મુંબઈમાં જેમને ઝૂંપડપટ્ટી પણ ન પોસાય તે ફૂટપાથ પર રહે
ઝાડ કાપી થાંભલા ખોડ્યા અને તેના પર ફૂલનાં ચિત્રો દોર્યાં!
સ્થળ : એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈની લાઈબ્રેરી.
પાત્રો : ડો. અરુણ ટીકેકર (જન્મ : ૧ ફેબ્રુઆરી ૧૯૪૪ – અવસાન: ૧૯ જાન્યુઆરી ૨૦૧૬) અને આપનો નાચીઝ દી.મ.
દી.મ. : દોસ્ત, ગયા અઠવાડિયાની વાત આગળ ચલાવીએ. ૧૯મી સદીમાં આપણા મુંબઈમાં બુદ્ધિ અને વિચારપ્રધાન અભિગમ ખીલવવાના પ્રયત્નો થયા. પણ તમારા પુસ્તકનું પેટા મથાળું સૂચવે છે તેમ thinking cultureની પડતી શાથી થઈ, ક્યારે શરૂ થઈ?
ટીકેકર : એ આખી ઘટના કમનસીબ છે. આપણા પહેલા વડા પ્રધાન નેહરુ પોતે પ્રખર બુદ્ધિવાદી હતા. પણ સાથોસાથ ઉત્કટ લોકશાહીવાદી પણ હતા. લોકશાહીને મજબૂત કરવા માટે લોકશિક્ષણ અનિવાર્ય. એટલે અઝાદી પછી નવી નવી યુનિવર્સિટી, કોલેજ, સ્કૂલ ખૂલતી ગઈ. અને એમાં કશું ખોટું પણ નહોતું. પણ કમનસીબે એ વખતે શિક્ષણની સગવડો વધારવાની લાયમાં શિક્ષણની ગુણવત્તા ઘટતી ગઈ. આપણે શિક્ષણ વ્યવસ્થાનો વિકાસ કરવાને બદલે તેનો વિસ્તાર કર્યો. એટલું જ નહિ, વિસ્તાર એટલે જ વિકાસ એમ મનાવા લાગ્યું.
દી.મ .: એ વખતના ચિત્રથી તમે આટલા અકળાવ છો, તો આજે શિક્ષણ ક્ષેત્રે જે ચાલી રહ્યું છે …
ટીકેકર : આજની તો વાત જ રહેવા દો. સારું છે કે એ બધું જોવા હું હાજર નથી. અને એવું ય નહોતું કે શિક્ષણને જે લૂણો લાગી રહ્યો હતો તેની એ વખતના સત્તાધારીઓને ખબર નહોતી. એની ખબર હતી, ઉપાયની પણ ખબર હતી. પણ એ ઉપાય અજમાવવાની હિંમત નહોતી. શિક્ષણ ક્ષેત્રે ‘આમૂલ પરિવર્તન’ની વાતો થતી રહી. પણ તમે ગુજરાતીમાં કહો છો ને તેમ એ પોથીમાંયલાં રિંગણાં બની રહી. બીજી વાત એ બની કે શિક્ષણ સંસ્થાઓને સરકાર પુષ્કળ ગ્રાન્ટ આપતી. એટલે પાક્કા રાજકારણીઓએ પોતપોતાના મતવિસ્તારમાં આડેધડ સ્કૂલ-કોલેજ-યુનિવર્સિટી શરૂ કરી દીધી. આપણી વ્યવસ્થા પ્રમાણે દરેક રાજ્યમાંની યુનિવર્સિટીઓના ચાન્સેલર પદે ગવર્નર રહે. એમને જેટલો રાજકારણમાં રસ એટલો શિક્ષણમાં શાનો હોય? એટલે સરકારી બાબુઓ યુનિવર્સિટી ચલાવતા થયા. તેમણે વાઈસ ચાન્સેલરની જગ્યા માટે ‘અરજી’ મગાવવાનું શરૂ કર્યું. અને પછી ‘હા, જી, હા’ કરવાની તૈયારી એ સૌથી મોટી લાયકાત બની રહી.
દી.મ. : મને એવો ખ્યાલ છે કે એક વખત તમને પણ આ રીતે અરજી કરવા જણાવેલું, પણ તમે ઘસીને ‘ના’ પાડી દીધેલી.
ટીકેકર : ‘છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની’.
દી.મ. : તમે તો એમ જ કહો, પણ ‘મિલ કર નયી કહાની’ લખવાની શરૂઆત તમને ક્યાં ય દેખાય છે?
ટીકેકર : આજે નહિ તો ભવિષ્યમાં ક્યારેક એવી જરૂરિયાત સમજાશે એમ માનું એટલો આશાવાદી હું હજી છું. એક ગુજરાતી કવિએ જ લખ્યું છે ને કે ‘જે પોષતું તે મારતું, એવો દિસે ક્રમ કુદરતી’.
દી.મ. : હા, એ તો કવિ કલાપીના શબ્દો.
ટીકેકર : મુંબઈની બાબતમાં પણ કૈંક એવું બન્યું છે. આઝાદી પછી – હકીકતમાં બીજા વિશ્વયુદ્ધ પછી – આખા દેશના જુદા જુદા ભાગોમાંથી લોકો મુંબઈ આવવા લાગ્યા. નોકરી માટે, કામધંધા માટે. કહે છે ને કે મુંબઈમાં રોટલો મળે, પણ ઓટલો નહિ. પણ ઓટલા વગર ચાલે પણ નહિ. એટલે ઉત્તર દિશામાં મુંબઈની સીમા આગળ ને આગળ વધતી ગઈ. જ્યાં જુઓ ત્યાં લોકોનાં ટોળે ટોળાં. એક જમાનામાં હવાફેર માટેનાં સ્થળ તરીકે જાણીતાં સાંતાક્રુઝ કે વિલે પાર્લે જેવાં પરાંમાંથી એક પછી એક બંગલા દૂર થયા. તેની જગ્યાએ ફ્લેટ, ચાલી, ઝૂંપડપટ્ટી ઊભાં થયાં. જેમને ઝૂંપડપટ્ટી પણ ન પોસાય તે ફૂટપાથ પર રહેવા લાગ્યા. જેટલી ઝડપથી વસ્તી વધી તેટલી ઝડપથી સાધન-સગવડ ન વધ્યાં. આઝાદી પછીનાં કેટલાંક વરસ દાણો-પાણી, દૂધ, કપડાં વગેરેની કારમી અછત રહી. જેમની પાસે પૈસા હતા તે સંઘરાખોરી કરતા થયા. જે બહારથી આવેલા તેમાંના બહુ થોડા મુંબઈના થઈને રહ્યા. તેમને માટે તો મુંબઈ એટલે કમાવાની જગ્યા. પછી મુંબઈ માટેની લગન અને લગની ક્યાંથી આવે? હજી ગઈ કાલે કોરોનાની કટોકટી વખતે હજારો-લાખો લોકો રાતોરાત મુંબઈ છોડી ‘વતન’ તરફ ભાગ્યા.
દી.મ. : હા, એક જમાનામાં મુંબઈગરામાં મુંબઈ માટેની જે દાઝ હતી, જે આપુલકી – પોતાપણું દેખાતાં તે આજે ક્યાં?
ટીકેકર : છેલ્લાં ૭૫ વરસમાં મુંબઈના વેપાર-વણજ, ઉદ્યોગો વગેરેનો અસાધારણ વિકાસ થયો. દેશની અને વિદેશની મોટી મોટી બેંકો, કંપનીઓ, કારખાનાં – એની હેડ ઓફિસ ક્યાં? મુંબઈમાં. દેશના આર્થિક વિકાસનું એન્જિન બન્યું મુંબઈ. પણ એ એન્જિનને ચલાવવા પાછળ મુંબઈગરાનો એક આખો વર્ગ હોમાઈ ગયો. મુંબઈની વસતી કૂદકે ને ભૂસકે વધતી ગઈ. અસલ તો હતા સાત ટાપુઓ, એટલે મુંબઈની મોટી મુશ્કેલી એ કે એ પાઘડીપને તો વધી ન શકે, કારણ ચારે બાજુ દરિયો. એટલે એ ઉપર ને ઉપર વધતું જાય છે. બીજી બાજુ જમીન મેળવવા લીલોતરી કપાતી ગઈ, દરિયાને આઘો ને આઘો ધકેલવામાં આવ્યો. વાડીઓ, બગીચા, જંગલ, કચડાતાં ગયાં, કપાતાં ગયાં.
દી.મ. : અરે, મોટા ધોરી માર્ગોની આજુબાજુનાં ઝાડ કાપીને આપણે સિમેન્ટ કોન્ક્રિટના મોટા, ઊંચા થાંભલા ખોડ્યા અને તેના પર ફૂલો અને પંખીઓનાં ચિત્રો દોર્યાં. તાજાં-કૂણાં ઘાસની જગ્યાએ સિમેન્ટની પગથારો બનાવીને આપણે તેને લીલા રંગે રંગી!
ખાસ સગવડો આમ આદમી માટે નથી
ટીકેકર : મુંબઈથી થોડે દૂર ‘નવી મુંબઈ’ બનાવી તો ત્યાં પણ સિમેન્ટ કોન્ક્રિટનું જ રાજ. શહેરમાં મોટા મોટા ફ્લાઈ ઓવર બન્યા, વરલી બાંદરા સી લિન્ક બની. પણ તમે એક વાત નોંધી છે? આ ફ્લાઈ ઓવર, સી લિન્ક વગેરે પરથી ન સાઈકલ કે સ્કૂટર જઈ શકે, ન રિક્ષા કે બસ. જઈ શકે માત્ર મોટરો. કેમ ભાઈ? મોટરમાં ફરનારા સિવાયના લોકો કરવેરા નથી ભરતા? આ બધું બંધાય છે તેમાં એ લોકોના પૈસા પણ નથી વપરાતા? આઝાદી પહેલાં પણ આખા દેશમાંથી લોકો મુંબઈ આવતા. પણ એ મુંબઈના થઈને રહેતા. એટલે મુંબઈ પચરંગી હતું. આજે અહીં શંભુમેળો જામ્યો છે.
દી.મ. : એક જમાનામાં માણસના પહેરવેશ પરથી, ટીલાં-ટપકાં પરથી, બોલી પરથી, તહેવારોની ઉજવણીની રીત પરથી, તે કયા પ્રદેશનો છે તે કહી શકાતું. આજે એ વિવિધતા ક્યાં? આજે તો દરેક માણસ બીબાંઢાળ બની ગયો છે. આજના મુંબઈના માણસો એટલે કવિ રાજેન્દ્ર શાહે કહ્યું છે તેમ એક છાપાની છપાયેલી હજારો-લાખો પ્રત જેવા માણસો.
ટીકેકર : અને હવે તો મુંબઈના સમાજના બહુ મોટા વર્ગે પરિવર્તનની આશા પણ મૂકી દીધી છે. એટલે જે મળે તે લૂંટો-ઝૂંટવો. અંગ્રેજોના જમાનામાં અમુક જાતિઓ ‘ગુનેગાર જાતિઓ’ તરીકે ઓળખાતી. આજે તો કોઈ પણ જાત, જમાત, કે વર્ગના લોકો નાના મોટા ગુના કરતાં સહેજ પણ અચકાતા નથી. સો કરતાં વધુ લોકોએ પોતાનો જાન આપ્યા પછી ૧૯૬૦માં મહારાષ્ટ્રનું રાજ્ય બન્યું અને મુંબઈ બન્યું તેનું પાટનગર. સારે નસીબે એ વખતે યશવંતરાવ ચવાણ જેવા દૂરંદેશીવાળા મુખ્ય પ્રધાન મળ્યા. તેમણે અનેક યોજનાઓ શરૂ કરી. સાહિત્ય, સંગીત, નૃત્ય જેવી કલાઓને પ્રોત્સાહન આપતી યોજનાઓ અને સંસ્થાઓ શરૂ થઈ. મુંબઈ ધબકતું શહેર બન્યું. ખરા અર્થમાં પચરંગી બન્યું.
દી.મ. : હા, એ જમાનામાં મહારાષ્ટ્ર સરકાર મરાઠીની સાથોસાથ ગુજરાતી અને સંસ્કૃત નાટ્યસ્પર્ધાઓ યોજતી. મરાઠી સિવાયની ભાષાના સર્જકોને, કલાકારોને, પુરસ્કારોથી પોંખતી. પણ પછી ધીમે ધીમે એ બધું પહેલાં ઓછું અને પછી બંધ થયું.
ટીકેકર : સાહિત્ય, સંગીત, બીજી કલાઓ, ક્રિકેટ જેવી રમતો – વગેરે અનેક ક્ષેત્રોમાં મુંબઈના લોકોએ આગેવાની લીધી હતી, માત્ર વેપાર-ઉદ્યોગમાં જ નહિ. હું ભૂલતો ન હોઉં તો એક વખતે ગુજરાતી સાહિત્ય, પુસ્તક પ્રકાશન, પત્રકારત્વ, રંગભૂમિ, ફિલ્મ, વગેરે ઘણી બાબતોમાં મુંબઈ મુખ્ય કેન્દ્ર હતું.
દી.મ. : સાવ સાચી વાત. અને આજે પણ અમદાવાદમાં એક વરસમાં જેટલાં ગુજરાતી નાટક ભજવાય છે એના કરતાં વધારે ગુજરાતી નાટક મુંબઈમાં એક મહિનામાં ભજવાય છે.
ટીકેકર : અને એ વખતે કલાકારો માટે સંગીત કે નાટક એ વ્યવસાય નહિ, એક મિશન હતું. ઘણી વાર તો ગાંઠનાં ગોપીચંદન ઘસીને એ લોકો કામ કરતાં. પણ પછી ધીમે ધીમે વ્યવસાયીકરણ થવા લાગ્યું. વ્યવસાય થાય એટલે ભાવ-તાલ થાય, હરીફાઈ થાય, મારું-તારું થાય. આપણા જમાનામાં પંડિતો, અધ્યાપકો, શિક્ષકો, કલાકારો આદર્શરૂપ મનાતા. એને બદલે ધનવાનો અને સત્તાધારીઓ યુવાનોના આદર્શ બની બેઠા. વૈચારિક પ્રગતિના પાયામાં રહેલું છે જ્ઞાન. અને આજના જમાનામાં જ્ઞાનપ્રાપ્તિનું મુખ્ય સાધન છે શિક્ષણ સંસ્થાઓ. જ્યાં સુધી આપણે આ પાયાને મજબૂત નહિ કરીએ, ત્યાં સુધી ઈમારત બહારથી ગમે તેટલી આકર્ષક લાગે, અંદરથી તો એ ખોખલી રહેવાની. જેમને સમજાવી જોઈએ તેમને આ વાત વહેલી તકે સમજાય એમ ઇચ્છીએ.
દરબાર હોલ, એશિયાટિક સોસાયટી
દી.મ. : દોસ્ત, ઘણી વાતો કરી, પણ હજી ઘણી બાકી છે. પણ છેવટે થોડી અંગત વાત કરું? થોડા દિવસ પહેલાં એક વ્યાખ્યાન સંભાળવા હું એશિયાટિક ગયો હતો. સાથે એક મિત્ર હતાં. કંપાઉંડમાં દાખલ થયા ત્યારથી મારી બોલબોલ ચાલુ : આ ઝાડ નીચે ઊભા રહીને ટીકેકર સાથે કેટલી વાતો કરેલી! સ્પાઈરલ સ્ટેરકેસ ચડીને ઉપર ગયા તો સામે જ તમારા મરાઠી પુસ્તકોનો ડિસ્પ્લે. દરબાર હોલમાં દાખલ થતાં પહેલાં ડાબી બાજુની કેબિન બતાવી કહ્યું કે ટીકેકર અહીં બેસતા. દરબાર હોલમાં દાખલ થયા ત્યારે યાદ આવ્યું કે તેના restoration વખતે તમે કેટલી કાળજીથી બારીકમાં બારીક વિગતોની ચોકસાઈ કરી હતી. મહામૂલાં પુસ્તકો અને સામયિકોની જાળવણી પાછળ તમે જાન રેડતા. જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરીને સોસાયટીને ધમધમતી રાખતા. તો બીજી બાજુ વોશ રૂમ્સ ચોખ્ખા ચણક રહે તે માટે સતત મથતા.
ટીકેકર : જેટલું થઈ શક્યું એટલું કર્યું. જે ન થઈ શક્યું એનો ઝાઝો વસવસો નથી. અને જે કાંઈ થયું તે મેં એકલાએ તો કર્યું નહોતું. તમારા જેવા મિત્રોનો સાથ હતો એટલે થઈ શક્યું.
દી.મ .: આજે તો હવે છૂટા પડવું પડશે. પણ તમારા બીજા કોઈ પુસ્તક વિષે વાતો કરવા ફરી જરૂર મળશું, ક્યારેક. ચલા, યેતો.
ટીકેકર : આવજો.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 09 સપ્ટેમ્બર 2023