Opinion Magazine
Number of visits: 9560478
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પડકાર 

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|28 September 2023

પ્રીતમ લખલાણી

આજે આવેલ ટપાલના ઢગલામાંથી એક એન્વેલપ ખોલી, તુષાર તેમાં ખોવાઈ ગયો. તુષારને ટપાલમાં મશગૂલ જોઈ ડાઈનિંગ રૂમના ટેબલ ઉપર છાપામાંથી સેલ-શોપિંગના કટિંગનો પથારો કરીને બેઠેલ સુસ્મિતાએ તુષારના હાથમાંથી પત્ર ખેંચી તેના પર એક નજર કરતાં જ તેનો ચહેરો પણ ગુલાબસમો ખીલી ઊઠ્યો.

છેલ્લા સાત-આઠ મહિનાથી જેની કાગડોળે રાહ જોતા હતા, તે લોસ એન્જલ્સની એક ચાઈલ્ડ એડોપ્શન આપતી ખાનગી સંસ્થા તરફથી તુષાર અને સુસ્મિતાને આજની ટપાલમાં પત્ર આવ્યો હતો.

શ્રીમાન / શ્રીમતીજી,

પ્રસન્નતા સાથે જણાવવાનું કે, અમારી સંસ્થાએ તમારા અંગત જીવનની સંપૂર્ણ તપાસ કર્યા બાદ અમને ખાતરી થઈ ગઈ હતી કે અમે તમને જે કોઈ બાળક દત્તક આપીશું, તેને તમે ખરેખર જતનપૂર્વક, તેના માબાપની જેમ, ઉછેર કરશો!

આ પત્ર સાથે અમે તમને જે બાળકનો ફોટો મોક્લીએ છીએ. તે બાળક આજથી લગભગ ચાર અઠવાડિયા પૂર્વે લોસ એન્જલ્સના એક પોલિસને સબવેના ગારબેજ કેનમાંથી રડતું મળ્યું હતું. તેણે આ બાળકની જવાબદારી અમને સોંપેલ છે. અમારી ઑફિસમાં દત્તક લેનાર વ્યકિતઓની ફાઈલનો અભ્યાસ કર્યા બાદ સંસ્થાના ડિરેકટરે આ બાળક દત્તક તરીકે તમને આપવાની ભલામણ અમને કરી છે. આ પત્ર સાથે બાળકનો વિગતવાર સંપૂર્ણ બાયાડેટા અમે તમને મોક્લીએ છીએ. આશા રાખીએ છીએ કે આ બાળકને તમારા ઘરની હૂંફ મળશે.

જો તમે આ બાળકને દતક લેવા ઈચ્છતાં હો તો બે અઠવાડિયાની અંદર ફોન, પત્ર અથવા ઈ-મેઈલથી અમને જાણ કરશો. જો તમારા તરફથી જણાવેલ સમયમાં અમને કોઈ જવાબ નહીં મળે તો અમે એમ સમજીશું કે આ બાળકને દત્તક લેવાની તમારી કોઈ ઇચ્છા નથી. ત્યાર બાદ અમે આ બાળકને બીજા કોઈ પરિવારને દત્તક આપવા માટેની કાર્યવાહી શરૂ કરીશું.

પત્ર વાંચતાં સુસ્મિતા ઉત્સાહના ચકડોળમાં ભમવા માંડી. પોતે ખુદ ગાયનેકોલોજિસ્ટ હોવાથી જ્યારે પોતાની ઑફિસમાં કોઈ પેશન્ટની શારીરિક તપાસ કર્યા બાદ પેશન્ટને સુખદ સમાચાર આપતી હોય છે કે, “તમે મા બનવાનાં છો!” ત્યારે પેશન્ટનો ચહેરો કેવો રાતા ગુલાબ સમો મહેંકી ઊઠે છે તેમ તેના અંગેઅંગમાં ખુશી વ્યાપી ગઈ. ખુશીમાં તેની આંખમાંથી હર્ષનાં બે આંસુ સરી પડ્યાં. એકાદ પળ માટે તેને મનોમન થઈ આવ્યું કે પોતે પ્રેગનેન્ટ છે. આ હરખમાં ને હરખમાં તેણે પોતાના સુંવાળા સુડોળ પેટ પર હાથ પણ ફેરવી લીઘો. તરત જ તેને ખ્યાલ આવ્યો કે તેની સામે ખુરશીમાં બેઠેલો તુષાર તેના ચહેરાના હાવભાવ જોતો મનોમન મલકી રહ્યો છે!

આ ખુશીમાં જ તેણે તુષારને પૂછયું, ‘ફોટો કયાં છે?’

તુષારે, કવરમાંથી ફોટો કાઢી સુસ્મિતાના હાથમાં મુક્યો. ફોટાને વહાલથી બેચાર ચુંબન લેતી સુસ્મિતા હરખાતી બોલી ઊઠી, ‘તુષાર, જો તો ખરો! કેવું સરસ ગુલાબના ફૂલ સમું આ બાળક છે. ખરેખર મને તો એમ જ લાગે છે કે હું જન્મી ત્યારે આ બાળક જેવી જ લાગતી હતી. જો મને મારા આલ્બમમાંથી મારા જન્મના પ્રથમ દિવસે પાડેલ હૉસ્પિટલનો ફોટો મળી જશે તો હું તને દેખાડીશ. પછી તું આ ફોટા સાથે મારા ફોટાની સરખામણી કરી જોજે કે આ બાળક મારા જેવું લાગે છે કે નહીં!’ અને પછી ફરીખડ ખડાટ હસતી બોલી, ‘તુષાર, હું પણ કેવી પાગલ છું!’

‘સાચે જ આ બાળક તો આબેહૂબ મને તો તારા જેવું જ લાગે છે …. મને યાદ છે. મેં એકવાર મમ્મીના બેડરૂમમાં પડેલા આલ્બમમાં તારા બાળપણના ફોટા નિરાંતે બેસીને જોયા હતા. તુષાર, મને તો ખબર પણ પડતી નથી! કોણ હશે? આ બાળકના અભાગિયા માબાપ કે જેણે આ નમણા નાજુક બાળકને સબ-વેના ગારબેજ કેનમાં કેવા સંજોગમાં મૂકી દેવું પડયું હશે!’ બાળકનો ફોટો જોઈ, આનંદના દરિયામાં ઊછળતી સુસ્મિતાના હાથમાંથી લઈ … બેચાર ક્ષણ ફરી ફોટા પર નજર નાખી, તુષાર ધીર ગંભીર સ્વરે બોલ્યો, ‘સુસ્મિતા, Don’t misunderstand me! but I Would like to tell you something about this child!’

‘જો તારે આ બાળકને આપણા બાળક તરીકે દત્તક લેવું જ હોય તો મને કંઈ પણ જાતનો વાંઘો નથી, પણ તને એક વાત કહું તો ખોટું ન લગાડીશ! તું જેટલું મનમાં ધારે છે, એટલું આ બાળક દત્તક લેવું આપણાં માટે સરળ નથી.’

‘શું આ બાળકને આપણાં માતપિતા, પોતાના પૌત્ર કે દોહિત્ર તરીકે સ્વીકારશે ખરા? બસ મને તો આ ફોટો જોયા પછી અને આ પત્ર વાંચ્યા પછી મનમાં આ એક જ ચિંતા કોરી ખાય છે.’

‘શેની ચિંતા? શું બાળક દત્તક લેવું કોઈ ગુનો છે?’

‘ના!’

‘તો પછી ?’

‘સુસ્મિતા, તે બાળકનો ફોટો બરાબર જોયો ને? સાથે આવેલ પત્રમાં બાળકના બાયોડેટામાં  આપણને ખાસ એક બાબતની એજન્સી તરફથી ચોખ્ખા શબ્દમાં જાણ કરવામાં આવી છે કે આ બાળકનાં માતા અથવા પિતા આફ્રિકન-અમેરિકન હશે! એટલે તને કહી દઉં છું કે આ બાળક વાને ધોળું નથી પણ કાળું છે.’

‘આપણે જયારે આ બાળકને લોસ એન્જલ્સથી આપણા બાળક તરીકે ઘરે કઈ આવશું ત્યારે આપણે આપણા વડીલો પાસેથી કદાચ સાંભળવાનો વારો પણ આવશે … ઠીક છે, તમે આપણા પરિવારમાંથી કોઈના બાળકને તમારા બાળક તરીકે ન સ્વીકાર્યું તો કાંઈ નહીં, પરંતું તમને કયાં ય કોઈ ધોળિયાનું બાળક ન મળ્યું કે તમે આ કાળા નિગ્રોનું બાળક દત્તક લીધું? …. અને તને એક બીજી વાત પણ જણાવી દઉં. કદાચ પત્રમાં તેં વાંચ્યું હશે કે આ બાળક છોકરો નથી પણ છોકરી છે. મને લાગે છે કે આપણે આમ ખોટી કારણ વગરની ઉતાવળ કરવાને બદલે હજી બે-ચાર બીજી એજન્સીના પત્રની રાહ જોઈએ તો સારું. સુસ્મિતા, સાત-આઠ વર્ષ આપણે બાળક વિના વિતાવ્યાં તો બીજા બે-ચાર નહિના થોભી જવામાં શું ફેર પડવાનો છે? બાકી તારી મરજી!’

‘ડોકટર તુષાર ….. તું પણ આપણા વડીલોની જેમ ક્યારથી આવું વિચારવા લાગ્યો?’

‘અરે! બાળક તો ઈશ્વરની દેણ છે. પછી તે વાને કાળું હોય કે ધોળું શો ફેર પડવાનો? જો આ બાબતમાં મને કે તને કોઈ ફરક ન પડતો હોય, તો પછી બા-બાપુજીને તેની સાથે શું લેવાદેવા? માની લે કે કદાચ ઈશ્વરે મારી કૂખે જ નિગ્રોની બાળકી જેવી કાળી કર્લી વાળવાળી, જાડા હોઠ અને ચપટા નાકવાળી બાળકીનો જન્મ આપ્યો હોત તો, શું બા-બાપુજી તેનો અસ્વીકાર કરત? આપણે તેમને ખુશ રાખવા આ બાળકીની જેમ તેને કોઈ અનાથ આશ્રમના દ્વારે મૂકી આવત? વળી, આપણે જ્યારે એજન્સીમાં ફોર્મ ભર્યુ ત્યારે ખાસ ભાર દઈને કયાં ફોડ પાડ્યો હતો કે અમને બાળક વાને ધોળું અને તે પણ ફકત છોકરો જ જોઈએ છે.’ 

‘તુષાર, મને નથી લાગતું કે આ પ્રગતિશીલ અમેરિકામાં ભલે આપણે બીજી દસ-પંદર પેઢી કાઢી નાખીશું, તો પણ આપણે કયારે ય આ દેશની પ્રજા સમા તો નહીં જ થઈ શકીએ! અહીંના ઘોળા અમેરિક્નો, કેટલા હોંશે હોંશે ફકત કાળિયાના જ નહીં પરંતુ ઇન્ડિયા, ચાઈના અને બીજા ઘણા પછાત દેશોમાંથી બાળકને દત્તક લે છે. તે બધા વાને કયાં ધોળા હોય છે? તેમ છતાં તેઓ આ બાળકોને પોતાની કૂખે જન્મેલાં સંતાનો જેટલું જ વહાલ આપીને ઊછેરે છે. અમેરિક્નોને મન છોકરો કે છોકરીમા કદી કોઈ ફરક હોતો નથી.’

‘સુસ્મિતા, તું આમ કારણ વગર આટલી જલદી અપસેટ ન થઈ જા! બસ, આ તો હું તને મારી રીતે વાત સમજાવવાની કોશિશ કરું છું, બાકી મને તો આ બાળકીને દત્તક લેવામાં કયાં ય કોઈ બાબતનો વાંધો નથી. બસ હું તો તારી ખુશીમાં ખુશ છું.’

‘તુષાર, જો તું મારી સાથે સંમત થતો હોય તો હું આ દુનિયાથી તો શું? પણ ઈશ્વરના સ્વર્ગથી પણ લડી લેવા તૈયાર છું.’

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

માયા મેમસાબ: કેતન મહેતાની માયા જાલ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|28 September 2023

રાજ ગોસ્વામી

આપણે ગયા સપ્તાહે વાત કરી હતી કે ફ્રેંચ લેખક ગુસ્તાવ ફ્લુબર્ટ(1821-1880)ની, 1856માં પ્રકાશિત નવલકથા ‘મેડમ બોવરી’ પરથી ઘણી ફિલ્મો બની છે અને એમાં એક ફિલ્મ ઋષિકેશ મુખર્જીની 1960માં આવેલી ‘અનુરાધા’ હતી. 30 વર્ષ પછી, 1993માં, કેતન મહેતાની ‘માયા મેમસાબ’ આવી. ગુસ્તાવ ફ્લુબર્ટે ફ્રેંચ સમાજમાં નૈતિક પતનની ટીકા કરવા માટે એમ્મા બાવરી નામની એક એવી સ્ત્રીનું પાત્ર રચ્યું હતું, જે રંગરેલિયાં મનાવતી રહે છે અને અંતે આર્થિક રીતે પાયમાલ થઇ જઈને આત્મહત્યા કરી લે છે.

ઋષિકેશ મુખર્જીએ ‘અનુરાધા’માં એમ્માનું ભારતીયકરણ કરી નાખ્યું હતું. તેમની અનુરાધા એક ગાયિકા છે અને એક ગ્રામીણ ડોકટર સાથે લગ્ન કરીને એકવિધ જીવનમાં ઉબાઈ જાય છે. તેની દુવિધા એ હતી કે સંગીતની દુનિયામાં તેની આગવી જિંદગી જીવવા માટે શહેરમાં જતા રહેવું કે પછી પતિ સાથે ગામડાંમાં જીવવું.

કેતન મહેતા ‘માયા મેમસાબ’માં એમ્મા બાવરીના પાત્રાંકનને વફાદાર રહ્યા એટલું જ નહીં, એક પગલું આગળ જઈને તેને ભ્રમણામાં જીવતી કલ્પનાશીલ સ્ત્રીમાં ફેરવી નાખી. એટલે જ તેમણે તેનું નામ માયા (ભ્રમ) રાખ્યું હતું.

કેતન મહેતાની માયા (દીપા સાહી) યુવાન, સુંદર અને બુદ્ધિશાળી છે. તે પિતા સાથે એક ગામડાની વૈભવી હવેલીમાં રહે છે. તેના પિતા (ડો. શ્રીરામ લાગુ) પર હૃદય રોગનો હુમલો થાય છે એટલે તે સ્થાનિક ડોકટર ચારુ દાસ(ફારુખ શેખ)ને ફોન કરે છે. માયા એટલી આકર્ષક અને નટખટ છે કે ચારુ પછી પિતાને જોવાના બહાને હવેલીમાં આવતો રહે છે. એમાં બંને પ્રેમમાં પડે છે અને લગ્ન કરી લે છે.

વર્ષો વીતી જાય છે અને ચારુ દર્દીઓની સારવાર કરવામાં વ્યસ્ત બની જાય છે જ્યારે માયા એકલતામાં ઉબાઈ જાય છે. થોડા સમય પછી, માયાના જીવનમાં રુદ્ર પ્રતાપ સિંહ (રાજ બબ્બર) નામના યુવાનનો પ્રવેશ થાય છે. માયાનો તેની સાથે પ્રેમ સંબંધ બંધાય છે. એ સંબંધ લાંબો ટકતો નથી. માયાના જીવનમાં હવે લલિત (શાહરૂખ ખાન) નામના યુવાનનું આગમન થાય છે. માયા તેની સાથે ઉત્કટ પ્રેમની શરૂઆત કરે છે, પણ થોડા સમયમાં તે તેનાથી પણ ઉબાઈ જાય છે. માયાને શારીરિક સંતુષ્ટિ કરતાં કંઇક વધુની ઇચ્છા છે.

હવે તે મોંઘી ચીજ-વસ્તુઓ તરફ આકર્ષાય છે. તે ફેશનેબલ કપડાં અને શાનદાર ફર્નિચર પર લટખૂટ ખર્ચા કરે છે. તેના માટે તે ઉછીના પૈસા પણ લે છે. એમાં તેનું ઘર લાલાજી (પરેશ રાવલ) પાસે ગિરવી મુકાઈ જાય છે. છેલ્લે તે પૈસે-ટકે બરબાદ થઇ જાય છે. તેનું ઘર ટાંચમ લેવા લાલાજી કોર્ટનો આદેશ લાવે છે.

રુદ્ર અને લલિત આર્થિક પતનની ખાઈમાં ધસી રહેલી માયાને છોડીને જતા રહે છે. માયા બજારમાંથી એક એવું તીલસ્મી ડ્રિંક લઇ આવે છે, જે તમારું હૃદય શુદ્ધ હોય તો એક ઈચ્છા પૂરી કરવાનો દાવો કરે છે. એ પીધા પછી માયા ગાયબ થઇ જાય છે. ગુસ્તાવની નવલકથામાં એમ્મા આર્સેનિક પી લઈને આત્મહત્યા કરે છે. ‘માયા મેમસાબ’માં ભ્રમ અને વાસ્તવિકતા વચ્ચેના પાતળા ભેદને ઉજાગર કરવા માટે કેતન મહેતાએ માયાને ગાયબ કરી દીધી હતી, જે હકીકતમાં એક આત્મહત્યા જ હતી. છેલ્લે, બે પોલીસકર્મીઓ એ તપાસ કરવા આવે છે કે માયાનું મોત કેવી રીતે થયું છે અને કોણે કર્યું છે.

“અંગત રીતે, માયા મેમસાબ મારા દિલથી ઘણી નજીક છે. એ સીમાચિહ્ન રૂપ ફિલ્મ છે,” નિર્દેશક કેતન મહેતાએ ફિલ્મનાં 30 વર્ષ નિમિતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “દીપા અને મેં અગાઉ ‘મિ. યોગી’ સિરિયલ કરી હતી. તેમણે જ મને ‘મેડમ બોવરી’ પુસ્તકનો પરિચય કરાવ્યો હતો. મેં તે વાંચી પછી મને થયું કે આમાં એક માનવીય વાર્તા છે. શાહરૂખ ખાને મુંબઈમાં જે પહેલી ફિલ્મ માટે શૂટિંગ શરૂ કર્યું તે ‘માયા મેમસાબ’ હતી. અઝીઝ મિર્ઝા અને સઈદ મિર્ઝાએ તેના નામની ભલામણ કરી હતી. ત્યારે તે ‘સર્કસ’ સિરિયલ કરતો હતો. મને તેની ઉર્જા પસંદ પડી ગઈ હતી. તે એક્ટર તરીકે પોતાને પુરવાર કરવા માંગતો હતો.”

શાહરુખ ખાન અસાધારણ ભૂમિકાઓ કરવાથી પાછો પડતો ન હતો તેની સાબિતી ‘માયા મેમસાબ’ છે. કદાચ એ દુ:સાહસના કારણે જ તેને જેલમાં પણ જવું પડ્યું હતું.

1992માં, ‘માયા મેમસાબ’નું શુટિંગ ચાલતું હતું. એમાં દીપા સાહી સાથે તેનું એક બોલ્ડ દૃશ્ય હતું. તે વખતે ‘સિને બ્લિટ્ઝ’ નામના ફિલ્મી સામયિકે એક સ્ટોરી પ્રકાશિત કરી હતી કે બોલ્ડ દૃશ્ય શૂટ કરતી વખતે અસ્વસ્થતા ન અનુભવાય તે માટે કેતન મહેતાએ તેમની પત્ની દીપાને આગલી રાતે શાહરૂખ સાથે એક હોટેલમાં રહેવાની સલાહ આપી હતી. સ્ટોરી અનામી હતી. મતલબ કે તેને લખનાર પત્રકારનું તેમાં નામ નહોતું. દેખીતી રીતે જ આ સ્ટોરી શુદ્ધ ગોસિપ હતી.

એ વાંચીને શાહરુખ ખાન ભૂરાયો થયો હતો. જે દિવસે સ્ટોરી પ્રકાશિત થઇ, એ જ દિવસે એક કાર્યક્રમમાં તેનો ભેટો ‘સિને બ્લિટ્ઝ’ના એડિટર કેઈથ ડી’કોસ્ટા સાથે થયો. શાહરૂખને એમ હતું કે આ સ્ટોરી કેઈથે લખી છે. તેણે કેઈથને ત્યાંને ત્યાં જ માં-બહેનની ગાળો આપી. બાકી હોય તેમ કહ્યું કે તારા ઘરે આવીને તને મારીશ.

બીજા દિવસે એ સાચે જ કેઈથના ઘરે જઈ ચઢ્યો અને તેનાં માતા-પિતાની હાજરીમાં ગાળાગાળી કરી અને મારવાની ધમકી આપી. કેઈથ સાચે જ ગભરાઈ ગયો અને તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને પોલીસનું રક્ષણ માંગ્યું.  પોલીસે શાહરૂખને ફિલ્મ સિટીમાંથી ઉઠાવીને લોકઅપમાં બંધ કરી દીધો. એ ચારેક ફિલ્મ કરી ચુક્યો હતો એટલે પોલીસે પણ તેને સ્ટાર સમજીને વધુ કારવાઈ ન કરી.

ખાને અમુક પોલીસવાળાને તેના ઓટોગ્રાફ પણ આપ્યા હતા અને એક ફોન કોલ કરવા વિનંતી કરી. પોલીસે છૂટ આપી એટલે ખાને કેઈથને જ ફોન કર્યો અને ફરીથી ગાળ આપીને કહ્યું કે “અત્યારે તો જેલમાં છું પણ આવીને તારી મા-બહેન એક કરું છું.” રાતે 11 વાગ્યે તેના ભાઈબંધ ચંકી પાંડેએ ખાનને જમીન પર છોડાવ્યો.

લગભગ બે વર્ષ પછી ‘સિને બ્લિટ્ઝ’ની જ એક પત્રકારે શાહરૂખ ખાનની શંકા દૂર કરી કે એ સ્ટોરી કેઈથે લખી નહોતી. ત્યાં સુધીમાં તો ‘બાઝીગર’ અને ‘ડર’ ફિલ્મ સાથે ખાન પણ મોટો અને પરિપક્વ સ્ટાર બની ગયો હતો. તેને તેની ભૂલનો અહેસાસ થયો હતો અને કેઈથના ઘરે જઈને તેને અને તેનાં માતા-પિતાની માફી માંગી હતી.

જો કે આ સ્ટોરી કોણે લખી હતી તેનો ખુલાસો ક્યારે ય ન થયો. કદાચ ફિલ્મના પ્રોડક્શન વિભાગે પબ્લિસિટી માટે આવું ડીંડવાણું ચલાવ્યું હોય તે શક્ય છે.

શાહરૂખ ખાને તેના સુપરસ્ટારડમના જોરે ખુદની રેડ ચિલીઝ એન્ટરટેન્ટમેન્ટ કંપની શરૂ કરી પછી તેણે ‘માયા મેમસબ’ની જૂની કોપીઓમાંથી બોલ્ડ દૃશ્યો કઢાવી નાખ્યાં હતાં. શાહરૂખ ખાનની ચમકતી કારકિર્દીમાં ‘માય મેમસાબ’ એક માત્ર એવી ફિલ્મ છે જે તેને યાદ રાખવી ગમતી નથી. જો કે ઇન્ટરનેટ આવ્યા પછી ફિલ્મનું એ દૃશ્ય સ્વતંત્ર ક્લિપ તરીકે ઓનલાઈન ફરતું થઇ ગયું છે.

એ દૃશ્ય અંગે કેતન મહેતાએ પેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “સેન્સર બોર્ડની પરીક્ષા સમિતિમાં કેટલીક મહિલાઓ હતી. તેમણે ટિપ્પણી કરી કે તે આ ફિલ્મ ભારતની નારીવાદી ફિલ્મોમાંની એક છે. તેમણે કોઈપણ કાપ મૂક્યા વિના તેને મંજૂરી આપી હતી. તેમણે મને આ ફિલ્મ બનાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે આ પહેલી ફિલ્મ છે જે સ્ત્રીની ઈચ્છા અને સ્ત્રીની જાતિયતાને આ રીતે રજૂ કરે છે. કોઈને લાગે નહીં કે કોઈ પુરુષે આ બનાવી છે!”

એક અન્ય ઇન્ટરવ્યૂમાં, દીપા સાહી કહે છે, “વાસ્તવમાં, મને યાદ છે કે એક પાર્ટીમાં કોઈએ સેન્સર બોર્ડના વડા શક્તિ સામંતજીને કહ્યું હતું તેમણે પક્ષપાત કરીને કેતન મહેતાને બોલ્ડ સીન કરવા દીધું છે, ત્યારે તેમણે નમ્રતાથી જવાબ આપ્યો, ‘તમે કેતને રચેલી કવિતાનો એક ટુકડો તો બનાવી જુવો, હું વચન આપું છું કે કોઈ કાપ નહીં મૂકું!’ કેવી સરસ વાત કહેવાય!”

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 27 સપ્ટેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કોઈ સંસદસભ્ય સંસદમાં આવું બોલે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|28 September 2023

રમેશ ઓઝા

સંસદનું હાસ્યાસ્પદ નીવડેલું ખાસ અધિવેશન શા માટે બોલાવવામાં આવ્યું હતું એ રહસ્ય છે. મહિલાઓને ૩૩ ટકા અનામત બેઠકો તો ૧૫ વરસ પછી મળવાની છે એટલે એ માટેનો ખરડો નવી લોકસભામાં પણ રજૂ થઈ શક્યો હોત. ઉતાવળ શું હતી? હા, તાત્કાલિક અમલમાં આવે એ રીતે અનામતની જોગવાઈ લાગુ કરવામાં આવી હોત તો વાત જુદી હતી અને રાહુલ ગાંધીએ તો કહ્યું પણ હતું કે આ જોગવાઈ તાત્કાલિક અમલમાં આવે એ રીતે લાગુ કરો અને ચૂંટણીકીય લાભ લઈ જાઓ. પણ એમ કરવામાં નથી આવ્યું. મહિલાઓને પંદર વરસ પછી બેંકમાં નાખી શકાય એવો ચેક આપવામાં આવ્યો છે. તો આ ખાસ અધિવેશન શા માટે બોલાવવામાં આવ્યું હતું? ક્યાંક એવું તો નથી કે અધિવેશનના છેલ્લા દિવસે બી.જે.પી.ના સંસદસભ્ય રમેશ બિધૂડી મુસલમાનોને બેફામ ગાળો દે અને એ રીતે દેશમાં નવા સ્તર પર હિંદુ-મુસ્લિમ વિભાજન કરવા મળે?

શક્ય છે. હવે તો રીઝર્વ બેન્કે પણ કબૂલ કર્યું છે કે દેશની આર્થિક સ્થિતિ ઠીક નથી. ગયા અઠવાડિયે બહાર પડેલા બેન્કના અહેવાલ મુજબ કૌટુંબિક બચતમાં છેલ્લાં પચાસ વરસમાં ક્યારે ય જોવા નહોતો મળ્યો એટલો ઘટાડો થયો છે. ૨૦૨૧માં કૌટુંબિક બચત જી.ડી.પી.ના ૧૧ ટકા હતી જે ૨૦૨૨માં સાત ટકા અને અત્યારે પાંચ ટકા થઈ ગઈ છે. બચત ક્યારે ઘટે? બચત બે કારણે ઘટે. કાં તો આવકમાં ઘટાડો થાય અથવા મોંઘવારી વધે. અને બચત ઘટે તો શું થાય? કૌટુંબિક દેવામાં વધારો થાય. મૃત્યુ, બીમારી, સામાજિક પ્રસંગો કે મકાન ખરીદવું હોય અને ગાંઠે પૈસા ન હોય તો કર્જ લેવું પડે. રીઝર્વ બેન્કે કબૂલ કર્યું છે કે દેશમાં કૌટુંબિક દેવું ૨૦૦૨માં જી.ડી.પી.ના ૩.૮ ટકા હતું જે હવે વધીને ૫.૮ ટકા થયું છે. બેરોજગારી પ્રચંડ માત્રામાં વધી રહી છે. સરકારો ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી કરતી નથી ત્યાં ખાનગી સેક્ટરની ક્યાં વાત કરીએ! આ સિવાય ચીન, મણિપુર, અદાણી સાથેની ભાઈબંધી વગેરે સતાવનારા પ્રશ્નો તો છે જ.

આ સ્થિતિમાં હિંદુ-મુસ્લિમ વિભાજન કરવું પડે એમ છે અને એમાં તેમની મહારત પણ છે. માટે રમેશ બીધૂડી જાણીબૂજીને બેફામ બોલ્યા હોવા જોઈએ, કારણ કે આવી ભાષામાં આજ સુધી કોઈ સંસદસભ્ય બોલ્યો નથી, પછી ગમે તેવી ઉત્તેજનાત્મક ઘટના વિષે ચર્ચા ચાલતી હોય. વળી સંસદમાં ચર્ચામાં ઉશ્કેરાઈ જવું પડે એવો કોઈ મુદ્દો પણ નહોતો. બહુજન સમાજ પક્ષના સભ્ય દાનીશ અલીને જે ભાષામાં ગાળો આપવામાં આવી હતી એ અહીં લખવાનો ઈરાદો હતો, પણ અત્યારે લખવાનું મન થતું નથી. લખતા પણ શરમ આવે છે. શરમ કરતાં પણ ખિન્નતાનો અનુભવ થઈ રહ્યો છે. જેને એ ભાષા સાંભળવી હોય એ યુ ટ્યુબ પર સાંભળી શકે છે. કોઈ સંસદસભ્ય આવું બોલે? અને એ પણ સંસદમાં? અને હજુ વધુ આશ્ચર્યની વાત એ છે કે તેમની બાજુમાં બેઠેલા બી.જે.પી.ના સંસદસભ્ય ડૉ. હર્ષવર્ધન બિધૂડીને વારવાની જગ્યાએ મોઢું ફાડીને હસે છે. ગૃહમાં હાજર બી.જે.પી.ના કોઈ સિનિયર નેતા બિધૂડીને રોકવાનો પ્રયાસ કરતા નથી. સ્પીકર રોકવાનો પ્રયાસ કરે છે, કારણ કે સ્પીકરે તેમ કરવું જોઈએ. કમ સે કમ કેમેરા સામે પ્રયાસ કરતા નજરે પડવા જોઈએ. બિધૂડીએ ગાળો બોલીને જૂનાં સંસદભવનને વિદાય આપી હતી. આ દૃષ્ટિએ સંસદનું આ ખાસ અધિવેશન ઐતિહાસિક હતું.

આની સામે રાહુલ ગાંધી સાથે જે બન્યું એ સરખાવો. તેમણે ચૂંટણી વખતે પ્રચારસભામાં કહ્યું હતું કે કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને જે લોકો દેશ છોડીને નાસી ગયા એમાંના મોટાભાગના મોદી અટક ધરાવે છે. રાહુલ ગાંધીએ આમ બોલવું નહોતું જોઈતું. પણ નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારમાં સોનિયા ગાંધી માટે “જર્સી ગાય”, “કાઁગ્રેસની વિધવા” વગેરે જે રીતની ભાષાનો ઉપયોગ કર્યો હતો તેની તુલનામાં તો આ કાંઈ જ ન કહેવાય.

પણ એ પછી શું બન્યું? એક મોદી અટકધારીનું દિલ દુભાયું અને સૂરતની અદાલતમાં તેમણે કેસ કર્યો. જજે રાહુલ ગાંધીના અદાણી વિશેના ઐતિહાસિક ભાષણ પછી જ્યારે જરૂર પડી ત્યારે ઉતાવળે સુનાવણી કરી અને ચુકાદો એ સમયે આપ્યો જ્યારે સંસદનું અધિવેશન ચાલતું હતું. કાયદાપોથીમાં બતાવેલી વધુમાં વધુ આપી શકાય એટલી અર્થાત્ પૂરી બે વરસની સજા કરી. જેલની સજા બે વરસની હતી એટલે સ્પીકરે બીજા જ દિવસે રાહુલ ગાંધીને સંસદસભ્યપદ માટે ગેરલાયક ઠરાવ્યા અને એના બીજા દિવસે રાહુલ ગાંધીને ફાળવવામાં આવેલું સરકારી મકાન ખાલી કરાવાયું. રાહુલ ગાંધીએ ગુજરાતની વડી અદાલતમાં અપીલ કરી તો જજસાહેબે કારણ આપ્યા વિના નીચલી અદાલતની સજાને બહાલી આપી. ગુજરાતની વડી અદાલતના એ જજને શિરપાવ મળી ગયો છે. તેમની સર્વોચ્ચ અદાલતમાં જજ તરીકે બઢતી કરવામાં આવી છે.

સંસ્કાર, સભ્યતા, માનમર્યાદા, દેશને શોભે એવા જાહેરજીવન માટેની નિસ્બત એમ બધું જ રાહુલ ગાંધીની બાબતમાં જોવા મળ્યું હતું. પણ રમેશ બીધૂરી સામે હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. માટે વહેમ જાય છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 28 સપ્ટેમ્બર 2023

Loading

...102030...928929930931...940950960...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  
  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved