Opinion Magazine
Number of visits: 9560751
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વચલી અને નીચલી જાતિઓ સંદર્ભે આજે સાંભરે છે લોહિયા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|12 October 2023

રાજ્યોમાં ચૂંટણી જાહેરાત 

એમને આ એક મુદ્દામાં સમેટ્યા સમેટાય એમ નથી. એ સાત ક્રાંતિના ઉદ્ગાતા હતા અને સિવિલ નાફરમાનીના સત્યાગ્રહીના ખયાલને ધોરણે ગાંધીના બગાવતી બેટા હતા

રામ મનોહર લોહિયા

અગિયારમી ઓક્ટોબર જેપી જયંતી ગઈ, અને આજે બારમીએ લોહિયા સ્મૃતિઃ રામ મનોહર લોહિયાએ બિનકૉંગ્રેસવાદનો વ્યૂહ બનાવ્યો અને 1967માં એક તબક્કા ચંડીગઢથી કલકતા(કોલકાતા)ના રેલ પ્રવાસમાં તમારે કાઁગ્રેસશાસિત રાજ્યમાંથી પસાર થવું ન પડે એવો જોગ બની આવ્યો હતો. અલબત્ત, એ ચાલચલાઉ પણ સાદા અંકગણિતનો મામલો હતો, જેમાં નાના દેશમુખ ને દીનદયાલ ઉપાધ્યાય આદિ સહભાગી હતા. લોહિયા એ પછી તરત ગયા, પણ પેલું અંકગણિત તે પછીનાં વરસોમાં જયપ્રકાશ અને બિહાર આંદોલનને પ્રતાપે કંઈક રાસાયણિક પરિમાણ હાંસલ કરી શક્યું અને નકરા બિનકાઁગ્રેસવાદને બદલે જનતા રાજ્યારોહણના યશસ્વી અલબત્ત ટૂંકજીવી પ્રયોગની ભોં ભાંગી શક્યું.

બિનકાઁગ્રેસવાદ તો માનો કે એક વ્યૂહાત્મક રણનીતિગત વાત હતી, પણ સમાજવાદ-સામ્યવાદને કારણે આપણી વર્ગસભાન રાજનીતિને વર્ણ વિશે, ખાસ કરીને વચલીનીચલી જાતિઓને એમાં સમાવેશકારી બનાવવાની વિચારણા એમને આભારી છે. આપણે ત્યાં સમતાલક્ષી નવવિધાન વાસ્તે માત્ર વર્ગસીમિત ચિંતને નહીં અટકતાં સામાજિક વાસ્તવને લક્ષમાં લેવાનું એમને અનિવાર્ય લાગતું.

સામાજિક ન્યાયની આ રાજનીતિએ લાલુ, નીતિશ, મુલાયમ તરેહના નવા નેતૃત્વને સારુ અવકાશ સરજ્યો. તેઓ સત્તા લગી પહોંચ્યા તે પૂર્વે કેટલીક કામગીરી સામાજિક ઇજનેરીની રીતે કર્પૂરી ઠાકુરે ઠીક હાથ ધરી હતી. સ્થાપિત પરિસ્થિતિમાં ઊથલપાથલ થવા લાગે ત્યારે કેવા પ્રત્યાઘાતો પડે છે એનું એક અચ્છું નિદર્શન તે ગાળામાં બિહારમાં બોલાતા એ મતલબના સૂત્રમાં જોવા મળે છે કે સવર્ણ-દલિત ભાઈ ભાઈ, બીચમે પિછડી જાતિ કહાં સે આઈ!

તમે જુઓ કે 1992ના ડિસેમ્બરની છઠ્ઠી પછી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ આદિ પાંચ રાજ્યોની ચૂંટણી વખતનું ભા.જ.પ.નું ઉમંગી સૂત્ર – ‘આજ પાંચ પ્રદેશ, કલ સારા દેશ’ – ભોંઠું પડ્યું હતું, કેમ કે, મુલાયમ ને માયાવતી વાટે કથિત વચલીનીચલી જાતિઓ એકત્ર આવી અને હિંદુત્વ રાજનીતિ પર એ ભારે પડી હતી. ઉમા ભારતી ને ગોવિંદાચાર્યે આ વાનું પકડ્યું અને ચાલ, ચરિત્ર, તહેરો બદલવાં પડશે તે સ્વીકાર્યું, અને ભા.જ.પી. રણનીતિએ આગળ ચાલતાં મંડલમંદિર યુતિનો અભિગમ લીધો.

તેમ છતાં, સ્વાભાવિક જ, હજુ વિશાળ સમૂહ લગી પહોંચી શકાયું નથી. આર્થિક – સામાજિક  ન્યાયની રાજનીતિનો વિકલ્પ કંઈ કોમી ધ્રુવીકરણની રાજનીતિ તો હોઈ શકે નહીં. બિહારમાં નીતિશકુમારે જે સરવે કરાવ્યો એમાં 27 ટકા ઓ.બી.સી. ને 36 ટકા ઇ.બી.સી. એ આપણું દુર્દૈવ વાસ્તવ છે. આ સરવે સામે ભા.જ.પ.નો પ્રતિભાવ ગ્વાલિયરમાં બોલતાં વડા પ્રધાને કહ્યું તેમ સમાજમાં ભાગલા પડાવવાની પેરવીનો છે. યોગી આદિત્યનાથે યુ.પી.માં આવા કોઈ સરવેની ગણતરી નથી તેમ કહ્યું છે.

બે દિવસ પર જ પાંચ રાજ્યોમાં ચૂંટણી તારીખો જાહેર થઈ. ત્રીજી ડિસેમ્બરે પરિણામો આવશે ત્યારે, બને કે, ચિત્ર કંઈક ઉઘડે કે સામાજિક ન્યાયનું ક્ષેત્ર વિસ્તારવાની ઇન્ડિયા બળોની ભૂમિકા અને મંડલમંદિર યુતિની પૃષ્ઠભૂ છતાં ક્ષેત્રવિસ્તાર બાબતે ભા.જ.પ.ની દ્વિધાવિભક્ત ભૂમિકા અંગે મતદારો કેવીક રૂખ પ્રગટ કરે છે.

જયપ્રકાશ નારાયણના સંપૂર્ણ ક્રાંતિ આંદોલનનો કે રામ મનોહર લોહિયાના સપ્ત ક્રાન્તિ વલણનો પ્રભાવ આ બધી નાનીમોટી અલગ અલગ ઓળખોને સમતા ને ન્યાયને માર્ગે ‘નાગરિક’માં સ્થાપી શકે તે શક્ય છે. ભા.જ.પ. એની ઉછેરગત વાસ્તવિકતા જોતાં તે સૌને ‘હિંદુ’માં સ્થાપે તે શક્ય બલકે સહજ છે. ગાંધીની સત્યાગ્રહી ભૂમિકા અલબત્ત આ બધાને લાંઘી જતી વાત છે.

ચૂંટણીજાહેરાતવશ લોહિયાને એક મુદ્દામાં સમીતિ કરીને જોયા, પણ એમનું પ્રદાન અને ચિંતન બેઉ અસાધારણ છે. માર્ટિન લ્યુથર કિંગની સિવિલ રાઇટ્સ ચળવળમાં રોઝા પાર્ક્સનો બસ સત્યાગ્રહ, પોતાની બેઠક ગોરી જોહુકમીથી ખાલી નહીં કરવાનો શિવસંકલ્પ, એક મહત્વની ઘટના લેખાય છે. 1955માં અમેરિકાની મુલાકાત દરમિયાન એક વિચારશિબિરમાં લોહિયાએ ગાંધી અને સિવિલ નાફરમાની વિશે જે સમજાવ્યું હતું તેનું એ સીધું પરિણામ હતું, તેમ ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’માં ભારતવિદ રુડોલ્ફ દંપતીએ નોંધ્યું છે. તમે ક્યાં ક્યાં નથી, લોહિયા !

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 11 ઑક્ટોબર 2023

Loading

હા કહો.

અનુવાદ : નંદિતા મુનિ|Poetry|11 October 2023

આજે (10 ઑક્ટોબર 2023) ફરીથી અમેરિકન કવિ જેમ્સ ક્રૂઝના એક કાવ્ય ‘Say Yes’નો મારો અનુવાદ; આજે માનસિક સ્વાસ્થ્ય દિન નિમિત્તે ખાસ. 

અનુવાદની મંજૂરી આપવા માટે James Crewsની આભારી છું. એમનાં અન્ય કાવ્યો jamescrews.net પર વાંચી શકાશે. 

°

ઘરની બહાર જવા માટે તમે પહેરો છો એ ચામડાના સેન્ડલને સ્વીકારો.

હાથ પર પડતા તડકાને વધાવી લો.

અરે, મચ્છરના ડંખથી ઊપસી આવીને તમને બોલાવતી ગુલાબી ફોલ્લીને હા બોલો.

હા કહો, ઘર પાછળના કાયમી અંધારિયા ખૂણે 

ભૂલાઈ ગયેલા, ચિરાયેલા ભૂરા પ્લાસ્ટિક વચ્ચેથી

ઊગી નીકળેલા જંગલી ફૂલછોડના ઝુંડને.

જે અંધકારમાં તમે વધુ ને વધુ

ખૂંપતા જાઓ છો

એ જ અંધકારમાં ચમકી રહેલાં ઝીણાં ગુલાબી પુષ્પોને હા કહો, 

જેથી એમણે આપેલું વચન તમને મળી શકે :

હા, એ કહે છે – હા, તમને પણ

પ્રકાશ દુર્લભ હોય એવી જગ્યાઓમાં

ખીલવાના રસ્તા મળી રહેશે.

Loading

એકાણુમી રેંટિયા બારસે ગાંધીજીનો રેંટિયો ‘બારસ’ બની રહ્યો ..

ચંદુ મહેરિયા|Gandhiana|11 October 2023

ચંદુ મહેરિયા

‘સત્યના પ્રયોગો’ અથવા ‘આત્મકથા’માં ગાંધીજીએ તેમનો જન્મ “સંવત ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ ને દિવસે, એટલે સને ૧૮૬૯ના ઑકટોબરની ૨જી તારીખે” (પૃષ્ઠ-૩) થયાનું લખ્યું છે. તેમણે જન્મસ્થળ “પોરબંદર અથવા સુદામાપુરી” જણાવ્યું છે. નેશનલ હોલિ ડે તરીકે સરકારી રાહે ગાંધીજીનો જન્મ દિવસ બીજી ઑકટોબરે મનાવાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે હવે તો તેને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ઘોષિત કર્યો છે. પરંતુ ગાંધીજી આત્મકથામાં તેમના જન્મ દિવસ તરીકે ઈસુ વરસના અંગ્રેજી મહિનાની બીજી તારીખને બદલે વિક્રમ સંવત પ્રમાણેના દેશી મહિનાની તિથિને પ્રાથમિકતા આપે છે એટલું જ નહીં જન્મસ્થળ પોરબંદરની સુદામાપુરી તરીકે ઓળખ લખવાનું પણ ચુકતા નથી.

ગાંધીજીના પિતા દિવાન હતા, પરંતુ તેમના માતાપિતાએ તેમના કોઈ સંતાનોનો જન્મ દિવસ કદી મનાવ્યો નહોતો. ગાંધીજીના લેખનમાં તેઓ જન્મ દિવસની ઉજવણી પ્રત્યે ઉદાસીન હોવાની છાપ જરૂર ઉઠે છે, પરંતુ વધુ ખણખોદ કરતાં જણાય છે કે જન્મ દિવસની ઉજવણી બાબતે તેમના વિચાર અને આચાર સંમિશ્ર હતા. બીજી ઑકટોબર ૧૯૧૯ના તેમના જન્મની સુવર્ણ જયંતીનો સમારોહ મહિલા સંગઠન ભગિની સમાજે મુંબઈમાં ઉજવ્યો તેમાં તેઓ હાજર હતા અને રૂ.૨૦,૧૦૦ની થેલી અર્પણ થઈ હતી તે સ્વીકારી હતી. તેમની હયાતીમાં તેમના વિરોધ છતાં તેમના જન્મ દિને તેમનાં પૂતળાં મૂકાયાં હતા અને તસ્વીરોના અનાવરણ થયાં હતા. સાથીઓ અને નેતાઓને જન્મ દિનની શુભેચ્છા પાઠવવાનો શિષ્ટાચાર તેઓ અચૂક પાળતા હતા. આજે નેતાઓ ટ્વીટ કરીને જન્મ દિવસની શુભેચ્છા આપે છે. ગાંધીજી ઘણી વાર આ કાર્ય કેબલ મારફત કરતાં હતા. આ કેબલ તેમણે રાણી વિકટોરિયા અને કિંગ એડવર્ડ સાતમાને પણ કર્યા હતા !  કેટલાકના જન્મ દિન સમારોહની તેમણે અધ્યક્ષતા પણ કરી હતી. વર્ષગાંઠે જેલમાં અને દેશબહાર પણ રહ્યા છે. જો કે તેમણે અવારનવાર “મને મારા જન્મ દિનની ઉજવણીમાં કોઈ રસ નથી. કોઈ પણ બીજા દિવસ જેટલો જ આ દિવસ પણ સારો કે ખરાબ હોઈ શકે છે. જન્મ દિન ખરેખર તો જિંદગીનો એક દિવસ ઓછો થયાના દુ:ખનો દિવસ છે”, તેમ પણ લખ્યું છે.

જન્મ દિન પ્રત્યે ઉપેક્ષા કે ઉદાસીનતા સેવતા મહાત્મા ગાંધી ૧૯૨૩માં ભાદરવા વદ બારસના તેમના જન્મ દિનને ‘રેંટિયા બારસ’ તરીકે ઉજવવા અપીલ કરે તે ન માન્યામાં આવે તેવું છે. પણ આ હકીકત છે. અને તેનું કારણ રેંટિયા કે ચરખા પ્રત્યેનો તેમનો અનન્ય લગાવ છે. દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો નેતા હશે જેણે ગાંધીજીની જેમ ઉત્પાદનના સાધનને ચળવળનું હથિયાર બનાવ્યું હોય !

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના ખાદી કે હાથવણાટનાં કાપડને બદલે આધુનિક યંત્રોથી બ્રિટનની મિલોમાં તૈયાર થયેલાં સસ્તાં કાપડથી ભારતના બજારો ભરી દીધા હતા. તેને કારણે હાથવણાટની પરંપરા અને બજાર બંને નષ્ટ થયા હતા. એટલે તેનું પુનનિર્માણ  ગામને બેઠા કરશે અને ગરીબી ભાંગશે તે બાબતથી ભલીભાંતી વાકેફ મોહનદાસ ગાંધીના દિલોદિમાગમાં તેમણે સાળ કે રેંટિયો જોયા નહોતા કે તેની વચ્ચેનો ભેદ બરાબર જાણતા નહોતા ત્યારથી છવાયેલા હતા. એટલે જ ૧૯૦૯માં ‘હિંદ સ્વરાજ’માં તેમણે રેંટિયાનો વિચાર મૂક્યો હતો.

અમદાવાદના કોચરબ અને સાબરમતી આશ્રમમાં રેંટિયો અને સાળ પહોંચે અને ખાદી જન્મે તે માટે ગાંધીજી આતુર હતા. મગનલાલ ગાંધીને તેમણે હાથવણાટનું કામ શિખવા મદ્રાસ મોકલ્યા હતા અને લાઠીથી રામજીભાઈ બઢિયાને આશ્રમ તેડાવ્યા હતા. ગાંધીજીએ રેંટિયો શોધી કાઢવાનું કામ ‘મહાસાહસી મહિલા’ ગંગાબહેન મજમુદારને સોંપ્યું હતું અને ગંગાબહેને ગાંધીજીના શબ્દોમાં, ‘દમયંતી જેમ નળની પાછળ ભમી હતી તેમ રેંટિયોની શોધમાં સારી પેઠે ભટક્યા પછી’ ગાયકવાડના વિજાપુર(હાલના મહેસાણા જિલ્લાનું તાલુકા મથક)માંથી મેડે ચડાવી દીધેલો રેંટિયો શોધી કાઢ્યાનું ગાંધીજીએ આત્મકથાના ‘મળ્યો’ શીર્ષક હેઠળના પ્રકરણમાં લખ્યું છે. (પૃષ્ઠ-૪૭૫)

હસ્તચાલિત સાધન રેંટિયાથી રૂની પૂણીમાંથી કાંતીને સૂતર તૈયાર કરવાનું હોય છે. તે પછી સાળ પર વણાટ થાય અને ખાદીનું કાપડ જન્મે. અંગ્રેજોએ તેમની જે સામ્રાજ્યવાદી વિચારસરણી હેઠળ ભારતને આર્થિક રીતે ભાંગી નાંખ્યું હતું તેની સામેનો ગાંધી પ્રતિકાર રેંટિયો હતો. ચંપારણમાં અને બીજે ગાંધીએ મહિલાઓની કંગાલિયત નજરે જોઈ હતી. તેમની ગરીબી ફેડવાનું સાધન રેંટિયો હતું અને સ્વરાજનું પ્રતીક પણ. આર્થિક આત્મનિર્ભરતાના મજબૂત ઓજારરૂપ ચરખાને ગાંધીજીએ દેશની એકતા, અહિંસા અને સ્વરાજના શક્તિશાળી  હથિયાર તરીકે પ્રયોજ્યો હતો.

જવાહરલાલ નહેરુ ખાદીને સ્વરાજનો પોશાક કહેતા હતા. મહાસભાએ (કાઁગ્રેસે) ખાદી અને રેંટિયાને અપનાવવા ઠરાવો કર્યા હતા. ગાંધીજીના રચનાત્મક કામોમાં તે સામેલ હતા. હિંદુસ્તાનના દરેક ઘરે ચરખાનું સંગીત ગૂંજે એવી મહાત્મા ગાંધીની ખ્વાહિશ હતી. ૧૯૨૧માં કાઁગ્રેસ મહાસમિતિએ વીસ લાખ નવા ચરખા બનાવવા અને તેનો આખા દેશમાં ફેલાવો કરવાનું નક્કી કર્યું હતું. ૧૯૨૫માં અખિલ ભારતીય ચરખા સંઘની સ્થાપના થઈ હતી. દરેક લોક રોજ અડધો કલાક કાંતે તો સ્વરાજ ઢુકડું છે તેવો ગાંધીજીનો સંદેશ હતો. તે પ્રમાણે અમલ પણ થઈ રહ્યો હતો. છેક ડિસેમ્બર ૧૯૨૬થી ગાંધીજીએ વાતો કરતાં કરતાં કાંતવાનું ચાલુ રાખવાની ટેવ પાડી હતી.

એટલે ગાંધીજી તેમના જન્મ દિવસ સાથે રેંટિયાને જોડે તે સહજ હતું. જો કે સર્વસત્તાધીશ મનાતા ગાંધીની ‘રેંટિયા બારસ’ મનાવવાની અપીલ છેક દસ વરસે અમલી બની હતી. ચંદુલાલ ભગુલાલ દલાલ સંગૃહિત ‘ગાંધીજીની દિનવારી’માં ૧૬મી સપ્ટેમ્બર ૧૯૩૩ ના દિવસ અંગે લખ્યું છે. “આજે તિથિ મુજબ ગાંધીજીની વર્ષગાંઠ. આ દિવસ ‘રેંટિયા બારસ’ તરીકે ઉજવવાનું ઘણે ભાગે આજથી શરૂ થયું“ (પૃષ્ઠ ૩૫૭). ગાંધીજીએ પોતાની વર્ષગાંઠને ઘણા ગજના સૂતર કાંતવાના અવસરમાં બદલી નાંખ્યો હતો. મગનલાલ ગાંધીએ બીજી ઓકટોબર અને ભાદરવા વદ બારસના દિવસોને સાંકળીને ખાદી સપ્તાહ મનાવવાનું નક્કી કર્યું. ખાદીનું વેચાણ અને ઉત્પાદન વધારવાનો આ ઉજવણીનો હેતુ હતો. આ સંદર્ભમાં, ‘મને મારા જન્મદિવસનું આ પ્રમાણે શોષણ થાય તે મંજૂર છે’ તેમ ગાંધીજીએ કહ્યું હતું.

રેંટિયા કે ખાદીથી સ્વરાજ મળે તે ઘણા દેશા નેતાઓને એ સમયે પણ સ્વીકાર્ય નહોતું. સપ્ટેમ્બર ૧૯૨૫ના ‘મોર્ડન રિવ્યુ’માં પ્રગટ કવિ રવિન્દ્રનાથ ટાગોરનો લેખ       ‘રેંટિયાનો સંપ્રદાય’ અને ૫ નવેમ્બર ૧૯૨૫ના ‘યંગ ઈન્ડિયા’માં ‘ કવિ અને ચરખો’ મથાળે ગાંધીજી આપેલો જવાબ આ સંદર્ભે નોંધપાત્ર છે.

આજની એકાણુમી રેંટિયા બારસે સ્વરાજ, ખાદી, એકતા, ભાઈચારો અને રેંટિયાની હાલત વિશે વિચારતાં આઝાદી પછીનો પહેલો અને જિંદગીનો છેલ્લો (ચુમોતેરમો) જન્મ દિન ગાંધીજીએ દિલ્હીમાં મનાવ્યો હતો તે સાંભરે છે. બીજી ઓકટોબર  ૧૯૪૭ના જન્મ પર્વે ગાંધીજીને જન્મદિનની મુબારકબાદી આપવા આવેલાને ભાગલા પછીના કોમી રમખાણો ખાસ નોઆખલી અને દિલ્હીની સ્થિતિ સંદર્ભે ગાંધીજીએ કંઈક એ મતલબનું કહેલું કે આજની સ્થિતિ જોઈને લાંબુ જીવવાની હવે મને કોઈ ઈચ્છા નથી. તમારા જન્મદિનના અભિનંદનને ખરખરો કહેવો મને વધુ યોગ્ય લાગે છે. ૧૧મી ઓકટોબર ૧૯૪૭ એટલે ભાદરવા વદ બારસ, જીવિત ગાંધીજીની છેલ્લી રેંટિયા બારસના દિવસે, તેમણે જન્મ દિવસ ઉજવવાને બદલે ઉપવાસ કર્યો હતો ! સરકારી રાહે મનાવાતા આઝાદીના અમૃતકાળ અને ગાંધી સપ્તાહના વર્તમાન દિવસોમાં ગાંધી હયાત હોત તો એમનો પ્રતિભાવ શું આના કરતાં લગીરે જુદો હોત ?

e.mail : maheriyachandu@gmail.com 

Loading

...102030...907908909910...920930940...

Search by

Opinion

  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved