વેપાર જેટલી સેક્યુલર પ્રવૃત્તિ બીજી એકે ય નથી. તમારે કોઈ ચીજ વેચવી હોય અને સામેવાળો ખરીદવા માગતો હોય અને જો તેની પાસે પૈસા હોય તો તમે એ કોણ છે એની ચિંતા કરતા નથી. અને જો એ ખરીદનાર કોઈ ખાસ પ્રકારની કોમનો સભ્ય હોય અને એ કોમની ખાસ પ્રકારની જરૂરિયાત હોય તો એને માટે જરૂરિયાતની ચીજનું ખાસ ઉત્પાદન કરીને માર્કેટ વિકસાવામાં આવે છે. આને માટે કેટલીક એજન્સીઓ અસ્તિત્વમાં આવી છે જે સમાજનું બારીકાઇથી નિરીક્ષણ કરે છે અને માર્કેટની સંભાવના શોધી આપે છે. આવી એજન્સીઓને છેલ્લા બે ત્રણ દાયકાથી ધ્યાનમાં આવવા માંડ્યું કે વધુને વધુ સંખ્યામાં લોકો પોતાની જાતીય સંવેદના અને જાતીય પસંદગી (sexual orientation) શરમાયા વિના અને સમાજની ઐસીતૈસી કરીને ગભરાયા વિના વ્યક્ત કરી રહ્યા છે. ઊઘાડી રીતે આની કબૂલાત કરનારાઓની સંખ્યા વધી રહી છે. ભારત જેવા પ્રમાણમાં રૂઢિચુસ્ત દેશમાં પણ તેમનું પ્રમાણ વધી રહ્યું છે.
જે લોકો સ્ત્રી-પુરુષ વચ્ચેના જાતીય સંબંધો(heterosexual)ની વ્યાખ્યામાં બેસતા નથી અને તેમની જાતીય પસંદગી અલગ પ્રકારની છે એવા કેટલા લોકો હશે અને તેમની જો કોઈ ખાસ જરૂરિયાત હશે તો એ કઈ રીતની હશે, એનું માર્કેટ નક્કી કરવા એજન્સીઓ સર્વે કરવા માંડી. તમે શું માનો છો? આવા કેટલા લોકો હશે? વિવિધ એજન્સીઓએ કરેલા સર્વેનું સર્વસાધારણી કરો તો લગભગ દસ ટકા લોકો ખુલ્લેઆમ કબૂલ કરે છે કે તેઓ સમલિંગી છે અથવા બન્ને પ્રકાના સંબંધો (bisexual) ધરાવે છે અથવા ટ્રાન્સ જેન્ડર છે. બીજા દસ ટકા લોકો સ્પષ્ટ જવાબ આપતા નથી એનો અર્થ એ થયો કે તેઓ ભલે બહાર ન આવ્યા હોય, પણ તેમની જાતીય પસંદગી અલગ પ્રકારની હોઈ શકે છે. પણ દસ ટકાનો આંકડો નિશ્ચિત છે, કદાચ વધુ પણ હોય.
માર્કેટ જેનો સ્વીકાર કરે છે એનો સમાજને સ્વીકાર કરવામાં મુશ્કેલી પડે છે. દસ ટકા લોકોની જાતીય પસંદગી માન્યતાપ્રાપ્ત જાતીય પસંદગી કરતાં જૂદી હોય તો પણ તેનો સ્વીકાર કરવામાં બળ પડે છે. દસ ટકા એ કોઈ નાની સંખ્યા નથી. વાસ્તવિકતા કાને અથડાઈ રહી હોવા છતાં તેનો સ્વીકાર નથી કરવો.
સર્વોચ્ચ અદાલતના પાંચ ન્યાયમૂર્તિઓએ ચાર અલગ અલગ ચુકાદાઓમાં હાથ ઊંચા કરવાનું કામ કર્યું છે. કાયદો ઘડવાનું કામ અમારું નથી, અમારું કામ તો કાયદાનું અર્થઘટન કરવાનું છે. માટે ન્યાય જોઈતો હોય તો લોકો પાસે જાવ જેઓ કાયદાઓ ઘડે છે. કાયદો ઘડાયા પછી અમે તેનું અર્થઘટન કરીને કહેશું કે કાયદો ભેદભાવ વિનાનો ન્યાયી છે કે અન્યાયી. કાયદો બંધારણ સુસંગત છે કે વિસંગત. આનો અર્થ એ થયો કે પહેલાં કાયદો ઘડનારાઓને અન્યાય કરવા દો પછી અમે ન્યાય આપીશું. પણ કાયદો ઘડનારાઓ કાયદો ઘડે જ નહીં તો? તો શું ન્યાય માગનારાઓએ ન્યાયના શૂન્યાવકાશમાં જીવન વ્યતીત કરવાનું? આ ચુકાદો બેહુદો છે અને એ કઈ રીતે બેહુદો છે એ જોઈએ.
દેશમાં આધુનિક શિક્ષણના પરિણામે આધુનિક જીવનમૂલ્યો વિકસ્યાં એ પછી પારંપારિક લગ્નસંસ્થા સામે પ્રશ્નો થવા લાગ્યા. જો હિંદુ યુવક કે યુવતી મુસ્લિમ કે બીજા વિધર્મી યુવક કે યુવતી સાથે લગ્ન કરવા માગતો હોય તો તેણે કયા ધર્મની લગ્નવિધિ કરવી? એમાં તો કોઈ એકે ધર્માન્તરણ કરવું પડે અને લગ્ન માટે પોતાનો ધર્મ છોડવો પડે એ તો અન્યાય કહેવાય. ટૂંકમાં આંતરધર્મીય લગ્નોત્સુકોની સંખ્યા વધવા લાગી. કેટલાક નાસ્તિક હતા અને તેઓ લગ્નમાં ધર્મને વચ્ચે લાવવા માગતા નહોતા. આ સિવાય આનાથી પણ મહત્ત્વનો સવાલ હતો. દરેક ધર્મના પારિવારિક કાયદાઓ (Personal Laws) સ્ત્રીઓને અન્યાય કરનારા છે અને કોઈ સ્ત્રીએ તેનો શિકાર ન બનવું હોય તો? પછી ભલે યુવક અને યુવતી એક જ ધર્મના હોય અને કદાચ ધાર્મિક પણ હોય. અન્યાય કરનારા ધાર્મિક-સામાજિક રિવાજોને નકારવાનો અને તેનાથી બચવાનો અધિકાર મળવો જોઈએ કે નહીં?
આઝાદી પછી આ સવાલ ઉપસ્થિત થવા લાગ્યો. ત્યારના શાસકો બહેરા અને અસંવેદનશીલ નહોતા. સ્ત્રીઓને અને બીજાઓને ભલે અન્યાય થાય પણ આપણો ધર્મ મહાન એવો નશો કરાવતા નહોતા. પરિણામે ૧૯૫૪માં સ્પેશિયલ મેરેજ એક્ટ ઘડવામાં આવ્યો જેમાં ધર્મ અને ધર્મ આધારિત સામાજિક રીવાજો ક્યાં ય આડા આવતા નથી. સ્પેશિયલ મેરેજ એક્ટ ધર્મ આધારિત રિવાજોને નકારવા માટે નથી, પણ નાગરિકના પોતાની મરજી મુજબ અને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્નના અધિકાર માટે છે. એવી જ રીતે સ્પેશિયલ મેરેજ એક્ટ લગ્નોત્સુકોની લૈંગિકતાને સ્વીકારવા કે નકારવા માટે નથી, પણ હમણાં કહ્યું એમ નાગરિકના પોતાની મરજી મુજબ અને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાના અધિકાર માટે છે. સ્પેશિયલ મેરેજ એક્ટ નાગરિકને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો જે અધિકાર આપે છે એ અધિકાર સર્વોચ્ચ અદાલતે સમલિંગીઓને પણ આપવો જોઈતો હતો. આમાં નવો કાયદો ઘડવાનો સવાલ ક્યાં આવ્યો?
ટૂંકમાં મને એમ લાગે છે કે સર્વોચ્ચ અદાલત સમલિંગીઓને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ ન્યાય આપી શકતી હતી. સમાજના દસ ટકા લોકોને (અને કદાચ તેનાથી પણ વધુ) ક્યાં સુધી અન્યાય કરવાનો?
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 ઑક્ટોબર 2023