Opinion Magazine
Number of visits: 9663704
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 October 2025

રાજ ગોસ્વામી

અમિતાભ બચ્ચન અને સલીમ-જાવેદની જુગલબંધીમાંથી આવેલી ‘ત્રિશૂલ’ ફિલ્મ કોને યાદ ન હોય? 1973માં ‘ઝંઝીર’ ફિલ્મમાં સિનેમા ચાહકોએ પહેલીવાર એક એવા હીરોને જોયો જે ના તો હિરોઈન પાછળ ગીતો ગાતો હતો, ના તો હસતો હતો કે ના તો બાવડાં બતાવતો હતો. તેના લેખક સલીમ-જાવેદે, 1975માં ‘દીવાર’ ફિલ્મમાં આ એન્ગ્રી યંગ મેનને એકદમ મોકળું મેદાન આપી દીધું. ‘ઝંઝીર’નો કંઇક અંશે અનિશ્ચિત વિજય ‘દીવાર’માં પૂરા આત્મવિશ્વાસ સાથે છવાઈ ગયો હતો. સલીમ-જાવેદને તેમની પોતાની અંગત અને વ્યવસાયિક નિષ્ફળતા, નિરાશા અને અન્યાયની ભાવનાને વ્યક્ત કરવા માટે એક આદર્શ હીરો મળી ગયો હતો.

1978 સુધીમાં તો આ હીરો તેની એન્ગ્રી યંગ મેનની ઈમેજમાં ચપોચપ બેસી ગયો હતો. અને એ જ વર્ષે ‘ત્રિશૂલ’ આવી. ‘ઝંઝીર’ અને ‘દીવાર’ના વિજયનો ગુસ્સો સિસ્ટમ સામે હતો, પણ ‘ત્રિશૂલ’માં તેના ગુસ્સાનું ટ્રીગર તેની અંદર, તેના જન્મ સાથે જોડાયેલું હતું; તે એક નાજાયજ ઔલાદ હતો, જેનો પિતા તેની માતાને અન્યાયના અંધકારમાં છોડીને ઈજ્જતની જાહોજહાલી જીવવા જતો રહ્યો હતો. ‘ત્રિશૂલ’માં વિજયનો ગુસ્સો લાવાની જેમ ફૂટી પડ્યો હતો.

અગાઉ આપણે આ ફિલ્મ વિશે વાત કરી ગયા છીએ, પણ આજે તેના નામે બીજી એક ફિલ્મની વાત કરવાની છે. યશ ચોપરા નિર્દેશિત ‘ત્રિશૂલ’ ફિલ્મે એક અભિનેતાના રૂપમાં અમિતાભની ભાવનાત્મક ગહેરાઈની પરીક્ષા લીધી હતી અને તે તેમાં સફળ પણ રહ્યા હતા. તે જ વર્ષે તેમની ‘ગંગા કી સોગંધ,’ ‘કશ્મે વાદે,’ ‘બેશરમ,’ ‘ડોન’ અને ‘મુકદ્દર કા સિકંદર’ પણ આવી હતી, પરંતુ ‘ત્રિશૂલ’ તેના ભાવનાત્મક સંઘર્ષના કારણે બધી ફિલ્મોથી અલગ હતી અને આજે પણ યાદગાર છે.

સલીમ-જાવેદે ફિલ્મની વાર્તા એવા યુવાન પર કેન્દ્રિત કરી જે લગ્ન બહારના સંબંધમાં પેદા થયો હતો અને જેની માતા ગરીબી અને ગુમનામીમાં મૃત્યુ પામી હતી. ફિલ્મમાં તેમણે શરૂઆતથી અન્યાય અને બદલાની ભાવના રચી દીધી હતી. દિલ્હીના એક ધનિક વેપારી તરીકે રાજકુમાર ગુપ્તા(સંજીવ કુમાર)નું પાત્ર અમીર-ગરીબ વચ્ચેના અંતરને ઊભું કરે છે, જે સલીમ-જાવેદની ઘણી ફિલ્મોમાં જોવા મળતું હતું.

‘ત્રિશૂલ’માં એક ક્રોધિત પુત્ર તેના પિતા સામે અન્યાયનો બદલો જે આક્રમકતાથી લે છે તે રીત નવી હતી એટલું જ નહીં, એ પેઢીના દર્શકો માટે આકર્ષક પણ હતી. આવો અન્યાય નવો નહોતો, તેની રીત નવી હતી. પિતા-પુત્ર વચ્ચે ટકરાવ એક હકીકત પણ છે, પરંતુ વિજય જે રીતે તેના પિતાના સામ્રાજ્યને ધ્વસ્ત કરે છે તેવું આ પહેલાં કોઈ ફિલ્મમાં જોવા મળ્યું નહોતું.

બાકી જ્યાં સુધી વિષયવસ્તુની વાત છે ત્યાં સુધી, એક નાજાયજ પુત્ર તેના પિતા સામે બદલો લે તેવી વાર્તા 1968માં આવેલી ‘ઈજ્જત’ નામની ફિલ્મમાં પણ હતી. સલીમ-જાવેદ માટે કહેવાય છે કે તેઓ વિદેશી ફિલ્મો જોવાના બહુ શોખીન હતા. તેઓ વિદેશી ફિલ્મોની વાર્તાઓ, તેની ટેકનિક, સંવાદો અને પાત્રાલેખનનો બહુ અભ્યાસ કરતા હતા અને ક્યારેક તેનાથી પ્રેરાઈને અને ક્યારેક આખો આખો વિષય ઉપાડીને હિન્દીમાં ઢાળી દેતા હતા.

પરંતુ, ‘ત્રિશૂલ’માં તેમણે અગાઉની જ એક હિન્દી ફિલ્મની વાર્તા પરથી પ્રેરણા લીધી હતી. ‘ઈજ્જત’ ધર્મેન્દ્રની ફિલ્મ હતી (તેમાં તેમનો ડબલ રોલ હતો) અને 1968માં રિલીઝ થઇ હતી. ધર્મેન્દ્ર ત્યારે એકદમ ફોર્મમાં હતા. તે વર્ષે તેમની 6 ફિલ્મો આવી હતી, જેમાં ‘શિકાર,’ ‘મેરે હમદમ મેરે દોસ્ત’ અને ‘આંખે’ સફળ સાબિત થઇ હતી. આગલા વર્ષે, ‘સત્યકામ,’ ‘આદમી ઔર ઇન્સાન,’ ‘આયા સાવન ઝૂમકે’ અને ‘પ્યાર હી પ્યાર’ આવી હતી. 

‘ઈજ્જત’ એક જ કારણથી યાદગાર છે; દક્ષિણ ભારતનાં મોટાં સ્ટાર અને પાછળથી તમિલનાડુનાં મુખ્ય મંત્રી બનેલાં જયલલિતાની હિરોઈન તરીકે આ પહેલી અને છેલ્લી હિન્દી ફિલ્મ. તેમાં તેમણે જાનકી નામની એક આદિવાસીની ભૂમિકા કરી હતી (બીજી ભૂમિકા તનુજાની હતી). તે પહેલાં, 1962માં ‘મન મૌજી’ નામની ફિલ્મમાં તેમણે બાળ કલાકાર તરીકે બાળ કૃષ્ણની એક નાનકડી ભૂમિકા કરી હતી. તેલુગુ અને તમિલ ફિલ્મો બનાવનાર ટી. પ્રકાશ રાવ નામના નિર્દેશકે ‘ઈજ્જત’ બનાવી હતી એટલે તેમણે જયલલિતાને તેમાં લીધાં હોય તેવું બને. 

બહારહાલ, આ ફિલ્મની વાર્તા દુલાલ ગુહા નામના તે વખતના જાણીતા નિર્દેશકે (તેમણે ધર્મેન્દ્ર સાથે ‘પ્રતિજ્ઞા’ બનાવી હતી) એક અટકી પડેલી ફિલ્મનું કરજ ઉતારવા માટે લખી આપી હતી. ફિલ્મની વાર્તા રસપ્રદ હતી: 

શેખર (ધર્મેન્દ્ર) નામનો શરીરથી કાળિયો આદિવાસી ભણીને તેના ગામ પાછો ફરે છે ત્યારે ખબર પડે છે કે તેની માતા સાવલી મૃત્યુ પામી છે. તેને ફાધર અબ્રાહમ (મનમોહન કૃષ્ણા) સાંત્વન આપતાં રહસ્યસ્ફોટ કરે છે કે સાવલીને રામગઢના ઠાકુર પ્રતાપ સિંહ (બલરાજ સાહની) સાથે પ્રેમ હતો, પરંતુ ગર્ભવતી અને ગરીબ સાવલી સાથે લગ્ન કરવાનો ઇનકાર કરીને, સંપત્તિના મોહમાં ઠાકુરે બીજાં લગ્ન કરી લીધાં હતાં.

પોતાની અને પોતાની માતાની અસલિત જાણીને વ્યથિત થયેલો શેખર અન્યાયનો બદલો લેવા માટે રામગઢ જાય છે, જ્યાં તેનો સામનો ઠાકુરના શરીરે ગોરા પુત્ર દિલીપ (ધર્મેન્દ્રનો બીજો રોલ) સાથે થાય છે. દિલીપ શેખરને નોકરી પર રાખે છે, અને પછી શરૂ થાય છે ડ્રામા. 

આ ફિલ્મ ઓવર એક્ટિંગ અને મેલોડ્રામાને કારણે સામાન્ય સ્તરની બનીને રહી ગઈ હતી, પણ ધર્મેન્દ્રને તેમાં અનૌરસ અને ઔરસ સંતાનની ભૂમિકા કરવાની તક મળી હતી. હાસ્યાસ્પદ તો એ હતું કે બે હમશકલ ભાઈઓને જુદા પાડવા માટે નિર્દેશકે એકને કાળો રંગ આપ્યો હતો ને બીજાને ગોરો! તે વખતની ફિલ્મોમાં આવાં ગિમિક ચાલી જતાં હતાં કારણ કે દર્શકોમાં ઝાઝી અક્કલ નહોતી.

સલીમ-જાવેદ એટલા બુદ્ધુ નહોતા. તેમના સમય સુધીમાં હિન્દી ફિલ્મોમાં ઘણી પ્રગતિ થઇ હતી અને ખુદ જાવેદ અખ્તર અને સલીમ ખાન દુનિયાભરની ફિલ્મો જોઇને ઘણા હોંશિયાર થયેલા હતા. તેમણે ‘ઈજ્જત’ ફિલ્મમાં એક અનૌરસ પુત્ર તેના પિતા સાથે અન્યાયનો બદલો લે છે તેવો બેઝિક પ્લોટ ઉઠાવીને તેની આસપાસ લગ્ન બાહ્ય સંબંધ અને અનૌરસ સંતાનના સામાજિક મુદ્દાને અલગ રીતે વણ્યો હતો: 

‘ત્રિશૂલ’માં પુત્ર પોતાને નાજાયઝ નથી ગણતો. તે જ્યારે તેના પિતાના બિઝનેસ સામ્રાજ્યને ધ્વસ્ત કરી નાખે છે અને પોતે સફળ બિઝનેસમેન બની જાય છે ત્યારે, પિતા સામે બધા દસ્તાવેજને ફેંકતાં વિજય કહે છે, “ઔર આપ, મિસ્ટર આર. કે. ગુપ્તા, આપ મેરે નાજાયજ બાપ હૈ.” હિન્દી ફિલ્મોના દર્શકોએ આ પહેલાં ‘નાજાયજ બાપ’ શબ્દ ક્યારે ય સંભાળ્યો ન હતો.

એ જ રીતે, માતા શાંતિ (વહીદા રહેમાન) પૈસાદાર નબીરાની હવસનો ભોગ બનેલી બિચારી સ્ત્રી નથી. તે ખુદ્દારી સાથે તેના પુત્રન એક સાહસિક યુવાન તરીકે મોટો કરે છે, તે સલીમ-જાવેદની કહાનીઓમાં શક્તિશાળી સ્ત્રીઓની પરંપરાનું જ એક પાત્ર હતું. તેમણે તેમની તમામ ફિલ્મોમાં સ્ત્રી પાત્રોને બહુ સશક્ત રીતે પેશ કર્યાં છે. ‘ઈજ્જત’ની એક સાધારણ વાર્તા એક એક કાબેલ લેખકના હાથમાં આવીને કેટલી તાકાતવર બની જાય છે તેનું ‘ત્રિશૂલ’ જ્વલંત ઉદાહરણ છે.

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 29 ઑક્ટોબર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|30 October 2025

હેમન્તકુમાર શાહ

મુંબઈના બોરીવલી ઇસ્ટમાં આવેલા એક ભવ્ય સ્કાય સિટી મોલમાંના આઇનોક્સ થિયેટરમાં આશરે ૭૦ જેટલા ઉચ્ચ વર્ગીય દર્શકોની હાજરી સાથે આજે સવારે ૧૦.૪૫ના શોમાં એક મૂવી જોયું : ‘જોલી એલએલ.બી. ૩’.

એમાં છેલ્લે અર્શાદ વરસી અદાલતમાં જજને પૂછે છે કે દિલ્હીમાં વિકાસના એક પ્રોજેક્ટ માટે તેમનું એક ઘર સરકારને આપી દેવાનું તેઓ પસંદ કરશે?

“ના.” 

“કેમ?” 

જજ કહે છે : “મારી મરજી.”

આવા જ સવાલો અર્શાદ વરસી અગાઉ ‘બિકાનેર ટુ બોસ્ટન’ પ્રોજેક્ટ હેઠળ રાજસ્થાનના એક ગામની જમીન હડપ કરવા માગતા ઉદ્યોગપતિને પૂછે છે. તેઓ કશું બોલતા નથી પણ તેમના જે ભવ્ય બંગલાનો ફોટો અર્શાદ વરસી તેમને બતાવે છે તે ફાડીને ફેંકી દે છે. ઉદ્યોગપતિના વકીલને પણ તેમના વિશાળ ઘરનો ફોટો બતાવીને અર્શાદ વરસી એ જ સવાલ પૂછે છે અને કોઈ જવાબ તેઓ આપતા નથી. 

જજને પછી સીધો સવાલ : “તો પછી ગામલોકોની મરજીનું કોઈ મૂલ્ય કેમ નહીં?” અને જજ ગામના કિસાનોને તેમની જમીન પાછી આપવાનો ચુકાદો આપે છે! 

નોંધપાત્ર બાબત એ છે કે, “આપ આમ કાટ કે ખાતે હો કિ ચૂસ કે?” જેવો વાહિયાત સવાલ નરેન્દ્ર મોદીને ફેક પત્રકાર તરીકે પૂછનાર અક્ષયકુમાર આ મૂવીમાં કિસાનોની જમીન માટે લડાઈ લડે છે અને નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિઓ ભેગા મળીને આ દેશના જે વિકાસની દુહાઈ  દીધા કરે છે તેનાં છોતરાં ફાડી નાખે છે ભરી અદાલતમાં. 

આશ્ચર્ય થાય કે મૂવીમાં જે અક્ષયકુમાર પહેલાં ઉદ્યોગપતિનો વકીલ બને છે તેનું હૃદયપરિવર્તન થાય છે અને તે પછી કિસાનોનો વકીલ બની જાય છે! અક્ષયકુમાર ગામમાં પોલિસ આવીને જબરજસ્તી કરવાની છે, ઘરો પર બુલડોઝર ચાલવાનાં છે ત્યારે કિસાનોને અહિંસાના પાઠ શીખવે છે! બુલેટ ટ્રેન જેવા વિકાસની તો અક્ષયકુમાર હાંસી ઉડાવે છે. જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટર તરીકેની ભૂમિકા ભજવનાર સ્ટ્રેચર પર અદાલતમાં આવીને સત્ય બોલે છે કે તેણે જમીન સંપાદન કાયદાનો દુરુપયોગ કરીને ઉદ્યોગપતિને કિસાનોની જમીન આપી દેવામાં ભ્રષ્ટાચાર કર્યો છે. આમ, એનું પણ હૃદયપરિવર્તન! 

પોતાની જમીન જતી રહી એના આઘાતમાં એક કિસાન આત્મહત્યા કરે છે. એનું નામ છે રાજારામ અને એની વિધવા પત્નીનું નામ છે જાનકી. બંનેનાં નામ પણ સૂચક છે અત્યારના ‘જય શ્રી રામ’ના હિંસક અને ડરામણા બની ગયેલા નારાના આજના માહોલમાં. 

ઉદ્યોગપતિ, કલેક્ટર, વકીલ, રાજકીય નેતા એવા સરપંચ અને હિંસક બળ તરીકે પોલિસ કેવી રીતે આ વિનાશક વિકાસના ભાગીદાર લાભાર્થીઓ છે અને મિલીભગતથી કામ કરે છે એ બખૂબીથી આ મૂવીમાં દર્શાવ્યું છે. કાશીને ક્યોટો અને દેશનાં અન્ય શહેરોને વિદેશી શહેરો જેવાં બનાવવામાં આવશે એવાં મોદીનાં વચનો કેટલાં ખોખલાં છે તે પ્રતીક તરીકે “બિકાનેર ટુ બોસ્ટન” એમ ત્રણ શબ્દોથી વ્યક્ત થયું છે.  

એક વાર “દેશભક્ત” શબ્દ પણ આ મૂવીમાં ઉચ્ચારાય છે ત્યારે એમ લાગે છે કે ભારતમાં આજે જે છદ્મવેશી દેશભક્તિનો આફરો ચડેલો છે તે ભોંયભેગો કરી નંખાયો! 

ફેંકાફેંકી કરનારા નરેન્દ્ર મોદી માટે ફેક પત્રકાર બનેલા અક્ષયકુમારે ખરેખર મોદીના ‘સબકા સાથ, સબકા વિકાસ’માં કોનો સાથ છે, કોનો વિકાસ છે અને કોનો વિનાશ છે તે પોતાના સંવાદો દ્વારા અહીં છતું કરી દીધું! આશ્ચર્ય! નરેન્દ્ર મોદીની વિકાસની કેરી અક્ષયકુમારે ગોટલાછોતરાં સાથે, કાપ્યાચૂસ્યા વિના આખેઆખી મોદીના મોં પર છૂટ્ટી મારી.

નાનામોટા હાસ્યના પ્રસંગો સાથે કહેવાતા વિકાસની જે ગંભીર ક્ષતિઓ છતી થઈ છે આ મૂવીમાં તે કાબિલેદાદ છે. આ મૂવી મનોરંજન નથી પણ વિકાસના અતિરંજન સામેનો અવાજ છે. ફેક પત્રકાર બનેલ અક્ષયકુમાર આવા મૂવીમાં ભૂમિકા ભજવે એ જ ઘણું કહેવાય! વિકાસ માટે કેટલાક લોકોએ બલિદાન તો આપવું પડે ને. પણ કોણે આપવાનું એ બલિદાન, એવો સવાલ સોંસરો ઊતાર્યો છે આ મૂવીમાં.

એમ લાગે છે કે આવાં મૂવી બનાવવાની હિંમત હશે અને તે લોકોને જોવા મળે એટલી અભિવ્યક્તિની આઝાદી બાકી બચી હશે તો, આ મૂવીમાં દસ કિસાનોના જાનનું બલિદાન લેવાય છે તેમ, અનેક લોકોનાં બલિદાનો પછી પણ દેશમાં લોકશાહી ટકી રહેવાની સંભાવના રહેશે. 

તા.૨૯-૧૦-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 October 2025

ચંદુ મહેરિયા

તમિળ અભિનેતા વિજયની વેલુસમ્યપુરમ્‌, કરુરની રાજકીય રેલી અને રોડ શોમાં ઉમટેલી ભારે ભીડથી સર્જાયેલી અવ્યવસ્થામાં ૪૧ લોકોના મોત થયા છે. ભીડને કારણે થતાં મોતની આ કોઈ પહેલી દુર્ઘટના નથી અને ભીડના સુચારુ સંચાલનના અભાવે તે કદાચ છેલ્લી પણ નહીં હોય. 

ગયા વરસના જુલાઈમાં ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના મુગલગઢી ગામે ભોલે બાબાની સત્સંગ સભા પછી મચેલી નાસભાગ અને બાબાના દર્શનની તાલાવેલીથી સર્જાયેલી અંધાધૂંધીમાં ચગદાઈને ૧૨૩ લોકો મરણને શરણ થયા હતા. ઉત્તરા ખંડના હરિદ્વારના મનસા દેવી મંદિરના શ્રાવણી મેળામાં પહાડી રસ્તા પર વીજળીનો તાર પડવાની અફવા પછી લોકો ગભરાઈને ભાગતા, સીડીઓ પરથી પડતાં ૬ લોકો માર્યા ગયા હતા. પ્રયાગરાજ કુંભમેળાની ભગદડમાં ૩૧ લોકોના જીવ ગયા હતા. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કુંભ યાત્રીઓની ભારે ભીડ તો હતી જ. ટ્રેઈનના પ્લેટફોર્મ બદલાવાની વાતે ભીડ દોડી અને ૧૮ લોકો માર્યા ગયા હતા. આઈ.પી.એલ.ની મેચમાં આ વરસે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીતની તાબડતોબ ઉજવણીમાં બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઉમટેલી અસીમિત ભીડમાં ચગદાઈને ૧૧ લોકોએ મોત મેળવ્યું હતું. 

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે ૧૯૯૬થી ૨૦૨૨માં STAMPEDE TRAGEDY (નાસભાગની દુર્ઘટના) ૩૯૩૫ હતી તેમાં ૩,૦૦૦ લોકોના મરણ થયા હતા. એક અન્ય અહેવાલ મુજબ ૨૦૨૫ના પહેલા છ મહિનામાં નાસભાગની છ દુર્ઘટનાઓમાં ૭૮ લોકોના મોત થયા હતા.

રાજકીય રેલીઓ અને સભાઓ, મેળા, યાત્રા, કથા, સત્સંગ અને અન્ય ધાર્મિક આયોજનો, તહેવારો અને ઉત્સવોની ઉજવણીઓ, સ્પોર્ટ્સ, ઈવેન્ટ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન, એસ્કેલેટર, મૂવિંગ વોકવે, કોન્સર્ટ,  સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમો,  મોલ, સેલિબ્રિટીના ફિલ્મ પ્રમોશન અને કોમર્શિયલ એડર્વટાઈઝના રોડ શો, સરઘસો, અનાજ વિતરણ અને મહિલાઓને સાડી કે બીજી જરૂરિયાતની વસ્તુઓનું મફત વિતરણ, કુદરતી આફતોમાં જરૂરિયાતોનું વિતરણ, તોફાનો, રમખાણો, આગ લાગવી અને અફવા ફેલાવી તથા સરકારી સમાંરભો એવા મોટા આયોજનો છે કે જેમાં મોટી ભીડ ભેગી થાય છે કે કરવામાં આવે છે. આ આયોજનોમાં ભીડનું યોગ્ય સંચાલન ન થાય કે તેનું નિયંત્રણ ન  થાય ત્યારે દુર્ઘટના સર્જાય છે. ભીડની નાસભાગ જીવલેણ બને છે અને અનેક લોકો ઘાયલ થાય છે. 

ભારત જેવા વિશાળ દેશમાં મોટા રાજકીય, ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક આયોજનો રોજેરોજ થતા હોય છે તેમાં ખૂબ બધા લોકો ભેગા થાય છે. જો આ ભીડનું  સરળ અને સુચારુ પ્રબંધન ન થાય તો દુર્ઘટનાઓ ઘટે છે. નબળું અને અપૂરતું ભીડ વ્યવસ્થાપન, રાજકીય શક્તિ પ્રદર્શન  માટે હજારોની ભીડ ભેગી કરવી પણ સલામતીની વ્યવસ્થા ન કરવી, સભા કે આયોજન સ્થળની ક્ષમતા કરતાં વધુ લોકોની ભીડ ભેગી થવી, અચાનક ગભરાટ કે અફવા ફેલાવી, આયોજન સ્થળે વીજળી જતી રહેવી કે ઓછો પ્રકાશ, નેતા, અભિનેતાનું મોડુ પહોંચવું કે વિલંબથી લોકો કંટાળીને થાકી જાય, સાંકડા રસ્તા, આયોજન સ્થળે પ્રવેશ અને ગમનના અલગ રસ્તા ન હોવા કે લોકોની સંખ્યાના પ્રમાણમાં પૂરતા ન હોવા, આયોજકો, પોલીસ અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનનો અભાવ, નાસભાગ, ધક્કામુક્કી અને અનિયંત્રિત ભીડને કાબૂમાં લેવા અપૂરતી સલામતી વ્યવસ્થા, દુર્ગમ સ્થળ, પહાડી કે ઢોળાવવાળા રસ્તા, બેરિકેડસ, રેલિંગ કે પુલ તૂટવો, લપસી જવાય તેવી જગ્યા,  મંદિર કે બીજા ધાર્મિક સ્થળનું પ્રવેશદ્વાર અચાનક ખૂલવું જેવા કારણોથી ભીડ અનિયંત્રિત બને છે, અવ્યવસ્થા અને અંધાધૂંધી ફેલાય છે. 

મોટા સમારંભો કે આયોજનોમાં લોકોની આવજા સલામત, વ્યવસ્થિત અને સુચારુ રીતે પાર પાડવાની પ્રક્રિયા એટલે ભીડ પ્રબંધન કે ક્રાઉડ મેનેજમેન્ટ. માનવસર્જિત દુર્ઘટનાઓ રોકવા માટે ભીડ પ્રબંધન મહત્ત્વનું સાધન છે. એટલે જો ક્રાઉડ મેનેજમેન્ટ યોગ્ય હોય તો ક્રાઉડ કન્ટ્રોલ કરવામાં સરળતા રહે છે. આ માટે આયોજકો સાથે સ્પષ્ટ આયોજન જાણવું અને સંકલનમાં રહેવું જરૂરી છે. જો આયોજકોની જાણ બહાર કે તેમણે શાસનને જણાવ્યું ન હોય અને ક્ષમતા કરતાં વધુ ભીડ એકઠી થાય ત્યારે તેનું સંચાલન પોલીસ અને વહીવટી તંત્ર માટે જવાબદારી અને પડકાર બંને છે. 

જ્યાં હજારો લોકો એકત્ર થવાના હોય તેવા આયોજનોમાં અગાઉથી રિહર્સલ કરવું જોઈએ. મોકડ્રિલ કરવી જોઈએ. આધુનિક ક્રાઉડ મેનેજમેન્ટ ટેકનિક, મેડિક્લ, ફાયર અને બીજી એજન્સીઓની સ્થળ પર હાજરી, ઈમરજન્સી એકઝિટ તથા ડિજિટલ મોનિટરિંગ ભીડને નિયંત્રણમાં રાખવા અનિવાર્ય છે. જ્યાં ધક્કામુક્કી કે નાસભાગની શક્યતાઓ વિશેષ છે તેવા વિસ્તારને અલગ તારવવા અને તબીબી ટીમ હાજર રાખવી. સી.સી.ટી.વી., જી.પી.એસ., ડ્રોન અને થર્મલ કેમેરાનો ઉપયોગ કરવો, ભીડને કાબૂમાં રાખવા તેને નાના જૂથોમાં પ્રવેશ આપવો કે બહાર જવા દેવી, ભીડના અનુમાન માટેની સિસ્ટમ ઉપયોગમાં લેવી. આ પ્રકારનાં પગલાંથી ભીડથી થતી નાસભાગ રોકી શકાશે. ભીડ નિયંત્રણ મુશ્કેલ જરૂર છે પરંતુ ભીડ પ્રબંધનથી ભીડભંજન બનવું અશક્ય નથી. 

લોકોએ પણ આ પ્રકારની સ્થિતિ ઊભી થાય ત્યારે સંયમ અને ધીરજથી કામ લેવું જોઈએ. ઘાંઘા થવાથી કે મગજ ગુમાવવાથી પોતાને અને બીજાઓને પણ વધુ મુશ્કેલીમાં મૂકી શકીએ છીએ તે યાદ રાખવાની જરૂર છે. 

ભીડને કારણે સર્જાયેલી દુર્ઘટનાઓ સમયે આયોજકો અને સરકારની સંવેદનહીનતા જોવા મળે છે. બેંગલુરુ દુર્ઘટના વખતે જ્યારે સ્ટેડિયમની બહાર લોકો કચડાતા રહ્યા હતા કે મરી રહ્યા હતા ત્યારે આઈ.પી.એલ.ની ટીમનું સન્માન ચાલતું હતુ અને તેમાં કર્ણાટકના કાઁગ્રેસી મુખ્ય મંત્રી અને બીજા મંત્રીઓ હાજર હતા. કુરુરમાં લોકો મરી રહ્યા હતા ત્યારે અભિનેતા વિજય સભાસ્થળ છોડી ગયા હતા. પછીથી તેમણે મૃતકોને આર્થિક સહાય જરૂર કરી પણ તત્સમયે તેમનું વર્તન સંવેદનહીન હતું તેની આલોચના અદાલતે કરી છે. પ્રયાગરાજ કુંભ મેળામાં તો મૃતકોની સંખ્યા જ જાહેર થતી નહોતી અને જે જાહેર થઈ છે તે વિશ્વસનીય નથી. 

ક્રાઉડ મેનેજમેન્ટ અંગેના વર્તમાન કાયદા કે નિયમો ઉપરાંત રાજ્યો અને કેન્દ્ર સરકારે દિશાનિર્દેશો જારી કર્યા છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયની એસ.ઓ.પી.(સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર)માં સોશિયલ મીડિયા અને પડોશી દેશોમાં જેન-ઝી અશાંતિને ધ્યાનમાં રાખીને પણ નિર્દેશો આપવામાં આવ્યા છે. કર્ણાટક સરકારે નવું ક્રાઉડ કન્ટ્રોલ બિલ વિધાનસભામાં રજૂ કર્યું છે. તેમાં ભીડ પ્રબંધનની જોગવાઈઓ સાથે વિરોધપક્ષોના વિરોધ પ્રદર્શનો પર લગામ મૂકતી જોગવાઈઓ કરીને વિપક્ષનો ભારે વિરોધ સહન કરવો પડ્યો છે. એટલે બિલને વિધાનસભાની સમિતિને વધુ સમીક્ષા માટે સોંપવું પડ્યું છે. જેમ હાથરસમાં ભોલે બાબાને બી.જે.પી. સરકારે તેમ કરુરમાં એકટર વિજયને ડી.એમ.કે. સરકારે તે સાવ નિર્દોષ ઠરે તેવું વલણ રાખ્યું છે. લોકોના જીવનમરણમા પણ રાજકીય પક્ષોનું રાજકારણ યથાવત રહે છે. 

હાથરસથી કરુરની દુર્ઘટનાઓ હ્રદયવિદારક છે અને સંચાલન તંત્ર સામે અનેક સવાલો ઉઠાવે છે. ભીડ નિયંત્રણ માટેની સંવેદનશીલ અને ચોક્કસ નીતિ કે કાયદાનો અભાવ અને મોટા આયોજનોથી લોકોના થતા મોતને હળવાશથી લેવાની માનસિકતા કરૂરની દુર્ઘટનાનું પુનરાવર્તન રોકી શકશે તેમ લાગતું નથી.  

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...95969798...110120130...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved