Opinion Magazine
Number of visits: 9456203
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કવિ કાન્ત : રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરી શકે એવી જય ખોલિયાની ફિલ્મ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 July 2025

મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

સુરતના જય ખોલિયાએ સુરેશ જોશીની ‘મૃણાલ’ કવિતા પર શોર્ટ ફિલ્મ કરેલી, ત્યારે એમનો કલાત્મક અભિગમ પરખાયેલો. એ હવે ‘કવિ કાન્ત’ પર 85 મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ લઈને આવ્યા છે ને કહેવું જોઈએ કે ડોક્યુમેન્ટરી કલાત્મક પણ બને એ માટેના અનાયાસ પ્રયત્નો એમણે કર્યા છે. આ ફિલ્મ કોઈ પણ ફિલ્મ ફેસ્ટિવલ કે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ગૌરવભેર ઊભી રહી શકે ને પુરસ્કૃત થઈ શકે તે કક્ષાની છે.

ઘણાં પ્રાથમિક સ્કૂલમાં કાવ્ય ભણ્યા હશે – ‘હિંદમાતાને સંબોધન’. 

ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં !  

કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં ! 

હિંદુ અને મુસલમિન : વિશ્વાસી પારસી, જિન : 

દેવી ! સમાન રીતે સંતાન સૌ તમારાં ! 

કવિ કાન્તે 1922માં ગુલામીના કાળમાં દેશભક્તિની વાત કરી છે. આજે કોમ, કોમ વચ્ચેનું વૈમનસ્ય વધે એ માટેના સભાન પ્રયત્નો થાય છે, ત્યારે કાન્તે બધી કોમને સાથે મૂકીને રાષ્ટ્રભક્તિ ગાઈ છે. એ કાવ્ય છેલ્લે આવે છે ને તે સહેતુક પણ છે. ફિલ્મ જેમને અર્પણ કરાઈ છે તે દાદા ડો. જયંતકુમાર એમ. ભટ્ટ અને મા મનોરમા જે. ભટ્ટ અને જેમનું સ્મરણ કરાયું છે એ સૌને, આ કૃતિ અંજલિ અને રાષ્ટ્રભક્તિનો સંકેત સમાંતરે આપે છે. દર્શના ભુતા-શુક્લ દ્વારા એ ગવાયું પણ છે બહુ ભાવવાહી રીતે …

18 જૂન, 2023ને રોજ કાન્તની મૃત્યુ શતાબ્દી નિમિત્તે પૂર્વાલાપ ફાઉન્ડેશન દ્વારા એક દિવસનો પરિસંવાદ ગુજરાત વિશ્વકોશ, અમદાવાદ ખાતે યોજાયો. તેમાં કાન્તનો સમગ્ર પરિવાર પણ ઉપસ્થિત હતો. કાર્યક્રમને અંતે કાન્તના પ્રપૌત્ર મુકુલ પંડયાએ કાન્તના જીવન-કવનને લગતી દસ્તાવેજી ફિલ્મ નિર્માણનું કામ જય ખોલિયાને સોંપ્યું ને 40 મિનિટની બનાવવા ધારેલી ફિલ્મ સંશોધન, સામગ્રી અને પુરાવાને લીધે 85 મિનિટની થઈ.

‘કેટલાંક જન્મથી ગ્લાનિનાં બાળકો હોય છે..’થી કમલ જોશીના અવાજમાં ફિલ્મનો પ્રારંભ થાય છે, ત્યારે સ્ક્રીન પર જળથી સીંચાયેલી ધરતી, ચંદ્રનો આભાસ આપતી ઉપર સરકતી જાય છે ને પછી કિનારા તરફ આવતાં આવતાં આકાશી જળ સાથે નામ ઉપસે છે – Kavi Kant’s Purvalaap Foundation presents – 16 જૂન, 2023ને રોજ મૃત્યુ શતાબ્દી ગઈ, એ સંદર્ભે ગુજરાતી કવિ, લેખક, અનુવાદક મણિશંકર રત્નજી ભટ્ટ ’કાન્ત’ની પરિચયાત્મક પંક્તિ સંગીત સાથે પ્રગટે છે. નાટ્યકાર કમલ જોશીના અવાજમાં કાન્તનું જીવન ઊઘડતું આવે છે. એ કોમેન્ટરી નથી, મનપ્રવેશ છે. કાન્ત ‘સાગર અને શશી’થી ઓળખાય છે. એનું નિમિત્ત ગોપનાથનો દરિયો છે. એમાં થયેલ પૂર્ણચંદ્ર દર્શનનો કાન્તે મહિમા ગાયો છે ને સાગરની ભરતી સાથે ભીતરે ઊઠતી ભાવભરતીની અનુભૂતિ, કાવ્યને વિશિષ્ટ અને અવિસ્મરણીય બનાવે છે. ફિલ્મમાં સાગરી જળ ઓસરતાં બતાવીને પૂર્ણચંદ્રને એવી રીતે ઝીલ્યો કે ‘સાગર અને શશી’માંથી ‘અને’ લોપ પામે ને એમ સાગરશશીની સહોપસ્થિતિ પછી એ ચંદ્ર પર નામ અંગ્રેજી અને ગુજરાતીમાં પ્રગટ્યું – Kavi Kant / કવિ કાન્ત. શંકરાભરણ રાગમાં જ્યારે 37 માત્રાના ઝૂલણાનો પ્રલંબ લય ગવાય છે, ત્યારે શબ્દ અને સૂરનું સંયોજન અનુભવાય છે. ‘સાગર અને શશી’ વિશિષ્ટ દૃશ્યો વચ્ચે, આશિત દેસાઈનાં સંગીત નિર્દેશનમાં આલાપ દેસાઈ અને વૃંદના સ્વર માધુર્ય સાથે ગવાયું પણ ખરું.

કાન્તનો જન્મ લાઠીથી 5 માઈલ દૂરનાં ચાવંડ ગામમાં, 20 નવેમ્બર, 1867માં. સ્ક્રીન પર ગામનું નૈસર્ગિક વાતાવરણ, ચામુંડાનું મંદિર પ્રગટ થાય એ સાથે જ પિતા રત્નજી ભટ્ટ અને માતા મોતીબાની તથા પોતે ચાર ભાઈઓમાં સૌથી નાના હોવાની વિગતો કૌટુંબિક રેખાંકનો સાથે અપાય છે. ગામના જ વિજય ડેર, ખંડેર થઈ ગયેલ કાન્તનાં ઘરનો-શેરીનો ખ્યાલ આપે છે. એ પછી સ્ક્રીન પર મૂળ સમેત એક છોડ આવી પડતો દેખાય છે ને શબ્દો સંભળાય છે, ‘અગિયાર વર્ષનો હતો ત્યારે પિતાનું મૃત્યુ થયું.’ છોડનાં પ્રતીક દ્વારા કાન્તનાં સંતાનો, બંને પત્નીનાં મૃત્યુ પણ અસરકારક રીતે સૂચવાયાં છે.

એક દૃશ્ય વૃક્ષો, ટેકરીઓ ને ખળખળ વહેતાં જળનું આવે છે ને એક લાઇન દેખાય છે – કાન્તે પહેલું કાવ્ય 14 વર્ષની ઉંમરે આમ લખેલું – ખળખળ કરતું જળશિશુ રમતું … દૃશ્યમાં જળ પણ રમતું જતું દેખાય છે. કાન્તે મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ મહેશ્વર પાસેથી છંદનું જ્ઞાન લીધેલું. એને કારણે કાવ્યોમાં જુદા જુદા છંદોનો વિનિયોગ કરવાનું કાન્તને સરળ હતું. રાજકોટ કાઠિયાવાડ હાઇસ્કૂલમાં ત્રણ મિત્રોની વિગતો સ્ક્રીન પર ફોટા સાથે અપાય છે – કાન્તથી આગળના વર્ષમાં પ્રભાશંકર પટ્ટણી હતા, તો પાછળના વર્ષમાં હતા – બળવંતરાય ઠાકોર અને મોહનદાસ ગાંધી. 1888માં કાન્તે મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી. કાન્તની પહેલી પત્ની નર્મદા, પણ ઘરનાં તેને નદી કહીને બોલાવતાં. સ્ક્રીન પર ઊપસેલી લગ્નની વેદીનાં રેખાચિત્રમાં વરકન્યા પરણે છે. ‘મુજ નયનની સાથે યોગ્ય જોડું રચાય….’નું પઠન વિનોદ જોશીના અવાજમાં શરૂ થાય છે. જો કે, ‘નદી’ પણ રહેતી નથી, વહી જાય છે. ફિલ્મમાં કાન્તનાં ‘કલ્પના અને કસ્તૂરીમૃગ’, ‘ચક્રવાકમિથુન’, ‘મૃગતૃષ્ણા’ જેવાં બારેક કાવ્યોનું પઠન વિનોદ જોશીએ કર્યું છે ને છંદોબદ્ધ રચનાનો પાઠ પ્રભાવક રીતે કેમ થાય એનો એમણે નમૂનો પૂરો પાડ્યો છે. સંસ્કૃત સાહિત્ય કરતાં કાન્ત પાશ્ચાત્ય સાહિત્યથી વધુ પ્રભાવિત હતા. તેમનું સર્જનાત્મક કાર્ય પંડિતયુગના (1885-1930) ગાળામાં થયું. ખંડકાવ્ય પ્રકાર તેમની દેન છે. ખંડકાવ્યની ખૂબી એ છે કે તે પૌરાણિક શાપિત પાત્રની વેદનાને સ્પર્શે છે, પણ લક્ષ્ય આધુનિક સંવેદનાને કરે છે. કાન્ત પાસેથી એવાં ખંડકાવ્યો મળ્યાં છે કે તેની આગળ જઈ શકે એવી કૃતિની પ્રતીક્ષા રહે છે.

1885-1888 કાન્તનો કોલેજ કાળ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં વીત્યો. તેમના વિષયો હતા લૉજિક અને મોરલ ફિલોસોફી. સ્ક્રીન પર કોલેજની ભવ્ય ઇમારત, વિદ્યાર્થીઓનું લિસ્ટ, કોલેજનો પેસેજ વગેરે આકર્ષક રીતે સિતારવાદનની પડછે કેમેરામાં ઝીલાયું છે, એ સાથે જ અભ્યાસમાં આવેલી ઉત્તમ કૃતિઓનાં પૃષ્ઠો પણ દર્શાવાયાં છે. અહીં વિશ્વસાહિત્યનું આચમન-અધ્યયન થયું. 1888માં બી. એ. સેકંડ કલાસમાં પૂરું કર્યું. એ પછી સુરત, વડોદરા, ભાવનગર જેવાં ટાવરી નગરોમાં શિક્ષક, શિક્ષણાધિકારી જેવા હોદ્દાઓ પર નોકરી કરી. ‘વસંત વિજય’નું પૃષ્ઠ દેખાય છે ને દર્શક સાંભળે છે કે એ કાવ્ય ગુજરાતીમાં વિશિષ્ટ થશે. (ઘણો સંભવ છે કે એ કાવ્ય સુરતમાં લખાયું હોય) કાન્તને પોતાને શ્રદ્ધા હતી કે તેમનું નામ ગુજરાતી સાહિત્યમાંથી સરળતાથી નહીં ભૂંસાય ને આ ડોક્યુમેન્ટરીનું નિર્માણ એનો દૃશ્ય-શ્રાવ્ય પુરાવો છે. કાન્તની ઈશ્વર, પ્રેમ, ધર્મ, ધર્મ પરિવર્તન અંગેની ફિલસૂફી પ્રગટ થતી રહે છે. 1992માં બીજી પત્ની ઘરમાં આવે છે. તેનું નામ પણ નર્મદા જ છે, પણ ઓળખાય છે ‘નાની’ તરીકે. તે ‘કાન્ત’ના કાવ્યોમાં રસ લે છે ને ‘ઓરિજિનલ’ લાગે તેવાં મંતવ્યો પણ આપે છે.

દીકરા પ્રાણલાલને કફની બીમારી છે. તે કેટલી ગંભીર છે તે દર્શાવવા કાળી, કોરી, કાંટાળી ઝાડી દર્શાવી છે. જાણે ગળામાં ઘસરકાતી હોય ! વળી એક છોડ, મૂળમાંથી ઊખડીને આવી પડે છે. પ્રાણલાલ ગુજરી જાય છે. 1898થી 1900નો ગાળો કાન્તના ધર્મપરિવર્તનનો છે. ભારે વિરોધ પછી લોકલાજે મૂળ સંસ્કારોમાં પાછા ફરવા છતાં ખ્રિસ્તી ધર્મમાંની તેમની આસ્થા ખૂટતી નથી. એ સાથે સંતાનો-પત્નીનાં મૃત્યુ, ઘોર ઉપેક્ષા – એ બધું 56 વર્ષની જિંદગીમાં કેટલુંક ટકવા દે? 16 જૂન, 1923ને રોજ રાવલપિંડીથી લાહોર જતા હતા, ત્યારે તાવ અને અશક્તિથી શ્વાસ પણ લઈ શકાતો ન હતો. (એમનો દેહ સેકન્ડ ક્લાસ કંપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો) ટ્રેનમાંથી પસાર થતાં દૃશ્યો દેખાય છે, પણ એને જોનાર હવે કૈં જુએ એવું નથી. વક્રતા એ છે કે એમનો કાવ્યસંગ્રહ ‘પૂર્વાલાપ’ મૃત્યુને દિવસે જ, 16 જૂને, અમદાવાદથી પ્રગટ થાય છે. કેટલાં ય દૃશ્યોમાં કમલ જોશીના અવાજમાંથી ઊઠતી ટીસ કરુણને વધુ ઘેરો બનાવે છે. ક્ષીણ થતી જતી બીજની ચંદ્ર કળા સાથે ફિલ્મ અંત તરફ વળે છે.

આ ફિલ્મનું પરમ આશ્ચર્ય એ છે કે હિરેન ચૌધરી અને જય ખોલિયાએ પ્રોફેશનલ કેમેરાથી શૂટ કરી હોય એવી સજ્જતાથી, પૂરી ફિલ્મ મોબાઇલમાં શૂટ કરી છે. જયની ખંતીલી ઝીણવટ અને સંશોધનાત્મક-અભ્યાસુ દૃષ્ટિ, ઉત્તમ પરિણામ તરફી રહી તેથી ફિલ્મ ચીલાચાલુ ડોક્યુમેન્ટરી અને નીરસ જીવનવૃત્તાંત બનવામાંથી ઊગરી ગઈ. એ મુંબઈ, અમદાવાદ બાદ હવે સુરતમાં પણ વિન્ટેજ વેટરનમાં 6 જુલાઈએ કાપડિયા હેલ્થ ક્લબમાં દર્શાવાશે.

આ ડોક્યુમેન્ટરી માટે પત્રો, અમૃત ગંગર, કુમારપાળ દેસાઈ, સતીશ વ્યાસ, પીયૂષ પારાશર્ય, મીનળ પટેલ જેવાનાં વક્તવ્યો – મુલાકાતો, કાવ્યપાઠ, સંગીત, પ્રકૃતિ દૃશ્યો, સૂર્ય-ચંદ્રની ટેલિસ્કોપિક લીલાઓ….નું સંયોજન એવી સજીવ રીતે થયું છે કે તેને ડોક્યુમેન્ટરી ન રહેવા દેતાં કલાત્મક ફિલ્મનો સ્પર્શ આપે.

જય ખોલિયાએ કલાત્મક ડોક્યુમેન્ટરીઓ કરવી હોય એટલી કરે, પણ એ કલાત્મક ફીચર ફિલ્મ અંગે પણ વિચારે. તેમનું એ પ્રકારનું કાઠું છે, તે એટલે પણ કે અત્યારે ફિલ્મોનો લીલો અને કલાત્મકનો સૂકો દુકાળ ચાલે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 જુલાઈ 2025

Loading

જેલમાં લખાયેલું એક અનોખું નાટક 

દીપક મહેતા|Opinion - Literature|3 July 2025

ગ્રંથયાત્રા : 7

અઢાર-ઓગણીસ વરસનો એક ટીનએજર છોકરો. નાશિકની જેલમાં પુરાયો છે. ના, હોં! કાળાધોળા કરીને જેલમાં નહોતો ગયો એ. ગાંધીજીની રાહબરી નીચેની દાંડી કૂચમાં ભાગ લીધેલો એટલે ત્રણ મહિનાની જેલની સજા થયેલી. જેલની દીવાલ ખાસ્સી ઊંચી. બહારની દુનિયા તો દેખાય જ નહિ. પણ જેલની બહાર એક વડનું ઝાડ. એ પણ કાંઈ આખું દેખાય નહિ. પણ એ હતું ખાસ્સું ઊંચું, એટલે તેની ડાળીઓનો જાણે કે એક ટુકડો પેલા યુવાન કેદીને જોવા મળતો. એ જોતાં એનું મન થોડાં વર્ષો પાછળ ચાલ્યું જાય. એનું વતન તો ભાવનગર, પણ એક-બે વરસ જૂનાગઢની સ્કૂલમાં ભણેલો. ત્યારે મજેવડી દરવાજે એક ખાસ્સો મોટો વડ. એની ડાળીઓ પર દોસ્તારો સાથે ઝૂલેલો, ધીંગામસ્તી કરેલા. એ બધું યાદ આવે. રાજકીય કેદી હતો એટલે લખવા-વાંચવાની છૂટ હતી. જેલર પાસે કલમ ને કાગળ માંગ્યા, અને જાણે ઝોડ વળગ્યું હોય તેમ માંડ્યો લખવા. લખ્યા પછી જેલમાંના સાથીઓ આગળ વાંચી ગયો. બધાને ગમ્યું. જેલમાંથી બહાર આવ્યો તે પછી ૧૯૩૧માં ચોપડી રૂપે છપાવ્યું એ લખાણ. 

એ ચોપડી હતી એક નાટકની. એનું નામ ‘વડલો.’ અને તેનો યુવાન લેખક તે કૃષ્ણલાલ શ્રીધરાણી. ૧૯૧૧ના સપ્ટેમ્બરની ૧૬મી તારીખે તેમનો જન્મ. આવતી કાલે એ વાતને ૧૦૨ વર્ષ પૂરાં થશે. જૂનાગઢના અભ્યાસનાં વર્ષ બાદ કરતાં ભાવનગરની દક્ષિણામૂર્તિમાં અને પછી ગુજરાત વિદ્યાપીઠમાં ભણેલા. આવો છોકરડો પહેલી વાર નાટક લખતો હોય ત્યારે ઘણુંખરું બીજા કોઈ મોટેરા નાટકકારનું અનુકરણ નહિ, તો ય અનુસરણ કરે. પણ ‘વડલો’ને થોડુંઘણું પણ મળતું આવે તેવું બીજું કોઈ નાટક આપણી ભાષામાં તો ત્યાં સુધીમાં લખાયું નહોતું, આજે પણ લખાયું નથી. ભારતની મરાઠી-બંગાળી જેવી બીજી ભાષાઓના સાહિત્યનો, અંગ્રેજી કે યુરોપીય સાહિત્યનો, એ વખતે શ્રીધરાણીને પરિચય હતો કે નહિ, હતો તો કેટલો, તે આપણે જાણતા નથી. પણ બીજી ભાષાઓમાં પણ એ વખતે આવું નાટક મળવું મુશ્કેલ. જેલમાં બેઠેલા કેદી માટે તો લગભગ અસંભવ. એટલે, લેખકે બીજા કોઈને નહિ, પણ પોતાની જાતને પૂછી પૂછીને આ નાટક લખ્યું છે. નાટકમાં પાત્રો તો ઘણાં છે, પણ માણસો તો ગણ્યાગાંઠ્યા જ છે. ભથવારી, એનો પતિ ગોવાળિયો, નિશાળના તોફાની છોકરાઓ અને એમને મારવા દોડતા આવતા માસ્તરને બાદ કરતાં આ નાટકની સૃષ્ટિમાં માણસો જોવા નથી મળતા. તો પછી નાટકમાં પાત્રો તરીકે આવે છે કોણ? પહેલવહેલો, નાટકનો નાયક વડલો. હા, વડનું ઝાડ. અને ખલનાયક કહી શકાય એવો ઝંઝાવાત. સૂત્રધાર છે કૂકડો. ધીરોદાત્ત નાયકનું ખલનાયકને હાથે મોત થાય છે. એટલે જ કદાચ લેખકે આ નાટકને ‘શોક પર્યવસાયી’ નાટક તરીકે ઓળખાવ્યું છે. ચંદ્રવદન મહેતાએ એમની લાક્ષણિક શૈલીમાં કહ્યું છે : “કહે. કવિ છે. એને ફાવે તેમ કહે. શેનો શોક – શેની ગ્લાનિ – વડલો વાયુએ વિંઝાઈ ગયો એનો? દરેક માણસ મરે છે. એથી આજના અર્થમાં દરેકની ટ્રેજેડી નથી થતી. વડલો લાંબુ જીવે છે, પણ આખરે તો ભલભલાનાં મૂળિયાં ઊખડી જવાનાં છે. પણ વડલો ધીરગંભીર સમભાવશાળી સંવેદનશીલ કૃતિનાયક છે.” નાટકનો અંત પણ નિરાશાપ્રેરક નથી. જુઓ ઝરણીના આ શબ્દો : “વડદાદાનો દેહ પડ્યો છે, પણ પ્રાણ તો હજી અણનમ છે. અને જે ઝંઝાવાતે વડદાદાના મહાન જીવનનો અંત આણ્યો છે તે જ ઝંઝાવાતે વડદાદાના અસંખ્ય ટેટાઓ ગાઉઓના ગાઉ સુધી પ્રસારી દીધા છે. એ ટેટાઓમાંથી વડદાદા જેવા બીજા અસંખ્ય વડલાઓ ફૂટી નીકળશે.” ‘પુનરપિ જનનમ્, પુનરપિ મરણમ્…’ એ શંકરાચાર્યના શબ્દો યાદ આવી જાય એમ છે.

અમાનવીય પાત્રોને આગવું વ્યક્તિત્ત્વ આપવું મુશ્કેલ. પણ અહીં લેખકે એ મુશ્કેલ કામ કરી બતાવ્યું છે. અહીં જે પાત્રો જોવા મળે છે તે છે કોયલ, પોપટ, કાગડો, કાબર, મેના, મોરલો, રાજહંસ, બપૈયો, સૂડો જેવાં પંખીઓ, કમલિની, સૂર્યમુખી, ચંપો, જેવાં ફૂલો, ભાદરવાનો ભીંડો, આકાશી શુક્ર, ચંદ્ર, દેવયાની, મંગળ, ગુરુ, શ્રવણ; અને કિરણ, ઝરણી, ઝાકળ, સમીર, વાદળાંઓ, વીજળી, જેવાં પ્રાકૃતિક તત્ત્વો. ભલે લાંબુ, પણ વડલો છે પાછું એકાંકી. અને કોઈ પણ એકાંકીમાં આટલાં બધાં પાત્રો હોય તો દરેકને આગવું વ્યક્તિત્ત્વ આપવું મુશ્કેલ. અહીં પણ નથી અપાયું. પણ વડ, ઝંઝાવાત, કમલિની, ભીંડો, ઝરણી, જેવાં કેટલાંક પાત્રોને પોતીકું કહી શકાય તેવું વ્યક્તિત્ત્વ લેખકે સફળતાપૂર્વક આપ્યું છે. અને બધાં પાત્રોમાં શિરમોર જેવું તો છે ભથવારીનું પાત્ર. ચંદ્રવદનભાઈએ સાચું જ કહ્યું છે : “આ કલ્પના નીતરની કૃતિમાં નાટ્યતત્ત્વથી ભર્યું ભર્યું પાત્ર તો એક જ છે, અને તે પણ હૃદયંગમ છે. કોણ એ વારુ, પારખી શકો છો? રસપ્રવાહમાં વણાયા-તણાયા હશો તો તરત અંતરથી હોઠે આવશે: ગોધણ ધણીની ભથવારી.” આ ભથવારી જે ગીત ગાય છે તેના પર ચંદ્રવદનભાઈ એટલા તો આફરીન થઇ ગયેલા કે પોતાનું નાટક ‘રમકડાંની દુકાન’ પોતે ભજવતા ત્યારે આ ગીત ઉછીનું લઈને બીજા અંકને છેડે તેનો રાસ જમાવતા. લખે છે: “રમકડાંની દુકાન કદીક ક્યાંક ભજવાય છે, પણ ભથવારીના એ ગીત વિના દુકાનની બરકત દીપી નીકળતી નથી.”

માત્ર એક આ ગીત જ નહિ, નાટકમાં આવતાં ઘણાં બધાં ગીતો તેનું આગવું આકર્ષણ અને આભૂષણ બની રહે છે. શ્રીધરાણીને કવિ તરીકે ભાવકોના મનમાં વસાવવા-ઠસાવવામાં પણ આ ગીતોનો ફાળો નાનોસૂનો નથી. આરંભે અને અંતે આવતું કૂકડાનું ‘અમે તો સુરજના છડીદાર,’ હંસગાન ‘દરિયાના બેટથી ઊડ્યા અમે તો, હિમાળા ડુંગર જાવાં જી!,’ તારાઓનું ગીત ‘સંધ્યા આવી પૂરે કોડિયાં, આભ અટારી શણગારે’, કેટલાં ગણાવવાં. અને પાછાં બધાં ગીતો એવાં છે કે નાટયગીત તરીકે એકદમ બંધ બેસતાં, અને સ્વતંત્ર ગીત તરીકે, કવિતા તરીકે પણ ઊભાં રહી શકે એવાં. ટોટલ થિયેટરની વિભાવનાથી એ વખતે લેખક પરિચિત હશે કે નહિ એની તો ખબર નથી, પણ ભજવાય ત્યારે આ નાટક ટોટલ થિયેટરનો અનુભવ કરાવે એવું છે. મરાઠીનાં કે બીજી ભાષાઓનાં સફળ નાટકોની પાંચમી કાર્બન કોપી જેવાં નાટકો પર નભતી આજની આપણી ધંધાદારી રંગભૂમિ પર આજે કોઈ ન ભજવે, પણ ‘પ્રયોગાત્મક’નો ફાંકો રાખનારાઓએ ભજવી જોવા જેવું છે. 

નાટક લખાયું ૧૯૩૦માં, પહેલી વાર છપાયું ૧૯૩૧માં. પણ આજે ય તાજું અને સોજ્જું લાગે છે. ૧૯૫૨માં ‘સંસ્કૃતિ’ માસિકમાં પ્રગટ થયેલ ‘હું અને કવિતા’ નામના લેખમાં ડૉ. શ્રીધરાણીએ કહ્યું છે: “આમ તો વડલો એક નાટક છે, પણ મારે મન એ એક સોનેટ સિક્વન્સ છે. ઉંમર વધતી જાય તેમ તેમ આપણે પહેલાં લખેલું સુધારવાનું મન થાય, પણ વડલો મારી એક એવી કૃતિ છે જેમાં એક કાનો ઉમેરવાનું મન નથી થતું. હું એને મારું એક ધન્ય ક્ષણનું દર્શન માનું છું. વડલોથી હું કૃતાર્થતા અનુભવું છું.”

XXX   XXX   XXX

03 જુલાઈ 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

‘જેટલાં ઘર એટલાં મંદિર !’

રમેશ સવાણી|Opinion - Opinion|3 July 2025

કહેવાય છે કે ગુજરાતમાં વિરોધ પક્ષોનું કાંઈ ચાલતું નથી. હમણાં ‘આપ’ના કેજરીવાલે ગુજરાતની પ્રજાને 300 યુનિટ મફત વીજળી આપવાની વાત કરી. ના, તમે 1,000 યુનિટ વીજળી આપશો તો પણ ગુજરાતીઓ તમને વોટ નહીં આપે. તમે ગુજરાતીઓને સમજ્યા જ નથી. જો તમારે ગુજરાત માટે જ ઢંઢેરો બનાવવાનો હોય તો આ રહ્યાં મારાં સૂચનો :

[1] દર મહિને પાવાગઢની એક વાર જાતરા કરનારના કુટુંબને પાંચ કિલો ચોખા આપવામાં આવશે.

[2] દર મહિને એક વાર અંબામાતાનાં દર્શન કરનારને એક કિલો તુવરની દાળ આપવામાં આવશે.

[3] દર પૂનમે પગે ચાલીને ડાકોર જતા હિન્દુઓને દર છ મહિને એક જોડી જૂતાં આપવામાં આવશે.

[4] ઘેર સત્યનારાયણની કથા બેસાડનારને ‘મુખ્યમંત્રી પ્રસાદ’ એક કિલો પેંડા આપવામાં આવશે.

[5] સંતોષીમાની કથા કરનાર તમામ મહિલાઓને પાંચસો ગ્રામ ચણા અને સો ગ્રામ ગોળ સંસ્કૃતિ રક્ષક ખાતા તરફથી આપવામાં આવશે.

[6] જો અમે સત્તા પર આવીશું તો હિન્દુ યાત્રા વિકાસ ખાતું ઊભું કરીશું.

[7] દરેક ગામમાં ઓછામાં ઓછો એક પીપળો રોપવામાં આવશે અને એનું નામ ‘રાત્રિપ્રાણપોષક’ રાખવામાં આવશે. એક સરકારી સેમિનારમાં, એક સરકારી યુનિવર્સિટીના સરકારી વિભાગના સરકારી હેડને મેં એવું કહેતાં સાંભળેલાં (અનુસ્વાર identity દર્શક છે) કે પીપળો રાતે સૌથી વધારે પ્રાણવાયુ બહાર પાડે છે. 

[8] દરેક ગાયને શિયાળામાં એક એક ધાબળો આપવામાં આવશે. માતાજીને ઠંડી ન લાગે એ માટે અમે સંવેદનશીલ બનીશું.

[9] રાજ્યની તમામ ભેંસો સમક્ષ રોજ ભાગવતનું પઠન કરી આપણી ભેંસ આગળ ભાગવત કહેવતનું આપણે પાલન કરીશું.

[10] તમામ સરકારી કર્મચારીઓને દર મહિને એક CL-casual leave ઉપરાંત ખાસ યાત્રા રજાઓ આપવામાં આવશે. રજાઓની સંખ્યા છ રાખવામાં આવશે જેથી કર્મચારીઓ સોમવારે નોકરી પર આવવા રવિવારથી માનસિક રીતે તૈયાર થઈ શકે.

[11] જે લોકો ભણેલા છે એમણે જો સ્વેચ્છાએ ‘ભક્તજન’ બનવું હશે તો એમની સર્જરી સરકાર મફતમાં કરાવી આપશે. શરત માત્ર એટલી કે ત્યાર બાદ એ ભક્તજને અમારી પૂજા કરવાની રહેશે.

[12] “વધુ બાળ, જય ગોપાળ.” અમારું સૂત્ર રહેશે. જે હિન્દુ કુટુંબમાં ત્રણ કરતાં વધારે બાળકો જનમશે એમના ઘર પર ‘હિંદુરક્ષક’ લખવામાં આવશે.

[13] જો કોઈ જ્ઞાતિ બાળકોને અને એમાં પણ ખાસ કરીને બાળકીઓને ભણાવવા પર પ્રતિબંધ મૂકશે તો અમે એવી જ્ઞાતિને સરકારી રક્ષણ આપીશું અને એમના ગામની શાળા વાજતેગાજતે બંધ કરીશું.

[14] રોજ સવારે પ્રાર્થના વખતે શાળાનાં બાળકોને મુખ્ય પ્રધાન એમના દિલની વાત કરશે અને ગઈ રાતે એમણે શું ખાધેલું એની વિગતવાર ચર્ચા કરશે.

[15] ‘જેટલાં ઘર એટલાં મંદિર’. જો અમે સત્તા પર આવીશું તો દરેક ઘરના આંગણામાં એક એક મંદિર બનાવવાની પરવાનગી આપીશું અને એમાંથી થતી આવક જે તે કુટુંબની ગણાશે.

[16] જે શિક્ષકો, ખાસ કરીને પ્રાથમિક શાળાના શિક્ષકો, પ્રામાણિક બનીને ભણાવશે એમને રોજ સવારે સો દંડબેઠક કરવાનું ફરજિયાત કરીશું. એનાથી એમનું સ્વાસ્થ્ય સારું રહેશે. ‘તંદુરસ્ત શિક્ષક એ જ સમાજનું ઘરેણું છે.’

[17] હાઈ સ્કૂલના શિક્ષકો અને કોલેજના પ્રોફેસરો પર અમે વાંચવા પર સત્તાવાર પ્રતિબંધ મૂકી દઈશું. એને બદલે અમે એમને હિન્દુ ધર્મની સેવા કરવાનું કામ સોંપીશું.

[18] દરેક ગામમાં એક મુખ્ય મંદિર હશે. એના એક પૂજારી હશે. એ પૂજારી જે તે ગામની શાળાના વિદ્યાર્થીઓને પૂજાપાઠ શીખવશે જેથી ભવિષ્યમાં એ વિદ્યાર્થીઓ મોટા થઈને દેવોને સહેલાઈથી રીઝવી શકે.

[19] કાંગ્રેસે કૃત્રિમ વિર્યદાન જેવી વ્યવસ્થા કરીને આપણા દેશની ભેંસોને અને ગાયોને westernize કરી નાખી છે. આ કદી ચલવી નહીં લેવાય. જો અમે સત્તા પર આવીશું તો દરેક ગામને એક પાડો અને એક આખલો આપીશું. એ બન્નેના નિભાવ માટે અમે કુદરતી વીર્યદાન અધિકારીની નિમણૂંક કરીશું. અને એ રીતે બેકારી દૂર કરીશું.

[20] પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ કાળું નાણું દેશમાં લાવી દરેક ભારતીયને પંદર લાખ રૂપિયા આપવાની વાત કરેલી. હવે કાળું નાણું વધી ગયું છે. અમને વિશ્વાસ છે કે વડા પ્રધાન એ બધું નાણું પાછું લાવીને આપણ બધાંને ત્રીસ ત્રીસ લાખ રૂપિયા આપશે. મારા પક્ષના એકએક સભ્યો એ ત્રીસ લાખ જાતરાસ્થળોના વિકાસ માટે ખર્ચશે.

[21] છેલ્લે, દરેક ગામમાં અમે એક એક ગરબા મેદાન બનાવીશું. એનું નામ હશે ‘સરકારી ચાચર ચોક’. ત્યાં ગુજરાતીઓ રોજે રોજ ગરબા ગાઈ શકશે. પ્રવેશ ફી વગર. અમે ગરબાઓ પરના શ્રીમંતોના નિયંત્રણને ખતમ કરી નાખીશું.

[22] બીજી વાર છેલ્લે, અમે દરેક કુટુંબમાં ઓછામાં ઓછો એક એક ગઝલકાર હોય એ માટે ગઝલ સાહિત્યને ઉત્તેજન આપીશું. દરેક ગામમાં ચોતરે મહિને એક વાર ગઝલવાંચન થશે. એ વખતે અમે ગઝલકારોની વાહ વાહ કરવા માટે દરેક ગામને પાંચ પાંચ cheerleaders આપીશું.

[23] હવે સાચે સાચ છેલ્લે, ગુજરાતી સાહિત્યમાંથી વિવેચકોની category નાબૂદ કરીશું. 

[24] હજી બાકી રહી ગયું એક વચન : અત્યારે શિક્ષકો જોડણીદોષ કે વ્યાકરણદોષને દોષ ગણતા નથી. જો અમે સત્તા પર આવીશું તો વિધાનસભામાં ‘ભાષાદોષ અધિકાર કાનૂન’ પસાર કરીશું. એના ઉપક્રમે દરેક ગુજરાતીને ભાષામાં ભૂલો કરવાનો જન્મસિદ્ધ અધિકાર મળશે અને એમની ભૂલોની જે કોઈ ટીકા કરશે એને રોજે રોજ એના લખાણમાં દસ ભૂલો કરવાની સજા આપવામાં આવશે.

This is what Gujarati people want. અને હા, હજી એક આપવા જેવું વચન રહી ગયું : ગુજરાતમાં દારૂછૂટ્ટી કરવામાં આવશે અને નર્મદાની નહેરની સમાન્તરે દારૂ વહે એની સરકાર વ્યવસ્થા કરશે જેથી લોકો નિરાંતે દારૂ પી શકે ! 

સૌજન્ય : બાબુ સુથાર, સર્જક, ભાષાવિજ્ઞાની. Philadelphia, USA. 
કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...92939495...100110120...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved