Opinion Magazine
Number of visits: 9457833
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નયનને બંઘ રાખીને, મે તમને જોયાં છે : મનહર ઉઘાસ 

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|25 July 2023

કલ્યાણજીભાઈ તો એક ઉમદા વ્યક્તિ હતા. તેમણે ફિલ્મ સંગીતમાં હંમેશાં નવા યુવાન ચહેરાઓને તક આપી છે. સંગીત કલાનું ક્ષેત્ર ખેડવા માટે યુવાન પેઢીને તૈયાર કરવામાં મનથી એમને બહુ જ આનંદ થતો હતો. કલાના હીરા પારખુ ઝવેરી કલ્યાણજીભાઈને પ્રથમ મુલાકાતમાં જ યુવાન મનહરભાઈના સ્વરમાં મૂકેશજીના કંઠના આબેહૂબ દર્શન થયાં. તેમને મનહરભાઈના કંઠમાં ભરપૂર શ્રદ્ઘા હતી. આ નવોદિત યુવાન કલાકારને બસ ફકત એક જ સોનેરી તક મળવાની જરૂર છે. કલ્યાણજીભાઈની આ વાત ઈશ્વરને પણ મંજૂર હશે! કલ્યાણજીભાઈ મૂકેશજીની પાસે ફિલ્મ “વિશ્વાસ”નું ગીત “આપસે હમકો બિછડે હુએ, એક જમાના બીત ગયા”નું રેકોંર્ડિગ કરાવવા ઈચ્છતા  હતા. ગીતનું જે દિવસે રેકોર્ડિંગ કરવાના હતા તે સવારે મૂકેશજીની તબિયત જરા ઠીક ન હતી. કલ્યાણજીભાઈએ આ ગીતની સંપૂર્ણ તૈયારી કરી લીઘી હતી. તેમના મનમાં વસી ગયેલા નવોદિત યુવાન કલાકાર મનહરભાઈ પાસે  તેમણે આ ગીત ગવડાવી તેનું રેકોર્ડિંગ કરી લીઘું. મનહરભાઈ પાસે જ્યારે આ ગીત ગવડાવ્યું ત્યારે કલ્યાણજીભાઈના મનમાં હતું કે એક વાર આ ગીત મનહરભાઈના સ્વરે રેકોર્ડિંગ કરાવી લઈએ પાછળથી ફરી મૂકેશજીના સ્વરમાં રિટેક કરી લઈશું. મૂકેશજીએ જ્યારે વિશ્વાસનું આ ગીત મનહરભાઈના સ્વરમાં સાંભળ્યું ત્યારે તેમને કલ્યાણજીભાઈને વિશ્વાસ સાથે કહ્યું, “આ ગીતનું રેકોર્ડિંગ મનહરભાઈના સ્વરમાં અદ્ભુત થયું છે. મનહરભાઈએ ગીતને દિલથી ગાયું છે. મારા માટે ખરેખર આ એક ખુશીની વાત છે. કલ્યાણજીભાઈ, મને નથી લાગતું કે મારા સ્વરમાં તમારે આ ગીત ફરીથી રેકોર્ડિંગ કરવું જોઈએ. તમે આ ગીતને મનહરના જ સ્વરમાં ફિલ્મમાં રહેવા દો.”

ભાગ્યે જ કોઈ સંગીત પ્રેમીઓને આ વાતની ખબર હશે. મનહરભાઈના સ્વરના જાદુને મહમ્મદ રફી સાહેબે પણ પારખ્યો હતો. મનહરભાઈ રફી સાહેબ સાથે એક ગીત કોરસમાં ગાતા હતા. અચાનક ગીતના રેકોર્ડિંગ વખતે કોરસ કલાકાર સાથે ગાતા મનહરભાઈનો સ્વર રફી સાહેબના કાને પડયો. તેમના કાન ચમકી ઊઠ્યા. તે જ વખતે તેમણે સંગીતકાર મિત્રને જણાવ્યું કે, આ કોરસ કલાકાર વચ્ચે ગાતા આ મનહર નામના છોકરાને તમે કોરસમાંથી કાઢી બહાર બેસાડી દો. આ વાતથી મનહરભાઈને મનમાં થયું, “અરે, શું હું કોરસ કલાકાર સાથે બરાબર ગાઈ રહ્યો ન હતો કે રફી સાહેબે મને દૂર કરી બહાર બાંકડે બેસાડી દીઘો?” ગીતનું રેકોર્ડિંગ પૂર્ણ થયું એટલે રફી સાહેબે સંગીતમમિત્ર પાસે આવીને બહુ જ મૃદુ સ્વરે તેમને જણાવ્યું. “અરે, ભાઈ, યહ મનહર નામકા લડકા કિતના બેહતરિન ગા રહા હૈ ઉસકો કભી કોરસ મેં ગાને કે લિએ આપ મજબૂર મત કરના. બસ, મેરી એક બાત આપ માન લો. ઈસ લડકે કો આપ બસ એક દો ગીત કિસી ફિલ્મ કે લિયે રેકોર્ડિંગ કરા કે ઊસે આગે બઢને કા આપ એક મૌકા દો.”

આઠ મે, ૨૦૧૦ને શનિવારે ટોરેન્ટોના વિશાળ કાઁગ્રેસ ભવન સભાગૃહનો પાછલો દરવાજો જે ફકત કલાકારોના પ્રવેશ માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો તે દરવાજેથી કવિ ચન્દ્રકાન્ત શાહ, અભિનય સમ્રાટ પરેશ રાવલ, હું અને લોક સાહિત્યના નામાંકિત ગાયક પ્રફુલ્લ દવે પ્રવેશી રહ્યા હતા. રંગમંચની પાછળ અમારી નજરે પડતા વિશાળ સિનેમા સ્ક્રીન પર મનહરભાઈ દસથી બાર હજાર ગુજરાતી શ્રોતાઓ વચ્ચે મન બહેલાવીને આનંદવિભોર, સિસોટીના અવાજ અને તાલીઓના ગડગડાટ વચ્ચે વેણીભાઈ પુરોહિત રચિત અને દિલીપ ઘોળકિયા દ્વારા સ્વરબદ્ધ ગીત,’ તારી આંખનો અફીણી’ ગાઈને શ્રોતાઓને ખુશખુશાલ કરી રહ્યા હતા, આ જોઈ મને પ્રફુલ્લ દવેએ કહ્યું કે, ‘મનહરભાઈએ તો આજે ટોરેન્ટોને સંગીત સાગરમાં ડુબાડી દીઘું છે.” આ વાકય તેમનું પૂરું થયું ન થયું અને મને બીનાએ કહ્યું, ‘મનહરભાઈને મેં આજથી ત્રીસ વર્ષ પહેલા મુંબઈમાં સાંભળ્યા હતા. તેમનો અવાજ આજે પણ આટલો જ અદ્દભુત અને સુરીલો છે. ‘પ્રફુલ્લભાઈએ તરત જ કહ્યું, “બહેન, આ બાબતમાં કોઈ બે મત નથી.” ટોરાન્ટોની જનતા મનહરભાઈનાં ગીતો અને ગઝલમાં એવી તરબોળ ભીંજાઈ રહી હતી, ને મનહરભાઈ તેમના આનંદ સાગરમાં એવા ડૂબી ગયા હતા કે તેની વાત જ પૂછો મા! લોકલાગણીમાં મસ્ત થઈ ગયેલા મનહરભાઈએ જ્યારે બરકત વિરાણી ‘બેફામ”ની ગઝલ, “નયનને બંઘ રાખીને મેં જ્યારે તમને જોયાં છે” ગાવાની શરૂઆત કરી, અને લોકો એવા ખુશખુશાલ થઈ ગયા કે, મનહરભાઈ, તેમની ખુશીમાં ઝૂમતા સિકયોરિટીની કોઈ પરવા કર્યા વગર હાથમાં માઈક લઈને ગઝલ ગાતા મંચ પરથી નીચે ઊતરી બાર હજાર શ્રોતાઓની વચ્ચે જે રીતે ગઝલ ઉત્સાહ સાથે ગાતા હતા તે અદ્ભુત દૃશ્યને અહીંયા શબ્દોમાં કંડારવા માટે મારી કલમને શબ્દો ટૂંકા પડે છે.

ગુજરાતી કવિ, નાટ્ય કલાકાર, સંગીત ક્ષેત્રના નામાંકિત કલાકાર મનહરભાઈ લાંબા અને દેખાવડા તો છે જ, પણ મનહરભાઈ આ બઘાંમાં એક અલગ વ્યક્તિત્વ ઘરાવે છે. મનહરભાઈ વિશે જો મારે એક જ વાકયમાં કહેવું હોય તો હું કહી શકું કે મનહરભાઈ લાંબા નથી પણ એક ઊંચા કલાકાર તો ખરા અને ઊંચું વ્યક્તિત્વ ઘરાવતા માણસ છે.

મનહરભાઈ જેટલા ઉચ્ચ કોટિના ગાયક છે એવા જ એક સારા વાચક પણ છે. તેમની યાદશક્તિને પણ આપણે દાદ આપવી જ પડે. તમે જો તેમની સાથે નિરાંતે બેઠા હો તો અત્યાર સુઘીમાં તેમણે ગાયેલ મોટા ભાગના ગઝલકારોની ગઝલો તો તેમને કંઠસ્થ ખરી, પણ સાથોસાથ આ બઘા ગઝલકારોના ઘણા શેરો સાંભળવાની મજા ગઝલો જેટલી જ આવે છે. ટોરેન્ટોમાં કાર્યક્રમ બાદ હું, મનહરભાઈ, બીના તેમ જ ટોરેન્ટોના બેચાર તેમના યુવાન ગઝલપ્રેમીઓ હોટેલની લૉબીમાં મોડી સાંજ સુઘી બેઠાં હતાં. તે સાંજે મનહરભાઈ બહુ જ ખુશમિજાજ હતા. આ યુવાન મિત્રોએ તે દિવસે કાર્યક્રમમાં ન ગાયેલી ગઝલો તેમને યાદ કરાવેલી. મનહરભાઈએ પોતે આટલા મોટા કલાકાર છે તેનું કોઈ અભિમાન રાખ્યા વગર જાણે અમારી સાથે અંતાક્ષરી રમતા હોય તેવા ભાવ સાથે પોતે ગાયેલ અગણિત ગઝલો અને ફિલ્મી ગીતો મોડી રાત સુઘી અમારી સાથે બેસીને ગાયાં.

વર્તમાન ગુજરાતી પેઢી અને ગઈકાલની પેઢીને આજે એકાંતમાં ગુજરાતી ગઝલ ગુનગુનાવતી કરી દીઘી છે તેનો યશ મનહરભાઈને ફાળે જાય છે, એમ કહેવું કોઈ અતિશયોક્તિ નથી. ઈશ્વરની ઈચ્છા કંઈ ઓર હશે. ભલે, મનહર ઉઘાસ જેવા ગાયકનું મયખાનું હિન્દી ફિલ્મમાં નથી ખૂલ્યું પણ તેનું શિવાલય ગુજરાતી ગઝલમાં સોળે કળાએ ઊઘડ્યું છે.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

કરસનદાસ જે કરી શક્યા તે આજે કેમ કોઈ કરી શકતું નથી?

રમેશ સવાણી|Opinion - Opinion|25 July 2023

જે ગુજરાતી કરસનદાસ મૂળજી [25 જુલાઈ 1832 – 28 ઓગસ્ટ 1871] વિશે જાણતા ન હોય તે સાચો ગુજરાતી નથી.

આ કરસનદાસે એકલા હાથે ધર્મના ઠેકેદાર સામે મોરચો માંડ્યો હતો. તેની સામે બદનક્ષી સબબ કેસ થયો હતો, જે ‘મહારાજ લાઈબલ કેસ’ તરીકે પ્રસિદ્ધ છે. કરસનદાસ સમાજ સુધારક / શિક્ષક / પત્રકાર / સાહિત્યકાર / સાહસિક મુસાફર / ઉત્તમ વહીવટકર્તા / સાચા સંવેદનશીલ માનવી હતા.

1855માં કરસનદાસે ‘સત્યપ્રકાશ’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. સમાજ અને ધર્મસંપ્રદાયોમાં ફેલાયેલાં અનિષ્ટોની આકરી આલોચના કરી. 21 ઓક્ટોબર, 1860ના રોજ ‘સત્યપ્રકાશ’માં વૈષ્ણવ આચાર્ય જદુનાથજી મહારાજના પાખંડ વિરુદ્ધ તેમણે લેખ લખ્યો : ‘હિંદુઓનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો.’ ઊહાપોહ થયો. પાખંડી ધર્માચાર્યો હચમચી ગયા. આ લેખને જાહેર બદનામી ગણાવીને જદુનાથજી મહારાજે 14 મે 1861ના રોજ કરસનદાસ પર મુંબઈની સર્વોચ્ચ અદાલતમાં 50,000/– રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડ્યો. કરસનદાસ કોર્ટમાં હારી જાય તે માટે ષડયંત્ર રચાયું, જે ‘ભાટિયા કોન્સ્પિરસી કેસ’ તરીકે જાણીતો છે, તેમાં પણ જદુનાથજી મહારાજની હાર થઈ ! કરસનદાસ પર કોર્ટમાં હુમલો થયો, પરંતુ તે અડગ રહ્યા.  આખરે બન્યું ઊલટું, દાવો માંડનાર જદુનાથ મહારાજે રુપિયા 50,000/- કરસનદાસને ચૂકવવા પડ્યા ! કરસનદાસે રાજકોટ અને લીંબડીના વહીવટદાર તરીકે સેવા આપી હતી.

કરસનદાસે 23 પુસ્તકો લખ્યાં છે. તેમાંથી ‘મહારાજ લાઈબલ કેસ’ તથા 1866માં પ્રકાશિત ‘ઇન્ગ્લેન્ડમાં પ્રવાસ’ પુસ્તકો દરેક ગુજરાતીએ વાંચવા જોઈએ. 1863માં તેમણે ઇન્ગ્લેન્ડનો પ્રવાસ કરેલ તેથી કપોળ જ્ઞાતિએ તેમને નાત બહાર મૂકેલ ! કરસનદાસ જીવનપર્યંત જ્ઞાતિ બહાર રહ્યા. માત્ર 39 વર્ષની વયે તેમનું લીંબડી ખાતે અવસાન થયું. આ બન્ને પુસ્તકો એટલા માટે વાંચવા જોઈએ કે કરસનદાસ ધર્મ વિરોધી ન હતા; પરંતુ પાખંડના / રુઢિચુસ્તતાના જબરજસ્ત વિરોધી હતા અને પ્રગતિશીલતાના પ્રખર સમર્થક હતા.  

‘ઇન્ગ્લેન્ડમાં પ્રવાસ’માં કરસનદાસ ઉદ્યોગ / હોંશિયારી / એકબીજાથી ચડિયાતા થવાની હોંશ / કામની વહેંચણી / હારી જાય તો ય કામ ન છોડવું / સાહસ / દૈવત-એનર્જી / હિંમત / ટેક / સ્વતંત્રપણું / પરોપકારબુદ્ધિ બાબતે ઇન્ગ્લેન્ડ અને દેશીઓ વચ્ચે તુલના (પેજ- 224થી 237) કરી છે : “ઈંગ્લેન્ડની પ્રજાનો મોટામાં મોટો ગુણ ઉદ્યોગ છે. આપણા દેશમાં તન અને મન લગાડી એક સરખી મહેનત કરનારા થોડા પરુષો મળશે. ઈંગ્લેન્ડમાં મહેનતું લોકો ઠામેઠામ મળશે. ઇંગ્લેન્ડની પ્રજાનો બીજો મોટો ગુણ હોંશિયારી છે. આપણા દેશીઓમાં ઉદ્યોગ થોડો છે તેની સાથે હોંશિયારી પણ થોડી છે. એકબીજાથી ચડિયાતા થવાની હોંશ ઇંગ્લેન્ડની પ્રજામાં અતિશય જોવામાં આવે છે. આપણા લોકોમાં આ હોંશ નથી. એકબીજાથી ચડિયાતા થવાની હોંશ જ્યાં સુધી આપણા લોકોમાં આવશે નહીં ત્યાં સુધી દેશ પાછળનો પાછળ રહેતો જશે. કામની વહેંચણીનો ગુણ આપણાં દેશીઓ જાણતા નથી. જુદું જુદું કામ જુદાં જુદાં માણસોએ કરવું અને અનેક કામમાં એક માણસે હાથ ન નાખવો, એનું નામ કામની વહેંચણી. એક માણસ જેટલાં કામ કરી શકે તેટલાં તેમની પાસે કરાવવાં અને ‘કસર’ માટે વધારે માણસ રાખવા નહીં, આ નિયમ ઉપર દેશીઓ ચાલે છે. આપણે જેને કસર સમજીએ છીએ તે અંતે નુકસાન કરે છે ! હારીને કામ છોડવું નહીં એ ઇંગ્લેન્ડની પ્રજાનો કિંમતી ગુણ છે. તેઓ મંડ્યા રહે છે તેથી એ દેશને લાભ થયો છે. જ્યારે આપણે એવા કામમાં હાથ નાખીશું જેનું તરત ફળ મળે ! વિલાયતના લોકોમાં હોંશનો ગુણ છે. હોંશ વિના મોટાં અને ભારે કામ પાર પડી શકતા નથી. સાહસનો ગુણ ઇંગ્લેન્ડની પ્રજામાં વિશેષ જોવા મળે છે, જે દેશીઓમાં ઓછો જોવા મળે છે. દૈવત-એનર્જીનો ગુણ અંગ્રેજ પ્રજામાં મોટો છે. આપણું દૈવત ક્યાં ભરાઈ બેઠું છે? ઇંગ્લેન્ડની પ્રજામાં હિમ્મતનો ગુણ ઘણો મોટો છે. હિમ્મત વિના મોટા કામ થઈ શકતા નથી, હિમ્મત વિના મોટા રાજ મળતા નથી, મોટા રાજ ચાલતા નથી. હિમ્મતથી અંગ્રેજ લોકો શું કરી શક્યા છે તે આપણી સામે છે. માણસે ખોટી મમત મૂકી દેવી જોઈએ પણ હલકું કામ નહીં કરવાની ટેક રાખવી જોઈએ. ઇંગ્લેન્ડમાં જેવું છૂટાપણું રાજા તથા અમીર ભોગવે છે તેવું જ છૂટાપણું ગરીબ રઈયત પણ ભોગવે છે. ઇંગ્લેન્ડરાજની મોટી ખૂબી તેના ‘ઈન્સાફની ગોઠવણ’માં છે. જ્યાં અમીર તથા ફકીરને અથવા શ્રીમંત તથા ભિખારીને સરખો અને વાજબી ઈન્સાફ મળે છે. પરોપકાર કોને કહેવો એ જેવું વિલાયતના લોકો સમજે છે તેવું આપણા દેશીઓ સમજતા નથી. માણસને ઠગવો, તેનું ધન લૂંટી લેવું અને જાનવરો માટે પાંજરાપોળ બાંધવી અથવા બ્રાહ્મણોને સારી પેઠે ઘીગોળના લાડુ જમાડવા એ પરોપકાર નથી !”

કરસનદાસે 1860માં ધર્મ ક્ષેત્રના પાખંડીઓ સામે પડીને જબરજસ્ત સામાજિક ક્રાન્તિ કરી હતી. સવાલ એ છે કે કરસનદાસ તેમના સમયે જે કરી શક્યા તે આજે કેમ કોઈ કરી શકતું નથી? કેમ કોઈ પાખંડનો પર્દાફાશ કરવા તૈયાર થતું નથી? તે સમયે વૈજ્ઞાનિક અભિગમના કારણે અંગ્રેજો ધાર્મિક પાખંડની સામે હતા; આજે સત્તાપક્ષ ધાર્મિક પાખંડીઓના પક્ષે છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચંદ્રનામા: મૂનથી મંડે અને સોમથી સોમવાર સુધી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 July 2023

રાજ ગોસ્વામી

દેશમાં અત્યારે ભારતની ચંદ્રયાત્રાની ચર્ચા છે. ઈસરોનું ચંદ્રયાન-3 ચંદ્રની સફર પર છે. ગઈ 14મી જુલાઈએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં, સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી, સફળતાપૂર્વક અવકાશમાં છૂટ્યું હતું. તે સંભવત: 23-24 ઓગસ્ટના રોજ ચંદ્રની ભૂમિ પર પગ મુકશે. ઈસરોનું આ ત્રીજું ચંદ્રયાન છે. 2019માં, બીજા ચંદ્રયાન વખતે, રોબોટિક સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર ઉતરતી વખતે ઊથલી ગયું હતું. ચંદ્રયાન-3 એનું જ ફોલો-અપ છે.

આશરે 450 કરોડ વર્ષ પહેલાં, મંગળ ગ્રહના આકારનો ‘થેઈયા’ નામનો એક ખગોળીય પિંડ, તાજી અને તરલ પૃથ્વીમાં અથડાયો હતો અને લગભગ તેને ચકનાચૂર કરી નાખી હતી. એના કાટમાળમાંથી નવી પૃથ્વી અને ચંદ્રનો જન્મ થયો હતો.

પૃથ્વી પર જ્યારે માનવ પ્રજાતિનું આગમન થયું, ત્યારે ચંદ્ર તેની જિજ્ઞાસાનું કેન્દ્ર બની ગયો હતો. સૂર્ય તરફ તો નજર નાખવી અઘરી હતી અને તે તો સ્થિર જ હતો, પરંતુ ચંદ્ર તેનું સ્થાન બદલતો રહેતો હતો અને ઘણો શીતળ હતો, એટલે મનુષ્યોને તેને લઈને એટલું વિસ્મય થતું હતું કે તે માનવજીવન અને સંસ્કૃતિમાં વણાઈ ગયો હતો. ભારતના ચંદ્રમાથી લઈને ગ્રીક દેવી સેલેના અને ચીનની દેવી ચાંગ સુધી માનવ ઇતિહાસમાં એક દિવ્ય આત્મા તરીકે ચંદ્રની હાજરી કાયમ રહી છે. ચંદ્ર ગ્રહની માફક, એ નામોની કહાનીઓ પણ દિલચસ્પ છે.

ચંદ્રનો શબ્દશઃ અર્થ થાય છે ચમકદાર, તેજ, દીપ્તિમાન. સંસ્કૃતમાં ચંદ્ર માટે બીજાં પણ નામો છે. જેમ કે – સોમ (આસવ), ઇન્દુ (ઉજ્વળ), અત્રિસુતા (અત્રિનો પુત્ર), શશિન અથવા શચિન (સસલાથી ચિન્હિત), તારાધિપ (તારાઓનો સ્વામી), નિશાકર (રાત બનાવનાર), નક્ષત્રપતિ (નક્ષત્રનો સ્વામી) ઔષધિપતિ (જડી-બુટ્ટીઓનો સ્વામી) ઉડુરાજ અથવા ઉડુપતિ (જળ સ્વામી), કુમુદનાથ (કમળનો સ્વામી) અને ઉડુપા (નાવ).

પ્રાચીન લોકો ચંદ્રને વ્યવહારિક રીતે ઉપયોગી ગ્રહ ગણતા હતા. સૂર્ય ઊગે અને આથમે તે એક દિવસ ગણાતો હતો, પરંતુ ચંદ્રમાનું ચક્ર 29.5 દિવસ ચાલતું હતું એટલે તે સમયની ગતિ માપવાનું અગત્યનું સાધન હતો. ઘણી સંસ્કૃતિઓમાં દરેક પૂર્ણિમાને કૃષિ સાથે જોડીને અલગ-અલગ નામ આપ્યાં હતાં. આજે પણ ખેતીકામનો મોટાભાગની પ્રવૃત્તિઓ સાથે ચંદ્ર જોડાયેલો છે.

આમાં ચંદ્રનું ‘સોમ’ નામ બહુ રસપ્રદ છે. વેદોમાં સોમ દેવનો ઉલ્લેખ છે. સોમ શબ્દનો પ્રયોગ પીડાશામક નશીલા અને ઉપચારમાં કામ આવતા છોડ માટે કરવામાં આવતો હતો. તેના પરથી સોમરસ શબ્દ છે. એવું તથ્યાત્મક રીતે માનવામાં આવે છે કે ચંદ્રની અવસ્થાની માણસોના મૂડ પર અસર પડતી હતી એટલે વેદકકાળના લોકોએ તેને સોમ કહેવાનું શરૂ કર્યું હતું.

એક આડ વાત; માણસોના સંદર્ભે એવો જ એક શબ્દ “લુનાટિક” છે. જે ગાંડો હોય તે લુનાટિક કહેવાય. લેટિનમાં, ચંદ્ર માટે લુના શબ્દ છે. પાગલખાના માટે અંગ્રેજીમાં લુનાટિક અસાઈલમ શબ્દ છે. મૂનના પ્રભાવ પરથી અંગ્રેજીમાં મૂનસ્ટ્રક શબ્દ છે, અર્થ થાય છે જે પ્રેમમાં પાગલ છે તે. ઇટાલિય ભાષામાં સોમવાર માટે લુનેડિ શબ્દ છે. ફેન્ચમાં લુંડી છે. સ્પેનિશમાં લુનેસ અને જર્મનમાં મોન્ટેજ છે. પંદર વર્ષ પહેલાં, ચન્દ્રયાન-1 ચંદ્ર પર ગયું હતું અને ત્યાં ઉત્તર ધ્રુવ પર પાણી છે તેવી શોધ કરી હતી. એવી જ શોધ માટે, ચંદ્ર પર ઉતરનારું માણસે બનાવેલું પ્રથમ વાહન સોવિયત સંઘનું હતું. તેનું નામ લુના-2 મિશન હતું.

ખેર, સોમને લઈને વિદ્વાનોમાં વિવાદ પણ છે. અમુક વિદ્વાનોનો દાવો છે કે વેદોમાં જ ચંદ્રમા માટે સોમ શબ્દનો પ્રયોગ થયો છે. અમુક વિદ્વાનોના મતે વેદ પછીના સાહિત્યમાં આ શબ્દ વપરાયો છે. વૈદિક વિજ્ઞાનમાં સોમનું મહત્ત્વ ઘણું છે. સોમને અમૃત પણ કહેવાય છે કારણ કે તે નષ્ટ થતું નથી. સોમ ઉર્જા પણ છે. વૈદિક લોકો માનતા હતા કે સૂર્ય ચંદ્રમાની ઉર્જાથી પોષિત છે અને પ્રકાશના રૂપમાં આપણા સુધી આવે છે. ગાયના દૂધને પણ અમૃત કહેવાય છે કારણ કે તે પણ સોમની જેમ ચીકણું અને તરલ છે. દૂધમાંથી ઘી બને છે અને એ ઘીને હવનમાં હોમવામાં આવે તો તે સોમ કહેવાય.

સપ્તાહના પહેલા દિવસનું નામ સોમવાર સોમ પરથી આવ્યુ છે. વાર એટલે વારો. મારો વારો, તારો વારો. એવી રીતે દિવસના સાત વારાને સાત ગ્રહોનાં નામ આપવામાં આવ્યાં હતાં. આજે પણ ગ્રહોની પૂજા કરવા માટે જે તે દિવસ પસંદ કરવામાં આવે છે. એમાં પહેલો સોમ-વાર, ચંદ્રનો દિવસ. સોમવારને શિવનો વાર પણ કહેવાય છે અને શિવજીની સોમદેવ પણ કહે છે. સંસ્કૃતમાં સોમવાર માટે ચંદ્રવાર શબ્દ છે અને મરાઠીમાં આજે પણ તે વપરાય છે. આપણે ત્યાં અમુક ગોત્રોને સોમવંશી કહે છે. તે જ રીતે સૂર્યવંશી ગોત્ર પણ હોય છે.

આપણા સોમવાર અને અંગ્રેજી મંડે વચ્ચે પણ સંબંધ છે. જેમ સોમ ચંદ્રનું નામ છે, તેવી રીતે મંડેમાં પણ ચંદ્ર છે; મૂનડે. મંડે શબ્દ રોમન સામ્રાજ્ય વખતે ગ્રીક અને લેટિન ભાષામાંથી આવ્યો હતો. મૂન શબ્દ ઇન્ડો-યુરોપિયન ભાષાના ‘મેન્સિસ’ શબ્દ પરથી આવે પરથી આવે છે, જેનો અર્થ થાય છે ‘મહિનો,’ એટલે કે મંથ. સ્ત્રીઓનું મેન્સિસ પણ અહીંથી જ આવે છે. જૂના જમાનામાં સ્ત્રીઓમાં એવું માન્યતા હતી (જે ખોટી હતી) કે તેમનો માસિક ધર્મ ચંદ્રના ચક્કરથી પ્રભાવિત થાય છે.

જગતના સાહિત્યમાં પણ ચંદ્રનો બહુ પ્રભાવ છે. હકીકતમાં, માણસે વિજ્ઞાન શોધ્યું તે પહેલાં સાહિત્યમાં કલ્પનાઓના માધ્યમથી તેણે ચંદ્રનું રહસ્ય પામવા માટે પ્રયાસ કર્યો હતો. તેના પરથી જ ‘જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ’ કહેવત આવી હતી (રવિ એટલે સૂર્ય, અર્થાત, સૂર્યનો પ્રકાશ ન પહોંચે ત્યાં). સાહિત્યમાં સૂર્ય પૌરુષિક ઉર્જાનું પ્રતિક છે, જ્યારે ચંદ્ર સ્ત્રૈણ ઉર્જાનું. કળા-સાહિત્યમાં ચંદ્ર શીતળતા, શાંતિ અને સૌન્દર્યનો પ્રતિનિધિ છે.

ચંદ્ર એક જમાનામાં કલ્પનાનો વિષય હતો. હવે વિજ્ઞાનની પ્રગતિ સાથે તે ‘હાથ વેંત’માં આવી ગયો છે. વિજ્ઞાન ચંદ્ર પર પાણીની શોધ કરી રહ્યું છે, જેથી એ સાબિત થાય કે ત્યાં જીવન શક્ય છે. પરગ્રહ પર જીવન શોધીને માણસ વૈકલ્પિક ઘર બનાવાની ફિરાકમાં છે. પ્રોફેસર સ્ટિફન હોકિંગે અનુમાન કર્યું છે કે આપણે જે રીતે પૃથ્વીની વાટ લગાડી છે તે જોતાં 600 વર્ષમાં માણસે અહીંથી ઉચાળા ભરવા પડશે.

ઇઝરાયેલી ઇતિહાસકાર યુવલ નોઆ હરારીએ તેમના પુસ્તક ‘સેપિયન્સ’માં આના પર એક રમૂજ પણ કરી હતી :

ચંદ્ર મિશન પહેલાં, નિલ આર્મસ્ટ્રોંગ અને બીજા અંતરિક્ષ યાત્રીઓ પશ્ચિમ અમેરિકાના ચંદ્ર જેવા ઉજ્જડ પ્રદેશમાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા. ત્યાં અમુક આદિવાસીઓ રહેતા હતા. એમાંથી કોઈકે પૂછ્યું કે, આ શું થઈ રહ્યું છે?

વૈજ્ઞાનિકોએ કહ્યું કે, આ મૂન મિશન છે, અમે ચન્દ્ર પર જઈશું. પેલો આદિવાસી વિચારમાં પડીને ચૂપ થઈ ગયો, પછી બોલ્યો, “એક મહેરબાની કરશો?”

“શું?”

“અમારો સમુદાય એમ માને છે કે ચંદ્ર પર પવિત્ર આત્મા વસે છે. તમે જો અમારો એક સંદેશો ત્યાં પહોંચાડો તો મહેરબાની,” અદિવાસીએ કહ્યું.

“સંદેશો શું છે?” અંતરિક્ષ યાત્રીએ પૂછ્યું.

અદિવાસીએ એની ભાષામાં સંદેશ લખાવ્યો. યાત્રીને સમજ ના પડી તો અદિવાસીએ કહ્યું કે ખાલી યાદ રાખીને ત્યાં બોલી જજો, એને સમજાઈ જશે.

યાત્રીઓ ટ્રેનિંગમાંથી પાછા આવ્યા પછી કોઈક ભાષાશાસ્ત્રીને શોધીને પેલો સંદેશો સમજવાની કોશિશ કરી. સંદેશો વાંચીને ભાષાશાસ્ત્રી જોર જોરથી હસવા લાગ્યો. એ શાંત થયો એટલે યાત્રીઓએ ફરી પૂછ્યું કે, સંદેશો શું છે?

પેલાએ વાંચ્યું, “આ જે લોકો ત્યાં આવ્યા છે, એમનો જરા ય વિશ્વાસ નહીં કરતા. એ તમારી જમીનો બથાવી પાડવા આવ્યા છે.”

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 23 જુલાઈ 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...920921922923...930940950...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved