કેન્દ્ર સરકારે લોકસભાનું ખાસ અધિવેશન બોલાવ્યું છે. એ સાથે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દની અધ્યક્ષતા હેઠળ એક સમિતિની રચના કરી છે, જેણે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજવા વિશેની વ્યવહારુતા તપાસીને સરકારને ભલામણ કરવાની છે કે આ કરવા જેવું છે કે નહીં. દેશહિતમાં છે કે નહીં. સમિતિમાં વિરોધ પક્ષમાંથી કાઁગ્રેસના સંસદીય નેતા અધીર રંજન રોયને લેવામાં આવ્યા હતા, પરંતુ તેમણે સમિતિમાં જોડાવાની ના પાડી દીધી છે. નહીં જોડાવાનું કારણ એ છે કે સરકારે તપાસ કરવા માટે જે નિર્દેશન (રેફરન્સ) આપ્યું છે એમાં જ તારણ આવી જાય છે. તમારે આ જ કહેવાનું છે, અભ્યાસ તો એક બહાનું છે. એ સિવાય કાઁગ્રેસના એક સમયના નેતા ગુલામ નબી આઝાદ સમિતિમાં છે. કાઁગ્રેસ છોડ્યા પછી ગુલામ નબી આઝાદની હાલત તો બિચારાની ન ઘરના ન ઘાટના જેવી છે. જમ્મુ અને કાશ્મીરમાં ભોજોભાઈ પણ તેમની સાથે નથી. આરિફ મોહમ્મદ ખાનની જેમ તેમનું જાહેરજીવન બી.જે.પી. આશ્રિત છે.
આવું કે આના જેવું કાંઈક તો થવાનું જ હતું. બીજા તો ઠીક, ભક્તો પણ ખાનગીમાં પૂછતા હતા કે આ વખતે શું થશે? ચૂંટણી માથે છે અને આ વખતની ચૂંટણી જીતવી અઘરી પણ છે. ચાર મુખ્ય કારણ છે. એક તો દક્ષિણ ભારતમાં કંઈક અંશે કર્ણાટક છોડીને બીજાં રાજ્યોમાં બી.જે.પી.નું કોઈ અસ્તિત્વ નથી. નહીં જેવી હાજરી ધરાવે છે. એટલે બી.જે.પી.ની ઝોળીમાં દક્ષિણ ભારતમાંથી કોઈ બેઠક ઉમેરાવાની નથી, પણ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ઘટી જરૂર શકે છે. કારણ એ છે કે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણામાં લગભગ બધી જ બેઠકો મેળવ્યા પછી વધારાની બેઠકો ક્યાંથી લાવવી! બીજું કારણ એ છે કે મહારાષ્ટ્ર, બિહાર અને પશ્ચિમ બંગાળમાં બી.જે.પી.નો પરાજય નિશ્ચિત છે. એક પછી એક દરેક સર્વેક્ષણ આમ કહે છે. છેલ્લો પખવાડિયા પહેલાંનો ‘ઇન્ડિયા ટુડે’નો મૂડ ઓફ ધ નેશનમાં પણ આ જ ભય બતાવવામાં આવ્યો છે.
ત્રીજું કારણ વિરોધ પક્ષોનો સંયુક્ત મોરચો છે. I.N.D.I.A. નામનો વિરોધ પક્ષોનો મોરચો ધીરે ધીરે નક્કર આકાર પામી રહ્યો છે અને એટલે તો ગેસના બાટલાનો ભાવ બસો રૂપિયા ઘટાડવો પડ્યો છે. અને ચોથું કારણ નાગરિક સમાજની સક્રિયતા છે. આ વખતી ચૂંટણીમાં નાગરિક સમાજ મોટા પ્રમાણમાં અને ગણતરીપૂર્વકની રણનીતિ ઘડીને મેદાનમાં ઉતરવાનો છે જે રીતે કર્ણાટકમાં બન્યું હતું. તેઓ તેમની કલ્પનાના ભારતને બચાવવા માગે છે અને તેઓ એમ કહે છે કે આ છેલ્લો અવસર છે. દેખીતી રીતે તેઓ વધારે સક્રિય, વધારે બુદ્ધિમાન, વધારે કલ્પનાશક્તિ ધરાવનારા, વધારે મૌલિક હોવાના. તેમનો પોતાનો કોઈ સત્તાકીય સ્વાર્થ નથી એટલે તેમની જહેમતમાં સ્વાર્થરહિત નિષ્ઠા હશે.
ભક્તો અને ગોદી મીડિયા ભલે આને નકારે, બી.જે.પી.ના નેતાઓ આ વસ્તુસ્થિતિ જાણે છે. એક સાથે ચૂંટણી યોજવાની જે તૈયારી ચાલી રહી છે એની પાછળનું કારણ જમીન પરની પ્રતિકૂળતા છે. ખાસ કરીને અમેરિકા, ઇઝરાયેલ અને બ્રાઝીલમાં વિરોધ પક્ષો અને નાગરિક સમાજે મળીને અનુક્રમે ડોનાલ્ડ ટ્રમ્પ, બેન્જામીન નેતાન્યાહુ અને જૈર બોલસોનારોને પરાજિત કર્યા હતા. નેતાન્યાહુ વિપક્ષી સરકાર તૂટતા પાછા આવ્યા એ જુદી વાત છે, પણ બહુમતી તો એ પછી પણ મળી નથી.
હવે દેશહિતની વાત. ભારતનું બંધારણ એકલા જવાહરલાલ નેહરુએ ઘડ્યું છે? એમાં સરદાર પટેલ હતા, ડૉ રાજેન્દ્ર પ્રસાદ હતા, ડૉ આંબેડકર હતા, કનૈયાલાલ મુનશી હતા, અલ્લાદી કૃષ્ણાસ્વામી ઐયર હતા, એન. ગોપાલસ્વામી આયંગર હતા, બી.એન. રાવ હતા અને બીજા અનેક લોકો હતા જેમની વિચારધારા નેહરુ કરતાં જે તે બાબતે અલગ પડતી હતી. એમાં ઉપર જે નામ ગણાવ્યાં એ લોકોનો તો બંધારણ ઘડવામાં સિંહફાળો હતો. હકીકતમાં બંધારણસભામાં નેહરુની વિચારધારા ધરાવનારા લોકો લઘુમતીમાં હતા. તો શું એ લોકો અત્યારના શાસકો કરતાં ઓછા દેશપ્રેમી હતા કે ઓછા બુદ્ધિમાન હતા? દેશ માટે સર્વસ્વ હોમી દેનારાઓને દેશહિતનું ભાન નહોતું? તો શા માટે તેમણે દેશભરમાં એક સાથે ચૂંટણી યોજવાની બંધારણમાં જોગવાઈ નહોતી કરી? ધારત તો તેઓ કરી શક્યા હોત. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે આવો કોઈ પ્રસ્તાવ પણ બંધારણસભામાં કોઈએ રજૂ નહોતો કર્યો.
કારણ એ છે કે બંધારણ ઘડનારાઓએ દેશનું બંધારણ ઘડ્યું હતું, કોઈ એક વિચારધારાને વરેલો પક્ષ બિન વિરોધ દાયકાઓ સુધી રાજ કરી શકે અને તેને કોઈ પડકારી જ ન શકે એ માટે ઉપયોગી નીવડે એવું બંધારણ નહોતું ઘડ્યું. એ દેશહિત માટેનું બંધારણ હતું, પક્ષહિત માટેનું નહોતું. કાઁગ્રેસહિત માટેનું નહોતું, પણ એવું બંધારણ હતું જે કાઁગ્રેસને પણ દરવાજો બતાવે અને બતાવ્યો છે એ ઇતિહાસ છે. એ લોકો પોતાની રવાનગીની અને બીજાની પધરામણીની બંધારણમાં વ્યવસ્થા કરીને ગયા હતા. આને કહેવાય સાચો દેશપ્રેમ, આને કહેવાય વિવેક, આને કહેવાય લોકતંત્ર માટેની નિષ્ઠા, આને કહેવાય દૂરંદેશી.
ભારત એક સમવાય સંઘ (ફેડરલ સ્ટેટ) છે, જેનું સત્તાવાર અંગ્રેજી નામ છે યુનિયન ઓફ ઇન્ડિયા. શેનો સંઘ? રાજ્યોનો. કેટલીક બાબતે રાજ્યો કેન્દ્રનાં કબજામાં છે. જેમ કે ભારતથી અલગ થવાની મોકળાશ નથી. આવી બીજી અનેક મર્યાદાઓ છે. કેટલીક બાબતે રાજ્યો સ્વાયત્તતા ધરાવે છે અને કેન્દ્રની તેમાં અનુમતિ લેવાની જરૂર નથી. કેટલીક બાબતો એવી છે જેમાં કેન્દ્ર અને રાજ્ય કે રાજ્યો મળીને નિર્ણય લે છે. કોઇને બારોબાર નિણર્ય લેવાનો અધિકાર નથી.
આવિ વ્યવસ્થા એટલા માટે કરાવામાં આવી છે કે રાજ્ય ભારતીય રાષ્ટ્રનું એક એકમ છે અને ભારતીય સંઘનું ઘટક છે. અહીં રાજ્યપાલની સત્તા વિષે બંધારણસભામાં થયેલી ચર્ચા યાદ આવે છે. દેશનું વિભાજન થયું હતું એટલે દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકીને પીએ એ ન્યાયે દરેકને એમ લાગતું હતું કે કેન્દ્રના પ્રતિનિધિ તરીકે રાજ્યપાલ પાસે કેટલીક અબાધિત સત્તા જોવી જોઈએ. કનૈયાલાલ મુનશીએ તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આને કારણે રાજ્યોમાં સત્તાની સાઠમારી થશે, રાજકીય અસ્થિરતા પેદા થશે અને રાજ્યોની પ્રજા રાષ્ટ્રીય ચેતનાના યજ્ઞમાં સમિધ બનવાની જગ્યાએ તેનાથી દૂર જશે. જે તે રાજ્યોની પ્રજા ભારતીય રાષ્ટ્રને પોતાનો (own-up) ગણે અને પોતાને રાષ્ટ્રનો (belongingness) ગણે એ જરૂરી છે. મુનશી નેહરુવાદી નહોતા, રાષ્ટ્રવાદી હતા, પણ તેમનો રાષ્ટ્રવાદ નરવો હતો. તેમનો એજન્ડા રાષ્ટ્રનિર્માણનો હતો, પણ તેમની કલ્પનાનું રાષ્ટ્ર સંઘપરિવારની કલ્પનાના રાષ્ટ્ર કરતાં જુદું હતું અને છે. એ બાબતે નેહરુ, સરદાર, મુનશી, ડૉ રાજેન્દ્ર પ્રસાદ અને આંબેડકર વચ્ચે કોઈ મતભેદ નહોતા.
શા માટે એક સાથે કેન્દ્ર અને રાજ્યોમાં ચૂંટણીઓ યોજવાની જોગવાઈ નહોતી કરાવામાં આવી? કારણ એ છે કે ચૂંટણી માત્ર સત્તા માટેની નિસરણી નથી; પણ જે તે પ્રદેશની પ્રજાની વિશિષ્ટ એષણા, અપેક્ષા, ફરિયાદ, અસંતોષ, ઊહાપોહ અને ડૉ રામ મનોહર લોહિયા કહેતા એમ નાગરિક શિક્ષણનું સાધન છે. ચૂંટણી લોકોને વાચા આપવાનો અવસર પૂરો પાડે છે. એના દ્વારા લોકોને પ્રશ્નો, પ્રશ્નોની જટિલતા અને વિવિધ ઉપાયો વિશેની સમજ વિકસે છે. ચૂંટણીઓ રાષ્ટ્રીય અને પ્રાદેશિક મંથનનું માધ્યમ છે જેમાંથી અમૃત અને ઝેર બન્ને નીકળે છે અને વિવેકી લોકો ઝેરનું વારણ કરે છે. તે રાજકારણીઓ અને રાજકીય પક્ષોની સત્તાભૂખ સંતોષવાનું સાધન નથી. જો એક સાથે ધરાર ચૂંટણી યોજવામાં આવે તો જે તે પ્રદેશવિષેશનાં અને પ્રજાવિષેશનાં પ્રશ્નો હાંસિયામાં ધકેલાઈ જાય. અને જો એમ બને તો ઓન-અપ અને બિલોંગિંગનેસ ન વિકસે. એવું પણ બને કે પ્રદેશોની પ્રજા કેન્દ્ર સામે વિદ્રોહ કરે.
પણ વર્તમાન શાસકોને સત્તામાં રસ છે. ગમે તે થાય હાથમાંથી સત્તા ન જવી જોઈએ. તેમને પરાજિત થવું નથી, કારણ કે હિંદુરાષ્ટ્રના નિર્માણનો બીજો અવસર ક્યારે મળશે એની ખાતરી નથી. આ રીતે આખું વરસ જે તે પ્રદેશમાં ચૂંટણી લડવાનો થાક અનુભવાય છે. રોજેરોજ કોમી ધ્રુવીકરણ કરવું સહેલું નથી. આનાં કરતાં એક વાર ખરાખરીનો ખેલ રમી લેવો અને પછી પાંચ વરસ નિરાંત.
તો ફરક આ છે. આગલા શાસકો પરાજિત થવા તૈયાર હતા. બીજાને અવસર આપવા તૈયાર હતા.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 10 સપ્ટેમ્બર 2023