છેલ્લા થોડા દાયકાઓથી દેશની સીમા અંગે પેદા થયેલ સંઘર્ષો, ધર્મને નામે ફેલાવાતા આતંકી હુમલાઓ, રંગભેદને આગળ ધરીને થતી હિંસા, જ્ઞાતિવાદના ઓઠા નીચે આચરાતા અન્યાય, વર્ગભેદની વધતી ખાઈને પરિણામે નબળો પડતો સમાજ અને સંસ્કૃતિનાં વૈવિધ્ય પ્રત્યે વધતી અસહિષ્ણુતાના પરિપાકરૂપે વિઘટિત થતાં રાષ્ટ્રોને કારણે જાણે દુનિયા આખી અશાંતિ અનુભવે છે.
સવાલ એ થાય કે આપણે શું દેશ (અને રાષ્ટ્ર), ધર્મ, રંગ (વર્ણ), જાતિ, જ્ઞાતિ, વર્ગ અને સંસ્કૃતિની ખરી વ્યાખ્યા જાણીએ છીએ? સમજીએ છીએ? જો આનો ઉત્તર હકારમાં હોય તો લડીએ છીએ શાને કાજે?
દેશની વ્યાખ્યા શી? એક ચોક્કસ ભૂ ભાગ, કે જેને નિર્ધારિત કરેલ ભૌગોલિક સીમા હોય, પોતાની સ્વાયત્ત સરકાર હોય અને તેની સીમામાં વસતા નાગરિકો હોય. એક દેશની સરકાર પોતાનો વહીવટ ચલાવવા સ્વતંત્ર હોય તેમ જ અન્ય દેશો સાથે સંબંધો ધરાવવા સક્ષમ હોય. એક રાષ્ટ્રનું અસ્તિત્વ તેની એક કે તેથી વધુ જાતિ (race), ધરાવતી પ્રજા, કે જે એક ભૌગોલિક સીમાની અંદર રહીને સહિયારો ઇતિહાસ રચતી હોય, વિવિધ ધર્મો પાળતી હોય, અલગ અલગ ભાષાઓ બોલતી હોવા છતાં એક સામાન્ય ભાષા વડે સંકળાયેલી હોય જેના જીવનના ઉદ્દેશો સમાન હોય તેનાથી નિર્ધારિત થાય છે.
બે દેશો વચ્ચે સીમા સુરક્ષાના પ્રશ્ને દુનિયાના અનેક દેશો વચ્ચે યુગોથી લડાઈઓ થતી આવી છે. આપણે ભારતની સમસ્યા ચર્ચીએ. સ્વતંત્ર થતાંની સાથે જ બધા પાડોશી દેશો સાથે સીમા રેખાંકન બાબત લેખિત કરારો કર્યા હતા. એ કરારોનું ઉલ્લંઘન થતાં જ તેના માત્ર શાંતિમય રાજદ્વારી ઉકેલ માટે ભરસક પ્રયાસો કરવાને બદલે શસ્ત્ર શક્તિમાં વધારો કરીને હિંસાત્મક લડાઈઓ માટે કાયમી વ્યવસ્થા કરી દીધી. આ થઇ દેશની બાહ્ય સુરક્ષાની સમસ્યા.
હવે જોઈએ દેશના આંતરિક સુરક્ષા અને શાંતિના પ્રશ્નો. દુનિયાના તમામ દેશોમાં એક કરતાં વધુ પ્રકારની જાતિઓ, વિવિધ ધર્મ પાળનારાઓ, જુદા જુદા વર્ણના લોકો હજારો વર્ષથી વસતાં આવ્યા છે. જ્યારથી જે દેશોની ધર્મ આધારિત સીમાઓ અંકિત થઇ ત્યારથી તે બંને દેશો વચ્ચે યાવતચંદ્ર દિવાકરો હિંસક લડાઈનાં બીજનાં વાવેતર થઇ ચૂક્યાં. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન તેનું જ પરિણામ હજુ ભોગવે છે; એવો જ બીજો દાખલો તે ભારત-પાકિસ્તાન. હવે એ સંઘર્ષો સીમોલ્લંધન કરવાને પરિણામે છે કે પરસ્પરના ધર્મને ધિક્કારવાને પરિણામે એ કળવું મુશ્કેલ થઈ ગયું. ખૂબીની વાત એ છે કે પોતાના દેશની સીમા સુરક્ષા માટે કે જે તે દેશના નાગરિકોના ધર્મ પાલનની સ્વતંત્રતા જાળવવા માટે બીજા દેશ સાથે લડવું જરા પણ જરૂરી નથી.
હવે આવીએ આ યુગના બહુ ચર્ચિત ખ્યાલ ધર્મ ઉપર. ધર્મને નીચે મુજબની વ્યાખ્યામાં બાંધી શકાય.
માનવ સર્જિત આ વિભાવનાએ અનેક ખમતીધર સંસ્કૃતિને જન્મ આપ્યો, ઉત્તમોત્તમ તત્ત્વજ્ઞાનની શાખાઓ કાયમ કરી, અધ્યાત્મને ઉચ્ચતમ સ્થાને સ્થાપિત કર્યું, શિલ્પ-સ્થાપત્ય અને અન્ય કલાઓને પોષી અને માનવીને અન્ય પ્રાણીઓ કરતાં અલગ અને ઉન્મત્ત બનાવ્યો. પણ એ ધર્મ આખર અતિમાનવ શક્તિ ઉપરની શ્રદ્ધા અને તેની પૂજાને આધારે સંસ્થાકીય માળખામાં સ્થાપિત થયો. ઈશ્વર પર આસ્થા વ્યક્ત કરવાનાં માધ્યમ રૂપે અલગ અલગ પૂજા સ્થાનો, ઇબાદતની વિભિન્ન રીતો, તેને અનુલક્ષીને ઉજવાતા તહેવારો, અનુસરવામાં આવતાં વિધિ વિધાનો અને માન્યતાઓ વિકસવા લાગી. તત્ત્વવેત્તાઓ ‘ધર્મ’ની આ વ્યાખ્યા માટે બે વિડંબણાઓનો નિર્દેશ કરે છે; એક તો અમુક ધર્મને અનુસરનારાઓ ઘણા સંકુચિત બની જાય અને બીજા ધર્મોના અસ્તિત્વ કે મહત્ત્વને સ્વીકારવા ન માગે અને બીજું, કેટલાકને માટે ધર્મની વ્યાખ્યા અત્યંત સંદિગ્ધ, વ્યાપક, સામાન્ય અને અનેકાર્થી હોવાને કારણે તેઓ મોટા ભાગનાં જીવનને ધર્મ સાથે સાંકળવા મથે છે. હિન્દુ ધર્મના અનુયાયીઓ કદાચ આ બીજી શ્રેણીમાં આવી શકે. Durkheim નામના સમાજશાસ્ત્રીએ ધર્મના બે પાસાં દર્શાવેલ, એક છે પૂજનીય અથવા પવિત્ર અને બીજું, અપવિત્ર કે ધર્મ દ્વેષી. પોતાના ધર્મ બંધુઓ દ્વારા પવિત્ર મનાતી તમામ બાબતો માટે વ્યક્તિ અને સમાજને એટલાં આદર અને માન હોય છે કે તેની આત્યંતિકતા તેને બીજાના ધર્મ પ્રત્યે અસહિષ્ણુ બનાવવા સુધી ખેંચી જાય છે. આથી જ તો કેટલાક વિદ્વાનોના મતે સહુથી પ્રાચીન ગણાતા હિન્દુ ધર્મ કે જેનાં મૂળ 4,000 વર્ષ પહેલાં નંખાયેલાં મનાય છે અને આજે આશરે 900 લાખ જેટલા તેના અનુયાયીઓ છે. આ માનવ સર્જિત ધર્મ આખર એવું સંગઠન છે જે સમાજને કેટલીક માન્યતાઓનું માળખું પૂરું પાડે છે જે અલગ અલગ ચિહ્નો અને વિધિવિધાનો દ્વારા પ્રગટ કરવામાં આવે છે.
ગાંધીજી કોઈ ધર્મગુરુ નહોતા, પંથ કે વાડા શરૂ કરનાર નહોતા, પરંતુ ધર્મ વિશેના તેમના ખ્યાલ અને અન્ય ધર્મીઓ પ્રત્યેના તેમના વલણ સહુને માટે અનુકરણીય બની રહે તેવા છે. ગાંધી, “હું મારા ધર્મના એવા સિદ્ધાંતોને નકારું જે મારા તર્કની કસોટીએ ખરા ન ઉતરે અને નૈતિક ધોરણો સાથે સંઘર્ષ ખડો કરે.” તેમણે આગળ જતાં કહેલું, “મારી દૃષ્ટિએ વિવિધ ધર્મો એક જ બગીચાનાં સુંદર ફૂલો જેવાં છે જે એક જ વૃક્ષની ડાળીઓ અને ફૂલો સમાન છે.” તેમણે ઘણી વખત કહેલું કે તેઓ જેટલા હિન્દુ છે તેટલા જ મુસલમાન, ખ્રિસ્તી, શીખ, બુદ્ધિસ્ટ, પારસી અને જૈન પણ છે અને ઉમેરતા, “જે હાથ બીજાની સેવા કરે તે માત્ર પ્રાર્થના કરતા હોઠ કરતાં વધુ પવિત્ર છે.” આથી તેમની ધાર્મિકતાને આધ્યાત્મિક માનવતા તરીકે જ ઉત્તમ રીતે ઓળખી શકાય. જો દુનિયાના મહત્તમ લોકો ધર્મને આ દૃષ્ટિથી જોતા-સમજતા થાય તો ધર્મ આધારિત ભેદાભેદ અને સંઘર્ષ ટળી જાય.
માનવ જાતિને એક દેશની સીમામાં બાંધવા અને ધર્મની ઓળખ આપી અલગ કરવા પૂરતા ન હોય તેમ એક જ દેશના, સમાન ધર્મને અનુસરતા લોકોને તેની ત્વચાના રંગના આધારે અલગ અને નિમ્ન કક્ષાના ગણવામાં આવે છે. હકીકતે આપણી ત્વચાનો રંગ મેલનિન નામના પીગ્મેન્ટ અને એપિડર્મિસ જેવાં બીજાં તત્ત્વો થકી નક્કી થાય છે. હવે સમાન ભૌગોલિક સીમામાં રહેતા, એક જાતિના લોકોની ત્વચાનો વર્ણ સમાન હોવાનો અને અન્યોનો જુદો હોવાનો, તો વર્ણનો અલગ રંગ = આપણાથી ઉચ્ચ કે નીચ એ વિચાર ક્યાંથી અને ક્યારે જન્મ્યો એ કોણ કહી શકે? રંગભેદથી ઉત્પન્ન થયેલાં શોષણ, દમન, ગુલામી પ્રથા અને હજુ આજે 21મી સદીમાં પણ વિકસિત ગણાતા દેશોમાં આચરવામાં આવતી હિંસા ખરેખર માનવ જાત માટે અક્ષમ્ય અપરાધ ગણાય. સંશોધનોએ પુરવાર કર્યું છે કે આફ્રિકા, એશિયા, યુ.એસ.એ., દક્ષિણ અમેરિકા, યુરોપ, અરે, પૂરી દુનિયામાં ન્યાયતંત્ર, વેપાર વાણિજ્ય, અર્થકારણ, રાજકારણ, સરકારની રહેઠાણ અને સ્વાસ્થ્યની નીતિઓ, પ્રસાર માધ્યમો અને મનોરંજન સુધ્ધાં જેવા ક્ષેત્રોમાં રંગભેદ નીતિએ ભારે અસમાનતા સર્જી છે.
ત્વચાનો વર્ણ, જાતિ અને જ્ઞાતિ એ ત્રણેય પરિભાષાઓ વચ્ચે ગૂંચવાડો પેદા થઇ શકે. જાતિ(Race)ની વ્યાખ્યા: બાહ્ય શારીરિક લક્ષણોમાં સામ્ય ધરાવતો માનવસમૂહ એક જાતિનો ગણાય. અમેરિકામાં શ્વેત, આફ્રિકન અમેરિકન, એશિયન, અલાસ્કન નેટિવ વગેરે પરિભાષાથી એક ચોક્કસ જાતિ સમૂહને ઓળખવામાં આવે છે, તો અન્ય દેશોમાં કોકેશિયન, મોંગોલ વગેરે પરિભાષા પ્રચલિત છે. અમુક વ્યક્તિ કે સમૂહ એક ચોક્કસ જાતિના છે એ ઓળખ હોવી એ બિલકુલ અયોગ્ય નથી, પરંતુ ઓળખ સાથે ભેદભાવ ક્યારે ઉમેરાયો એના સગડ નથી મળતા.
ભારત જેવા દેશમાં તો ઉપર જણાવ્યા એ ચાર વિભાગીકરણથી ધરાયેલા ન હોવાને કારણે જ્ઞાતિ ભેદનો પણ ઉમેરો કરવામાં આવ્યો. સદીઓથી આ ભેદભાવ સમાજને કોરી રહ્યો છે. જન્મને આધારે નવજાત શિશુને અમુક જ્ઞાતિના હોવાનું લેબલ મળે, તેના પરથી તે કેટલો શુદ્ધ/અશુદ્ધ છે, તેને કેવા પ્રકારની શૈક્ષણિક, આર્થિક, સામાજિક અને રાજકીય સુવિધાઓ મળે તેના અધિકારો નિર્ણિત થાય. સમાજને સુચારુ રૂપે ચલાવવા શ્રમ વિભાજનની મૂળ નિસરણી આડી મુકેલી તેને સીધી મૂકીને તેમાં વારસાગત ઉચ્ચ-નીચના ભેદભાવોની રંગ પૂર્ણી કરીને સમાજને વધુ એક મુદ્દા પર વિભાજીત કર્યો. આજે આઝાદીના 75 વર્ષ બાદ, રાજ્ય બંધારણમાં તેની નાબૂદીનો પૂરો બંદોબસ્ત કર્યો હોવા છતાં આપણને એ બલા હજુ છોડતી નથી, અથવા કહો કે આપણે એ દૂષણને છોડવા માગતા નથી.
ઓગણીસમી સદીના અંતે અને વીસમી સદીમાં પૂર્વીય દેશોને પશ્ચિમી સભ્યતાની કહેવાતી ‘આધુનિકતા’નું ઘેલું લાગ્યું. નવીન અર્થવ્યવસ્થાને પગલે આવેલી સમાજની વર્ગ વ્યવસ્થા વધુ પ્રસરતી ચાલી. એ જ્ઞાતિની માફક જન્મને આધારે નહીં પણ મુખ્યત્વે આર્થિક ક્ષમતાને આધારે અસમાનતા સ્થાપિત કરનારી નીવડી. ધનિક, મધ્યમ અને ગરીબ એવા ત્રણ વર્ગો ઊભા થયા, જેમને આવાસ, શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી, રાજકીય અધિકારો વગેરેમાં ભેદભાવો સહન કરવા પડે જ છે, ફર્ક માત્ર એટલો કે એ પરિસ્થિતિ વારસાગત ન હોવાને કારણે તેમાં સામાજિક ગતિશીલતાનો અવકાશ રહે. નિમ્ન વર્ગમાં જન્મેલ વ્યક્તિ પોતાની બુદ્ધિ શક્તિના જોરે ઉત્તમ શિક્ષણ મેળવી, ઉચ્ચ ગણાતા વ્યવસાયમાં આપબળે આગળ વધીને ઉચ્ચ મધ્યમ વર્ગ કે ધનિક વર્ગમાં જીવતો થઈ શકે. છતાં ખુદ પશ્ચિમનો સમાજ પણ વર્ગભેદના દૂષણથી પીડાઈ રહ્યો છે.
હજુ એક વધુ પરિબળ માનવ સમાજને સંગઠિત અને સમૃદ્ધ કરવા રચાયેલું; તે છે સંસ્કૃતિ. માનવ સમાજની એ એક એવી વિશેષતા છે જે તેને ઉર્ધ્વ ગતિ આપીને ઉત્તમ સ્થાને પહોંચાડવા સર્જવામાં આવી હતી, જે ક્યારેક એકતાને બદલે વિભાજન લાવવા જવાબદાર બની રહે છે. સંસ્કૃતિની વ્યાખ્યા આપવી બહુ મુશ્કેલ. એ એક શબ્દના છત્ર નીચે કળા, (સંગીત, નાટ્ય, નૃત્ય, ચિત્ર, સ્થાપત્ય વગેરે તમામ લલિત કલાઓ), માન્યતાઓ, વર્ણની રીતભાત, પોશાક, ખોરાક, ધાર્મિક શ્રદ્ધા અને સામાજિક ધારાધોરણોનો સમાવેશ થાય. તેને જીવન પદ્ધતિ તરીકે પણ ઓળખીએ, જે સમાજનો કોઈ એક ચોક્કસ સમૂહ અનુસરે, ચાહે તે પોતાની જન્મભૂમિમાં રહેતો હોય કે વિદેશે. અને આ સંસ્કૃતિ પેઢી દર પેઢી વારસામાં ઉતરતી પણ હોય છે. એ સંસ્કૃતિની જાળવણી કથા-વાર્તાઓ, તહેવારોની ઉજવણી, મનોરંજનના માધ્યમો થકી ભૂતકાળના વારસાની સાચવણી થઇ અને તેના થકી ઉત્તમ મૂલ્યોના અમલીકરણથી અદ્દભુત સમાજ રચાતો અને જળવાતો જોવા મળે છે, તો બીજી બાજુ ‘સંસ્કૃતિ’ના ઓઠા હેઠળ કેટલાક માનવ હિત વિરુદ્ધ દુષ્કૃત્યો થતા પણ જોવા મળે છે. સમાજશાસ્ત્રની વ્યાખ્યા મુજબ સંસ્કૃતિ એ સમાજ જીવનનું અમૂર્ત પાસું છે જે સામાન્ય રીતે મૂલ્યો, માન્યતાઓ, ભાષા, અને પરસ્પર સાથે સંકળાયેલા રહેવાની રીતભાતમાં વ્યક્ત થાય છે જે તેમને એક સમાજના સભ્ય હોવાનો માપદંડ આપે છે. એક દેશમાં બે સંસ્કૃતિઓના મિલનથી એક ઉત્તમ નવી સંસ્કૃતિનો ઉદ્દભવ થાય એ ભારત સિવાય બીજા કયા દેશમાં પ્રતીત થઇ શકે? અને એક દેશમાં બે સંસ્કૃતિ વચ્ચે વિરોધાભાસ અને ટકરાહટને કારણે દાયકાઓ સુધી સંઘર્ષ ચાલ્યા કરે તેના પણ આપણે સાક્ષી છીએ. જો કે 21મી સદીમાં સંસ્કૃતિના ભાષા, નીતિમત્તાનાં મૂલ્યો, સામાજિક ધોરણો, ધાર્મિક માન્યતાઓ, કલા, વગેરે જેવાં પાસાંઓનું સ્થાન બજાર અને ટેક્નોલોજીએ લીધું છે જે આપણ સહુને એક ગ્રાહક અને ટેક્નોલોજીના ઉપભોક્તાની સાંકળે બાંધે છે.
ત્વચાના વર્ણ અને જાતિ (Race) સિવાય દેશ, ધર્મ, જ્ઞાતિ, વર્ગ અને સંસ્કૃતિ એ તમામ વિભાવનાઓ માનવ સર્જિત છે. અદ્દભુત છે. તો એ દરેક અસ્તિત્વ ધરાવનાર ઘટકના મૂળ અર્થ જાણી, તેને આત્મસાત કરી શાંતિથી કાં ન જીવીએ? આજે દેશભક્તિ અને વફાદારીના મુદ્દે કેટલાક દેશો પોતાના જ નાગરિકોને પરાયા માની દેશનિકાલ કરવા તત્પર થયા છે. રાજનૈતિકશાસ્ત્રની વ્યાખ્યા મુજબ પોતાની જન્મની કે રહેઠાણની ભૂમિને ચાહવી, તેના કલ્યાણ માટે કાર્ય કરવું, અને જરૂર પડે તો તેને માટે બલિદાન આપવા તૈયાર રહેવું અને લોકશાહી દેશોમાં મતદાન કરવું એ વફાદારી સૂચવે, તો અમુક ધ્વજ લહેરાવવો કે સૂત્રો પોકારીને દેશભક્તિ સાબિત કરવાનો આગ્રહ કેવો નાદાનિયત ભર્યો કહેવાય? એવું જ બાકીના ચાર ઘટકો માનવીને વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે વિકાસ કરવા, ટકી રહેવા, અને ઉર્ધ્વ ગતિ કરવા રચાયેલા હતા એ સમજીને પરસ્પરને સાંકળનાર, નહીં કે વિભાજીત કરનાર છે એ સ્વીકારી તે સર્વેનો ઉત્તમ ઉપયોગ કરીએ નહીં તો વધુ એક વિભાજીત ઘટક – રાજકારણ – આપણો આ તમામ મુદ્દાનો દુરુપયોગ કરી, આપણો વિનાશ કરવા ટાંપીને બેઠું છે એ ધ્યાનમાં રહે.
સબકો સન્મતિ દે ભગવાન!
e.mail : 71abuch@gmail.com