Opinion Magazine
Number of visits: 9666718
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, હરારી પાસે – લેખશ્રેણીનો સમાપન-લેખ : 35 : આશા કે એક નવ્ય નર્મદ અવતરે

સુમન શાહ|Opinion - Literature, Opinion - Opinion|20 October 2023

સુમન શાહ

‘એ.આઈ.’-ને ગ્રાન્ડ નૅરેટિવ ગણો કે ન ગણો, એથી જે ભાવિ વિશ્વ સરજાશે, એના ચાલકો અને નિયામકો ત્રણ વર્ગમાંથી હશે, ‘એ.આઈ.’-રીસર્ચર્સનો વર્ગ, ટૅક્નોક્રેટ્સનો વર્ગ અને બ્યુરોક્રેટ્સનો વર્ગ.

એ ત્રણ વર્ગના માંધાતાઓનાં લટિયાં એકબીજામાં ગૂંચવાયેલાં રહેશે અને એમાં જે વ્યક્તિમત્તાઓ પ્રભાવક હશે તે લાંબા ગાળા લગી ટકી રહેશે. વળી, એમને દુનિયાના ધનપતિઓ ધન આપતા રહેશે. પરિણામે, અન્લાઇક ઇમ્પિરિયાલિઝમ – ભિન્નસ્વરૂપ સામ્રાજ્યવાદ – અને તેને સુદૃઢ કરનારું એક વૈશ્વિક રાજકારણ આપોઆપ ઊભું થશે; જેનો ઉદય, આમ તો થઈ જ ગયો છે. એની આગળ કુટીલતમ રાષ્ટ્રોનું કે ખૂંખાર મીડિયાનું કંઈ નીપજશે નહીં. રાષ્ટ્રીયતાનું અને રાષ્ટ્રપ્રેમ કે દેશ-પ્રદેશનાં તળ મૂલ્યોનું મહત્ત્વ પણ નામશેષ થઈ જશે. અલબત્ત, પૃથ્વી પરના સરેરાશ મનુષ્ય પાસે માહિતી રૂપી જ્ઞાનરાશિ જરૂર હશે, અને એ તેનાં સુખ-દુ:ખ ભોગવતો હશે.

એક નકરું સુખ મને ગઈ કાલે જ સાંપડ્યું. મને ‘ભગવાન’ રામનાં દર્શન થયાં, બોલો ! મહાવૃત્તાન્ત ‘એ.આઈ.’-એ મહાકાવ્ય “રામાયણ”-ના નાયક રામને સંસૃજિત કરીને વિશ્વ માટે સુલભ કરી આપ્યા છે. રામાયણની ટેક્સ્ટ, વિવિધ દૃશ્ય-શ્રાવ્ય ડેટા, મશીન-લર્નિન્ગ વગેરે સામગ્રીથી સરજાયેલી, અને, ફરતી ફરતી મારા લગી આવેલી રામની છબી મનભાવન છે. જરૂર જોશો.

‘એઆઈ‘-સંસૃજિત રામ.

આ સંદર્ભમાં, ‘એ.આઈ.’-નાં બે પરોક્ષ પરિણામોનો નિર્દેશ કરવો મને જરૂરી લાગે છે, એક છે, લિબરાલિઝમ – ઉદારમતવાદ – (જુઓ લેખ 17 ) અને બીજું છે, ગ્લોબલિઝેશન – વૈશ્વિકીકરણ.

લિબરાલિઝમ, સરકારોની દખલગીરી અને નિયમન વિનાનાં ફ્રી માર્કેટ્સનો આગ્રહ આગળ કરે છે. લિબરાલિઝમ માણસને પણ એના હક્કો બાબતે મુક્ત ગણે છે. એટલે, ફ્રી માર્કેટને ફ્રી કસ્ટમર આરામથી મળી રહે છે. યુ.ઍસ. જેવાં કૅપિટાલિસ્ટ માર્કેટ્સ બધી પ્રોડક્ટ્સ કસ્ટમરની માનસિકતાને કેન્દ્રમાં રાખીને બનાવે છે અને કશીપણ રોકટોક વગર એને એની મરજી મુજબની ખરીદી કરવા દે છે. એવું લાગે, પોતાના ગ્રાહક માટે કેટલું સરસ કરે છે ! પણ એ દેખાતું નથી કે કેટલું સરસ પોતા માટે કર્યા પછી કરે છે !

લિબરાલિઝમના પ્રસારને કારણે એક વર્ચસ્વી ગ્લોબલ ઇકોનૉમિકલ સિસ્ટમ ઊભી થઈ છે. સાથોસાથ, ‘એ.આઈ.’-ને કારણે કૉમ્યુનિકેશન-ટૅક્નોલૉજિ અને ટ્રાન્સ્પોર્ટેશન ઘણાં વિકસ્યાં છે, જેથી ગ્લોબલિઝેશનની પ્રક્રિયાને ખાસ્સો વેગ મળ્યો છે. પરિણામ એ આવ્યું છે કે જુદા જુદા દેશો વચ્ચે અંદર અંદરનાં જોડાણો વિક્સ્યાં છે અને તેથી તે દેશોની ઇકોનૉમીઝ પણ એકબીજાં સાથે બરાબર સંકળાઈ છે. વેપાર વૈશ્વિક બન્યો છે કેમ કે આખું વિશ્વ હવે બજાર છે.

પણ આજે ગુજરાતી સાહિત્યની દશા અને દિશા ભ્રાન્ત છે. વિવિધ પ્રકારનાં આવશ્યક પોષણને અભાવે એ તનુતુચ્છ થઈ ગયું છે. એ અનેક દિશાએથી કપાઇ ગયું છે —

વેદોપનિષદો, બ્રાહ્મણગ્રન્થો, અદ્વૈત-સિદ્ધાન્ત કે ષડ્ દર્શનો – સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા, અને વેદાન્ત, એ વૈદિક જ્ઞાનનાં છ દર્શનો, વગેરે પ્રાચીન ભારતીય દર્શનપરમ્પરાનો આપણને પ્રગાઢ પરિચય હતો. આપણને બૌદ્ધ, જૈન, શિખ કે ખ્રિસ્તી ધર્મની પરમ્પરાઓનો પણ એટલો જ સારો પરિચય હતો. આપણે સૉક્રેટિસ પ્લેટો ઍરિસ્ટોટલથી માંડીને સાર્ત્રના અસ્તિત્વવાદ સુધીની પાશ્ચાત્ય ફિલસૂફીથી ઠીક ઠીક વાકેફ હતા. આ બધાંને વિશેના પૂર્વસૂરીઓના શ્રમસાધિત પ્રયાસોનાં ફળ ગ્રન્થો રૂપે આપણાં ગ્રન્થગારોમાં છે, પણ કૅદ છે.

શૅલિ, કીટ્સ, બાયરન, વર્ડ્ઝવર્થ કે શેક્સપીયરના અંગ્રેજી સાહિત્યવિશ્વ સાથે કશો નાતો રહ્યો નથી. તેમાંના કેટલાયની કૃતિઓનું ગુજરાતીમાં થયેલું અનુવાદસાહિત્ય વીસરાઈ ગયું છે, કેમ કે એ કોઈની વાત કરવાની ગરજ નથી રહી. ગુજરાતી સાહિત્યના આધુનિક યુગમાં, પશ્ચિમના અને વિશ્વના સાહિત્ય લગી સંભવેલો ગુણસમૃદ્ધ ક્ષિતિજવિસ્તાર નામશેષ રહી ગયો છે. એ દાયકાઓમાં આપણે ચિત્ર સંગીત વગેરે લલિતકલાઓ અને ફિલ્મ સાથે સન્ધાન સાધી શકેલા; એની વાતો પણ છૂટી પડીને દૂર ચાલી ગઈ છે.

અને, આપણો સાહિત્યવિચાર તો જુઓ, એકલો છે ! સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અને પ્લૅટો ઍરિસ્ટોટલથી માંડીને ‘નવ્યવિવેચન’ યુનિવર્સિટીઓમાં શીખવાય છે, પણ વિદ્યાર્થીની તેમ જ અમુક કક્ષાના અધ્યાપકોની દયા ખાઈને, નાના નાના મુદ્દાઓમાં. વિદેશોમાં વિવેચન તો સંરચનાવાદ, અનુ-આધુનિકતાવાદ, દેરિદા, ફૂકો કે બાદિયુ લગી પ્હૉંચીને કેટલું તો બદલાઇ ગયું છે. આજે આપણે ત્યાં સમ્યક વિવેચનવિચાર કે સૌના ચિત્તમાં રણકે એવો ‘ક્રિટિકલ બઝવર્ડ’ પણ શોધ્યો નથી જડતો. અવલોકનો છીછરાં પુસ્તકોનાં થાય છે, અનુત્તમને કોઈ અડી શકતું પણ નથી, કેમ કે આપણી પાસે હિમ્મતવાન અને બળવાન વિવેચનાને વરેલા સાહસિકો નથી.

ઉન્નતભ્રૂ દુરારાધ્ય વિવેચક એક જમાનામાં આપણે ત્યાં ગૌરવશાળી ચીજ હતી, હવે દયાળુ સુસાધ્યની બોલબાલા છે. એક સમય હતો જ્યારે સુજ્ઞ વિવેચકની સાત્ત્વિક ધાક હતી અને તેના તરફથી થનારાં વિધાનોની રાહ જોવાતી’તી. આજે કલાસૌન્દર્યની ઓળખ જ નથી પડતી, સસ્તી કારીગરી વખણાય છે. રસાનન્દનું સ્થાન વાહવાહીએ લીધું છે. એ નથી વિચારાતું કે કૃતિને કયા સહૃદયી ભાવકો મળ્યા, ‘લાઇક્સ’-ની સંખ્યાથી ખુશ રહેવાય છે.

કવિતાવિચાર અછાન્દસમાં કે એની સ્પર્ધામાં ગઝલમાં અને બહુ બહુ તો કલ્પન પ્રતીકની સમજણ આસપાસ ચકરાયા કરે છે. મોટાભાગનાં કાવ્યો લાગણીઓ અને ઊર્મિલતાના ઝીણાં ઝીણાં કુંડાળામાં ફર્યા કરે છે. સર્જકકલ્પના અને તરંગતુક્કા વચ્ચેનો ભેદ ભુંસાઈ ગયો છે.

નવલકથા જ્યારે પણ લખાય છે, લઢણને લીધે લખાય છે. ટૂંકીવાર્તાઓ, ચોપાસ જે દેખાય છે તેના ભાષામાં કરેલા અનુવાદો છે ! આજના કથાસાહિત્યને નથી ઝાઝી લેવાદેવા મનોવિજ્ઞાન સાથે કે નથી કશી નિસબત સમાજવિજ્ઞાન સાથે.

રાજનીતિ અને રાજકારણ જોડે તો આપણા સાહિત્યવિચારને સ્નાનસૂતકનો ય સમ્બન્ધ નથી.

આપણી માતૃભાષાની માતા કહેવાતી સંસ્કૃત ભાષાના સાહિત્યની આજે ઝાઝી વાત નથી થતી. કાલિદાસ ભવભૂતિ માઘ બાણ કે શ્રીહર્ષની શબ્દસૃષ્ટિઓનાં રસપાન વિના મને તો સર્જનાત્મક શબ્દનો વિચાર પણ નથી આવતો !

હું તો પાણિનીના વ્યાકરણને તેમ જ ભરતથી માંડીને વિશ્વનાથ સુધી પાંગરેલા રસાદિ સમ્પ્રદાયોથી સિદ્ધ સંસ્કૃત કાવ્યશાસ્ત્રને ગ્રાન્ડ નૅરેટિવ્ઝનો દરજ્જો આપું છું. બેશક, એ બન્ને મહા વૃત્તાન્તો છે. એને એમ ન ગણો તો પણ એ મહાન વિચારધારાઓ છે, જેમાં મહાવૃતાન્તનાં અનેક લક્ષણો છે; ખાસ એ કે એ બન્ને સર્વગ્રાહી છે, સમ્પૂર્ણ છે. એ બન્ને વિચારધારાઓએ વ્યાકરણક્ષેત્રની અને કાવ્યકલાના સિદ્ધાન્તક્ષેત્રની સર્વાંગ વાસ્તવિકતાને પૂરેપૂરી જ્ઞાનગોચર કરી આપી છે.

આ દૃષ્ટિદોર અનુસાર, દલપત-નર્મદથી પ્રારમ્ભાયેલા સમગ્ર ગુજરાતી સાહિત્યને પણ સાગમટે હું એક ગ્રાન્ડ નૅરેટિવ ગણું છું. સુધારક યુગ, પણ્ડિત યુગ, ગાંધી યુગ અને આધુનિક યુગ મારી નજરમાં એમાંથી પ્રગટેલાં સ્મૉલ નૅરેટિવ્ઝ છે.

દલપત-નર્મદથી પ્રારમ્ભાયેલા આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યની શબ્દશ્રીની આ સ્થિતિ છે.

જેમનું દેશભરમાં નામ છે, એવી જે વાયકા છે, તેઓ ઘણા શિકાર કરીને બરાબર આરોગીને સંતુષ્ટ બૂઢા વનરાજની જેમ પોતાની બૉડમાં ઊંઘી ગયા છે, મને તેઓ પ્રેમપૂર્વક યાદ છે.

સાહિત્યનાં આપણાં અધ્યયન-અધ્યાપનને હું ભૂલ્યો નથી, પણ આ બાબતમાંથી હું એમને બાદ રાખું છું કેમ કે એમની શક્તિઓનો સૅમિસ્ટરોમાં અને ‘પરીક્ષા’ કહેવાતી પ્રવૃત્તિઓમાં, પ્રજા અને સરકારના હિતમાં ખરચ થઇ રહ્યો છે.

શતાબ્દીઓ દશાબ્દીઓ કે દિવન્ગતોની જન્મજયન્તીઓ ઉજવાય છે એ કાર્યક્રમોમાં મને ઇતિહાસને યાદ કરવાની આપણી ઇચ્છા જરૂર દેખાય છે, તેમછતાં, એને હું પિતૃતર્પણ માટેનાં સામયિક ઉજવણાં ગણું છું, કેમ કે તે દિવસ પૂરતી આછાપાતળી વાતો કરી લેવાથી પૂર્વકાલીન સિદ્ધ-પ્રસિદ્ધોનાં સત સાથે સમકાલીનોનો પાકો અનુબન્ધ ઊભો થઈ જશે, એવો મને વિશ્વાસ નથી પડતો.

અલબત્ત, મને સાહિત્યકલાના ખરા સર્જકોમાં અને એનું શિક્ષણ આપતા કેટલાક દાઝીલા અધ્યાપકોની નિષ્ઠામાં પૂરો વિશ્વાસ છે, પણ એમની કુલ સંખ્યા નાની છે, અને તેઓ સામેવ્હૅણ તરી રહ્યા છે …

મારી આ વાત સ્મૃતિલોપની છે; વ્યક્તિઓના કે વ્યક્તિજૂથોના નહીં, પણ સાહિત્યશબ્દને વરેલા સારસ્વતોની કારકિર્દીમાં થયેલા સ્મૃતિલોપની છે. આપણે જેને ‘સાહિત્યિક સંસ્કૃતિ’ એવું બિરુદ આપ્યું છે એને લૂણો લાગ્યો છે, એની છે મારી આ વાત.

અને એ તો વિચારો કે આ ધસમસતી અને પ્રગતિભૂખી દુનિયામાં આપણા ગુજરાતી સાહિત્યનું સ્થાન શું છે. આપણા ગુજરાતી ચન્દ્રકોની, આપણા નેશનલ ઍવૉર્ડ્સની ‘ધાતુ’ શી છે? એનાં તેજ અને પ્રભાવની તો વાત જ અસ્થાને છે. એકબીજાને પૂછી લો કે – એ કોણ આપે છે? – કોને આપે છે?

સંસારના અન્ય સંવિભાગોથી સાવ છેટી પડી ગયેલી અને પ્રજાના વાચનરસના સાથ વિનાની આ મન્દપ્રાણ લેખનપ્રવૃત્તિને આધુનિક સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન મનોરુગણ્તા કહે છે, અને ક્રમશ: પ્રાણઘાતક લેખે છે.

સાહિત્યજ્ઞાન અને તેથી જીવનબોધ વિનાનું આપણું આજનું સાહિત્ય, માત્ર નામનું છે. એક તરફ છે, ‘એ.આઈ.’-થી રચાઇ રહેલું વિશ્વ અને બીજી તરફ છે, આપણી આ સ્થિતિ. બન્ને વિકસી રહ્યાં છે ! એટલે બન્ને વચ્ચે મને જ્ઞાનપરક મોટી ખાઈ – કૉગ્નિશનલ રિફ્ટ – વિસ્તરતી દેખાઇ રહી છે. ઇતિહાસ કહે છે કે જ્ઞાન વિશે જે પ્રજાઓની જીવન જીવવાની રીતરસમો ઉદાસીનતા અને પ્રમાદમાં ગ્રસ્ત રહે છે એમનો કાળક્રમે વિલય થાય છે.

સાહિત્ય જો લીલા છે, ક્રીડા છે, ખેલ કે રમત છે, તો સ્વીકારો કે આપણે એ જ જૂની રમતો રમી રહ્યા છીએ, અને આજકાલ તો એના નિયમોને ય અભરાઇએ ચડાવી બેઠા છીએ. આ નરી ટેવવશ રમાતી રમતોથી ક્યારે છૂટીશું? સ્વીકારો કે આપણી વચ્ચે હાલ નર્મદ જેવો કોઈ યુગપ્રવર્તક સાહિત્યકાર નથી, જેને આજની પરિભાષામાં ‘ગ્રેટ ગેમચેન્જર’ કહી શકીએ.

નર્મદ.

એટલે, આ લેખશ્રેણીના સર્વસારથી મારામાં એક આશા જનમી છે, એ કે એક નવ્ય નર્મદ અવતરે. જુઓ, નર્મદ પહેલો અર્વાચીન જન હતો જે મધ્યકાલીન વાતાવરણમાંથી છૂટીને સાહિત્યને છાજે એવા શબ્દની શોધમાં લાગી ગયેલો. એ નર્મદની માનસિકતાના પુનર્જન્મની આજે મને સખત જરૂરત વરતાય છે. હૅઝલિટ વગેરે પર-ભાષાના લેખકો લગી વિસ્તરી ગયેલી એની તીવ્ર જિજ્ઞાસાના પુનર્જાગરણની મને ‘એ.આઈ.’-આવિષ્કારો માટે જરૂરત વરતાય છે. ગુજરાતી સાહિત્યના વિકાસ માટે વ્યાકરણ અને નર્મકોશ રચનારી એની ખાંખત અને સ્વભાષાને માટેની એની પ્રીતિની મને ‘એ.આઈ.’-ડેટાસૅટ્સ અને ઑલ્ગોરીધમ્સ માટે જરૂરત વરતાય છે.

હું એક એવા ભાવિ ગુજરાતી સાહિત્યકારની કલ્પના કરું છું જેની પાસે નર્મદનું ‘ચલો જીતવા જંગ’-ની ધગશ તેમ જ ‘વીર સત્ય ને રસિક ટેકીપણા’-થી અધિકૃત, ખુદ્દાર, વ્યક્તિત્વ હોય. એક એવો જાગ્રત માણસ જે ‘એ.આઈ.’ સમેતનાં સર્વ આધુનિક ગ્રાન્ડ નૅરેટિવ્ઝથી વાકેફ હોય અને એથી પ્રગટેલા યુગસ્પન્દનનો જેના હૃદયમાં નિત્ય ધબકાર હોય, અને જેનું વિશ્વદર્શન જરાજીર્ણ પરમ્પરાના ધાવણથી છૂટીને વિશ્વમાં સરજાયેલી નૂતન વાસ્તવિકતાને ઉઘાડી આંખે નીરખતું હોય, અને એ જન, બસ, એ દુનિયાના ચૉકમાં નીસરી પડ્યો હોય …

(લેખશ્રેણી સમ્પૂર્ણ)

= = =

(10/19/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હવે તો નકલી જ અસલી થઈ ગયું છે…

રવીન્દ્ર પારેખ|Samantar Gujarat - Samantar|20 October 2023

રવીન્દ્ર પારેખ

નવરાત્રિ ચાલે છે ને માતાજીને નામે ગરબા પણ ગવાય છે. એટલું સારું છે કે ગરબા કરનારા નકલી નથી, પણ તેઓ હોજરીમાં જે નાખીને આવે છે તે નકલી હોઈ શકે છે. એનું આશ્ચર્ય જ છે કે કળિયુગમાં માતાજી પણ નકલી પ્રસાદ ગ્રહણ કરી લે છે. તે વગર અંબાજીમાં હજારો કિલો નકલી મોહનથાળ ખપી જાય ને ભક્તો તે ખુશી ખુશી ઝાપટી પણ જાય એવું બને ખરું? આ પ્રસાદ પાછો મફત નથી મળતો. એ અસલી નોટોથી મળે છે. નોટો અસલી, પણ મોહનથાળ નકલી. આ લોકો માતાજીને નકલી ઘી ખવડાવીને છેતરી શકતા હોય, તો ભક્તોને તો ભેળસેળિયું ઘી ખવડાવીને ખપાવી નથી દેતા એ માટે તેમનો ઉપકાર જ માનવો જોઈએ. કમાલ તો એ છે કે મોહનથાળ માટે આવેલું ઘી અમૂલને નામે ખપાવાયું. ટૂંકમાં, નામીને બદનામ કરવાની ય કોઈને નાનમ ન લાગી. જો કે, પ્રસાદના મોહનથાળમાં હજારો કિલો ભેળસેળિયું ઘી ખપી ગયાં પછી ગુજરાત સરકાર એક્શનમાં આવી. તેણે ફટાફટ મોહિની કેટેરર્સનો કોન્ટ્રાક્ટ રદ્દ કરી દીધો ને કર્ણાટકનાં વિશ્વ વિખ્યાત અક્ષયપાત્ર ફાઉન્ડેશન(ટચ સ્ટોન ફાઉન્ડેશન)ને કોન્ટ્રાક્ટ આપી પણ દીધો. એ પણ ઠીક ન લાગે તો વળી કોન્ટ્રાકટર બદલાય એમ બને ! આમ પણ આપણે ત્યાં કોન્ટ્રાક્ટરોની કમી નથી એટલે ખરોખોટો પ્રસાદ તો ભક્તોને મળશે જ એવી ખાતરી છે.

આમ તો વર્ષોથી બધાંમાં ભેળસેળ કે ગોલમાલ ચાલતી જ આવી છે, પણ એક વાર કોઈ ઝડપાય છે કે તંત્રો એકદમ જ ઊંઘમાંથી બેઠાં થઈ જાય છે અને ઠેર ઠેર રોડા-દરોડા પાડવા લાગે છે, તો અસલી ઘી કેમ પારખવું એનું પ્રશિક્ષણ પણ મીડિયા આપવા લાગે છે. આમ તો અગાઉ પણ દૂધ-ઘી નકલી વેચાયું જ છે, પણ મોહનથાળે ઘણાંનાં થાળાં ઊંધાં મરાવ્યાં છે તે પણ ખરું. બેચાર  દિવસ પર જ જામનગરથી 35 કિલો નકલી ઘી ઝડપાયું. એ અગાઉ પણ 10મી ઓક્ટોબરે ત્યાંથી જ 528 કિલો નકલી ઘી પકડાયેલું. ગયા ઓગસ્ટમાં ગીર સોમનાથમાંથી નકલી ઘી બનાવવાની બે ફેક્ટરીઓ ઝડપાઇ હતી, તો જુલાઈમાં ઉનામાંથી નકલી ઘીના 50 ડબ્બા પકડાયા હતા. જુલાઈમાં જ કચ્છમાંથી અસલી ઘીને નામે નકલી ઘી 300ની આસપાસ વેચાયું. આમાં પછી સુરતનું વરાછા બાકી શું કામ રહે? તેણે પણ નકલી ઘી ખપાવ્યું જ ! જુલાઈમાં જ ઓલપાડમાં નકલી ઘીનું કારખાનું ઝડપાયું, તો કામરેજ પણ કૈં જાય એવું નથી. એણે પણ નકલી ઘીનું કારખાનું જાન્યુઆરીમાં જ નાખેલું, પણ નસીબ વાંકું તે ભોપાળું બહાર આવી ગયું. સૌરાષ્ટ્ર ચોખ્ખા ઘી-દૂધ માટે જાણીતું ગણાય, ત્યાં પણ હવે નકલી ઘીનો ધીકતો ધંધો ચાલે છે. આમાં ગુજરાતનાં શહેરો એકબીજાની નકલ કરવાની સ્પર્ધામાં હોય તેમ વધુ મોટા આંકડા સાથે પ્રગટ થતાં રહે છે.

મંગળવારના જ સમાચાર છે કે અમદાવાદમાંથી 6 લાખ કિલોગ્રામ નકલી ચીઝ અને બટરનો જથ્થો મ્યુનિસિપલ ફૂડ વિભાગે જપ્ત કર્યો. આ ઉપરાંત પીરાણામાં 1,300 કિલો જેટલો ગાયના ઘીનો એક્સપાયરી ડેટવાળો જથ્થો પકડાયો. ફૂડ વિભાગે જથ્થો નાશ કરાવીને 25 હજારનો દંડ પણ કર્યો. લાખો રૂપિયાની નકલી ચીજ વસ્તુઓ પકડાય ને દંડ 25 હજારનો થાય તો એ તો દરિયામાં ખસખસ જેવું છે. અઢારમી ઓક્ટોબરે વાડીલાલ અને પદ્માવતી સ્ટોરેજમાંથી માવા-બટરનો પોણા બે કરોડનો, સિત્તેર હજાર કિલોનો જથ્થો અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશને સ્થગિત કર્યો. ગાંધીનગરમાંથી 17મીએ ફાસ્ટફૂડની દુકાનમાંથી 10 કિલો અખાદ્ય મન્ચૂરિયન, નૂડલ્સ, બટરનો જથ્થો પકડાયો. આ તો પકડાયું તેની માહિતી છે, ન પકડાયું હોય એવું તો કેટલું ય હશે ! અમદાવાદમાં જ પાણી અને અખાદ્ય પદાર્થોને કારણે ઝાડા-ઊલટી- ટાઇફોઇડ- કમળાનો ફેલાવો વધ્યો છે તે ખાતર પર દિવેલ તો ખરું જ !

આ બધું તો દૂધની બનાવટમાં ઝડપાયું, પણ વાત એટલી જ નથી. નવરાત્રિ દરમિયાન વડોદરાનાં અલકાપુરીમાં પાન-મસાલાનાં ગલ્લામાંથી ઈ-સિગારેટનાં 202 પેકેટ સાથે સંચાલકની ધરપકડ થઈ. ત્રણેક દિવસ પર જ રાજકોટમાં નશીલી ચોકલેટોનું વેચાણ પાનનાં ગલ્લાઓ પર થયાના સમાચાર છે. આમ તો ડ્રગ્સનું હબ હવે ગુજરાત ગણાય છે, ત્યાં સ્કૂલો નજીક નશીલી ચોકલેટો વેચાવા લાગી છે, એટલે કુમળી વયથી જ બાળકો નશીલી વસ્તુઓથી ટેવાઇ જાય તેવો મનસૂબો સરકારે રાખ્યો હોય તો નવાઈ નહીં ! બધાં જ વંઠેલ છે તો બાળકો પણ બાકાત શું કામ રહે? આપણે કેવું રાજ્ય બનવા જઇ રહ્યાં છીએ, તેનો આ નમૂનો માત્ર છે. આપણી ફૂડ હેબિટ્સ અનેક રીતે જોખમી છે. પેટ જાણે ડસ્ટબિન હોય તેમ ચીઝબટરવાળો ઓઈલી ખોરાક તહેવારોમાં મોડી રાત્રે પધરાવીએ છીએ ને તેથી તો હાર્ટ એટેકને જ આમંત્રણ આપવા જેવું થાય છે. ડોક્ટરોએ અડધી રાત્રે હેવી ડાયટ હાર્ટ એટેકનું કારણ બની શકે છે એવી ચેતવણી આપી છે, પણ યુવાનોને રાત્રે હેવી ડાયટ સિવાય બીજું ખાસ કૈં ખપતું નથી.

અત્યારની સ્થિતિ એવી છે કે કુટેવ, ટેવમાં અને નકલી, અસલીમાં ખપે છે. વિદ્યાર્થીઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધતાં રાજકોટમાં DEOએ કસરત, દોડનું પ્રમાણ ઘટાડવા આચાર્યોને સૂચના આપવી પડી છે. એક સમય હતો જ્યારે કસરતને પ્રોત્સાહન અપાતું, હવે કસરત ઘટાડવાની સૂચનાઓ અપાય છે. આમ તો સંગીત ધીમું કે મધુર પણ સારું હોઈ શકે છે, પણ એવું હવે ખાસ મનાતું નથી. બધું ભવ્ય, મોટું ને કાન ફાડી નાખે એવું જ ખપે છે ને ઉપરથી મીડિયા તેને ચગાવે છે. સરસાણામાં G9નાં પ્રચંડ સાઉન્ડે સુરત ધ્રુજાવ્યું, તેમાં તો મોટી ધાડ મારી હોય તેમ સૌથી મોટી અને ગજબ સિસ્ટમ ગણાવીને મીડિયાએ આરતી ઉતારી. મીડિયા જ કંટ્રોલ કરવાને બદલે લોકોને ચગાવે તો એ ફાટીને ધુમાડે જાય તો નવાઈ નથી. અમદાવાદમાં ‘ખાઉધરા’ ગરબા પણ થાય છે, જેમાં ખેલૈયાઓ ખાય છે ને ગાય છે. આને રમઝટ કહેવાય કે જમઘટ તે તો નથી ખબર, પણ આ તકલાદી ખાનારાઓનું તકવાદી સાહસ હોય એમ વધારે લાગે છે.

એક તરફ વિકાસ વિકાસની જાહેરાતો થતી રહે છે, પણ જે ચિત્ર સામે આવે છે તે તો રકાસ રકાસનું વધુ છે. લાગે છે તો એવું કે આખું રાજ્ય દંભી અને નકલી જિંદગીનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. ગુજરાતમાં ઘી દૂધની નદીઓ વહેતી હોય તેમ નકલી ઘી ઉત્તરથી દક્ષિણ ગુજરાતમાં ખૂણે ખૂણે વહી રહ્યું છે. એક જૂઠાણું સો વખત બોલવામાં આવે તો એ જ પછી સાચું લાગવા માંડે છે, બિલકુલ એ જ રીતે ચારે તરફથી નકલી જ માથે મરાયા કરે તો એ જ પછી અસલી લાગવા માંડે છે. ખાદ્ય સામગ્રીની બાબતે અત્યારે સ્થિતિ તો બદથી બદતર છે. એક તરફ ભવ્ય જિંદગીનો એવો દેખાડો થતો રહે છે, જેમાં અનેક ક્ષેત્રે રાજ્યે હરણફાળ ભરી હોય તેવું ઠસાવાય છે ને બીજી તરફ કેવળ અશુદ્ધિ, છેતરપિંડી અને નકલ રોજિંદી જિંદગીમાં લોહીની જગ્યાએ વહેતી દેખાય છે. આનાં પરિણામો તરત તો ન દેખાય, પણ આશંકા, અસલામતી અને અનારોગ્યનો શિકાર અનેક પેઢીઓ થઈ રહી હોવાનું સ્પષ્ટ દેખાય છે. તંત્રો કામ તો કરે છે, પણ પરિણામો થોડા દરોડાથી આગળ જતાં નથી. એ કમનસીબી છે કે એક દુર્ઘટના પછી બીજી ઘટના બને જ નહીં એવી ખાતરી રાજ્યનાં વહીવટમાંથી મળતી નથી. ક્યાંક થોડીક નોટો ઘટનાઓને રફેદફે કરી નાખે છે તો ક્યાંક કૈં જ ન બન્યું હોય એવું નિસ્પૃહી વલણ પણ તંત્રો દાખવી શકે છે.

સરવાળે જે ચિત્ર દેશનું કે રાજ્યનું ઉપસે છે એમાં વિશ્વસનીયતા સતત દાવ પર લાગતી દેખાય છે. તંત્રોની ભ્રષ્ટતા તો છે જ, પણ પ્રજાની નિષ્ઠુરતા પણ ઓછી જવાબદાર નથી. નકલી ચીજ વસ્તુઓ સરકાર બનાવતી નથી. નકલી ઘી કે નશીલી ચોકલેટો એક છેડેથી બીજે છેડે જાય છે તે આમ તો પ્રજાની ખોટી કમાણીની જ ચાડી ખાય છે. લોકોની જિંદગી જોડે રમીને બધાંએ જ રાતોરાત કમાઈ લેવું છે ને તે પણ હકનું નહીં, હરામનું. કોઈના સર્વનાશને ભોગે, પોતાનું કલ્યાણ થાય એ સિવાય કોઈનો કોઈ સ્વાર્થ નથી. આ નિસ્વાર્થીપણું પૂર્ણપણે ઘાતક છે. દહેશત જેવો એક પ્રશ્ન સતત થાય છે કે સંવેદના, માણસાઈ, માનવતા જેવું પ્રગટ થાય એવું ક્યાં ય કૈં બચ્યું છે કે કેમ?

000 

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 ઑક્ટોબર 2023

Loading

‘ગાઈડ’: દેવ આનંદનો માસ્ટરપીસ

સોનલ પરીખ|Opinion - Opinion|19 October 2023

રાજકપૂરની ઓળખ ‘મેરા નામ જોકર’ છે તેમ દેવ આનંદની ઓળખ ‘ગાઈડ’ છે. આ ફિલ્મ વિદેશી પ્રેક્ષકો માટે અંગ્રેજી વર્ઝન પણ બન્યું હોય એવી દુર્લભ ફિલ્મોમાંની એક છે. બેફિકર ગાઈડ, રોમેન્ટિક પ્રેમી, મુત્સદી મેનેજર, છકેલો શ્રીમંત, અસલામત અપરાધી, ભટકતો આશ્રયહીન મુસાફર અને સાધુ – આથી વધુ સબળ, આકર્ષક અને વૈવિધ્યપૂર્ણ ભૂમિકા દેવ આનંદને આ પહેલા કે પછી કદી મળી નથી અને તેણે એને એટલી સુંદર રીતે જીવી બતાવી છે કે આજે પણ એની તાજગી અનુભવાય …

‘દેવ સા’બે એમની ફિલ્મ માટે મને રોલ ઓફર કર્યો છે પણ એમની ફિલ્મો નિષ્ફળ તો જાય છે, શું કરવું?’ સાલ 2004. બોમન ઈરાનીએ નાસીરુદ્દીન શાહને ફોન પર પૂછ્યું. નસીરે તરત કહ્યું, ‘ચૂપચાપ રોલ સ્વીકારી લે. ફિલ્મ સફળ થાય કે નિષ્ફળ, તને જિંદગી આખી ફક્ર રહેશે કે મેં દેવ સા’બની સાથે કામ કર્યું છે.’ આજે પણ બોમન ઈરાની ઉત્સ્ફૂર્ત, તરોતાજા અને કામ અને જીવનને સ્ટાઈલથી ચાહતા દેવ આનંદ સાથેના પોતાના અનુભવને બહુ ગૌરવથી યાદ કરે છે. 

26 સપ્ટેમ્બરથી દેવ આનંદનું શતાબ્દીવર્ષ શરૂ થશે. ફિલ્મ ઇતિહાસમાં દેવ આનંદ અને ‘ગાઈડ’ એક ઇન્સ્ટિટ્યૂશન છે. 60 વર્ષની કારકિર્દીમાં દેવ આનંદે 100થી વધારે ફિલ્મો કરી, જેમાં 35 નવકેતનની હતી અને એમાંની 17નું તેણે દિગ્દર્શન પણ કરેલું.

રાજકપૂરની ઓળખ ‘મેરા નામ જોકર’ છે તેમ દેવ આનંદની ઓળખ ‘ગાઈડ’ છે. ‘ગાઈડ’ જેના પરથી બની હતી એ આર.કે. નારાયણની ક્લાસિક અંગ્રેજી નવલકથા ‘ધ ગાઈડ’ 1958માં પ્રગટ થઈ. 1960માં તેને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો અને તેની 100થી વધારે આવૃત્તિઓ થઈ. તેમની અન્ય નવલક્થાઓની જેમ આ નવલકથા પણ માલગૂડીમાં જ આકાર લે છે અને કથાનો નાયક રેલવે રાજુ તરીકે ઓળખાય છે. આ નિષ્ફિકર અને કાબેલ ગાઈડ(દેવ આનંદ)ને એક દિવસ આર્કિયોલોજિસ્ટ માર્કો (કિશોર સાહૂ) અને એની પત્ની રોઝી (વહીદા રહેમાન) ક્લાયન્ટ તરીકે મળે છે. માર્કો અને રોઝીનું લગ્નજીવન ખૂબ ખરાબ છે, રોઝી બે વખત આત્મહત્યાનો પ્રયત્ન કરે છે અને રાજુ બંને વખત એને બચાવે છે એટલું જ નહીં, તેને પ્રેમ, રક્ષણ, આશ્રય આપે છે અને સફળ નૃત્યાંગના બનાવે છે; પણ પોતે શરાબ, સંપત્તિ અને જુગારમાં ખોવાતો જાય છે. બંને વચ્ચે અંતર પડતું જાય છે. માર્કોને રોઝીથી દૂર રાખવાના પ્રયત્નોમાં રાજુના હાથે ફૉર્જરીનો ગુનો થાય છે ને એ જેલમાં જાય છે. છૂટ્યા બાદ નિરુદ્દેશ ભ્રમણ કરતા રાજુને નસીબ દુષ્કાળપીડિત ગામમાં લઈ આવે છે – ‘આદમી યહાં જાના ચાહતા હૈ પર કિસ્મત ઉસકે કાન પકડકર વહાં લે જાતી હૈ’ સ્વામીના સ્વાંગમાં ગામનો પ્રેમ પામતો રાજુ ઊર્ધ્વીકૃત થાય છે અને વરસાદ માટે ઉપવાસ કરે છે. ‘આપને વિશ્વાસ છે કે વરસાદ આવશે?’ એવા ફિરંગી રિપૉર્ટરના પ્રશ્નના જબાબમાં એ કહે છે, ‘આ લોકો એવું માને છે અને હું આ લોકોને માનું છું.’ ફિલ્મના અંતે એક બાજુ વરસાદ આવે છે અને બીજી બાજુ જીવનની ફિલોસોફિકલ પ્રતીતિ પામી ગયેલો રાજુ મૃત્યુ પામે છે. પુસ્તક કરતાં ફિલ્મની ક્લાઈમેક્સ જુદી છે. મૈં…મૈં…સિર્ફ મૈં’ ગોલ્ડીનો આઈડિયા હતો. આજે પણ એ સાંભળતાં રુંવાડાં ઊભાં થાય. નાયકનું મૃત્યુ થતું હોવા છતાં અંત સુખદ છે.

‘ગાઈડ’ વિદેશી પ્રેક્ષકો માટે અંગ્રેજી વર્ઝન પણ બન્યું હોય એવી દુર્લભ ફિલ્મોમાંની એક છે. બેફિકર ગાઈડ, રોમેન્ટિક પ્રેમી, રોઝીનો મુત્સદી મેનેજર, છકેલો શ્રીમંત, અસલામત અપરાધી, ભટકતો આશ્રયહીન મુસાફર અને સાધુ – આથી વધુ સબળ, આકર્ષક અને વૈવિધ્યપૂર્ણ ભૂમિકા દેવ આનંદને આ પહેલા કે પછી કદી મળી નથી અને તેણે એને એટલી સુંદર રીતે જીવી બતાવી છે કે આજે પણ એની તાજગી અનુભવાય. જો કે આર.કે. નારાયણને ફિલ્મ માટે કરાયેલા ઘણાં ફેરફાર ગમ્યા નહોતા. એક મુલાકાતમાં તેમણે ‘મિસગાઈડેડ ગાઈડ’ એવા શબ્દો વાપરેલા.

દેવ આનંદે ફિલ્મ બનાવવા માટે આ નવલકથા પર પસંદગી ઉતારી અને તેનું ફલક જોતાં તેને અંગ્રેજીમાં પણ બનાવવાનું નક્કી કર્યું. અંગ્રેજી સંસ્કરણની પટકથા પુલિત્ઝર વિજેતા પર્લ બકે લખી હતી. બંને સંસ્કરણ એકસાથે જ રિલિઝ થવાના હતા, પણ ટાડ ડેનિલેવેસ્કી અને વિજય આનંદ આ બંને નિર્દેશકો વચ્ચે કથા બાબતે મતભેદ હતા. વિજય આનંદે સ્ક્રીપ્ટ ફરીથી લખી અને હિંદી ‘ગાઈડ’ થોડા મહિના મોડી આવી.

અંગ્રેજી ‘ગાઈડ’ ન્યૂયૉર્કમાં રિલિઝ થઈ અને સદંતર નિષ્ફળ રહી. એમાં ભારતનું ચિત્રણ અર્ધનગ્ન-ભૂખ્યા લોકો, ભીડભર્યા ઉત્સવો અને સર્પો-મદારીઓના દેશ તરીકે હતું, ઉપરાંત રોઝી અને રાજુ વ્યભિચારીઓ લાગે તેવાં દૃશ્યો મૂક્યાં હતાં. અંગ્રેજી ગાઈડ ફ્લૉપ જવાને લીધે હિંદી ગાઈડને કોઈ વિતરકો હાથ લગાવવા તૈયાર ન હતા, માંડ વિતરક મળ્યા અને ફિલ્મ રિલિઝ થઈ. સામાન્ય ફિલ્મ કરતાં અલગ પાત્રો, કથા અને અંત જોઈ પ્રિમિયર વખતે તો કોઈ વિજય આનંદની પીઠ થાબડવા ગયું નહોતું, પણ ફિલ્મ રિલિઝ થઈ અને શરૂઆતમાં ઠંડો આવકાર છતાં પછીથી સફળ થઈ, વખત જતાં આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલોમાં ગઈ, ઑસ્કારમાં એન્ટ્રી પામી અને કલ્ટ ફિલ્મ ગણાઈ. એની પાછળ દેવ આનંદનો અભિનય, વહીદા રહેમાનનાં નૃત્યો, શૈલેન્દ્રનાં ગીતો, ફલી મિસ્ત્રીની સિનેમેટોગ્રાફી તો ખરાં જ પણ સૌથી વધારે વિજય આનંદનાં સંવાદ-પટકથા-દિગ્દર્શન અને ગીતોનું એણે કરેલું ફિલ્માંકન ઉપરાંત એસ.ડી. બર્મનનાં અદ્દભુત સંગીતનો સિંહફાળો હતો. એસ.ડી. ત્યારે બીમાર હતા. વિજય આનંદે સંગીતકાર બદલવાને બદલે તેઓ સ્વસ્થ થાય એની રાહ જોઈ, જે ફળી. ‘આજ ફિર જીને કી તમન્ના હૈ’, ‘પિયા તોસે નૈના લાગે રે’, ‘દિન ઢલ જાયે’, ‘તેરે મેરે સપને’ અને ‘ગાતા રહે મેરા દિલ’ – ‘સૈયાં બેઈમાન’ અને ‘ક્યા સે ક્યા હો ગયા’ એક સિક્વન્સમાં આપી વિજય આનંદે કઠોર વાસ્તવને સંમોહક શૈલીમાં કંડાર્યું છે. 

‘તૂને તો સબકો રાહ બતાઈ, તૂ અપની મંઝિલ ક્યોં ભૂલા

સુલઝા કે રાજા, ઔરોં કી ઉલ્ઝન, ક્યોં કચ્ચે ધાગે મેં ઝૂલા

ક્યોં નાચે સપેરા, મુસાફિર, જાયેગા કહાં’

 – રાજુની જિંદગીનું આવું અચૂક વર્ણન છતાં આ અંતરો ફિલ્મમાં કેમ નહીં લેવાયો હોય?

મૈં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા, હર ફિક્ર કો ધૂએં મેં ઉડાતા ચલા ગયા’ ‘હમ દોનોં’નું આ ગીત દેવ આનંદની જિંદગીની ફિલોસોફીને બખૂબી રજૂ કરે છે. પોતાની આત્મકથા ‘રોમાન્સિંગ વિથ લાઇફ’માં દેવઆનંદે લખ્યું છે : ‘કેપ્ટન આનંદની જિંદગી વિશેની ફિલોસોફી લોકોને સ્પર્શી ગઈ છે – ગમ ઔર ખુશી મેં ફર્ક ના મહેસૂસ હો જહાં, મૈં દિલ કો ઉસ મકામ પે લાતા ગયા ગયા’ દેવ આનંદ જીવનભર આવા મસ્તમૌલા જ રહ્યા. સુપરસ્ટાર તરીકેની ગગનચુંબી સફળતા હોય કે નિષ્ફળ ફિલ્મોની વણઝાર – દેવ આનંદના નવા વિષયો, નવા સ્ટાર સાથે ફિલ્મો બનાવવાના ઝિંદાદિલ ઉત્સાહમાં કદી ઓટ આવી નહીં. કહેતા, ‘ફિલ્મ્સ આર માય એક્સપેન્સિવ હૉબી’.

નવાસવા આઝાદ થયેલાં ભારતના યુવાનોને દેવ આનંદે સ્ટાઇલિશ બનાવ્યા. ચેક્સવાળા, ખૂલતી બાંયના શર્ટ, કાળો કોટ, હેટ, કોલરનાં બટન બંધ રાખવાની સ્ટાઇલ, આડાઅવળા ડાન્સ, ઝડપથી સંવાદો બોલવાની શૈલી, ગળામાં વિવિધ પ્રકારના સ્કાર્ફ …. ભારતનો ગ્રેગરી પેક કહેવાતો હતો દેવ આનંદ. કેરી ગ્રાન્ટની છાંટ પણ ક્યાંક દેખાતી હતી. રોમેન્ટિક, મશ્કરા, દિલદાર પ્રેમી તરીકે એ જામતો. ખભાના મિજાગરા ઢીલા હોય એ રીતે હાથ હલાવવાની સ્ટાઇલની વિવેચકો ટીકા કરતા પણ યુવાનો એ રીતે હાથ લટકાવવાની નકલ કરતા. જીવનના નવ દાયકા સુધી દેવ આનંદ અડગ, અજેય, અડીખમ, સદાબહાર રહ્યા. સુરૈયા હોય કે ઝીનત અમાન – દિલ ભરીને ચાહે અને આઘાત ખમી-ખંખેરીને આગળ વધે. – ‘જો મિલ ગયા ઉસીકો મુકદ્દર સમજ લિયા, જો ખો ગયા મૈં ઉસકો ભુલાતા ચલા ગયા’ ‘રોમાન્સિંગ વિથ લાઇફ’નું સમાપન કરતાં દેવ આનંદે લખ્યું છે, ‘ગાતા રહે મેરા દિલ … મારું દિલ, હંમેશાં ગાતું રહ્યું છે. લાઈફ ઈઝ સો બ્યૂટિફૂલ …’

‘ગાઈડ’ ફિલ્મ પર પુસ્તક લખાયું છે, ‘ગાઈડ, ધ ફિલ્મ : પર્સ્પેક્ટિવ્ઝ’. 2000ના દાયકામાં ‘ગાઈડ’ની રિમેક બનાવવાની પ્રપોઝલ દેવ આનંદે સખત શબ્દોમાં નકારી કાઢી હતી. ખરું જ છે, માસ્ટરપીસ એક જ વાર બને છે.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 24 સપ્ટેમ્બર  2023

Loading

...102030...933934935936...940950960...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved