Opinion Magazine
Number of visits: 9457952
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણ વિભાગમાં કોઈ માણસ પણ હશેને !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 July 2023

એ જ આશ્વાસન લેવાનું રહે કે શિક્ષણ વિભાગમાં કોઈ માણસ પણ હશે, જે પરિસ્થિતિનો તાગ પામે ને ઘટતું કરે. કરુણતા એ છે કે શિક્ષણ વિભાગ રાક્ષસી રીતે સક્રિય છે અને શિક્ષકો તથા વાલીઓ શરમજનક હદે નિષ્ક્રિય છે. શિક્ષણ વિભાગને તુક્કાઓનું એવું વળગણ છે કે તઘલખ તો એની સામે પાણી ભરતો લાગે. જ્યાં લગ્ન માટે 22ની એક કન્યા જોઈએ, ત્યાં વિભાગ 10-10ની બેથી કામ ચલાવતો હોવાનું લાગે છે. સાદી વાત એટલી છે કે 2017થી ત્રીસેક હજાર કાયમી શિક્ષકોની ઘટ છે, તેની પૂરા પગારે નક્કી થયેલી સવલતો સાથે નિમણૂક કરવાની છે, તેને બદલે શિક્ષણ વિભાગ પ્રવાસી શિક્ષકો, વિદ્યાસહાયકો, જ્ઞાનસહાયકોથી કામ કાઢે છે ને તે પણ એવી રીતે કે વિભાગની માનસિકતા અંગે પ્રશ્નો થાય.

રવીન્દ્ર પારેખ

1997માં બાલગુરુ યોજના દાખલ કરાઇ, તે 1998માં વિદ્યાસહાયકનાં નવાં નામે ઓળખાઈ, તે બંધ કરીને હવે જ્ઞાનસહાયક યોજના દાખલ થઈ છે. શિક્ષકોની નિમણૂક માટેની આવી યોજનાઓમાં થાય છે એવું કે શાળામાં પૂરતી સંખ્યામાં શિક્ષકો ભાગ્યે જ પૂરા પડે છે. વિદ્યાસહાયકનું સુખ એ હતું કે 1998થી 2022 સુધીમાં 2 કે 5 વર્ષે 1,67,729નો નિયમિત મહેકમમાં સમાવેશ થયો, પણ જ્ઞાનસહાયકમાં ચાલાકી એ છે કે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર શિક્ષકોની નિમણૂક તો થાય, પણ કોન્ટ્રાક્ટ પૂરો થતાં માસ્તરે ફરી નોકરી શોધવાની થાય ને એમ 11-11 મહિને લેવાયા કરે તો પણ એની નોકરીનું પાકું ન થાય અને માસ્તર એમ જ ઘરડો થઈ રહે. આ યોજના પૂરતી સરકાર નફાખોર વેપારીની ભૂમિકામાં છે, એટલે જ્ઞાનસહાયક યોજનાનો સખત વિરોધ થવો જોઈએ. સરકારની દાનત કોઈ પણ રીતે શિક્ષકની ઘટને પૂરી કરવાની નથી જ નથી. અત્યારે ટેટ-ટાટની પરીક્ષા પાસ કરનારા 40,000 શિક્ષકો તૈયાર બેઠા છે, પણ એમની નોકરીનાં કોઈ ઠેકાણાં નથી. જતે દિવસે માસ્તરો મજૂરની જેમ કલાક પર રખાય તો નવાઈ નહીં ! ધારો કે સરકાર કાયમી ધોરણે 30,000 શિક્ષકોની ઘટ પૂરી કરે તો પણ, ટેટ-ટાટ પાસ કરેલ 10,000 શિક્ષકો ફાજલ પડે એમ છે, આટલો ફુગાવો હોય ત્યાં શિક્ષકોની ભરતીમાં અખાડા થાય એમ બને ને એમાં નિર્દોષતા નહીં હોય એ પણ ખરું  !

વારુ, સ્કૂલોમાં પૂરતી સંખ્યામાં શિક્ષકો હોય તો ધૂળ નાખી, પણ ત્યાં શિક્ષકો નથી અને 2017થી શિક્ષકોની ઘટથી સ્કૂલો ચાલે છે. રાજ્યની 700 સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે ને ઊનાની વાવરડાની એક સ્કૂલમાં તો બે વર્ષથી ધોરણ 11-12માં સમ ખાવા પૂરતો પણ એક શિક્ષક નથી. વિદ્યાર્થીઓ શાળાએ આવે છે ને ભણ્યા વગર જ સાંજે પાછા ફરે છે. આ બધું કોને કારણે છે તે કહેવાની જરૂર નથી, પણ કમાલ એ છે કે પૂરી ખંધાઈથી શિક્ષણ વિભાગ પરીક્ષા બોર્ડ પાસેથી એ વિગતો માંગે છે કે બોર્ડમાં નબળું પરિણામ કેટલી શાળાઓનું છે? આ વર્ષે ધોરણ 10-12ની 233 સ્કૂલો એવી છે, જેનો એક પણ વિદ્યાર્થી બોર્ડમાં પાસ થયો નથી. સૂરતની વાત કરીએ તો 10-12ની 20 શાળાઓ 30 ટકાથી ઓછું પરિણામ લાવી છે. તેમાં ચાર શાળાઓનું પરિણામ કેવળ શૂન્ય છે. બને કે DEO સ્કૂલોને તાળાં મરાવે કે આચાર્યનો ઇન્ક્રિમેન્ટ અટકાવે. 233માંની મોટાભાગની સ્કૂલો સરકારી છે. જે ગ્રાન્ટેડ સ્કૂલો છે તેમની ગ્રાન્ટ કપાવાની શક્યતા છે, તો સરકારી સ્કૂલોમાંથી જેનું પરિણામ શૂન્ય આવ્યું છે, એના શિક્ષકોને દંડવાની વાત પણ છે. શક્યતા તો એવી પણ છે કે શૂન્ય પરિણામ લાવનારી સ્કૂલો બંધ થાય. આ તો ભાવતું હતું ને વૈદે કહ્યા જેવું થયું. સ્કૂલો બંધ કરવાની તો આમ પણ સરકારને નવાઈ નથી, ત્યાં શૂન્ય પરિણામ સ્કૂલો બંધ કરવાનું બહાનું આપે તો એનો લાભ લેવાનું કોણ ચૂકે? શૂન્ય પરિણામ આપતી સ્કૂલો ભલે બંધ થાય, પણ શૂન્ય પરિણામ આપતો શિક્ષણ વિભાગ ચાલુ રાખવો કે બંધ કરવો તેનો જવાબ કોણ આપશે?

માની લઇએ કે સ્કૂલો કે શિક્ષકો શૂન્ય પરિણામ માટે જવાબદાર હોય તો પણ, શિક્ષણ વિભાગ ઓછો જવાબદાર નથી. વરસોથી પૂરતી સંખ્યામાં શિક્ષકો ન હોય, હોય ત્યાં શિક્ષણ ઉપરાંતની જવાબદારીમાં, ડેટા પૂરા પાડવામાં, વર્ગશિક્ષણ નામ પૂરતું જ થયું હોય, તેનું પરિણામ નબળું આવે તો તેનું આશ્ચર્ય ન થવું જોઈએ કે પછી શિક્ષણ વિભાગ એમ સાબિત કરવા માંગે છે કે શિક્ષકો વગર પણ સ્કૂલો સારો દેખાવ કરી શકે એમ છે? એવું બને કે શિક્ષક ન હોય ને પછી તો સ્કૂલો પણ ન હોય ને એમાં ઉત્તમ પરિણામનો દાવો ભવિષ્યમાં શિક્ષણ વિભાગ કરે.

શિક્ષકોનાં ઠેકાણાં નથી, એટલું જ નહીં, સ્કૂલોનાં ય ઠેકાણાં નથી. 15 જુલાઇના જ સમાચાર છે કે વલસાડની 283 પ્રાથમિક શાળાઓ મરવાને વાંકે જીવી રહી છે. મંજૂર થયેલા ઓરડાઓ બનાવવામાં વિલંબ થઈ રહ્યો છે, એટલે બાળકો ઓટલા પર કે ખુલ્લા શેડમાં, મંદિરોમાં કે કોમ્યુનિટી હોલમાં ભણે છે. બન્યું એવું કે 914 ઓરડા જર્જરિત થઈ જતાં સક્ષમ અધિકારીએ તે તોડીને નવા કરવાનું કહ્યું, જેમાંથી 631 ઓરડા તોડી પડાયા ને 283 તોડવાના બાકી છે. ચોમાસામાં આવી કંગાળ સ્થિતિ હોય ત્યાં શિક્ષણકાર્ય કેવું અને કેટલું થતું હશે એ કલ્પવાનું અઘરું નથી. એક તરફ ઓરડાનાં ઠેકાણાં નથી, તો જ્યાં સગવડો છે ત્યાં સંચાલકો મનમાની કરતાં હોય તેવું પણ બને છે. નડિયાદના મહુધામાં આવેલી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ સ્કૂલ સામે જ વિરોધ કરતી જણાઈ છે ને તેમના વાલીઓ સુધી આ વાત પહોંચાડવાની સ્કૂલ પેરવી કરે છે. વિદ્યાર્થિનીઓને વાંધો એ વાતે પડ્યો છે કે સ્કૂલના સંચાલકોએ એકાએક જ સવારની પાળીમાં ચાલતી સ્કૂલનો સમય બપોરનો કરી નાખ્યો છે. આનો વાંધો પડતાં વિદ્યાર્થિનીઓએ હોબાળો કર્યો ને સ્કૂલને પોલીસ બોલાવવાની ફરજ પડી. વિદ્યાર્થિનીઓનો વિરોધ એટલે વાજબી છે, કારણ એમાંની ઘણી ગામડેથી આવે છે ને સવારની પાળી હતી તો બપોર પછી ઘરે પહોંચી જતી હતી, જ્યારે દિવસનો સમય થતાં, ઘરે પહોંચતાં રાત પડી જાય છે. વિદ્યાર્થિનીઓએ વારંવાર આ અંગે અને પાણી, ગંદકી જેવી બાબતે રજૂઆત કરી, પણ શાળા સંચાલકોએ એમની વાતને કાને ધરી નથી. આમ તો કોઈએ પણ શાળાનો સમય બપોરનો કરવાનું કહ્યું નથી, તો સંચાલકોને એકાએક શાળાનો સમય બપોરનો કરવાનું કેમ થયું તે સમજાતું નથી.

કોણ જાણે કેમ પણ શિક્ષણ જગતમાં અરાજકતા એ સ્થાયિભાવ થઈ ગયો છે. બધાંએ બધું સારું જ કરવું છે, પણ સારું બહુ જ ઓછું થાય છે. 2020થી નવી શિક્ષણનીતિ લાગુ થઈ છે, તેનો હેતુ તો સારો જ છે, પણ પોલિસી ગમે એટલી સારી હોય, તો પણ તેને અમલમાં મૂકનારાં પરિબળો, તેને અનુરૂપ વાતાવરણ ન સર્જી શકે તો તે પોલિસીનો કોઈ અર્થ રહેતો નથી. બારણે અદ્દભુત કાર આવીને પડી હોય, પણ તેને ચલાવનાર જ કોઈ ન હોય કે હોય પણ અણઘડ રીતે જ ચલાવતાં હોય તો કારનો કોઈ મતલબ રહેશે? પોલિસી બહુ સરસ હોય, પણ વર્ગખંડોનાં ઠેકાણાં ન હોય, વિદ્યાર્થીઓને તે પોલિસી મુજબ યોગ્ય રીતે ભણાવનાર શિક્ષકો ન હોય, હોય તો તેને ભણાવવા સિવાયનાં કામોમાં જ જોતરી દેવાયા હોય તો એ પોલિસી ધૂળ જ ખાશે કે બીજું કૈં? આ બધું શિક્ષકો અને તેમનાં યુનિયનો જાણે છે, પણ તેમને ભય છે અથવા તો તેઓ મતલબી છે. પગાર વધારા ઉપરાંત પણ ઘણાં કામો શિક્ષકો અને યુનિયનોની સક્રિયતા ઈચ્છે છે. જો કે, કાયમી શિક્ષકોની ભરતીનો જ્ઞાનસહાયક યોજનાથી છેદ ઊડ્યો છે, એટલે હજારો વાલીઓ નારાજ છે, તો યોગ્ય લાયકાત ધરાવનારા શિક્ષકો પણ જ્ઞાનસહાયક યોજનાના વિરોધમાં 18મીથી ગાંધીનગરમાં આંદોલન છેડવાની ફિરાકમાં છે તે ય ખરું.

નવું સત્ર મહિના પર શરૂ થઈ ગયું હોવા છતાં, પ્રવાસી શિક્ષકોની કોઈ વ્યવસ્થા ન થઈ હોવાથી સંચાલકો અને આચાર્યોમાં પણ રોષ ભભૂકી ઊઠ્યો છે. શાળા સંચાલક મંડળની શુક્રવારે મળેલી સભામાં સત્વરે પ્રવાસી શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓ ન મળે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. એક વાત સ્પષ્ટ છે કે અનેક સરકારી સમારંભોમાં છૂટથી ખર્ચાઓ થાય છે ને એકથી વધુ પેન્શન ખાવાનો એક પણ સાંસદ કે ધારાસભ્યને વાંધો નથી તો બધી જ કંજૂસાઈ શિક્ષણ અને સંરક્ષણ ક્ષેત્રે જ કેમ? બીજે બધે કાયમી જગ્યાઓ છે, તો શિક્ષક જ કામચલાઉ કેમ? આ રીતે આંગળા ચાટીને પેટ ભરવાથી હાંસલ શું થશે તેનો સરકારે ખુલાસો કરવો જોઈએ. શિક્ષણ માટેની આટલી અનુદારતા જગત આખામાં ગુજરાત સિવાય બીજે ભાગ્યે જ હશે, ખરું કે કેમ?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 જુલાઈ 2023

Loading

એકાંતના કવિ સુરેશ દલાલ

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|16 July 2023

લગભગ આજથી સાડા પાંચ દાયકા પૂર્વે શાંતિલાલ શાહના મનમાં એક ઈચ્છા હતી કે “જન્મભૂમિ” જૂથ દ્વારા ફકત કવિતાનું એક સામયિક શરૂ કરવું. આ વાત તેમણે કવિ ઉમાશંકર જોશી પાસે રજૂ કરી. ઉમાશંકરભાઈએ વિશ્વાસ સાથે શાંતિલાલ શાહને જણાવ્યું, ‘જો તમારે કવિતાનું સામયિક ફકત ચલાવવું જ હોય તો તમે સામયિકના સંપાદનની સંપૂર્ણ જવાબદારી નિષ્ઠાપૂર્વક કવિ સુરેશ દલાલને સોંપો.’ ઉમાશંકરભાઈની વાત પર શ્રદ્ઘા રાખી શાંતિલાલ શાહે “કવિતા”ના સામયિકનું સુકાન સુરેશભાઈના હાથમાં સોપ્યું.

“કવિતા” સામયિક વાચકવર્ગમાં પ્રિય થવાનું કારણ જો આપણે તપાસવા બેસીએ તો આપણને “કવિતા”ના પ્રથમ અંકથી આજ લગી પ્રગટ થયેલા ‘કવિતા”ના તમામ અંકોમાં એક બાબત અચૂક આંખે વળગશે કે સંપાદનની બાબતમાં સુરેશભાઈ સંપૂર્ણ સજાગ હતા. આજની તારીખમાં તેમણે કવિતાની પસંદગીમાં મિત્ર કે વ્યક્તિને કયારે ય મહત્ત્વ નથી આપ્યું. કવિતા માટે તેમના મન-હ્રદયમાં એક માપદંડ અંકાયેલો હતો. આ સામયિક સંપૂર્ણ કવિતાનું છે. કવિતાની ગુણવત્તાનો આંક ઊંચો રાખવા, મળેલ રચનાના ઢગલામાંથી કવિતા ચૂંટીને “કવિતા”માં પ્રગટ કરવાની હતી. રચનાકાર કોણ છે? કોની રચના છે? આ બાબતમાં સુરેશભાઈ હંમેશાં આંખ આડા કાન કરતા! બને ત્યાં લગી રચનાના રચયિતાના નામને જોવાની ચેષ્ઠાથી બહુ જ દૂર રહેતા. સુરેશભાઈને ફકત કવિતાથી નિસબત.

“કવિતા”નું સંપાદન કરતી વેળા સુરેશભાઈ કવિતાને બહાને કયારેક અંગત સંબંઘને મહત્ત્વ આપીને ‘કવિતા”માં મિત્રની રચના તો પ્રગટ કરતા નથી ને એ જાણવા એક વાર શાંતિલાલ શાહે સુરેશભાઈને એક અંગ્રેજી કવિતાનો અનુવાદ પોતાના નામે કરી “કવિતા”માં પ્રગટ કરવા મોકલી આપ્યો. શાંતિલાલ શાહે મોકલેલ કવિતાના અનુવાદની વાત તો બહુ દૂરની હતી, પ્રથમ દૃષ્ટિએ સુરેશભાઈને કવિતા જ ગમી નહીં. એટલે સુરેશભાઈને અનુવાદ વિશે તો કશું વિચારવાનું હતું જ નહીં. ક્ષણનો પણ વિચાર કર્યા વગર સુરેશભાઈએ કવિતાની પવિત્રતાને જાળવવા માટે લગીર પણ ન વિચાર્યુ કે હું જે સામયિકનો સંપાદક છું, તે જૂથના માલિકે મને કવિતાનો અનુવાદ પ્રગટ કરવા માટે મોકલેલ છે.

હું કેવી રીતે તેમના અનુવાદને પાછો મોક્લું? બસ એમણે તો કોઈ રચનાકારે રચનાનો અનુવાદ કરીને મોકલ્યો છે અને તે સામયિકના ઘારાઘોરણને અનુકૂળ નથી એમ મક્ક્મપૂર્વક નિર્ણય લઈ, સૌમ્યતા, નમ્રતાપૂર્વક કવિતાના અનુવાદક શાંતિલાલ શાહને સાભાર પરત મોક્લાવી દીઘો.

સુરેશભાઈના પ્રિય મિત્ર સ્વર્ગીય કવિ જગદીશ જોશીએ એક વાર ખાસ અંગત મિત્રોને આમંત્રિત કરી તેમની અગાશી પર એક નાની સરખી મહેફિલ યોજી હતી. શાંતિલાલ શાહે ઉપર દર્શાવેલ વાત મિત્રો સમક્ષ કરતાં કહ્યું કે, ‘જે દિવસે સુરેશભાઈએ અંગ્રેજી કવિતાનો મારો અનુવાદ મને સાભાર પરત મોક્લ્યો ત્યારે મને મનથી એક બાબતનો સંતોષ થયો કે મેં જે વ્યક્તિને “કવિતા”નું સંપાદન સોંપ્યું છે તે સંપાદક કોઈની શેહશરમમાં રહે તેવો નથી. તે વાત આજે મિત્રો સમક્ષ કરતાં મને હૈયે આનંદ થાય છે.’

વરસોથી સુરેશભાઈના મનમાં એક સ્વપ્ન હતું. લોકો સુઘી સારા સર્જકનાં ઉત્તમ પુસ્તકો ઊંચી ગુણવત્તા સાથે ઘરે ઘરે પહોંચાડીએ તો લોકોનું પુસ્તક-વાંચન તરફ આકર્ષણ વઘશે! આ વિચાર સાથે આજથી ત્રણ દાયકા પૂર્વે ઉત્તમ કોટિનાં પુસ્તકો પ્રગટ કરવા ‘ઈમેજ બુક-કલ્ચર ટ્ર્સ્ટ’ નામનું એક મિશન શરૂ કર્યું હતું. ‘ઈમેજ’ દ્વારા થતું કોઈ પણ પુસ્તક હોય, સુરેશભાઈ પુસ્તક પાછળ પોતાની જાતને ઓગાળી નાંખે, સુરેશભાઈને ક્વોન્ટિટીમાં નહીં પણ ક્વોલિટીમાં રસ હતો. પુસ્તક માટે મનમાં કરેલા સંકલ્પ મુજબ ઘાર્યુ પરિણામ ન મળે તો સુરેશભાઈને કયાં ય ચેન ન પડે. એ તો ફરી ફરી નવા નવા ફેરફાર સાથે માર્ગદર્શન આપી, પુસ્તકને એક મનગમતો આકાર આપીને જ જંપે.

સુરેશભાઈનું માનવું હતું કે જો સુંદર પુસ્તકો સુઘી લોકો ન આવે તો આપણે તેમના સુઘી સારાં પુસ્તકો લઈને જવું જોઈએ. આ એક વિચારના કારણે ઈમેજે ગુજરાતનાં નાનાંમોટાં ગામોમાં અને શહેરોમાં પુસ્તક-મેળા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી, લોકો સુઘી ઉચ્ચ કોટિનાં ઉત્તમ પુસ્તકો પહોંચાડવાનો સંતોષ અનુભવ્યો હતો.

સુરેશભાઈને મન પુસ્તક પ્રકાશન એ કોઈ ઘંઘો ન હોતો, પણ એક પરબ હતી. તેમનું હ્રદય-મનથી માનવું હતું કે આજનો યુવાન ટી.વી. સામે ખોડાઈ ગયો છે તેમાં તેનો કોઈ દોષ નથી. આપણે આજ લગી તેમની વાચનભૂખને સંતોષી શક્યા નથી. નહીંતર એવો કયો યુવાન હશે કે જેને ટાગોર, ઉમાશંકર કે રૉબર્ટ ફ્રોસ્ટની દોસ્તી મૂકી ટી.વી. સાથે હાથ મેળવવાનું મન થાય!

મોટે ભાગે ગુજરાતી સાહિત્ય જગત સુરેશ દલાલને દંભી, અતડા, આખા બોલા અને અભિમાની માણસ સમજતું હોય પણ આ માણસ સાથે મારે પૂર્વજન્મનું કોઈ લેણું હશે, આ માણસે મને ફાંટુ ભરીને પ્રેમ તો આપ્યો, પણ સાથોસાથ જિંદગી જીવવાની એક જડ્ડીબુટ્ટી પણ આપી દીઘી હતી.

અમેરિકામાં મારા ઘરના પુસ્તકાલયમાં લગભગ સાતથી આઠ હજાર પુસ્તકો હશે, આ પુસ્તકોમાં લગભગ ૧,૦૦૦થી ૧,૫૦૦ જેટલાં પુસ્તકો તો મને સુરેશભાઈ તરફથી ભેટ રૂપે મળેલ છે. સુરેશભાઈ હયાત હતા ત્યારે જ્યારે પણ ઈમેજ તરફથી નવું કોઈ પુસ્તક પ્રગટ થતું ત્યારે સુરેશભાઈ મને તે  પુસ્તક અમેરિકામાં by Airmailથી તેમના તરફથી ભેટ રૂપે મોકલતાં હતા. ૧૯૭૬માં હું અમેરિકા આવી ગયો ત્યારથી સુરેશભાઈએ ૨૦૧૨ની જન્માષ્ઠમીની સાંજે છેલ્લો શ્વાસ લીઘો તે ઘડી લગી મને દર બે મહિને ‘કવિતા”નો અંક તેમના તરફથી અમેરિકાની ભૂમિમાં First class Airmailથી Complimentary રૂપે મળેલ છે.

લોકોના મુખે આજે પણ સાંભળવા મળશે કે સુરેશભાઈ કોઈને કંઈ મફત ના આપે પણ આ જ સુરેશભાઈએ તેમનો કાવ્યસંગ્રહ ‘મઘરાતે સૂર્ય” મને તેમ જ મારી પ્રિય પત્ની/સખી બીનાને અર્પણ કરેલ છે. સુરેશભાઈ એક એવી વ્યક્તિ હતી કે તેમને બહુ જ ઓછા લોકો સાથે હળવું મળવું અને બોલવું ફાવતું, પણ જેની સાથે સુરેશભાઈને એક વાર મન મળી જાય તે વ્યક્તિ સાથે સુરેશભાઈ છત્રીની જેમ ઉઘડી જતા ક્ષણની પણ વાર ન લાગતી. બાકી તમે સુરેશભાઈના મોઢામાં આંગળા નાંખીને મરી જાવ તો પણ સુરેશભાઈ તમારી સાથે એક શબ્દ બોલવો ન હોય તો ન જ બોલે.

સુરેશભાઈએ જિંદગીના છેલ્લાં શ્વાસ સુઘી કવિતા તેમ જ ઉત્તમ કોટિનાં પુસ્તકો પહોંચાડવા માટે જે દોડઘામ કરી છે, તે જોઈને આપણને કહેવાનું મન થાય કે, ‘આ માણસની કાર્યશક્તિને આપણે જેટલી દાદ આપીએ એટલી ઓછી છે.’ સુરેશભાઈનાં કાર્ય પાસે તો આજનો યુવાન સાવ ઝાંખો લાગશે!

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

સાંપ્રત મૂડીવાદના કેન્દ્રમાં ઉત્પાદકતા નથી ઊઘાડી લૂંટ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|16 July 2023

રમેશ ઓઝા

૧૯મી સદીમાં જ્યારે સમાજવાદી વિચારધારાના અંકુર ફૂટ્યા, એ વિચાર વ્યાપક સ્વીકાર પામવા લાગ્યો અને ૧૯૧૭માં રશિયામાં સામ્યવાદી ક્રાંતિ થઈ, ત્યારે સામે પક્ષે દલીલ કરવામાં આવી કે મૂડીવાદના પાયામાં વ્યક્તિનો સ્વાર્થ છે અને સ્વાર્થમાં સમજદારી હોય છે. માણસ પોતાનું કલ્યાણ જુએ છે અને શક્ય એટલા લાંબા સમય સુધી પોતાનું કલ્યાણ જળવાઈ રહે એવો તે પ્રયત્ન કરે છે. તે મુર્ઘીનાં ઈંડાંથી સંતોષ માનશે, ઈંડાં દેનારી મુર્ઘીને ખાઈ નહીં જાય. તે મુર્ઘીનું પોષણ પણ કરશે. ટૂંકમાં તે પોતાના લાંબા ગાળાના સ્વાર્થ માટે બીજાનું શોષણ કરશે તો સાથે પોષણ પણ કરશે. તેઓ બીજી દલીલ એ કરતા હતા કે સ્વાર્થ માણસને ઉદ્યમશીલ બનાવે છે. માણસ પોતાનાં પેટ માટે અને સુખાકારી માટે દોડતો રહે છે. સમાજવાદમાં સરકારી અંકુશોના કારણે અને વ્યક્તિ પાસે મહેનત કરવા માટે ખાસ કોઈ અંગત કારણ હોતું નથી એટલે ઉત્પાદકતા ઘટે છે. એની રેન્ડ નામની એક જમાનાની ખ્યાતનામ રશિયન લેખિકાએ તો ‘ધ વર્ચ્યુ ઓફ સેલ્ફીશનેસ’ નામનું સ્વાર્થનો મહિમા કરનારું પુસ્તક લખ્યું હતું અને ખૂબ વખણાયું હતું.

૧૯૯૦નાં વર્ષોમાં પહેલાં પૂર્વ જર્મનીમાં, એ પછી પૂર્વ યુરોપના બીજા દેશોમાં અને છેવટે રશિયામાં સામ્યવાદનું પતન થયું ત્યારે તેને સ્વાભાવિક માનવામાં આવ્યું હતું. સ્વાર્થ એટલે કે સ્વનું હિત એ પ્રચંડ ચાલકબળ છે અને એ જ ઉદ્યમ અને ઉત્પાદકતાનું કારણ છે. માટે સામ્યવાદના પતનને મૂડીવાદીઓએ મૂડીવાદના વિજય તરીકે ઓળખાવ્યો હતો. ફ્રાન્સીસ ફૂકુયામા નામના સાંપ્રત યુગના ખ્યાતનામ સમાજશાસ્ત્રીએ તો ‘એન્ડ ઓફ હિસ્ટરી’ની ઘોષણા કરી દીધી હતી. હવે વાદ-પ્રતિવાદ અને એમાંથી સર્જાતા નવા વાદ અને ફરી નવા વાદ સામે પ્રતિવાદના સદીઓથી ચાલ્યા આવતા ઐતિહાસિક ક્રમનો અંત આવશે. એન્ડ ઓફ હિસ્ટરી દ્વારા તેઓ એમ કહેવા માગતા હતા કે મૂડીવાદનો અંતિમ વિજય થઈ ચુક્યો છે અને હવે તેની સામે પ્રતિવાદની કોઈ સંભાવના બચી નથી.

પણ અત્યારે મૂડીવાદનો જે ચહેરો નજરે પડી રહ્યો છે એ જોઇને હવે ફ્રાન્સીસ ફૂકુયામાં કહે છે કે મૂડીવાદના ઈલાજ તરીકે સમાજવાદ પાછો આવશે. હિસ્ટરીનો અંત નહીં આવે. એની રેન્ડનું ૧૯૮૨માં અવસાન થયું હતું. તેઓ જો અત્યારે હયાત હોત તો તેઓ સ્વાર્થનો મહિમા કરવા માટે શું કહેત એ કલ્પનાનો વિષય છે.

કેવો છે મૂડીવાદનો સાંપ્રત ચહેરો? એવું શું નજરે પડી રહ્યું છે જેની એની રેન્ડ, ફૂકુયામાં અને તેમના જેવા બીજા જમણેરી વિચારકોએ અને અર્થશાસ્ત્રીઓએ કલ્પના કરી નહોતી? રીઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને એક પુસ્તક લખ્યું છે જેનું શીર્ષક છે: ‘સેવ કેપીટાલીઝમ ફ્રોમ કેપીટાલીસ્ટ.’

મૂડીવાદના બે વરવા ચહેરા છે જેની કલ્પના તેમણે કરી નહોતી. સમાજવાદ / સામ્યવાદમાં રાજ્ય અર્થતંત્ર પર કબજો કરે છે અને પરિણામે ઉત્પાદકતાને હાની પહોંચાડે છે એનો અનુભવ જગતે વીતેલી સદીમાં કર્યો હતો. અત્યારે બીજા છેડાનો અનુભવ થઈ રહ્યો છે. મુઠ્ઠીભર મૂડીપતિઓએ રાજ્ય પર કબજો કર્યો છે જે આર્થિક સમાનતા તો બાજુએ રહી મૂડીની વહેંચણી, રોજગારી અને લોકકલ્યાણને હાનિ પહોંચાડે છે. તેઓ સરકારી સંસાધનોને લૂંટે છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. પોતાનો સ્વાર્થ લાંબાગાળા સુધી જળવાઈ રહે એ માટે મૂડીવાદીઓ શિક્ષણ અને આરોગ્ય જેવી લોકકલ્યાણની પવૃત્તિ માટે રૂપિયા ખર્ચશે એમ જે માનવામાં આવતું હતું એની જગ્યાએ ઊલટું થઈ રહ્યું છે. તેમણે લોકકલ્યાણની પ્રવૃત્તિને જ ધંધામાં ફેરવી નાખી છે. શિક્ષણ અને આરોગ્ય ધંધાનો વિષય બની ગયા છે. સરકારે લોકકલ્યાણનાં પ્રયાસો છોડી દીધા છે અને તેને મૂડીપતિઓને ધંધો કરવા માટે આપી દીધા છે. મધ્યકાલીન યુરોપમાં રાજ્ય (શાસન /શાસકો) જે રીતે ચર્ચ સામે લાચાર હતું એમ અત્યારે મૂડીપતિઓ સામે લાચાર છે.

મૂડીપતિઓને હવે શોષણ અને લૂંટ સામે પ્રજાકીય વિદ્રોહ કે વિસ્ફોટનો ડર નથી રહ્યો એ સાંપ્રત મૂડીવાદનું બીજું પાંસુ છે. તેમણે શાસક (રાજકીય પક્ષો અને નેતાઓ), પ્રશાસન (પોલીસ ન્યાયતંત્ર વગેરે) અને મીડિયા દ્વારા લોકમાનસ પર કબજો કરી લીધો છે. વ્યાપક ઊહાપોહ કરવા માટે કોઈ જગ્યા જ રહેવા દીધી નથી. નેતા-શાસક, પોલીસ, જજ અને પત્રકાર એમ ચારેય ખિદમતમાં હોય તો ડરવાપણું ક્યાં રહ્યું? હવે હળવે હળવે, આંચકો ન લાગે એમ, સંપત્તિનો સંગ્રહ નજરમાં ન આવે એમ, બધું ધીરેધીરે કરવાની જરૂર નથી. હવે માનવતાવાદી દેખાવા માટે એક હિસ્સો ગરીબો માટે દાનરૂપે કાઢવાની જરૂર નથી. હવે સમાજવાદની તુલનામાં મૂડીવાદ કેટલો દેશ માટે ઉપયોગી નીવડી શકે એમ છે અને સમાજવાદ કેટલો નુકસાનકારક છે એની દલીલો પેશ કરવાની જરૂર નથી.

શાસકો ભડવીર હોવાનો દેખાવ એટલા માટે કરે છે કે શાસકો લાચાર છે અને ભડવીર હોવાના દેખાવ દ્વારા તેઓ પોતાની લાચારી છૂપાવે છે. તમે કદાચ નોંધ્યું હશે કે જગત આખામાં સમાજવાદ, મૂડીવાદ, વિકાસ, પર્યાવરણને બહુ નુકસાન ન પહોંચાડે એવો સંતુલિત તેમ જ ચિરંજીવ વિકાસ, વિકસિત દેશો, વિકાસશીલ દેશો, ગરીબ દેશો અને તેનાં પ્રશ્નો તેમ જ જવાબદારીઓ, સંપત્તિની ન્યાયી વહેંચણી, કલ્યાણરાજ વગેરે પ્રજાકીય સરોકારના પ્રશ્ને કોઈ ચર્ચા જ નથી થતી. તેની જગ્યાએ સર્વત્ર દેશપ્રેમ, રાષ્ટ્રવાદ, મહાન પરંપરા, જે તે ધર્મની કે વંશની તેમ જ તે પ્રજાની સર્વોપરિતા, ઇતિહાસનાં હિસાબકિતાબ, રુદન અને લલકાર વગેરે ચાલી રહ્યું છે. અને આવું અલગ અલગ સ્વરૂપમાં જગત આખામાં ચાલી રહ્યું છે.

લાંબાગાળાનું હિત જોનારો સ્વાર્થ સ્વભાવત: સંયમી અને વિવેકી હોય છે એવું જમણેરી અર્થશાસ્ત્રીઓ આપણને જે સમજાવતા હતા એ વાત ખોટી સાબિત થઈ છે. મૂડીવાદનો આજે જે ચહેરો નજરે પડી રહ્યો છે એ ભૂખાળવો છે અને અધીરો છે. મૂડીવાદના કેન્દ્રમાં ઉત્પાદકતા હોય છે, પણ અત્યારના મૂડીવાદના કેન્દ્રમાં ઉત્પાદકતા નથી, ઊઘાડી લૂંટ છે. આપનારાઓને, આપનારાઓ અને લેનારાઓ પર નજર રાખનારાઓને અને ન્યાય કરનારાઓને મેનેજ કરી લેવામાં આવ્યા છે. હવે બોલનારાઓની કે ઊહાપોહ કરનારાઓની ચિંતા કરવાની જરૂર નથી. તેમનો અવાજ લોકો સુધી નહીં પહોંચે અને લોકો પાછા સોશ્યલ મીડિયા પર વ્યસ્ત છે મસ્ત છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

પણ સમાજ સ્વભાવત: પરિવર્તનશીલ હોય છે. આનો પણ અંત આવશે, પરંતુ એ અંત ક્યારે આવશે, કોના દ્વારા આવશે અને વૈકલ્પિક વિચારધારા તેમ જ વ્યવસ્થા કેવી હશે એ કહેવાની સ્થિતિમાં અત્યારે કોઈ નથી. લૂંટ મચી છે એનું કારણ આ પણ છે. વિકલ્પ ક્યાં છે? વિકલ્પ નજરે પડે કે તરત મૂડીવાદ ઠાવકો થઈ જાય એવું પણ બને. દરમ્યાન કુદરતે કિંમત વસૂલવાનું શરૂ કરી દીધું છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 16 જુલાઈ 2023

Loading

...102030...933934935936...940950960...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved