Opinion Magazine
Number of visits: 9666232
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કથળેલી વૈશ્વિક વ્યવસ્થા અને સશસ્ત્ર રાજ્યોની અસલામતીનું પરિણામ ત્રીજું વિશ્વયુદ્ધ?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|22 October 2023

આતંકવાદી સંગઠન હોય કે પોતાની સત્તા ટોચ પર મૂકવા દોડતા રાષ્ટ્રો હોય, દરેક પોતાના વિરોધી દેશની નબળાઈઓ અને મર્યાદાઓથી વાકેફ છે અને તેનો જ ઉપયોગ કરી તેઓ પોતાના પાયાને મજબૂત કરવા યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં ઝંપલાવી ચૂક્યા છે, અથવા તે માટે સાબદાં થઈ રહ્યા છે

ચિરંતના ભટ્ટ

ઇઝરાયલ અને પેલેસ્ટાઈનના આતંકવાદી જૂથ હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની તીવ્રતા ઘટવાનું નામ નથી લઈ રહી અને આ સ્થિતિને કારણે ત્રીજું વિશ્વ યુદ્ધ થવાની શક્યતાઓને વેગ મળી શકે છે. સાવ અણધારી રીતે ભડકેલા આ સંઘર્ષની અસર ઇઝરાયલ અને ગાઝા અથવા તો મિડલ-ઇસ્ટ પUરતી જ સીમિત રહેશે એમ માનવાની ભૂલ ન કરવી જોઈએ. લિબિયા, સિરિયા, ઇરાન અને પેલેસ્ટાઈનમાં અચાનક જ ભડકેલી આગને પગલે વૈશ્વિક યુદ્ધની સંભાવનાઓ ઘેરી કરી દીધી છે. ખાસ કરીને જો યુ.એસ.એ. અને ચીન જો સીધા સંઘર્ષમાં ઉતરે તો પછી ત્રીજું વિશ્વ યુદ્ધ થયું જ સમજો. યુક્રેન અને રશિયા વચ્ચે તો સંઘર્ષ ચાલી જ રહ્યો છે અને તેમા અધૂરામાં પૂરું હમાસ અને ઇઝરાયલ વચ્ચે પણ હિંસક તણાવ પેદા થયો. આ સંજોગોમાં એ સમજવું પણ જરૂરી છે કે આ બન્ને યુદ્ધ કે સંઘર્ષમાં જે ચાર રાષ્ટ્રો સીધે સીધા એકબીજાની સામે છે તે ખરેખર તો જે દેખાય છે તેના કરતાં વધુ મોટા સત્તા સંઘર્ષનો હિસ્સો છે. વિશ્વમાં સત્તાની શતરંજની બાજીને પલટી નાખીને નવી વ્યવસ્થા ખડી કરવાના ઈરાદા ધરાવતા રાષ્ટ્રો એક યા બીજી રીતે રશિયા યુક્રેન તથા હમાસ ઇઝરાયલના સંઘર્ષ સાથે સંકળાયેલા છે.

ટૂંકમાં અત્યારે ચાલી રહેલા બન્ને યુદ્ધની કિંમત ચૂકવવાનો વારો તેમને ટેકો આપતા દેશોનો આવશે અને તે ભારે પડશે. જેમ કે ચીન અને રશિયા બન્નેને યુ.એસ.એ. સામે વાંધો છે અને ઇઝરાયલ – ગાઝા વચ્ચેના સંઘર્ષને મામલે બન્ને દેશોએ સ્પષ્ટ કહી દીધું છે કે સાત દાયકા જૂના વિવાદને ઉકેલવો જોઈએ અને પેલેસ્ટાઇનનું સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર થવું જ જોઈએ. એક તરફ યુ.એસ.એ. અને ઇઝરાયલ છે તો બીજી તરફ પેલેસ્ટાઇન તરફી વલણ રાખનાર ચીન છે. ટૂંકમાં ઇઝરાયલમાં ઘટેલી ઘટનાઓએ સાબિત કરી દીધું છે આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને ન્યાયના મામલે વિશ્વ એક તાંતણે નથી બંધાયેલું. અમુકે ઇઝરાયલને ટેકો આપ્યો તે બીજાઓએ હમાસે ઇઝરાયલ પર જે આતંકી હુમલો કર્યો તેને પણ યોગ્ય ઠેરવ્યો. પણ યહૂદીઓ અને આરબો વચ્ચેનો આંતરરાષ્ટ્રીય સંઘર્ષ આપણને ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ ધકેલી જનારું એક માત્ર કારણ નથી. ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો સંઘર્ષ ઘણાં વર્ષોની અકળામણનું કારણ છે પણ આજે સિરિયા, લેબેનોન અને ઇરાન આ આગમાં ઘી હોમી તેને વધુ ભડકાવવાનું કામ કરી રહ્યા છે. એવું ય બને કે ઇઝરાયલને એક સાથે પાંચ મોરચે યુદ્ધ શરૂ કરવું પડે.

યુ.એસ.એ. અને અન્ય સાથી દેશો યુદ્ધના સંજોગો તીવ્ર ન બને તે માટે હિઝબુલ્લા આતંકીઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. પરંતુ એ ગણતરી રાખવી પણ જરૂરી છે કે હિઝબુલ્લાને મુખ્યત્વે આર્થિક ટેકો આપવામાં ઇરાનનો હાથ છે અને માટે જ તે ઇઝરાયલ પર હુમલો કરવામાં પાછું વળીને ન જુએ તે સ્વાભાવિક છે. યુ.એ.ઇ.એ ચેતવણી આપી હોવા છતાં સિરિયાએ ઇઝરાયલ પર બોમ્બ શેલિંગ શરૂ કરી જ દીધું છે. ઇઝરાયલી વડા પ્રધાને ઇરાનના ન્યુક્લિયર પ્રોગ્રામ અંગે લાંબા સમયથી ચેતવણી આપી છે અને ઇરાન પર હુમલો કરવાની ધમકી પણ આપી છે. જો કે હમાસે કરેલા હુમલાને પગલે ઇઝરાયલી જે વાત હજી સુધી માત્ર વ્યૂહાત્મક ધમકીમાં આપતું હતું તેની પર હવે વાસ્તવિકતામાં પગલાં લે એવી શક્યતાઓ વધી છે. જો ઇઝરાયલને એક પણ પુરાવો મળ્યો કે હમાસના આતંકી હુમલા પાછળ ઇરાનનો હાથ છે તો પછી ચિંતા માત્ર એક કે બે રાષ્ટ્રની નહીં આખી દુનિયાની વધી જશે. આવામાં ટર્કી જેવા દેશો પણ છે જેમણે ઇઝરાયલ પર હમાસે કરેલા હુમલાને અકસ્માતમાં ખપાવ્યો અને ઇઝરાયલે સામે જે સત્તાવાર સૈન્યના હુમલાથી જવાબ આપ્યો તેને ઘાતકી અને અન્યાયી ગણાવ્યો.

ઇરાન આડકતરી રીતે અન્ય યુદ્ધ ખડા કરાવે છે અને એ રીતે એ પોતાની સત્તા સાબિત કરવા માગે છે. વિશ્વ વ્યવસ્થા – વર્લ્ડ ઓર્ડરને બદલવા માટે મિડલ-ઇસ્ટના દેશો થનગની રહ્યા છે. પશ્ચિમી દેશો એટલે કે યુ.એસ.એ. અને યુરોપને ટોચ પર રાખતો વર્લ્ડ ઓર્ડર હવે તેમને માફક નથી આવતો. ઇરાનને બેઇજિંગ અને મોસ્કો તરફથી ટેકો મળે છે. પોતાને મળનારા ટેકાના જોર પર જો ઈરાન વધારે ઠેકડા મારવા જશે તો યુ.એસ.એ.ને ના છૂટકે યુદ્ધમાં ઢસડાવું પડશે. ઇઝરાયલને યુ.એસ.નો ટેકો મળશે અને ઇરાનની ન્યુક્લિયર ક્ષમતાઓ પણ છતી થઇ જશે.

રશિયા યુક્રેન વચ્ચેના તંગ સંબધોનાં મૂળિયાં ઊંડાં છે પણ રશિયાએ જે રીતે યુક્રેન પર અચાનક જ ચઢાઈ કરીને યુદ્ધ છેડ્યું તેનુ જોખમ આખા યુરોપ પર છે. રશિયાએ યુક્રેન પર કરેલો હુમલો સરહદો અને સીમા રેખાઓને બળજબરીથી બદલવાનો ઇરાદો ધરાવે છે. યુક્રેનની સરકાર પશ્ચિમી દેશોને સાવધાન રહેવા અપીલ કરે છે કારણ કે યુક્રેન એક માત્ર અવરોધ છે જે રશિયાને બાલ્ટિક રાજ્યો પર હુમલો કરવામાં નડે છે. NATOનો ભાગ હોય એવા દેશો આમ પણ રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને કારણે હેરાન થયા જ છે. જેમ કે રોમાનિયા અને પોલિશ સરહદના વિસ્તારોમાં થયેલું નુકસાન. હમાસે ઇઝરાયલ પર કરેલા હુમલામાં ગાઝા, તહેરાન અને મોસ્કો વચ્ચેની કડી જોડવા અને જોવા માટે બહુ ઊંડા અભ્યાસની પણ જરૂર નથી.

તાઇવાનને મામલે ચીન અને યુ.એસ.એ. વચ્ચેનો સંઘર્ષ પણ નવો નથી. વળી 2022માં યુ.એસ. હાઉસ સ્પીકર નેન્સી પોલેસીએ તાઇવાનની મુલાકાત લીધી એમાં ચીન અને યુ.એસ. વચ્ચે પરિસ્થિતિ વધારે તંગ બની. અત્યારે ચીન અને યુ.એસ. સીધા સંઘર્ષમાં ઉતરે એવી શક્યતા પાંખી છે, પણ ચીનને પોતાના સૈન્યનું બજેટ સુરક્ષા સમસ્યાઓનો બહાના હેઠળ સારી પેઠે – લગભગ 7.5 ટકા વધારી દીધું છે.  સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના મતે વિશ્વ માનવ ઇતિહાસના સૌથી ખતરનાક સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે, જેમાં ઓપરેશનલ ન્યુક્લિયર વૉરહેડ્ઝની સંખ્યા ગયા વર્ષ કરતાં વધીને લગભગ 12 હજાર કરતાં પણ વધુ થઇ ગઇ છે. ચીને રશિયા અને ઇરાન સાથે રાખેલી સારાસારી સ્પષ્ટ સંકેત છે કે આ રાષ્ટ્રો પશ્ચિમી મૂલ્યોનો વિરોધમાં એક સાથે છે. ચીન ભલે સીધા સંઘર્ષને ટાળે પણ દક્ષિણ ચીની સમુદ્રમાં જે લશ્કરી હિલચાલ કરી એને કારણે ટેન્શન વધ્યું જ છે. વળી વૈશ્વિક સુપરપાવર તરીકે ચીનનું મહત્ત્વ વધ્યું છે એટલે જો યુદ્ધના સંજોગો આવે તો શસ્ત્રોનો પુરવઠો આપવાથી માંડીને ભારત – મિડલ ઇસ્ટ – યુરોપ ટ્રેડ કોરિડૉરના પ્રસ્તાવને ખારીજ કરવામાં પણ ચીનની અગત્યની ભૂમિકા હશે. ઉત્તર-પૂર્વિય એશિયામાં સલામતના સમીકરણ પણ અસ્થિર છે. ઉત્તર કોરિયા, રશિયાની નજીક આવ્યું છે તો જાપાન અને રશિયા વચ્ચેના સબંધો વણસ્યા છે.

ભૌગોલિક રાજકીય પરિબળોને જોતાં એ સ્પષ્ટ છે કે વિશ્વ પહેલાં કરતાં કંઇ ગણા વધારે અનિશ્ચિત સંજોગોનો સામનો કરી રહ્યું છે. પશ્ચિમી દેશોના વિરોધીઓ વચ્ચેના સમાન હિતોનો ટકરાવ દિવસે ને દિવસે વધુ સ્પષ્ટ થઇ રહ્યો છે. યુદ્ધ જેવી અણધારી કટોટકી ત્રાટકવાના ચોકઠા દેખીતી અને ન જોઈ શકાય તેવી સ્થિતિમાં ગોઠવાઈ રહ્યા છે. ત્રીજું વિશ્વ યુદ્ધ છેડાશે તો તેમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, સાયબર વૉર અને આર્થિક સંઘર્ષ સૌથી વધુ જટિલ અને અણધાર્યા હશે. યુદ્ધ અંતે તો રાજકીય અને આર્થિક સત્તા અને સલામતી માટે જ છેડાતા હોય છે. કોરોનાવાઈરસના રોગચાળા પછી વિશ્વ પર આર્થિક અસ્થિરતાના વાઈરસ પણ ફરી વળ્યો છે. આતંકવાદી સંગઠન હોય કે પોતાની સત્તા ટોચ પર મૂકવા દોડતા રાષ્ટ્રો હોય, દરેક પોતાના વિરોધી દેશની નબળાઈઓ અને મર્યાદાઓથી વાકેફ છે અને તેનો જ ઉપયોગ કરી તેઓ પોતાના પાયાને મજબૂત કરવા યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં ઝંપલાવી ચૂક્યા છે અથવા તે માટે સાબદાં થઈ રહ્યા છે. 

બાય ધી વેઃ

ભારતે G20 સમિટ સફળતાથી પાર પાડ્યું છે અને હવે વૈશ્વિક સ્તરે ભારત પાસેથી દેશોને ઘણી અપેક્ષાઓ છે. પડકારો સતત વધી રહ્યા છે અને ભારતે ક્યારે કયા દેશને ટેકો આપવો તે તેના ભવિષ્યના આર્થિક વહેવાર પર ઘેરી અસર કરી શકે છે. આપણે એક દેશ તરીકે ત્રીજા વિશ્વ યુદ્ધ માટે તૈયારી છીએ કે કેમ એ બાજુની વાત છે કારણ કે આપણે એ માટે તૈયાર ન હોઈએ તો પણ જરૂર પડ્યે સાથી રાષ્ટ્રો માટે એ કરવું પણ પડે. રાજદ્વારી સંબંધો અને શાંતપૂર્વકના સંવાદો દ્વારા યુનાઇટેન નેસન્સ જેવા મધ્યસ્થીને પગલે યુદ્ધ ટાળી શકાય એવી થોડી ઘણી શક્યતાઓ તો હજી બચી છે, પણ આ વાત ઝનૂનથી પોતાની સત્તા સાબિત કરવા માગતા રાષ્ટ્રોએ સમજવી પડશે. ઇઝરાયલી લેખક યુવલ નોઆ હરારીએ એક ઇન્ટરવ્યુમાં તાજેતરમાં જ એ વાત કરી છે કે આ જવાબદારીથી વર્તવાનો સમય છે. કોઈની જે પણ ક્ષમતા હોય આ તેના પ્રદર્શનનો નહીં પણ ખોરવાયેલી વ્યવસ્થાને બેઠી કરવાનો વખત છે નહીંતર ત્રીજું વિશ્વ યુદ્ધ થશે અને આજે આપણી પાસે જે પ્રકારના શસ્ત્રો અને ટેક્નોલૉજી છે તેને પગલે માણસજાતનો ખાત્મો બોલાતા વાર નહીં લાગે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 ઑક્ટોબર 2023

Loading

સ્પેશ્યલ મેરેજ એક્ટ મુજબના અધિકાર સર્વોચ્ચ અદાલતે સમલિંગીઓને આપવા જોઈતા હતા

રમેશ ઓઝા|Opinion - Opinion|22 October 2023

રમેશ ઓઝા

વેપાર જેટલી સેક્યુલર પ્રવૃત્તિ બીજી એકે ય નથી. તમારે કોઈ ચીજ વેચવી હોય અને સામેવાળો ખરીદવા માગતો હોય અને જો તેની પાસે પૈસા હોય તો તમે એ કોણ છે એની ચિંતા કરતા નથી. અને જો એ ખરીદનાર કોઈ ખાસ પ્રકારની કોમનો સભ્ય હોય અને એ કોમની ખાસ પ્રકારની જરૂરિયાત હોય તો એને માટે જરૂરિયાતની ચીજનું ખાસ ઉત્પાદન કરીને માર્કેટ વિકસાવામાં આવે છે. આને માટે કેટલીક એજન્સીઓ અસ્તિત્વમાં આવી છે જે સમાજનું બારીકાઇથી નિરીક્ષણ કરે છે અને માર્કેટની સંભાવના શોધી આપે છે. આવી એજન્સીઓને છેલ્લા બે ત્રણ દાયકાથી ધ્યાનમાં આવવા માંડ્યું કે વધુને વધુ સંખ્યામાં લોકો પોતાની જાતીય સંવેદના અને જાતીય પસંદગી (sexual orientation) શરમાયા વિના અને સમાજની ઐસીતૈસી કરીને ગભરાયા વિના વ્યક્ત કરી રહ્યા છે. ઊઘાડી રીતે આની કબૂલાત કરનારાઓની સંખ્યા વધી રહી છે. ભારત જેવા પ્રમાણમાં રૂઢિચુસ્ત દેશમાં પણ તેમનું પ્રમાણ વધી રહ્યું છે.

જે લોકો સ્ત્રી-પુરુષ વચ્ચેના જાતીય સંબંધો(heterosexual)ની વ્યાખ્યામાં બેસતા નથી અને તેમની જાતીય પસંદગી અલગ પ્રકારની છે એવા કેટલા લોકો હશે અને તેમની જો કોઈ ખાસ જરૂરિયાત હશે તો એ કઈ રીતની હશે, એનું માર્કેટ નક્કી કરવા એજન્સીઓ સર્વે કરવા માંડી. તમે શું માનો છો? આવા કેટલા લોકો હશે? વિવિધ એજન્સીઓએ કરેલા સર્વેનું સર્વસાધારણી કરો તો લગભગ દસ ટકા લોકો ખુલ્લેઆમ કબૂલ કરે છે કે તેઓ સમલિંગી છે અથવા બન્ને પ્રકાના સંબંધો (bisexual) ધરાવે છે અથવા ટ્રાન્સ જેન્ડર છે. બીજા દસ ટકા લોકો સ્પષ્ટ જવાબ આપતા નથી એનો અર્થ એ થયો કે તેઓ ભલે બહાર ન આવ્યા હોય, પણ તેમની જાતીય પસંદગી અલગ પ્રકારની હોઈ શકે છે. પણ દસ ટકાનો આંકડો નિશ્ચિત છે, કદાચ વધુ પણ હોય.

માર્કેટ જેનો સ્વીકાર કરે છે એનો સમાજને સ્વીકાર કરવામાં મુશ્કેલી પડે છે. દસ ટકા લોકોની જાતીય પસંદગી માન્યતાપ્રાપ્ત જાતીય પસંદગી કરતાં જૂદી હોય તો પણ તેનો સ્વીકાર કરવામાં બળ પડે છે. દસ ટકા એ કોઈ નાની સંખ્યા નથી. વાસ્તવિકતા કાને અથડાઈ રહી હોવા છતાં તેનો સ્વીકાર નથી કરવો.

સર્વોચ્ચ અદાલતના પાંચ ન્યાયમૂર્તિઓએ ચાર અલગ અલગ ચુકાદાઓમાં હાથ ઊંચા કરવાનું કામ કર્યું છે. કાયદો ઘડવાનું કામ અમારું નથી, અમારું કામ તો કાયદાનું અર્થઘટન કરવાનું છે. માટે ન્યાય જોઈતો હોય તો લોકો પાસે જાવ જેઓ કાયદાઓ ઘડે છે. કાયદો ઘડાયા પછી અમે તેનું અર્થઘટન કરીને કહેશું કે કાયદો ભેદભાવ વિનાનો ન્યાયી છે કે અન્યાયી. કાયદો બંધારણ સુસંગત છે કે વિસંગત. આનો અર્થ એ થયો કે પહેલાં કાયદો ઘડનારાઓને અન્યાય કરવા દો પછી અમે ન્યાય આપીશું. પણ કાયદો ઘડનારાઓ કાયદો ઘડે જ નહીં તો? તો શું ન્યાય માગનારાઓએ ન્યાયના શૂન્યાવકાશમાં જીવન વ્યતીત કરવાનું? આ ચુકાદો બેહુદો છે અને એ કઈ રીતે બેહુદો છે એ જોઈએ.

દેશમાં આધુનિક શિક્ષણના પરિણામે આધુનિક જીવનમૂલ્યો વિકસ્યાં એ પછી પારંપારિક લગ્નસંસ્થા સામે પ્રશ્નો થવા લાગ્યા. જો હિંદુ યુવક કે યુવતી મુસ્લિમ કે બીજા વિધર્મી યુવક કે યુવતી સાથે લગ્ન કરવા માગતો હોય તો તેણે કયા ધર્મની લગ્નવિધિ કરવી? એમાં તો કોઈ એકે ધર્માન્તરણ કરવું પડે અને લગ્ન માટે પોતાનો ધર્મ છોડવો પડે એ તો અન્યાય કહેવાય. ટૂંકમાં આંતરધર્મીય લગ્નોત્સુકોની સંખ્યા વધવા લાગી. કેટલાક નાસ્તિક હતા અને તેઓ લગ્નમાં ધર્મને વચ્ચે લાવવા માગતા નહોતા. આ સિવાય આનાથી પણ મહત્ત્વનો સવાલ હતો. દરેક ધર્મના પારિવારિક કાયદાઓ (Personal Laws) સ્ત્રીઓને અન્યાય કરનારા છે અને કોઈ સ્ત્રીએ તેનો શિકાર ન બનવું હોય તો? પછી ભલે યુવક અને યુવતી એક જ ધર્મના હોય અને કદાચ ધાર્મિક પણ હોય. અન્યાય કરનારા ધાર્મિક-સામાજિક રિવાજોને નકારવાનો અને તેનાથી બચવાનો અધિકાર મળવો જોઈએ કે નહીં?

આઝાદી પછી આ સવાલ ઉપસ્થિત થવા લાગ્યો. ત્યારના શાસકો બહેરા અને અસંવેદનશીલ નહોતા. સ્ત્રીઓને અને બીજાઓને ભલે અન્યાય થાય પણ આપણો ધર્મ મહાન એવો નશો કરાવતા નહોતા. પરિણામે ૧૯૫૪માં સ્પેશિયલ મેરેજ એક્ટ ઘડવામાં આવ્યો જેમાં ધર્મ અને ધર્મ આધારિત સામાજિક રીવાજો ક્યાં ય આડા આવતા નથી. સ્પેશિયલ મેરેજ એક્ટ ધર્મ આધારિત રિવાજોને નકારવા માટે નથી, પણ નાગરિકના પોતાની મરજી મુજબ અને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્નના અધિકાર માટે છે. એવી જ રીતે સ્પેશિયલ મેરેજ એક્ટ લગ્નોત્સુકોની લૈંગિકતાને સ્વીકારવા કે નકારવા માટે નથી, પણ હમણાં કહ્યું એમ નાગરિકના પોતાની મરજી મુજબ અને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાના અધિકાર માટે છે. સ્પેશિયલ મેરેજ એક્ટ નાગરિકને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો જે અધિકાર આપે છે એ અધિકાર સર્વોચ્ચ અદાલતે સમલિંગીઓને પણ આપવો જોઈતો હતો. આમાં નવો કાયદો ઘડવાનો સવાલ ક્યાં આવ્યો?

ટૂંકમાં મને એમ લાગે છે કે સર્વોચ્ચ અદાલત સમલિંગીઓને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ ન્યાય આપી શકતી હતી. સમાજના દસ ટકા લોકોને (અને કદાચ તેનાથી પણ વધુ) ક્યાં સુધી અન્યાય કરવાનો?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 ઑક્ટોબર 2023

Loading

ગાંધીજીનું પ્રથમ ચરિત્ર લખનાર : અવંતિકાબાઈ ગોખલે

ટીના દોશી|Gandhiana, Opinion - Opinion|21 October 2023

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રથમ ક્રમાંકે જેની ગણના થાય છે, એવા ચંપારણ સત્યાગ્રહમાં એ સહભાગી થયેલાં, મહાત્મા ગાંધીજીનાં પ્રથમ ભારતીય પટ્ટશિષ્યા બનેલાં અને ગાંધીજીનું પહેલું ચરિત્ર પણ એમણે જ લખેલું …. ઓળખ્યાં એમને?

અવન્તિકાબાઈ ગોખલે

એમનું નામ અવંતિકાબાઈ ગોખલે. મરાઠીભાષી સ્વતંત્રતા સેનાની. નિઃસ્પૃહી, સ્પષ્ટવકતા અને અનુશાસનપ્રિય સેનાની તરીકે આઝાદી આંદોલનમાં જાણીતાં થયાં. એમનાં પ્રયત્નોને પરિણામે મુંબઈમાં સેંકડો સ્ત્રીઓ મીઠાના સત્યાગ્રહમાં સામેલ થયેલી. સ્ત્રીઓના વ્યક્તિત્વ વિકાસ માટે અને સ્ત્રી સશક્તિકરણ માટે ‘હિંદ મહિલા સમાજ’ની સ્થાપના એમણે કરેલી. મિલમાં કામ કરતી મજૂર સ્ત્રીઓનાં બાળકો માટે એમણે દેશમાં પ્રથમ ઘોડિયાઘર શરૂ કરેલું.

અવંતિકાબાઈ ગોખલેનો જન્મ ૧૮૮૨માં ઈન્દોરમાં થયો. પિતા વિષ્ણુપંત જોશી ઈન્દોરમાં રેલવેના પ્રામાણિક કર્મચારી હતા. એ સમયમાં કન્યાશિક્ષણનું પ્રચલન ન હોવાને કારણે પિતાએ અવંતિકાને ભણાવ્યાં નહોતાં. વળી પુરાણી પરંપરાઓને વળગી રહીને એમણે અવંતિકાને નવ વર્ષની વયે બબનરાવ ગોખલે સાથે પરણાવી દીધાં. બબનરાવના ઘરમાં સુધારક વિચારોનું ચલણ હતું. એથી નિરક્ષર અવંતિકાને એમનાં સાસુએ કામચલાઉ મરાઠી ભણાવી દીધી. પરંતુ કેટલાંક વર્ષો બાદ બબનરાવ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા વિલાયત ગયા, ત્યારે તેમણે ચીમકી આપી કે, મારા વિદેશ પ્રવાસ દરમિયાન અવંતિકા અંગ્રેજી નહીં શીખી લે તો હું કોઈ પરદેશી મેમ સાથે વિવાહ કરીને એને ઘેર લઈ આવીશ. … અવંતિકા ગભરાઈ ગયાં. ડરના માર્યા એકાદબે વર્ષમાં જ અંગ્રેજી ભાષા શીખી ગયાં.

દરમિયાન બબનરાવ વિલાયતમાં સાત વર્ષ રહીને, ભણીને અને કામનો અનુભવ મેળવીને ભારત પાછા ફર્યા. એક યાંત્રિક દુર્ઘટનામાં આંગળીઓ સહિત હાથનાં પંજા કપાઈ ગયા. ભવિષ્યનો વિચાર કરીને બબનરાવે અવંતિકાને નર્સિંગનું શિક્ષણ પ્રાપ્ત કરવાની મંજૂરી આપી. એક વર્ષ સુધી તાલીમ લીધા બાદ અવંતિકાબાઈએ પરીક્ષા આપી. પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયાં. ઘરની આર્થિક સ્થિતિ સમૃદ્ધ હોવાથી પરિચારિકા તરીકે નોકરી એમણે ન કરી, પરંતુ રોગીઓની સુશ્રુષા કરવામાં પાછું વળીને ન જોયું. આ અરસામાં બબનરાવે દીવાસળીનું કારખાનું નાખ્યું. ભારતમાં હજુ સ્વદેશી આંદોલન શરૂ થયું નહોતું. નાનીમોટી સાધનસામગ્રી વિદેશથી તૈયાર થઈને આવતી. બબનરાવ દેશમાં જ ઉત્પાદન કરીને સ્વદેશી ચીજવસ્તુઓ બનાવવાના પક્ષે હતા. એક વાર ડાયનામાઈટનો વિસ્ફોટ કરીને પ્રયોગ કરી રહ્યા હતા, ત્યારે એમનો હાથ બૂરી રીતે ઘવાયો. અવંતિકાબાઈએ તરત જ પોતાની સાડી ચીરીને પતિના જખમ પર પાટો વીંટી દીધો. લોહી નીકળવાનું બંધ થયું. પછી ડૉક્ટર પાસે લઈ ગઈ. પતિની શસ્ત્રક્રિયામાં ડૉક્ટરની મદદ કરી. બબનરાવના પંજા તો કપાયેલા હતા જ, જમણો હાથ પણ કલાઈથી છૂટો થઈ ગયેલો. બબનરાવને ઓશિયાળા હોવાનું અનુભવાયું. અવંતિકાબાઈએ સ્નેહ નીતરતા સાદે કહ્યુંઃ “તમારી આંગળીઓ કપાઈ ગઈ છે તો શું થયું? મારી તો દસેય આંગળીઓ સલામત છે. હું છું ત્યાં સુધી તમારા સુધી કોઈ તકલીફ પહોંચી નહીં શકે.”

અવંતિકાબાઈએ બબનરાવને કોઈ મુશ્કેલી ન પડે તેની ખાસ ચીવટ રાખી. દરમિયાન ૧૯૧૩માં ઈચલકરંજીનાં રાણી સાથે ઇંગ્લેન્ડ જવાનો અવસર મળ્યો. ત્યાં પ્રતિષ્ઠિત ઘરની મહિલાઓને સામાજિક કાર્યો કરતી જોઈને અવંતિકાબાઈને પ્રેરણા મળી. ભારત પાછા ફરીને એ સમાજસેવામાં પરોવાયાં. ભારત સેવક સમિતિના કાર્યકર્તા દેવધરના માર્ગદર્શનમાં મુંબઈની પ્રખ્યાત સંસ્થા સેવાસદનમાં કાર્યરત થયાં.

આ ગાળામાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા. એ હજુ મહાત્મા તો નહોતા બન્યા, પણ એમનાં કાર્યોને પગલે ગાંધીના નામનો ડંકો વાગેલો. અવંતિકાબાઈએ ગાંધીજીનું નામ સાંભળેલું. પણ સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન શ્રીનિવાસ શાસ્ત્રીએ ગાંધીજીનો પરિચય ગોખલે દંપતી સાથે કરાવ્યો. ગાંધીજી હીરાની પરખ કરી જાણનારા કુશળ ઝવેરી હતા. અવંતિકાબાઈની શક્તિ પિછાણી. અવંતિકા પણ પહેલી નજરે જ ગાંધીજીથી પ્રભાવિત થયાં.

માળામાં એક પછી એક મણકા પરોવતા જાય એમ પ્રસંગોના અંકોડા સાંકળ બનીને ગોઠવાતા ગયા. પરિણામે ગાંધીજીના નેતૃત્વમાં બિહારમાં આઝાદી આંદોલનનો સૌથી પહેલો ચંપારણ સત્યાગ્રહ થયો. અવંતિકાબાઈ સત્યાગ્રહી બન્યાં. ગાંધીજીના શબ્દોમાં કહીએ તો, ચંપારણ જનક રાજાની ભૂમિ છે. ચંપારણમાં જેમ આંબાનાં વન છે તેમ ત્યાં સને ૧૯૧૭માં ગળીનાં ખેતરો હતાં. પોતાની જ જમીનના ત્રણ વિશાંશ ભાગમાં ચંપારણના ખેડૂતો ગળીનું વાવેતર તેના મૂળ માલિકોને સારુ કરવા કાયદેથી બંધાયેલા હતા. આનું નામ તીનકઠિયા કહેવાતું હતું. વીસ કઠાનો ત્યાંનો એક એકર ને તેમાંથી ત્રણ કઠાનું વાવેતર એનું નામ તીનકઠિયાનો રિવાજ. ગળીની ખેતીને કારણે જમીન ખરાબ થતી. ખેડૂતોની દુર્દશા થતી.

ચંપારણના એક ખેડૂત રાજકુમાર શુક્લના પ્રેમભર્યા આગ્રહથી ગાંધીજી ત્યાંના ખેડૂતોની દયનીય પરિસ્થિતિની જાતતપાસ માટે ગયેલા. એમને લાગ્યું કે ચંપારણમાં બરોબર કામ કરવું હોય તો ગામડાંમાં કેળવણીનો પ્રવેશ થવો જોઈએ. લોકોનું અજ્ઞાન દયાજનક હતું. ગામડાંનાં છોકરાં રખડતાં હતાં. અથવા માબાપો તેમને દિવસના બે કે ત્રણ પૈસા મળે તેટલા સારુ આખો દહાડો ગળીનાં ખેતરોમાં મજૂરી કરાવતાં. આ સમયે પુરુષોની મજૂરી દસ પૈસા કરતાં વધારે નહોતી. સ્ત્રીઓની છ પૈસા અને બાળકોની ત્રણ, ચાર આનાની મજૂરી મળે તે ખેડૂત ભાગ્યશાળી ગણાય.

ગાંધીજીએ પોતાની આત્મકથા ‘સત્યનાં પ્રયોગો’માં ચંપારણ સત્યાગ્રહની ભૂમિકા બાંધતાં નોંધ્યું છે કે, “સાથીઓ સાથે ઠરાવ કરી છ ગામડાંમાં પ્રથમ તો બાળકોને સારુ નિશાળ ખોલવાનો ઠરાવ થયો. શરત એવી હતી કે, તે તે ગામડાંનાં આગેવાનોએ મકાન અને શિક્ષકનું ખાવાનું આપવું, તેનું બીજું ખર્ચ અમારે પૂરું પાડવું. અહીંનાં ગામડામાં પૈસાની છોળ નહોતી, પણ અનાજ વગેરે પૂરું પાડવાની લોકોની શક્તિ હતી, એટલે લોકો કાચું અનાજ આપવા તૈયાર થઈ ગયા હતા. શિક્ષકો ક્યાંથી લાવવા એ મહાપ્રશ્ન હતો. મારી કલ્પના એ હતી કે, સામાન્ય શિક્ષકના હાથમાં બાળકો ન જ મુકાય; શિક્ષકને અક્ષરજ્ઞાન ભલે ઓછું હોય, પણ તેનામાં ચારિત્રબળ જોઈએ.’’

આ કામને સારુ ગાંધીજીએ સ્વયંસેવકોની જાહેર માગણી કરી. અવંતિકાબાઈ ગોખલેને તેડું મોકલ્યું. મુંબઈનાં સુશિક્ષિત, સભ્ય સમાજનાં હતાં. આલીશાન ઘરમાં રહેતાં. વીજળી અને ગેસની સુવિધા એમને ઉપલબ્ધ હતી. પરંતુ બિહારમાં જે ગામમાં રહેવાનું હતું ત્યાં ફાનસની સગવડ મેળવવી પણ અઘરું હતું. છતાં ગાંધીજીનો આદેશ થતાં જ બબનરાવ અને અવંતિકાબાઈ મુંબઈથી ચંપારણ જવા નીકળી પડ્યા. પતિપત્ની હંમેશાં રેલમાં બીજા વર્ગમાં પ્રવાસ કરતાં, પણ ગાંધીજીના આદેશથી બિહાર જઈ રહ્યાં હોવાથી ત્રીજા વર્ગમાં મુસાફરી કરીને ચંપારણ પહોંચ્યાં. ગાંધીજીએ પુત્ર દેવદાસને ગોખલે બેલડીને સ્ટેશને તેડવા માટે મોકલ્યો ત્યારે કહ્યું : “અવંતિકાબાઈ ત્રીજા વર્ગમાં આવશે તો જ એમને અહીં રાખીશ, નહીંતર મુંબઈ ભેગાં કરી દઈશ.” પણ દેવદાસ રેલવેના બીજા વર્ગમાં તપાસ કરીને ખાલી હાથે પાછો આવ્યો. ગાંધીજીને કહ્યું, “અવંતિકાબાઈ તો આ ગાડીમાં આવ્યાં નથી.” ત્યાં સુધીમાં અવંતિકાબાઈ તો ગાંધીજી પાસે પહોંચી ગયેલાં. ગાંધીજી કહે, “મેં તો પહેલાં જ કહેલું કે અવંતિકાબાઈ ત્રીજા વર્ગમાં આવશે.”

અવંતિકાબાઈ ઉપરાંત દક્ષિણથી આનંદીબાઈ આવ્યાં. મહાદેવ દેસાઈનાં પત્ની દુર્ગાબહેન તથા નરહરિ પરીખનાં પત્ની મણિબહેન પણ આવ્યાં. કસ્તૂરબાઈ આવી ગયાં. આટલો શિક્ષકો અને શિક્ષિકાઓનો સંઘ પૂરતો હતો. ગાંધીજીએ નોંધ્યું છે કે, ‘બહેનોને સમજાવી કે તેમણે છોકરાંને વ્યાકરણ નહીં પણ રીતભાત શીખવવાની છે, વાંચતાંલખતાં કરતાં તેમને સ્વચ્છતાના નિયમો શીખવવાના છે. હિંદી, ગુજરાતી, મરાઠી વચ્ચે મોટો ભેદ નથી એ પણ તેમને બતાવ્યું, ને પહેલાં વર્ગમાં તો માંડ આંકડાઓ માંડતાં શીખવવાનું હોય એટલે મુશ્કેલી ન જ આવે. પરિણામ એ આવ્યું કે, બહેનોના વર્ગ બહુ સરસ રીતે ચાલ્યા. બહેનોને આત્મવિશ્વાસ આવ્યો ને તેમને પોતાના કામમાં રસ પણ આવ્યો. અવંતિકાબાઈની શાળા આદર્શશાળા બની. તેમણે પોતાની શાળામાં પ્રાણ રેડ્યો. તેમની આવડત પણ પુષ્કળ હતી.

સ્વયં ગાંધીજીએ અવંતિકાબાઈની પ્રશંસા કરવી પડે એવું અદ્દભુત કામ એમણે કરી બતાડેલું. પણ એનાથીયે મોટું કામ એમણે એ કર્યું કે ગાંધીજીનું પ્રથમ ચરિત્ર લખ્યું. ચંપારણમાં મહાત્મા ગાંધીના માર્ગદર્શનમાં સ્વયંસેવિકાઓને કામ કરતી જોઈને અવંતિકાબાઈને ગાંધીજીનું ચરિત્ર લખવાનો વિચાર આવ્યો. મનમાં થયું કે આટલા મહાન મહાત્માના ચરિત્રને અક્ષરદેહે કંડારવાનું કામ મારા જેવી અલ્પમતિ સ્ત્રી કરે એ તો નાના મોંએ મોટી વાત કરવા જેવું થાય. પણ પછી વિચાર્યું કે જે રીતે પ્રભુનાં ગુણગાન કરવાનો અધિકાર સહુને છે, એ રીતે મહાત્માના ગુણોની ભક્તિ કરવાનો અધિકાર સૌને એક સમાન છે. આ ભાવનાથી પ્રેરાઈને અવંતિકાબાઈએ ભગીરથ કામ હાથ ધર્યું. ૧૯૧૮માં અવંતિકાબાઈ ગોખલે લિખિત ‘મહાત્મા ગાંધી યાંચે ચરિત્ર-વિશેષ પરિચય, લેખ વ વ્યાખ્યાન’ શીર્ષક સાથે ગાંધીજીનું સર્વપ્રથમ ચરિત્ર મરાઠી ભાષામાં પ્રકાશિત થયું. પ્રસ્તાવનામાં લોકમાન્ય ટિળકે સાચું જ કહ્યું છે કે, ભવિષ્યના ચરિત્રલેખકો માટે આ પુસ્તક દિશાદર્શકનું કામ કરશે!

મહાત્મા ગાંધીજીના મૃત્યુ પછી બે જ મહિનામાં ૨૫ માર્ચ ૧૯૪૮ના ગાંધીજીનાં પટ્ટશિષ્યા એવાં અવંતિકાબાઈનું નિધન થયું. પરંતુ આજે પણ ગાંધીજી વિશેનું એમનું પુસ્તક જીવનચરિત્રના લેખકો માટે સાચા અર્થમાં દિશાદર્શક બની રહ્યું છે!

સૌજન્ય : “કોડિયું”; ઑક્ટોબર 2023; પૃ. 99-101
મુદ્રાંકન સૌજન્ય : વલ્લભભાઈ નાંઢા તેમ જ કેતનભાઈ રુપેરા

Loading

...102030...931932933934...940950960...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved