ભારત લોકતંત્ર ગુમાવી રહ્યું છે અને તુર્કીની પંક્તિમાં સ્થાન મેળવી રહ્યું છે, એવો અભિપ્રાય હવે આખું જગત ધરાવતું થઈ ગયું છે. લોકતંત્રની ગુણવત્તાના અલગ અલગ માપદંડોના આધારે જગતના કયા દેશમાં કેટલી મોકળાશ અને સ્વતંત્રતા છે એનો અનેક સંસ્થાઓ દ્વારા અભ્યાસ થતો રહે છે, જેમાં લંડનનાં ‘ધ ઈકોનોમિસ્ટ’ સામયિક દ્વારા કરાવવામાં આવતું સર્વેક્ષણ ઘણી મોટી પ્રતિષ્ઠા ધરાવે છે. ઈકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ પાંચ માપદંડોના આધારે સર્વેક્ષણ કરે છે, જે આ મુજબ છે :
૧. ચૂંટણી કેટલી ન્યાયી રીતે મુક્ત રાજકીય વાતાવરણમાં યોજવામાં આવે છે.
૨. સરકારનું ઉત્તરદાયિત્વ. એ કેટલી જવાબદારીપૂર્વક વર્તે છે. લોકપ્રતિનિધિગૃહોમાં સરકાર કેવી રીતે વર્તે છે.
૩. પ્રજાની અર્થાત્ સામાન્ય નાગરિકની રાજકીય સહભાગિતા. જે શાસકો પ્રજાને ડરાવતા હોય ત્યાં સહભાગિતા ઓછી હોવાની.
૪. રાજકીય સંસ્કૃતિ. જે અસ્વીકાર્ય હોય તેની સામે અવાજ ઊઠે અને ભિન્ન અવાજનો આદર કરવામાં આવે એ રાજકીય સંસ્કૃતિ.
૫. નાગરિક અધિકારો. અસ્વીકાર્ય હોય ત્યાં અવાજ ઊઠાવવો એ સંસ્કૃતિ પણ હોવી જોઈએ અને નાગરિકનો અધિકાર પણ હોવો જોઈએ. એ સંસ્કૃતિનો તેમ જ અધિકારનો માત્ર આદર કરવામાં જ ન આવે, જરૂર પડ્યે રક્ષણ પણ કરવામાં આવે. જે નાગરિકના મૂળભૂત અધિકારોનું હનન કરે તેને સજા કરવામાં આવે.
આ પાંચ માપદંડોના આધારે જગતના ૧૬૭ દેશોમાં લોકતંત્રનું સ્વરૂપ કેવું છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. જે દેશ દસમાંથી આઠ કરતા વધુ ગુણાંક મેળવે તેને કન્ટ્રી વિથ ફૂલ ડેમોક્રસીનો દરજ્જો આપવામાં આવે છે. તાજા સર્વેક્ષણ મુજબ જગતના ૧૬૭ દેશોમાંથી માત્ર ૨૨ દેશો ફૂલ ડેમોક્રસીનો દરજ્જો ધરાવે છે. આમાં નોર્વે, આઈસલેન્ડ, સ્વીડન, ન્યુઝીલેન્ડ, ફિનલેન્ડ, આયર્લેન્ડ, ડેન્માર્ક, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સ્વિત્ઝરલેન્ડ અને નેધરલેંડ એમ ૧૧ દેશ નવ કરતાં વધારે ગુણાક ધરાવે છે.
જે દેશ ઉપરના પાંચ માપદંડોમાં ૬.૦૧થી લઈને આઠ સુધીના ગુણાંક મેળવે તે દેશોને ખામીયુક્ત લોકતંત્રની શ્રેણીમાં મુકવામાં આવે છે. કુલ ૧૬૭ દેશોમાંથી ૫૪ દેશો ખામીયુક્ત લોકતંત્ર ધરાવે છે. ભારત લોકતંત્રની ગુણવત્તામાં કુલ ૧૬૭ દેશોમાં ૫૧મા ક્રમે છે અને ખામીયુક્ત લોકતંત્ર ધરાવતા ૫૪ દેશોમાં ૨૯મા ક્રમે છે. ભારતના ગુણાંક ૬.૯ છે. બન્ને રીતે શરમાવા જેવી સ્થિતિ છે. શ્રીલંકા પણ ભારતની પાછળ આ શ્રેણીમાં છે.
ત્રીજી શ્રેણી છે વર્ણસંકર લોકતંત્રની. ન પૂરેપૂરી તાનાશાહી કે ન પૂરું લોકતંત્ર. ઉપરના પાંચ માપદંડોમાં જે દેશ ૪.૦૧થી લઈને ૬ સુધીના ગુણાંક ધરાવતા હોય તેને આ શ્રેણીમાં મુકવામાં આવ્યા છે. આવા ૩૭ દેશો છે. આપણા પાડોશી દેશોમાં બંગલાદેશ, ભૂતાન, નેપાળ અને પાકિસ્તાન આ શ્રેણીમાં સ્થાન ધરાવે છે. પાકિસ્તાન લોકતંત્રની ગુણવત્તામાં વિશ્વદેશોમાં ૧૦૮મા ક્રમે છે અને જેની સાથે આજકાલ ભારતની તુલના કરવામાં આવે છે, એ તુર્કી ૧૧૦મા ક્રમે છે. એ પછી આવે છે સંપૂર્ણપણે સરમુખત્યારશાહી ધરાવતા દેશો. આવા ૫૪ દેશો છે. એ દેશોમાં ચીન, રશિયા, ઈરાન, ઈજીપ્ત અને બીજા આરબ દેશોનો સમાવેશ થાય છે. એ તો જગજાહેર વાત છે કે ઉત્તર કોરિયા જગતનો સૌથી નઠારો શાસક ધરાવે છે અને માટે તે માત્ર ૧.૦૮ ગુણાંક સાથે છેલ્લે ૧૬૭મા ક્રમે સ્થાન ધરાવે છે.
દેશ અંતર્ગત અનેક સમસ્યાઓ છતાં ભારતની ગણના નિષ્ઠાપૂર્વકના લોકશાહી દેશ તરીકે થતી હતી. આ જ તો ભારતની પ્રતિષ્ઠા હતી જે હવે ગુમાવી રહ્યો છે. તમે વાઘા બોર્ડર જશો તો ત્યાં તમને વિશાળ કદનું હોર્ડિંગ જોવા મળશે, જેમાં લખવામાં આવ્યું છે કે વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ આપનું સ્વાગત કરે છે. આની પાછળનો ઈરાદો પાકિસ્તાનીઓને ટોણો મારવાનો હતો અને એ સાથે ગૌરવ લેવાનો હતો. ૨૦૧૪માં ડૉ. મનમોહન સિંહની સરકારની મુદ્દત પૂરી થઈ ત્યારે ભારત ૮.૯૨ ટકાના ગુણાંક સાથે ૨૮મો ક્રમ હતો. ૮.૯૨ ટકા ગુણાક એટલે સર્વેક્ષણ કરનારાઓના વર્ગીકરણ મુજબ ફૂલ ડેમોક્રસીનો દરજ્જો. ૨૦૧૫માં ભારતે એ સ્થાન ગુમાવી દીધું અને ખામીયુક્ત અધૂરા લોકતંત્ર ધરાવતા દેશોમાં ૩૫મા ક્રમે નીચે ઊતરી ગયું. આજે ભારત ૫૧મા ક્રમે છે. એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા એ પછી અમેરિકા પણ ખામીયુક્ત અધૂરા લોકતંત્ર ધરાવતા દેશોની યાદીમાં નીચે ઊતરી ગયું. તાજા સર્વેક્ષણ મુજબ અમેરિકા કુલ ૧૬૭ દેશોમાં ૨૫મા ક્રમે છે. અમેરિકાના ઇતિહાસમાં પ્રમુખ ટ્રમ્પ જેવી શરમજનક ઘટના પહેલીવાર બની છે.
ભારતમાં લોકતંત્રના આટલા ધોવાણ પછી પણ નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર (તમે એ બિચારા વિષે કાંઈ નહીં જાણતા હો એની ગેરંટી) કહે છે કે ભારતની સમસ્યા વધારે પડતા લોકતંત્રની છે. બોલો.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 24 ડિસેમ્બર 2020