સમાજમાં એક અજીબ પ્રકારનું વિષચક્ર આકાર લઈ રહ્યું છે જેનાં વિષે લોકો જાણતા નથી અને જાણે છે તો તેની ગંભીરતા સમજાતી નથી, અને જેને ગંભીરતા સમજાય છે એની પાસે કોઈ ઈલાજ નથી. આમ તો એમ કહેવાય છે કે જગતમાં એવી કોઈ સમસ્યા હોતી નથી જેનો કોઈ ઈલાજ ન હોય, પણ કેટલાક ઈલાજ એનાં સમયે જ સ્વીકાર્ય બને છે. કહેવાય છે ને કે જે મનાવ્યો ન માને એ હાર્યો માને.
ટેકનોલોજીએ દરેક હાથને એક સ્માર્ટ ફોન પકડાવી દીધો છે અને કામ છીનવી લીધું છે. ટેલિકોમ કંપનીઓએ દરેકને લગભગ પાણીનાં ભાવે ઈન્ટરનેટ ડેટાપેક આપી દીધેલ છે એટલે સ્માર્ટ ફોન પર વ્યસ્ત રહેવું મોંઘુ પડતું નથી. આને કારણે બે ઇન્ડસ્ટ્રી કૂદકેને ભૂસકે વધી રહી છે જેમાં એક છે પોર્ન તેમ જ સોફ્ટ પોર્ન ઇન્ડસ્ટ્રી અને બીજી છે ગેમિંગ ઇન્ડસ્ટ્રી. આ બન્ને ધંધા પાંચ ગણી ઝડપે વિકસી રહ્યા છે. જે ગ્રાહકો છે એમાં સગીર વયનાં બાળકોનો પણ સમાવેશ થાય છે અને શ્રીમંતથી લઈને ગરીબ વર્ગના લોકોનો સમાવેશ થાય છે. જે લોકોની કમાવાની ઉંમર છે અને હાથમાં કામ નથી એવા લોકો આમાં વઘારે વ્યસ્ત રહે છે. આ બન્ને પ્રવૃત્તિ લત લગાડે છે અને ગેમિંગમાં તો પૈસાની ખુવારી પણ થાય છે. માનસિક બીમારીનું કારણ બને છે અને તેની સાથે શારીરિક બીમારીઓ પણ ઉમેરાય છે.
ભારત સરકારે ભારતમાં ચાલતી ઓન લાઈન ગેમિંગના ધંધા પર પાછલી મુદ્દતથી લાગુ થાય એ રીતે એક લાખ દસ હજાર કરોડનો જી.એસ.ટી. લાગુ કર્યો છે એના પરથી ખ્યાલ આવશે કે ગેમિંગનો ધંધો કેવડો મોટો હશે. એ વાત જૂદી છે કે કોઈ વેરો પાછલી મુદ્દતથી લાગુ કરવામાં આવતો નથી, પણ કેન્દ્ર સરકારને એટલી પૈસાથી જરૂર છે કે તેણે ગેમિંગ ઇન્ડસ્ટ્રી પરનો જી.એસ.ટી.નો દર ૧૮ ટકાથી વધારીને ૨૮ ટકા કરીને જી.એસ.ટી.ની વધારાની રકમની ઉઘરાણી કરી રહી છે. અહીં એક વાતની યાદ અપાવવી રહી કે દસ વરસ પહેલાં યુ.પી.એ.ની સરકારનાં નાણાં પ્રધાન પ્રણવ મુખર્જીએ વોડાફોન પર પાછલી મુદ્દતથી લાગુ થાય એ રીતે કરવસુલીનો નિર્ણય લીધો હતો, ત્યારે બી.જે.પી.એ અને મુખ્યત્વે નરેન્દ્ર મોદીએ તેનો વિરોધ કર્યો હતો. દેશમાં ભારે ઊહાપોહ મચ્યો હતો. એ જ પ્રણવ મુખર્જીને નરેન્દ્ર મોદીએ ૨૦૧૯ની સાલમાં ‘ભારત રત્ન’ ઈલકાબથી નવાજ્યા હતા કારણ કે એક સમયે (૧૯૮૪માં) ગાંધી પરિવારે તેને દૂર ધકેલ્યા હતા.
શા માટે કેન્દ્ર સરકાર ગેમિંગના ધંધા પર ૨૮ ટકાનો વેરો લાદી રહી છે અને એ પણ પાછલી મુદ્દતથી? એટલા માટે નહીં કે ગેમિંગ મોંઘુ થાય અને તેમાં વ્યસ્ત રહેનારાઓની સંખ્યા ઘટે. પ્રજાહિત માટે આ નિર્ણય નથી લેવાયો. એક જમાનામાં દારુ સિગરેટ અને બીજી વિદેશી લકઝુરિયસ ચીજો પર આકરા વેરા લાદવામાં આવતા હતા કે જેથી તે મોંઘી થાય અને તેનો વપરાશ કરનારા ઘટે. આનું કારણ એ છે કે સરકાર પ્રજાને વિવિધ બેનિફિટ્સ આપવા માટે પુષ્કળ પૈસાની જરૂર છે. લોકોના ખાતામાં અલગ અલગ યોજના હેઠળ પૈસા આવતા રહે તો તેનું જીવનનિર્વહનનું ગાડું જેમ તેમ ચાલ્યા કરે અને તે વિદ્રોહ ન કરે. સાવ ભૂખ્યો માણસ ઊંચોનીચો થવાનો, પણ જો તેને જરાક રાહત મળે તો વ્યસ્ત રહેવા માટે સ્માર્ટ ફોન, સસ્તા ભાવમાં ઈન્ટરનેટ ડેટા, પોર્ન તેમ જ સોફ્ટ પોર્ન અને ગેમિંગ ઉપલબ્ધ છે.
ટૂંકમાં અત્યારના યુગમાં શાસકો લોકોનો અને એમાં ખાસ કરીને ગરીબોના કલ્યાણ માટે અને વિકાસ માટે પ્રયત્ન નથી કરતા, પણ માત્ર રાહત આપે છે અને ઉપરથી નશામાં રાખવા ધર્મ અને રાષ્ટ્રવાદ તો છે જ. પ્રજા અવાજ ન ઉઠાવે એટલે રાહતના ટૂકડા ફેંકવાના, સ્માર્ટ ફોન પર વ્યસ્ત રાખવાના અને ધર્મ તેમ જ રાષ્ટ્રવાદને નામે કેફમાં રાખવાના. માટે ગેમિંગ પરનો વેરો ૧૮ ટકાથી વધારીને ૨૮ ટકા કરવામાં આવ્યો છે અને સરકાર પાછલી મુદ્દતથી લાગુ કરીને એક લાખ કરોડ રૂપિયા કરતાં વધુ રૂપિયા એકઠા કરવા માગે છે.
પ્રજાને નશામાં રાખવી હોય અને તેનાં નેત્રો વિસ્ફારિત થઈ જાય એ રીતે આંજેલી રાખવી હોય અને એ દ્વારા સત્તામાં ટકી રહેવું હોય તો પુષ્કળ પૈસાની જરૂર પડે અને એમાંથી ક્રોની કેપીટાલીઝમનો વિકાસ થયો છે. માત્ર ભારતમાં નહીં, જગત આખામાં. પસંદગીના ઉદ્યોગપતિઓને ધરાવો, પ્રજાને નશામાં રાખો, સ્માર્ટ ફોન પર વ્યવસ્ત રાખો, ભૂખ્યો ન મરે એટલી રાહત આપો.
પણ ક્યાં સુધી? આગળ કહ્યું એમ જે મનાવ્યો ન માને એ હાર્યો માને. બેકારી, સ્થિર આવકનો તેમ જ પ્રવૃત્તિનો અભાવ, આદત, શારીરિક-માનસિક વ્યાધિ, મેદસ્વીતા, લગ્ન વિનાનું એકાકી જીવન, હતાશા, નિષ્ફળતાને તેમ જ શારીરિક-માનસિક વ્યાધિઓને કારણે આત્મહત્યાઓનું વધતું જતું પ્રમાણ વગેરે જ્યારે ઘરે ઘરે આ જોવા મળશે ત્યારે સમજાશે કે જેને આપણે સુખ સમજતા હતા એ તો દોજખ છે. ખરું સુખ ઉત્પાદક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવામાં છે, ધર્મ અને રાષ્ટ્રનો નશો કરીને ઝેર ઓકવામાં નથી.
એ ક્યારે થશે? સમય બહુ ઝડપથી નજીક આવી રહ્યો છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 ઑક્ટોબર 2023