‘શૌર્ય’ ફિલ્મમાં લશ્કરનું ભગવાકરણ દેખાડ્યું, ત્યારે મારા જેવાને એ એક અતિશયોક્તિ લાગેલી, પરંતુ ‘સમજૌતા એક્સપ્રેસ’ની આસપાસ કર્નલ પુરોહિત અને પ્રજ્ઞાસાધ્વીનાં ભેદી કૂંડાળાંઓ રચાયાં ત્યારે થયું કે લશ્કરનું ય ભગવાકરણ થવા માંડ્યું છે. કચ્છના ભૂકંપમાં માત્ર ચાર જ દિવસમાં લશ્કરને હટાવીને પ્રજાકાર્યને કોન્ટ્રાક્ટરના હવાલે કરનાર એનડીએ સરકારે શ્રી શ્રી રવિશંકરની સેવામાં લશ્કરને લગાડી દીધું! યમુનાકિનારે શ્રી શ્રી રવિશંકરે જે રીતે પ્રાકૃતિક સંસાધનોનો ખાત્મો બોલાવ્યો અને જે રીતે ગંદકી છોડીને ગયા (ભાષણો અને અભિનયમાં પણ …) તેથી મારા જેવાને તો એ છી … છી … રવિશંકર જ લાગ્યા! બજેટનો સૌથી મોટો હિસ્સો સંરક્ષણમાં, એમાં ય વિશેષતઃ લશ્કર માટે ફાળવાય છે એ લશ્કરને દુષ્કાળમાં ય રાહતકામોમાં મદદ માટે બોલાવાતું નથી ને એ લશ્કર આ ધર્મગુરુઓની, ‘બાપજી’ની સેવામાં લગાડતાં સરકાર અચકાતી નથી. ભારતીય સૈન્યનું આ ગરિમાહનન છે.
નાનકડી મલ્ટિનેશનલ કંપનીના માલિકો જેવા શ્રી શ્રી રવિશંકર (સંપત્તિ ૭૦૦૦ કરોડ) કે બાબા રામદેવ (સંપત્તિ ૫૦૦૦ કરોડ) સૈન્યનો આવો ભોગ લેતાં જ રહેશે ? આ ભગવાકરણની દિશામાં પગલું નથી? જાન્યુઆરી, ૨૦૧૬ની પશ્ચિમ શાખાના ૨૫૦ આર્મી ઑફિસર્સને યોગશિક્ષકની ટ્રેનિંગ રામદેવબાબાની પતંજલિ વિદ્યાપીઠમાં હરદ્વાર ખાતે આપવામાં આવી. ક્રમશઃ આવા ૧૦૦૦ અધિકારીઓને તાલીમ અપાશે, જે પુનઃ લશ્કરી થાણાંઓમાં જઈને પોતાની ટુકડીઓને યોગ શીખવશે!
શું લશ્કરમાં કવાયતથી માંડી શારીરિક ક્ષમતા વધારવાની યોજનાઓનો અભાવ છે કે એક ભગવાધારીને સૈન્ય સોંપવું પડે? દિલ્હીમાં રાજપથ પર વડાપ્રધાનની સાથે ત્રણ મોટા લશ્કરી અધિકારીઓએ યોગ કરવા પડ્યો (જૂન, ૨૦૧૫), ત્યારથી જ આ સિલસિલો ચાલુ થયો છે. અહીં પ્રશ્ન યોગશિક્ષણનો નથી. જો માનસિક અને શારીરિક ક્ષમતા માટે યોગ જરૂરી હોય, તો ત્યાંના અભ્યાસક્રમો કે કાર્યક્રમોમાં ઉમેરી શકાય, પરંતુ વિવાદાસ્પદ રામદેવબાબાને ત્યાં આવી તાલીમ આપવી એ સ્ફોટક છે. રામદેવબાબાના આશ્રમની જમીન કેટલા ય ખેડૂતોની જમીન છે, જે પડાવી લીધી છે અને જેના વિવાદાસ્પદ કેસોનો હજુ નિકાલ નથી આવ્યો. બીજી તરફ જે જગાએ આ લશ્કરી અધિકારીઓને તાલીમ આપી ત્યાં જ, એ જ આશ્રમમાં આર.એસ.એસ.નાં રાષ્ટ્રીય સંમેલનો યોજાયાં છે. આમ, લશ્કર અને આર.એસ.એસ. વાયા રામદેવને ભેગા કરવામાં જોખમ છે. જેમ ૨૦-ટ્વેન્ટી ક્રિકેટમાં ચોગ્ગો/છગ્ગો લગાવાય, ત્યારે ચિયરલીડર્સ નાચી ઊઠે છે, તેમ આ બાબા રામદેવ નરેન્દ્ર મોદી માટે ઝૂમી ઊઠે છે. કાળાં નાણાં માટેની એમની ઝૂંબેશનું સૂરસૂરિયું થઈ ગયું છે અને તેઓ એક મોટા વેપારીમાં પરિવર્તિત થઈ રહ્યા છે. વળી, આશ્રમમાં યોગશિક્ષણનો અર્થ એ પણ થાય છે કે એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્રનું સૈન્ય ધર્મગુરુ પાસે પ્રેરણા લે છે! આવાં આચરણો દ્વારા, આવા કાર્યક્રમોની મંજૂરી દ્વારા આપણે બંધારણના ‘ધર્મનિરપેક્ષ’ શબ્દનું હાર્દ મારી રહ્યા છીએ. આજે ૧૦૦૦ને તાલીમ આપી, કાલે સેંકડોને અપાશે એમ કરીને લશ્કરને ધાર્મિક બનાવાશે. વડોદરામાં હમણાં જ પોલીસ-તાલીમશાળામાં ગયો ત્યારે પસંદ થયેલા પ્રત્યેક તાલીમાર્થીએ ‘ધર્મો રક્ષતિ ધર્મઃ’ સ્ટીકર ત્યાંથી જ ખરીદી ફરજિયાત પહેરવાનું જોયું! શા માટે ધર્મ, શા માટે રાષ્ટ્ર નહીં?!
લશ્કરી શિસ્તમાં રાજ્યની આવી દખલગીરી એ સરકારની તટસ્થતા ને જોખમમાં મૂકીને પક્ષને, પક્ષપરિવારને પોષે છે. વર્તમાન સામાજિક અને રાજકીય પરિસ્થિતિ વચાળે આ આશ્રમમધ્યે બાબા રામદેવની નિશ્રામાં લશ્કરને યોગશિક્ષણ એ સંકુલ ઘટના છે. હિન્દુવાદી કાર્યક્રમ છે. ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર માટે આવી તાલીમ લશ્કરની તટસ્થતાને પણ પ્રશ્નાર્થ હેઠળ મૂકશે.
ધીરેન્દ્ર બ્રહ્મચારી કે ચંદ્રસ્વામીથી, રાસ્પુટિન જેવી ધર્મ-રાજનીતિની સાંઠગાંઠની ભારતમાં ય પરંપરા છે. દ્વારમાં આશ્રમ સ્થાપ્યા પછી એમણે ધનયોગ અને રાજયોગમાં ય પાછીપાની કરી નથી. કાળાં નાણાં સંદર્ભે જંતરમંતર મેદાનમાં બાબા રામદેવે રાજયોગ સાધવાનો પ્રયાસ કર્યો હતો. ધરપકડથી ગભરાઈને સ્ત્રીનો પોષક પહેરીને બાબા જંતરમંતર પરથી છુમંતર થઈ ગયા હતા. નવી સરકાર આવ્યા પછી પુનઃ એમનો રાજયોગ સળવળતો થયો છે. અલબત્ત, હમણાં ‘અચ્છે દિન’નું અજવાળું એટલું છે કે કાળું નાણું હવે એમને દેખાતું નથી! હમણાં-હમણાં દેશભક્તિ, ભારતમાતાકી જય વગેરે પર રીઢા ભ્રષ્ટ રાજકારણીઓથી માંડી યોગીઓ પણ પોતાની ખીચડી પકવવા માંડ્યા છે. તાજેતરમાં જ બાબા રામદેવે કહ્યું કે કાયદાની શરમ નડે છે, નહિતર ભારતમાતાકી જય ન બોલનારાનાં માથાં વાઢી નાંખતાં ન અચકાઈએ.
યોગ એ કેવળ શારીરિક વ્યાયામનું પ્રદર્શન નથી. એમાં યમ, નિયમ, સંયમની તાલીમનું મહત્ત્વ હોય છે. બાબાનાં આવાં હિંસક નિવેદનો બતાવે છે કે એમનો યોગ પણ એમની મૅગી જેવો બજારુ છે. આવાં ભડકાઉ નિવેદનો દ્વારા તેઓ રાજનીતિના બજારમાં ચલણી થવા માંગે છે. આવાં નિવેદનોવાળા બાબા રામદેવ સૈન્યને ફાસીવાદી તાલીમ નહીં આપે, તેની ખાતરી શું ?
e.mail : bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2016; પૃ. 16