Opinion Magazine
Number of visits: 9458058
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાગરંગ

રમણીક અગ્રાવત|Poetry|15 June 2023

પૂર્વી

ગવાક્ષમાં ટમટમતો

એક દીપ

શાંત

ઉદાસ

ધીરે ધીરે પોતાના અજવાસમાં વહેતો

એક વિનીત સ્વર. 

અવકાશમાં આંદોલિત એક સ્ફુલ્લિંગ

જાણે પોતાની જ શોધમાં

ઉત્સુકતાથી વહ્યે જાય છે. 

ઊડે છે જે પંખીઓ પૂર્વી રાગમાં 

પાંખો ફફડાવતાં ઊડ્યાં જ કરે

ઊડ્યાં જ કરે

નિરંતર

સ્વરોની શાંત બહુલતામાં. 

શબ્દોમાં

ઊંડે ઊંડે ઊતરતો જતો

એક સ્થિરદ્યુતિ દીપ :

સ્વયં પૂર્વી. 

ક્યારેય પાછું નથી ફરતું

એવું સમયપંખી, 

જેને શોધવા સ્વરો હંમેશાં

તડપ્યા કરે. 

“નવનીત સમર્પણ” જૂન ૨૦૨૩ અંકમાં પ્રગટ.

Loading

રાજકીય વિકલ્પવ્યૂહ બાબતે સંઘશ્રેષ્ઠીઓ ચિંતિત છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 June 2023

‘ઓર્ગેનાઇઝર’ કહે છે કે કેવળ બ્રાન્ડ મોદી અને હિંદુત્વ પર બધો વખત મદાર રાખી શકાય નહીં. ધોરણસરનું શાસન (ગવર્નન્સ) અને પ્રાદેશિક નેતૃત્વને અવકાશ પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

પ્રકાશ ન. શાહ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સૂચિત અમેરિકા યાત્રાને એમની ઈમેજ-સુધાર બલકે ઇમેજ-નિખારની આશા અપેક્ષાએ એમના ખાસ વર્તુળોમાં જોવાઈ રહી છે. આમ પણ, રાહુલ ગાંધીની અમેરિકા યાત્રાની પિછવાઈ પર અને એમાં ય વડા પ્રધાનને પક્ષે તો નવ વરસમાં પહેલી જ વાર સત્તાવાર મુલાકાત હોવાની છે – આ મુલાકાત મહત્ત્વની તો છે જ. એમાં પણ તત્કાળ સંદર્ભની રીતે કર્ણાટકના પરિણામ પછી ‘ડેમેજ કન્ટ્રોલ’ની રીતે કશુંક તો હાંસલ થતું અનુભવાવું જોઈએ એ મુદ્દો બાજુએ મૂકી શકાય એવો અલબત્ત નથી. હવે યુનિફોર્મ સિવિલ કોડની બાબત હાથ પર લેવાઈ રહી છે, અને રામ મંદિરનું નિર્માણ પણ સપાટાબંધ થઈ રહ્યું છે. કહેવું હોય તો કહી શકાય કે અમેરિકા યાત્રા, સિવિલ કોડ અને મંદિર એ ત્રણના જોર પર 2024ની ચૂંટણી વૈતરણી પાર કરવાની ગણતરી હોઈ શકે છે.

બીજી પાસ, આ પક્ષપરિવારના નાભિકેન્દ્ર શી સંઘ થિંકટેન્ક કે પછી આલાકમાન જેવી કોઈ વિધિસર-અવિધિસર જોગવાઈ હોય તે વામનનાં આ ત્રણ કદમ અને ફતેહ છે આગે, એ પ્રકારે કદાચ આશ્વસ્ત જણાતી નથી. લગભગ સત્તાવાર કહી શકાય એવો એનો સીધો સંકેત ‘ઓર્ગેનાઇઝર’માં પ્રફુલ્લ કેતકરના તાજા લેખ વાટે મળ્યો છે. આ પત્ર સંઘ પરિવારના મુખપત્ર જેવો દરજ્જો ધરાવે છે. જનસંઘ મારફતે સંઘના સીધા રાજકીય પ્રવેશની ચર્ચા આ પત્ર ઉપાડી હતી તેમ એની ફાઈલોમાંથી પસાર થતા જણાય છે. છેલ્લે ગોવાના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે જાહેરમાં જણાયેલા કેવલ મલકાની આરંભકાળે ‘ઓર્ગેનાઇઝર’ના તંત્રી હતા, અને પ્રત્યક્ષ રાજકીય પ્રવેશની ચર્ચાના આરંભકારો પૈકી હતા. સ્વરાજના અરસામાં શરૂ થયેલ આ પત્રને સંઘ શ્રેષ્ઠીઓ કેટલું મહત્ત્વ આપતા હશે તે કેતકરના પુરોગામી બાલાશંકરને 2013માં કાચી મિનિટે રૂખસદ અપાઈ હતી તેના પરથી સમજાય છે. હજુ સંઘ શ્રેષ્ઠીઓ ચોક્કસ નહોતા અને નેતૃત્વ માટે નીતિન ગડકરી તરફ કદાચ વધુ ઢળેલા હતા ત્યારે ‘ઓર્ગેનાઇઝર’માં સહસા નરેન્દ્ર મોદીનું નામ આગળ કરવાની ચેષ્ટા થઈ તેને પરિણામે ‘ઓર્ગેનાઇઝર’ના તંત્રીપદેથી બાલાશંકરે વિદાય લેવી પડી હતી. એ સંજોગોમાં વચગાળાની કામચલાઉ ગોઠવણ પછી તરત કેતકરની તંત્રીપદે વિધિવત પ્રતિષ્ઠા થઈ હતી. તાજેતરનાં વર્ષોનો આ ઘટનાક્રમ જોતાં કેતકરે કરેલી માંડણી, એક ફીલર તરીકે અગર અન્યથા, પોતીકી પહેલથી ન હોય પરંતુ નાગપુર વિચાર મંડળીને આભારી હોય એમ માનીને ચાલવામાં હરકત નથી.

તંત્રી કેતકરની વિગતવાર માંડણીને મુખતેસર મૂકી આપવી હોય તો એનો સાર એ છે કે કર્ણાટકનાં પરિણામોએ (ભા.જ.પ.ના પરાજયે) દર્શાવી આપ્યું છે કે હવે કેવળ મોદી અને હિંદુત્વથી નહીં જીતી શકાય. કેતકરની આ બેબાક ટિપ્પણી અગત્યની એટલા માટે છે કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ વગેરે રાજ્યોની ચૂંટણીઓનો લગભગ સેમિફાઈનલ જેવો કોઠો વટાવીને 2024ની લોકસભા ચૂંટણી લગી પહોંચતાં કેટલે વીસે સો થાય એ એની આકરી તાવણી સંભવિત છે. એમાં પણ દક્ષિણનાં રાજ્યોમાં ભા.જ.પે. હજુ પ્રભાવિક હાજરી પુરાવવાની બાકી છે.

કેતકરની, પ્રકાશન્તરે સંઘ શ્રેષ્ઠીઓનું કહેવું છે કે, રાજ્યોમાં જઈએ ત્યારે છેવટ જતાં શાસન ને સુરાજ(ગવર્નન્સ)નો પ્રશ્ન મહત્ત્વનો બની રહે છે. કર્ણાટકમાં ભા.જ.પ. સરકારની ભ્રષ્ટાચારી રીતિનીતિના મુદ્દે લડી રહેલી કાઁગ્રેસ સામે મોદી (બ્રાન્ડ), હિંદુત્વ અને એની ફરતેના મુદ્દા ઓછા ને પાછા પડ્યા. બીજું, ભારત જોડો યાત્રા પછી, એમની બધી મર્યાદા છતાં, રાહુલ અને કાઁગ્રેસની પ્રતિમા કંઈક ઊંચકાઈ છે એની યે નોંધ સંઘશ્રેષ્ઠીઓએ અલબત્ત લીધી જણાય છે. ઉત્તર-દક્ષિણ એવા વિભાગો વચ્ચે સેંગોલ પ્રકારના મનોવૈજ્ઞાનિક ઉપચારો ઉપરાંત પણ અંતર કાપવું રહે છે.

આ સંજોગોમાં સંઘ પોતે મોદીનો કોઈ વિકલ્પ ઇચ્છે છે, નિપજાવી શકે છે, વગેરે અનુમાનોને અવકાશ હોય તો પણ તે કદાચ અસ્થાને છે, કેમ કે સત્તારૂઢ મોદીની એકંદર પકડ સરળતાથી સંઘાધીન નયે હોય. અગત્યનો મુદ્દો એ છે કે બ્રાન્ડ અને ઉગ્ર વિચારધારાવાદ કોઈક તબક્કે હાંફવા લાગે છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : “દિવ્ય ભાસ્કર”; 15 જૂન 2023

Loading

મોદીની આબરૂ બચાવવાની જવાબદારી રાહુલ ગાંધીની નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|15 June 2023

રમેશ ઓઝા

શાસક જો સરમુખત્યાર હોય તો તેમના સાથીઓ અમીદૃષ્ટિ મેળવવા થોડા વધારે પડતા બોલકા થવાની ચેષ્ટા કરતા હોય છે. આવું ઇન્દિરા ગાંધીના સમયમાં પણ જોવા મળ્યું હતું. ઇન્દિરા ગાંધી એટલે દુર્ગા. ઇન્દિરા ગાંધી એટલે ઈશ્વરનો અવતાર. ઇન્દિરા ગાંધી એટલે ભારત અને ભારત એટલે ઇન્દિરા ગાંધી. એ બે વચ્ચે અવિનાભાવી સંબંધ છે. ઇન્દિરા ગાંધીની જે લોકો ટીકા કરે છે એ દેશદ્રોહી છે. ઇન્દિરા ગાંધીની ટીકા કરીને ભારતને બદનામ કરવાનું કાવતરું છે, વગરે વગેરે. ઇન્દિરા ગાંધીનાં કેટલાંક સાથીઓ તારસ્વરે આમ કહેતા હતા કે જેથી તેમના પર મેડમની નજર જાય અને લાભ વરસતા રહે. અને હવે આજે પણ એ જ બની રહ્યું છે.

આમાં વિદેશ પ્રધાન એસ. જયશંકર દ્વારા વારંવાર કરવામાં આવતી સાહેબની ખિદમત હાસ્યાસ્પદ છે, આશ્ચર્યજનક છે અને આઘાતજનક છે. પહેલી વાત તો એ કે તેઓ ભારતીય વિદેશ સેવાના માણસ છે. તેઓ ભારતના વિદેશ સચિવ હતા અને એ પહેલાં ચીન અને અમેરિકા ખાતેના ભારતના એલચી રહી ચૂક્યા છે. તેઓ જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી છે અને એ સમયના જ્યારે જે.એન.યુ. વાંચતા – લખનારા અને વિચારનારા બુદ્ધિશાળી લોકો દ્વારા સંચાલિત હતી. અને સૌથી મહત્ત્વની વાત એ કે તેઓ કે. સુબ્રમણ્યમ્‌ના પુત્ર છે, જેઓ સંરક્ષણનીતિની બાબતે છેલ્લો શબ્દ ગણાતા હતા. તેમણે ભારત સરકાર(અટલ બિહારી વાજપેયી અને ડૉ મનમોહન સિંહ એમ બન્ને)ની ટીકા કરવામાં શબ્દ ચોર્યો નહોતો. એસ. જયશંકરના નાના ભાઈ સંજય સુબ્રમણ્યમ્‌ વિશ્વપ્રસિદ્ધ ઇતિહાસકાર છે. આપણે એટલી અપેક્ષા રાખી શકીએ કે જયશંકરે તેમના નાના ભાઈનું ‘ઈઝ ‘ઇન્ડિયન સિવિલાઈઝેશન’ અ મીથ? ફિક્શન એન્ડ હિસ્ટરીઝ’ તો વાંચ્યું જ હશે. શીર્ષકમાં જ ‘ઇન્ડિયન સિવિલાઈઝેશન’ સિંગલ ઇન્વટૅડમાં છે એ સૂચક છે. ટૂંકમાં એસ. જયશંકર પ્રગલ્ભ પરિવારમાંથી આવે છે, પણ આજે તેમને સાહેબના દરવાજે પગલૂછણિયાની સેવા આપવી પડે છે કે પદ જાળવવા હરખે હરખે આપી રહ્યા છે એ જોઇને દયા આવે છે.

વિદેશ પ્રધાન એસ. જયશંકરે રાહુલ ગાંધીની ટીકા કરતા કહ્યું કે વિદેશમાં દેશની આબરૂ જાળવવી એ સહિયારી જવાબદારી છે. આની શરૂઆત રાહુલ ગાંધીએ કરી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ? તરત જ કાઁગ્રેસના પ્રવક્તાએ નવ ક્લિપ્સ ધરી દીધી જેમાં નરેન્દ્ર મોદી વિદેશમાં જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, ગાંધીપરિવાર અને કાઁગ્રેસની જ નહીં એ યુગના ભારતની ટીકા કરતા નજરે પડે છે. ૨૦૧૫માં ચીનમાં શાંઘાઈમાં તેમણે કહ્યું હતું કે “પહેલાં ભારતીયો ભારતમાં જન્મ પામવા માટે શરમ અનુભવતા હતા જે હવે ગર્વ અનુભવે છે.” આવી એકથી એક ચડિયાતી નવ ક્લિપ્સ જોવા મળશે.

વાત એમ છે કે ત્યારે નરેન્દ્ર મોદી અને ભા.જ.પ.ના નેતાઓને એમ લાગ્યું હતું કે કાઁગ્રેસનો યુગ પૂરો થઈ ગયો છે. રાહુલ ગાંધી નિસ્તેજ છે અને જો તેમને ખરાબ રીતે બદનામ કરવામાં આવે અને ઉપરથી ઠેકડી ઉડાડવામાં આવે તો એ તૂટી જશે. એક ધક્કા ઔર દોના ભાગરૂપે દેશમાં વિદેશમાં, ચારે કોર અને દરેક રીતે કાઁગ્રેસ, ગાંધીપરિવાર અને રાહુલ ગાંધીની ટીકા કરવાનું શરૂ કરવામાં આવ્યું. ગાંધી પરિવારને ફિલીપીન્સના માર્કોસ પરિવારની જેમ કૂટવાનું શરૂ કર્યું. પણ તેમના દુર્ભાગ્યે રાહુલ ગાંધીનું મનોબળ તેમ જ ધૈર્ય અકલ્પનીય નીવડ્યાં અને કાઁગ્રેસનાં મૂળિયાં પણ ઘણાં ઊંડા નીકળ્યાં. પણ હવે? હવે બદનામ કરવાથી જો નિર્મૂલન ન થતું હોય તો પ્રત્યક્ષ કચડી નાખીને નિર્મૂલન કરો. ૨૦૧૯ પછી લોકસભામાં પ્રચંડ બહુમતીના પરિણામે મળેલી તાકાતનો દુરુપયોગ કરીને વિરોધીઓને કચડી નાખવાનાં પ્રયાસ શરૂ કરવામાં આવ્યા. ગોદી મીડિયા અને ઈ.ડી. જેવી દરેક એજન્સીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ? નીકળ્યા હતા રાહુલ ગાંધીને બદનામ કરવા અને જગતના ચૌટે વડા પ્રધાનની અને ભારત સરકારની બદનામી થઈ રહી છે. આને માટે રાહુલ ગાંધી જવાબદાર છે? ટ્વીટરના સ્થાપક અને ભૂતપૂર્વ સી.ઈ.ઓ. જૅક ડોર્સેએ બે દિવસ પહેલાં કહ્યું કે ભારતમાં જ્યારે ખેડૂતોનું આંદોલન ચાલતું હતું ત્યારે ભારત સરકારે અમારી ઉપર દબાણ કર્યું હતું કે સરકારનો વિરોધ કરનારાઓનાં ટ્વીટર એકાઉન્ટ બ્લૉક કરવામાં આવે અને જો બ્લૉક નહીં કરો તો અમને ધમકી આપવામાં આવી હતી કે ભારતમાં ટ્વીટર પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને ટ્વીટરના અધિકારીઓના ઘરે દરોડા પાડવામાં આવશે. ડોર્સેએ આ નિવેદન રાહુલ ગાંધીને પૂછીને કર્યું હતું? અથવા રાહુલ ગાંધીએ તેમને આમ બોલવાની સલાહ આપી હતી?

સોમવારે સમાચાર આવ્યા કે જેમાં ભારત સરકાર ભાગીદાર છે અને ભારતનાં શાસકો પૂરતા પ્રમાણમાં ટ્રાયલ રન પણ કર્યા વિના કોઈ અકળ કારણસર કોવિડ પ્રતિરોધક રસી બનવવાની અને બજારમાં મૂકવાની ઉતાવળ ધરાવતા હતા એ કોવિન રસી લેનારાઓનાં ડેટા લીક થઈ ગયા છે. ત્યારે જ કોવિનમાં શાસકોનો કોઈક ન સમજાય એવો રહસ્યમય રસ જોઇને લોકો અને આયુર્વિજ્ઞાનીઓ શંકા કરવા લાગ્યા હતા અને હવે ડેટા ચોરાઈ ગયા છે. ભારતના નાગરિકોના ડેટા વેચાઈ રહ્યા છે અને જગતમાં ભારતની આબરૂ ખરડાઈ રહી છે તો એ માટે રાહુલ ગાંધી જવાબદાર છે?

ઇઝરાયેલ પાસેથી પેગાસસ નામનું ઉપકરણ ખરીદીને ભારતમાં રાહુલ ગાંધી સહિતના રાજકીય વિરોધીઓ ઉપર જાસૂસી કરવામાં આવતી હતી (અને કદાચ આજે પણ કરવામાં આવતી હશે) એ પ્રકરણ રાહુલ ગાંધીએ બહાર પાડ્યું હતું? અને જાસૂસી રાહુલ ગાંધીને અને બીજા નેતાઓને પૂછીને તો નહીં જ કરવામાં આવી હોય! અદાણી જૂથનો રહસ્યમય ગ્રોથ અને નરેન્દ્ર મોદી સાથેનાં સંબંધો વિશેનો હિડનબર્ગનો રિપોર્ટ રાહુલ ગાંધીએ બહાર પાડ્યો કે પડાવ્યો હતો? પહેલવાન કન્યાઓ ઉપર પોલીસે અત્યાચારો કર્યા એની જગતમાં ટીકા થઈ રહી છે એમાં રાહુલ ગાંધીનો હાથ છે? બી.બી.સી.એ નરેન્દ્ર મોદી ઉપર ડોકયુમેન્ટરી ફિલ્મ બતાવી તો એના ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો, એટલું જ નહીં બી.બી.સી.ની ભારતમાંની ઓફિસો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા એ ઘટના તો યાદ હશે. એનાં પડઘા બ્રિટિશ સંસદમાં પડ્યા. સંસદસભ્યોએ ભારતનાં શાસકોને લોકશાહી વિરોધી ગણાવ્યા. તાજેતરમાં નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયા ગયા તો ત્યાં ચાહી કરીને ઓસ્ટ્રેલિયાની સંસદમાં સંસદસભ્યો માટે બી.બી.સી.ની નરેન્દ્ર મોદી પરની એ ફિલ્મનું પ્રાઈવેટ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું એમાં રાહુલ ગાંધીનો હાથ હતો? ચાહી કરીને, અવસર સાધીને આમ કરવામાં આવ્યું હતું, એમ બતાવવા કે તમે કેવા શાસક છો એ અમે જાણીએ છીએ. લોકતંત્રની ગુણવત્તા, સ્વતંત્ર ન્યાયતંત્ર, સ્વતંત્ર મીડિયા, નાગરિક સ્વાતંત્ર્ય વગેરે બાબતો ઉપર નજર રાખનારી એજન્સીઓ ભારતને તુર્કી સાથે સરખાવે છે અને તુર્કીની પંક્તિમાં બેસાડે છે તો એમાં રાહુલ ગાંધીનો હાથ છે? રાહુલ ગાંધી આ બધું કરાવે છે? જો રાહુલ ગાંધી જાગતિક સ્તરે આવું બધું કરાવી શકતા હોય તો કબૂલ કરવું રહ્યું કે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી કરતાં પણ વધારે શક્તિશાળી નેતા છે.

વિદેશ પ્રધાન જયશંકરને એટલી તો સમજ હશે જ કે ઘટના બને તો ઘટના વિષે વાત કરવામાં આવે, વાત કરવાથી ઘટના નથી બનતી. બીજું જે ઘટનાઓ ભારતમાં બની રહી છે એના વિષે જગત આખામાં વાતો થઈ રહી છે, કોઈ રાહુલ ગાંધી બોલે છે અને જગત ઝીલે છે એવું નથી. રાહુલ ગાંધી તો અસંખ્ય બોલનારાઓમાં એક છે. રહી વાત વિદેશની ભૂમિમાં જઇને ભારતના શાસકોની ટીકા કરવાની તો તેમાં ખોટું શું છે? ઇન્દિરા ગાંધીએ દેશ ઉપર ઈમરજન્સી લાદી ત્યારે ઘણાં ભારતીય નેતાઓએ વિદેશમાં ઇન્દિરા ગાંધીની તાનાશાહી વિષે વક્તવ્યો આપ્યાં હતાં. આપવા જ જોઈએ, તેમની તે ફરજ હતી. ડોનાલ્ડ ટ્રમ્પનો બીજી વખતના પ્રમુખપદ માટે નરેન્દ્ર મોદીએ પ્રચાર કર્યો ત્યારે યાદ નહોતું આવ્યું કે અમેરિકા એક પરાયો દેશ છે અને તેનાં રાજકારણમાં દરમ્યાનગીરી કરવાની ન હોય?

વિશ્વમાં નરેન્દ્ર મોદીની આબરૂ બચાવવાની જવાબદારી રાહુલ ગાંધીની નથી. એ જવાબદારી મુખ્યત્વે વડા પ્રધાનની પોતાની છે. જેવો અવાજ એવા પડઘા. જો પડઘા પસંદ ન હોય તો અવાજ બદલવો જોઈએ. વિદેશ પ્રધાન જયશંકરને ૨૦૦૨માં પડેલા પડઘાની યાદ અપાવું? તેમના પિતાશ્રી કે. સુબ્રમણ્યમે ૨૦૦૨નાં ગુજરાતનાં હુલ્લડો માટે નરેન્દ્ર મોદીને અસૂર તરીકે ઓળખાવ્યા હતા અને કહ્યું હતું, “ધર્મ વોઝ કિલ્ડ ઇન ગુજરાત.”

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 15 જૂન 2023
કાર્ટૂન સૌજન્ય : “ધ ટિૃબ્યૂન”, 2019

Loading

...102030...973974975976...9809901,000...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved