Opinion Magazine
Number of visits: 9458010
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આખી શિક્ષણ વ્યવસ્થામાં વિદ્યાર્થીનું હિત ક્યાંય દેખાતું નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 July 2023

રવીન્દ્ર પારેખ

એ ખરું કે ગુજરાતમાં શિક્ષણ વિભાગ છે, પણ તેના હોવાથી કેવળ અરાજકતા જ ફેલાઈ છે. એ બે કામ મુખ્યત્વે કરે છે. એક, પરિપત્રો મોકલવાનું અને બે, ડેટા ક્લેક્ટ કરવાનું. ખરા ખોટા આંકડા પરથી બધું બરાબર ચાલે છે એમ માનીને તે પોરસાય છે. એ ઉપરાંત તેના અધિકારીઓ, મંત્રીઓ રોજ કોઈને કોઈ તુક્કાઓ, યોજનાઓને નામે તરતા મૂકે છે ને ઘેટાં જેવા તેનાં શિક્ષણાધિકારીઓ, આચાર્યો, શિક્ષકો નીચું જોઈને તેનો અમલ કરવામાં ધન્યતા અનુભવે છે. કોઈને એમાં કશું અજુગતું લાગતું નથી. આ દાયકાની સૌથી મોટી સફળતા એ છે કે કોઈને, કોઈ સવાલ જ નથી થતો. યુનિયનો ક્યારેક પગાર વધારાને મામલે કાળી પટ્ટી પહેરીને વિરોધનો ફણગો ફોડે છે, પણ પછી બધું શાંત થઈ જાય છે. તેમનો પોતાનો જ ગુનાહિત ભાવ એવો છે કે બીજી નોકરીના કલાકો કરતાં તેઓ ઓછો સમય સંસ્થામાં આપે છે, એટલે શિક્ષણેતર કામો સોંપાય છે, તો નીચું ઘાલીને વસ્તી ગણી આવે છે કે રસી મૂકી આવે છે. એમને કારકૂનીનો વાંધો નથી, ભણાવવાનો છે, એટલે શિક્ષણ વિભાગ પણ એમની પાસેથી કારકૂની જ કરાવે છે. કારકૂનો અંગ્રેજોને જ જોઈતા હતા એવું નથી, શિક્ષણ વિભાગને પણ શિક્ષક-કમ-કારકૂન ખપે છે. આમાં ઘણા શિક્ષકો, શિક્ષણથી વંચિત થતાં જતાં બાળકોથી દુ:ખી છે, તો કેટલાક અધિકારીઓ પણ ચાલતી લાલિયાવાડીથી વ્યથિત છે, પણ એ ખૂણે બબડી લેવાથી વિશેષ કૈં કરી શકતા નથી.

બીજી તરફ સરકારને ખાનગી સ્કૂલો ખોલવામાં રસ છે, એટલો પોતાની સ્કૂલો ચલાવવામાં રસ નથી. એ જો બંધ થાય તો સરકાર, શિક્ષણ ખર્ચથી બચે. એને ગ્રાન્ટેડ સ્કૂલો ચલાવવામાં પણ રસ નથી, એટલે એ ગ્રાન્ટ કાપી કાપીને ખર્ચ ઘટાડતી જાય છે. સરકારને એમ જ છે કે સરકારી સ્કૂલોનો ખર્ચ તેનાં ગજવામાંથી થાય છે. એની સામે પરીક્ષાઓનું ભારણ વધતું જ આવે છે. પરીક્ષા ફરજિયાત છે ને ભણાવવાનું મરજિયાત છે. વિદ્યાર્થીઓ પણ એટલા હોંશિયાર છે કે નથી ભણતા તો ય ઉત્તમ ટકાએ પાસ થઈ જાય છે. આજકાલ તો પરીક્ષા પૂરી થયાં પછી પેપર લખી આપનારા પણ હાથવગા છે. એવા દિવસો હવે દૂર નથી કે એક પણ ધોરણ ભણ્યા વગર પીએચ.ડી.નું સર્ટિફિકેટ ઘરે આવી જાય.

આવી સ્થિતિમાં શિક્ષણ વિભાગનો એક તુક્કો 20 માર્ચે એક પરિપત્રથી બહાર આવ્યો, જેમાં 2023-‘24થી જ્ઞાનશક્તિ યોજના હેઠળ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ, રક્ષાશક્તિ સ્કૂલ્સ જેવી સ્કૂલો શરૂ કરવાની વાત હતી. તેને માટે 2023માં હોંશિયાર વિદ્યાર્થીઓની ધોરણ છ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાઈ. પાંચેક લાખથી વધારે વિદ્યાર્થીઓએ એ પરીક્ષા આપી, પણ તેનું પરિણામ આવે તે પહેલાં આખો જ્ઞાનસેતુ પ્રોજેક્ટ જ રદ્દ કરી દેવાયો. 400 જેટલી જ્ઞાનસેતુ સ્કૂલો મોટાં ઉપાડે શરૂ થવાની હતી તેનું પડીકું વળી ગયું. લીધેલી પરીક્ષા માથે ન પડે એટલે જ્ઞાનસેતુ સ્કૂલ ‘મુખ્ય મંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ યોજના’માં તબદીલ થઈ. જ્ઞાનનું આવું તકલાદી નાટક લાંબું ન ચાલ્યું એનો અર્થ જ એ કે એમાં જીવ ન હતો. પૂરતા અભ્યાસ વગર આવી યોજનાઓ ઉતાવળે દાખલ કરવાનું ને પછી રદ્દ કરવાનું કોણ કહે છે તે નથી સમજાતું, પણ આવું કાચું કાપવામાં શિક્ષણ વિભાગને કોઈ પહોંચે એમ નથી.

આમ તો 2017થી શિક્ષકોની કાયમી જગ્યાઓ પુરાતી નથી અને પ્રવાસી શિક્ષકો, વિદ્યાસહાયકોથી સરકાર આંગળા ચાટીને પેટ ભરે છે. શિક્ષકોની અછત એટલી છે કે ઊનાની વાવરડાની સ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિકના 11-12ના વર્ગોમાં એક પણ શિક્ષક નથી ને વિદ્યાર્થીઓ એમ જ સ્કૂલે આવીને પાછા જાય છે. જામનગરની સરકારી સ્કૂલમાં 5માંના ક્લાસ 8માંના વિદ્યાર્થીઓ લે છે. શિક્ષકોના આવા દુકાળથી સરકારને એવું કઇ રીતે લાગે છે કે 2020ની નવી શિક્ષણ નીતિ માટેનું આ તંદુરસ્ત વાતાવરણ છે? એમ લાગે છે કે  કોઈ પણ શ્રેષ્ઠ નીતિ નિષ્ફળ કરવાનાં આ હવાતિયાં છે. કરુણતા એ છે કે શિક્ષણ વિભાગ પાસે ગંભીર ચિંતનનો ભારોભાર અભાવ છે, એટલે તે કામચલાઉ ઉકેલથી જ રાજી રહે છે.

એક તબક્કે બિનતાલીમી પ્રવાસી શિક્ષકોથી કામ લેવાયું, ત્યાં તુક્કો આવ્યો કે બિનતાલીમી શિક્ષકોથી ચાલી જશે તો જતે દિવસે બી.એડ્.નું જ મહત્ત્વ નહીં રહે, એટલે પ્રવાસી શિક્ષકોની યોજના રદ્દ કરાઇ. 1998થી શરૂ થયેલી વિદ્યાસહાયકોની યોજનામાં અમુક વર્ષની નોકરી થતાં કાયમી નોકરીનો લાભ મળતો હતો, ત્યાં કોઈ સાહેબને ઝબકારો થયો કે એમ કોઈ કાયમી થઈ જશે તો તેને નોકરીના લાભો આપવા પડશે, એટલે વિદ્યાસહાયકોની યોજના રદ્દ કરી ને 10 જુલાઇએ નવી યોજના જ્ઞાનસહાયકની દાખલ કરી. તેમાં વિદ્યાસહાયક કરતાં પગાર લગભગ ડબલ કરી દેવાયા. તે એટલે કે વધારે પગારની લાલચે કોઈ બહુ ઊહાપોહ ન કરે. કોઈ હલકી મનોવૃત્તિનો વેપારી પણ ન રમે એવી મેલી રમત આમાં એ રમાઈ કે એ નોકરીઓ કોન્ટ્રાક્ટ આધારિત ઊભી કરાઇ. 11 મહિના પતે કે નોકરી પૂરી. પછી ફરી મળે તો મળે, નહીં તો નાહી નાખવાનું …

આ જ્ઞાન જ્ઞાનનું જબરું તૂત ચાલે છે. એમાં પણ જ્ઞાનસહાયકની આખી યોજના અમાનવીય અને નિષ્ઠુર છે, તે એટલે કે એમાં કાયમી નોકરીની કોઈ તક નથી. વર્ષો સુધી નોકરી કર્યાં પછી એવી સ્થિતિ આવી શકે કે બધી પાત્રતા છતાં, ઉંમર પુરાઈ જાય ને શિક્ષક તરીકે તો ઠીક, બીજી નોકરીને લાયક પણ એ ઉમેદવાર ન રહે. એ સમજ નથી પડતી કે શિક્ષકને કાયમી નોકરી આપવામાં સરકાર આટલું કરાંજે છે કેમ? કોઈ નોકરીમાં પાંચ વર્ષે પેન્શન મળતું નથી, પણ પાંચ વર્ષની કોર્પોરેટરની કે વિધાનસભ્યની કે સાંસદ તરીકેની ટર્મ પૂરી થતાં કરોડોનો લાભ રાજકારણી મેળવી શકે ને તે પછી એક, નહીં, બે નહીં, ત્રણ ત્રણ પેન્શન પણ મેળવી શકે, તો માસ્તરને કાયમી કરવામાં આટલો દ્વેષ કેમ? કેમ એની કાયમી ઘટ પૂરી કરવામાં સરકાર આટલા અખાડા કરે છે ને કેમ શૈક્ષિક યુનિયનો એ અંગે ચૂપ છે? કાયમી શિક્ષકના વિકલ્પો સરકારે પ્રવાસી શિક્ષક, વિદ્યાસહાયક અને હવે જ્ઞાનસહાયકમાં શોધ્યા છે. જો કે, એનાં ય ઠેકાણાં નથી. આ જ મહિનામાં પ્રવાસી શિક્ષક યોજના રદ્દ કરી અને એ ફરી લાગુ પણ કરી. કેમ? તો કે, જ્ઞાનસહાયકોની નિમણૂકમાં ટેટ-ટાટને લીધે સમય જાય એમ છે. તો એ સાહેબોને પૂછી શકાય કે 10મી જુલાઇએ ઠરાવ લાગુ કરતાં પહેલા એ ખબર ન હતી કે નિમણૂકમાં સમય જશે? કે ટેટ-ટાટનાં પરિણામોની રાહ જોવી પડશે એ યાદ ન રહ્યું? એ ઠરાવ સભાન અવસ્થામાં થયો હોય તો આટલા ઓછા દિવસમાં પ્રાથમિકમાં 15,000 અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 11,500 જ્ઞાનસહાયકોની નિમણૂક થઈ ન શકે એટલો વિચાર તો આવ્યા વગર ન રહે. 25 જુલાઈએ ખબર પડતી હોય કે જ્ઞાનસહાયકોની નિમણૂકમાં 6 મહિના લાગે એમ છે, તો તેના 15 દિવસ અગાઉ શિક્ષણ વિભાગને એવું કેવી રીતે લાગ્યું કે એ નિમણૂક થઈ રહેશે? વારુ, 10 મીએ નક્કી કર્યું જ્ઞાનસહાયકોનું, ત્યારે જ પ્રથમ સત્ર શરૂ થવાને દોઢેક મહિનાથી વધુ સમય તો થઈ ચૂક્યો હતો, તો ચાલુ સત્રે એ વેપલો કરવાની જરૂર હતી? એને બદલે 6 મહિના સુધી પ્રવાસી શિક્ષકોની સ્કિમ ચાલુ રાખી હોત તો થૂંકીને ચાટવા જેવું ન થયું હોત !

નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં બધું ‘જ્ઞાન’, સત્ર શરૂ થયા પછી જ થાય છે. તેમાં ઉતાવળ એવી હોય કે છૂટાછેડા પહેલાં કરી નંખાય ને લગ્નની દરખાસ્ત પછી આવે. જ્ઞાનસેતુની પરીક્ષા પહેલી લઈ લેવાય ને યોજનાનો નિર્ણય પછી લેવાય. જ્ઞાનસહાયકની જાહેરાત પહેલી થઈ જાય ને પનો ટૂંકો પડે તો અગાઉ રદ્દ કરેલી ‘પ્રવાસી’ યોજના ફરી લાગુ કરી દેવાય. લાગે છે આ માનસિક સ્વસ્થતાનાં પરિણામો છે?

આ બધું પાછું વિદ્યાર્થીનાં હિતમાં થાય છે. તે એ રીતે કે પ્રવાસી શિક્ષકો લેવાય તો શિક્ષણ કાર્ય અટકે નહીં. શિક્ષણ વિભાગને ત્યારે એ યાદ નથી આવતું કે કેટલી ય શાળાઓમાં પૂરતા શિક્ષકો જ નથી? 700 સ્કૂલો એવી છે જે એક જ શિક્ષકથી ચાલે છે. એવે વખતે શિક્ષકોની ઘટ ન પુરાય તો અસરકારક શિક્ષણ થતું જ નથી એ કેમ કોઈને નહીં સમજાતું હોય !

સાધારણ રીતે શિક્ષણ વિભાગને પોતાની સત્તામાં આવતી કોલેજો કે યુનિવર્સિટીઓની ખબર હોય. એ પણ ખબર હોય કે કોલેજો કે યુનિવર્સિટીઓ નેકનું જોડાણ ધરાવે છે, પણ ગુજરાતની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી 2018થી નેકનું જોડાણ ધરાવતી નથી. એ તો ઠીક, ગુજરાતની 55 યુનિવર્સિટી ને 1,767 કોલેજો નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ – નેકનું જોડાણ ધરાવતી નથી. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા દરેક યુનિવર્સિટી ને કોલેજ માટે નેકની માન્યતા ફરજિયાત હોવા છતાં રાજ્યની ઘણી યુનિવર્સિટીઓ અને કોલેજો નેકની માન્યતા ધરાવતી નથી અને એની જાણકારી શિક્ષણ વિભાગને હશે કે કેમ તે નથી ખબર. ગુજરાત સૌથી વધુ – 108 યુનિવર્સિટીઓ ધરાવતું સ્ટેટ ગણાય છે, ત્યારે લગભગ અડધી યુનિવર્સિટીઓ અને 2,267માંથી 1,767 કોલેજો નેકનું જોડાણ ધરાવતી નથી એની સરકારને ચિંતા હોય એવું લાગતું નથી ને કમાલ એ છે કે ગુજરાત મોડેલ સ્ટેટ તરીકે ઓળખાવાઈ રહ્યું છે. એમ લાગે છે કે ગુજરાત, શિક્ષણની ગુણવત્તા તો ઠીક, પણ ગુણવત્તાયુક્ત ફીનું ધોરણ તો જાળવી શક્યું છે. શિક્ષણનાં સર્વાંગી રકાસમાં એટલું ય ક્યાં છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 જુલાઈ 2023

Loading

કોરોનાકાળમાં કળાની સમીપે : 6

અમર ભટ્ટ|Opinion - Opinion|27 July 2023

અમર ભટ્ટ

કવિ પ્રહલાદ પારેખે (કવિતાની?) પરબનું ગીત લખ્યું છે –

“હું તો બેઠી પરબ એક માંડી કે પાણીડાં કોણ પીશે?

લીલા લીમડાએ છાંયડી ઢાળી કે પાણીડાં કોણ પીશે?

આજ હૈયે છે કામના જાગી કે પાણીડાં કોણ પીશે?

કોઈ આવીને નીર લિયે માંગી કે પાણીડાં કોણ પીશે?”

વૃત્તાંત 1માં જણાવ્યા પ્રમાણે તાળાબંધીની શરૂઆતથી 1 જૂન 2020 સુધી રોજ, મેં પણ મારી વૉટ્સ ઍપની પરબમાંથી,એક કાવ્ય ગાન સ્વરૂપે મોકલ્યું – સાથે તે કાવ્ય અંગેની અને તે કાવ્યના સ્વરાંકન અંગેની મારી સમજ પ્રમાણેની  મારી નોંધ પણ ખરી. હું ક્યારે ય મળ્યો ન હોઉં અને જેમને ઓળખતો પણ ન હોઉં તેવી પણ અનેક વ્યક્તિઓએ સંદેશાઓ અને ફૉન દ્વારા મારી આ વહેંચણીથી તેમને મળેલાં આશ્વાસન અને આનંદ મને પહોંચાડ્યાં. 

“અનલોકડાઉન” શરૂ થવાનું હતું એના આગલા દિવસે મેં નરસિંહથી શરૂ કરીને અત્યાર સુધીની, ક્યાંક સૂફી મિજાજ હોય કે ક્યાંક જીવન જીવવાની અમૂલી રીત વ્યક્ત થતી હોય અને આહિર ભૈરવ રાગથી શરૂ કરીને ભૈરવીમાં સમાપ્ત થાય અને સમાન તાલમાં ગાઈ શકાય તેવી, રચનાઓ વહેંચી અને મારી “ભજનયાત્રા”માં સૌને સામેલ કર્યા –

 https://youtu.be/eL76lCIwZBs 

આવું વિશ્વભરમા અન્યત્ર ક્યાં થયું હશે તેની મારી શોધ મને માઈકલ ઈગ્નેશીએફના પુસ્તક “On Consolation” પાસે લઇ ગઈ. ઈગ્નેશીએફ કેનેડાના ઉદારમતવાદી પક્ષના ભૂતપૂર્વ નેતા, ઇતિહાસવિદ્દ, હાર્વર્ડ અને ઑક્સફર્ડ જેવી યુનિવર્સિટીઓમાં પ્રૉફેસર અને અનેક પુસ્તકોના લેખક છે. તેમણે અનુભવ્યું કે કોરોના સમયમાં કલાકારો, કવિઓ અને લેખકો લોકોનાં ભય, ચિંતાઓ, તણાવોમાં રાહત આપવાનું કામ કરતા હતા. હૉલેન્ડના રોટરડેમ જેવાં શહેરમાં કોઈને વિચાર આવ્યો કે વિશ્વભરના કલાકારો બીથોવનની સિમ્ફની ઑનલાઇન પ્રસ્તુત કરે જેમાં દરેક કલાકાર પોતપોતાના દેશમાં પોતાને ઘેર હોય. ઑનલાઈન હોવા છતાં સૌએ અજબ તાલમેલ જાળવ્યો. કોઈક કવિએ ફેસબૂક પર કાવ્યપાઠ કર્યો તો કોઈએ પિયાનોવાદન રજૂ કર્યું. અપાર પીડામાં જાતને આશ્વસ્ત કરવા કલાનો સહારો લઈને થયેલાં ઐતિહાસિક સર્જનો પર પુસ્તક લખવાનો ઈગ્નેશીએફને વિચાર આવ્યો. તેના પરિણામરૂપે આ પુસ્તકમાં પુત્રીના અકાળ અવસાન સમયે અભિવ્યક્ત થયેલી સિસેરોની પીડાની વાત છે; તો કવયિત્રી આના આખ્માતોવાએ, લેનિનગ્રાદમાં ક્રેસ્ટો જેલમાં કેદ તેના પુત્રને મળવા માટેની પ્રતીક્ષાની પળોમાં અનુભવેલી અનિશ્ચિતતા અને તેનાં કાવ્યોમાં વ્યક્ત વેદના પણ આપણે ઈગ્નેશીએફનું આ પુસ્તક વાંચીને અનુભવી શકીશું. પાશ્ચાત્ય સંગીતના ખ્યાતનામ સ્વરકાર ગુસ્તાવ માહલર ઉપરના પ્રકરણમાં બીથોવનનો એક હૃદયદ્રાવક કિસ્સો છે. 1804માં વિયેનામાં ડોરોથી વૉન એર્ટમૅન નામની યુવા પિયાનોવાદક પોતાના ત્રણ વર્ષના પુત્રને ગુમાવીને ઊંડા માનસિક દબાવમાં હતી. બીથોવન એને મળવા એને ઘેર ગયો અને ત્યાં લગભગ એક કલાક એવું પિયાનોવાદન કર્યું કે ડોરોથી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. બીથોવન કાંઈ જ બોલ્યા વગર ડોરોથીનો હાથ વાત્સલ્યથી દાબીને નીકળી ગયો. એ પછી ડોરોથીએ એક પત્રમાં કોઈને જણાવ્યું હતું કે તે દૈવી સંગીત હતું અને જાણે કે પ્રકાશના વિશ્વમાં ગાંધર્વો તેના પુત્રને આવકારી રહ્યા હતા! નરસિંહરાવ દીવેટિયાનું “મંગલ મંદિર ખોલો” આવી જ વેદનામાંથી અવતરેલું ને! માહલરે પોતાના સંતાનને ગુમાવ્યાનું દુઃખ 1901થી 1904ની વચ્ચે પાંચ ગીતોમાં વ્યક્ત કર્યું. છેલ્લા ગીતમાં પોતાને આ માટે દોષિત માનતા એ કહે છે –

“In this weather, in this storm

I should never have let the children out” 

( https://youtu.be/YFXKSsAs5HY )

બાલમુકુન્દ દવેનું “સોનચંપો” ગીત યાદ આવશે જ –

“રંકની વાડીએ મો’ર્યો સોન રે ચંપાનો છોડ 

અમને ન આવડ્યાં જતનજી”

કોરોના સમયે અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી સ્થગિત કરવી પડી હતી. લોકશાહીના ત્રીજા સ્તંભ સમી અદાલતો ચાલે જ નહીં તે તો ન ચાલે એમ વિચારીને તમામ રાજ્યોની વડી  અદાલતોએ ટેક્નોલોજીની સહાય લઇ ઑનલાઇન સુનાવણી શરૂ કરી. ગુજરાત હાઈકૉર્ટે આખા ભારતમાં પહેલ કરી અને અદાલતો ઑનલાઇન ચાલે તે માટે અથાગ જહેમત ઊઠાવી. આરંભની મુશ્કેલીઓ બાદ આ વ્યવસ્થા સૌને એવી તો કોઠે પડી ગઈ કે 2021 ઑગસ્ટમાં જ્યારે પ્રત્યક્ષ સુનાવણી પુન: શરૂ કરાઈ ત્યારે સૌએ ઑનલાઇન સુનાવણી બંધ ન કરવા વિનંતી કરી. કાયદાનું શાસન – Rule of Law – તે લોકશાહીનો પાયો છે. ન્યાયતંત્ર સુધી પહોંચી શકાય તેવી વ્યવસ્થા – access to justice – તે આ નિયમનું એક પાસું છે. ન્યાયપ્રક્રિયામાં ટેક્નોલોજીના ઉપયોગના પ્રણેતા અને પ્રચારક, યુ.કે.ની સુપ્રીમ કૉર્ટના મુખ્ય ન્યાયમૂર્તિના ટેક્નોલોજી અંગેના સલાહકાર અને ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રૉફેસર રિચર્ડ સસકિંડના પુસ્તકે આંખ ખોલી નાખી – “Online justice and Future of Courts”.   ન્યાયતંત્ર લોકશાહીનો આધાર છે, પણ ન્યાયપ્રક્રિયા લાંબી અને ખર્ચાળ છે. પ્રૉફેસર સસકિંડ એમ કહે છે કે સામાન્ય માણસ સુધી ન્યાયવ્યવસ્થા પહોંચે તે માટે માટે ટેક્નોલોજી શ્રેષ્ઠ વિકલ્પ છે. પોતાના આ પુસ્તકમાં એ ફ્રાન્ઝ કાફકાના “The Trial”માંથી માર્મિક રીતે ટાંકે છે –

“Before the law stands a gatekeeper. A man from the country comes to this gatekeeper and requests admittance into the law. But the gatekeeper says that he cannot grant him admittance right now … The man from the country had not expected such difficulties; after all, he thinks, the law should be accessible to everyone at all times.” 

ગુજરાત હાઇકૉર્ટે કાર્યવાહીનું યુટયૂબ ઉપર જીવંત પ્રસારણ કરવાનો અભૂતપૂર્વ નિર્ણય લીધો. ઑનલાઇનનો ફાયદો એ થયો છે કે પક્ષકાર ઘેરબેઠા પોતાના કેસની કાર્યવાહી નિહાળી શકે છે.

વકીલાત પણ કળા કહેવાય છે – Advocacy is an Art. વર્ષો પહેલાં અમેરિકાના પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી રિચાર્ડ પૉઝનરનું પુસ્તક “Law and  Literature” વાંચ્યું હતું. પૉઝનરે એમાં સૂચવ્યું હતું કે વકીલાતના અભ્યાસક્રમમાં એક વિષય – Law and  Literature – ફરજિયાત હોવો જોઈએ. દલીલો જો સાહિત્યિક હોય તો તે  કવિતાની જેમ જ કર્ણમધુર લાગે છે. સંસ્કૃતમાં સારા કવિતાપાઠ માટે જે કહેવાયું છે તે વકીલાતમાં દલીલોને પણ લાગુ પડે છે –

येडपि शब्दविदो नैव नैव चार्थ विचक्षणा:| 

तेषामपि सतां पाठ: सुष्ठु कर्णरसायनं|| 

(જેઓ અર્થ જાણતા નથી તેમ જ અર્થ કરવામાં વિચક્ષણ નથી તેમને માટે પણ સારા માણસોએ કરેલો (કાવ્યનો) પાઠ કર્ણરસાયન બને છે.)

લોકોનાં મન કોરોનાને કોરે મૂકીને રચનાત્મક રીતે પરોવાયેલાં રહે તે માટે અમેરિકાની ખ્યાતનામ (પણ ખૂબ ઊંચી ફી લેતી) હાર્વર્ડ યુનિવર્સિટીએ કેટલાક વિષયો ઓનલાઇન વિનામૂલ્યે શીખવવાનું શરૂ કર્યું. એમાં ચાર અઠવાડિયા માટે એક વિષય શૅકસપિયરના જીવન અને સર્જનની ઝલક ઉપર હતો. કહે છે કે અમેરિકાની સુપ્રીમ કૉર્ટના લગભગ 750થી વધુ ચુકાદાઓમાં શૅક્સપિયરનું કોઈ ને કોઈ વાક્ય ટાંકવામાં આવ્યું છે. ભારતની અદાલતોના ચુકાદાઓમાં અને ઘણા વકીલોની દલીલોમાં પણ શૅક્સપિયરના ઉદ્દગારો સંભળાય છે. વકીલો માટે તો એણે ‘હેન્રી સિક્સ્થ’ નાટકમાં લખેલું જ કે “The first thing we do, let’s kill all the lawyers”. આ ઉપરાંત ટ્રેડમાર્ક ઉપરના કેસોમાં “What’s in a name?” (રોમિયો અને જુલિયેટ) કે સામા પક્ષની દલીલોમાં તથ્ય નથી તેવું કહેવા “Sound and fury, signifying nothing” (મૅકબેથ) જેવાં વાક્યો અમે અવારનવાર સાંભળ્યાં છે. “મર્ચન્ટ ઑફ વૅનિસ” તો લેણદાર-દેવાદાર વચ્ચેના કેસોમાં અવારનવાર કરારના અર્થઘટન માટે વપરાય છે. નાની પાલખીવાલાએ કટોકટીકાળ સમયે, તે પહેલાં અને પછી આપેલાં પ્રવચનોમાં “મૅઝર ફૉર મૅઝર” નાટકનો આ સંવાદ સત્તાના દુરુપયોગ માટે અર્થસભર રીતે વણી લીધેલો – “It is excellent To have a giant’s strength, but it is tyrannous to use it like a giant”. 600 વર્ષ ઉપરાંતથી જે સર્જક વિશ્વભરમાં સૌથી વધુ ભજવાતો હોય તેને માત્ર ચાર અઠવાડિયામાં તો કઈ રીતે સમજી શકાય? પણ મારા વકીલાતના વ્યવસાયને વધુ રસિક બનાવવા શેક્સપિયરના સર્જનાત્મક આકાશ ભણી એક નજર કરવા મારા મનની બારી ઊઘાડવાનું નક્કી કર્યું.  અમેરિકાના વકીલ અને કાયદાના શિક્ષક ડૅનિયલ કૉર્નસ્ટેઇનનું પુસ્તક “Kill all lawyers? Shakespeare’s Legal Appeal” વાંચ્યું, માણ્યું અને ધન્ય થયો. શૅક્સપિયરનાં નાટકોમાં કાયદાને સ્પર્શતી બાબતો કેમ આવે છે તે સમજી શક્યો. તેણે પોતાના સમયમાં પણ ન્યાયપ્રક્રિયામાં વિલંબ જોયેલો. પોતે અનેક કેસો કરેલા અને અનેક કેસો તેની સામે થયેલા. ગોપનીયતાનો અધિકાર, કાયદાનું સમાન રક્ષણ, ઘાતકી અને બિનપ્રમાણસર સજા(ગુનાના પ્રમાણમાં સજાનું ઘણું વધારે પ્રમાણ), વ્યક્તિસ્વાતંત્ર્ય જેવા, કાયદા સાથે નિસબત ધરાવતા, અનેક વિષયો  શૅક્સપિયર કેટલી સરળતાથી પોતાનાં નાટકોમાં ગૂંથી લે છે તે વિચારથી જ હું અભિભૂત થઇ ગયો. સહેજ રમૂજ કરું? – હવે બસ શૅક્સપિયરને ક્વૉટ કરી શકું એવા કેસો આવવાની રાહ જોઉં છું!

આમ જ, ઑનલાઇન દલીલો કરવાનો ને ઑનલાઇન કાવ્યસંગીત પીરસવાનો સહિયારો આનંદ મેં માણ્યો. કેટલાક કાર્યક્રમો અહીં સાંભળી શકાશે – 

https://youtu.be/bZ0jlcAwCVI;

https://youtu.be/XnC-3DSPp30 

જીવંત કાર્યક્રમોથી વિરુદ્ધ અહીં મૂંગી દાદ મળતી હતી. મનોજ ખંડેરિયાએ કહ્યું છે –

“એ બની રહી આજ પર્યન્ત મારી સર્જકતાનું બળ 

  કોઈએ મૂંગી દીધેલી દાદ પણ શું ચીજ છે?”

છેલ્લે મારે વાત કરવી છે ચાર્લી મૅકેસીના આ પુસ્તકની – “The Boy, the Mole, the Fox and the Horse”. ગ્રાફિક રીતે લખાયેલા સચિત્ર પુસ્તકમાં છછુંદર, શિયાળ અને ઘોડો એક બાળકનાં પ્રવાસનાં મિત્રો બને છે તેની વાત છે. આખું પુસ્તક – તેની પાછળનો વિચાર, તેની પ્રસ્તુતિ બધું જ – નિતાન્ત સુંદર છે. તેમાં ઘોડા અને બાળક વચ્ચે જીવનમાં ટકી રહેવા માટે મનોબળ પૂરું પાડતા સંવાદ છે –

“We have a long way to go” sighed the boy.

“Yes, but look how far we’ve come,” said the horse 

“This storm is making me tired,” said the boy.

 “Storms get tired too,” said the horse, “so hold on.” 

સાહિત્ય- સંગીત-ફિલ્મો માણતા માણતા ને વકીલાત કરતા કરતા હું  ટકી રહ્યો હતો. કોરોનાનું તોફાન પણ થાક્યું હતું, શમવા લાગ્યું હતું.

(સમાપ્ત)
[પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”; જુલાઈ 2023; પૃ. 41-44]
e.mail : amarbhatt@yahoo.com

Loading

ચાલો, હરારી પાસે – 8

સુમન શાહ|Opinion - Opinion|27 July 2023

સુમન શાહ

સામાન્ય લોકો તર્કથી નથી જીવતા કેમ કે નથી જાણતા કે એ શી બલા છે. કલાકારો કે સાહિત્યકારો તર્કને જાણે છે પણ વિશ્વસનીય નથી ગણતા; તેઓ અ-તર્કમાં વધારે શ્રદ્ધા રાખે છે. પરન્તુ આ ‘બેબી એ.આઈ.’ અને ‘એ.આ.ઈ-ક્રાન્તિ’ સરજનારી ‘એ.આઈ.’ તો તર્કથી જ જન્મી છે, તર્કથી જ જીવે છે અને નિત્ય વિકસે છે તે પણ તર્કથી. સામાન્યજનો કલાકારો સાહિત્યકારો અને ‘એ.આઈ.’ વચ્ચે આ પાયાનો ભેદ છે.

તેથી બને છે એવું કે ‘એ.આઈ.’-ને માણસોનું સમજાય છે એટલું માણસોને ‘એ.આઈ.’-નું નથી સમજાતું.

આ એક મડાગાંઠ છે. તાતો સવાલ તો એ છે કે મડાગાંઠને ખૂણે હડસેલીને જીવ્યા કરવું કે એને ઉકેલી નાખવી. ઉકેલી નાખવી-નું તાત્પર્ય એ કે “એ.આઈ.’-થી થયેલા લાભ અંકે કરવા, ગેરલાભને સમજી લેવા.

હરારી એમ કહે છે કે એમના જેવા ઇતિહાસકારો અને ફિલસૂફોનું કામ તો કોઈ પણ ડર કે ભય સામે માત્ર આંગળી ચીંધવાનું છે, બાકી સદ્હેતુ માટે ‘એ.આઈ.’-ની નવ્ય શક્તિઓએ જનમાવેલાં ઉપકરણોને અવશ્ય કામે લગાડી શકીએ, અને એવો દાવો તો બહુ પહેલેથી ‘એ.આઈ.’-ક્ષેત્રના નિષ્ણાતો કરી જ રહ્યા છે.

++

જુઓ, હું તમને કહું, ’એ.આઈ.’-પાવર્ડ આ બધા લાભ તો માણસ મેળવી જ રહ્યો છે :

જેમ કે, ૧ : હોમ ડીવાઇસિસ, ઘરકામ માટેનાં ઉપકરણો —

‘એ.આઈ.’-પાવર્ડ લૉન્ડ્રી મશીનને ખબર પડી શકે છે કે આપણાં કપડાં ધોવાઈ ગયાં છે અને એને સૂકાં કરવા માટે ડ્રાઇન્ગ સાઇકલ બદલવાનો સમય થઈ ગયો છે, એ જાતે જ સ્વીચ બદલી નાખશે. વૅક્યુમ ક્લીનર આપણા ઘરનું માપ લઈ શકે છે અને આપણી કશી જ મદદ વિના ઘર સરસ સાફ કરી દે છે. લૉન મૂવર લૉનને ઑટોમૅટિકલિ વાઢી નાખી શકે છે, વચ્ચે આવતા અવરોધોને હટાવી દઈ શકે છે.

આ ઉપકરણો લાઇટ્સ-થી માંડીને થર્મોસ્ટેટ ને સીક્યૉરિટી સિસ્ટમ સાથે સંકળાયેલા આપણા રોજિંદા જીવનવ્યવહારોને સરળ કરી આપે છે. દાખલા તરીકે, Nest Cam IQ Indoor. આ કૅમેરા ઘર આસપાસ દેખાતી પરિચિત કે અજાણી વ્યક્તિના ચહેરા તેમ જ આપણા ડોરસ્ટેપ પર મુકાયેલાં ઍમેઝોન પરથી કે બીજેથી મંગાવેલી ચીજવસ્તુઓનાં પૅકેજીસ હૂબહૂ દર્શાવી દે છે. કશું પણ શંકાસ્પદ લાગે તો આપણને ઍલર્ટ કરી દે છે. દાખલા તરીકે, Arlo Pro 3. આ કૅમેરા પણ એ બધું જ કરે છે. કશુંક તૂટ્યુંફૂટ્યું હોય તેના કે અન્ય કોઈપણ અવાજ માટે આપણને ઍલર્ટ કરી દે છે. Ring Stick Up Cam Wired શંકાસ્પદ બધું રૅકર્ડ કરી નાખે છે.

જેમ કે, ૨ : ’એ આઈ ’-પાવર્ડ પર્સનલ આસિસ્ટન્ટ ડીવાઇસિસ —

આ ઉપકરણો અંગત મદદનીશ બની શકે છે. દાખલા તરીકે ‘સિરિ’, ‘ઍલેક્સા’ કે ‘ગૂગલ આસિસ્ટન્ટ’ પોતાની મર્યાદામાં રહીને આપણે કહીએ તે કરે છે. ઍલાર્મ્સ સૅટ કરી આપે છે, ઍપોઇન્ટમેન્ટ્સ ગોઠવી આપે છે, મનગમતું ગાયન કે વાદ્ય વગાડી આપે છે. ઘરકામનાં સ્માર્ટ ઉપકરણોને નિયન્ત્રિત કરવામાં પણ એની મદદ મેળવી શકાય છે. Amazon Astro. આ એક મોબાઇલ રૉબોટ છે. ઘરમાં એ આપણી આજુબાજુમાં જ રહે છે અને, આપણને મેઇલ લાવી આપે છે, લાઇટો ઑન કરી આપે છે, સંગીત સંભળાવી આપે છે. Google Nest Hub Max. આ એક સ્માર્ટ ડિસ્પ્લે ઉપકરણ છે. સમય, હવામાન, કૅલેન્ડર બતાવે અને વીડીઓ-કૉલ પણ કરાવી દે.

માણસને પોતાના રોગનું નિદાન કરાવવું હોય, દવાઓ જોઈતી હોય, સારવારનો ક્રમ-ઉપક્રમ બનાવવો હોય; વેપારી અને ગ્રાહકોએ લૅણદેણ કરવી હોય, કોઈ તકરાર કે મુશ્કેલી બાબતે વકીલ રોકવો હોય, તો ‘એ.આઈ.-પાવર્ડ’ વર્ચ્યુઅલ આસિસ્ટન્સ ઉપલબ્ધ છે. સમય બચે કેમ કે માણસોએ રૂ-બ-રૂ થવાની જરૂરત નહીં. શક્તિ બચે કેમ કે રૂબરૂમાં તો લોકોને બોલતાં જ નથી આવડતું હોતું; પોતાને શું અને ક્યારે કેવુંક જોઈએ છે કે આપવું છે એ કહેતાં પણ નથી આવડતું. ઍલફૅલ બોલે, ગાળાગાળી કરે. ‘એ આઈ ’ આગળ એવું કંઈપણ નભી જતું નથી.

જેમ કે, ૩ : ’એ આઈ ’-પાવર્ડ ઍજ્યુકેશનલ ઉપકરણો —

કેળવણીવિષયક આ ઉપકરણો શિક્ષકોને અને ખાસ તો, વિદ્યાર્થીઓને કામ આવી શકે છે. વધારે અંગત પદ્ધતિએ શીખી શકાય, હોમવર્ક ચૅક કરાવી શકાય, પ્રગતિ ટ્રૅક કરી શકાય. શિક્ષક અથવા શિક્ષણસંસ્થા આ બધું ઉપલબ્ધ થાય તેવા કસ્ટમ લર્નિન્ગ પ્લાન્સ પણ બનાવી શકે. જૂઠા શિક્ષકો અને ખોટા વિદ્યાર્થીઓ સીધા થઈ જાય.

જેમ કે, ૪ : ’એ આઈ ’-પાવર્ડ મનોરંજનવિષયક ઉપકરણો —

મ્યુઝિક સ્ટ્રીમિન્ગ Spotify AI-થી આપણે મનપસંદ સંગીત સાંભળીએ છીએ. મૂવી અને ટીવી-શોઝ માટેની સ્ટ્રીમિન્ગ સર્વિસ Netflix AI-થી આપણે પૂરા વાકેફ છીએ. Replika AI એક ચૅટબોટ છે. એને આપણે મિત્ર કે સારવારદાતા – થૅરાપિસ્ટ – કે અરે, રોમાન્ટિક પાર્ટનર તરીકે પણ કસ્ટમાઈઝ કરી શકીએ છીએ. એ કહેશે – હું તમારી કમ્પેનિયન છું, કેમ છો તમે? મજામાં? શું કરી શકું તમારે માટે? એ આપણી વ્યક્તિતા અને રસરુચિ જાણી લે છે. આપણા માટે ટૅક્સ્ટ લાવી દે, ભાષાન્તર કરી દે, પ્રશ્નોત્તર કરે. અને, કાવ્ય કે ટૂંકીવાર્તા જેવી સર્જનાત્મક કૃતિઓ પણ લખી આપી શકે છે. 

આટલાં તો ‘એ.આઈ.’-પાવર્ડ ઉપકરણો બજારમાં હાજર છે, પણ જેમ જેમ ટૅક્નોલૉજીનો વિકાસ થશે તેમ તેમ વધુ ને વધુ ઉપકરણો માણસના જીવનવ્યવહારોમાં મદદ કરવાને દોડી આવવાનાં છે.

++

હરારીનો સવાલ એ છે કે ‘એ.આઈ.’-નાં એ નવ્ય ઉપકરણો આપણે સદ્હેતુઓ માટે પ્રયોજવા માગીએ છીએ કે બદઇરાદાઓની તુષ્ટિ માટે.

હરારી ઇતિહાસમાં લઈ જાય છે, કહે છે : ૧૯૪૫-થી આપણને જાણ થઈ છે કે ન્યુક્લીયર ટૅક્નોલૉજિ મનુષ્યને ફાયદા થાય એવી ઍનર્જી સરજી શકે, પણ માનવસભ્યતાનો નાશ પણ કરી શકે છે. એટલે, માનવતાના હિતમાં, માનવતાની રક્ષા સારુ, આપણે ઈન્ટરનેશનલ ઑર્ડરની પુનર્રચના કરી છે, ઠરાવ્યું છે કે ન્યુક્લીયર ટૅક્નોલૉજિનો વિનિયોગ સદ્હેતુ માટે કરીશું. પરન્તુ હવે સામુદાયિક વિનાશને માટેના આ નવા શસ્ત્ર જોડે આપણે બાથંબાથા કરવી પડશે, નહિતર એ આપણી મનોસૃષ્ટિઓને તેમ જ આપણા સામાજિક વિશ્વને ખતમ કરી નાખશે.

હરારી કહે છે, હજી આપણે ‘એ આઈ’ – ઑજારોને કાબૂમાં લઈ શકીએ એમ છીએ, પણ આપણે ઝડપ કરવી જોઈશે. ન્યુક્લીયર વેપન્સ વધુ શક્તિશાળી ન્યુક્લીયર વેપન્સ ન સંશોધી શકે કે ન બનાવી શકે, પણ ‘એ આઈ ‘ વધુ શક્તિશાળી ન્યુક્લીયર વેપન્સ બનાવી શકે છે. પહેલું મહત્ત્વનું પગલું એ ભરવું જોઈશે કે ‘એ.આઈ.’ ઉપકરણોને પબ્લિક ડોમેઇનમાં મૂકતાં પહેલાં સુરક્ષા બાબતે એની કડક તપાસ થવી જોઈશે, અને સમાજમાં એ માટે માંગ ઊઠવી જોઈશે.

હરારી ઉમેરે છે : ટૂંકા કે લાંબા ગાળાની સાઈડ-ઇફૅક્ટ્સના ટેસ્ટ કર્યા વિના જેમ દવા બનાવનારી કમ્પનીઓ નવી દવા જાહેરમાં નથી મૂકી શકતી એમ ‘એ.આઈ.’-ઑજારો સુરક્ષિત છે કે કેમ તેના ટેસ્ટ કર્યા વિના ટૅક-કમ્પનીઓ એને રીલીઝ ન જ કરી શકે એમ થવું જોઈશે. કહે છે, આ પૃ઼થ્વી પર હજી તો આપણે પરાયી બુદ્ધિનો સામનો કરી રહ્યા છીએ. એને વિશે આપણને ઝાઝી ખબર નથી, સિવાય કે એ આપણી સભ્યાતનો નાશ કરશે. જરૂરી એ છે કે ‘એ.આઈ.’ આપણને નિયન્ત્રણમાં લે એ પહેલાં આપણે એને નિયન્ત્રણમાં લઈએ.

હરારી તીવ્ર સવાલ કરે છે : ‘એ.આઈ.’-ની જાહેર જમાવટને ધીમી કરી નાખીશું તો લોકશાહી એકહથ્થુવાદી શાસનથી પાછળ નહીં રહી જાય? હરારી પોતે જ જવાબ આપે છે કે, ના, તદ્દન વિપરીત ! ‘એ.આઈ.’-ની અનિયન્ત્રિત જમાવટ સોશ્યલ કૅઓસ સરજશે – સામાજિક અંધાધૂંધી. એથી લાભશે નિરંકુશ સત્તાખોરો – ઑટોક્રેટ્સ ! અને, લોકશાહી બરબાદ થઈ જશે.

કહે છે, લોકશાહી તો એક જાતની વાતચીત છે. અને વાતચીતને હમેશાં ભાષાનો આધાર જોઈએ છે. હવે, ‘એ.આઈ.’ જો ભાષાને જ હૅક કરે છે, તો અર્થપૂર્ણ વાતચીત કરવાની આપણી ક્ષમતાનો પણ નાશ કરશે, અને સરવાળે લોકશાહીનો પણ નાશ કરશે.

હરારી કહે છે : હું કોઈની જોડે વાતચીત કરતો હોઉં અને હું જો કહી ન શકું કે એ મનુષ્ય છે કે ‘એ.આઈ.’ છે, તો સમજો, લોકશાહીનો અન્ત આવી ગયો ! 

= = =

(27 / 07/ 23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...916917918919...930940950...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved