Opinion Magazine
Number of visits: 9457876
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દૃષ્ટિવંત સંપાદક : મહેન્દ્ર મેઘાણી

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|20 July 2023

રૉચેસ્ટરના ગ્રેહામ બસસ્ટૉપ પર અમારી એકાદ કલાકની તપસ્યા બાદ, લગભગ સાંજના સાડા સાતની આસપાસ, બસ આવીને ઊભી. બસમાંથી ગાંઘી ટોપીમાં ભારતની આઝાદીના સ્વાતંત્ર્યસેનાની જેવી વિરલ પ્રતિભા ઘરાવતી એક ખાદીઘારી વ્યક્તિ અમને ભાવભીનું વંદન કરતી બસમાંથી ઊતરી. બે-પાંચ ક્ષણ અમારી સાથે આંનદ-ખુશીની વાતો કરી. કંડકટરે બસમાંથી ઉતારેલ સામાનમાંથી પોતાનો સામાન અલગ કરીને તેમણે એક બાજુએ મૂકયો. ગાડીમાં સામાન લઈ જવા માટે અમે આગળ આવ્યા એટલે તેમણે અમને કહ્યું કે એટલો સામાન કયાં છે કે આપણે ચારે જણે લેવો પડે. મારો સામાન તો હું જ મોટર સુઘી લઈ જઈશ. અમે ગાડીમાં ગોઠવાણા એટલે તેમણે પોતાના કાંડા ઘડિયાળમાં નજર નાંખતાં અમને પૂછયું કે આપણા કાર્યક્રમનો સમય મારા ખ્યાલ મુજબ સાડા સાત વાગ્યાનો હતો, કેમ ખરું ને?પણ … ઘણાખરા લોકો કદાચ અશોકભાઈના ઘરે આવી ગયા હશે!

તેમનું આ છેલ્લું વાકય પૂરું થયું ન થયું ત્યા અશોકભાઈએ જણાવ્યું, “ઘણાંખરાં નહીં પણ લગભગ બઘા જ આમંત્રિત મહેમાનો આવી ગયા હશે.”

“મિત્રો, ખાવાપીવા જેવી નાની અમથી બાબતને લીઘે કાર્યક્રમ સમય કરતાં મોડો શરૂ કરવો તે મારી દૃષ્ટિએ મને યોગ્ય જણાતું નથી.” આજે નેવું વરસની ઉંમરે પણ સમય સાથે કદમતાલ મિલાવતા સાચા ગાંઘીવાદી. ખાદી પણ જેના પર ગૌરવ કરતી આજે આપણને જોવા મળે તે બીજું કોઈ નહિ પણ સાહિત્યસેવક રાષ્ટ્રીય લોકશાયર ઝવેરચંદ મેઘાણીના જયેષ્ઠ પુત્ર મહેન્દ્ર મેઘાણી.

મહેન્દ્રભાઈને મન સંપાદન એક સાઘના છે. તેમાં તે કોઈની ખોટી દખલગીરી ન ચલાવી લે! ગમે તેવા નામાંકિત, પ્રખર, કવિ-લેખકે “મિલાપ” માટે તેમની કૃતિ મોકલી હોય અને મહેન્દ્રભાઈને મિલાપના ઘોરણ કરતાં ઊતરતી કક્ષાની જણાય તો તે કોઈ પ્રકારની શેહશરમ કે પરવા કર્યા વિના તે કૃતિને સાભાર પરત કરતા. પ્રથમ કક્ષાનાં ગુજરાતી સામયિકોનું જેમ સમયસમયે બનતું આવ્યું છે તેમ “મિલાપ”ની પણ એક કાળે મંદ ગતિ સરજાણી. મહેન્દ્રભાઈ ઘારત તો ‘મિલાપ”ને ઘક્કા મારીમારીને આજ સુઘી બીજા સામયિકોની જેમ માંદલું ચલાવી શકત. પણ આમ અર્થ વિનાનું સામયિક ચલાવવું તેમને યોગ્ય ન જણાતાં ‘મિલાપ”નો સૂરજ આકાશમાં તપતો હતો ત્યારે જ તેમણે તેને સમેટી લીઘું.

“મિલાપ”ને બંઘ કર્યા પછી મહેન્દ્રભાઈ ભાવનગરના કોઈ એક ખૂણે પલાંઠી વાળીને બેસી ન રહ્યા. મૂળે મહેન્દ્રભાઈ સંપાદકનો જીવ એટલે તેમણે સંપાદન સમું કામ શોઘી કાઢયું. ૧૯૮૧ની આસપાસ મહેન્દ્રભાઈને વિચાર આવ્યો કે આજના યંત્રયુગમાં માનવી પાસે સમયની સખત તંગી છે. સમયની આવી મારામારીમાં લોકો પાસે કવિઓના આખા ને આખા કાવ્યસંગ્રહ વાંચવાનો સમય તો કયાંથી હોય, એટલે તેમણે આદિકવિ નરસિંહ મહેતાથી લઈ રાવજી પટેલ સુઘીના ઉચ્ચ કોટીના કવિઓના કાવ્યસંગ્રહમાંથી ઉત્તમ કવિતાની ઉત્તમ પંકિતઓ ચૂંટી કાઢવા બે-પાંચ વિદ્વાન કવિઓની મદદ લઈ તેમને ‘કાવ્યકણિકા’ તેમ જ ‘કાવ્ય કોડિયા’ નામક ખિસ્સાપોથીઓનું સંપાદન કર્યું.

આ કામ જયાં પત્યું ન પત્યું ત્યાં મહેન્દ્રભાઈને એક અનોખો જ વિચાર આવ્યો. બે પાંચ વરસમાં ગુજરાતી ભાષામાં પ્રગટ થતાં, કવિતા,વાર્તા, પ્રવાસ અને લલિત નિબંઘ જેવાં પુસ્તકોમાંથી ઉત્તમ પુસ્તકો ચૂંટીને તેને દસથી પંદરના સેટમાં ગોઠવી આ સંપૂર્ણ સેટને રસિક ગુજરાતી વાચકોના ઘરે પહોંચાડવાનું બીડું ઝડપ્યું. મહેન્દ્રભાઈના વિચાર વિશે જો આપણે કયારેક નિરાંતે બેસીને વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે આ કામ તો લોઢાના ચણા ચાવવા જેવું કઠિન. બેપાંચ વરસમાં પ્રગટ થયેલ આ દરેક પુસ્તકને કાળજીપૂર્વક વાંચવું અને વાંચ્યા બાદ ઉત્તમ પુસ્તકોમાંથી મર્યાદિત સંખ્યામાં ઉત્તમ પુસ્તકો પસંદ કરવાનાં. પસંદ કરેલ પુસ્તકોના સેટને પૂરતી સંખ્યામાં છપાવ્યા. ગુજરાત, મુંબઈ અને ભારતના ખૂણેખૂણે જ નહિ, પરંતુ અમેરિકા,આફ્રિકા,અને યુરોપના સીમાડા સુઘી વસતી ગુજરાતી પ્રજા પાસે પહોંચાડયા. આ બઘું કરવા આર્થિક ખર્ચને પહોંચી વળવા તેની વ્યવસ્થા કરવાનું કામ તો મહેન્દ્રભાઈ જેવા કો’ ભડવીર જ કરી શકે.

આ પુસ્તકો લોકોનાં ઘરેઘરે પહોંચાડવા આ સાહિત્ય સેવકે ખભે પુસ્તકોની ગાંસડી નાખી એક ફેરિયાની જેમ દેશવિદેશના સીમાડા ખૂંદ્યા. આ સેવામાં તેમના મુખ પર કયાં ય કોઈ ચિંતા કે દુઃખની રેખા આપણને જોવા ન મળે. મહેન્દ્રભાઈ જે કંઈ કામ કરે તેમાં પોતાની જાતને ઉત્સાહ-આનંદથી ડુબાડી દે. ૧૯૮૭માં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની નેવુંમી જયંતી નિમિત્તે તેમણે ગુજરાતના જિલ્લેજિલ્લે નેવું દિવસોનો ચરિત્રકીર્તનનો પ્રવાસ ખેડયો. જે ગામ, જિલ્લા કે સંસ્થા તરફથી આમંત્રણ મળ્યું હોય ત્યાં જઈને નેવું મિનિટ સુઘી ગુજરાતના વિવિઘ સર્જકોનાં ચૂંટેલાં પુસ્તકોમાંથી ચરિત્રકથાઓનું વાચન કરી લોકોના હ્રદય સુધી એમણે જ્ઞાનગંગા વહેવડાવી.

ચરિત્રકીર્તનવાચનનો યજ્ઞ પૂરો થયો ન થયો ત્યાં મહેન્દ્રભાઈએ ૧૯૮૮/૮૯માં લોકોના હ્રદય સુઘી યાદગાર વાચન “ચંદનનાં ઝાડ” પહોંચાડવાનું બીડું ઝડપ્યું. ‘ચંદનનાં ઝાડ”ની મહેન્દ્રભાઈએ એક હજાર કે દસ હજાર નકલ નહિ, પરંતુ એક લાખ નકલ પ્રગટ કરી ગુજરાતના નાનાંનાનાં ગામડાંથી લઈ ભારતના સીમાડા બહાર અમેરિકા, યુરોપમાં વસતા ગુજરાતી પરિવાર સુઘી પહોંચાડયું. મહેન્દ્રભાઈ બોલે બહુ જ ઓછું અને કામ કરે ઘણું. તે તો આપણે તેમના, દેશવિદેશની ભાષાના અનુવાદ કરેલાં પુસ્તકોની યાદી તપાસીએ ત્યારે જ ખ્યાલ આવે. તેમનું સમગ્ર જીવન સંપૂર્ણ સાદગીથી ભરેલું છે.તેમની નિયમિતતા પાસે તો ઘડિયાળ પણ બે ડગલાં પાછળ પડે. રાત્રે વહેલાં સૂઈ જવું અને વહેલા પ્રભાતે ઊઠી પોતાના કાર્યક્રમમાં ગૂંથાઈ જવું. મહેન્દ્રભાઈ સાહિત્યકાર નથી, પણ સાહિત્યસેવક છે.

આપણો પુસ્તક વિશેનો પ્રેમ જોઈ તેઓ જ્યારે પણ કોઈ સર્જકનું નવીન ઉત્તમ પુસ્તક પ્રગટ થાય તો તે અચૂક આપણને પત્ર દ્વારા તે બાબતનું ઘ્યાન દોરે અથવા તે પુસ્તકને લગતી વિશેષ માહિતીથી માહિતગાર કર્યા વિના ન રહે.

મારા જેવા ઘણા યુવાનો અમેરિકામાં આવ્યા હતા અભ્યાસ કરવા અને પછી ડૉલર પાછળ ગાંડા થઈને માતૃભૂમિને ભૂલી અહીં જ સાવકી માના ખોળામાં જિંદગી વિતાવવા મંડ્યા. લગભગ આજથી ૭૦ વર્ષ પહેલાં મહેન્દ્રભાઈ પત્રકારત્વનો અભ્યાસ કરવા આવ્યા હતા અને તે પૂર્ણ થતાં પાછા વતનની ઘૂળને ખૂંદવા ચાલ્યા ગયા. આ સાહિત્યસેવકે જ્યારે ઘટમાં ઘોડા થનગનતા હતા તે ઉમંરે માતૃભૂમિને અંગ્રેજ સલ્તનતના તાબામાંથી મુક્ત કરવા આઝાદીની લડતમાં ઝંપલાવ્યું હતું; પરંતુ આ બાબતમાં આપણને મહેન્દ્રભાઈના મુખે કયારે ય કશું ય સાંભળવા નહિ મળે, કારણ કે તેઓ મનથી સમજે છે કે મેં દેશ માટે જે કંઈ કર્યું તે તો મારી ફરજ હતી. દીકરો મા માટે કંઈક કુરબાની આપે તો તેના માટે ચાંદતારાની આશા ન રખાય!

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

કલિકાલસર્વજ્ઞે જેને આવકાર્યો હોત તે વિમર્શ યુનિવર્સિટી કેમ ટાળે છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|20 July 2023

ભલા ભાઈ, આનંદસૂરિ અને હેમચંદ્રાચાર્ય બે સામસામે મૂકવા જોગ વ્યક્તિત્વ છે : એક નકરા ધર્મઝનૂની મહત્ત્વાકાંક્ષી, બીજા ધર્મજ્ઞ ને ઉચ્ચાકાંક્ષી, જેમને અર્ધ્યરૂપે મુનશીએ હૈમસારસ્વત સત્ર યોજ્યું હતું.

વાત તો સાચી કે આ જમાનો ન્યૂ નૉર્મલનો છે : સોલંકીકાળની ભારત પ્રસિદ્ધ રાજધાની પાટણમાં વિરાજતી યુનિવર્સિટીના પાઠ્યક્રમમાંથી ખુદ ‘પાટણની પ્રભુતા’ને જ રુખસદ ફરમાવવાની નોબત આવી છે.

પ્રકાશ ન. શાહ

તેમ છતાં, જો કે, આરંભે જ કબૂલી લેવું જોઈએ કે પાઠ્યક્રમમાંથી કશુંક પડતું મૂકવું એની યુનિવર્સિટીઓને કે શાલેય સંસ્થાનોને નવાઈ નથી. છેલ્લા મહિનાઓમાં એન.સી.ઈ.આર.ટી.એ અજબ જેવી ધડબડાટી બોલાવી છે, પણ આ ક્ષણે આપણે એમાં નહીં જતાં સ્થાનિક ધોરણે થતાં નિર્ણયોની ચર્ચા કરીશું. હમણાં કહ્યું કે, અભ્યાસક્રમમાંથી કશુંક કમી થવાની નવાઈ નથી. આપણે ગુજરાતમાં, ગુજરાતીના વિષયની જ નમૂના દાખલ વાત કરીએ તો તરત સાંભરશે કે વિશ્વનાથ ભટ્ટની કલમે લખાયેલ વિરલ એવા નર્મદ – ચરિત્રમાંથી ‘નર્મદનો જમાનો’ એ પાઠ પાઠ્યપુસ્તકમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. રામનારાયણ વિ. પાઠકની નવલિકા ‘ખેમી’ સાંભરે, અને ઉમાશંકર કૃત ‘ઢેઢનાં ઢેઢ ભંગી’ પણ (ક્ષમાયાચના સહ અહીં નિવેદિત કરવાનું કે નિષિદ્ધ પ્રયોગો કેવળ શીર્ષકને મૂળ રૂપે ટાંકવાના ખયાલે જ કર્યા છે.)

પૂર્વે ઠીક ઠીક ઊહાપોહ થયો હોય તો પણ હમણેનાં વરસોનો અનુભવ એ છે કે, વિવાદ અને વિખવાદ વચ્ચેથી, કોઈની લાગણી દુભાવાના ખયાલે ચર્ચા (કેટલાંકને મતે કચકચ) ટાળવામાં સૌ ડહાપણ જુએ છે અને કજિયાનું મોં કાળું એવાં હિતવચનોમાં આશરો લે છે.

સરકારને પક્ષે કે સંબંધિત શિક્ષણ-સંસ્થાને પક્ષે આમાં એક સગવડ પડેલી છે એ સાફ છે. પણ શિક્ષણની ધોરણસરની પ્રક્રિયા અને પાયાનાં શૈક્ષણિક મૂલ્યોની રીતે વિચારીએ તો કથિત ડહાપણ વાસ્તવમાં ભણાવનારની કમજોરી છે, અને એથી પણ વધુ તો ભણાવનારની પૂંઠે સરકારી તંત્રે ને શાસકીય નેતૃત્વે અડીખમ રહેવું જોઈએ એવી. સહજ અપેક્ષાનું કેવળ ઉલાળિયું છે. આપણા કેટલા બધા ગમા-અણગમા વિવેકશૂન્ય ને આધારશૂન્ય હોય છે. કેળવણીની પ્રક્રિયા ગમા-અણગમા વચ્ચે શુદ્ધ વિવેક જગવવાની હોવી જોઈએ. આ રીતે વિચારીએ તો પાઠ્યક્રમમાંથી પરબારું પડતું મૂકવાનું વલણ પોતે તપાસ બલકે પુનર્વિચાર માગી લે છે.

હવે વાત ‘પાટણની પ્રભુતા’ની પેઢી દર પેઢી એની નવી આવૃત્તિઓ થતી રહી છે. મુદ્દે, એક સન્માન્ય જૈનાચાર્યે કુલપતિ રોહિત દેસાઈ જોગ પત્રમાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે યુનિવર્સિટી જે મહાપુરુષના નામથી ગૌરવાન્વિત છે એ હેમચંદ્રાચાર્યના જીવનને અયોગ્ય રીતે પ્રસ્તુત કરનાર આ પુસ્તકને પાઠ્યક્રમમાં પ્રવેશ કેવી રીતે આપી શકાય. ગમે તેમ પણ, ‘પ્રભુતા’ વાંચનારને વળતો પ્રશ્ન ખરેખર તો થવો જોઈએ કે આ નવલકથામાં હેમચંદ્રાચાર્ય છે જ ક્યાં ? અલબત્ત, પાટણ પંથકના એક જૈન અગ્રણીએ કેવળ દૂરાકૃષ્ટ જ નહીં પણ ધરાર ધડમૂળ વગરની વાત કરી છે કે ‘પ્રભુતા’માં આવતા જતિ આનંદસૂરિ પરોક્ષરૂપે હેમચંદ્રાચાર્ય છે. ભાઈ, મુનશીએ એમની નવલત્રયીના બીજા-બીજા મણકામાં, ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’માં વાસ્તવિક હેમચંદ્રાચાર્યનું કથારૂપ મૂક્યું જ છે. આનંદસૂરિ અને હેમચંદ્રાચાર્ય બે જુદાં જ વ્યક્તિત્વ છે … ધર્મઝનૂની આનંદસૂરિ અને ઉચ્ચાકાંક્ષી ધર્મજ્ઞ એવા હેમચંદ્રાચાર્ય ! મુનશી સરખી પ્રતિભા, જેને નામે હૈમસારસ્વતં સત્ર સરખો સોજ્જો અવસર ઇતિહાસજમે બોલે છે, એનો તો લિહાજ કરો જરી.

સમજમાં તળેઉપર, ઇતિહાસની સેળભેળ, મુદ્દા વગરની લાગણી દુભાઉ ધડપડ, આવે વખતે યુનિવર્સિટીએ પરબારા વાવટા વીંટી લેવાય નહીં. હજુ પણ મોડું થયું નથી. યુનિવર્સિટી પહેલ અને આદર સાથે સંબંધિત સૌને સાથે રાખીને ચર્ચા કેમ ન કરી શકે ? એક પા કુલપતિ-કુલાધિપતિ તો બીજી પા શિક્ષણ પ્રધાનને છેડેથી લેખકો અને અધ્યાપકોને તેમ જ કથિત વિરોધકોને નિમંત્રીને વિમર્શ કરવાપણું છે.

આ પ્રક્રિયામાં પડવાથી બેઉ બાજુના સૌ લાભાન્વિત થશે : આવી પ્રક્રિયા, અંતે તો, આરતી સરખી બની રહેતી હોય છે – ભગવાન અને ભક્ત બેઉને તે એક સાથે આલોકિત કરે છે. એટલું જ નહીં પણ એની આશકા નાનામોટા સૌ હોંશે હોંશે લઈ શકે, અને સરવાળે શિક્ષણ પણ સુધરી શકે!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 19 જુલાઈ 2023

Loading

અચાનક બીજે.પી.ને એન.ડી.એ. પર પ્રેમ ઉભરાઈ આવ્યો

રમેશ ઓઝા|Opinion - Opinion|20 July 2023

રમેશ ઓઝા

૨૦૨૦માં બિહાર વિધાનસભાની ચૂંટણી પછી રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાન સાથે ગેમ કરવામાં આવી હતી એ કદાચ યાદ હશે. આ તો એક ઉદાહરણ છે. આવાં તો બીજાં અનેક ઉદાહરણ છે જેમાં ભારતીય જનતા પક્ષે જે ખભાઓનો ઉપર ચડવા માટે ઉપયોગ કર્યો હતો તેની સાથે જ દગો કર્યો હતો. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં અને એ પછી ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં મળેલા ભવ્ય વિજય પછી બી.જે.પી.ને એમ લાગવા માંડ્યું હતું કે હવે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની જરૂર નથી. કાઁગ્રેસે જેમ વગર ટેકે એકલે હાથે ચાર દાયકા કરતાં વધુ સમય રાજ કર્યું હતું એમ આપણે પણ કરી શકીશું. બી.જે.પી.એ એન.ડી.એ.નું વિસર્જન નહોતું કર્યું, પણ તેને કદ પ્રમાણે વેતરવાનું શરૂ કર્યું હતું. બિહારમાં ચિરાગ પાસવાન તો ઠીક નીતીશકુમારને પણ વેતરી નાખ્યા હતા. નીતીશે કુમારે પલટી મારી એનું કારણ તેમનું અને તેમના પક્ષનું અસ્તિત્વ જ દાવ પર હતું એ છે. એવું જ મહારાષ્ટ્રમાં શિવસેના સાથે બન્યું હતું અને સેનાએ પોતાનું અસ્તિત્વ બચાવવા છેડો ફાડ્યો હતો. આવું જ પંજાબમાં અકાલી દલ સાથે બન્યું હતું. તમે એ પણ નોંધ્યું હશે કે બી.જે.પી.એ ૨૦૧૯ પછીથી એન.ડી.એ.ની કોઓર્ડીનેશન કમિટીની એક પણ બેઠક નથી બોલાવી.

હવે અચાનક બી.જે.પી.ને એન.ડી.એ. પર પ્રેમ ઉભરાઈ આવ્યો છે અને દિલ્હીમાં ૩૮ પક્ષોની એક બેઠક બોલાવી અને એ પણ એ જ દિવસે જે દિવસે બેંગલોરમાં ૨૬ વિરોધ પક્ષોની બેઠક થવાની હતી. એન.ડી.એ.ની બેઠકમાં હાજર રહેલા ૩૮ પક્ષોની યાદી પર એક નજર કરવા જેવી છે. ૩૮માંથી ૩૦ પક્ષો એવા છે જેનાં તમે ક્યારે ય નામ પણ નહીં સાંભળ્યા હોય અને કેટલાક તો ક્યારે ય એન.ડી.એ.માં નહોતા. એન.ડી.એ.ના અઢી દાયકા જૂના ઘટક પક્ષોમાંથી મોટાભાગના પક્ષો દગાખોરીથી બચવા અથવા દગાખોરીનાં કારણે જતા રહ્યા છે.

એવી શું જરૂર પડી કે અચાનક એન.ડી.એ.ની યાદ આવી?

એક કારણ તો એ છે કે બી.જે.પી. એમ બતાવવા માગે છે કે તે દેશમાં અછૂત નથી. દેશમાં એવા અનેક પક્ષો છે જે અમારી સાથે ચાલવા તૈયાર છે. તમે જોયું હશે કે બી.જે.પી.ના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ સંખ્યા બતાવી હતી; જુઓ તેઓ ૨૬ છે અને અમે ૩૮.

બીજું કારણ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી છે અને વિરોધ પક્ષો સંયુક્ત મોરચો રચીને બી.જે.પી.ના એક ઉમેદવારની સામે એક ઉમેદવાર ઊતારવાની તૈયારી કરી રહ્યા છે. બી.જે.પી.ને ખબર છે કે કેરળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં તેનો ગજ વાગવાનો નથી. કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જોતાં ત્યાં પણ બહુ સફળતા મળે એમ નથી. આ રાજ્યોની કુલ બેઠક ૧૩૦ થાય છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં પણ ખાસ કોઈ સફળતા મળે એમ નથી અને પશ્ચિમ બંગાળની પંચાયતોની ચૂંટણીનાં ગયા અઠવાડિયે આવેલાં પરિણામોએ આ બતાવી આપ્યું છે. પશ્ચિમ બંગાળ લોકસભાની ૪૨ બેઠકો ધરાવે છે. આમ લોકસભાની કુલ ૫૪૩ બેઠકોમાંથી ઓછામાં ઓછી ૧૫૦ બેઠકો બી.જે.પી.ને મળે એમ નથી. એ પછી છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન એવાં રાજ્યો છે જ્યાં બી.જે.પી. સામે કાઁગ્રેસ સિવાય કોઈ ત્રીજો પક્ષ નથી. ટૂંકમાં બી.જે.પી. સામે કાઁગ્રેસની સીધી લડાઈ થવાની છે અને આ રાજ્યોની કુલ બેઠકો છે; ૧૦૦. અત્યાર સુધી આમ આદમી પાર્ટીનો કાઁગ્રેસના મત તોડવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો, પણ મદમાં આવીને આપ સાથે સંબંધ બગાડ્યા એટલે એ હવે ખેલ બગાડવા કાઁગ્રેસ સામે મેદાનમાં ઉતરવાની નથી. આમ લોકસભાની ૨૭૨ બેઠકો એવી છે જ્યાં કાં તો બી.જે.પી.નો ગજ ટૂંકો પડે છે અથવા કાઁગ્રેસ સામે સીધો મુકાબલો થવાનો છે.

રહી ૨૭૧ બેઠકો જેમાં ૨૬ વિરોધ પક્ષો પ્રયાસ કરી રહ્યા છે કે બી.જે.પી.ના એક ઉમેદવાર સામે વિરોધ પક્ષોના એક ઉમેદવારને ઊભો રાખવામાં આવે. એમાં કોઈ શંકા નથી કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગુજરાત બી.જે.પી.નો ગઢ છે અને તેની બેઠકસંખ્યા ૧૧૧ છે. ઉત્તર પ્રદેશમાં કાઁગ્રેસ નબળી છે અને સમાજવાદી પક્ષ સામે માયાવતીનો બહુજન સમાજ પક્ષ છે જે વિરોધ પક્ષના મોરચામાં સામેલ થવા તૈયાર નથી. એક તો ઉત્તર પ્રદેશમાં બી.જે.પી. મજબૂત છે અને ઉપરથી માયાવતી મત તોડશે, એટલે ઉત્તર પ્રદેશમાં બી.જે.પી.નો વિજય થવાનો છે. વળી ઉત્તર પ્રદેશની બેઠકો કોઈ ઓછી નથી ૮૦ છે. માયાવતીની જેમ ઓડીશામાં નવીન પટનાયક પણ કોઈ મોરચામાં જોડાયા નથી એટલે ત્યાં પણ ત્રિપાંખિયો જંગ થવાનો છે અને ઓડીશાનો બેઠકસંખ્યા ૨૧ છે.

જો વિરોધ પક્ષો સંગઠિત થાય અને એક સામે એકનો મુકાબલો થાય તો તે બી.જે.પી. માટે ચિંતાનો વિષય તો બને જ. માટે શરદ પવારના પક્ષમાં ફૂટ પાડવામાં આવી. માટે એન.ડી.એ. નામના મૃતપ્રાય મોરચાને ફરી જીવતો કરવામાં આવ્યો છે. એમાં જે પક્ષો છે એ ફૂટકળિયા છે, પણ તેનું કામ વિરોધ પક્ષના સંયુક્ત ઉમેદવારના મત તોડવાનું હશે. આને માટે પૈસા તો બી.જે.પી. પૂરા પાડશે.

વિરોધ પક્ષો સંગઠિત થશે ખરા? અને થશે તો એકતા ટકી શકશે ખરી? વિપક્ષી એકતાના અત્યાર સુધીના પ્રયાસોનો ઇતિહાસ જોતા ભરોસો બેસતો નથી, પરંતુ એ સાથે જ બી.જે.પી.ની દાદાગીરીનો વર્તમાન જોતા એ સંભવ પણ લાગે છે. બી.જે.પી.નો ઈરાદો તુર્કીની જેમ એકપક્ષીય શાસન લાદવાનો છે અને વિરોધ પક્ષો સામે અસ્તિત્વનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આ સિવાય પ્રાદેશિક અસ્મિતા અને સમવાય ભારત સામે પણ અસ્તિત્વના પ્રશ્નો પેદા થયા છે. સોમવાર અને મંગળવારે બેંગલોરમાં મળેલી વિરોધ પક્ષોની બેઠકમાં સંગઠિત મુકાબલો કરવાની જે ગંભીરતા જોવા મળી એ જોતાં એમ લાગે છે કે એક સામે એક ઉમેદવાર ઊભો રાખવામાં સરેરાશ ૯૦ ટકા સફળતા મળશે. એન.ડી.એ.ના ફૂટકળિયા પક્ષો ઝાઝું નુકસાન નહીં પહોંચાડી શકે.

બી.જે.પી.ની ચિંતાનું ત્રીજું કારણ રાષ્ટ્રીય રાજકારણમાં કાઁગ્રેસે પુન:પ્રાપ્ત કરેલું સ્થાન છે. ૨૦૧૯માં કાઁગ્રેસને બોજારૂપ ગણવામાં આવતી હતી જેનો અત્યારે વિપક્ષી એકતાના એન્જીન તરીકે સ્વીકાર કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીની ઈમેજમાં પણ સુધારો થયો છે.

બી.જે.પી.ની ચિંતાનું ચોથું અને મોટું કારણ નાગરિક સમાજની સક્રિયતા છે. દૂરનું વિચારવાની ક્ષમતા ધરાવનારા બુદ્ધિશાળી અને સંવેદનશીલ નાગરિકોએ બંધારણમાં આલેખાયેલા ભારતને બચાવી લેવાનો સંકલ્પ કર્યો છે અને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી તેમના માટે છેલ્લી તક છે. કર્ણાટકમાં નાગરિક સમાજ ઉતર્યો હતો અને હવે પછીની ચૂંટણીઓમાં ઉતરવાનો છે. અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. પહેલી અને બીજી જુલાઈએ મહારાષ્ટ્રના નાગરિક સમાજની એક બેઠક જળગાંવમાં મળી હતી જેમાં ૮૦૦ કરતાં વધુ લોકોએ ભાગ લીધો હતો અને તેમાં અડધા કરતાં વધુ યુવક-યુવતી હતાં. તેમની સક્રિયતા, મૌલિકતા અને ઉપરથી નિસ્વાર્થપણું ગ્રાઉન્ડ ઉપર ફરક પાડી શકે છે જેમ કર્ણાટકમાં બન્યું હતું. નાગરિક સમાજ મત તોડનારા ફૂટકળિયા પક્ષો અને અપક્ષ ઉમેદવારોને નિરસ્ત કરી શકે એમ છે. કર્ણાટકમાં આ પણ જોવા મળ્યું હતું.

હા, પુલવામાં જેવી ઘટના બને તો વાત જુદી છે. પણ આવું વારંવાર દરેક ચૂંટણી વખતે બને?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 20 જુલાઈ 2023

Loading

...102030...928929930931...940950960...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved