Opinion Magazine
Number of visits: 9666867
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવ ગઝલ

પ્રીતમ લખલાણી|Poetry|1 November 2023

1.   

ક્યાં છે કંઈ પણ કામ કવિશ્રી લખો કવિતા 

ખાલી છે બસ જામ, કવિશ્રી લખો કવિતા

કોઈ ડાળ પર એક પાન પણ નથી લીલેરું

છે તીડોનું ગામ કવિશ્રી લખો કવિતા

કોતરવું હો કૈંક ઊછળતા મોજા પર તો 

ખડક સમું છે નામ, કવિશ્રી લખો કવિતા

નામ, દામ,ને ગામ બધુયે ગયું નરકમાં 

શબ્દો ચારે ધામ, કવિશ્રી લખો કવિતા

ગઝલ પ્રીતમની સાંભળવાને વનવાસેથી 

પાછા ફરશે રામ, કવિશ્રી લખો કવિતા

•

2. 

સાવ રમકડાં જેવો કૃત્રિમ માણસ છે, ભાઈ સાચવજે!

ધોળે દિવસે બળબળ બળતું ફાનસ છે, ભાઈ સાચવજે! 

છમ્મલીલાં વૃક્ષોને પણ ક્ષણ-ક્ષણ છાની છાની વ્હેરે 

સમય નામની તેજ ધારની કાનસ છે, ભાઈ સાચવજે!

શ્વાસ છૂટતાં વ્હેંત જ પડશે પડદો આખા તખ્તા પર 

જીવન નામે પળ બે પળનું ફારસ  છે, ભાઈ સાચવજે!

શ્રદ્ધા ને વિશ્વાસથી જેની પૂજા કરે છે ઝૂકી ઝૂકી  

મૂર્તિ તે ભગવાન નહીં મૃત આરસ છે, ભાઈ સાચવજે!

અડતાંની સાથે જ થશે ચોપાસ બધું યે ઝળુંઝળું 

‘પ્રીતમ’ સાચો શબદ તો એવો પારસ છે, ભાઈ સાચવજે!

••

3.    

ભીતરની બારી તું ખોલ મારા સાયબા  

મનડાની વાત ફરી બોલ, મારા સાયબા

ઝીણું ઝરમરતું આ વરસે છે આભલું,

અમથી તું છત્રી ના ખોલ, મારા સાયબા

ગમતાનો ચોમેરે ઊડતો ગુલાલ કરી, 

સંગે વગાડ આજે ઢોલ, મારા સાયબા

ખુદને ખુદાથી હો મબલખ કંઈ વાત તો

એકાંતી હિલ્લોળે ડોલ, મારા સાયબા 

પ્રીતમ ગુંજે છે લીલી ડાળીએ ટહુકાઓ,

ખુશ્બોથી એને ના તોલ, મારા સાયબા       

•••

4.

ગામ, પાદર, સીમ છોડી મોર ક્યાં ખોવાઈ ગ્યો ?

મંજરીથી નાતો તોડી મોર ક્યાં ખોવાઈ ગ્યો ? 

હું સમંદર પારથી ટહુકામાં આવી ડૂબવા 

તટ ઉપર છોડીને હોડી મોર ક્યાં ખોવાઈ ગ્યો ?

ઓઢણી, ચોળી, કમરબંધ, ઝાંઝરી ને વેણીના 

ભોળી આંખે સ્વપ્ન ખોડી મોર ક્યાં ખોવાઈ ગ્યો ?

આભને ધરતીની વચ્ચે રેશમી ટહુકા સમો 

ગુંજતો સંબંધ જોડી મોર ક્યાં ખોવાઈ ગ્યો ?

લાગણીને કાઠે ‘પ્રીતમ’ જોયો તો પાણી પીતાં 

પણ બધા પરપોટા ફોડી મોર ક્યાં ખોવાઈ ગ્યો ?

••••

5.

આંખમાં આભ તો સાવ નાનું પડ્યું,

એક પંખી છે આવીને મનમાં વસ્યું!

કૈંક મરજીવા ગઝલોના દરિયે ડૂબ્યા 

આજ લગ છે હજી કોને મોતી જડ્યું? 

આભ ફેલાતું હો હર કદમ પર ભલે

વીંઝતું પાંખ પંખી કદી કયાં નડ્યું?

છે હવાના હિલોળે ચડ્યું છાપરું 

રાતભર આ ફળી નીંદરે કયાં ચડ્યું?

બે પતંગોને યુ્દ્ધે ચડી જોઇને 

આભ જોતું રહે ના કદી છે રડ્યું

•••••

6.

ગામ પાદર છૂટિયાને યુગ થયો,

આપણાાં દિલ તૂટિયાને યુગ થયો

સાવ કોરી બાળપણની પાટીમાં,

એકડા બે ઘૂંટિયાને યુગ થયો

રોજ આંબલ ડાળ બોલાવે મને,

કાતરા બે ચૂંટિયાને યુગ થયો

હેતભીની સીમની વડવાઈએ,

એમ ભેગા ઝૂલિયાને યુગ થયો

રાહ જોતી મીટ માાંડીને હવે,

શેઢે ઝાંઝર વાગિયાને યુગ થયો

સાંજ ટાણે રોજ ફળિયે હીંચતા,

લાગણીમાં ખૂલિયાને યુગ થયો

દીકરી મૂકી ગયો પરદેશ હું,

કંકુથાપા નિરખિયાને યુગ થયો

સાદ પાડે સીમ શેઢો થા પરત,

મોલ લીલા વાઢિયાને યુગ થયો

ગામ જઈને પાળિયાને શું કહું

ઘૂળમાં પગ મૂકિયાને યુગ થયો

વાટ જોતી નેજવેથી મા હજી,

પાણી અંજળ ખૂટિયાને યુગ થયો

••••••

7.   

બારી તું ખોલે અને ટહુકે ગઝલ 

મૌન રહી બોલે અને ટહુકે ગઝલ

કેમ છો પૂછે પવનને ડાળીઓ 

સૌ ચઢે ઝોલે અને ટહુકે ગઝલ 

સહેજ અમથું આભ ગોરંભાયને

મોરલો બોલે અને ટહુકે ગઝલ 

કાઢે હડીયું ધોરિયા ઘેલા બની 

લ્હેરાતા મોલે અને ટહુકે ગઝલ 

રાસ  પ્રીતમ ચાંદની સાથે રમે

ઢબૂકતા ઢોલે અને ટહુકે ગઝલ

•••••••

8.   

આભ પરથી સોનવરણી તાજગી ખરતી રહી 

ગાય ઝાંકળ ભીનાં લીલાં ઘાસને ચરતી રહી

કો  ‘અચાનક આવજો’ કીધા વિના ચાલ્યું ગયું 

આંખમાં તસવીર આખી જિંદગી ફરતી રહી!

આંખમાં લઈ એક સુક્કીભઠ્ઠ નદી કેરી મમત 

રેત પનિહારી નિરંતર બેડલે ભરતી રહી !

ખુદ ગઝલ આખી ય શેકાઈ વિરહની આગમાં – 

કોઈ ઇંધણ જેમ મૂંગાં હીબકાં ભરતી રહી !

સૂર છૂટી ગ્યા તૂટ્યો જ્યાં તાર તો પણ હે પ્રીતમ 

આગળી તો એની મેળે સાજ પર સરતી રહી !

••••••••

9.

કયાં હવે છે દોસ્ત! સપનાનું નગર?

ચોર નજરે ઊભું ગપ્પાનું નગર!                 

યાદ આવે સાતમી તાલી મને,

ચૂપ બેઠું કેમ થપ્પાનું નગર?

કેમ કરતાં સાચવીશું આપણે,

ભાગ્યમાં જો હોય પત્તાનું નગર!

જો જરા ખોદો વિચારોને, પછી,

આંખ સામે હો હડપ્પાનું નગર.

વૃક્ષ પાછળ એકલું ઊભી મને,

દૂરથી જોયા કરે છાનું નગર!

•••••••••

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

પહેલી નવેમ્બરની સફર … ‘જે જે વિક્ટોરિયા’થી ‘ગદ્દર!’

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|1 November 2023

1858ની પહેલી નવેમ્બરે રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો બહાર પડ્યો એને વધાવતાં આપણા પ્રેમશૌર્યના કવિ નર્મદે કહ્યું હતું : દેશ મેં આનંદ ભયો જે જે વિક્ટોરિયા…

છ-સાત દાયકા પાછળ કિશોરાવસ્થાનાં ઉંબર વરસોમાં ઝાંખું છું તો જીર્ણશીર્ણ નર્મકવિતામાં વાંચેલી, કંઇક અનલાઇક નર્મદ-પંક્તિ સાંભરે છે. (હજી યુગાવર્ત ટ્રસ્ટ અને રમેશ મ. શુકલનો પ્રતિબદ્ધ પ્રવેશ થયો નહોતો ત્યારની આ વાત છે.) 1858ની પહેલી નવેમ્બરે રાણી વિક્ટોરિયાનું જાહેરનામું – એ વરસોમાં જો કે પ્રોક્લેમેશનને ઢંઢેરો કહેતા – આવ્યું એને વધાવતાં આપણા પ્રેમશૌર્યના કવિએ કહ્યું હતું : દેશ મેં આનંદ ભયો જે જે વિક્ટોરિયા.

નર્મદ વિશે બાળચિત્તની છાપ કે આ તો જોસ્સાનો જણ, જેમ દલપતરામ ધીરે ધીરે સુધારાના સારવાળા. એમને તો 1857 વિશે ફરિયાદ પણ હોય કે દૂધમાં માખી પડે ને જાન ગુમાવે અને સાથે સાથે દૂધને પણ બગાડે તેમ આ ફિતૂરે કીધું. પણ આપણો નર્મદ, વીર નર્મદ, એ ઊઠીને એમ કહે કે જે જે વિક્ટોરિયા?

કંપની સરકારમાં સર્વ વાતે સુવાણ હોય એવું તો હતું નહીં, અને એ પહેલાંનો ગુજરાતના મોટા ભાગના હિસ્સાનો મરાઠા રાજનો અનુભવ શિવ છત્રપતિના હિંદવી સ્વરાજ કરતાં કંઇક જુદો, છેક જ અસુખકર હતો. એટલે દેશમાં વ્યવસ્થાનું સ્થપાવું એ નિશ્ચે જ એક મોટી વાત હતી. માટે સ્તો જે જે વિક્ટોરિયા.

હવે હિંદમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની રાજવટ નથી રહેતી અને બ્રિટિશ તાજનો સીધો અખત્યાર શરૂ થાય છે તે મતલબની આ સત્તાવાર જાહેરાત પહેલી નવેમ્બરે અલાહાબાદના એક ખાસ દરબારમાં થઇ હતી, કેમ કે દિલ્હી સહિત બાકીનું ઉત્તર ભારત ઠેકઠેકાણે અશાંતિગ્રસ્ત હતું. ભલે એક દિવસ પૂરતું પણ રાજધાનીનું માન ત્યારે અલાહાબાદને મળ્યું હતું. (અમદાવાદમાં આ અવસર વિક્રમ સંવત 1915માં બેસતા વરસને દિવસે કલેક્ટર બંગલે ઊજવાયો ત્યારે દલપતરામે ગાયું હતું કે ‘રાણીજીના રાજથી થિર થૈ અમે સુખિયા થયા.’)

વારુ રાણીના ઢંઢેરામાં શું શું હતું એની તપસીલમાં નહીં જતાં નમૂના દાખલ બે’ક વાનાં, મુખ્તેસર : એક તો, ધાર્મિક શ્રદ્ધા અને પૂજાના મામલે બિનદખલ. સત્તાવનમાં હિંદુ-મુસ્લિમ લશ્કરીજનો ભડકેલા હતા અને ખ્રિસ્તી મિશનરીઓની પ્રવૃત્તિનાયે પ્રશ્નો હતા, તે લક્ષમાં લઇને આ બિનદખલ નીતિ જાહેર કરાઇ હતી. એ જ પ્રમાણે ડેલહાઉસીએ બિનવારસી ઠકરાતો પરબારી રાજ હસ્તક લેવાની જે નીતિ અખત્યાર કરી હતી તેને રુખસદ આપી જે તે ઠકરાત યોગ્ય વારસ હસ્તક જાય એનો ખયાલ રખાશે એમ પણ આ ઢંઢેરામાં કહેવાયું હતું.

મરાઠા અમલના છ દાયકા કેવા વીત્યા હશે એનું ચિત્ર મગનલાલ વખતચંદે અમદાવાદના ઇતિહાસમાં થોડા જ શબ્દોમાં સચોટ આપ્યું છે : ‘આઠ લાખની વસતીવાળા ભર્યાભાદર્યા અમદાવાદને મુશ્કેલીથી શ્વાસ લેતું લગભગ મુડદું કરીને અંગ્રેજોને સોંપ્યું …’ ટૂંકમાં અઢારમી સદીની અંધાધૂંધી અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધ પરના એના ઓછાયાએ સરજેલી અનવસ્થા સામે રાણીનું રાજ (એની મર્યાદાઓ છતાં) આશ્વસ્તકારી અનુભવાનું હતું. 1859માં હોપ વાચનમાળાની સાતમી ચોપડી માટે લખવાનું થયું ત્યારે દલપતરામે આ લોકલાગણીને વાચા આપવાની તક ઝડપી હતી :

ઝેર ગયાં ને વેર ગયાં, વળી કાળા કેર ગયા કરનાર,

પર નાતીલા જાતીલાથી, સંપ કરી ચાલે સંસાર;

દેખ બિચારી બકરીનો પણ, કોઈ ન પકડે જાતાં કાન,

એ ઉપકાર ગણી ઇશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.

એક જરા જુદી રીતે આખી વાતને જોઇએ તો ‘ગુજરાતી પિંગળ’ની રચના અને તે વાટે છંદ સૃષ્ટિની વ્યવસ્થા ને વિધાન એ દલપતરામનું મોટું કામ છે. એની ઉપરાછાપરી આવૃત્તિઓ થતી ગઇ ત્યારે કેશવ હર્ષદ ધ્રુવ શા સહૃદય અભ્યાસીએ સોજ્જું સૂચવ્યું કે હવે આપણે એને ‘દલપત પિંગળ’ જ કહીશું … અંગ્રેજ અમલનો જે વિશેષ, વ્યવસ્થા ને વિધાન, તે અને દલપતરામ આમ જાણે સાથે ચાલતા ન હોય!

નવી વાતો પણ બની – જેમ કે મુંબઇથી થાણા કે કલ્યાણ એમ ગણતર માઇલો પૂરતી રેલવે લાઇન હવે સપાટાબંધ આગળ ચાલી. એણે શહેરો ને ગામડાંને જોડ્યાં. રેલવે પ્રકારના ઘટનાક્રમથી વિલાયતબેઠા માર્ક્સને એ વાતે હરખ હતો કે ઇંગ્લેન્ડ-યુરોપથી નવયુગી સુધારાનો એક ઇતિહાસક્રમ શરૂ થયો છે તે હિંદને અજવાળશે. ઇંગ્લેન્ડનો સાંસ્થાનિક સ્વાર્થ ને શોષણ નથી; પરંતુ તે હિંદમાં પ્રગતિ સારુ ઇતિહાસના કરણરૂપ પણ છે.

મુશ્કેલી એ થઇ કે ગામડું શહેરના સંપર્કમાં મૂકાયું તે સાથે એની કૃષિપ્રધાન તાસીર શહેરો અને સાંસ્થાનિક સરકારની જરૂરિયાત મુજબના ઉત્પાદનની રીતે બદલાઇ. અન્ન ઉત્પાદન બાજુએ મૂકાતું ગયું ને રોકડિયા પાકની બોલબાલા થઇ. કાચો માલ ઓછા ભાવે ખરીદતી ને પાકો માલ મોંઘામૂલે માથે મારતી ગોરી ઈજારાશાહીનો યુગ બેઠો. ગુજરાતને સુપરિચિત હોઇ શકતા રોમેશ ચંદ્ર દત્ત – વડોદરા સ્ટેશને ઉતરી સરકીટ હાઉસને રસ્તે આગળ વધતાં આર.સી. દત્ત રોડ સાંભરે છે ને? – તરફથી એ કાળના આર્થિક ઇતિહાસનો જે દસ્તાવેજી આલેખ મળ્યો છે તે સંસ્થાનવાદ હેઠળની અનવસ્થા અને શોષણમૂલક યંત્રણા વિશે નિર્ભ્રાન્ત કરનારો છે. બાય ધ વે, ગાંધીએ ‘હિંદ સ્વરાજ’માં જે ચુનંદા ગ્રંથો સંભાર્યા છે તે પૈકી એક આ પણ છે.

બેશક, ઢંઢેરાની આગળપાછળના દસકાઓમાં નવી દુનિયા ખૂલતી આવતી હતી. 1844માં સુરતમાં માનવ ધર્મ સભા, 1848માં અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (વિદ્યાસભા), 1857માં મુંબઇ યુનિવર્સિટી, 1875માં આર્યસમાજ, 1885માં ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસ … ‘જે જે વિક્ટોરિયા’ પરત્વે નિર્ભ્રાન્તિ, પુનર્વિચારની આ મથામણો વચ્ચે દરિયાપારથી 1913માં એક અવાજ ઊઠ્યો. સાન્ફ્રાન્સિસ્કોથી ‘ગદ્દર’ના પ્રકાશન સાથે, અને તે પણ નવેમ્બરની પહેલીએ. એને વિશે વળી ક્યારેક.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 01 નવેમ્બર 2023

Loading

બારમું નાપાસ વ્યક્તિનું સફળ જીવન : એક અનોખું ભણતર

રાજ ગોસ્વામી|Opinion - Opinion|31 October 2023

રાજ ગોસ્વામી

આઈસ સ્કેટિંગની ટ્રેનિંગમાં સૌથી પહેલો પાઠ એ ભણાવામાં આવે છે કે પડવું કેવી રીતે! સ્કેટિંગમાં લપસી પડવાનું અનિવાર્ય છે. બરફ પર પગ સ્થિર નથી રહેતા એટલા માટે જ તેમાંથી કસોટીયુક્ત રમત પેદા થઇ છે. ધુરંધર સ્કેટર્સ એ નથી બનતા જે ક્યારે ય પડતા નથી, પણ જે પડીને તરત ઊભા થઇ જવામાં કુશળ હોય છે તે શ્રેષ્ઠ ખેલાડી બને છે. એટલા માટે નિષ્ફળતા અથવા ભૂલને “ઠોકર” તરીકે ઓળખવામાં આવે છે. ચાલવામાં ધ્યાન ન રાખો તો ઠોકર વાગી જાય. એમાંથી બીજી વાર પડી કેમ ન જવાય તેનું શીખવા મળે.

નિષ્ફળતાનો એક માત્ર માપદંડ એ હોવો જોઈએ કે હું તેમાંથી એવું તે શું શીખ્યો, જેનો ભવિષ્યમાં અમલ કરી શકાય. જો મને કશું શીખવા ના મળ્યું હોય, તો તેને નિષ્ફળતા ગણવી જોઈએ. પ્રગતિ એટલે શું? એક વ્યક્તિ તરીકે મારો સતત વિકાસ થતો રહે અને હું જે કરું છું તેમાં સતત સુધારો થતો રહે એનું નામ પ્રગતિ. નિષ્ફળતા અને સફળતા બંને જીવનનો હિસ્સો છે, પણ એમાં બે મહત્ત્વની વાત છે; એક, બીજી વારની નિષ્ફળતા પહેલીવારની નિષ્ફળતા જેવી ના હોવી જોઈએ, અને બે, દરેક નિષ્ફળતા બીજા લોકોની નિષ્ફળતા કરતાં મૌલિક હોવી જોઈએ.

ફિલ્મ નિર્માતા-નિર્દેશક વિધુ વિનોદ ચોપરાની હમણાં એક નવી ફિલ્મ “ટ્વેલ્થ ફેઈલ” (બારમું નાપાસ) આવી છે. એક સાચી વાર્તા પર આધારિત આ ફિલ્મ છે, જે યુ.પી.એસ.સી. પ્રવેશ પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓના સંઘર્ષને દર્શાવે છે. જો કે, ફિલ્મ માત્ર પરીક્ષામાં પાસ થવા સુધી સીમિત નથી, તે લોકોને નિષ્ફળતામાં હાર ન માનવા અને ફરીથી પ્રયાસ કરવા પ્રેરણા આપે છે.

“પરિંદા,” “મિશન કાશ્મીર,” “એકલવ્ય,” અને “શિકારા” જેવી ફિલ્મો બનાવારા ચોપરાએ આ વખતે નોખો જ વિષય પકડ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં તે કહે છે કે “આ ફિલ્મ માત્ર શિક્ષણ અથવા નાના શહેરો વિશે નથી – તે ક્યારે ય હાર ન માનવા વિશે છે. તે સંબંધો વિશે પણ છે. આમ તો ફિલ્મ એક અસલી વાર્તા પર આધારિત છે, પરંતુ તેમાં વાસ્તવિક જીવનની અન્ય ઘણી બધી બાબતો પણ છે. તેમાં મારું જીવનનું પણ ઘણું છે. આ ફિલ્મ કાશ્મીરથી અહીં સુધીની મારી સફર વિશે છે. મેં મારો આત્મા વેચ્યા વિના આ બધું હાંસલ કર્યું છે. ફિલ્મનો સંદેશો એ જ છે – તમારે તમારો આત્મા વેચવાની જરૂર નથી.”

ચોપરાએ આઈ.એ.એસ. અધિકારી મોહન કુમાર શર્માના જીવન સંઘર્ષ આધારિત નવલકથા “ટ્વેલ્થ ફેઈલ” પરથી આ ફિલ્મનો પ્લોટ બનાવ્યો છે. મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લાના રહેવાસી મનોજે બાળપણથી જ આઇ.એ.એસ. અધિકારી બનવાનું સપનું જોયું હતું, પરંતુ 12માં ધોરણ સુધી તો આ સપનું પૂરું થવાની શક્યતા દૂર દૂર સુધી નહોતી.

9મા અને 10મા ધોરણને ત્રીજા ડિવીઝનમાં પાસ કરનાર મનોજ 12માં આવીને નાપાસ થઇ ગયો હતો. આવા નબળા છોકરાને યુ.પી.એસ.સી. જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરવાનો આત્મવિશ્વાસ ક્યાંથી હોય? મનોજની વાર્તા એ આત્મવિશ્વાસ કેળવવાની અને નિષ્ફળતામાંથી ઊભા થવાની છે. 

મનોજે આ પુસ્તકમાં તેની આ વાર્તા વર્ણવી છે અને કહ્યું છે કે તેના અભ્યાસ દરમિયાન, તેને જીવનના ઘણા ચાલુ સંઘર્ષો સામે લડવું પડ્યું હતું. એમાં સૌથી મોટો પડકાર આર્થિક સંકટનો હતો. તેના માથા પર ઘરનું છત્ર પણ નહોતું અને ભિખારીઓ સાથે સૂવું પડ્યું હતું. આ સમય દરમિયાન, તેણે ગ્વાલિયરમાં ટેમ્પો ચલાવવાથી માંડીને દિલ્હીમાં પુસ્તકાલયના ચપરાસી સુધીનું કામ કર્યું હતું. પુસ્તકાલયની એ નોકરી વખતે જ તેને ઘણા પ્રખ્યાત લેખકોના પુસ્તકો વાંચ્યા મળ્યાં હતાં અને તેમની ઘણી વાતો પર અમલ કર્યો હતો.

એમાં પ્રેમની પરેશાની પણ આવી હતી. મનોજ 12મા ધોરણમાં ભણતો હતો, ત્યારે ક્લાસની એક છોકરી પર દિલ આવી ગયું હતું. મનોજ પહેલેથી જ 12માં નાપાસ હતો અને તેને ડર હતો કે તેની નિષ્ફળતા જોઈને છોકરી તેના પ્રેમને નકારી દેશે. આ ડરને કારણે તે છોકરી પ્રેમ વ્યક્ત કરી શક્યો ન હતો.

જો કે મનોજને પ્રેમમાં અને યુ.પી.એસ.સી. બંનેમાં પાસ થવું હતું. તમને રાહુલ રોય અને અનુ અગ્રવાલની ફિલ્મ “આશિકી”નું લોકપ્રિય ગીત યાદ હશે; મૈં દુનિયા ભૂલા દુંગા, તેરી ચાહત મેં. કંઇક અંશે મનોજે પણ પેલી છોકરીને એવું કહ્યું હતું; તું જો સાથ આપે તો દુનિયા બદલી નાખું. દુનિયાની તો ખબર નથી, પણ છોકરીનું દિલ અને મનોજનું નસીબ તો બદલાઈ ગયું. આજે એ છોકરી, શ્રદ્ધા, મનોજની પત્ની છે અને મનોજ આઈ.પી.એ.એસ. અધિકારી. શ્રદ્ધાની મદદથી જ મનોજે યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરી હતી.

તમને જો એવું લાગતું હોય કે તમે દુનિયાના સૌથી કમનસીબ ઇન્સાન છો, તમને લાગતું હોય કે તમે પરીક્ષામાં નાપાસ થઈને નાસીપાસ થઇ ગયા છો, તમને લાગતું હોય કે તમારામ જીવનની ઠોકરો ખાવાની તાકાત નથી, તો તમારે આ પુસ્તક વાંચવા જેવું છે.

મનોજની સફર નિષ્ફળતા, ઠોકર અને કમનસીબીથી ભરેલી હતી, પરંતુ સમગ્ર સફર દરમિયાન, તેનું લક્ષ્ય સ્પષ્ટ હતું; આઈ.એ.એસ. અધિકારી બનવું છે, અને તેના માટે તેણે મહેનત કરવામાંથી પાછું વળીને જોયું નહોતું. મનોજ નિષ્ફળ ગયો હતો અને ઊભો થયો હતો, ફરી નિષ્ફળ ગયો હતો અને ફરી ઊભો થયો. દરેક વખતે જ્યારે તે નિષ્ફળ થતો, ત્યારે તે તેની નિષ્ફળતાની પેટર્ન જોતો અને એમાંથી શીખતો હતો કે નિષ્ફળ કેમ ન જવાય.

જીવનને બહેતર બનાવવું હોય, તો ઘણા બધા ઉપાયોમાંથી એક છે, પીડિત માનસિકતામાંથી બહાર આવી જવાનું. તમારી સાથે જે કંઇ થઈ રહ્યું છે, તેમાં બીજા કોઈનો નહીં, માત્ર તમારો જ દોષ છે એવું તમે માનવા લાગો, અને તેની સંપૂર્ણ જવાબદારી ઉઠાવો, તો જીવન તત્કાળ બદલાઈ જાય. પોતાની સ્થિતિ માટે બીજા લોકોને દોષિત માનવા એ જવાબદારીઓથી ભાગવા માટેની ચાલાકી છે. મોટાભાગની વિફળતાઓમાં આ માનસિકતા કારણભૂત હોય છે.

પોતાના જીવનની કમાન હાથમાં લેવાથી તમે જીવનને પાછી એ તાકાત બક્ષો છો, જે અત્યાર સુધી બીજા લોકો કે સંજોગોને આધિન હતી. પીડિત માનસિકતાને પંપાળ્યા કરવાથી લોકોની સહાનુભૂતિઓ તો મળતી રહેશે, પણ તેનાંથી જીવન બહેતર નહીં થાય, અને એક સીમા પર આવીને અંતત: આપણે જાતને એ પ્રશ્ન તો પૂછવો પડશે : “જીવનમાં સહાનુભૂતિઓ મેળવતા રહેવું એ મારું ધ્યેય છે?”

જીવનમાં બહુ બધી વખત નાસીપાસ થતા રહેવું પડે છે. નાસીપાસ થવું એ નિષ્ફળતા નથી, પણ અવરોધ છે. એ નિષ્ફળતા ત્યારે બની જાય, જ્યારે આપણે અવરોધની જવાબદારી સ્વીકારવાને બદલે, બીજા લોકોને તેના માટે દોષિત ઠેરવીએ. કોઇપણ પરિસ્થિતિમાં વ્યક્તિગત જવાબદારી લેવાનો અર્થ જ એ થાય છે કે આપણે આપણાં દુઃખ માટે બીજી વ્યક્તિને દોષ આપતા નથી.

એકવાર આપણે બીજાઓને દોષિત તરીકે જોવાનું શરૂ કરી દઈએ પછી તે ઉંદરના દરમાં ઊંડા ઉતરવા જેવું થાય. આપણે ખુશ રહેવા માટે થઈને બીજા લોકોને કંટ્રોલ કરવા લાગી જઈએ અને એમાં ઊંધા માથે પટકાતા જઈએ, કારણ કે લોકો આપણા સુખ કે સફળતા માટે ઉત્તરદાયી નથી. નિયમિત દુઃખી રહેવાનો આ શોર્ટકટ છે. જવાબદારી હંમેશાં ખુદથી જ શરૂ થાય છે. બહારના સંજોગો ગમે તેવા હોય, અંદર લાગણીઓનું વાતાવરણ સર્જવાની સંપૂર્ણ જવાબદારી આપણી પાસે છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 29 ઑક્ટોબર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...916917918919...930940950...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved