મારી જાણકારી મુજબ દક્ષિણ આફ્રિકામાં અને ભારતમાં મળીને ગાંધીજીની હત્યા કરવાના નવ પ્રયાસ કરવામાં આવ્યા હતા, અને દસમાં પ્રયાસમાં તેમને ગાંધીજીની હત્યા કરવામાં સફળતા મળી હતી. આ દસ પ્રયાસ ૧૯૦૮થી ૧૯૪૮ એમ ચાળીસ વરસમાં કરવામાં આવ્યા હતા. આ તો ગાંધીજીના દેહનું ખૂન કરવાની વાત થઈ. તેમના ચારિત્ર્યનું ખૂન કરવાના પ્રયાસોનો તો કોઈ આંકડો જ નથી. નનામા પત્રો, ખોટા નામે લખવામાં આવેલા લેખો, નનામાં ચોપાનિયાં અને ભીંતપત્રો તેમ જ ભીંતચિત્રોની સંખ્યા ગાંધીજીની હયાતીમાં જ હજારોમાં હતી. ઓછામાં ઓછા એકાદ હજાર નનામા પત્રો અને લેખોનો ઉલ્લેખ તો ગાંધીજીના અક્ષરદેહમાં મળે છે. આ ઉપરાંત ટ્રેનમાં, પાર્કમાં, કેન્ટીનમાં, શાળાના વર્ગમાં, પિકનિકમાં કે જ્યાં મોકો મળે ત્યાં ગાંધીજી વિશેની ખોટી વાત વહેતી કરવાની કોશિશો લાખોમાં હશે. સોશ્યલ મીડિયા આવ્યા પછી તો આવા આંકડા દસલક્ષ(મિલિયન્સ)માં પહોંચી ગયા છે.
હજુ અઠવાડિયા પહેલાં મારા એક મિત્રે વ્હોટ્સેપ પર પોસ્ટ મોકલી કે ગાંધીજી ખરેખર અહિંસામાં માનતા નહોતા, એ તો એમની રાજકીય ચાલ હતી. મેં એ મિત્રને પૂછ્યું કે આ વાત તમને ક્યાંથી જાણવા મળી, એ જાણવામાં મને રસ છે. એ ભાઈએ જે જવાબ આપ્યો એ બોલકો છે. તેમણે મને કહ્યું કે ‘નહીં, વો તો મુજે અચ્છા લગા ઇસ લીએ ભેજ દિયા.’ મેં તેમને પૂછ્યું કે, ‘અચ્છા લગા ઇસ લીએ ભેજા કી સચ્ચા લગા ઇસ લીએ? કરના ક્યા ચાહીએ? આપકા ધર્મ આપકો ક્યા સિખાતા હૈ?’ એ ભાઈ અ… અ… અ… કરીને ગેંગેફેંફે કરવા લાગ્યા. મેં તેમને કહ્યું કે કોઈ ન ગમતા માણસની દીકરી ચારિત્ર્યહિન છે, એ સાંભળવું સારું લાગે એટલે ફોરવર્ડ કરવાનું? ટકોરાબંધ માણસ એને કહેવાય જે સાચું હોય તો પણ કોઈને આવી વાત ન કહે કે ન ફોરવર્ડ ન કરે. સાધારણ માણસ એને કહેવાય જે વાત સાચી હોય તો જ કોઈને કહે. એ પણ ફોરવર્ડ તો ન જ કરે. માત્ર અધમ માણસ જ અચ્છા લગા એટલે ફોરવર્ડ કરે. માત્ર ગાંધીજી સંબંધીત વાત નથી, કોઈ પણ વાત.
તમે કઈ પંક્તિમાં આવો છો એ વિચારી લો. અને હા, તમે ધારો તો પંક્તિ બદલીને ટકોરાબંધ માણસની પહેલી પંક્તિમાં બેસી શકો છો, પણ વળી પાછો એને માટે તમારે ગાંધીજીનો ઉપકાર માનવો પડશે.
સવાલ એ છે કે ગાંધીજી વિશેની સાવ ખોટી વાત ભારતીય નાગરિકને અચ્છી કેમ લાગવા માંડી? જે ‘અચ્છા લગા’ એ ‘સચ્ચા લગા’ કી નહીં એ જાણવાની આજે ભારતીય નાગરિક તસ્દી કેમ નથી લેતો? મારી નાખવા માટે એક બે નહીં દસ શારીરિક હુમલા, હાજારોની સંખ્યામાં નનામા પત્રો અને ચોપાનિયાં, લાખોની સંખ્યામાં જૂઠાણાં ફેલાવવાનો પ્રયાસ, કરોડોની સંખ્યામાં વ્હોટ્સેપ અને તેના જેવા અન્ય માધ્યમો પરના મેસેજિઝ અને અચ્છા લગા એટલે ફોરવર્ડ કરવાની માનસિકતા! આ બધા પાછળ જરૂર કોઈક કારણ હોવું જોઈએ. ગાંધીજી જરૂર પગમાં જેમ જોડો ડંખે એમ ડંખી રહ્યા છે. આ સિવાય આ શક્ય જ નથી. બીજું કોઈ કારણ હોઈ જ ન શકે. મોટા ભાગના ભારતીય નાગરિકોને ગાંધીજી સામે વાંધો હોવો જોઈએ. જો એ મરતો હોય અને રસ્તામાંથી ખસતો હોય તો અમે સચ્ચાઈની દરકાર પણ કર્યા વિના જૂઠાણાંને પ્રસારિત કરવા તૈયાર છીએ. આજે આખો દેશ ગાંધીજીની સામૂહિક હત્યા કરી રહ્યો છે. આ દેશમાં જો કોઈનું મૉબ લીન્ચિંગ થઈ રહ્યું હોય તો એ ગાંધીજીનું થઈ રહ્યું છે.
શા માટે? આનો જવાબ બીજા અંતિમેથી મળશે.
એવું એક અનુમાન છે કે ગાંધીજી વિષે જગતની વિવિધ ભાષાઓમાં એક લાખ (જી હાં, એક લાખ. કોઈ પણ ઐતિહાસિક પુરુષ વિષે લખાયાં છે તેનાં કરતાં વધુ) કરતાં વધુ પુસ્તકો લખાયાં છે. જગતમાં છેલ્લાં સો વરસમાં જન્મેલો ભાગ્યે જ કોઈ સમાજશાસ્ત્રી કે વિચારક હશે જેણે ગાંધીજી વિષે સારો-નરસો પણ કોઈ અભિપ્રાય ન આપ્યો હોય. શોધો તો માંડ એકાદ કોઈ મળી આવે. વિશ્વની ૬૦૦ કરતાં વધુ વિશ્વવિદ્યાલયોમાં ગાંધી અને ગાંધીવિચાર ભણાવવામાં આવે છે. ગાંધીજીને તેમની હયાતીમાં જેટલા અનુયાયી મળ્યા હતા એટલા અનુયાયી ગાંધીજીની પહેલાં અને ગાંધીજીની પછી કોઈને મળ્યા નથી. એમાં વિજ્ઞાની, ઈજનેર, સાહિત્યકાર, કલાકાર, વિચારક, શાસ્ત્રજ્ઞ એમ દરેકનો સમાવેશ થાય છે. લોકપ્રિયતામાં ગાંધીજી જેટલી ઊંચાઈ ઇતિહાસમાં કોઈએ મેળવી નથી.
માનવજીવનનું અને સમાજજીવનનું ભાગ્યે જ કોઈ પાસું હશે જેને ગાંધીજીએ સ્પર્શ્યું ન હોય અને ગાંધીજીનો પ્રભાવ ન હોય. સંડાસની ડિઝાઈન અને ચૂલાની ડિઝાઈન પણ ગાંધીપ્રેરિત છે. ગાંધીજીને ઈશ્વરનો અવતાર માનનારા લોકો પણ મોટી સંખ્યામાં હતા અને જો ગાંધીજીએ લોકોને ન રોક્યા હોત, તો તેમનાં સેંકડો મંદિરો ભારતમાં હોત. એક અંગ્રેજ અધિકારીએ ગાંધીજીને લખ્યું હતું કે, ‘લખનૌમાં કેટલાક અંગ્રેજ અને ઍંગ્લો-ઇન્ડિયન સૈનિકો અમીનાબાદમાં આવેલા વેશ્યાઓના કોઠામાં જાય છે. તેમના નૈતિક પતનને રોકવા માટે તમારે અપીલ કરવી જોઈએ.’ (જુઓ ગાંધીજીનો અક્ષરદેહ ભાગ-૨૦મો, પૃષ્ઠ, ૪૮૫)
courtesy : "The Indian Express", 02 October 2019
એવો ભાગ્યે જ કોઈ કલાપ્રકાર હશે અને એવો ભાગ્યે જ કોઈ કલાનો આવિષ્કાર હશે જેનો વિષય ગાંધીજી ન બન્યા હોય. ફિલ્મો, નાટકો, ઓપેરા, નૃત્ય, બેલે, સંગીત, ચિત્ર, શિલ્પ, ઠઠ્ઠાચિત્રો (કાર્ટુન્સ), સિગરેટનું પાકીટ, દારૂની બોટલ, લાલબાગના ગણપતિ, પતંગ, નીકર, જાંગિયો બધું જ. કલાત્મક અભિવ્યક્તિનું એક પણ માધ્યમ એવું નથી જેણે ગાંધીનો સ્પર્શ ન કર્યો હોય. ભારતમાં ભાગ્યે જ કોઈ સંગીતકાર હશે જેણે ગાંધીજીનાં પ્રિય ભજનો ગાયાં ન હોય કે વગાડ્યાં ન હોય. ‘વૈષ્ણવ જન તો …’ આખા જગતનું માનવતાનું ગીત બની ગયું છે. સંગીતકારોએ ગાંધીનાં નામે રાગ રચ્યા છે અને ખગોળશાસ્ત્રીઓએ એક તારાને ગાંધીનું નામ આપ્યું છે.
જગતમાં ભાગ્યે જ કોઈ શહેર હશે જ્યાં ગાંધીજીનું પૂતળું, માર્ગ કે સ્મારક ન હોય. જગતમાં એવું કોઈ શહેર નહીં હોય જ્યાં પોતાને ગાંધીના અનુયાયી તરીકે ઓળખાવનારા મળી ન રહે. પચાસ-સો તો જગતના દરેક શહેરમાં મળશે. આખા વિશ્વમાં મુક્તિ માટેની લડત લડનારાઓ ગાંધીજીને પ્રેરણા-સ્વરૂપ ગણાવે છે. માર્ટીન લ્યુથર કિંગ, નેલ્સન મંડેલા, સુ કી, લેચ વાલેસા, એમ અનેક. આ જગતમાં ૧૯૦૮થી અત્યાર સુધીમાં હજારો અહિંસક આંદોલનો અને સત્યાગ્રહો ગાંધીજીને અનુસરીને થયા હશે. યુનાઈટેડ નેશન્સે ગાંધીજીના જન્મદિવસને વિશ્વ અહિંસા દિવસ જાહેર કર્યો છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇને આપેલી અંજલિ તો જાણીતી છે.
અને હમણાંનો તાજો પ્રસંગ પણ ન ભૂલવો જોઈએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અમેરિકામાં ભર મેદની વચ્ચે સ્વાગત કરતા અમેરિકન સેનેટરે કહ્યું હતું : “આઈ વેલકમ ધ પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ફ્રોમ ધ લૅન્ડ ઑફ મહાત્મા ગાંધી એન્ડ જવાહરલાલ નેહરુ.” બોલો! નવા રાષ્ટ્રપિતાને જૂના રાષ્ટ્રપિતાની ભૂમિના હોવાની ઓળખ આપવામાં આવી.
courtesy : "The HIndu", 02 October 2019
હવે આ ગાંધીનું કરવું શું? સચ્ચા લગાની માનવીય જવાબદારી ફગાવી દઈને અચ્છા લગા એટલે કરોડોની સંખ્યામાં બદનામી કરનારી પોસ્ટ પ્રસારિત કરવા છતાં આ માણસ મરતો નથી. લાકડીથી માર્યો, ગડદા-પાટુથી માર્યો, છરાથી માર્યો, બોમ્બથી માર્યો, ગોળીથી માર્યો, ગાળોથી માર્યો, અફવાઓથી માર્યો, જૂઠાણાંઓથી માર્યો, કાનાફૂસી કરીને માર્યો અરે ગાંધીજીના પોસ્ટર પર ગોળી મારીને માર્યો; પણ એ માણસ મરતો જ નથી. અમેરિકામાં પરફેક્ટ ગોઠવેલા ઓરકેસ્ટ્રામાં એ માણસ અચાનક ટપકી પડ્યો. આ માણસનું કરવું શું?
મારી વાચકોને ત્રણ સલાહ છે. પહેલાં આપણે એ વિચારવું જોઈએ કે આપણે એ માણસને શું કામ મારવા માગીએ છીએ? કોઈક કારણ તો હોવું જ જોઈએ. બાકી ક્યાં તમારી એમની સાથે અંગત અદાવત છે. વિચારો. શા માટે તમે એને મારવા માગો છો? જો કારણ પણ ન જાણતા હોય અને છતાં મારવા માગતા હો તો તમારા કરતાં મોટો બેવકૂફ અને બેજવાબદાર માણસ આ જગતમાં બીજો એકે નથી.
મારી બીજી સલાહ એવી છે કે આપણે એ પણ વિચારવું જોઈએ કે આ માણસ મરતો કેમ નથી? કોણ જીવાડે છે એને? કોઈક તો એવું છે કે જે ગાંધીને મરવા દેતા નથી. ગાંધીને મારવાના કરોડો પ્રયાસ કેમ સફળ થતા નથી? મારણ કરતાં વારણ કેમ વધારે પ્રભાવી નીવડે છે? કોણ છે જે ગાંધીને જીવતો રાખે છે?
મારી ત્રીજી સલાહ એવી છે કે મારવા માગનારાઓના સ્વાર્થ અને જીવાડવા માગનારાઓના સ્વાર્થના સ્વરૂપમાં શું ફરક છે એ વિષે વિચારો. અંતે તો બે સ્વાર્થની લડાઈ છે જેમાં ગાંધી તો એક સાધનમાત્ર છે. ગાંધીજીને જીવાડવા માગનારાઓને એવું શું ગાંધીજી પાસેથી મળે છે જે તમને જોઈતું નથી? તમારો વાંધો ગાંધી સામેનો છે કે પછી ગાંધી જેનો હાથ પકડે છે તેની સામેનો છે? વિચારો. માણસ બનાવામાં એ કામ લાગશે. એવું તો નથી કે કોઈક તમને માણસ બનવા દેવા માગતું નથી? જો વિચારશો અને આ પ્રશ્નનો જવાબ મળશે તો તમે મુક્ત પણ થશો.
આ પ્રશ્નો વિષે વિચારવું જ પડશે અને તેનાથી તમે ભાગી નહીં શકો. જો નહીં વિચારો અને જો તથ્યોથી ભાગશો તો રોજ તમારે ‘અચ્છા લગા …’નો અપરાધ કરવો પડશે. માણસાઈના છેલ્લાં વસ્ત્રરૂપ લંગોટ ફગાવીને જીવવા કરતાં ઉપર જે ત્રણ સલાહો આપી છે એ વિષે વિચારો. જો ગાંધીને ધિક્કારવા માટે વજૂદવાળું કારણ મળે તો જરૂર ધિક્કારો. એ તમારો અધિકાર છે. આ જગતમાં કોઈને પણ ધિક્કારવા નહીં જોઈએ એવો બુદ્ધનો સંદેશો હું તમને નહીં આપું. ધિક્કારો, જરૂર ધિક્કારો; પણ નક્કર કારણ સાથે ધિક્કારો. પોતાની બુદ્ધિથી ધિક્કારો. પણ એના પહેલાં બીજી બે બાબતો વિષે વિચારવાનું ભૂલતા નહીં કે કોણ ગાંધીને જીવાડે છે અને ગાંધીને જીવાડનારાના સ્વાર્થમાં અને તમારા સ્વાર્થમાં શું ફરક છે?
તમે જો ગાંધીને મારવા માગતા હો તો શા માટે મારવા માગો છો એ વિચારવાનું કામ તમારું છે, જે ગાંધીને જીવતા રાખે છે એ કોણ છે અને શા માટે જીવતા રાખે છે એ જણાવી દઉં. એવું બને કે તમને તમારો વ્યાપક અને લાંબા ગાળાનો સ્વાર્થ તેમાં નજરે પડે અને તમે પણ વટલાઈને ગાંધીજીને જીવતા રાખનારા બની જાવ. ગાંધી આપણો સગો નથી, સ્વાર્થ સગો છે અને ગાંધીના હોવાપણામાં જો આપણો સ્વાર્થ સધાતો હોય તો વટલાવામાં શું વાંધો છે? આ દેશમાં હજારો લોકો બદલાયા છે.
માણસે માણસ બનવું જોઈએ એવી શીખ તો વેદોથી લઈને વિવેકાનંદ સુધીના અનેક ગ્રંથો અને સંતોએ આપી છે. આવું માત્ર ભારતમાં જ નથી બન્યું, જગત આખામાં દરેક યુગમાં દરેક પ્રદેશમાં અને દરેક ધર્મમાં આવી સલાહ આપવામાં આપી છે. માણસ કેમ બનાય એનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. પણ ગાંધીજી જગતનો પહેલો મહાપુરુષ છે જેણે માનવીય સમાજની રચનાને રાજકારણનો હિસ્સો બનાવ્યું હતું. આ પહેલાં આવું ક્યારે ય નહોતું બન્યું. માનવીયતા અને રાજકારણને પરસ્પર પૃથક સમજવામાં આવતા હતા. માનવીયતાને સંતોનો પ્રદેશ સમજવામાં આવતો હતો અને રાજકારણને ધુર્તોનો. માનવીય સમાજની રચનાની આવશ્યકતા વિષે ટોલ્સટોય, રસ્કિન, થોરો જેવા વિચારકોએ વિચાર્યું હતું; પરંતુ તેને રાજકારણનો હિસ્સો બનાવનારા, પ્રજાને સંચારિત કરનારા અને લોકઆંદોલન કરનારા ગાંધીજી જગતના પહેલા પ્રયોગવીર હતા.
આ જે સંભાવના છે તેનું જગતને આકર્ષણ છે. એવું નથી કે ગાંધીજી એમાં સફળ થયા હતા. ગાંધીજીને તો આપણે નિષ્ફળ બનાવ્યા હતા; પરંતુ ગાંધીજીએ સંભાવનાની કેડી કંડારી આપી હતી. એ કેડીને માનવતાવાદી લોકો ધોરી માર્ગમાં ફેરવવા માગે છે. દરેક પ્રકારની અસમાનતા, શોષણ, અન્યાય, હિંસા, ધાર્મિક-વાંશિક-જ્ઞાતિકીય પૂર્વગ્રહો, આક્રમક અસ્મિતાઓ, બહુમતી કોમની જોહુકમીવાળો રાષ્ટ્રવાદ, જરૂર કરતાં અનેકગણું વધારે ભોગવવું અને સંગ્રહવું, સુખની શોધમાં સુવિધાઓના ગુલામ બનવું, સુવિધાઓને વિકાસ કે પ્રગતિ તરીકે ઓળખાવવું, કષ્ટ ટાળવાની વૃત્તિ, રાજ્ય પર(એટલે કે શાસકો પર)ની નિર્ભરતા, સશર્ત સંગઠિત થવાનો અને રહેવાનો આગ્રહ અને કેટલાકને ધરાર બહાર રાખવાનો દુરાગ્રહ વગેરે બધાં માનવીય દૂષણો છે અને એનાં કરતાં સામાજિક દૂષણો વધારે છે.
આ બધાં દૂષણો યુગો જૂનાં છે અને ધર્મો અને મસીહાઓ લોકોને અત્યાર સુધી માણસ બનવાની એક જ સલાહ આપતા રહ્યા છે. ગાંધીજીએ માણસ બનવાની સલાહ આપવાથી આગળ જઈને માનવીય સમાજની રચના કરવાનું એક ડગલું વધારે ભરી બતાવ્યું. તેમણે બતાવી આપ્યું કે વ્યક્તિ જ નહીં, સમાજને સુધ્ધા માનવીયતાના પક્ષે સંચારિત અને આંદોલિત કરી શકાય છે. ધર્મ અને મસીહા પછી લોકોનો બીજો મદાર રાજ્ય પર હતો. સારો શાસક મળે તો સુખ મળે. સારી રાજ્યવ્યવસ્થા મળે તો સુખ મળે. સારી રાજકીય વિચારધારા મળે તો સુખ મળે. ટૂંકમાં નિર્ભરતા રાજ્ય અને શાસકો પરની હતી. ત્રીજો મદાર પ્રજાકીય હિંસક વિદ્રોહ પર હતો. પ્રજા જ્યારે ગળે આવી જાય ત્યારે હિંસક ક્રાંતિઓ થતી હોય છે. ક્રાંતિ તો કદાચ થાય, પણ એક રાજ્ય વ્યવસ્થાની જગ્યાએ બીજી આવે અને એમાં સડો પેસે પછી એને ત્યાં સુધી સહન કરવાની જ્યાં સુધી નવો શાસક, નવી વિચારધારા કે બીજી લોહિયાળ ક્રાંતિ ન થાય.
ગાંધીજીએ કહ્યું કે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અને હંમેશાં અન્યાય અને શોષણ સામે લડી શકાય અને તેને દૂર કરી શકાય છે. એને માટે બે જરૂરિયાત છે. એક આપણે માણસ તરીકે સદાય જાગૃત રહીએ અને માત્ર માણસ તરીકે સંગઠિત થઈએ. જ્યારે પણ માણસને એમ લાગે કે મારું શોષણ થઈ રહ્યું છે કે ચોક્કસ સમૂહનું શોષણ થઈ રહ્યું છે, અન્યાય થઈ રહ્યો છે; ત્યારે સત્યને વફાદાર રહીને અવાજ ઉઠાવવો જોઈએ અને જોઈએ તો રસ્તા પર ઊતરીને આંદોલન કરવું જોઈએ. પ્લીઝ નોટ, સત્યને વફાદાર રહીને, અંગત કે વ્યક્તિના પોતાના સમૂહ(જ્ઞાતિ-ધર્મ-વંશ-ભાષા વગેરે)ને વફાદાર રહીને નહીં. આમાં ફાયદો એ છે કે તમે પોતે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે સતત વ્યવસ્થાને સુધારતા રહેશો. કોઈ મસીહાની, ભલા શાસકની કે ક્રાંતિની રાહ જોઇને બેસી નહીં રહેવું પડે.
આ આદર્શ કલ્પનાને ગાંધીજીએ એક સંભવના તરીકે સ્થાપી આપી. જગતના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું હતું. માનવીએ સમાજ રચ્યો ત્યારથી અન્યાય, શોષણ અને હિંસાથી સમાજને મુક્તિ મળી નહોતી. પહેલીવાર ગાંધીજીએ બતાવી આપ્યું કે માણસ જો માણસ બની રહે અને માત્ર માણસ તરીકે સંગઠિત થાય તો કોઈની રાહ જોયા વિના એને એ જ સમયે ઈલાજ થઈ શકે છે.
જો કે શરત આકરી છે. માત્ર માનવી બની રહેવાની અને માણસ તરીકે સંગઠિત થવાની. બીજી કોઈ ઓળખ નહીં અને બીજો કોઈ વ્યક્તિગત કે સામૂહિક સ્વાર્થ નહીં. હવે સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે કોણ ગાંધીને મારવા માગે છે અને કોણ બચાવવા માગે છે. જે પોતાની ઓળખ, પોતાની સર્વોપરિતા, જોહુકમીપણું, પોતાનો સ્વાર્થ છોડવા નથી માગતા એ લોકો ગાંધીજીને મારવા માગે છે. તેમને સંખ્યાભાનમાંથી, પરંપરામાંથી, માફક આવે એવા ઇતિહાસમાંથી, ધર્મમાંથી, રિવાજોમાંથી તેમના અંગત કે સામૂહિક સ્વાર્થને ટકાવી રાખવા માટેનાં બહાનાં મળે છે. એ માત્ર સ્વાર્થ નથી; એ સ્વાર્થમાંથી અન્યાયી, શોષણ આધારિત અને હિંસક વ્યવસ્થા પેદા થઈ છે. ગાંધીજીને મારવા માગનારાઓ આને બચાવી લેવા માગે છે અને ગાંધીજી તેમાં વચ્ચે આવે છે.
બીજી બાજુ એવા લોકો છે જેમને ગાંધીજીએ બતાવી આપેલી પેલી સંભાવનામાં રસ છે. ભારતમાં એક માણસ થયો જેણે વિચ્છિન્ન માણસને આખો માણસ બનાવ્યો અને પાછો સંગઠિત પણ કર્યો. સંગઠિત તો કર્યો, પાછો આંદોલિત પણ કર્યો અને એ પણ જગતના સૌથી શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્ય સામે. વળી પાછું આ તેમણે ભારતમાં કરી બતાવ્યું જ્યાં માણસની ઓળખો અને અસ્મિતાઓનો કોઈ પાર નથી. વિભાજીત ભારતીયને સંગઠિત કર્યો અને એ પણ એવા દેશમાં જ્યાં સૌથી પ્રાચીન પરંપરા છે અને સૌથી જૂનો ઇતિહાસ છે. એ માણસે એવા માણસને જગાડ્યો અને પ્રાણ પૂર્યા જેને સભ્ય સમાજે જીવતા મરેલો જાહેર કર્યો હતો. માત્ર જગાડ્યો નહોતો અને પ્રાણ પૂર્યા નહોતા, તેણે તેને લડતો કર્યો હતો. ચંપારણનો સત્યાગ્રહ આનું ઉદાહરણ છે.
ધર્મ, રાજ્ય, શાસકો, વિચારધારાઓ અને વ્યવસ્થાના સદીઓ જૂના સંઘર્ષમાં ગાંધીજીએ અદના માનવીને પરિવર્તનના પ્રભાવી પરિબળ તરીકે સ્થાપી આપ્યો. એજન્ટ ઑફ ચેન્જ તરીકે જે આજ સુધી જગતમાં જોવા મળ્યું નહોતું. આ જે સંભાવનાનો રસ્તો ગાંધીજીએ ખોલી આપ્યો છે એમાં જગતને રસ છે. એ સંભાવનામાં જેનો સ્વાર્થ છે એ ગાંધીને જીવતો રાખે છે. જેનું શોષણ થઈ રહ્યું છે, જેની સાથે અન્યાય થઈ રહ્યો છે, જેને રાજ્ય દ્વારા ન્યાય નથી મળતો, જેને સમાજિક વ્યવસ્થા દ્વારા ન્યાય નથી મળતો, જેને માણસ ગણવામાં નથી આવતો, જેને ધર્મ અને બીજા નામે સતાવવામાં આવે છે, જેને વિકાસના નામે ઉખેડી નાખવામાં આવે છે, જે અતિ સમૃદ્ધિ અને અતિ ઉપભોગને કારણે શારીરિક રીતે પીડાય છે, જે બધું જ હોવા છતાં એકલતાથી પીડાય છે, જે સ્વાર્થી જગતમાં સતત અનિશ્ચિતતાઓથી ડરેલો છે, જે હૂંફ માટે તલસે છે, જેને રાજ્યના-સમાજના અને હવે તો કુદરતના કોપનો ડર લાગે છે એ બધા જ ગાંધીજીએ બતાવી આપેલી સંભાવના તરફ આતુરતાથી જોઈ રહ્યા છે.
તો વાત એમ છે કે જે લોકો ઉજ્વળ ભવિષ્ય તરફ નજર રાખે છે એ લોકો ગાંધીને મરવા નથી દેતા અને જે લોકો અતીત તરફ નજર રાખે છે અને અતીતનો ઉપયોગ કરીને પોતાના સ્વાર્થ અને ઓળખજન્ય પૂર્વગ્રહોથી મુક્ત થવા નથી માગતા એ ગાંધીને મારવા માગે છે. એ તો દેખીતી વાત છે કે અતીત તરફ નજર રાખીને જીવનારાઓ કરતાં ભવિષ્ય તરફ નજર રાખનારાઓ; વધારે બુદ્ધિશાળી, વધારે ઉર્જાવાન, વધારે પ્રયોગશીલ, વધારે ખુલ્લા, વધારે અનાગ્રહી અને વધારે હિંમતવાન હોવાના. તેમણે ગાંધીજીને ઊંચકી લીધા છે અને પેલી સંભાવનાને સાકર કરવા મથે છે. એક બાજુ ઉજ્વળ ભવિષ્ય માટેની મથામણ છે અને બીજી બાજુ ગોળી, ગાળ અને ચારિત્ર્યહનન છે.
માટે ગાંધીજી વિષે જગતભરમાં એક લાખ પુસ્તકો લખાયાં છે અને જગતનાં દરેક શહેરમાં તમને ગાંધીજી તરફ એક સંભવના તરીકે જોનારા પચાસ-સો માણસો મળી રહેશે, જે ઉજવળ ભવિષ્ય માટે મથામણ કરી રહ્યા છે. માટે ગોળી, ગાળ અને લાખો જૂઠાણાં નિષ્ફળ નીવડી રહ્યાં છે.
તમે તમારા સંતાનને કઈ જમાતમાં જોવા ઇચ્છશો? ઉજ્વળ ભવિષ્યની સંભાવના તપાસનારાઓની વચ્ચે કે ઇતિહાસને ઉલેચીને ગોળી, ગાળ અને જૂઠાણાંનો આશ્રય લેનારાઓની વચ્ચે? આજે જ નિર્ણય લઈ લો, મોડું થાય એ પહેલાં.
સૌજન્ય : ‘દર્પણ’ પૂર્તિ, “ગુજરાતમિત્ર”, 02 ઑકટોબર 2019