય છે. જે માણસ સત્તાને વશ થાય છે તે મનમાં આવે તેમ વર્તતો નથી, ને જોરજુલમની આગળ શિર ઝુકાવે છે. માણસને જે કામનો અણગમો હોય તે તેની પાસે પરાણે કરાવવા માટે શારીરિક હિંસાની ધમકી આપવી જોઈએ, અથવા હિંસા વાપરવી જોઈએ — તેની સ્વતંત્રતા છીનવી લેવી જોઈએ, તેને ફટકા મારવા જોઈએ, તેનાં અંગ છેદવાં જોઈએ, અથવા તો તેને આ સજાઓની ધમકી આપવી જોઈએ. સત્તાનું આવું સ્વરૂપ પૂર્વે હતું ને આજે પણ છે.
આ હકીકતો છુપાવવાને અને સત્તાનો અર્થ આથી જુદો છે એમ બતાવવાને, રાજ્યકર્તાઓ તરફથી તનતોડ ને અવિરત પ્રયાસો થાય છે. છતાં સત્તાનો અર્થ આટલો જ છે — માણસને જેના વડે બાંધીને ઘસડવામાં આવે છે તે દોરડું ને સાંકળ; જેના વડે તેને ફટકારવામાં આવે છે તે ચાબખો; જેના વડે તેનાં હાથપગ, નાક, કાન ને માથું કાપી નાખવામાં આવે છે તે છરો કે કુહાડી; સત્તા એટલે આ બધાં કામો અથવા તેની ધમકી. એ પ્રથા નિરો ને ચંગીઝખાનના સમયમાં ચાલુ હતી, અને ફ્રાન્સ ને અમેરિકાનાં પ્રજાસત્તાક રાજ્યો જેવી અતિશય ઉદારતાવાળી સરકારોમાં હજુ પણ ચાલુ છે. માણસો સત્તાને તાબે થાય છે તેનું કારણ એટલું જ છે કે તેમને બીક હોય છે કે જો આપણે સામે થઈશું તો આપણા પર ત્રાસ ગુજરશે. કરનાં ભરણાં અને સાર્વજનિક કર્તવ્યોના પાલન જેવા રાજ્યના તમામ લાગાઓ, દેશનિકાલ, દંડ વગેરેની સજાઓ — જેને માણસ સ્વેચ્છાએ તાબે થતો દેખાય છે — તેનો અમલ હંમેશાં શારીરિક સજાની ધમકી આપીને અથવા તેવી સજા ખરેખાત કરીને કરવામાં આવે છે.
શારીરિક હિંસા એ સત્તાનો મૂળ પાયો છે.
રાજ્યની સત્તા જેટલી જૂની થતી જાય છે તેટલા પ્રમાણમાં તેનું સામર્થ્ય વધતું જાય છે. તેમ તેમ રાજ્યની સત્તા, ભલે આંતરિક હિંસાને નાબૂદ કરતી હોય, પણ જીવનમાં બીજા અને નવા પ્રકારની હિંસા દાખલ કરે છે, ને તે હિંસાની ઉગ્રતા ઉત્તરોત્તર વધતી જાય છે. સમાજની અંગભૂત વ્યક્તિઓ એકબીજા સામે જે હિંસા કરે છે તેના કરતાં રાજ્યસત્તાની હિંસા ઓછી દેખીતી ને ઓછી ચોંકાવનારી હોય છે એ ખરું; અને એ હિંસાનું મુખ્ય પ્રગટ રૂપ તે કલહ નથી પણ જુલમ છે એ પણ સાચું; છતાં તે હિંસા મોટામાં મોટા પ્રમાણમાં હસ્તી ધરાવે છે એ વિશે કશો જ સંદેહ નથી.
એથી ઊલટું હોઈ શકે પણ નહીં, કેમ કે હાથમાં સત્તા આવવાથી માણસો બગડે છે, એટલું જ નહીં પણ રાજ્યકર્તાઓ પોતાની રૈયતને વધારેમાં વધારે નબળી બનાવી મૂકવા હંમેશાં મહેનત કરે છે — કેમ કે રૈયત જેટલી નબળી તેટલી તેને તાબે રાખવાની મહેનત ઓછી.
તેથી પીડિત પ્રજાની સામે વપરાયેલી હિંસાને તેની પરાકાષ્ઠાએ પહોંચાડવામાં આવે છે; સોનાનાં ઈંડાં મૂકનારી મરઘીને જાનથી મારવાનું બાકી રાખવામાં આવે છે એટલું જ. પણ અમેરિકાના રેડ ઇન્ડિયનો, ફીજી દ્વીપવાસીઓ કે હબસીઓની પેઠે જો એ મરઘી ઈંડાં મૂકતી બંધ થઈ ગઈ હોય તો તેને મારી નાખવામાં આવે છે; એ ક્રિયાની સામે પરગજુ લોકો સાચી લાગણીથી ગમે તેટલા વિરોધો કે ધમપછાડા કરે તેની કશી પરવા કરવામાં આવતી નથી.
આ કથનની સૌથી સચોટ સાબિતી અત્યારે મજૂરવર્ગની સ્થિતિમાંથી મળી રહે છે. એ લોકો ખરેખાત જિતાયેલા ને પરાધીન માણસો છે.
એમની સ્થિતિ હળવી બનાવવાના પ્રયત્નો કરવાનો ગમે તેટલો ડોળ ઉપલા વર્ગો કરતા હોય, છતાં જગતના તમામ મજૂરો પર જરાયે ચસે નહીં એવું જબરદસ્ત જુલમી શાસન ચાલે છે. એ શાસન કહે છે કે તેમની કાયા માંડ ટકી રહે એટલી જ મજૂરી તેમને અપાય, જેથી તેમને ગરજના માર્યા સારું ખાધા વિના વૈતરું કરવું પડે; અને એ વૈતરાનાં ફળ તેમના માલિકો, બીજા શબ્દમાં કહીએ તો તેમના વિજેતાઓ ભોગવશે.
હંમેશાં એમ બનતું આવ્યું છે કે સત્તા લાંબો વખત ચાલુ રહ્યા ને વધ્યા પછી, તેને તાબે થયેલા લોકોને મળવા ઘટતા લાભ મળતા નથી, પણ ઊલટા તેમને થતા ગેરલાભ વધતા જાય છે.
પણ હજુ હમણાં સુધી એ લોકોને આ વાતની ખબર ન હતી, ને તેઓ તો મોટે ભાગે ભોળપણમાં માનતા કે સરકારો તેમના લાભને માટે ને તેમને વિનાશમાંથી બચાવવા માટે રચાયેલી છે. માણસો સરકારો વિના રહી શકે એ વિચાર સેવવામાં પાર વિનાનો અધર્મ રહેલો છે; અને એ વિચારમાંથી તો અરાજકતા જ પેદા થાય ને પારાવાર દુ:ખો નીપજે.
અત્યાર લગી સર્વ રાષ્ટ્રોએ વિકાસ પામતાં પામતાં સરકારનું રૂપ ધારણ કર્યું છે, એટલા માટે માનવજાતિનો વિકાસ સદાકાળ એ જ રસ્તે થઈ શકશે, બીજે રસ્તે નહીં — આ વિચાર લોકો ધરાવતા હતા; અને એ વિચાર પર તેઓને અઢળક આસ્થા હતી.
અને એ પ્રમાણે સેંકડો જ નહીં પણ હજારો વરસથી ચાલતું આવ્યું છે; અને સરકારોએ એટલે કે, તેમના પ્રતિનિધિઓએ, લોકોમાં આ ભ્રમ ટકાવી રાખવાનો પ્રયત્ન કર્યો છે ને હજુ કરે છે.
લોકો માને છે કે સરકારો બીજાં રાષ્ટ્રો સામે બચાવ કરવાના સાધન તરીકે લશ્કરો વધારે છે; તેઓ ભૂલી જાય છે કે સરકારને લશ્કરની જરૂર પડે છે તે મુખ્યત્વે પોતાની ગુલામ બનાવેલી રૈયતની સામે ખુદ પોતાનું રક્ષણ કરવા માટે.
આ જરૂર હંમેશાં પડેલી છે, અને કેળવણી ફેલાતી ગઈ ને જુદી જુદી પ્રજાઓ વચ્ચે વહેવાર વધતો ગયો તેમ એ જરૂર પણ વધતી ગઈ છે; અને અત્યારે, સામ્યવાદી, સમાજવાદી, અરાજકતાવાદી ને મજૂરોની હિલચાલો ચાલી રહી છે એટલા માટે, એ જરૂર અગાઉના કરતાં ઘણી વધી ગઈ છે ને ઘણી વધારે તાત્કાલિક થઈ પડી છે. સરકારો આ વાત સમજે છે, અને પોતાના બચાવનું મુખ્ય સાધન જે લશ્કર તેમાં ઉમેરો કરે છે.
મજૂરની પાસે જમીન નથી, દરેક માણસને જન્મસિદ્ધ હક છે તે — એટલે કે, જમીનમાંથી પોતાને અને પોતાના કુટુંબને માટે આજીવિકાનું સાધન પ્રાપ્ત કરવાનો હક — ભોગવવાની છૂટ તેને નથી, તેનું કારણ એ નથી કે લોકો તેનો વિરોધ કરે છે; તેનું કારણ તો એ છે કે આ હક મજૂરોને આપવાનો કે તેમની પાસેથી છીનવી લેવાનો અધિકાર અમુક વ્યક્તિઓને —એટલે કે, જમીનદારોને — અપાયેલો હોય છે. અને આ અકુદરતી વ્યવસ્થા લશ્કરને જોરે ટકાવી રાખવામાં આવે છે. મજૂરોએ રળેલી ને બચાવેલી અઢળક ધનસંપત્તિને સાર્વજનિક મિલકત ન ગણતાં અમુક મુઠ્ઠીભર માણસોના ઉપભોગની વસ્તુ ગણવામાં આવે છે; અમુક માણસોને મજૂરો પાસેથી કર ઉઘરાવવાની સત્તા અને એ પૈસાનો મનમાન્યો ઉપયોગ કરવાનો હક આપવામાં આવેલો છે; મજૂરોની હડતાળોને દબાવી દેવામાં આવે છે, ને મૂડીવાળાઓનાં સંગઠનોને ઉત્તેજન આપવામાં આવે છે; અમુક માણસોને ધર્મના ને સાહિત્યના શિક્ષણની બાબતમાં અને બાળકેળવણીના વિષયમાં પસંદગી કરવાની છૂટ અપાયેલી છે; અમુક બીજાઓને માણસમાત્રને માનવા પડે એવા કાયદા ઘડવાનો હક અપાયેલો છે, અને તેઓ માણસોનાં જાનમાલ પર પ્રભુત્વ ભોગવે છે — એ બધાંનું કારણ એ નથી કે લોકો એ પ્રમાણે ઇચ્છે છે કે એ બધું નૈસર્ગિક ક્રમે એ પ્રમાણે બનવા પામ્યું છે. એનું કારણ તો એ છે કે સરકારો પોતાના તથા રાજ્યકર્તા વર્ગોના લાભને ખાતર એવી વ્યવસ્થા કરવા ઇચ્છે છે; અને આ બધું શારીરિક હિંસાની મદદ વડે કરવામાં આવે છે.
દરેક માણસને જો આ વાતની ખબર નહીં હોય, તો જ્યારે ચાલુ વ્યવસ્થા બદલવાના પ્રયાસો થશે ત્યારે તેને ખબર પડી રહેશે.
તેથી સર્વ સરકારો અને રાજ્યકર્તા વર્ગોને સૌથી વધારે જરૂર લશ્કરની રહે છે. તેનો હેતુ જે જીવનવ્યવસ્થા ટકાવી રાખવાનો હોય છે તે વ્યવસ્થા લોકોની જરૂરિયાતો જોઈને નથી રચવામાં આવી, એટલું જ નહીં પણ ઘણી વાર તેમને હાનિકારક હોય છે, અને તેમાંથી લાભ તો ફક્ત સરકારને અને રાજ્યકર્તા વર્ગોને જ મળે છે. …
આપણને કહેવામાં આવે છે કે રાજ્ય આવશ્યક છે તેનાં આટલાં કારણો છે : પહેલું એ કે જો રાજ્ય ન હોય તો હિંસા અને દુર્જનોના હુમલામાંથી કોઈ સુરક્ષિત ન રહે; બીજું એ કે રાજ્ય વિના આપણે જંગલી રહી જઈએ, અને આપણી પાસે ધર્મ, નીતિ, કેળવણી, શિક્ષણ, વેપાર, અવરજવરનાં સાધનો એમાંનું કશું, અથવા બીજી કોઈ પણ સામાજિક સંસ્થા ન હોય; અને ત્રીજું એ કે રાજ્ય ન હોય તો પડોશની પ્રજાઓ આપણા પર ચડાઈ કરે એ દહેશત હંમેશાં રહે.
આપણને કહેવામાં આવે છે કે, “જો રાજ્ય ન હોત તો આપણે સ્વદેશમાં વસતા દુર્જનોનાં હિંસા અને હુમલાના ભોગ થઈ પડત.”
પણ જેમનાં હિંસા અને હુમલાઓમાંથી આપણને સરકાર અને લશ્કર બચાવે છે તે આ દુર્જનો કોણ છે? ત્રણ કે ચાર સૈકા પર, જ્યારે માણસો પોતાનાં યુદ્ધકળા ને બાહુબળ માટે ગર્વ ધરાવતા, જ્યારે માણસ પોતાના માનવબંધુઓને મારીને પોતાનું શૂરાતન સિદ્ધ કરતો ત્યારે, કદાચ આવા દુર્જનો હસ્તીમાં હશે. તો પણ એવા કોઈ અત્યારે આપણને દેખાતા નથી. આપણા જમાનાના માણસો હથિયારો વાપરતા નથી તેમ ફેરવતા નથી; અને પડોશીઓ પ્રત્યે હેત અને દયા રાખવાની શાસ્ત્રાજ્ઞા પર આસ્થા રાખીને તેઓ આપણા પોતાના જેટલા જ શાંતિ માટે ને શાંત જીવન માટે તલસે છે. તેથી જે ડાકુઓના આ અસાધારણ વર્ગની સામે આપણે રાજ્યનું રક્ષણ ખોળીએ છીએ તે વર્ગ જ હવે હસ્તી ધરાવતો નથી.
ખરું જોતાં તો આજકાલ એથી ઊલટી જ વાત કહી શકાય, કેમ કે જુનવાણી ને નિર્દય સજાની રીતો, તેમનાં કેદખાનાં, શૂળીઓ ને વધસ્તંભોને લીધે સરકારોની પ્રવૃત્તિ નીતિની અત્યારે પ્રવર્તતી સામાન્ય કક્ષાથી ઘણી હેઠી ઊતરેલી હોઈ, તેનાથી માણસોનું નીતિનું ધોરણ ઊંચું ચડવાને બદલે નીચું ઊતરવાની વકી રહે છે, અને તેથી એને લીધે ગુનેગારોની સંખ્યા ઘટવાને બદલે વધવાનો સંભવ રહે છે.
એમ કહેવામાં આવે છે કે “રાજ્ય વિના કેળવણી, નીતિ, ધર્મ, આંતરરાષ્ટ્રીય વહેવાર એ કશાને લગતી એક પણ સંસ્થા હસ્તીમાં ન હોત; અવરજવરનાં ને માલ લઈ જવા લાવવાનાં સાધનો પણ ન હોત. રાજ્ય ન હોત તો આપણને સહુને જરૂરી એવાં તંત્રો વિના આપણે ચલાવવું પડત.”
આ જાતની દલીલ સૈકાઓ પહેલાં જ પાયાદાર ગણી શકાત. દુનિયામાં દેશ દેશ વચ્ચે એટલો ઓછો વહેવાર ને એટલાં ઓછાં અવરજવરનાં સાધનો હતાં, અથવા તેઓ વિચારોની ચર્ચા કે આપલે કરવાને એટલા ઓછા ટેવાયેલા હતા કે રાજ્યની મદદ વિના વેપાર, ઉદ્યોગ, આર્થિક વહેવાર જેવી સહુના હિતને લગતી બાબતોમાં સહમત થઈ શકતા નહોતા—એવો સમય ક્યારે ય પણ હશે તોયે અત્યારે તો એવી સ્થિતિ નથી. બહોળો ફેલાવો પામેલાં અવરજવરનાં, લેવડદેવડનાં ને વિચારવિનિમયનાં સાધનોએ આ પરિણામ નિપજાવ્યું છે કે જ્યારે સમાજો, સંમેલનો, સંસ્થાઓ, પરિષદો, વૈજ્ઞાનિક, આર્થિક કે રાજકીય સભાસમિતિઓ સ્થાપવાની માણસને ઇચ્છા થાય ત્યારે તે સરકારોની મદદ વિના સહેજે ચલાવી શકે છે, એટલું જ નહીં પણ મોટા ભાગના દાખલામાં સરકારો એવા ઉદ્દેશોની સિદ્ધિમાં સહાયક કરતાં વિઘ્નકર્તા જ વધારે નીવડે છે.
ગયા સૈકાના અંત પછી માનવજાતિએ ઉપાડેલી લગભગ દરેક પ્રગતિશીલ હિલચાલ પર સરકારે ટાઢું પાણી રેડ્યું છે, એટલું જ નહીં પણ તેમાં અચૂક આડખીલીઓ નાખી છે. શારીરિક સજા, યાતના અને ગુલામીની પ્રથાઓ નાબૂદ કરવાના પ્રયત્નો એ આ જાતનો દાખલો છે. વર્તમાનપત્રોની સ્વતંત્રતા અને સભાઓ ભરવાની છૂટ મેળવવાના પ્રયત્નો એ બીજો દાખલો છે. વળી રાજ્યની સત્તાઓ અને સરકારો આજકાલ એમાં સહકાર ન આપીને અટકાતી નથી; માણસો જે પ્રવૃત્તિ વડે જીવનના નવા પ્રકારો રચવા મથે છે તે પ્રવૃત્તિમાં તેઓ સીધી રીતે અંતરાયો નાખે છે. મજૂરી ને જમીનના પ્રશ્નોના, રાજકીય અને ધાર્મિક સવાલોના ઉકેલને સરકારી સત્તા ઉત્તેજન તો નથી જ આપતી, પણ ઊલટી છડેચોક તેનો વિરોધ કરે છે.
“રાજ્ય અને સરકારની સત્તા ન હોત તો રાષ્ટ્રોને તેમના પડોશીઓ જીતીને તાબે કરી લેત.”
આ છેલ્લી દલીલનો જવાબ આપવા જેવો છે. એ પોતે જ પોતાનો રદિયો આપી દે છે.
આપણને કહેવામાં આવે છે કે પડોશી રાજ્યો કદાચ આપણને જીતીને તાબે કરે તેની સામે આપણા બચાવને સારુ સરકાર અને તેનું લશ્કર જરૂરનાં છે. પણ બધી સરકારો એકબીજાને વિશે એ જ વાત કહે છે; અને છતાં આપણે જાણીએ છીએ કે યુરોપનું દરેક રાષ્ટ્ર સ્વતંત્રતા ને ભ્રાતૃત્વના એકસરખા સિદ્ધાંતો માનવાનો દાવો કરે છે, અને તેથી કોઈ પણ રાષ્ટ્રને તેના પડોશીની સામે પોતાનો બચાવ કરવાની જરૂર પડવાની નથી. પણ જંગલી લોકો સામે બચાવ કરવો પડે એમ જો કહેવામાં આવે, તો અત્યારે શસ્ત્રસજ્જ છે તેટલા લશ્કરનો સોમો ભાગ એ કામને માટે પૂરતો છે. શસ્ત્રસજ્જ સૈન્યનો વધારો આપણને આપણા પડોશીઓના આક્રમણના ભયમાંથી બચાવી નથી શકતો, એટલું જ નહીં પણ જે આક્રમણને તે વખોડે છે તે આક્રમણ કરવાને માટે તે ઊલટી પેલા રાષ્ટ્રને ઉશ્કેરણી કરી આપે છે.
તેથી જે રાજ્યને નામે માણસને તેની શાંતિ, તેની સલામતી ને તેની જિંદગીનો ભોગ આપવાનું કહેવામાં આવે છે તે રાજ્યનું સ્વરૂપ ને તેનો અર્થ કેવાં છે એનો વિચાર કરી જોનાર કોઈ પણ માણસને એમ માન્યા વિના છૂટકો જ ન થાય કે એવા ભોગ આપવા માટે કશું જ વાજબી કારણ હવે રહ્યું નથી. …
(‘ચૂપ નહીં રહેવાય’માંથી સંપાદિત)
સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”, જાન્યુઆરી 2020; પૃ. 20-23