Opinion Magazine
Number of visits: 9457923
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહારાષ્ટૃમાં બી.જે.પી.ને ક્યારે ય બહુમતી મળી નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|6 July 2023

રમેશ ઓઝા

શિવસેના પ્રમુખ બાળ ઠાકરે પુત્રપ્રેમ અને ન્યાયની વચ્ચે અટવાઈ ગયા હતા અને તેમણે ભત્રીજા રાજ ઠાકરેને અન્યાય કર્યો હતો. એમાં કોઈ શંકા નથી કે રાજ ઠાકરે બાળ ઠાકરેના દેખીતા રાજકીય વારસદાર માનવામાં આવતા હતા. તેઓ તરૂણાવસ્થાથી બાળ ઠાકરેની સાથે હતા, બાળ ઠાકરેના ‘માર્મિક’ નામનાં સામયિકમાં તેમને મદદ કરતા હતા, શરૂઆતના વર્ષોમાં શિવસેનાની શાખાઓનું પ્રબંધન કરતા હતા, સારા વક્તા તો છે જ અને ઠાકરેબંધુઓમાં સૌથી વધુ પરસેવો રાજ ઠાકરે પાડતા હતા અને તે છતાં ય બાળ ઠાકરેએ પુત્રમોહથી ગ્રસ્ત બનીને રાજ ઠાકરેને અન્યાય કર્યો હતો અને તેમની જગ્યાએ ઉદ્ધવ ઠાકરેને આગળ કર્યા હતા.

શરદ પવાર અને અજિત પવારનો કિસ્સો બીજા છેડાનો છે. અજિત પવારમાં કોઈ પ્રકારની આવડત નથી, તે અસંસ્કારી માણસ છે, બોલવાનું ભાન નથી, બફાટ કરીને પોતાને જ હાસ્યાસ્પદ બનાવે છે, સત્તાભૂખ્યા માણસ છે અને ઉપરથી અવ્વલ દરજ્જાના ભ્રષ્ટ માણસ છે. શરદ પવારે અજિત પવારને પોતાનાં અનુગામી જાહેર નહીં કરીને તેમને કોઈ અન્યાય નથી કર્યો. ઊલટું જે માણસ જાહેરજીવનને લાયક નથી એવા માણસને માત્ર ભત્રીજો છે એટલે આટલો મોટો નેતા બનાવીને શરદ પવારે મહારાષ્ટ્ર સાથે અન્યાય કર્યો છે. એનો અર્થ એવો નથી કે પવારપુત્રી સુપ્રિયા સુલે પવારનાં રાજકીય વારસદાર બનવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ સુપ્રિયા સભ્ય અને સંસ્કારી છે જે રીતે ઉદ્ધવ ઠાકરે છે.

અજિત પવાર બળવો કરવાના જ હતા. ૨૦૧૯માં રાજ્ય વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યાં ત્યારે પણ તેમણે કાકાની વિરુદ્ધ જઈને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન તરીકે સોગંદ લીધા હતા, પણ પછી જ્યારે તેમને ખબર પડી કે કોઈ મોટી સંખ્યામાં વિધાનસભ્યો તેમની પાસે નથી એટલે તેઓ પાછા આવ્યા હતા. દેખાવ એવો કરાવામાં આવ્યો હતો કે એ અજિત પવારનો બળવો નહોતો, પણ શરદ પવારનો અજિત પવાર સામેના કેસ પાછા ખેંચાવી લેવાનો માસ્ટર સ્ટ્રોક હતો.

હવે જ્યારે શરદ પવારે વિધિવત્ પોતાની પુત્રી સુપ્રિયા સુલેને વારસદાર જાહેર કરી દીધાં છે એટલે અજિત પવાર પાસે જવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. મહત્ત્વાકાંક્ષા, અસંસ્કાર, લાંબી ગણતરી કરવાની ક્ષમતાનો અભાવ અને ભ્રષ્ટાચાર શરદ પવારની છત્રછાંયામાં ઢબૂરી દેવામાં આવતાં હતાં જે નવી સ્થિતિમાં શક્ય નહોતું. જે લોકો મહારાષ્ટ્રનાં રાજકારણથી પરિચિત છે અને અજિત પવારને ઓળખે છે એ જાણે છે કે અજિત પવારનું કોઈ રાજકીય ભવિષ્ય નથી, પણ અજિત પવાર આ નથી જાણતા. એ જાડી બુદ્ધિનો માણસ છે.

રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પાર્ટીમાં જે બન્યું એને માટે શરદ પવારની દયા ખાવી જોઈએ ખરી? ભારતમાં લગભગ બધા જ (એકાદ બે અપવાદ છોડીને) પ્રાદેશિક રાજકીય પક્ષો પરિવારની પેઢી જેવા છે. પક્ષમાં લોકતંત્ર હોતું નથી પણ વારસદારી ચાલે છે. બીજું શરદ પવારે પણ એ જ કર્યું હતું જે અજિત પવાર કરી રહ્યા છે. ૧૯૯૯માં કાઁગ્રેસ છોડતી વખતે તેમની પણ એ જ ગણતરી હતી જે અજિત પવારની છે. જો વડા પ્રધાનપદ ગાંઘી પરિવારને જ મળવાનું હોય તો બહાર નીકળીને જેનીતેની સાથે સોગઠાં ગોઠવીને હાથપૈર શું કામ ન મારવા! શરદ પવાર અને અજિત પવાર વચ્ચે ફરક માત્ર સંસ્કાર, આવડત અને દૂરંદેશીનો છે. જે રાજકીય સંસ્કાર શરદ પવારે અપનાવ્યા હતા એ વારસામાં ઊતર્યાં છે.

અજિત પવાર સાથે જેટલા વિધાનસભ્યો ગયા છે એ તમામ સામે ઇ.ડી.ના કેસ છે. વિરોધ પક્ષોને તોડવા માટે ઇ.ડી.નો દુરુપયોગ કરાવામાં આવે છે. હવે બધા ભા.જ.પ. સાથે હાથ મેળવીને પવિત્ર થઈ જશે. બી.જે.પી.ના નેતાઓ જાણે છે કે કયા કયા રાજકીય પક્ષોમાં કોણે ભ્રષ્ટાચાર કર્યો છે. તેમને બે જ વિકલ્પ આપવામાં આવે છે. કાં તો પક્ષ સામે બળવો કરીને તમારા પક્ષને કમજોર કરો અથવા જેલમાં જાવ. આ બધાં અઘોષિત ઈમરજન્સીનાં લક્ષણો છે. 

બી.જે.પી.એ ગયા વર્ષે શિવસેનામાં વિભાજન કરાવીને મહારાષ્ટ્રમાં સરકાર તો રચી પણ પરેશાનીનો પાર નહોતો. શિંદે-જૂથના દરેક વિધાનસભ્યને પ્રધાનપદુ જોઈતું હતું. બીજું, સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ રાજ્ય વિધાનસભાના સ્પીકરે પક્ષાંતર કરનારા સેના વિધાનસભ્યોના ભાગ્યનો ફેંસલો કરવાનો છે. આદેશ આપ્યે ત્રણ મહિના થઈ ગયા છે, પણ કેટલા દિવસ ટાળી શકાય. સર્વોચ્ચ અદાલતે જે શબ્દોમાં મહારાષ્ટ્રના ગવર્નર અને સ્પીકરની ટીકા કરી છે એ જોતાં સાવ બેશરમ બનીને નિર્ણય લઈ શકાય એમ નથી. ત્રીજું, સેનાને તોડ્યા પછી મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સેના માટે સહાનુભૂતિ એટલી પ્રચંડ છે કે બળવાખોરો અંદરથી ડરેલા છે. જો પ્રધાનપદું પણ ન મળે તો સોળના ભાવમાં લૂંટાઈ જવા જેવું થાય. બી.જે.પી.ના નેતાઓ ત્રસ્ત હતા અને તેને રાહતની જરૂર હતી. હવે કદાચ થોડી રાહત મળશે.

પણ સૌથી મોટી સમસ્યા તો એ છે કે મહારાષ્ટ્રમાં બી.જે.પી. માટે અનુકૂળતા નથી. આ એક એવું રાજ્ય છે જ્યાં બી.જે.પી.ને કયારે ય બહુમતી મળી નથી અને નરેદ્ર મોદીના હોવા છતાં પણ બી.જે.પી. બહુમતીની નજીક સુદ્ધાં પહોંચી શકી નથી. માટે તો મુંબઇ મહાનગરપાલિકાની અને અન્ય સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી યોજવામાં આવતી નથી. વરસ પહેલાં મુદ્દત પૂરી થઈ ગઈ હોવા છતાં ચૂંટણી જાહેર કરવામાં આવતી નથી કારણ કે તેમને ખબર છે કે મોટું ધોવાણ થવાનું છે.

એમ તો એવું પણ કહેવાય છે કે અજિત પવારના બળવા પાછળ શરદ પવારનો હાથ છે. તેમણે જ બળવો કરવા માટે થોડા વિધાનસભ્યો આપ્યા હશે અને અજિત પવાર નામની ઘેલી કન્યાને સાસરે વળાવ્યા પછી વળાવિયા પાછા આવી જાય. કન્યા સાસરે રખડી પડે અને પિયરનાં દરવાજા બંધ થઈ જાય. એ પછી સુપ્રિયા સુલે સામે કોઈ પડકાર ન રહે. શરદ પવારે પોતે જ કહ્યું છે કે હું સ્થિતિ પલટાવી આપીશ. શરદ પવાર ચતુર માણસ હોવાની ખ્યાતિ ધરાવે છે અને છે પણ એટલે શરદ પવારને લઈને આવી થિયરીઓ વહેતી રહે છે.

દરમ્યાન શરદ પવારના ચહેરા પર શાંતિ અને સ્વસ્થતા જોઈ? તેમણે પંચાવન વરસની લાંબી રાજકીય યાત્રામાં સ્વસ્થતા ગુમાવી હોય એવું ક્યારે ય જોવા મળ્યું નથી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 06 જુલાઈ 2023

Loading

ટાઈટેનિક: પ્રેમની અને જહાજની ટ્રેજેડી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 July 2023

રાજ ગોસ્વામી

111 વર્ષ પહેલાં, નોર્થ એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયેલું ‘ટાઈટેનિક’ કયારે ય સમાચારોમાંથી ગાયબ રહેતું નથી. આધુનિક માનવ ઇતિહાસનું (જે તે વખતે) જેટલું મોટું જહાજ હતું, એટલી જ મોટી એ દુર્ઘટના હતી. તેનું જ્યારે નિર્માણ કરવામાં આવ્યું, ત્યારે તેને સૌથી સુરક્ષિત જહાજ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. 15 એપ્રિલ 1912ના રોજ તે સમુદ્રમાં ડૂબ્યું, ત્યારે તેમાં 2,224 મુસાફરો સવાર હતાં. એમાંથી 1,500થી વધુ લોકો, જહાજની સાથે જ, પાણીમાં ગરકાવ થઇ ગયાં.

23મી જૂને ‘ટાઈટેનિક’ ફરીથી સમાચારોમાં ચમક્યું. એનો કાટમાળ હજુ પણ સમુદ્રના તળિયે છે. સમુદ્રશાસ્ત્રીઓથી લઈને સાહસિકો વખતો વખત ડૂબકી મારીને તેની શોધખોળ કરતાં રહે છે. 23મી તરીકે, ‘ધ ટાઈટેન’ નામનું એક સબમર્સીબલ વાહન ‘ટાઈટેનિક’ની જ્યાં જળસમાધિ છે ત્યાં ધડાકા સાથે ડૂબી ગયું અને એમાં સવાર પાંચ લોકોનાં મોત થઇ ગયાં.

જહાજ ડૂબ્યાના 73 વર્ષ પછી, 1985માં, સમુદ્રના તળિયે તેનો કાટમાળ પહેલીવાર શોધવામાં આવ્યો તે પછી ‘ટાઈટેનિક ટુરિઝમ’ની શરૂઆત થઇ હતી. અમેરિકાની ઓસિયનગેટ નામની એક કંપની આવી ટુર ચલાવે છે. મિનિવાન કદનું ‘ધ ટાઈટેન’ વાહન આ કંપનીનું હતું. તે સમુદ્રમાં તૂટી ગયું તેના સમાચાર આવ્યા ત્યારે, ૩૩ વખત એ કાટમાળનાં ચક્કર મારી આવનારા  હોલિવૂડના ફિલ્મ નિર્દેશક જેમ્સ કેમરોને બી.બી.સી.ને કહ્યું હતું કે તેમને જ્યારે પહેલીવાર એ સમાચાર મળ્યા હતા કે સબમર્સીબલનો નેવિગેશન અને કોમ્યુનિકેશન સંપર્ક થતો નથી, ત્યારે જ તેમને ફાળ પડી હતી કે તેની સાથે દુર્ઘટના થઇ છે.

“મેં તરત જ સબમર્સીબલ સમુદાયમાં મારા સંપર્કોને ફોન લગાવ્યો હતો,” કેમરોને કહ્યું હતું, “એકાદ કલાકમાં જ મારી પાસે અમુક તથ્યો આવી ગયાં હતાં. એ લોકો 3,500 મીટર પર હતા અને નીચે 3,800 મીટર તરફ ઉતરી રહ્યા હતા. તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો, અને મેં તરત જ કહ્યું – મોટી દુર્ઘટના વગર સંપર્ક ન તૂટે. મારી શંકા હતી કે અંદર સ્ફોટ થયો છે.”

તેમણે ઉમેર્યું હતું, “મારી નજર સામે એવું દૃશ્ય તરી ગયું જેમાં લોકો ચીસાચીસ કરતાં હોય અને ઓક્સીજન માટે ફાંફા મારતાં હોય. એ કેવી વિડંબના છે કે 1912માં જે જગ્યાએ ટાઈટેનિક ડૂબી ગયું હતું, તે જ જગ્યાએ ધ ટાઈટેન ડૂબી ગયું. બંને વખતે ચેતવણીઓને ગણકારવામાં આવી નહોતી.”

આ જેમ્સ કેમરોન એ જ છે જેમણે 1997માં જગપ્રસિદ્ધ ‘ટાઈટેનિક’ ફિલ્મ બનાવી હતી. 2012માં, કેમેરોને ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ સમાચાર પત્રને કહ્યું હતું કે 13,000 ફીટ નીચે ટાઈટેનિક જ્યાં ડૂબી ગયું હતું તે દુનિયાની સૌથી અઘરામાં અઘરી જગ્યા છે. ત્યાં સમુદ્રના તળિયેથી તમે કોઈને બચાવ માટે પણ બોલાવી ન શકો. તેમને એ જગ્યા જોવી હતી, જ્યાં માણસ પહેલાં ક્યારે ય ગયો નહોતો.

મૂળ કેનેડામાં જન્મેલા કેમરોન કોલેજમાં ભણવાને બદલે ટ્રક ચલાવતા હતા અને જ્યોર્જ લુકાસની અંતરીક્ષ ફિલ્મ ‘સ્ટાર વોર્સ’ જોઇને ફિલ્મો અને તેની સ્પેશ્યલ ઈફેક્ટ તરફ આકર્ષાયા હતા. 1989માં તેમણે ‘ધ એબીસ’ નામની ફિલ્મ બનાવી હતી, જેમાં સમુદ્રમાં ઓઈલ-રિગ પર કામ કરતા કર્મચારીઓને સમુદ્રમાં વિચિત્ર પ્રજાતિનો ભેટો થાય છે. તે વખતથી તેમનામાં સમુદ્રના પેટમાં શું હોય તેનું કુતૂહલ જાગ્યું હતું.

‘ટાઈટેનિક’માં ફર્સ્ટ-ક્લાસમાં પ્રવાસ કરતી અમીર પરિવારની રોઝ બકટેર (કેટ વિન્સ્લેટ) અને થર્ડ-ક્લાસના મુસાફર જેક ડાઉસન(લીયોનાર્ડો ડિકેપ્રીઓ)ની વાર્તા છે. બંને ચાર દિવસની તેમની ટાઈટેનિક યાત્રા દરમિયાન પ્રેમમાં પડે છે. એક બાજુ તેમના એ રોમાન્સ અને એમાં આવતી અડચણો અને બીજી જહાજનું હિમશીલા સાથે ટકરાઈને ડૂબી જવું એ બે ઘટનાઓ એકસાથે ફિલ્મમાં ચાલતી રહે છે. છેલ્લે જેક રોઝને તરાપા પર તરતી રાખીને ખુદ બરફ જેવા કાતિલ પાણીમાં ઠરી જઈને અવસાન પામે છે.

આખી ફિલ્મ ફ્લેશબેકમાં હતી. ફિલ્મની શરૂઆતમાં, ટાઈટેનિક જહાજના કાટમાળની શોધખોળ કરી રહેલા અમુક ગોથાખોરો, વૃદ્ધ થઇ ગયેલી રોઝ પાસેથી આંખે દેખ્યો અહેવાલ માંગે છે. રોઝ તે કેવી રીતે લંડનમાં જહાજ પર સવાર થઇ અને કેવી રીતે જેકને ભટકાઈ ત્યાંથી વાર્તા કહેવાનું શરૂ કરે છે. આખી ફિલ્મ આમ જુઓ તો બોલિવૂડની રોમેન્ટિક ફિલ્મ જેવી છે. તે વખતે ઘણા ફિલ્મ વિવેચકોએ કહ્યું પણ હતું કે જેમ્સ કેમરોને બોલિવૂડ લવ-સ્ટોરી બનાવી છે, જેમાં એક અમીર છોકરી છે, એક ગરીબ છોકરો છે, બંને વચ્ચે પ્રેમ છે અને છોકરીનો પરિવાર એમાં વિલન બને છે.

2009માં, કેમરોને પ્લેબોય પત્રિકાને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમણે પ્રેમ-કહાની કહેવા માટે કે પૈસા કમાવા માટે ‘ટાઈટેનિક’ ફિલ્મ બનાવી નહોતી, બલકે તેમને જહાજના કાટમાળ સુધી ડૂબકી મારીને તેને શૂટ કરવું હતું. કેમેરોન પોતે સારા ગોથાખોર છે. તેમણે કહ્યું હતું, “ટાઈટેનિકનો કાટમાળ સમુદ્રનો માઉન્ટ એવરેસ્ટ છે. ગોથાખોર તરીકે મારે ત્યાં જવું હતું. મને જ્યારે ખબર પડી કે અમુક લોકો આઈમેક્સ ફિલ્મ બનાવવા માટે ટાઈટેનિક સુધી ગોથું મારી આવ્યા છે, તો મને થયું કે હું એક ફિલ્મ બનાવીશ જેથી ત્યાં જવાનો ખર્ચો નીકળી જાય. એક ખોજયાત્રીનું કામ સૌથી અઘરો અનુભવ કરવાનું અને પાછા આવીને તેની વાર્તા કહેવાનું છે.”

પરંતુ, વર્ષો પહેલાં એક ડૂબી ગયેલા જહાજ એક જહાજના કાટમાળને શૂટ કરવા માટે કોણ પૈસા આપે? (આજના હિસાબે તે 20 કરોડ રૂપિયામાં બની હતી) એટલે કેમરોને ફાયનાન્સરોને લલચાવવા માટે આઈડિયા લડાવ્યો કે શેક્સપિયરના સદાબહાર પ્રેમીઓ, રોમિયો અને જુલિયેટ, ટાઈટેનિક જહાજ પર હોય તો કેવું? રોમિયો અને જુલિયેટની પ્રેમ કહાની પર દુનિયાભરમાં અનેક ફિલ્મો બની છે. આપણે ત્યાં બોલિવૂડમાં ‘એક દુજે કે લિયે’, ‘બોબી’, ‘સોદાગર’, ‘કયામત સે કયામત તક’ અને ‘સનમ તેરી કસમ’ જેવી ફિલ્મો બની છે.

તેની વાર્તા સર્વકાલીન છે: રોમિયો અને જુલિયેટ ગળાડૂબ પ્રેમ છે, પણ તેમનો પરિવાર એકબીજાને નફરત કરે છે. બંને લગ્ન કરવાનું નક્કી કરે છે, પણ જુલિયેટને ત્રણ દિવસમાં કાઉન્ટ પેરિસ સાથે પરણાવી દેવાનો કારસો ગોઠવાય છે. આમાંથ બચવા માટે જુલિયેટ પાદરી પાસે એવું ઔષધિ માંગે છે, જે પીવાથી તે મૃત નજર આવે.

પાદરીએ આ વાત રોમિયોને કહેવાની હોય છે પણ તે પહેલાં રોમિયો માની લે છે કે જુલિયેટ મરી ગઈ છે. એટલે તે જુલિયેટની ‘કબર’ પર જઈને તેને ચૂંબન કરે છે અને પોતાની પાસે રાખેલું ઝેર પી જાય છે. તે ફરી જુલિયેટને ચૂંબન કરે છે અને જુલિયેટ આંખો ખોલે તે પહેલાં મરી જાય છે. પ્રેમીને મૃત જોઇને દુઃખી થઇ ગયેલી જુલિયેટ રોમિયોની કટાર ખેંચીને પોતાના હૃદયમાં મારી દે છે, જેથી પરપુરુષથી બચી શકે.

‘ટાઈટેનિક’માં એ જ વાર્તાને થોડા ફેરફાર સાથે એવી રીતે સમાવામાં આવી હતી કે પ્રેમીઓની ટ્રેજેડી અને જહાજની ટ્રેજેડી સાથે-સાથે ચાલે. જેમ્સ કેમરોનને ફિલ્મની સફળતા વિશે બહુ આશા નહોતી. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, “ફિલ્મ પૂરી થવાના છેલ્લા છ મહિના હતા, ત્યારે મને થયું હતું કે મારી કેરિયર પતી જશે. મને લાગ્યું હતું કે આમાં પૈસા નહીં બને. મને થયું હતું કે મેં ટ્વેંટીએથ સેન્ચુરીની તિજોરીમાં મોટું ગાબડું પાડ્યું છે અને મને એ લોકો માફ નહીં કરે.”

પરંતુ ‘ટાઈટેનિક’ એ વખતની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઇ એટલું જ નહીં, 14 ઓસ્કાર નોમિનેશનમાંથી 11 એવોર્ડ લઇ ગઈ. કેમરોન કહે છે કે તેનું કારણ કંઇક અંશે ટાઈટેનિક જહાજની પોતાની વાર્તા છે. ઇતિહાસમાં એ દિવસે શું થયું હતું તેનું કુતૂહલ આ ફિલ્મની લોકપ્રિયતા માટે જવાબદાર છે. તે કહે છે, “હું હંમેશાં માનું છું કે એક સદાબહાર પ્રેમ કહાનીમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને ઉર્જા બક્ષે છે. ફિલ્મમાં જેક રોઝને જીવન આપે છે. છેલ્લા શોટમાં અમે તેની એ ભૂરી આંખોમાં તેના 103 વર્ષને પસાર થતું બતાવ્યું હતું. જેકે તેને આટલી મોટી ગીફ્ટ આપી હતી.”

ફિલ્મની વાર્તાની અને કેમરોનના નિર્દેશનની તો ઘણી બધી વાતો છે પણ તેમની ચીવટની બે નાનકડી વાતો નોંધવા જેવી છે: ફિલ્મ ફ્લેશબેકમાં છે, એટલે વર્તમાન સમય અને ફિલ્મની ક્રેડીટનાં રીલ્સ કાઢી નાખીએ, તો ફિલ્મની કુલ લંબાઈ બે કલાક અને ચાલીસ મિનિટની છે. 1912માં, ટાઈટેનિકને ડૂબતાં પણ એટલો જ સમય લાગ્યો હતો. બીજું, હિમશીલા સાથે જહાજની ટક્કર 37 સેકન્ડની હતી. ફિલ્મમાં પણ એ દૃશ્ય 37 સેકન્ડનું છે.

(પ્રગટ : ‘સુપરહિટ’, “સંદેશ”; 05 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચાલો, હરારી પાસે – 4  

સુમન શાહ|Opinion - Opinion|5 July 2023

સુમન શાહ

ઓલૉફ જોહાન્નેસન નામના એક સ્વીડિશ પદાર્થવિજ્ઞાનીને સાહિત્યનો પણ ચસ્કો હતો. એમણે ‘ધ ગ્રેટ કમ્પ્યૂટર એ વિઝન’ નામની સાયન્સ-ફિક્શન લખેલી. વીસમી સદીના નવમા દાયકાની વાત છે. માર્મિક વાત કરતાં એમણે કહેલું તે સાંભળવા જેવું છે : કુદરતને કમ્પ્યૂટરો બનાવવાની મનીષા થઈ. એ કામ સીધેસીધું શક્ય ન્હૉતું એટલે પ્રથમ એણે માણસો બનાવ્યા, અને માણસોએ આજે કમ્પ્યૂટરો બનાવ્યાં છે :

એમના આ વિધાનના અનુસન્ધાનમાં મેં લખેલું કે કુદરતની મનીષા ફળી છે. કુદરતનાં બુદ્ધિશાળી મશીનોએ – મનુષ્યોએ – બીજાં વધારે બુદ્ધિશાળી મશીનો – કમ્પ્યૂટરો – બનાવ્યાં છે. જો માણસ પોતાના જેટલું જ બુદ્ધિશાળી મશીન બનાવી શકશે તો એક દિવસ પોતાથી વધુ બુદ્ધિશાળી મશીન પણ બનાવી શકશે – આ સીધી તાર્કિક ઉપપત્તિ છે !

પણ કમ્પ્યૂટરો ‘એ.આઇ.’-ની પેદાશ છે. આજે કુદરતી બુદ્ધિ અને કૃત્રિમ બુદ્ધિ વચ્ચે જો સંઘર્ષ ઊભો થયો છે, તો કૃત્રિમ બુદ્ધિ – એ.આઈ. – શું છે એ જાણવું અત્યન્ત જરૂરી બની જાય છે.

એ પછી, મારે ખાસ તો એ જાણવું અને જણાવવું છે કે ‘એ.આઈ.’ વિશે હરારીનાં શાં મન્તવ્યો છે.

સૌ પહેલાં ‘એ.આઈ.’ વિશે :

‘એ.આઈ.’ માનવબુદ્ધિની નકલ કરી શકે છે. ગતિશીલ કમ્પ્યૂટિક ઍન્વાયર્મૅન્ટમાં ઘડાયેલાં ઍલ્ગોરિધમ્સના નિર્માણ અને વિનિયોગના માધ્યમથી માનવબુદ્ધિએ ઊભી કરેલી પ્રક્રિયાઓની નકલ કરવા માટેનો એ એક આધાર છે. સાદા શબ્દોમાં કહીએ તો, પરમ્પરાગત રીતે જેમાં માનવ-બુદ્ધિની જરૂર પડે એ બધાં કામો કમ્પ્યૂટરો દ્વારા કરાવનારી બુદ્ધિ ‘એ.આઈ.’ છે.

‘એ.આઈ.’ મનુષ્યનાં ચિત્ત-મગજની વિવિધ પૅટર્ન્સનો તેમ જ તેની જ્ઞાનપ્રક્રિયાનાં વિશ્લેષણો કરીને આગળ વધે છે અને એ પ્રકારે નિરન્તર પાવરધું થતું રહે છે. એનાં એ અભ્યાસોને પરિણામે બુદ્ધિશાળી કહી શકાય એવાં સૉફ્ટવેઅર્સ અને સિસ્ટમ્સ વિકસતાં રહે છે.

‘એ.આઈ.’-ને ઍલ્ગોરિધમ્સ અને કમ્પ્યૂટર્સ શ્રેણી દ્વારા પ્રયોજાતી એક અદ્યતન ટૅક્નોલૉજિ પણ કહેવાય છે. ‘એ.આઈ.’ માણસો ન કરી શકે એવા અતિ કદ ધરાવતા ડેટા – લાર્જ ઍમાઉન્ટ ઑફ ડેટા – પ્રોસેસ કરી શકે છે. બીજી રીતે કહીએ તો કમ્પ્યૂટરોને ‘એ.આઈ.’ માણસ જેવાં બનાવવા માગે છે – માણસની જેમ એ વિચારો કરી જાણે અને તદ્દનુસારનાં કામો કરી આપે. એ માણસો સેવે એવાં ધ્યેય સેવે છે; જેમ કે, પૅટર્ન્સને પરખવી, નિર્ણયો કરવા, જજમૅન્ટસ્ લેવાં. જુઓ ને, ‘એ.આઈ.’ રીયલ-ટાઈમમાં નિર્ણયો લઈ શકે છે, અને એ માટે એમાં રીયલ-ટાઇમ-ડેટાનો વિનિયોગ કરાય છે.

‘એ.આઈ.’ વિશે હરારી :

હરારીનું અનુમાન છે કે ‘એ.આઇ.’ – એ માનવ-સભ્યતાની ઑપરેટિન્ગ સિસ્ટમને હૅક કરી છે. કહે છે કે સ્ટોરી-ટેલિન્ગ કમ્પ્યૂટર્સ માનવ-ઇતિહાસનો રાહ બદલી નાખશે.

હૅકિન્ગ એટલે કમ્પ્યૂટર્સ, સ્માર્ટફોન્સ, ટૅબ્લેટ્સ વગેરે સાધનોનો દુરુપયોગ; સિસ્ટમ્સને કરપ્ટ કરી નાખવી, વપરાશકારોની શક્યતમ માહિતી તફડાવી લેવી, ડેટા અને ડૉક્યુમૅન્ટ્સની ચોરીઓ કરવી તેમ જ ડેટા-સંલગ્ન પ્રવૃત્તિમાં ખલેલ ઊભી કરવી.

હવે જો હરારીનો તર્ક એમ ચાલે છે કે આ હૅકિન્ગ માનવ-સભ્યતા સમગ્રની ઑપરેટિન્ગ સિસ્ટમ સાથે થઈ રહ્યું છે, તો આપણે પણ એમની સાથે ચાલી જોઈએ :

હરારી કહે છે કે કમ્પ્યૂટર-યુગના પ્રારમ્ભથી જ ‘એ.આઇ.’ ભયજનક ભાસ્યું છે. એથી માનવતાને રંજાડ થયો છે. આજ સુધી મશીનો તરફથી ભય હતો, ભૌતિક સાધનોના વપરાશથી માણસો ગુલામ, પરાધીન, બની ગયેલા. પરન્તુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં નવાં ‘એ.આઇ.’ સાધનો જનમ્યાં છે; એથી તો માનવ-સભ્યતાનું અસ્તિત્વ એક અણધારી દિશાએથી સાવ જ જોખમમાં મુકાઇ ગયું છે.

‘એ.આઇ.’ હવે નૉંધપાત્ર ક્ષમતાઓ ધરાવે છે. એ હવે ધ્વનિઓ, શબ્દો અને ચિત્રો સહિત ભાષાઓમાં ફેરફારો કરી શકે છે, નવતાઓ સરજી શકે છે. 

હરારી જણાવે છે કે ભાષાની સામગ્રી લગભગ બધી જ સંસ્કૃતિઓમાંથી સંભવી છે. દાખલા તરીકે, માનવ-અધિકારો; એ કંઈ આપણા ડી.ઍન.એ.માં નથી કોતરાયા કે લખાયા ! બલકે એ તો આપણે વૃત્તાન્તો – સ્ટોરીઝ – કહીને તેમ જ કાયદાકાનૂન ઘડીને સરજેલી સાંસ્કૃતિક કલાકૃતિઓ છે, બનાવટો છે. દાખલા તરીકે, દેવો કંઈ ભૌતિક વાસ્તવિકતા નથી, એ તો, આપણે દન્તકથાઓ કે મિથ્સ – પુરાણગાથાઓ – ઉપજાવીને તેમ જ શાસ્ત્રો લખીને સરજેલી બનાવટો છે.

હરારી જણાવે છે કે નાણું પણ સાંસ્કૃતિક કલાકૃતિઓ છે, બનાવટો છે, બૅન્કનોટ્સ રંગીન કાગળો તો છે ! અને હવે તો, ૯૦% નાણું બૅન્કનોટ્સ પણ નથી – એ કમ્પ્યૂટરોમાં સ્થિત માત્ર ડિજિટલ ઇન્ફર્મેશન છે ! આ તો નાણું છે, મૂલ્યવાન છે, એ તો, બૅન્કરો નાણાં પ્રધાનો અને બનાવટી નૉટોના ગુરુઓએ ઘડી કાઢેલાં વૃત્તાન્તો છે. હરારી નામોલ્લેખ સાથે જણાવે છે કે બૅન્કમૅન-ફ્રાઇડ, ઍલિઝાબેથ હોમ્સ અને બર્ની મૅડોફ નાણાંના મૂલ્યકારો ન્હૉતા, પણ તેઓ મહા સમર્થ સ્ટોરીટેલર્સ હતા.

હરારી પૂછે છે : સરેરાશ માણસ કરે એવી વાર્તાઓથી ચડિયાતી વાર્તાઓ ‘એ.આઇ.’ એટલે કે કૃત્રિમ એટલે કે ન-માનવીય બુદ્ધિ કરવા માંડશે તો શું થશે? ગીતોનાં એ સ્વરનિયોજન કરશે, ચિત્રો દોરી આપશે, કાયદા અને શાસ્ત્રો લખી આપશે, તો શું થશે? શાળાનાં બાળકો નિબન્ધો લખવા ચૅટજી.પી.ટી. અને એનાં જેવાં નવ્ય ‘એ.આઇ.’ ટૂલ્સ વાપરતાં થશે, તો શું થશે?

વિચારવા માટે હરારી મોટું ઉદાહરણ આપે છે : ૨૦૨૪-માં થનારી અમેરિકન પ્રૅસિડેન્ટની રેસમાં થનારા ‘એ.આઇ.’-ટૂલ્સના વપરાશથી ન્યૂ કલ્ટ્સ માટે જે પોલિટિકલ સામગ્રી ઘડાશે, ફૅક-ન્યૂઝ અને સ્ટોરીઝ વહેતાં થશે, તેના પ્રભાવની કલ્પના કરો.

એમણે આપેલા ‘QAnon કલ્ટ’-ના ઉદાહરણની વાત હવે પછી કરીશ.

પણ મને લાગે છે, આ ક્ષણે ગુજરાતી સાહિત્યના ભાવિની કલ્પના કરી લેવી ઘટે. મને પણ એ માટે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જરાક જોવાની જરૂરત લાગે છે :

હેમચન્દ્રાચાર્યથી પ્રારમ્ભાયેલા અને દયારામ પાસે થંભેલા સાહિત્યને આપણે મધ્યકાલીન ગણીએ છીએ. એના કેન્દ્રમાં ઈશ્વર હતો. નર્મદથી શરૂ થયેલા અર્વાચીન સાહિત્યના કેન્દ્રમાં મનુષ્ય અને સમાજ હતાં. સુરેશ જોષીથી પ્રારમ્ભાયેલા આધુનિકતાપરક સાહિત્યના કેન્દ્રમાં મનુષ્યવ્યક્તિ અને તેનું અસ્તિત્વ હતાં.

પરન્તુ હવે જો ‘ચૅટજી.પી.ટી.’ જેવાં નવ્ય ‘એ.આઇ.’ ઉપકરણો દ્વારા સાહિત્ય લખાશે તો તેના કેન્દ્રમાં શું હશે? લોકો ‘ચૅટજી.પી.ટી.’ જેવું જ સાધન ‘ગૂગલ બાર્ડ’ વાપતા થઈ જશે તો શું થશે? તેના કેન્દ્રમાં સમાજ, વ્યક્તિ અને અસ્તિત્વ ત્રણેય તત્ત્વો હશે; એટલું જ નહીં, એ તત્ત્વો ગુજરાતીતા અને ભારતીયતાથી પણ રંજિત હશે. વગેરે.

એથી લખાનારા સાહિત્યનું સ્વરૂપ શું હશે? બધું જોડણીશુદ્ધ અને વ્યાકરણસંગત હશે. પ્રૂફરીડરની જરૂરત નહીં પડે. ગઝલ રદીફ-કાફિયાથી સુગઠિત હશે. ગીત મિલનનાં કે વિરહનાં માગો એ માત્રાનાં, વળી, સ-ચિત્ર રચી આપશે. ઇચ્છો તો ગાઇ પણ બતાવશે. છન્દોબદ્ધ રચનામાં છન્દદોષ નહીં હોય. અછાન્દસની લંબાઈ માગો એ માપની હશે. ટૂંકીવાર્તા માટે પણ પેલો હઠીલો તન્ત્રી માગે છે એ ૨૦૦૦ શબ્દ જ મુકરર નહીં હોય, માગો એટલા-માં કરી આપશે. આજકાલ નવલકથા નથી લખાતી કેમ કે એમાં લેખક અને વાચકનાં જીવનોનો ઘણો સમય ખરચાઈ જાય છે. પણ ‘એ.આઇ.’ ટૂંકી કે દીર્ઘ કે માગો એટલા ભાગની લખી આપશે. વાંચતાં કંટાળનારાને વાંચી પણ સંભળાવશે.

વાતનો અંકે કરવાલાયક સાર એ છે કે આ ઘટનાઓ સામે કુદરતી બુદ્ધિવાળો લાચાર થઈ જશે. કાવ્યશાસ્ત્રમાં પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસને કાવ્યહેતુ કહ્યા છે – સર્જનમાં કારણભૂત પરિબળો. પણ ‘એ.આઇ.’-ની સર્જકતા પાસે એ ગમે તેટલો પ્રતિભાશાળી હશે, ઝંખવાઈ જશે; એની વ્યુત્પન્ન મતિ ટૂંકી પડશે; એના અભ્યાસ કે પ્રૅક્ટિસિસ ઓછાં પડશે.

= = = 

(07/04/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...950951952953...960970980...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved