‘કદાચ હું કાલે નહીં હોઉં’ કાવ્ય વિશે ‘ગૂગલ બાર્ડે’ જે ત્રણ મૂલ્યાંકનો પીરસ્યાં એ પરથી બે વસ્તુ સ્પષ્ટ થાય છે :
૧ :
ગુજરાતી ભાષા અને સાહિત્યના ઉપલબ્ધ ડેટાસૅટની ભૂમિકાએ ‘બાર્ડે’ આ મૂલ્યાંકનો આપ્યાં. આપણે જોયું કે બીજાં બે મૂલ્યાંકનોની સરખામણીએ ફૉર્માલિસ્ટિક અભિગમ અનુસારનું મૂલ્યાંકન કંઈકે ય શ્રદ્ધેય બન્યું, એનું મુખ્ય કારણ એ કે એ માટેનો એની પાસે હ્યુજ ડેટાબેઝ છે. બાકી, ‘બાર્ડ’-ને મેં સુરેશભાઈનાં દસ કાવ્યો આપ્યાં હોત તો પણ ડેટાબેઝની આ મર્યાદાને કારણે ખાસ ફર્ક ન પડ્યો હોત.
૨ :
એટલે, આપણે સૌ એકઠા થઈ બહુસમ્મત ગુજરાતી ડેટાબેઝ ઊભો કરીએ એ મારી વાત (પ્રકરણ ક્રમાંક -25 જુઓ.) કેટલી સયુક્તિક અને તાકીદની છે, તે સમજાઈ જશે.
જુઓ, સાહિત્યિક અધ્યયનો વિવિધ હેતુથી મુદ્દા નક્કી કરીને થતાં હોય છે, અને મારે એ જણાવવું છે કે એ સંદર્ભમાં ઉપકારક એવાં વિવિધ ‘એ.આઈ.’-ઑજારો ઉપલબ્ધ હોય છે. એટલે અધ્યેતાએ સૌ પહેલાં એ નક્કી કરવું પડશે કે પોતે અધ્યયન કયા મુદ્દાઓના અનુલક્ષમાં કરવા માગે છે.
વીગતે જોઈએ :
હું ‘બાર્ડ’ પાસે એ જાણવા ગયેલો કે એ મને મારા પ્રશ્નોના કેવા ઉત્તરો આપે છે, અને મારા મનમાં ‘કદાચ હું કાલે નહીં હોઉં’-ના મૂલ્યાંકનનો મુદ્દો પણ હતો. એ મુદ્દો મેં દાખલ કર્યો એટલે મને ત્રણ સ્વરૂપનાં મૂલ્યાંકન મળ્યાં.
જો કોઈ અધ્યેતાને સુરેશ જોષીની મુશ્કેલ અને સંકુલ મનાતી કૃતિ “છિન્નપત્ર”-ને એના ખરા રૂપમાં પામવી હશે તો સૌ પહેલાં એણે એનું વિશ્લેષણ કરવું જોઈશે. એણે કે અન્ય અધ્યેતાએ એક કે વધુ કૃતિઓનાં વિશ્લેષણ મેળવવાં હોય, તો વિશ્લેષણ કરી આપે એવાં ઑજારોનો – Text analysis toolsનો – વિનિયોગ કરવો જોઈશે. મેં માહિતી મેળવી કે Voyant Tools, AntConc, કે Leximancer એવાં ઑજાર છે.
એ અધ્યેતા આમાંના કોઈક ઑજારનો વિનિયોગ કરશે એટલે એ “છિન્નપત્ર”-નું વિષયવસ્તુ અને તેની પૅટર્ન્સ દર્શાવશે. વિષયવસ્તુના એકમો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે તે સમ્બન્ધભૂમિકાઓ દર્શાવશે.
જો સરખી રીતે પ્રશ્નો કરવામાં આવ્યા હશે તો નવલકથા અને લઘુનવલ સાથે સંકળાયેલી ઘટના વગેરે વિભાવનાઓ સાથે તેમ જ ‘લખવા ધારેલી નવલકથાનો મુસદ્દો’ એટલે શું તે સાથે પણ વાતને જોડી આપશે. જો કોઈ બીજો અધ્યેતા “જનાન્તિકે”-ના કેટલાક નિબન્ધો લઈને જશે તો એને એ નિબન્ધોમાં રહેલી સમાન ભાતો જાણવા મળશે. એ નિબન્ધોમાં સરજાયેલી શૈલી વિશે એ જો જિજ્ઞાસુ હશે તો એને શૈલીવિશેષો પણ જાણવા મળશે. મને આ ક્ષણે જ વિચાર આવે છે કે ‘ઘટનાતત્ત્વનો હ્રાસ’ વિશે આપણે ત્યાં થયેલી તમામ ચર્ચાઓ આમાનાં કોઈ ઑજારને સૉંપીએ, તો એ એમાં રહેલા સબ્જેક્ટિવિઝમ અને ઑબ્જેક્ટિવિઝમને આરામથી જુદાં તારવી બતાવશે.
સાહિત્યકૃતિના સઘન વાચન પછી અધ્યયનનો પ્રારમ્ભ જ વિશ્લેષણથી કરવાનો હોય છે. તેથી આ ઑજારોનો ઉપયોગ મને આપણા અધ્યાપકો અને વિવેચકો માટે પણ ઉપયોગી લાગે છે. જો કે એથી વાચનપ્રમાદીઓને લાભ છે, પણ દેખીતું છે કે એટલા લાભથી અધ્યયનમાં પ્ર-ગતિ નહીં થાય. ખરો લાભ તો એ છે કે વિશ્લેષણથી કૃતિનાં ભાષિક અંગાંગની બધી રેખાઓ ઊઘડી આવે છે, એમાં રહેલી કેટલીક સૂક્ષ્મતાઓ તરફ ધ્યાન જાય છે. સાહિત્યક્ષેત્રે પ્રવર્તતાં પૂર્વવર્તી માનવ-મૂલ્યાંકનોમાં સુધારા-વધારા કરવાની જરૂરત પણ સમજાય છે.
સાહિત્યસંશોધનક્ષેત્રે પણ વિશ્લેષણો ઘણાં જરૂરી છે, ઉપયોગી પણ છે. વિવિધ સિદ્ધાન્તો વચ્ચે પ્રવર્તતાં સામ્ય અને ભેદની જાણકારીથી સિદ્ધાન્તજ્ઞાન વિકસે, નવા સિદ્ધાન્ત રચવાનું સામર્થ્ય લાધે. સામ્પ્રતમાં, પીએચ.ડી. પદવીના આકાંક્ષુઓ વિશ્લેષણથી પ્રારમ્ભ કરે છે કે શેનાથી, તેની મને ખબર નથી, પણ તેઓને આટલી વાતથી વિશ્લેષણની સંશોધનમાં અકાટ્ય અનિવાર્યતા છે એ ખયાલ તો આવી જ જવો જોઈશે. એ સંદર્ભમાં, Literature search tools-નો વિનિયોગ કરવો જોઈશે.
મેં માહિતી મેળવી કે Google Scholar, MLA Handbook, કે Chicago Manual of Style એવાં ઑજારો છે. ગૂગલ, સાહિત્યના સંશોધકો માટે ઉપયોગી સર્ચ ઍન્જિન છે. એમાં, લેખો સામયિકો પુસ્તકો તેમ જ ડિસ્સર્ટેશન્સ પણ છે. ઍમ.ઍલ.એ. હૅન્ડબુક તેમ જ શિકાગો મૅન્યુઅલ ઑફ સ્ટાઇલ, સાહિત્યિક લેખો માટે જરૂરી એવી લખાવટની ગાઇડો છે. એ ઉમેરવાની જરૂર નથી કે આ ઑજારો પીએચ.ડી.ના માર્ગદર્શકો માટે પણ એટલાં જ ઉપયોગી છે.
વિશ્લેષણ નહીં પણ સંશ્લેષણ, વિવેચન કે સંશોધન નહીં પણ સર્જન, એમ સામા છેડાની સાહિત્યપ્રવૃત્તિ માટે Creative writing tools -નો વિનિયોગ કરવો જોઈશે. મેં માહિતી મેળવી કે Bard, GPT-3, કે QuillBot એવાં ઑજારો છે. આ ઑજારો અવનવાં વિષયવસ્તુઓ અને વિચારો પ્રેરે છે, જેનાં સંશ્લેષણથી કાવ્ય ટૂંકીવાર્તા લલિતનિબન્ધ વગેરે સર્જનો કરી શકાય એવી સહાય મળે છે.
‘એ.આઈ.’-ઑજારો પ્રયોજનારે એક શિસ્તબદ્ધ વ્યક્તિ તરીકે વર્તવું પડશે, ઘણું શીખવું પડશે :
૧ :
ઑજારો જેમ પોતાની મર્યાદાઓનો ખુલ્લા દિલથી સ્વીકાર કરે છે, એમ આપણે પણ એની આગળ (તેમ જ આપણા સૌ આગળ) જે ન જાણતા હોઈએ તે જણાવવું જોઈશે. એ પોતે પણ પોતાને વિશે હમેશાં એમ જ કહે છે કે – હું લાર્જ લૅન્ગવેજ મૉડેલ છું અને હજી બધું શીખું છું.
એ વિનમ્રતા છે અને જ્ઞાનીનું પરમ લક્ષણ છે, એનું અનુકરણ કરવું સૌના હિતમાં છે.
૨:
‘એ.આઈ.’ સાથે જોડાઈને કરવામાં આવતાં અધ્યયનો, કે કોઈપણ વ્યવહાર, કદી એકમાર્ગી નથી હોતો, હમેશાં ઇન્ટરઍક્ટિવ હોય છે. તેથી સૌથી વિશેષ નૉંધપાત્ર બાબત એ બને છે કે આપણને પ્રશ્નો કરતાં આવડવું જોઈશે; નહિતર, આપણા ભ્રાન્ત પ્રશ્નોને કારણે એ રવાડે ચડી જશે અને આપણને ય ચડાવશે. બાકી, આપણી વિશિષ્ટ જિજ્ઞાસાને એ એની મર્યાદામાં રહીને પૂરેપૂરી અચૂક સંતોષશે.
૩ :
ઘણાં ‘એ આઈ ’-ઑજારો પોતાના વપરાશની પદ્ધતિઓનું વીગતવાર ડૉક્યુમૅન્ટેશન રજૂ કરતાં હોય છે, એ માટે ટયુટોરિયલ્સ પણ યોજાયા હોય છે. એ જાણવાથી સાચી દિશાના પ્રશ્નો કરવાનું સૂઝશે, ભૂલો ઓછી થશે અને શરૂ થયેલી અધ્યયનપ્રક્રિયામાં આગળ વધાશે.
૪:
‘એ.આઈ.’-ઑજારોથી મળેલાં પરિણામો આપણા અધ્યયનમાં એક પૂર્તિ ગણાય. એને પ્રવર્તમાન પૂર્વવર્તી અધ્યયન-પદ્ધતિનો પર્યાય ન ગણાય. હું તો એમ પણ કહું કે એણે જે પરિણામો સંપડાવ્યાં એ માત્રસામગ્રી છે, અને તે પર કામ કરવું બાકી છે. એનો ગર્ભિત અર્થ એ છે કે એ પરિણામોને ઉપલબ્ધ માનવ-અધ્યયનો અને પુસ્તકો વગેરે સાથે જોડીને અધ્યયનને વિકસાવવાનું બાકી રહે છે.
૫ :
સાથોસાથ, ‘એ.આઈ.’-ઑજારોએ આપેલાં પરિણામો પર પૂરો ભરોસો ન મુકાય, એનું વિવેક વાપરીને મૂલ્યાંકન કરવું જોઈશે. કેમ કે, ‘એ.આઈ.’ પોતે કહે છે એમ એ હજી વિકસી રહ્યું છે ને ભૂલો કરી શકે છે.
હમેશાં એ સત્ય યાદ રાખવું જોઈએ કે કૃત્રિમ બુદ્ધિથી કે કુદરતી બુદ્ધિથી ઉપલબ્ધ થયેલું જ્ઞાનમાત્ર અધૂરું છે કેમ કે જ્ઞાન અનન્ત છે.
= = =
(10/14/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર