Opinion Magazine
Number of visits: 9667097
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અંજલિ : સદગત જશીબહેન નાયક

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|10 September 2023

જશીબહેન નાયક

અમદાવાદના સરસપુર વિસ્તારના સરસ્વતી સમાં શિક્ષિકા જશીબહેન નાયકનું 105 વર્ષની વયે 9 સપ્ટેમ્બરે શનિવારે સવારે નવના સુમારે ઇંગ્લેન્ડના લિવરપૂલ શહેરમાં અવસાન થયું. તેઓ તેમના તબીબ ચિરંજીવી પ્રશાન્તને ઘરે રહેતાં હતાં.

ભાવનગરમાં 18 નવેમ્બર 1918ના રોજ જન્મેલાં જશીબહેન નાયક વાત્સલ્યમય શિક્ષક, ઉત્તમ શાળા સંચાલક અને ગદ્યલેખક હતાં. તેઓ અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલાં સરસ્વતી વિદ્યાલયનો જાણે એક સદી સુધી પર્યાય હતાં.

સરસપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સભાગૃહની નજીક આવેલી ‘જશીબહેનની શાળા’ના સંકુલમાં અત્યારે બાળમંદિરથી બારમા ધોરણ સુધીની છ શાળાઓમાં પાંચેક હજાર બાળકો ભણે છે. આ શાળાઓનું સંચાલન સરસ્વતી વિદ્યામંડળ નામનું  ટ્રસ્ટ કરે છે.

જશીબહેન 18 નવેમ્બર 2018 ના રોજ જ્યારે એકસો એકમા વર્ષમાં પ્રવેશ્યાં ત્યારે સંસ્થાએ સરસ ઉજવણી કરી હતી. એ અવસર સંસ્થાની મૂળ શાળાના અમૃતપર્વનો  પણ હતો.

મૂળ શાળા તે ‘પતરાંની શાળા’, જે શિક્ષણવિદ્દ રઘુભાઈ નાયકે સ્થાપી હતી. રઘુભાઈ (1907-2003) વીસમી સદીના ગુજરાતના આદ્ય આધુનિક કેળવણીકાર. તેઓ 1976માં પદ્મશ્રીથી સન્માનિત થયા. રઘુભાઈએ આઝાદીની ચળવળમાં જેલ વેઠી હતી, રવીન્દ્રનાથ પાસે શાંતિનિકેતનમાં શિક્ષણ મેળવ્યું હતું, જર્મનીની ફ્યૂબર્ગ યુનિવર્સિટીમાંથી ડૉકટરેટ પ્રાપ્ત કરી હતી, સારી નોકરી માટેના પ્રસ્તાવ સ્વીકાર્યા ન હતા.

ગામડાંમાં શિક્ષણનું કામ કરવાના ઉદ્દેશ્યથી ભાવનગરની અનોખી શાળા ‘ઘરશાળા’માં નજીવા પગારે આચાર્ય બન્યા. સંસ્થાના સ્થાપક અને કેળવણીકાર હરભાઈ ત્રિવેદીનાં દીકરી એવાં શિક્ષિકા જશીબહેન સાથે લગ્ન કર્યાં.

રઘુભાઈ દેશનાં પાટનગરમાં ગુજરાતી બાળકોને ભણાવવા માટે શરૂ કરવામાં આવેલી સરદાર પટેલ વિદ્યાલયમાં પહેલાં આચાર્ય બન્યાં, કારણ કે એ વખતના દૂરંદેશી અર્થમંત્રી અને ગૃહમંત્રી રાજપુરુષ એચ.એમ. પટેલ રઘુભાઈની કેળવણીકાર તરીકેની ક્ષમતાને બરાબર પારખી ગયા હતા. રઘુભાઈએ અનેક સિદ્ધિઓ  મેળવી અને શિક્ષણક્ષેત્રે દેશભરમાં ખ્યાતિ પામ્યા.

રઘુભાઈએ સ્થાપેલી પહેલી શાળા તે સરસ્વતી વિદ્યાલય. આદર્શવાદી રઘુભાઈનું ધ્યેય અમદાવાદનાં અભાવગ્રસ્ત બાળકોને ભણાવવાનું હતું. વાત એમ હતી કે કાળુપુર સ્ટેશનની પાછળના વિસ્તારમાં, બંધ પડી ગયેલી માધુભાઈ મિલનાં કમ્પાઉન્ડનાં કેટલાંક મકાનો અને ગોડાઉનોમાં પતરાંના શેડમાં કારખાનાં ચાલતાં.

તેમાંથી બે-ત્રણ શેડમાં એક શાળા ચાલતી હતી. સગવડો અને સંખ્યાને અભાવે બંધ પડવા આવેલી એ શાળા રઘુભાઈએ તેના સંચાલક પસેથી લઈ લીધી. તેના માટે તેમણે પોતાના અને મિત્રો પાસેથી ઉછીના લીધેલા પચીસ હજાર રૂપિયા ચૂકવ્યા.

નવરચનાનું રઘુભાઈએ કામ શરૂ કર્યું એટલે સરસપુરમાં ડઝનેક મિલોનાં સાયરનો, ધૂળ, ધૂમાડા અને કોલસાની રજ વચ્ચે આવેલાં બિસ્માર મિલ કમ્પાઉન્ડમાં જ ઘર માંડ્યું. દમની બીમારી ધરાવતાં જશીબહેન આઠ મહિનાના દીકરા પ્રશાન્તને લઈને પતિને સાથ આપવા લાગ્યાં.

ભાવેણાની આનંદદાયી ‘ઘરશાળા’, સુખી ગૃહજીવન, વ્યાવસાયિક કારકિર્દી અને સ્નેહીઓને છોડી દીધાં. પાણી, અનાજ, જાજરૂ-બાથરૂમ, વીજળી, આવકનાં અભાવો સહિતની અનેક મુશ્કેલીઓ વેઠીને ઘરસંસાર ચલાવ્યો, સાથે શાળા પણ વિકસાવી.

નાયક દંપતીએ સરસ્વતી શાળાને વિષય શિક્ષણ ઉપરાંત બાળકના સર્વાંગીણ રુચિસંપન્ન  વિકાસ સાધવા માટેની ‘નૂતન શિક્ષણ’ની વિભાવના મુજબ આકાર આપ્યો. શાળાની જમીન રેલવેએ સ્ટેશનના વિસ્તરણ માટે સંપાદિત કરી. એટલે ખૂબ મહેનતથી 1959માં નવી જમીન મેળવી જ્યાં શાળાની બે મોટી ઇમારતો અત્યારે ઊભી છે.

શાળામાં ઉત્તમ શિક્ષકો તો રોક્યા જ. ઉપરાંત તેને સંગીત, નૃત્ય, નાટ્ય, સામયિક, ભીંતપત્ર, રમતગમત, સમાજકકાર્ય, વિદ્યાર્થીમંડળ જેવી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવી. તેની માહિતી શિક્ષણક્ષેત્ર પરનાં પીઢ લેખક  હરિત પંડ્યાએ આલેખેલાં રઘુભાઈનાં વાચનીય ચરિત્ર ‘સપનાં થયાં સાકાર’માં મળે છે. આ પુસ્તક ઑસ્ટ્રેલિયાના અગ્રણી શિક્ષણવિદ ફ્રેડા વિટલૅમે (1920-2018) લખેલાં રઘુભાઈના ‘લાઇટ ઇન ધ ઇસ્ટ’ (1996) નામના જીવનચરિત્ર પર આધારિત છે.

જશીબહેનનાં સંસ્મરણો ‘સ્મરણયાત્રા’ (2001) પુસ્તક તરીકે વાંચવા મળે છે.તેમાં તેમણે શાળાની શરૂઆતનાં કપરાં વર્ષોનાં પ્રસંગો વિશે સહજભાવે અને શાળાને મદદરૂપ થનાર અનેક નાની-મોટી વ્યક્તિઓ વિશે કૃતજ્ઞતાથી લખ્યું છે.

ઉપેક્ષા કે ગેરસમજનો ભોગ બનેલાં વિદ્યાર્થીઓની કથાઓ ‘કાળી વાદળી ઉજળી કોર’(1987) સંચયની વાર્તાઓમાં મળે છે. આ પુસ્તક તેમણે ‘વિશાળ વડલા સમા વિદ્યાર્થીભક્ત ગુરુદેવ, કુટુંબવત્સલ પિતાશ્રી’ને અર્પણ કર્યું છે.

સરસ્વતી વિદ્યાલયની સુવાસ પ્રસરતાં અસારવા વિસ્તારના લોકોની માગણીને પગલે ત્યાં શરૂ થયેલી શાળામાં 1958 સુધી છ વર્ષ માટે આચાર્યપદે રહ્યાં. તે પછી અઢાર વર્ષ  દિલ્હીમાં સરદાર પટેલ વિદ્યાલયમાં રઘુભાઈ સાથે સહઆચાર્ય તરીકે 1976 સુધી રહ્યાં.

જશીબહેન અને રઘુભાઈ નાયક

મુંબઈથી વર્ષો પહેલાં બી.એ. થઈ ચૂકેલાં તેમણે ભણાવવાની સાથે ભણવાનું ફરીથી શરૂ કર્યું. મૉન્ટેસરી ટ્ર્રેઇનિન્ગ કોર્સ કરીને પછી એમ.એડ. સુધી ભણ્યાં. ચાલીઓ-ખોલીઓમાં વસતાં વિદ્યાર્થીઓ તેમ જ  પોતાનાં સંતાનો પ્રશાન્ત અને ઇરા વચ્ચે ભેદ ન રાખ્યો.

રઘુભાઈને 1952માં ફુલબ્રાઇટ સ્કૉલરશીપ હેઠળ અમેરિકા જવાનું થયું ત્યારે એક વર્ષ આખી શાળાનું સંચાલન કર્યું. જશીબહેન પોતે ભાષા, સમાજવિદ્યા અને સંગીતના શિક્ષિકા હતાં.

નવેમ્બર 2018માં જશીબહેનની અમદાવાદના પોલિટેકનિક વિસ્તારમાં આવેલી મૈત્રી સોસાયટી ઘરે મુલાકાત લીધી. તેમણે ખુરશીમાં સીધાં બેસીને મીઠા અને ધીમા અવાજે કહેલી સરસ  સાંભરણો સાંભળવા મળી.

જશીબહેન એકસોએકમાં વર્ષે પણ વિદ્યામંડળનાં પ્રમુખ તરીકે સંસ્થાની બેઠકોમાં હાજરી આપતાં. શાળાનાં બાળકોની નૃત્યનાટિકામાં માર્ગદર્શન આપતાં. એ જ્યાં હોય ત્યાંથી સંસ્થાના માસિક ‘ઘરશાળા’ માટે લેખો લખાવી મોકલતાં. લાંબો પ્રવાસ ખેડી શકતાં. એ લગભગ 2008થી દર વર્ષે છ-આઠ મહિના લિવરપૂલમાં તેમનાં તબીબ ચિરંજીવી પ્રશાંતભાઈને ત્યાં રહેતાં. તેમણે પુત્રને તેના સાઠમા જાન્મ દિવસે ‘સ્મૃતિના અસવાર’ પુસ્તક અર્પણ કર્યું છે. આ પુસ્તકમાં ‘શ્રમજીવનમાં છૂપાયેલ રત્નોનું આલેખન’ છે.

જશીબહેનની યાદોમાં વારંવાર આવતા તે શાળામાં કરાવેલાં ગીત-સંગીતનાં કાર્યક્રમો. શાળાની પ્રાર્થના સહિત અનેક વાર રવીન્દ્રસંગીત ચાલતું. તદુપરાંત પ્રહ્લાદ પારેખની ‘વર્ષામંગલ’ની રચનાઓ હતી. એ બધું દિલ્હીમાં ચાલુ રહ્યું, અને તેમાં ઉમેરાઈ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ પરની નૃત્યનાટિકાઓ.

તેની સ્ક્રિપ્ટ્સ્ લખવા માટે બહેન ખૂબ મહેનત લેતાં. કાર્યક્રમોની પદ્યરચનાઓ જાણીતા કવિઓ પાસે પોતાના માર્ગદર્શન હેઠળ કરવાતાં. તેમાંની એકની પંક્તિઓ જશીબહેન બોલી બતાવે છે :‘ભારતમેં જન્મા થા ઐસા પુરુષ મહાન, લોગ ઉસે કહતે થે લોહે કા ઇન્સાન’.

મુલાકાત દરમિયાન કેટલીય યાદો ઉઘડી હતી : રઘુભાઈએ ઇન્દિરા ગાંધીને પુનાની ‘પીપલ્સ સ્કૂલ’માં કેટલોક સમય ભણાવેલાં, દિલ્હીની સ્કૂલમાં રાજેન્દ્રપ્રસાદ આવેલાં, સરદાર પરની સ્ક્રિપ્ટ માટે પાર્લામેન્ટની લાઇબ્રેરીમાં જતાં, અસારવા વિદ્યાલયની શાળામાં જશીબહેન સાઇકલ પર જતાં-આવતાં.

જશીબહેનનું એક સ્મરણ છે : ‘એક વખત રઘુભાઈ રસોડામાં ચમચીઓ ગણતા હતા. કોઈએ અંચબો વ્યક્ત કર્યો. એટલે તેમણે કહ્યું કે ‘એ સ્કૂલમાં ધ્યાન આપે તો મારે ઘરમાં થોડુંક ન આપવું જોઈએ’. જશીબહેન-રઘુભાઈના લગ્નની પચીસમી વર્ષગાંઠે સ્નેહરશ્મિએ હાઇકુ કર્યું : 

‘વીતી વસન્ત –

રૂસણે તારે તો-

હજી તે તાજી !’ 

‘પતરાંવાળી સ્કૂલ’ના કમ્પાઉન્ડમાં રહેતો, મદદ કરતો, જશીબહેનનાં બાળકોને વહાલ કરતો ‘કાબુલીવાલા જેવો’ ગફૂર પઠાન યાદ છે. અમદાવાદનાં અનેક તોફાનોમાં ‘કોણજાણે કેમ’ પણ શાળા સલામત રહી.

ભાગલા વખતે સિંધી હિજરતીઓનાં ધાડાં આવતાં. તેમને માટેનાં રાહતકામમાં રઘુભાઈએ શાળાને સામેલ કરી. તે વિશે જશીબહેને ‘સ્મરણયાત્રા’માં તો લખ્યું છે. પણ તે દિવસો એમને વારંવાર બધાને ખાસ કહેવા જેવા લાગે છે.

તેમાં રઘુભાઈએ એક સાવ બેસહારા હિજરતી ભાઈને  ચા બનાવીને શાળામાં કાયમ આપી જવાનું સોંપ્યું હતું તે પણ જશીબહેનને સાંભરે છે. જશીબહેનને યાદ છે તે ‘પતરાંની શાળા’માં ભણતાં મહેનતકશોનાં બાળકોનું અમદાવાદ. શ્રમજીવીઓ માટે શિક્ષણની સરસ્વતી જ્યાં વહે છે, વસે છે તે જશીબહેન નાયકનું અમદાવાદ. શ્રમજીવી વર્ગના સંતાનો માટે આજે સારું શિક્ષણ મુશ્કેલ બની ગયું છે ત્યારે જશીબહેન – રઘુભાઈ જેવા ભેખધારીઓ ખાસ યાદ આવે છે. 

__________________________________

સૌજન્ય : ડૉ.અશ્વિનકુમાર, પ્રા.જિતેન મૅકવાન, મનીષ પટેલ (ZCAD Group) અને સરસ્વતી વિદ્યામંડળ
આધાર : ‘નવગુજરાત સમય’ દૈનિકમાં નવેમ્બર 2018 માં પ્રસિદ્ધ થયેલો મારો લેખ
 લેખકે આધારરૂપ દર્સાવેલા આ લેખની લિંક :
https://opinionmagazine.co.uk/shahernaan-saraspurnaan-saraswati-samaam-shikshikaa-jasibahen-nayak-ekaso-ekmaam-varshmaam-praveshee-rahyaan-chhe/
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

ચૂંટણી માત્ર સત્તા સુધી પહોંચવા માટેની નિસરણી નથી; પણ જે તે પ્રદેશની પ્રજાની વિશિષ્ટ અપેક્ષા, ફરિયાદ, અસંતોષ, ઊહાપોહ અને ડૉ રામ મનોહર લોહિયા કહેતા એમ નાગરિક શિક્ષણનું સાધન છે

રમેશ ઓઝા|Opinion - Opinion|10 September 2023

રમેશ ઓઝા

કેન્દ્ર સરકારે લોકસભાનું ખાસ અધિવેશન બોલાવ્યું છે. એ સાથે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દની અધ્યક્ષતા હેઠળ એક સમિતિની રચના કરી છે, જેણે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજવા વિશેની વ્યવહારુતા તપાસીને સરકારને ભલામણ કરવાની છે કે આ કરવા જેવું છે કે નહીં. દેશહિતમાં છે કે નહીં. સમિતિમાં વિરોધ પક્ષમાંથી કાઁગ્રેસના સંસદીય નેતા અધીર રંજન રોયને લેવામાં આવ્યા હતા, પરંતુ તેમણે સમિતિમાં જોડાવાની ના પાડી દીધી છે. નહીં જોડાવાનું કારણ એ છે કે સરકારે તપાસ કરવા માટે જે નિર્દેશન (રેફરન્સ) આપ્યું છે એમાં જ તારણ આવી જાય છે. તમારે આ જ કહેવાનું છે, અભ્યાસ તો એક બહાનું છે. એ સિવાય કાઁગ્રેસના એક સમયના નેતા ગુલામ નબી આઝાદ સમિતિમાં છે. કાઁગ્રેસ છોડ્યા પછી ગુલામ નબી આઝાદની હાલત તો બિચારાની ન ઘરના ન ઘાટના જેવી છે. જમ્મુ અને કાશ્મીરમાં ભોજોભાઈ પણ તેમની સાથે નથી. આરિફ મોહમ્મદ ખાનની જેમ તેમનું જાહેરજીવન બી.જે.પી. આશ્રિત છે.

આવું કે આના જેવું કાંઈક તો થવાનું જ હતું. બીજા તો ઠીક, ભક્તો પણ ખાનગીમાં પૂછતા હતા કે આ વખતે શું થશે? ચૂંટણી માથે છે અને આ વખતની ચૂંટણી જીતવી અઘરી પણ છે. ચાર  મુખ્ય કારણ છે. એક તો દક્ષિણ ભારતમાં કંઈક અંશે કર્ણાટક છોડીને બીજાં રાજ્યોમાં બી.જે.પી.નું કોઈ અસ્તિત્વ નથી. નહીં જેવી હાજરી ધરાવે છે. એટલે બી.જે.પી.ની ઝોળીમાં દક્ષિણ ભારતમાંથી કોઈ બેઠક ઉમેરાવાની નથી, પણ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ઘટી જરૂર શકે છે. કારણ એ છે કે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણામાં લગભગ બધી જ બેઠકો મેળવ્યા પછી વધારાની બેઠકો ક્યાંથી લાવવી! બીજું કારણ એ છે કે મહારાષ્ટ્ર, બિહાર અને પશ્ચિમ બંગાળમાં બી.જે.પી.નો પરાજય નિશ્ચિત છે. એક પછી એક દરેક સર્વેક્ષણ આમ કહે છે. છેલ્લો પખવાડિયા પહેલાંનો ‘ઇન્ડિયા ટુડે’નો મૂડ ઓફ ધ નેશનમાં પણ આ જ ભય બતાવવામાં આવ્યો છે.

ત્રીજું કારણ વિરોધ પક્ષોનો સંયુક્ત મોરચો છે. I.N.D.I.A. નામનો વિરોધ પક્ષોનો મોરચો ધીરે ધીરે નક્કર આકાર પામી રહ્યો છે અને એટલે તો ગેસના બાટલાનો ભાવ બસો રૂપિયા ઘટાડવો પડ્યો છે. અને ચોથું કારણ નાગરિક સમાજની સક્રિયતા છે. આ વખતી ચૂંટણીમાં નાગરિક સમાજ મોટા પ્રમાણમાં અને ગણતરીપૂર્વકની રણનીતિ ઘડીને મેદાનમાં ઉતરવાનો છે જે રીતે કર્ણાટકમાં બન્યું હતું. તેઓ તેમની કલ્પનાના ભારતને બચાવવા માગે છે અને તેઓ એમ કહે છે કે આ છેલ્લો અવસર છે. દેખીતી રીતે તેઓ વધારે સક્રિય, વધારે બુદ્ધિમાન, વધારે કલ્પનાશક્તિ ધરાવનારા, વધારે મૌલિક હોવાના. તેમનો પોતાનો કોઈ સત્તાકીય સ્વાર્થ નથી એટલે તેમની જહેમતમાં સ્વાર્થરહિત નિષ્ઠા હશે.

ભક્તો અને ગોદી મીડિયા ભલે આને નકારે, બી.જે.પી.ના નેતાઓ આ વસ્તુસ્થિતિ જાણે છે. એક સાથે ચૂંટણી યોજવાની જે તૈયારી ચાલી રહી છે એની પાછળનું કારણ જમીન પરની પ્રતિકૂળતા છે. ખાસ કરીને અમેરિકા, ઇઝરાયેલ અને બ્રાઝીલમાં વિરોધ પક્ષો અને નાગરિક સમાજે મળીને અનુક્રમે ડોનાલ્ડ ટ્રમ્પ, બેન્જામીન નેતાન્યાહુ અને જૈર બોલસોનારોને પરાજિત કર્યા હતા. નેતાન્યાહુ વિપક્ષી સરકાર તૂટતા પાછા આવ્યા એ જુદી વાત છે, પણ બહુમતી તો એ પછી પણ મળી નથી.

હવે દેશહિતની વાત. ભારતનું બંધારણ એકલા જવાહરલાલ નેહરુએ ઘડ્યું છે? એમાં સરદાર પટેલ હતા, ડૉ રાજેન્દ્ર પ્રસાદ હતા, ડૉ આંબેડકર હતા, કનૈયાલાલ મુનશી હતા, અલ્લાદી કૃષ્ણાસ્વામી ઐયર હતા, એન. ગોપાલસ્વામી આયંગર હતા, બી.એન. રાવ હતા અને બીજા અનેક લોકો હતા જેમની વિચારધારા નેહરુ કરતાં જે તે બાબતે અલગ પડતી હતી. એમાં ઉપર જે નામ ગણાવ્યાં એ લોકોનો તો બંધારણ ઘડવામાં સિંહફાળો હતો. હકીકતમાં બંધારણસભામાં નેહરુની વિચારધારા ધરાવનારા લોકો લઘુમતીમાં હતા. તો શું એ લોકો અત્યારના શાસકો કરતાં ઓછા દેશપ્રેમી હતા કે ઓછા બુદ્ધિમાન હતા? દેશ માટે સર્વસ્વ હોમી દેનારાઓને દેશહિતનું ભાન નહોતું? તો શા માટે તેમણે દેશભરમાં એક સાથે ચૂંટણી યોજવાની બંધારણમાં જોગવાઈ નહોતી કરી? ધારત તો તેઓ કરી શક્યા હોત. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે આવો કોઈ પ્રસ્તાવ પણ બંધારણસભામાં કોઈએ રજૂ નહોતો કર્યો.

કારણ એ છે કે બંધારણ ઘડનારાઓએ દેશનું બંધારણ ઘડ્યું હતું, કોઈ એક વિચારધારાને વરેલો પક્ષ બિન વિરોધ દાયકાઓ સુધી રાજ કરી શકે અને તેને કોઈ પડકારી જ ન શકે એ માટે ઉપયોગી નીવડે એવું બંધારણ નહોતું ઘડ્યું. એ દેશહિત માટેનું બંધારણ હતું, પક્ષહિત માટેનું નહોતું. કાઁગ્રેસહિત માટેનું નહોતું, પણ એવું બંધારણ હતું જે કાઁગ્રેસને પણ દરવાજો બતાવે અને બતાવ્યો છે એ ઇતિહાસ છે. એ લોકો પોતાની રવાનગીની અને બીજાની પધરામણીની બંધારણમાં વ્યવસ્થા કરીને ગયા હતા. આને કહેવાય સાચો દેશપ્રેમ, આને કહેવાય વિવેક, આને કહેવાય લોકતંત્ર માટેની નિષ્ઠા, આને કહેવાય દૂરંદેશી.

ભારત એક સમવાય સંઘ (ફેડરલ સ્ટેટ) છે, જેનું સત્તાવાર અંગ્રેજી નામ છે યુનિયન ઓફ ઇન્ડિયા. શેનો સંઘ? રાજ્યોનો. કેટલીક બાબતે રાજ્યો કેન્દ્રનાં કબજામાં છે. જેમ કે ભારતથી અલગ થવાની મોકળાશ નથી. આવી બીજી અનેક મર્યાદાઓ છે. કેટલીક બાબતે રાજ્યો સ્વાયત્તતા ધરાવે છે અને કેન્દ્રની તેમાં અનુમતિ લેવાની જરૂર નથી. કેટલીક બાબતો એવી છે જેમાં કેન્દ્ર અને રાજ્ય કે રાજ્યો મળીને નિર્ણય લે છે. કોઇને બારોબાર નિણર્ય લેવાનો અધિકાર નથી.

આવિ વ્યવસ્થા એટલા માટે કરાવામાં આવી છે કે રાજ્ય ભારતીય રાષ્ટ્રનું એક એકમ છે અને ભારતીય સંઘનું ઘટક છે. અહીં રાજ્યપાલની સત્તા વિષે બંધારણસભામાં થયેલી ચર્ચા યાદ આવે છે. દેશનું વિભાજન થયું હતું એટલે દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકીને પીએ એ ન્યાયે દરેકને એમ લાગતું હતું કે કેન્દ્રના પ્રતિનિધિ તરીકે રાજ્યપાલ પાસે કેટલીક અબાધિત સત્તા જોવી જોઈએ. કનૈયાલાલ મુનશીએ તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આને કારણે રાજ્યોમાં સત્તાની સાઠમારી થશે, રાજકીય અસ્થિરતા પેદા થશે અને રાજ્યોની પ્રજા રાષ્ટ્રીય ચેતનાના યજ્ઞમાં સમિધ બનવાની જગ્યાએ તેનાથી દૂર જશે. જે તે રાજ્યોની પ્રજા ભારતીય રાષ્ટ્રને પોતાનો (own-up) ગણે અને પોતાને રાષ્ટ્રનો (belongingness) ગણે એ જરૂરી છે. મુનશી નેહરુવાદી નહોતા, રાષ્ટ્રવાદી હતા, પણ તેમનો રાષ્ટ્રવાદ નરવો હતો. તેમનો એજન્ડા રાષ્ટ્રનિર્માણનો હતો, પણ તેમની કલ્પનાનું રાષ્ટ્ર સંઘપરિવારની કલ્પનાના રાષ્ટ્ર કરતાં જુદું હતું અને છે. એ બાબતે નેહરુ, સરદાર, મુનશી, ડૉ રાજેન્દ્ર પ્રસાદ અને આંબેડકર વચ્ચે કોઈ મતભેદ નહોતા.

શા માટે એક સાથે કેન્દ્ર અને રાજ્યોમાં ચૂંટણીઓ યોજવાની જોગવાઈ નહોતી કરાવામાં આવી? કારણ એ છે કે ચૂંટણી માત્ર સત્તા માટેની નિસરણી નથી; પણ જે તે પ્રદેશની પ્રજાની વિશિષ્ટ એષણા, અપેક્ષા, ફરિયાદ, અસંતોષ, ઊહાપોહ અને ડૉ રામ મનોહર લોહિયા કહેતા એમ નાગરિક શિક્ષણનું સાધન છે. ચૂંટણી લોકોને વાચા આપવાનો અવસર પૂરો પાડે છે. એના દ્વારા લોકોને પ્રશ્નો, પ્રશ્નોની જટિલતા અને વિવિધ ઉપાયો વિશેની સમજ વિકસે છે. ચૂંટણીઓ રાષ્ટ્રીય અને પ્રાદેશિક મંથનનું માધ્યમ છે જેમાંથી અમૃત અને ઝેર બન્ને નીકળે છે અને વિવેકી લોકો ઝેરનું વારણ કરે છે. તે રાજકારણીઓ અને રાજકીય પક્ષોની સત્તાભૂખ સંતોષવાનું સાધન નથી. જો એક સાથે ધરાર ચૂંટણી યોજવામાં આવે તો જે તે પ્રદેશવિષેશનાં અને પ્રજાવિષેશનાં પ્રશ્નો હાંસિયામાં ધકેલાઈ જાય. અને જો એમ બને તો ઓન-અપ અને બિલોંગિંગનેસ ન વિકસે. એવું પણ બને કે પ્રદેશોની પ્રજા કેન્દ્ર સામે વિદ્રોહ કરે.

પણ વર્તમાન શાસકોને સત્તામાં રસ છે. ગમે તે થાય હાથમાંથી સત્તા ન જવી જોઈએ. તેમને પરાજિત થવું નથી, કારણ કે હિંદુરાષ્ટ્રના નિર્માણનો બીજો અવસર ક્યારે મળશે એની ખાતરી નથી. આ રીતે આખું વરસ જે તે પ્રદેશમાં ચૂંટણી લડવાનો થાક અનુભવાય છે. રોજેરોજ કોમી ધ્રુવીકરણ કરવું સહેલું નથી. આનાં કરતાં એક વાર ખરાખરીનો ખેલ રમી લેવો અને પછી પાંચ વરસ નિરાંત.

તો ફરક આ છે. આગલા શાસકો પરાજિત થવા તૈયાર હતા. બીજાને અવસર આપવા તૈયાર હતા.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 10 સપ્ટેમ્બર 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—213

દીપક મહેતા|Opinion - Opinion|10 September 2023

મુંબઈમાં જેમને ઝૂંપડપટ્ટી પણ ન પોસાય તે ફૂટપાથ પર રહે

ઝાડ કાપી થાંભલા ખોડ્યા અને તેના પર ફૂલનાં ચિત્રો દોર્યાં!

સ્થળ : એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈની લાઈબ્રેરી.

પાત્રો : ડો. અરુણ ટીકેકર (જન્મ : ૧ ફેબ્રુઆરી ૧૯૪૪ – અવસાન:  ૧૯ જાન્યુઆરી ૨૦૧૬) અને  આપનો નાચીઝ દી.મ.

દી.મ. : દોસ્ત, ગયા અઠવાડિયાની વાત આગળ ચલાવીએ. ૧૯મી સદીમાં આપણા મુંબઈમાં બુદ્ધિ અને વિચારપ્રધાન અભિગમ ખીલવવાના પ્રયત્નો થયા. પણ તમારા પુસ્તકનું પેટા મથાળું સૂચવે છે તેમ thinking cultureની પડતી શાથી થઈ, ક્યારે શરૂ થઈ? 

ટીકેકર : એ આખી ઘટના કમનસીબ છે. આપણા પહેલા વડા પ્રધાન નેહરુ પોતે પ્રખર બુદ્ધિવાદી હતા. પણ સાથોસાથ ઉત્કટ લોકશાહીવાદી પણ હતા. લોકશાહીને મજબૂત કરવા માટે લોકશિક્ષણ અનિવાર્ય. એટલે અઝાદી પછી નવી નવી યુનિવર્સિટી, કોલેજ, સ્કૂલ ખૂલતી ગઈ. અને એમાં કશું ખોટું પણ નહોતું. પણ કમનસીબે એ વખતે શિક્ષણની સગવડો વધારવાની લાયમાં શિક્ષણની ગુણવત્તા ઘટતી ગઈ. આપણે શિક્ષણ વ્યવસ્થાનો વિકાસ કરવાને બદલે તેનો વિસ્તાર કર્યો. એટલું જ નહિ, વિસ્તાર એટલે જ વિકાસ એમ મનાવા લાગ્યું.

દી.મ .: એ વખતના ચિત્રથી તમે આટલા અકળાવ છો, તો આજે શિક્ષણ ક્ષેત્રે જે ચાલી રહ્યું છે …

ટીકેકર : આજની તો વાત જ રહેવા દો. સારું છે કે એ બધું જોવા હું હાજર નથી. અને એવું ય નહોતું કે શિક્ષણને જે લૂણો લાગી રહ્યો હતો તેની એ વખતના સત્તાધારીઓને ખબર નહોતી. એની ખબર હતી, ઉપાયની પણ ખબર હતી. પણ એ ઉપાય અજમાવવાની હિંમત નહોતી. શિક્ષણ ક્ષેત્રે ‘આમૂલ પરિવર્તન’ની વાતો થતી રહી. પણ તમે ગુજરાતીમાં કહો છો ને તેમ એ પોથીમાંયલાં રિંગણાં બની રહી. બીજી વાત એ બની કે શિક્ષણ સંસ્થાઓને સરકાર પુષ્કળ ગ્રાન્ટ આપતી. એટલે પાક્કા રાજકારણીઓએ પોતપોતાના મતવિસ્તારમાં આડેધડ સ્કૂલ-કોલેજ-યુનિવર્સિટી શરૂ કરી દીધી. આપણી વ્યવસ્થા પ્રમાણે દરેક રાજ્યમાંની યુનિવર્સિટીઓના ચાન્સેલર પદે ગવર્નર રહે. એમને જેટલો રાજકારણમાં રસ એટલો શિક્ષણમાં શાનો હોય? એટલે સરકારી બાબુઓ યુનિવર્સિટી ચલાવતા થયા. તેમણે વાઈસ ચાન્સેલરની જગ્યા માટે ‘અરજી’ મગાવવાનું શરૂ કર્યું. અને પછી ‘હા, જી, હા’ કરવાની તૈયારી એ સૌથી મોટી લાયકાત બની રહી. 

દી.મ. : મને એવો ખ્યાલ છે કે એક વખત તમને પણ આ રીતે અરજી કરવા જણાવેલું, પણ તમે ઘસીને ‘ના’ પાડી દીધેલી.

ટીકેકર : ‘છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની’.

દી.મ. : તમે તો એમ જ કહો, પણ ‘મિલ કર નયી કહાની’ લખવાની શરૂઆત તમને ક્યાં ય દેખાય છે?

ટીકેકર : આજે નહિ તો ભવિષ્યમાં ક્યારેક એવી જરૂરિયાત સમજાશે એમ માનું એટલો આશાવાદી હું હજી છું. એક ગુજરાતી કવિએ જ લખ્યું છે ને કે ‘જે પોષતું તે મારતું, એવો દિસે ક્રમ કુદરતી’.

દી.મ. : હા, એ તો કવિ કલાપીના શબ્દો.

ટીકેકર : મુંબઈની બાબતમાં પણ કૈંક એવું બન્યું છે. આઝાદી પછી – હકીકતમાં બીજા વિશ્વયુદ્ધ પછી – આખા દેશના જુદા જુદા ભાગોમાંથી લોકો મુંબઈ આવવા લાગ્યા. નોકરી માટે, કામધંધા માટે. કહે છે ને કે મુંબઈમાં રોટલો મળે, પણ ઓટલો નહિ. પણ ઓટલા વગર ચાલે પણ નહિ. એટલે ઉત્તર દિશામાં મુંબઈની સીમા આગળ ને આગળ વધતી ગઈ. જ્યાં જુઓ ત્યાં લોકોનાં ટોળે ટોળાં. એક જમાનામાં હવાફેર માટેનાં સ્થળ તરીકે જાણીતાં સાંતાક્રુઝ કે વિલે પાર્લે જેવાં પરાંમાંથી એક પછી એક બંગલા દૂર થયા. તેની જગ્યાએ ફ્લેટ, ચાલી, ઝૂંપડપટ્ટી ઊભાં થયાં. જેમને ઝૂંપડપટ્ટી પણ ન પોસાય તે ફૂટપાથ પર રહેવા લાગ્યા. જેટલી ઝડપથી વસ્તી વધી તેટલી ઝડપથી સાધન-સગવડ ન વધ્યાં. આઝાદી પછીનાં કેટલાંક વરસ દાણો-પાણી, દૂધ, કપડાં વગેરેની કારમી અછત રહી. જેમની પાસે પૈસા હતા તે સંઘરાખોરી કરતા થયા. જે બહારથી આવેલા તેમાંના બહુ થોડા મુંબઈના થઈને રહ્યા. તેમને માટે તો મુંબઈ એટલે કમાવાની જગ્યા. પછી મુંબઈ માટેની લગન અને લગની ક્યાંથી આવે? હજી ગઈ કાલે કોરોનાની કટોકટી વખતે હજારો-લાખો લોકો રાતોરાત મુંબઈ છોડી ‘વતન’ તરફ ભાગ્યા. 

દી.મ. : હા, એક જમાનામાં મુંબઈગરામાં મુંબઈ માટેની જે દાઝ હતી, જે આપુલકી – પોતાપણું દેખાતાં તે આજે ક્યાં? 

ટીકેકર : છેલ્લાં ૭૫ વરસમાં મુંબઈના વેપાર-વણજ, ઉદ્યોગો વગેરેનો અસાધારણ વિકાસ થયો. દેશની અને વિદેશની મોટી મોટી બેંકો, કંપનીઓ, કારખાનાં – એની હેડ ઓફિસ ક્યાં? મુંબઈમાં. દેશના આર્થિક વિકાસનું એન્જિન બન્યું મુંબઈ. પણ એ એન્જિનને ચલાવવા પાછળ મુંબઈગરાનો એક આખો વર્ગ હોમાઈ ગયો. મુંબઈની વસતી કૂદકે ને ભૂસકે વધતી ગઈ. અસલ તો હતા સાત ટાપુઓ, એટલે મુંબઈની મોટી મુશ્કેલી એ કે એ પાઘડીપને તો વધી ન શકે, કારણ ચારે બાજુ દરિયો. એટલે એ ઉપર ને ઉપર વધતું જાય છે. બીજી બાજુ જમીન મેળવવા લીલોતરી કપાતી ગઈ, દરિયાને આઘો ને આઘો ધકેલવામાં આવ્યો. વાડીઓ, બગીચા, જંગલ, કચડાતાં ગયાં, કપાતાં ગયાં. 

દી.મ. : અરે, મોટા ધોરી માર્ગોની આજુબાજુનાં ઝાડ કાપીને આપણે સિમેન્ટ કોન્ક્રિટના મોટા, ઊંચા થાંભલા ખોડ્યા અને તેના પર ફૂલો અને પંખીઓનાં ચિત્રો દોર્યાં. તાજાં-કૂણાં ઘાસની જગ્યાએ સિમેન્ટની પગથારો બનાવીને આપણે તેને લીલા રંગે રંગી!

ખાસ સગવડો આમ આદમી માટે નથી 

ટીકેકર : મુંબઈથી થોડે દૂર ‘નવી મુંબઈ’ બનાવી તો ત્યાં પણ સિમેન્ટ કોન્ક્રિટનું જ રાજ. શહેરમાં મોટા મોટા ફ્લાઈ ઓવર બન્યા, વરલી બાંદરા સી લિન્ક બની. પણ તમે એક વાત નોંધી છે? આ ફ્લાઈ ઓવર, સી લિન્ક વગેરે પરથી ન સાઈકલ કે સ્કૂટર જઈ શકે, ન રિક્ષા કે બસ. જઈ શકે માત્ર મોટરો. કેમ ભાઈ? મોટરમાં ફરનારા સિવાયના લોકો કરવેરા નથી ભરતા? આ બધું બંધાય છે તેમાં એ લોકોના પૈસા પણ નથી વપરાતા? આઝાદી પહેલાં પણ આખા દેશમાંથી લોકો મુંબઈ આવતા. પણ એ મુંબઈના થઈને રહેતા. એટલે મુંબઈ પચરંગી હતું. આજે અહીં શંભુમેળો જામ્યો છે. 

દી.મ. : એક જમાનામાં માણસના પહેરવેશ પરથી, ટીલાં-ટપકાં પરથી, બોલી પરથી, તહેવારોની ઉજવણીની રીત પરથી, તે કયા પ્રદેશનો છે તે કહી શકાતું. આજે એ વિવિધતા ક્યાં? આજે તો દરેક માણસ બીબાંઢાળ બની ગયો છે. આજના મુંબઈના માણસો એટલે કવિ રાજેન્દ્ર શાહે કહ્યું છે તેમ એક છાપાની છપાયેલી હજારો-લાખો પ્રત જેવા માણસો. 

ટીકેકર : અને હવે તો મુંબઈના સમાજના બહુ મોટા વર્ગે પરિવર્તનની આશા પણ મૂકી દીધી છે. એટલે જે મળે તે લૂંટો-ઝૂંટવો. અંગ્રેજોના જમાનામાં અમુક જાતિઓ ‘ગુનેગાર જાતિઓ’ તરીકે ઓળખાતી. આજે તો કોઈ પણ જાત, જમાત, કે વર્ગના લોકો નાના મોટા ગુના કરતાં સહેજ પણ અચકાતા નથી. સો કરતાં વધુ લોકોએ પોતાનો જાન આપ્યા પછી ૧૯૬૦માં મહારાષ્ટ્રનું રાજ્ય બન્યું અને મુંબઈ બન્યું તેનું પાટનગર. સારે નસીબે એ વખતે યશવંતરાવ ચવાણ જેવા દૂરંદેશીવાળા મુખ્ય પ્રધાન મળ્યા. તેમણે અનેક યોજનાઓ શરૂ કરી. સાહિત્ય, સંગીત, નૃત્ય જેવી કલાઓને પ્રોત્સાહન આપતી યોજનાઓ અને સંસ્થાઓ શરૂ થઈ. મુંબઈ ધબકતું શહેર બન્યું. ખરા અર્થમાં પચરંગી બન્યું. 

દી.મ. : હા, એ જમાનામાં મહારાષ્ટ્ર સરકાર મરાઠીની સાથોસાથ ગુજરાતી અને સંસ્કૃત નાટ્યસ્પર્ધાઓ યોજતી. મરાઠી સિવાયની ભાષાના સર્જકોને, કલાકારોને, પુરસ્કારોથી પોંખતી. પણ પછી ધીમે ધીમે એ બધું પહેલાં ઓછું અને પછી બંધ થયું. 

ટીકેકર : સાહિત્ય, સંગીત, બીજી કલાઓ, ક્રિકેટ જેવી રમતો – વગેરે અનેક ક્ષેત્રોમાં મુંબઈના લોકોએ આગેવાની લીધી હતી, માત્ર વેપાર-ઉદ્યોગમાં જ નહિ. હું ભૂલતો ન હોઉં તો એક વખતે ગુજરાતી સાહિત્ય, પુસ્તક પ્રકાશન, પત્રકારત્વ, રંગભૂમિ, ફિલ્મ, વગેરે ઘણી બાબતોમાં મુંબઈ મુખ્ય કેન્દ્ર હતું. 

દી.મ. : સાવ સાચી વાત. અને આજે પણ અમદાવાદમાં એક વરસમાં જેટલાં ગુજરાતી નાટક ભજવાય છે એના કરતાં વધારે ગુજરાતી નાટક મુંબઈમાં એક મહિનામાં ભજવાય છે.

ટીકેકર : અને એ વખતે કલાકારો માટે સંગીત કે નાટક એ વ્યવસાય નહિ, એક મિશન હતું. ઘણી વાર તો ગાંઠનાં ગોપીચંદન ઘસીને એ લોકો કામ કરતાં. પણ પછી ધીમે ધીમે વ્યવસાયીકરણ થવા લાગ્યું. વ્યવસાય થાય એટલે ભાવ-તાલ થાય, હરીફાઈ થાય, મારું-તારું થાય. આપણા જમાનામાં પંડિતો, અધ્યાપકો, શિક્ષકો, કલાકારો આદર્શરૂપ મનાતા. એને બદલે ધનવાનો અને સત્તાધારીઓ યુવાનોના આદર્શ બની બેઠા. વૈચારિક પ્રગતિના પાયામાં રહેલું છે જ્ઞાન. અને આજના જમાનામાં જ્ઞાનપ્રાપ્તિનું મુખ્ય સાધન છે શિક્ષણ સંસ્થાઓ. જ્યાં સુધી આપણે આ પાયાને મજબૂત નહિ કરીએ, ત્યાં સુધી ઈમારત બહારથી ગમે તેટલી આકર્ષક લાગે, અંદરથી તો એ ખોખલી રહેવાની. જેમને સમજાવી જોઈએ તેમને આ વાત વહેલી તકે સમજાય એમ ઇચ્છીએ.

દરબાર હોલ, એશિયાટિક સોસાયટી

દી.મ. : દોસ્ત, ઘણી વાતો કરી, પણ હજી ઘણી બાકી છે. પણ છેવટે થોડી અંગત વાત કરું? થોડા દિવસ પહેલાં એક વ્યાખ્યાન સંભાળવા હું એશિયાટિક ગયો હતો. સાથે એક મિત્ર હતાં. કંપાઉંડમાં દાખલ થયા ત્યારથી મારી બોલબોલ ચાલુ : આ ઝાડ નીચે ઊભા રહીને ટીકેકર સાથે કેટલી વાતો કરેલી! સ્પાઈરલ સ્ટેરકેસ ચડીને ઉપર ગયા તો સામે જ તમારા મરાઠી પુસ્તકોનો ડિસ્પ્લે. દરબાર હોલમાં દાખલ થતાં પહેલાં ડાબી બાજુની કેબિન બતાવી કહ્યું કે ટીકેકર અહીં બેસતા. દરબાર હોલમાં દાખલ થયા ત્યારે યાદ આવ્યું કે તેના restoration વખતે તમે કેટલી કાળજીથી બારીકમાં બારીક વિગતોની ચોકસાઈ કરી હતી. મહામૂલાં પુસ્તકો અને સામયિકોની જાળવણી પાછળ તમે જાન રેડતા. જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરીને સોસાયટીને ધમધમતી રાખતા. તો બીજી બાજુ વોશ રૂમ્સ ચોખ્ખા ચણક રહે તે માટે સતત મથતા. 

ટીકેકર : જેટલું થઈ શક્યું એટલું કર્યું. જે ન થઈ શક્યું એનો ઝાઝો વસવસો નથી. અને જે કાંઈ થયું તે મેં એકલાએ તો કર્યું નહોતું. તમારા જેવા મિત્રોનો સાથ હતો એટલે થઈ શક્યું.

દી.મ .: આજે તો હવે છૂટા પડવું પડશે. પણ તમારા બીજા કોઈ પુસ્તક વિષે વાતો કરવા ફરી જરૂર મળશું, ક્યારેક. ચલા, યેતો.

ટીકેકર : આવજો.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 09 સપ્ટેમ્બર 2023

Loading

...102030...9979989991,000...1,0101,0201,030...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved